‘મુળ પ્રશ્નોનું સાતત્ય અને તેની વ્યાપકતા’

ધર્મ, સંસ્કાર અને રુઢીગતતાએ ક્યારે અને કોના પર કાબુ મેળવ્યો છે? કોની જોહુકમી માણસોને ખોટા ઉકેલ માટે ખોટા માણસોની દીશામાં ધકેલે છે? કોઈ પણ ફાલતું માણસ ક્યારે અધીકારથી કહી શકે કે તે પોતે દૈવી શક્તી ધરાવે છે? બહુજન સમાજ વૈજ્ઞાનીક અભીગમ દાખવવાની અને રૅશનાલીઝમ સ્વીકારવાની બાબતમાં સફળતા પ્રાપ્ત કરે એવું વાતાવરણ ક્યારે સર્જાશે?

10

મુળ પ્રશ્નોનું સાતત્ય અને તેની વ્યાપકતા  

–પ્રા. સુર્યકાન્ત શાહ

(આ પુસ્તકનો 9મો લેખ https://govindmaru.com/2019/11/11/suryakant-shah-14/ ­­­­­­­ના અનુસન્ધાનમાં..)

પરીસ્થીતીનું વીપરીત થવું, સમસ્યાનું સર્જન થવું અને એષણાઓ જાગવી આ બધું સતત પેદા થયાં કરે છે. આ ત્રણેમાંથી એક પણ પેદા નહીં જ થાય એવું બનવાનું નથી. આ ત્રણ પ્રસંગે માનવ–મગજ કેવી રીતે વર્તે છે અને તન્દુરસ્ત મગજે કેવી રીતે વર્તવું જોઈએ તે જ વીચારવું પડે. માણસો દરેક પરીસ્થીતીમાં અને દરેક સમસ્યાનાં સાચાં કારણો શોધીને તેના વાજબી–અસરકારક ઉકેલને અમલમાં મુકે તે દીશામાં માણસને લઈ જવાનો છે. માણસ એની એષણાની સન્તૃપ્તી માટે એની શારીરીક અને બૌદ્ધીક શક્તી તેમ જ એની હસ્તકનાં સાધનોની ખુબી અને ખામી વીચારીને તેમને જો તૃપ્તીને માટે કાર્યાન્વીત કરવામાં આવે તો એને તેમાંથી મહત્તમ આનન્દ મળશે. દરેક માણસ માટે વીપરીત પરીસ્થીતી અને સમસ્યા પેદા થવાના જ છે. વારંવાર પેદા થવાના છે. દરેક માણસને પળે પળે કોઈને એષણા સન્તાપ આપવાની જ છે. આ બધાંનાં પરીણામે પ્રશ્નો સતત પેદા થવાના જ છે. તે પ્રત્યેક માણસ સુધી વ્યાપક રહેવાના છે. એના ખોટા ઉકેલ માટે કહેવાતી દીવ્ય શક્તીવાળા ખોટા માણસોનો સહારો લેવાનો ઘણા માણસોને જે ‘અકથીત રોગ’ લાગુ પડે છે તેના મુળમાં માણસોનો અવૈજ્ઞાનીક–ઈરૅશનલ અભીગમ છે. ધર્મ, સંસ્કાર અને રુઢીગતતાએ જન્મતાની સાથે એનો કાબુ મેળવી લીધો હોય છે. રુઢીગતતા એને સતત કુપમંડુકતાની દશામાં રાખે છે. આ સંસ્કાર એને સતત ગૃહીત રાખે છે. આ ત્રણેમાંથી અને તેમાંય ધર્મથી મુક્તી મેળવવાનું ઘણા માટે શક્ય નથી. પરીણામે, ગણ્યા ગાંઠ્યા માણસો સીવાયનો સમગ્ર સમાજ અવૈજ્ઞાનીકતાનો બન્ધાણી છે. ભગતના ચારેય ચોપડાઓનો અભ્યાસ કરતાં માલુમ પડે છે કે કેટલાક ડૉક્ટરો, એન્જીનીયરો અને શીક્ષકો પણ એનો આશરો લેતા હતા. કેટલાક બીનનીવાસી ભારતીયો, કે જેમાંના મોટા ભાગના અમેરીકામાં છે તે પણ એનો આશરો લેતા હતા. અમેરીકા–ન્યુઝીલેન્ડ જવા માત્રથી માણસો પોતાના ધર્મ, સંસ્કાર અને રુઢીઓને નવેસરથી ટીકાત્મક રીતે તપાસવાની ઈચ્છા અને શક્તી પ્રાપ્ત કરી લેતા નથી. ખુદ અમેરીકા, યુરોપ કે ઓસ્ટ્રેલીયા અને તેવા બીજા વીકસીત કહેવાતા દેશોના માણસો પણ આ રોગથી મુક્ત નથી. ત્યાં પણ ભગત–પીર જેવા તાવીજ આપનારા અને ખોટા ઉકેલ આપનારા તેમ જ પોતાની પાસે દૈવી શક્તી હોવાનો દાવો કરનારા અસલ અમેરીકનો, યુરોપીયનો વગેરે છે. આ દેશોમાં વીજ્ઞાન અગ્રસ્થાને છે; છતાં અવૈજ્ઞાનીકતા તેમ જ ખોટા માણસ પાસેથી ખોટા ઉપાય મેળવવાની ઈચ્છા ધરાવતો ‘અકથીત રોગ’ આ દેશોમાં પણ અસ્તીત્વ ધરાવે છે. આમ આ સમસ્યાના મુળ ઉંડા અને વ્યાપક છે.

ધર્મ અને અપાર્થીવ તત્ત્વ

મોટા ભાગના ધર્મો અપાર્થીવ તત્ત્વના અસ્તીત્વના ભ્રમમાં રાચે છે. એમનો એક બીજો પણ ભ્રમ છે કે આ અપાર્થીવ તત્ત્વ સમગ્ર સચરાચરનું કર્તા, હર્તા અને ભોક્તા છે, આ બધું કરવા માટે તે સર્વશક્તીમાન છે. મોટા ભાગનો માનવ સમુદાય આ બીલકુલ અવૈજ્ઞાનીક એવી ધાર્મીક માન્યતાને સાચી માનવાનો સંસ્કાર ગર્ભમાંથી જ લઈને ઉછરતો હોય છે. એકવાર અપાર્થીવ તત્ત્વ અને એની અનન્ત શક્તીને માણસે સ્વીકાર્યા એટલે તેને પગલે પગલે તાર્કીક પરીણામ સ્વરુપ અનેક અવૈજ્ઞાનીક બાબતો એણે સ્વીકારવી પડે છે અને સ્વીકારી છે.

અપાર્થીવ તત્ત્વ સાથે સંવાદ સ્થાપ્યા બાદ પૃથ્વી પરના માણસોમાં આત્માનું હોવું અને તેનું અજર–અમર હોવાનું સ્વીકારવું પડે, આત્મા કોઈ ખોળીયામાં જાય અને તે ખોળીયાને થોડો સમય જીવાડી દઈ સુખ–દુ:ખની વેદનાને માણે છે, તે સ્વીકારવું પડે. આગળ વધીને–માત્ર તાર્કીક પરીણામ સ્વરુપ ખોળીયા વગર ભટકતા આત્માના ગપ્પાને પણ સ્વીકારવું પડે. આ ભટકતા આત્માઓ ભુત, ડાકણ, પીશાચ વગેરે તરીકે આપણા પ્રદેશોમાં ઓળખાય છે. આવા અન્ય માણસના શરીરમાં પ્રવેશી શકે તેવા ગપ્પાને પણ તે તર્કાધારીત હોવાથી સ્વીકારવું પડે. ભગત–પીર, ભુવા, સાધુ, બાવા, મૌલવી, પાદરીના જન્મ માટે આટલો મસાલો પુરતો છે. આટલા મસાલાની મદદથી કોઈ પણ ફાલતું માણસ અધીકારથી કહી શકે કે પોતે દૈવી શક્તી ધરાવે છે, અને પછી ઘાંટા પાડીને, ચીપીયો પછાડીને કે ચાદર ઓઢીને કહી શકે કે એના સકંજામાં આવેલા દર્દીમાં ડાકણ નાચે છે, તો કોઈ ગેબી શક્તીએ મુઠ મારી છે, આત્મા–પરમાત્માની બીલકુલ અવાસ્તવીક ફીલસુફીમાં શ્રદ્ધા રાખનારાએ ભુત–ડાકણ, પીશાચ, ગેબી શક્તી અને મુઠ મારવી, નજર બાંધવી જેવા ગપ્પાંને સ્વીકારવા જ પડે. તેને માનવા જ પડે. આમ સમાજમાં જે ભગત–પીરની માંગ છે તેના મુળમાં ધર્મ પરની આસ્થા પડેલી છે. ધર્મની બજારક્રીયા (માર્કેટીંગ) ખુબ પ્રભાવક હોય છે. જન્મના અકસ્માતથી મા–બાપના ધર્મને પોતીકા ધર્મ બનાવવાનું જે ફરજીયાતપણું છે તે હીટલરની સરમુખત્યારશાહીને ભુલાવે તેવું છે. ધર્મની આ જોહુકમી અને અવૈજ્ઞાનીકતા માણસોને ખોટા ઉકેલ માટે ખોટા માણસોની દીશામાં ધકેલે છે. મોટા ભાગનો માનવ–સમુદાય ધર્મમાં માને છે તેથી ભગત–પીરની માંગ પેદા થાય છે. માનવસમાજમાંથી ધર્મને ગાંસડા–બન્ધાવીને નજીકના ભવીષ્યમાં વીદાય કરી શકાય તેવું દેખાતું નથી.

આ સન્દર્ભે બહારગામથી સુરતમાં આવીને રહેતા એક ભાઈની ફરીયાદ જાણવા જેવી છે. ‘પહેલા મારા ગામમાં હું રહેતો હતો; પરન્તુ કર્મ પ્રમાણે દેશમાંથી વહી જવું પડ્યું છે અને સુરતમાં રહું છું.’

જુદા જુદા ધર્મો ચોક્કસ પરીસ્થીતી માટે અપાર્થીવ શક્તીની કૃપા–અવકૃપા, કર્મના સીદ્ધાંત અને અપાર્થીવ શક્તીના આખરી ચુકાદા જેવી અવૈજ્ઞાનીક વાતો કરીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે. આ ભાઈ કર્મના સીદ્ધાંતની અવૈજ્ઞાનીકતાના ભોગ બન્યા બાદ પોતે પોતાના ગામમાંથી સુરત શા માટે આવ્યો અને હજી પણ સુરતમાં એ શા માટે રહે છે, જેવા સવાલો એને થતાં જ નથી! કયાં સાચાં કારણો એને સુરત લઈ આવ્યા જેવો સવાલ તો એના વીચારવર્તુળની બહારનું બીન્દુ છે! એ તો આ અવૈજ્ઞાનીકતાને કારણે સીધો ભગત પાસે પહોંચી ગયો અને પોતાની સમસ્યાની રજુઆત કરવા બેસી ગયો! મુળમાં સુરતમાં એના આવવાની અવૈજ્ઞાનીક માન્યતાને પરીણામે ઘણા દર્દો પેદા થાય છે. આવી ઉંડી અને વ્યાપક એવી આ સમસ્યા જોતાં રૅશનાલીઝમમાં માનનારાએ ખુબ ખામોશી રાખવી પડે તેમ છે. નર્મ–મર્મ રહીને તે ઉંડા મુળીયાવાળા અને વ્યાપક એવા ધર્મને અપ્રસ્તુત બનાવી દેવાનું લક્ષ્યાંક તો રાખવું જ પડે એમ છે. ટુંકા ગાળામાં ધર્મના પ્રભાવને કારણે પેદા થતા ‘અકથીત રોગ’ના દર્દીઓનું શોષણ કરતા ભગત–પીરને અટકાવવાનું છે. સાથે સાથે લોકોને એ સમજાવવાનું છે કે સમસ્યા અને એષણાના સન્દર્ભે એ સાચા માણસ અને સાચા ઉકેલ તરફ વળે. ધર્મ અપ્રસ્તુત બની જાય ત્યાં સુધી ધર્મને વ્યક્તીનો અંગત મામલો બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આસ્થા બીલકુલ અંગત બાબત છે. ઘરની ચાર દીવાલો અને આસ્થાના સ્થાન પુરતી એની અભીવ્યક્તી કરવા માટે લોકોને સમજાવવા જોઈએ. જાહેરમાં જેમ ધુમ્રપાન વર્જ્ય બન્યું છે તેમ જાહેરમાં ધર્મના કોઈ પણ પ્રકારના પ્રદર્શનને વર્જ્ય કરવા લોકો ખુદ આગળ વધે તેવા લોકશીક્ષણને મોટા પાયા પર ઉપાડવું જોઈએ.

સંસ્કારની બાબતમાં એવું દેખાયું છે કે વારસામાં મળતા સંસ્કારોને પ્રજા સટીક નજરે જોવા લાગી છે. સ્ત્રીઓનું શોષણ કરવાનો અને તે થવા દેવાનો સંસ્કાર ખુબ સટીક નજરે તપાસવામાં આવી રહ્યો છે. એ જ પ્રમાણે સંસ્કારના નામે અન્ય બાબતો પણ તપાસાય છે. રુઢીઓને પણ સમાજ સટીક નજરે તપાસતો થયો છે. ખાણી, પીણી, પહેરવેશ, ચોક્કસ રીવાજો વગેરેમાં સમાજે પ્રગતીશીલતાની ઘણી નીશાનીઓ દર્શાવી છે. જે ભગતના ચોપડા હાથ લાગ્યા છે તે તપાસતા અને તેને આધારે ગણતરી માંડતા સુરત જેવા શહેરી વીસ્તારના અડધા લોકો ભલે આ ‘અકથીત રોગ’થી પીડાતા હોય છતાં વૈજ્ઞાનીક અભીગમ દાખવવાની રૅશનાલીઝમ સ્વીકારવાની બાબતમાં સફળતાપુર્વક આગળ વધી શકાશે એવું વાતાવરણ છે. ધર્મ, સંસ્કાર અને રુઢીઓ દ્વારા જે અવૈજ્ઞાનીકતાને–ઈરૅશનાલીઝમને આગળ ધરવામાં આવે છે તે અંગે માણસો પ્રશ્ન પુછતા થઈ ગયા છે. આ બધાના પરીણામ સ્વરુપ ભગત–પીરના પર્દાફાશ પ્રસંગે લોકો ઉલટભેર સહકાર આપતા દેખાયા. સમસ્યાના મુળ જો ઉંડા અને વ્યાપક હોય તો તેની નાબુદી માટેના પ્રયત્નો પણ ઉંડા અને વ્યાપક બનાવવા જ પડે.

સંસ્કારના જ મુદ્દાને તાસીએ તો સમજાશે કે ભારતીય સમાજમાં એ સંસ્કાર ઉંડો અને વ્યાપક છે કે મહીલાઓએ ઘરમાં રહેવું અને પુરુષે બહાર કમાવા જવું. વાસ્તવીકતા એ છે કે પુરુષની કમાણી સ્ત્રી અને બાળકોના જીવન પર સીધી અસર કરે છે. આથી પુરષની એટલે કે કુટુમ્બની કમાણી સ્ત્રી અને બાળકોના જીવન પર સીધી અસર કરે છે. આથી પુરષની એટલે કે કુટુમ્બની કમાણી અંગે સ્ત્રી ચીંતીત રહે છે. ઘરકુકડી રહેવાનો સંસ્કાર હવે ઘણી મહીલાઓને અકળાવે છે. આથી ભગતપીર પાસે આર્થીક સમસ્યા લઈને આવતા દર્દીઓના લગભગ ચાલીસ ટકા લોકો મહીલાઓ છે.

આ સન્દર્ભમાં ભગતને એક મહીલાની મળેલી દાસ્તાન સમજવા જેવી છે :

‘(પતીની) જુગાર–દારુની લત છુટી જાય, સારી રીતે રહેતો થાય, ધન્ધો–પાણી કરીને ઘરમાં પૈસા–ટકા આપતો થાય, પોતાની બહેનના લગ્નમાં સારી રીતે વહેવાર કરે તેવું સર્વ કરી આપવાનું છે.’

સંસ્કારને કારણે આ મહીલા તેના પતીની કુટેવોને જાહેરમાં પડકારી શકતી નથી. એના પતીને એ સીધેસીધું કહી શકતી નથી કે તે કુટેવો છોડે અને કુટુમ્બ–નીર્વાહ માટે  પૈસા આપે. પરીણામે, તેને આ ‘અકથીત રોગ’ લાગુ પડ્યો અને ભગત પાસે આવી. પતી પરત્વે ભયની લાગણી અને ભગતમાં દૈવી શક્તી હોવાની શ્રદ્ધા આવી મહીલાઓના બધાં પ્રકારના શોષણ માટેના દરવાજા ખોલે તે સમજી શકાય તેવું છે. આમ છતાં આવી સ્ત્રી ઉમ્બરા બહાર પગ મુકે અને જાતે કમાણી કરવાની દ્રઢતા બતાવશે તો આજનો સમાજ એના આ સાહસને નીભાવી લેશે. સંસ્કાર સન્દર્ભે સમાજમાં આ પરીવર્તન આવ્યું છે.

રુઢીઓના સન્દર્ભે પણ સમાજે સટીક જોવા માંડ્યું છે, ભગતના ચોપડામાંની આ સન્દર્ભે આ એક વીગતને તપાસીએ તો :

‘મારી દીકરીના સારા ઘરમાં વીવાહ થાય. લગ્ન બાદ તે બાળબચ્ચાવાળી થઈ જાય, હમારી એક જગ્યાએ વાત ચાલે છે, તે છોકરો રેલવેમાં નોકરી કરે છે, તે જગ્યાએ અમારી દીકરીનું કામ થવું જોઈએ.’

આ આખી ફરીયાદમાં રુઢીઓનું જ પ્રભુત્વ દેખાય છે. સમાજમાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે; છતાં દીકરીના મા–બાપ જ લગ્નની બાબતમાં ગરજીલા રહે એવી જે રુઢી છે. તે આ ફરીયાદમાં દેખાય છે. હજી છોકરીના લગ્ન ગોઠવાયા નથી, તે પહેલાં તો એને બાળબચ્ચા થાય તેની માગણી મુકવામાં આવી છે! ‘સ્ત્રી એટલે બાળકો પેદા કરવાનું કારખાનું’ એવી રુઢીગત માન્યતા છે તે પણ આ માંગણી પરથી દેખાય છે. સ્ત્રીએ અને પુરુષે જાતીય આનન્દ મેળવવાનો છે અને સમ્ભોગથી સમાધી માણવાની છે, એ બાબતનું તો અહીં અસ્તીત્વ જ નથી! બાળકો મોડાં થાય અને પતી–પત્ની ‘મજા’ કરે એવી માગણી થતી નથી. આમ તો જાહેર સાહસ અને તેના કર્મચારીઓને સામાન્યત: તીરસ્કારામાં આવે છે; પરન્તુ એમની નોકરીની સલામતી, નીયમીત પગાર અને નીવૃત્તીના લાભોને જાહેર સાહસ બરાબર સમ્ભાળે છે. તેથી એને ત્યાં દીકરી આપવાથી તે સુખી રહેશે એવી રુઢીગત આશા પણ આ ફરીયાદમાં સ્પષ્ટ થાય છે. આટલું હોવા છતાં આ છોકરી કદાચ પ્રેમલગ્ન કરે, કદાચ બાળકો મોડા આવે અને એક–બેથી વધારે નહીં આવે એવી રીતે દામ્પત્ય જીવન જીવે તો હવે સમાજ વાંધો લેતો નથી. જે સમાજમાં રુઢીગત કહેવત હતી કે, ‘કુંવારો ડોસો મરે; પણ કુંવારી ડોસી નહીં મરે’ તે જ સમાજમાં આ છોકરી જો કુંવારી રહેવાનો નીર્ણય લે તો તેને પણ ચલાવી લે એટલો તો સમાજ જરુર સુધર્યો છે. આમ સંસ્કાર અને રુઢીના મુદ્દાઓ પર રૅશનાલીઝમ માટે માર્ગ થોડો મોકળો બન્યો છે એમ કહી શકાય.

ટુંકમાં, આ ‘અકથીત રોગો’ની નાબુદી વચલું સ્ટેશન છે. છેવટનું સ્ટેશન રૅશનાલીઝમની સમ્પુર્ણ સ્થાપના છે.

પ્રા. સુર્યકાન્ત શાહ

પ્રા. સુર્યકાન્ત શાહનું પુસ્તક આપણો માંદો સમા (પ્રકાશક : સત્યશોધક સભા, C/o શ્રી શં. ફ. અગ્રવાલ ટ્રસ્ટ, 8/1308, રંગીલદાસ મહેતાની શેરી, ગોપીપુરા, સુરત  395 001 પાનાં : 66, મુલ્ય : રુપીયા 30/)માંનો આ 10મો લેખ, પુસ્તકનાં પાન 58થી 62 ઉપરથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક-સમ્પર્ક : પ્રા. સુર્યકાન્ત શાહ, 17, ગાયત્રી ગંગા નગર, મકનજી પાર્ક પાસે, અડાજણ, સુરત–395009 સેલફોન : 98793 65173 ઈ.મેઈલ : suryasshah@yahoo.co.in

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

 

7 Comments

  1. નમસ્તે,શાહસાહેબ, આપના વિચારો બરાબર છે. પણ એક વાત કહુ કે પુરુષ બહાર કામ કરે તે દેખાય પણ સ્ત્રી ઘરકામ કરે તે દેખાતું નથી! વિચારો કે ખેડુતની બહેન,દિકરી કે વહુ વહેલી સવારે વલોળુ,રોટલા, દુઝણા ઢોરની સારસંભાળ, પાણી ભરવાનું ને પાછા જો નાના બાળકો હોય તો એને ય સંભાળવાના ને ઉપરથી ખેતરમાં કામ પણ કરવાનું. ત્રણ વખત રસોઇ તો ખરી જ. સાંજે ખેતરથી વહેલા આવી પાછુ ઘરકામ. સામે પુરુષો ઘેર આવી આરામ કરે. આવું લગભગ બધા જ કારીગરવર્ગમાં બહેનોને ઘરકામ ને બાળકોની સારસંભાળ ઉપરાંત પતિના વ્યવસાયમાં પણ મદદ કરવાની હોય છે. જો આ બધા કામનું વળતર ચુકવવાનું થાય તો પતિનું દેવાળુ નીકળી જાય! અત્યાર સુધી રુઢિગત પુરુષ નવરો કંટાળે, ચોરે ગપ્પા મારે કે પાનને ગલ્લે આખી દુનિયાની પંચાત કરે પણ ઘેર થોડુકે ય ઘરકામ કરવામાં એનું પુરુષત્વ ઘવાય. બહાર કામ કરતી બહેનોને બન્ને મોરચે ઝઝુમવું પડે. હવે સમય બદલાયો છે. બહેનોએ વરસો સુધી પુજેલા દેવ પ્રસન્ન થયા હોય એમ હવે પુરુષત્વ થોડુ નરમ પડ્યુ છે. તો બીજી વાત એ પણ છે કે બહેનોએ માત્ર પતિની આવક પર જ તાગડધિન્ના કરવા ને નવરાશનો સમય દેખાદેખી ને અમર્યાદીત માગણીઓ ને માંગ ન સંતોષાય તો કલહ કંકાસ કરવો એ પણ બરાબર નથી. મને એવું લાગે છે કે જે પુરુષને પોતાના પરિવારની ખોટી માગણીઓ પુરી કરવા લાંચ એ એવા અનીતિમય કામ કરવા પડે ને એમા જો એ પકડાય તો જેલની સજા ને બદનામીમાં આખા પરિવારને પણ જોડાવાનું. પછી જુઓ કે બહેનોની માગણી ઘટી જાય છે કે કેમ? આપણા વાલ્મિકી એ માનતા કે એ પરિવાર માટેજ આ લુંટફાટ ને પાપ કરે છે ને સજા થાય તો બધાનો હિસ્સો સરખો. પણ એનો ભ્રમ ભાંગી ગયો એટલે એ વાલીયામાંથી વાલ્મિકી બન્યા!

    Like

    1. મુળ પ્રશ્નોનું સાતત્ય અને તેની વ્યાપકતા અંગે –પ્રા. સુર્યકાન્ત શાહ નો મનનીય લેખ અને તેમની વેદન કોઈ પણ ફાલતું માણસ ક્યારે અધીકારથી કહી શકે કે તે પોતે દૈવી શક્તી ધરાવે છે? બહુજન સમાજ વૈજ્ઞાનીક અભીગમ દાખવવાની અને રૅશનાલીઝમ સ્વીકારવાની બાબતમાં સફળતા પ્રાપ્ત કરે એવું વાતાવરણ ક્યારે સર્જાશે? સમજી શકાય છે
      જ્ઞાન માટે કેર્ટલાક માન્યતા પ્રમાણે ચાલે છે તેમા ફાલતુ માણસો જ્ઞાનીના દેખાવ કરી પ્રજાને લુંટી શકે છે જ્યારે સંતો seeker હોઈ પોતાના અનુભવથી જન હિતાર્થે દોરવણી આપતા હોય છે તે અંગે વિરોધ કરવો યોગ્ય નથી તેઓ કહે તે પ્રમાણે જીવન પવિત્ર કરી સાધના કરવાથી અવશ્ય લાભ થાય છે.
      સાંપ્રત સમયે અમેરીકામા સદ ગુરુ તેમની સાધનાથી ઘણાના જીવન સુધાર્યા છે અને સુધારે છે આ અંગે વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યું છે.
      રેશનાલીસ્ટો ફાલતુ ઠગારા અને સંત વચ્ચે ભૅદ પારખી જનતાની તેમની સેવાઓ કરે તો વધુ સારા પરીણામ આવે.

      Liked by 1 person

  2. Prof : Suryakant Shah has written this article in detail. All points are touched.
    We will have to wait till the time when a new born is born without blind belief.
    Hearty congratulations to Prof: Shah and Govindbhai Maru.
    Thanks.
    Amrut Hazari.
    N.B: My computer has some problem writing Gujarati language.

    Liked by 1 person

  3. તમે સતત ઉમદા અને રેશનલ વિચારો વ્યક્ત કરો છો. ખરેખર તો પ્રા. સુર્યકાન્ત શાહનું પુસ્તક ‘આપણો માંદો સમાજ’ (પ્રકાશક : ‘સત્યશોધક સભા’, લોકોમાં પ્રચલિત થવુ જ જોઈએ. સામાન્ય રીતે કોઈક વડીલનું અવસાન થાય ત્યારે બેસણા વખતે ધાર્મિક પુસ્તકો જેવા કે ભજન સંગ્રહો, શુભાષિતો, ઉપદેશ કથાઓ વગેરેનું વિતરણ થાય છે. આમાનાં મોટાભાગનાં પુસ્તકો અંધશ્રદ્ધાને ઉત્તેજન આપે તે પ્રકારનાં હોય છે. વળી લોકોને એકના એક પુસ્તકો મળતા હોય છે જે પસ્તીને હવાલે થાય છે કે પછી રિસાયકલ થઈને બીજાને ભેટ અપાય છે. આને બદલે આ પુસ્તક જેની કિમ્મત કેવળ રૂ.ત્રીસ ( પાણીની એક બોટલ નો ભાવ ) જેટલી ઓછી છે. તે બેસણા વખતે જો વહેચાય તો એક મોટું સેવાકાર્ય બની શકે. મારી વાચકોને ખાસ અપીલ છે કે આ બાબત અમલમાં મૂકે અને સમાજને રેશનલ બનાવવામાં યથોચિત ફાળો આપે.

    Liked by 1 person

  4. ખુબ સરસ લેખ આભાર ગોવિંદભાઈ અને સૂર્યકાન્તશાહ. સાથે યોગેનભટ્ટ નો વિચાર ખુબ ગમ્યો મૃત્યુ પછી ની પ્રાર્થના સભામાં આવા રેશનલ પુસ્તકો ની વહેંચણી થવી જોઈએ.

    Liked by 1 person

Leave a comment