સંપાદકીય (‘રૅશનાલીઝમના રંગ’ પુસ્તકમાંથી…)

સંપાદકીય

(‘રૅશનાલીઝમના રંગ’ પુસ્તકમાંથી…)

મારા પીતા અત્યંત ચુસ્ત જૈન-ધાર્મીક વેપારી હતા. ધંધામાં તો કેટલાય ચડાવ-ઉતાર આવ્યા જ કરે. તેની સીધી અસર પરીવારની જીવનશૈલી પર પડતી. તે, તથા હું આઠમા ધોરણમાં હતો ત્યારથી જ મારી આસપાસ બનતી ઘટનાઓ વીશે મારા મનમાં કીશોરવયસહજ કેટલાય પ્રશ્નો ઉદ્  ભવતા. મારા પ્રશ્નોનું નીરાકરણ કરી શકે તેવું મારા મીત્રોમાં કે વડીલોમાં કોઈ તે વેળા મળ્યું નહીં. તે કાળે મારા તો સંપર્કોય સીમીત ! મારા મનમાં સતત તેની ગડમથલ રહેતી. શાળામાંય હું આને કારણે થોડો અતડો રહેતો. આવી મનો-નીરાશાના સમયમાં એક વાર ગામમાં સાધુ મહારાજશ્રી પધાર્યા. મને થયું, લાવ એમની પાસેથી મારી મુંઝવણોનો મને કોઈ ઉકેલ મળે તેવા પ્રયત્ન કરું. એક સાંજે, મહારાજશ્રીનું વ્યાખ્યાન પુરું થયા પછી ગભરાતાં ગભરાતાં તેમની પાસે જઈને પુછી બેઠો: ‘દુધ ઉકાળ્યા વગર પીએ તો પાપ લાગે એવું આપે આજે કહ્યું. તો દુધને ઉકાળવાથી તેમાં રહેલા સુક્ષ્મ જીવો મરી જાય તેનું પાપ માણસને ન લાગે ?’ મહારાજશ્રીએ ચશ્માંના કાચમાંથી એક તીક્ષ્ણ દૃષ્ટી મારા તરફ ફેંકી, એક ક્ષણ અટકી ટુંકો ને ટચ જવાબ આપ્યો: ઓછું લાગે. મનમાં થયું કે ‘પાપ ઓછું લાગે ? પાપ એટલે પાપ ! તેમાં ઓછું શું અને વત્તું શું હોઈ શકે તે ન સમજાયું. મનમાં ઉગ્યું કે આપણા ધર્મ પાસે એવો કોઈ રસ્તો નથી કે પાપ જ ન લાગે ? પણ ડરનો માર્યો એ પ્રશ્ન મનમાં જ રાખી, ત્યાંથી વીદાય થયો. આખી રાત વીચારતો રહ્યો. શાળામાં વીજ્ઞાન શીખતાં મને જે જાણવા મળતું તે, અને સમાજમાં જે માન્યતાઓ ચાલતી તે વચ્ચે ક્યાંય મેળ ખાતો ન હતો. મુંઝવણો વધતી ગઈ. નવા નવા પ્રશ્નો થતા ગયા. મારા મનનું સમાધાન કરી શકે તેવું કોઈ ન મળ્યું મને તે સમયે. કદીક મારા પ્રશ્નનો સાચો-ખોટો ઉત્ત્તર ક્યાંકથી મળતોય ખરો; પણ મન એ સ્વીકારતું નહીં. વધારામાં આવા પ્રશ્નોથી હું સગાસંબંધીઓમાં કે મીત્રોમાં રોષનો ને મશ્કરીનો ભોગ બનતો.

વર્ષો પછી રાજપીપલામાં જ ડી.બી.ઍડ્.ની તાલીમ દરમીયાન સુરતના જ એક તાલીમાર્થીએ, સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં વર્ષોથી આવતી પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’ની દર શનીવારે પ્રગટતી ‘રમણભ્રમણ’ કટારના બે-ત્રણ લેખો વંચાવ્યા. આ વાત છે 1984-85ની. લેખો વાંચતાં હું આનંદથી ઉછળી પડ્યો. મને થયું કે આ લેખક હું વીચારુ છું એવી જ વાતો લખે છે… ચાલો, મારા જેવું વીચારનારું કો’ક તો આ દુનીયામાં છે…! પછી તો સને 1985માં સુરતની માધ્યમીક શાળામાં વીજ્ઞાન શીક્ષક તરીકે નોકરી મળી. બસ, ગુજરાતમીત્રની ‘રમણભ્રમણ’ કટાર મારું નીયમીત વાચન, ચીંતન અને આહાર બની ગઈ અને જીવનમાં બનતી દરેક ઘટનાને વીજ્ઞાનની એરણ પર ચકાસવાની આદત જોર પકડતી ગઈ. ‘રૅશનાલીઝમ’ વીશેની સમજ જેમજેમ મજબુત થતી ગઈ, તેમતેમ જીવન સરળ અને આપોઆપ આનંદમય બનતું ગયું. આદરણીય રમણભાઈ સાથે લાંબા પત્ર-વ્યવહાર  અને પછી તો રુબરુ મુલાકાતોથી સમજાયું કે સદા સુટ-ટાઈમાં ફરતો આ માણસ તો જેવું લખે છે તેવું શ્વસે છે – જીવે છે !

રૅશનાલીઝમ એ સુખી, આનંદમય અને જીવનની કેટલીય વ્યર્થ પળોજણથી ભરપુર ગ્રંથીઓમાંથી છુટકારો મેળવી, મુક્ત જીવન જીવવાની વીચારધારા છે – જીવનશૈલી છે. જીવનની પ્રત્યેક ઘટનાને રૅશનાલીઝમની દૃષ્ટીએ મુલવીએ તો, સમાજમાંથી મોટાભાગની સમસ્યાઓ ઉકલી જાય એવું હું નમ્રપણે માનું છું. અલબત્ત, રૅશનાલીઝમ એટલે ધર્મ કે ઈશ્વરનો વીરોધ કરનારી ખંડનાત્મક વીચારધારા હોવાનો પુર્વગ્રહ ત્યજીને તેને સમજવું મુલવવું એ સૌથી મહત્વની અને પાયાની બાબત છે.

‘ગુજરાતમીત્ર’ ઉપરાંત મુંબઈથી પ્રગટતા ‘સમકાલીન’માંની પ્રા. રમણભાઈના ઉત્કૃષ્ટ- ચીંતનાત્મક લેખોની કટાર ‘સંશયની સાધના’ એ મારા જેવા અનેકનાં જીવનમાં સાચાં સુખ અને આનંદનો પ્રકાશ પ્રગટાવ્યો છે. તેમની વીચારધારાએ પરંપરાગત માન્યતાઓને નહીં છોડી શકનારા વાચકોને નારાજ કર્યા હશે; પણ તેમની સાથે સામા પ્રવાહે તરી નહીં શકનારાઓએ પણ આ માણસને ચાહ્યો છે. 87 વર્ષની ઉંમરે હવે તેમનું શરીર વૃદ્ધ બન્યું છે. તેથી તે વીષયક તકલીફો પણ વધી છે. છતાં હજી વીચારધારા સાબુત અને સાબદી ! ચીંતન-લેખન તો ચાલુ જ. આવા સંજોગો સાથે પણ રૅશનાલીઝમના પ્રચાર-પ્રસારના કાર્યને ઉત્સાહપુર્વક વળગી રહેનારા આદરણીય રમણભાઈને હું હૃદયથી વંદન કરું છું. તેમના કેટલાક લેખોનું સંપાદન કરી, તેને પુસ્તકાકારે પ્રગટ કરવાની મારી લાંબા સમયની ઈચ્છાને અનુમોદન આપી તેમણે મારા પર વધુ એક ઉપકાર કર્યો છે. તેથી હું ધન્ય થયો છું. આ કાર્યમાં માર્ગદર્શન આપનાર વડીલ શ્રી ઉત્તમભાઈને તો કેમ ભુલાય?

હવે આ સંપાદન-કાર્ય વીશે બે શબ્દ લખું તો, રમણભાઈના લેખોનું લેખોમાંથી સંપાદન કરવું, એ એક પક્ષે સરળ કામ છે, તો સામે પક્ષે એ એટલું જ મુશ્કેલ પણ પ્રતીત થાય. સરળ, સહેલુ એ અર્થમાં કે વીપુલ સંખ્યામા લેખો ઉપલબ્ધ અને લગભગ તમામ સત્ત્વશીલ, એથી યથેચ્છ પસંદ કરી લો, ઝાઝો ફરક ન પડે !  તો વળી અઘરું એ સંદર્ભે કે કયો લેખ પસંદ કરવો અને કયો છોડી દેવો – એવી મુંઝવણ પીડે અને કસોટી થાય. વળી, ર.પા. તો સંસારના, દુનીયાના બધા જ વીષયો પર લખે (એકબે અપવાદ – સીનેમા કે રમતગમતને બાદ કરતાં), અને પ્રત્યેકમાં મુળભુત અભીગમ તો રૅશનલ જ હોય, સુધારક હોય અને ક્રાંતીકારી પણ હોય જ. એટલે સીધા રૅશનાલીઝમ (વીવેકબુદ્ધીવાદ)ની ચર્ચા-વીચારણા કરતા લેખો ઉપરાંતના ઈતર વીષયના લેખો પણ લલચાવે, એમાંથી વળી કોઈ અચુક પસંદ કરવા જેવાય લાગે અને વધારામાં તે વાચસ્પતીજીના પ્રદાનનો પુરાવો બની રહે. છતાં એવા લેખોમાં મેં આ પુસ્તક પુરતા ટાળ્યા જ છે; ફક્ત નમુના દાખલા એકબે ગ્રંથસ્થ કર્યા છે. દા.ત. ‘દીવાળી ટાણે અભીનંદન કાર્ડને બદલે પુસ્તક ભેટ મોકલો !’- એવો અનુરોધ કરતો લેખ. બાકી તો, આ સંગ્રહનું નામ જ  અમે એવું પસંદ કર્યું કે, ‘રૅશનાલીઝમના રંગ’ – એટલે મોટા ભાગના લેખો આ વીચારધારાના કોઈના કોઈ પાસાની ચર્ચા-વીચારણા કરતા જ પસંદ કર્યા છે.

મને જણાવતા આનંદ થાય છે કે, આ પહેલાંનો રમણ પાઠક ‘વાચસ્પતી’નો લેખસંગ્રહ ‘વીવેક-વલ્લભ’ પણ મેં જ સંપાદીત કરેલો. જોકે મારી સંકોચશીલ પ્રકૃતીને કારણે, એમાં મેં મારા નામોલ્લેખ સીવાય, સંપાદક તરીકે એક શબ્દ પણ લખ્યો નથી. આજે આ લખી રહ્યો, લખી શક્યો – એ પણ મુ. રમણભાઈના આગ્રહને વશ જ ! પ્રસ્તુત સંગ્રહ ‘વીવેક-વલ્લભ’માં મેં તેઓના ઈતર વીષયના લેખો પસંદ કર્યા જ છે, ખાસ કરીને ‘સેક્સ’ની સમસ્યાઓ ચર્ચતા લેખો; જેમાં ભાવક જોઈ શકશે કે લેખકનો અભીગમ એ જ છે : વીવેકબુદ્ધીવાદી. રમણભાઈ વારંવાર જાહેર કરે જ છે કે, રૅશનાલીઝમ એ કેવળ નાસ્તીકતા કે ચમત્કારનો વીરોધ એવી મર્યાદીત વીચારધારા નથી, એ તો જીવનપદ્ધતી છે, જીવનકલા છે. એટલે વ્યક્તી જીવનનાં તમામ વ્યવહાર-ક્ષેત્રોમાં રૅશનલ અભીગમ કઈ રીતે અપનાવી શકે એનું માર્ગદર્શન કરાવવાનો જ તેઓનાં લખાણનો અભીગમ રહ્યો છે. અને માનવજીવનને સર્વ વાતે સુખી-આનંદમય કરવાનો એ જ સર્વોત્તમ અને કદાચ એક માત્ર રાહ છે, એવું તેઓનું તારણ છે, જે વળી સત્યમુલક પણ છે જ, એ આવાં લખાણોથી સ્પષ્ટ થાય છે. આવાં સર્વ ક્ષેત્રે માનવહીતકારી, કલ્યાણકારી વીચાર તથા જીવનરીતી પ્રચારવાનો જ આ લેખોનો સર્વોચ્ચ હેતુ છે. હું એ સાથે સંપુર્ણત: સંમત છું. એથી આ સંપાદનો પ્રગટ કરતાં મને આનંદ અને કંઈક કર્યાની કૃતકૃત્યતાની લાગણી થાય છે. અત્રે એક હકીકત તે પણ જણાવી લઉં કે, ‘વીવેક-વલ્લભ’ એ જાણીતા રૅશનાલીસ્ટ-ચીંતક-લેખક શ્રી વલ્લભભાઈ ઈટાલીયાને ‘રમણભ્રમણ’ સુવર્ણચંદ્રક અર્પણ થયો, એ નીમીત્ત્તે કરેલું પ્રકાશન છે. એનું સંપાદનકાર્ય મને સોંપવામાં આવ્યું, એ બદલ અત્રે મોડીમોડી ય મારી ઋણ-આભારની લાગણી વ્યક્ત કરી લઉં છું.

આ રીતે, મને જીવનનો સાચો રાહ ચીંધનાર આદરણીય પુરુષ શ્રી રમણ પાઠકના બબ્બે સંગ્રહોના સંપાદનનો હું નીમીત્ત બન્યો., એય મારે માટે એક વીરલ આનંદઘટના લેખાય; કારણ કે અગાઉ જણાવ્યું તેમ, રાજપીપલામાં હું તેઓના લેખોથી પ્રભાવીત થઈ, રૅશનાલીઝમના માર્ગે વળ્યો, ત્યારે મારા જેવા નવા નીશાળીયાને તો કલ્પનાય ક્યાંથી હોય કે ભવીષ્યમાં એકદા તેઓના બબ્બે લેખસંગ્રહોના સંપાદક બનવાનું ગૌરવ પણ આમ મને પ્રાપ્ત થશે ! આવા પરીતોષ બદલ હું મુ. શ્રી. રમણ પાઠક ‘વાચસ્પતી’નો તથા સંબંધીત સર્વ મીત્રો- મુરબ્બીઓનો ઋણી છું. અંતમાં, આશા રાખું કે, આ ગ્રંથો, લેખકના અન્ય સંગ્રહો સહીત, વ્યક્તી તથા સમાજને માટે જીવન જીવવાની જડીબુટ્ટી બની, તેઓ સૌનાં જીવનના વહેમ, અંધશ્રદ્ધા અને ભ્રમણાઓના રોગને દુર કરી, નીરોગી જીવન તેઓને બક્ષે !

સુનીલ શાહ : સેલફોન: 94268 91670

મેઈલ સંપર્ક: sunilshah101@gmail.com

લેખક પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’ના ચીંતનાત્મક લેખોનો સંગ્રહ ‘રૅશનાલીઝમના રંગ’ (પ્રકાશકઃજમનાદાસ કોટેચા: માનસ પ્રદુષણ નીવારણ કેન્દ્ર, જોરાવરનગર363 020 (જી. સુરેન્દ્રનગર) મોબાઈલ 98981 15976; પૃષ્ઠઃ 188; મુલ્યઃ100 રુપીયા)ની સુનીલ શાહે લખેલી સંપાદકીય નોંધ…

લેખક, સંપાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

પ્રા. રમણ પાઠકનો સંપર્ક: બારડોલી ફોન નંબર – 02622 – 222 176

અક્ષરાંકન: ગોવીન્દ મારુ govindmaru@yahoo.co.in



દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને નીરાન્તે મમળાવવા મન થાય કે મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર એક મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુનવસારી

પોસ્ટ તારીખ – 7/04/2010


16 Comments

    1. PAP AND PUNYA JEVI KOI VASTU NATHI.SARVA KHYALO AAPNA POTAN VICHARO MANTHI JANME CHE.PAP NO MATLAB SAMHIK HIT MATE JE ACCHAR SANHITA GHADI HOY TENU ULANGHAN KOI PAN VYAKTI KARE TENE SAMANYA PANE PAP TARIKE GANAVAMA AVE CHE.KHAS KARI NE KHOTA KARYO JE NAITIK ACHAR SANHITA PRAMANE KHOTA HOY TENE PAP KAHEVAMA AVE CHE.

      There is one example in which Jesus declares that he is the man who did sin so he will not stone one lady whom so many people were throwing stones on her for committing sin.He told others if they have not done any sin in their life then they can stone the lady.After Jesus everyone stopped throwing stones at her.Moral of the story all humanbeings are sinners in some sense.

      Like

  1. Rationalism વિષે ઘણી ખોટી માન્યતાઓ છે. આ લેખ દ્વારા તેની ગેરસમજ થોડીઘણી દૂર થઈ શકે.

    Like

  2. દર શનિવારે રમણ ભ્રમણનો ઈંતજાર
    ગમ્મતમાં શનિદેવની કોલમ કહેતા!
    માન્યતા પર કુષ્ઠાઘાત થતા કોઈ વાર આઘાત લાગતો!
    કોઈવાર વાત તર્કવિહીન લાગતી,
    મળીએ તો પસન્ન જ હોય!
    લાગે
    લગાકર હાથમેં મેદી હલાલ કર ડાલા!
    પણ કપટી તો નથી જ નથી
    લાગતું- તેઓ વધુ અભ્યાસ માંગે છે…
    કોઈ વાર થતું આ વાત સમજવા અમારો અભ્યાસ ઓછો પડે છે!
    વાતમા મતભેદ હોય
    મનભેદ કદિ નહીં

    Like

  3. Dear Govindbhai,

    It is avery good article. Thank you very much. I await your P.D.F

    You are awakening the people by this way.It will take more time but gredually light is sure to spred among many more.

    Jayanti

    Like

  4. શ્રી ગોવીંદભાઇ, સુંદર સંપાદકીયથી પરિચિત કરાવવા બદલ આભાર. રૅશનાલીઝમ બાબતે થોડું વધુ જાણવા મળ્યું, ગળે પણ ઉતર્યું. ખાસ તો તેનો ગુજરાતી અર્થ ’વીવેકબુદ્ધીવાદ’ વાંચતા જ સ્વયંસ્પષ્ટ લાગ્યો.
    વિવેક અને બુદ્ધિના સમન્વય દ્વારા ચકાસણી કરવાની આદત, હજુ વધુ વાંચન થશે તેમ કદાચ વધશે.
    આપ જે પણ લેખ લાવો છો તેમાં કોઇ પણ બાબતનો આંધળો વિરોધ કે ફક્ત વિરોધ ખાતર વિરોધ ન હોતા વિવેકપૂર્ણ, બુદ્ધિયુક્ત, તર્કબદ્ધ સમજણ કેમ હોય છે, તે પણ સમજાયું. વધુ વાંચનની રાહ રહેશે. આભાર.

    Like

    1. વહાલા ડૉ. વીવેકભાઈ,
      ગદ્ય ગુજરાતી સાહીત્યનું વૈશીષ્ટ્ય પીરસતા બ્લૉગ્સની યાદીમાં ‘અભીવ્યક્તી’નો સમાવેશ કરવા બદલ ખુબ ખુબ આભાર.
      આપના તરફ્થી કરવામાં આવેલ ખૂબ જ સુંદર અને સરાહનીય કાર્ય માટે ધન્યવાદ..
      ગોવીન્દ મારુ

      Like

  5. thank you very much, to clearify the rationalism”s meaning.
    now I understad the meaning of rationalism.

    Like

  6. સુનીલ શાહ સંપાદન માટે અભિનંદન અને ગોવિંદભાઈ પુસ્તકની ઓળખાણ કરાવવા બદલ
    આભાર.

    Like

Leave a comment