શ્રમનો મહીમા

        તા.૨૬-૦૧-૧૯૯૩ના દીને નવસારી શહેરમાં ‘મારી કલ્પનાનું નવસારી’ વીષય પર એક પરીસંવાદ યોજવામાં આવ્યો હતો, જેમાં શહેરના અગ્રગણ્ય મહનુભવોએ નવસારી શહેરની સુધારણા માટે અનેક ઉપયોગી સલાહસુચનો કર્યા. નવસારી નગરપાલીકા સલાહસુચનોથી અજાણ હોય તે માનવાનું કોઇ કારણ નથી, બલ્કે તેની પાસે  નવસારી શહેરની પ્રમાણીત આંકડાકીય માહીતી, સમસ્યાઓના નીવારણ માટે યોગ્ય ટેકનીકલ જાણકારી અને વહીવટી અનુભવ તેમજ તંત્ર છે, જે ઉપરોક્ત મહાનુભવો પાસે ન હોય તે સ્વાભાવીક છે. યક્ષ પ્રશ્ન એ છે કે નવસારી નગરપાલીકા લોકોની સમસ્યાઓ જાણવા છતાં અને આ સમસ્યાઓનું નીવારણ કરવા માટે જોઇતી ક્ષમતા ધરાવતી હોવા છતાં, તે આ દીશામાં શા માટે યોગ્ય અને સમયસર પગલાં ભરતી નથી ?

        જે સમસ્યાઓ નવસારી શહેરના નાગરીકોને નડે છે, તેવી જ સમસ્યાઓ ભારતના દરેક નાના મોટા શહેરના નાગરીકોને ઓછેવત્તે અંશે મુંઝવતી હોય છે અને જે સ્થીતી નવસારી નગરપાલીકાની છે, તેવી જ સ્થીતી ભારતના દરેક શહેરની નગરપાલીકાઓમાં પ્રવર્તે છે.

        આ યક્ષ પ્રશ્ન પર વીચાર કરતા જણાશે કે ભારતના નાગરીકોની ગંજાવર સમસ્યાઓના નીવારણ માટે નાણાંકીય સાધનો હોવા છતાં જોઇએ- તેની તંગી દરેક નગરપાલીકા અનુભવતી હોય છે, ઉપલબ્ધ નાણાંકીય સધનોના સીંહભાગ વહીવટી ખર્ચ અને ભ્રષ્ટાચારનો ભોરીંગ ખાઇ જાય છે, વીકાસ કાર્ય માટે એક રુપીયામાંથી માત્ર ૧૫ પૈસા (સ્વ. રાજીવ ગાંધીના અંદાજ મુજબ) બાકી રહે છે, અને જે વીકાસ કાર્યો હાથ ધરવામાં આવે છે, તેમાં પણ રાજકીય કાવાદાવા, પક્ષાપક્ષીની ખેંચતાણ થાય છે. પરીણામે વીકાસ કાર્યો ખોરંભે પડે છે.

        અર્થાત્ ભારતની શહેરી જનતાના પ્રશ્નો ભારતની ગરીબી ભ્રષ્ટાચાર અને પ્રમુખ રાજકીય પક્ષોના કાવાદાવાઓ સાથે ધનીષ્ટપણે સંકળાયેલા છે. ખોબલા જેવડી સંસ્થાઓમાં કાવાદાવાઓનું રાજકારણ રમાતું હોય તો પ્રમુખ રાજકીય પક્ષોમાં થતાં કાવાદાવાઓ અને ખુરશી માટે થતી ખેચતાંણો થાય તેમાં કોઇ નવાઇ નથી. સવાલ એ ઉપસ્થીત થાય છે કે આવી નરી વાસ્તવીક પરીસ્થીતીની સામે ભારતની શહેરી જનતાએ હાથ જોડી બેસી રહેવું?

        ચીનના પેકીંગ શહેરમાં બરફની વર્ષા થાય ત્યારે રસ્તાઓ પર બરફના થર જામી જાય છે, અને વાહન વ્યવહાર ઠપ થઇ જાય છે. પેકીંગના અબાલવૃધ્ધો હાથમાં પાવડાઓ લઇ ઘરની બહાર નીકળી બે કલાકમાં રસ્તાઓને સાફ કરી નાંખે છે, અને વાહન વ્યવહાર તરત જ ચાલુ થઇ જાય છે. માઉ-ત્સે-તુંગે આદેશ આપ્યો કે ચીનમાંથી મચ્છર, માખી અને ઉંદરનો ત્રાસ સદંતર નાબુદ થવો જોઇએ. આ આદેશ પ્રમાણે એક અબજ ચીનાઓ જે મંડી પડયા કે મચ્છર, માખી અને ઉંદરનું નામોનીશાન રહેવા ન દીધું. એટલે કે નગરપાલીકા અને સરકાર પર મદાર રાખ્યા વીના ચીનની પ્રજા શ્રમદાનથી તેમની સમસ્યાઓનું નીવારણ કરી શકે છે. એટલે જ શ્રી અટલ બીહારી બાજપાઇ ચીનના વીકાસથી ખુશખુશાલ થઇ ગયા તેમ લાગે છે.

            આપણે ભારતના નાગરીકો આપણા શ્રમદાનથી (૧) મચ્છર, માખી અને ઉંદરના ત્રાસનો સદંતર નાશ કરી શકીએ છીએ, (૨) હાથમાં ઝાડુ લઇ શહેરોને સ્વચ્છ રાખી શકીએ છીએ, (૩) વૃક્ષારોપણથી શહેરોને હરીયાળા કરી શકીએ છીએ, (૪) દેશભરમાંથી નીરક્ષરતાનું નીર્મુલન કરી શકીએ છીએ, (૫) રસ્તાઓ બાંધી શકીએ છીએ, (૬) અસામાજીક તત્વોને ઉઘાડા પાડી શાંતીનું વાતાવરણ સર્જી શકીએ છીએ.

        આ કાર્યો માટે નાણાકીય ભંડોળની આવશ્યક્તા નથી, માત્ર જરુર છે આપણી Ivory Tower ની Mentality  ને ત્યજવાની.

        શાળા અને કોલેજોના પ્રાધ્યાપકો, આચાર્યો, શીક્ષકો, વીદ્યાર્થીઓ, સમાજસેવી સંસ્થાઓના કાર્યકરો, રાજકીય પક્ષોના નેતાઓ અને અનુયાયીઓ, ધાર્મીક સંસ્થાઓના ગુરુઓ અને ભાવીકો અને દેશ્ભરના આબાલવૃદ્ધો જાગશે ?

ગુજરાત મીત્ર ૭-૦૪-૧૯૯૪

આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૭૦

1 Comment

  1. ઘણા વર્ષો પહેલાં મળેલી માહીતી પ્રમાણે, મદ્રાસ ના એક બેન્ક ઓફીસરે આવી ચળવળ ઉપાડી હતી. અને તેને લોકોનો ઘણો ટેકો મળ્યો હતો.

    Like

Leave a reply to સુરેશ જાની Cancel reply