વાસ્તુશાસ્ત્ર: વીજ્ઞાન કે અજ્ઞાન ?

વાસ્તુશાસ્ત્ર : વીજ્ઞાન કે અજ્ઞાન ?

–વલ્લભભાઈ ઈટાલીયા

વાસ્તુશાસ્ત્ર એ છેલ્લા બે દાયકામાં અને ખાસ કરીને શહેરોમાં ઝડપથી ફેલાઈ રહેલું સામાજીક દુષણ છે. જ્યોતીષ, વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ જેવા કહેવાતા શાસ્ત્રો ભોળા, લાચાર અને નબળાં મનવાળા લોકોને અવળે માર્ગે દોરે છે. સમસ્યાગ્રસ્ત, ગરજવાન અને અંધશ્રદ્ધાળુ માણસનું મગજ ભાગ્યે જ ઠેકાણે હોય અને તેનો ગેરલાભ ઉઠાવવામાં ધતીંગશાસ્ત્રીઓ નીષ્ણાત હોય છે ! લોકો પણ છેતરાવા માટે હંમેશાં ખડેપગે રહેતા હોય ત્યાં, લેભાગુઓને પોતાનો છેતરપીંડીનો વ્યવસાય વીકસાવવામાં ખાસ કશી તકલીફ નથી પડતી !

વાસ્તુશાસ્ત્રના નીષ્ણાતો આપણી આફતો, મુશ્કેલીઓ અને ઉપાધીઓ દુર કરવા માટે મકાનોમાં તોડફોડ અને ફેરફારો કરાવે છે. તેનાથી લાભ તો કશો થતો નથી, ઉપરથી વધારાની એક આર્થીક આફત આવી પડે છે ! વાસ્તુશાસ્ત્ર મુળે તો સ્થાપત્યશાસ્ત્ર છે. એમાં રહેલી શીલ્પકલા સામે કોઈને કશો વાંધો ન હોઈ શકે; પરંતુ કેટલાક લેભાગુ વાસ્તુશાસ્ત્રીઓ પોતાનું પેટ ભરવા ભોળા-અજ્ઞાની લોકોને ગેરમાર્ગે દોરી પૈસા પડાવવાનો ધંધો કરે છે. વાસ્તુશાસ્ત્ર માણસને નીષ્ક્રીય, પુરુષાર્થહીન અને આળસુ બનવામાં મદદ કરે છે ! અને વળી, આપણી નીર્ણયશક્તી, આત્મવીશ્વાસ અને બુદ્ધીપ્રતીભાને પાંગળી બનાવવા બદલ આપણી પાસેથી ફી પણ વસુલે !

વાસ્તુશાસ્ત્રનો મુખ્ય આધાર જ દીશાઓ છે. દીશાઓ તો કલ્પીત અને સ્થળસાપેક્ષ છે. બ્રહ્માંડમાં કોઈ દીશા જ નથી. પૃથ્વી ગોળ છે, એટલે ક્ષીતીજ પણ ગોળ જ છે. માત્ર સુર્યોદય અને સુર્યાસ્તને કારણે જ માણસને દીશાની કલ્પના આવી. માણસે ચાર દીશા કલ્પી,  એટલે ચાર ખુણા પણ થયા. વીજળીની શોધ પહેલાં માનવીને રાત ભયાનક લાગતી; સુર્યોદય સારો લાગતો. માટે માણસે પુર્વ દીશાને શુભ કલ્પી હશે. દક્ષીણમાં દ્રવીડો-અનાર્યો વસતા એટલે દક્ષીણ દીશા યમની-અશુભ કલ્પવામાં આવી.

શુભ-અશુભ ‘ઉર્જા’, કીરણો અને ‘વાયબ્રેશન્સ’ અંગેની વાસ્તુશાસ્ત્રીઓની વાતો પણ અવૈજ્ઞાનીક છે. માણસના ધનદોલત, કૌટુંબીક કે સ્વાસ્થ્ય જેવા પ્રશ્નોમાં ‘ઉર્જા’ શું કરે ? આરોગ્ય માટે ખાસ હાનીકર કે  લાભકારક એવાં કોઈ કીરણો કે ઉર્જા હજી શોધ્યાં જ નથી. અલ્ટ્રાવાયોલેટ જેવાં કીરણો પૃથ્વી સુધી પહોંચતા નથી અને ચુંબકીય ઉર્જા સાથે તો પ્રાણીદેહનું અનુકુલન સધાયેલું જ છે. ‘ગુઢ ઉર્જા’ની વાસ્તુશાસ્ત્રની કલ્પના સાવ બોગસ છે. વીજ્ઞાને પૃથ્વી સાથે સમ્બન્ધ ધરાવતી તમામ ઉર્જાઓ શોધી કાઢી છે. ઉપરાંત વીજ્ઞાને અવકાશ પણ ફંફોસ્યું છે; ક્યાંય કોઈ ગુઢ  ઉર્જાઓ વૈજ્ઞાનીકોને દેખાઈ નથી, એ વાસ્તુશાસ્ત્રીઓને કેવી રીતે દેખાઈ ?

માણસના સારા-ખરાબની વ્યાખ્યા સાથે કુદરત (પ્રકૃતી)ને કશી લેવાદેવા જ કેવી રીતે હોય ? સંડાસ ખરાબ અને પુજાનો ઓરડો સારો એ બધું તો માણસની લાગણી, ગમા-અણગમાનું જ વીભાગીકરણ છે. ઉર્જા જેવી કુદરતી શક્તી શું સંડાસ પર થઈને  આવે, એટલે અશુભ થઈ જાય ? અને આજકાલ તો સારા ઘરનાં સંડાસ પુજાના ઓરડા જેટલાં જ ચોખ્ખાં હોઈ શકે છે !

દરવાજો ફક્ત આવ–જાનો માર્ગ છે, એની ઘરના સભ્યો પર શુભ-અશુભ અસરો કેવી રીતે થાય  ? અને સુર્યકીરણો ફક્ત દરવાજામાંથી જ ઘરમાં પ્રવેશે એવું કોણે કહ્યું ? હવે તો મકાનની ચારે દીશાએ કાચની બારીઓ હોય છે, ત્યારે મુખ્ય દરવાજાની વીશેષતા જ ક્યાં રહી ?

વાસ્તુશાસ્ત્રનો મુળ આધાર દીશાઓ  ઉપરાંત ગ્રહો પર પણ છે. વાસ્તવમાં ગ્રહોની કોઈ અસર માણસજાત પર પડતી જ નથી, એમ વીજ્ઞાને સીદ્ધ કર્યુ છે. માત્ર ભારતના જ નહીં; પરન્તુ વીશ્વના અગ્રગણ્ય ખગોળશાસ્ત્રીઓમાં જેમની ગણના થાય છે, એવા નહેરુ પ્લેનેટોરીયમના ડીરેક્ટર ડૉ. જે. જે. રાવલે લખ્યું છે:જ્યોતીષ, વાસ્તુશાસ્ત્ર કે ફેંગશુઈ એ કોઈ વીજ્ઞાન નથી, પણ સમાજને ગેરમાર્ગે દોરતા લુંટારાઓએ ઉપજાવી કાઢેલું ફરેબી વીજ્ઞાન (સ્યુડો-સાયન્સ) છે.’ જે પ્રજાને ‘વીજ્ઞાન’ કરતાં ‘વાસ્તુ’માં વધારે શ્રદ્ધા હોય એ પ્રજાને પીડાવાનો હક છે ! ‘ખગોળશાસ્ત્રી’ કરતાં ‘વાસ્તુશાસ્ત્રી’ પર વધારે શ્રદ્ધા એટલે જ ‘અંધશ્રદ્ધા’ !

વાસ્તુશાસ્ત્રના કહ્યા મુજબ, પતી-પત્નીને સંતાનપ્રાપ્તી ન થતી હોય તો તેનું કારણ ઘરમાં બેડરુમ અયોગ્ય દીશામાં હોઈ શકે અથવા શયનખંડમાં દંપતી અયોગ્ય દીશામાં માથું અને પગ રાખીને સુતાં હોઈ શકે !  છે ને તંદુરસ્ત ડૉક્ટરને પણ ચક્કર આવી જાય એવી વાત ?

મુંબઈના અમારા વીદ્વાન મીત્ર શ્રી લક્ષ્મીદાસભાઈ ખટાઉએ સુંદર પુસ્તક લખ્યું છે, ‘વાસ્તુશાસ્ત્ર કે ફાલતુશાસ્ત્ર ?’ તેઓ લખે છે: ‘પતી-પત્ની કઈ દીશામાં માથું રાખીને શયન કરે છે, તેને ગર્ભધારણ સાથે સમ્બન્ધ હોય તો એ જગતની અદ્ ભુત શોધ ગણાય ! વીશ્વમાં વસ્તીનીયંત્રણ માટે વાપરવા પડતાં નીરોધ, પીલ્સ કે પરેશનોના ખર્ચા જ બંધ થઈ જાય ! આ શોધ સાચી નીકળે તો વાસ્તુશાસ્ત્રીને નોબલ પ્રાઈઝ આપવું જોઈએ !’ વાસ્તુશાસ્ત્રીઓ આપ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ !

વાસ્તુશાસ્ત્રની કેટલીક માન્યતાઓ સ્વીકારવા માટે આપણે મગજને ગીરવે મુકવું પડે એમ છે:

બેડરુમ અગ્નીખુણે હોય તો પતી-પત્ની વચ્ચે ઝગડા થાય !

ઘરનું પ્રવેશદ્વાર પશ્વીમ-નૈર્ઋત્ય હોય તો મનની શાંતી ન મળે ! અકસ્માતનો સંભવ !

સામુદાયીક કુવો ઘરથી પશ્વીમ દીશાએ હોય તો દોષ, તે ઈશાન કે ઉત્તરમાં જ હોવો જોઈએ ! (આમ હોય તો કુવાની એક જ બાજુએ વસાહત વીકસે !)

તમારા ઘરના દરવાજા પર તમારા નામની તકતી નહી હોય તો ‘ઉર્જા’ તમારા ઘરમાં પ્રવેશ નહી કરે ! (ગામડાઓમાં તો કોઈના ઘર બહાર તક્તી નથી હોતી. શું ગામડામાં કોઈ સુખી જ નથી ?)

એક નીષ્ણાત વાસ્તુશાસ્ત્રીએ નોંધ્યું છે કે, ‘ભારતનું સંસદભવન વાસ્તુશાસ્ત્રના નીયમો મુજબ બંધાયું નથી એટલે દેશમાં વારંવાર આટલી બધી વીકટ સમસ્યાઓ સર્જાય છે ! (છે ને ગાંધીબાપુના હાથમાંથી પણ લાકડી હેઠી પડી જાય એવી વાત !)

ઘરની મધ્યમાં કુવો બાંધવામાં આવે, તો તે ઘરની તમામ સંપત્તીનો વીનાશ થાય છે ! (પણ કુવો તેલનો હોય તો ? !)

તમારા ઘરમાં ચોક્કસ જગ્યાએ માછલીઘર હોય તો એ વધારે શુભ ગણાય. માછલીઘર પોસાય તેમ ન હોય તો પાણીમાં તરતી માછલીનું ચીત્ર ભીંત પર ટીંગાડવાથી પણ ચાલે ! (આ તો સંતાનો ન હોય તો બાળકોના ફોટાથી ચલાવી લેવા જેવી વાત થઈને !)

મીત્રો, આવા અસંખ્ય નોન્સેન્સ નીયમોથી સમૃદ્ધ છે- વાસ્તુશાસ્ત્ર ! તમે તમારી કોઈ પણ સમસ્યા માટે જ્યોતીષીને મળશો એટલે તમારા ગ્રહોની નડતર કાઢશે; કોઈ તાંત્રીકને મળશો તો મેલી વીદ્યાનું નડતર કાઢશે અને કોઈ વાસ્તુશાસ્ત્રીને મળશો તો મકાન કે તેની અંદરની ચીજ-વસ્તુઓના સ્થાનનું નડતર કાઢશે ! વાસ્તુશાસ્ત્રીની બુદ્ધીમત્તા એટલી તો પ્રગાઢ કે રેલ, અકસ્માત, વીમાન દુર્ઘટના કે સ્પેસશટલ તુટે ત્યારે પણ વાસ્તુની ખામી પકડી પાડે !

વાસ્તુશાસ્ત્રી માત્ર સમસ્યાઓનું કારણ જ ન પકડે; સચોટ ઉપાય પણ બતાવે ! વાસ્તુદોષ નીવારવા માટે પીરામીડ, લાફીંગ બુદ્ધ, ક્રીસ્ટલ અને સ્વસ્તીક જેવાં સાધનો વેચે  ! આ સાધનો ઘરમાં ઘટતી ‘ગુઢ ઉર્જા’ પેદા કરે અને માણસની મુશ્કેલીઓ ટાળે !

હમણાં હમણાં હીરાઉદ્યોગમાં વેપારીઓનાં ‘ઉઠમણાં’ વધી રહ્યાં છે. નથી લાગતું કે, વેપારીઓએ ‘ઉઠતાં’ પહેલાં વાસ્તુશાસ્ત્રીને મળી તીજોરી યોગ્ય ખુણામાં જ મુકાવી દેવી જોઈએ કે જેથી, ધનલાભ થવા માંડે અને ઉઠમણાં ટળે ! મીત્રો, વાસ્તુશાસ્ત્રની મદદથી આપણી સંપત્તીમાં વધારો થતો હોત તો આજે દુનીયાનો સૌથી વધુ ધનવાન માણસ બીલ ગેટ્સ નહી; કોઈ વાસ્તુશાસ્ત્રી જ હોત ! બીલ ગેટ્સ પાસે 500 કરોડ રુપીયાનું રહેવાનું મકાન છે ! છે કોઈ વાસ્તુશાસ્ત્રી પાસે પાંચ કરોડનું પણ ? માણસની સમૃદ્ધીનો આધાર તેની તીજોરી કઈ દીશામાં છે તેના પર નહી; તેનો ધંધો કઈ ‘દશા’માં છે, તેના પર નીર્ભર હોય છે !

અમુક દીશામાં મોઢું રાખીને બેસવાથી સુખ-સંપત્તી વધી જાય, ચીંતામુક્ત થઈ જવાય કે રોગમુક્ત થઈ જવાય એવા ગપગોળા સાચા લાગવા માંડે ત્યારે સમજવું, આદીમાનવ પણ આપણા જેટલો જ બુદ્ધીવાન હતો ! પાણીનું માટલું, ચુલો કે મકાનનો દરવાજો કઈ દીશામાં છે, એની સાથે માણસનાં સુખ-શાંતી, સમૃદ્ધી અને આરોગ્યને શો સમ્બન્ધ હોઈ શકે, એ તો વાસ્તુશસ્ત્રી જ જાણે ! ઘરમાં સંડાસ કઈ દીશામાં છે અને આપણે કઈ દીશામાં મોઢું રાખીને બેસીએ છીએ એની સાથે માણસના આરોગ્યને કોઈ સમ્બન્ધ હોઈ શકે ખરો ? કબજીયાત થાય ત્યારે કોઈ ડૉક્ટરે કદી કોઈ દરદીને પુછ્યું છે ખરું કે તમે કયા મોઢે (સંડાસમાં) બેસો છો ?

ધરતીકંપ, પુર, હોનારત કે વાવાઝોડાં જેવી કુદરતી આફતો વાસ્તુશાસ્ત્રીઓના પોતાના ઘરને પણ છોડતી નથી. પુર આવે ત્યારે નીચાણવાળા તમામ વીસ્તારમાં એક સરખું પાણી ભરાય એ પ્રકૃતીનો નીયમ છે. વાસ્તુશાસ્ત્રીના ઘરના દરવાજા બહાર નેઈમ પ્લેટ વાંચીને પાણી દરવાજે અટકી જાય ખરું ? પ્રકૃતીને આવા અપવાદમાં રસ નથી હોતો.

વાસ્તુશાસ્ત્રથી થતા ફાયદાઓ એ માત્ર કાલ્પનીક વાર્તા છે; કહેવાતા અનુભવો એ માત્ર ભ્રમણા છે અને થતા ફાયદાની સાંભળેલી વાતો એ માત્ર ધંધાની જાહેરાત માટેની માયાજાળ જેવું ષડ્યંત્ર છે ! બે સત્ય અને  મુળભુત નક્કર વાસ્તવીકતાઓ નોંધી રાખવા જેવી છે:

(1) આપણું ભાવી પહેલેથી જ નીર્ધારીત થયેલું હોતું નથી. આપણા સાચી દીશાના પુરુષાર્થ પર આપણું ભાવી નીર્ભર છે.

(2) કોઈ જ્યોતીષશાસ્ત્રી કે વાસ્તુશાસ્ત્રી વીધી કે મંત્ર-તંત્ર દ્વારા આપણને  સુખ, સમૃદ્ધી કે આરોગ્ય પ્રદાન કરી શકે જ નહી.

માણસ પોતાની મુશ્કેલીમાં ગ્રહદોષ કે વાસ્તુદોષ શોધવાને બદલે ‘સ્વદોષ’ શોધતો થાય તો તેને મુશ્કેલીનો ઉપાય ઝટ મળે. સત્ય અને જ્ઞાન એવાં તત્ત્વબીજો છે જે આજે નહીં તો આવતીકાલે, દાયકાઓ-સદીઓ પછી પણ સ્વીકાર્યા વગર કોઈનો છુટકો નથી. આપણા બંધારણમાં પ્રજાજનોએ ‘વૈજ્ઞાનીક અભીગમ કેળવવો’ એવી ભલામણ કરવામાં આવી છે. માણસની ‘વીચારયાત્રા’ની દીશા, ‘વીજ્ઞાનયાત્રા’થી વીરુદ્ધની દીશામાં ફંટાય ત્યારે સર્જાય છે.. ‘વીનાશયાત્રા’ !

પ્રસાદ

‘‘જીવનશાસ્ત્રમાં નીપુણ હોય એવા માણસો વાસ્તુશાસ્ત્ર વીના

પણ પોતાના ઘરમાં સુખનો ટાપુ સર્જી શકે છે. માણસની

બુદ્ધીનાં બારણાં ખુલ્લાં હોય તો ઘરના બારણાં ગમે તે દીશામાં

ખુલતાં હોય, કશો ફરક પડતો નથી !”

પ્રસાદ લેખક, વીચારક મીત્ર શ્રી દીનેશભાઈ પાંચાલના

સૌજન્યથી સાભાર…………….

લેખક–સંપર્ક –

શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા

સંપર્ક : 74–બી,  હંસ સોસાયટી, વરાછા રોડ, સુરત – 395 006

મોબાઈલ : 98258 85900

લેખક પરીચય

મુળ ભાવનગર જીલ્લાના પાંચટોબરા ગામના વતની, 1963માં જન્મેલા અને સુરતમાં ભણી વાણીજ્યના સ્નાતક થયેલા શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, સુરતના હીરા ઉદ્યોગના એક અગ્રણી ઉદ્યોગપતી તો છે જ; પણ તેઓ સાહીત્યસેવી, વીચારક, એક કુશળ વક્તા અને પ્રસીદ્ધ નીબંધકાર પણ છે. સાવ ઓછું લખ્યું છે એમણે અને હવે તો વ્યાવસાયીક વ્યસ્તતાને પરીણામે લગભગ બંધ જ; પરંતુ જેટલું લખ્યું છે તે તેમને પ્રથમ કક્ષામાં સ્થાપીત કરવા માટે પુરતું છે. કલા–સર્જનમાં મુલ્ય તો ક્વૉન્ટીટી(જથ્થા)નું નહીં; પણ ક્વૉલીટી(ગુણવત્તા)નું જ લેખાય. એમની બીજી સીદ્ધી તે વળી તેઓની વક્તૃત્વપ્રતીભા. પંદર મીનીટ બોલવા મળી હોય તો ચૌદમી મીનીટે તો એમણે આસન ગ્રહણ કરી લીધું હોય. એટલી સુયોજીત એમની સજ્જતા ! કવીત્વનાં છાંટણાંથી આકર્ષક અને આનંદપ્રદ એવું એમનું પ્રવચન સાંભળવું એય મોટો લહાવો.

શ્રી અને સરસ્વતીનું આવું  સહઅસ્તીત્વ આ હસ્તીમાં છે. સફળ, બાહોશ વેપારી–ઉદ્યોગપતી તો તેઓ છે જ; પરંતુ એ સૌથીય મોટી વાત તો એ કે તેઓ નમ્રતા અને સૌજન્યથી શોભતા, પ્રસન્ન વ્યક્તીત્વના માલીક એવા ‘માણસ’ છે. શ્રી વલ્લભભાઈ એટલે મીઠો મધ જેવો મધુરો ‘માણસ’–સાચો અને પુરો.. –પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’ (બારડોલી) અને ઉત્તમ ગજ્જર (સુરત)

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા, જોતા રહો મારો બ્લોગ  https://govindmaru.com/

ગોવીન્દ મારુ – નવસારી

પોસ્ટ તારીખ 30/04/2010

 

 

 

40 Comments

  1. ગોવીંદભાઈ,
    રૅશનલ વીચારોની આપની બધી જ પોસ્ટ ઘણી સરસ હોય છે. દર અઠવાડીએ હું એ વાંચું છું. હાર્દીક આભાર.
    -ગાંડાભાઈ.

    Like

  2. I have gone through the article on Vastu Shashtra, Recently i have bought a new house and i was wondering if i need to get the place checked before moving in, your article has cleared all my doubts. I do not need any Vastu . I agree it must be ancient architectural science made as guideline for construction to follow. there are many arguments you have listed that are certainly near to the facts. Thank you for your article and for giving me right direction of thinking… logically and not as per Vastu……… I agree it is Faltu shashtra.

    Like

  3. ગોવિંદભાઈ,
    હમણા જ ભારતની કેન્દ્ર સરકારે જ્યોતિષશાસ્ત્રને વિજ્ઞાન કહ્યુ છે. જેની મને જાણકારી ટી. વી સમાચારોના માધ્યમથી મળી. વાસ્તુશાસ્ત્રએ સંપૂર્ણ અજ્ઞાન અને અવિજ્ઞાન જ છે. ફેંગશૂઇનું ધતિંગ સૌથી વધુ અમેરિકામાં ચાલ્યું અને અમેરિકાની માર્કેટીંગની વિદ્યા એ ફેંગશૂઇને મલ્ટિમિલિયન ડોલરનો ધંધો બનાવી દીધો છે. તમે ફેંગશૂઇ શું છે તે જાણવા એનસાઇક્લોપિડિયા બ્રિટાનીકા ખોલો તો ક્યાંય તેનો સંદર્ભનહીં મળે. આજની આધુનિક દુનિયામાં માનવી તેનું માનસિક સ્વાસ્થ્ય ગુમાવતો જાય છે. તે સારા નરસાની કસોટી કરતો નથી. પહેલાના માણસો કરતાં વઘુ વહેમીલો બનતો જાય છે. જાણે જગત એક મોટી સાયકીક હોસ્પીટલ માનસિક રીતે બીમાર લોકો વધતા જાય છે.આપણા ભારત દેશમાં તો જૂના ધતિંગ એટલા બધા છે કે ધતિંગો અને ખોટી માન્યતામાં આપણે ‘સ્વાવલંબી’ છીએ છતાં ચીનનાં સસ્તા માલોની આયાત શરૂ થઇ તે પહેલાં ફેંગશૂઇની ૫૦૦૦ વર્ષ જૂની ચાયનીઝ માન્યતાને નવા વાઘા પહેરાવીને તેને ધતિંગરૂપે મોંઘા ભાવે આયાત કર્યું છે. તમે કદાચ જાણતા જ હશો કે સુરતનું સાઈન્સ સેંન્ટર વાસ્તુશાસ્ત્ર મુજબ બાનાવ’વામાં આવ્યુ છે. કક્કામાં જ ભુલ હોય તો આગળ વાત જ ક્યાં રહિ..?

    Like

  4. બહુ સરસ લેખ.સાથે સાથે હસવા પણ મળ્યું.એક હાસ્ય લેખ ની ગરજ સરે તેવો લેખ.એકદમ વૈજ્ઞાનિક વાતો.ખરેખર દિશાઓ તો આપણે જ બનાવી છે.એટલે જ મેં લેખ લખેલો કે શ્રી યંત્ર ની પૂજા કરવાથી ધન ના મળે ને ગાયત્રી મંત્ર કરવાથી બુદ્ધી વધે.મેં બ્રેન ના સીધા સાદા નિયમો ની વાતો કરેલી.આપણ ભારતીયોને મહેનત કરવી નથી માટે આવા શાસ્ત્રોમાં રસ પડે છે.આપણે તો સંડાશ એટલે ગંદુ.ગંદુ રાખવાતો સંડાશ બનાવ્યા છે.આજથી ત્રીસ વર્ષ પહેલા આમારા એક દાદીમાં એમના દીકરાને ત્યાં અમેરિકા ફરીને પાછા આવેલા.પછી હું મળવા ગયેલો તો કહે અરે અમેરિકાના સંડાશ એટલા ચોખ્ખા કે એમાં ઉભા હોવ ને તમે ખાવ તો પણ સુગ ના ચડે.ત્યારે મને માનવામાં નહોતું આવતું.જોકે જ્યોતિષીઓ ને વસ્તુ શાસ્ત્રીઓ અહી પણ બજાર ગરમ કરે છે.૨૫ કે ૩૦ વર્ષ પહેલા અહી આવેલા ભારતીય અમેરિકાનો હજુ પણ સુધર્યા નથી એટલાજ અંધ શ્રદ્ધાળુ છે.બલકે હાલના ભારતમાં રહેતા લોકો કરતા પણ વધારે અંધ વિશ્વાસી છે.

    Like

  5. આજના જમાનામા લોકો ભણ્યા છે પણ સાથે અંધશ્રદ્ધા ઍટલીજ વધી ગઈ છે.
    પોતાના ધંધાના વિકાસર્થે લોકોમા ખોટી ભ્રમણા ઉભી કરવામા આવે છે.
    બીકના માર્યા લોકો તેમા સાચુ માનવા લાગે છે. લોકોમા જાગૃતિ લાવવાની ખાસ જરૂર છે.
    ઉલ્લાસ ઓઝા

    Like

  6. વાસ્તુશાસ્ત્ર જેવા શાસ્ત્રોનો ફેલાવો એવો જબ્બર છે. મને પણ ઘરમાં ફેરફાર કરવા વિશે મારા વાસ્તુશાસ્ત્રના જ્ઞાની એ સૂચવેલ. જ્ઞાની એ પોતાના શયન કક્ષને રસોડામાં તબદીલ કરેલ અને રસોડાને શયન કક્ષમાં. હવે સમસ્યા એવી છે કે શયન કક્ષમાંથી ગેસની પીળા રંગની પાઇપ લાઇન જાય છે. તે પાઇપલાઇન ન દેખાય તેમાટે તે દિવાલ પર પીળો રંગ કર્યો છે. ઇંટરનેટ પર આ વિશે ઘણું વાચન કર્યું છે. પણ હજુ સુધી કશુ સમ્જાયું નથી. મારા દાદા કહેતા કે સત ના પારખા ન હોય એટલે હું કોઇ પ્રતિક્રિયાઓ આપતો નથી. વિજ્ઞાન પર વિશ્વાસ છે. આવા કોઇ શાસ્ત્રને કારણે કોઇ ને લાભ થયો હોય એવું કશું મે જાણ્યું નથી. એ શક્ય છે કે નસીબ એ તે સમયે સાથ આપ્યો હોય ને તે સમયે વાસ્તુદોષ દુર કરવા પ્રયત્ન થયો હોય. નસીબમાં હું આજે પણ માનું છું. તમારા નસીબ માં જે મુજબ લખ્યું હોય તે મુજબ જ થાય છે. મારો અંગત મિત્રનું ૩ દિવસ પહેલાં જ માર્ગ અકસ્માતમાં અવસાન થયું. માત્ર ૩૬ વર્ષની ઉમરે. ગાંધીનગરથી અમદાવાદ જવા માટે તે ટેક્ષીનો ઉપયોગ કરતો હતો. તે રાજકોટથી પોતાની કારમાં ગાંધીનગર આવ્યો ને રસ્તામાં મોત સાથે મિલન થઇ ગયું. નસીબ છે. તમારા સીઆર ગમે તેટલા સારા હોય તો પન પ્રમોશનથી વંચિત રહી જાવ નસીબ છે.

    Like

  7. ફર્સ્ટ કિલાસ……હો ભઈઓ………….બાઈબલ તો વાંચે જુઓ અને એના એકે એક વચનને પરમાત્મા એ કહેલી આગ્યા અને વરદાન માની તો જુઓ, બધુ જ બદલી જશે, મને બાઈબલ એ જ તો ગાયત્રી મંત્રએ દેખાડેલુ, ચીંધેલુ શાસ્ત્ર છે…………તમસોમાજ્યોતિર્ગમય………….

    Like

  8. સુંદર! આવું જ મદળીયાંનું છે! ૮૦% લોકોના ગળામાં જાતજાતનાં અંધશ્રધ્ધાનાં માદળીયાં અને જમણા હથના કોંડામાં જાતજાતની નળાસરીઓ અને રક્ષાપોટલીઓ બાંધેલી હોય છે અને એમાં મહીનાઓ સુધી ગરમી, પરસેવો, મેંલ, પાણી ના સંપર્કથી શોભામાં અભીવ્રુધ્ધી થતી હોય છે!

    Like

  9. Dear Friends,

    All these beliefs are man made creation. There is no truth in it. It is a real good article. We all should put honest efforts in life.

    People never try to find the facts. I have been living in USA since 1977. During last 15 years or so, Indian people have become more and more superstious.

    Thanks so much.

    Pradeep H. Desai
    USA

    Like

  10. તમારી વાત તદ્દન સાચી છે અત્યાર ના સમય માં લેભાગુઓ વધારે છે જે તમને ખોટા ખર્ચા માં ઉતારે છે પણ પરિણામ શૂન્ય હોય છે. અત્યારે લોકોને ટુકા રસ્તે પૈસાદાર થવું છે એટલે તે આવા લેભાગુ જોડે વધારે છેતરાય છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર એ એક વિજ્ઞાન છે જેને આપણી
    સરકારે પણ કાયદાનું રક્ષણ આપ્યું છે. પણ અત્યાર ના સમયમાં વિદ્વાન જ્યોતિષીઓ અને વાસ્તુશાસ્ત્રીઓ ને ગોતવા એટલે ઘાસની ગંજી માંથી સોય ગોતવા જેવું કઠિન કાર્ય છે. એના કરતા તો વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ રાખવો વધારે ઉત્તમ.

    Like

  11. વાસ્તુશાસ્ત્ર: વિજ્ઞાન તો છે જ.
    તેના નામે, ઊંટવૈદ્યની જેમ, પૂરા અભ્યાસ વગરનાની સલાહો ઘણી ગેરસમજ ઉભી કરે છે.આ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ-નિરાકાર બ્રહ્મને સાકાર ઈશ્વરમાં પરિણય કરવાનો શ્રેય માયાને જાય છે. માયા આ જગતની મૂળ શક્તિ છે. આપણી પરંપરાઓમાં કલાકૃતિની રમણીયતાનો આધાર હકીકતમાં શાસ્ત્રમાન જ છે.જે રીતે વસ્તુમાંથી વાસ્તુ બને છે તે જ રીત દ્રવ્યમાંથી કૃતિ બને છે તો આ માન વિના ઉત્પન્ન નથી થતી. એટલે કે વાસ્તુ અન્ય પર આશ્રિત છે.પૃથ્વી તથા ચુંબકીય તરંગોના વિજ્ઞાનને સમજવાથી વાસ્‍તુમાં એક ચોક્કસ નિર્ણય પર પહોંચી શકાય છે. વાસ્‍તુશાસ્‍ત્ર વિશે તથા ફેંગશુઈ વિશે ઘણુ ઘણુ લખાય છે, પરંતુ મૂળ વાત એ છે કે તમારા હ્રદયને પહેલી નજરમાં જ સ્‍પર્શી જાય તે ઉત્તમ વાસ્‍તુ છે. કોઈપણ વાસ્‍તુનો આ ટેસ્‍ટ અતિ મહત્‍વનો છે કારણ કે જ્યારે કોઈ જગ્‍યાએ પોઝીટીવ વાઈબ્રેશનનું વહન થતું હોય ત્‍યારે જ આપણાં મનમાં સારા ભાવ જન્‍મે છે. દા. ત. કોઈ ઘરમાં પ્રવેશતાંની સાથે જ સુંદર ઘંટડીનો અવાજ સંભળાય, દિવાલો પર આંખને ગમી જાય તેવો રંગ જોવા મળે, સામે જ એકાદ સુંદર પ્રતિમા જોવા મળે કે આછેરી હવાની લ્‍હેર બાજુમાં પસાર થઈ જાય તો મન પ્રફુલ્લિત થઈ જાય છે. ત્‍યારબાદ સુંદર રીતે ગોઠવાયેલ સોફા પર સ્‍થાન લેતાની સાથે જ આપણું મન હકારાત્‍મકતાથી ભરપૂર બની જાય ત્‍યારબાદ આપણે ધારવા છતાં પણ તે ઘરના માલિક સાથે નકારાત્‍મક અભિગમ નહીં દાખવી શકીએ, અને આ જ વાસ્‍તુની સર્વપ્રથમ સિદ્ધિ છે.આટલી વાત સમજ્યા બાદ વાસ્‍તુશાસ્ત્રના થોડા ગહન ભાગ પર આપણે નજર નાંખીએ તો આપણે સૌ જાણીએ જ છીએ કે બ્રહ્માંડમાંથી અગણિત પ્રકારના કિરણો પૃથ્‍વી પર આવતા હોય છે તથા પૃથ્વીના ચુંબકીય રેખત્‍વ સાથે મળતા હોય છે. આ કિરણો સદિશ હોવાથી દિશા પ્રમાણે પણ તેનું મહત્‍વ હોય છે.હવે સામાન્‍યતઃ આ કિરણો તથા તેની અસરથી આપણે અજાણ હોઈએ છીએ, જો કોઈ ચોક્કસ વ્‍યવસ્‍થા દ્વારા યોગ્‍ય દિશા તથા જગ્‍યાને ઓળખીને આ કિરણોને તે જગ્‍યા માટે હકારાત્‍મક બનાવવામાં આવે તો તે જગ્‍યાએ હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે.

    Like

  12. બન્ને પક્ષની દલીલ બહુ જ વાંચી છે. હું હજી પણ અનિર્ણયીત છું. જો કે હું દ્રઢ પણે માનુ છુ કે ઘરમાં સુખ અને શાંતિ પરસ્પરના પ્રેમથી આવે છે, અન્ય કારણથી નહિ.

    Like

  13. વલ્લભભાઈનો સુંદર લેખ…સાચે જ વાસ્તુશાસ્ત્ર ફાલતુ શાસ્ત્ર છે..ને વળી એને શાસ્ત્ર શા માટે કહેવું..?

    Like

  14. અનેક શાસ્ત્રોની જેમ સૌંદર્યશાસ્ત્ર પણ છે.

    નવા જમાનામાં જૂનું એ બધું હંબગ એવું કહેવાની ફૅશન છે ! વાસ્તુશાસ્ત્રને શાસ્ત્ર જ શા માટે કહીએ ? પ્રજ્ઞાજીએ કહ્યું તેમ એ એક સૌંદર્યદૃષ્ટિની બાબત ન ગણી શકાય ? ગમે તેટલું સ્વચ્છ હોય તોય કોઈ માણસ જાજરૂમાં જઈને જમવા નહીં બેસે, શા માટે ?

    “વિજ્ઞાને બધી ઊર્જા શોધી કાઢી છે”એવું તદ્દન અવૈજ્ઞાનિક મંતવ્ય ચાલી શકે ખરું ?

    વીજ્ઞાન કરે તે બધું પણ બીજી શોધ ન થાય ત્યાં સુધી જ સાચું હોય છે. એવી કેટલીય શોધો ખોટી પડી છે. કેટલીય દવાઓ નકામી ને નુકસાન કરનારી સાબિત થઈ છે. વીજ્ઞાન આપે તે બધું સાચું ને ભારતીય શાસ્ત્રો બધાં ખોટાં એવી કાગારોળ હવે બંધ કરવી જોઈએ.

    આઈન્સ્ટાઈન અને કાપ્રા જેવા પણ કોઈ અગમ્યતત્વ અંગે આશ્ચર્ય અનુભવી ચૂક્યા છે. જ્યાં સુધી વસ્તુ સમજાય નહીં ત્યાં સુધી “આ જ સાચું” અને “આ તો ખોટું જ” એવુ કહેવું તે તદ્દન અવૈજ્ઞાનિક ગણાય.

    વાસ્તુના નામે ધતીંગ કરનારાઓ હોય છે તેથી દિશા વગેરે વાતો કરનારાને કે સૌંદર્યને વાસ્તુ સાથે જોડનારાને એક જ લાકડીએ ચલાવવાનો શો અર્થ ? વિજ્ઞાનને જ માનનારાઓ શું ભ્રષ્ટાચાર નહીં કરતા હોય ? એ લોકો પણ કોઈને અન્યાય નહીં કરતા હોય ?

    ભારતીય શાસ્ત્રોનો ગેરલાભ લેનારાઓને કારણે સારી હોય તોય ધાર્મિક હોય તેવી માન્યતાઓને ઝૂડી નાખવાનું બંધ થવું જોઈએ. વાંધો જ હોય તો આપણા બાપુઓ અને કથાકારોનાં વ્યાખ્યાનોમાં જઈને વિરોધ કરવાની હિંમત કરવી જોઈએ. ખરી અંધશ્રદ્ધા તો ત્યાંથી જ ફેલાય છે ! ત્યાં ઝંડા લઈઈને ઊભા રહેવું જોઈએ. ધર્મને નામે ધતિંગ વાતો કરનારાઓને ત્યાં જ ખુલ્લા પાડવા જોઈએ.

    પોતે જ સાચા અને બીજા ખોટા એવું કહેવું તે સરાસર અવૈજ્ઞાનિક છે. અંધશ્રદ્ધાળુઓ નુકસાન કરે છે તો વેપારીઓ, અધિકારીઓ, શિક્ષકો, બાપુઓ, ખોટી જાહેરાતો કરીને માલ વેચી મારનારાઓ, રમતવીરો, એક્ટરો આ બધાં કેટલું નુકસાન કરી ચૂક્યા છે ???!

    એ બધાંને માટે આપણે ક્યારે લખીશું–ચર્ચીશું ?!!

    Like

  15. શ્રી ગોવીંદભાઇ, માહિતીપ્રદ લેખ. આ વિષય પર મને તો બહુ જાણકારી નથી ! કારણકે અમારે તો મકાન બાંધવામાં સગવડતાનો (ભૌતિક અને આર્થિક બન્ને !) વિચાર વધારે કરાય છે ! મોટાભાગે તો બધા પોતાની જરૂરીયાત પ્રમાણે બાંધકામ ઠપકારે, કડીયો થોડું તકનિકી સુચન કરે ! બાકી ન આર્કિટેક્ચર કે ન કોઇ વાસ્તુશાસ્ત્રી પરવડે !! અમારે ખેતરનાં જે શેઢે ખરાબો હોય ત્યાં મકાન બને, અને મકાન બની ગયા પછી બધા સ્નેહી, મિત્રો શાથે મળી લચપચતી લાપસી ખાય તેને ’વાસ્તુ’ કહે ! (શહેરોમાં પાર્ટી હોય તેવું જ) આ અર્થમાં ’વાસ્તુ’ આપણને બહુ ગમે !!! પરંતુ આ લેખમાંથી કેટલાક મુદ્દાઓ, જે મને સમજાયા તેના પર મારા થોડા તર્ક જણાવું.
    * “વાસ્તુશાસ્ત્ર મુળે તો સ્થાપત્યશાસ્ત્ર છે. એમાં રહેલી શીલ્પકલા સામે કોઈને કશો વાંધો ન હોઈ શકે;” — આ વાક્યમાં લેખકશ્રીની શુદ્ધદાનત દેખાય છે, આપણી પ્રાચીન શિલ્પકલાને ઉજાગર કરતું આ શાસ્ત્ર છે. (જેમાં પછીથી મનઘડંત રીતે જોડી કાઢેલા ધતિંગોને બાદ કર્યા પછી)

    * “અલ્ટ્રાવાયોલેટ જેવાં કીરણો પૃથ્વી સુધી પહોંચતા નથી” — આ વાત અવૈજ્ઞાનિક હોય તેવું નથી લાગતું ? ઓઝોનનાં ગાબડાંથી થઇ રહેલી સૌથી મોટી હાની જ આ છે.

    * “સંડાસ ખરાબ અને પુજાનો ઓરડો સારો એ બધું તો માણસની લાગણી, ગમા-અણગમાનું જ વીભાગીકરણ છે.” — એકદમ સહમત, અને એ લાગણીઓ પછીથી એક પ્રકારની પ્રથા બની જાય છે, જેને સામાજીક રીતભાત કહેવાય છે. (જેને આપણે પરંપરા કહી શકીએ, ક્યારેક તેમાં મુળ કારણ દુર થવા છતાં પરંપરા ચાલુ રહે છે !)

    * ” ‘ખગોળશાસ્ત્રી’ કરતાં ‘વાસ્તુશાસ્ત્રી’ પર વધારે શ્રદ્ધા એટલે જ ‘અંધશ્રદ્ધા’ !” — આ વાત દરેક પ્રકારની અંધશ્રદ્ધાને તારવવામાં લાગુ પડે, જેમકે ’દાક્તર’ કરતા ’ભુવા’ પર, ’જાત મહેનત’ કરતા ’જોષ જોનારા’ પર વગેરે… સરસ સુત્ર બતાવ્યું.

    * ” માણસની સમૃદ્ધીનો આધાર તેની તીજોરી કઈ દીશામાં છે તેના પર નહી; તેનો ધંધો કઈ ‘દશા’માં છે, તેના પર નીર્ભર હોય છે !”
    * ” પ્રકૃતીને આવા અપવાદમાં રસ નથી હોતો.”
    * ” માણસની બુદ્ધીનાં બારણાં ખુલ્લાં હોય તો ઘરના બારણાં ગમે તે દીશામાં ખુલતાં હોય, કશો ફરક પડતો નથી !” — આ બધાંજ સોનેરી સુત્રો કહી શકાય.

    કહે છે કે ’લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે’ તો આમાં પણ તેવું જ છે. બાકી ઘરની સુંદરતા, કલાત્મકતા કે મજબુતાઇ વધારતા સુચનો કોઇ પણ શાસ્ત્રનાં હોય સ્વિકાર્ય ગણવામાં કશો દોષ નથી લાગતો. હા! ઘરમાં સુ:ખ, શાંતી અને સમૃદ્ધિ ઘરની રચના કરતા વધુ તો ઘરમાં રહેનાર પર આધારીત છે. આ માટે દિવાલ ફેરવવા કરતા દિલ ફેરવવું વધુ યોગ્ય લાગે છે.
    અને અંતે, જુગલકિશોર ભાઇની શાથે સહમત થતા એટલું તો નિષ્પક્ષ પણે કહેવું પડે છે કે, વિરોધ કોઇ પણ શાસ્ત્રને ખોટા પરિપ્રેક્ષ્યમાં રજુ કરી લોકોને ભરમાવતા ધુતારાઓનો હોવો જોઇએ, શાસ્ત્રો (ધાર્મિક હોય કે વૈજ્ઞાનિક બંન્ને પ્રકારના) નો તો અભ્યાસ અને સમાજ ઉપયોગી કાર્યો માટે તેનો ઉપયોગ થવો જોઇએ. (કોઇ વસ્તુ ૧૦૦% સારી કે ખરાબ હોતી નથી, તેમાંથી ગુણ ગ્રહણ કરી લેવો તેનું નામ સમજણ !!)
    સ_રસ લેખ આપવા બદલ આપનો અને લેખકશ્રીનો આભાર. PDF મોકલશોજી.

    Like

  16. બહુજ સુંદર લેખ ! વાસ્તુ શાસ્ત્ર મારા મતે તો એક મકાન લેનાર કે બાંધનારનો આત્મ વિશ્વાસ ડગાવી દેવાના પ્રયાસ તરીકે કામ કરે છે અને આવા લેભાગુઓ પોતાનો રોટલો રળી લે છે. મેં પોતે જોયેલા અનુભવ કહું તો અહી અમારા શહેરમાં એક શીપીંગ કંપનીની શાખા હતી તે ખોટ કરવા લાગેલી એટલે હેડ ઓફિસમાંથી એક વ્યક્તિ આવી અને તેણે ઓફિસના મકાનનો તથા મેનેજરના રહેણાકના મકાનનો અભ્યાસ કરી વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઓફિસના મકાનમાં અને મેનેજરના રહેણાકના મકાનમાં કેટલાક ફેરફાર કરાવ્યા. અરે મેનેજરે બેડરૂમમાં ક્યાં અને કેવીરીતે માથું રાખી સુવું તે પણ નક્કી કરી આપ્યું ! અને કંપનીએ તે પ્રમાણે ફેરફાર કર્યા ! તેમ છતાં થોડા જ સમયમાં આ શાખા બંધ કરવાની નોબત આવી ! કંપનીએ પોતાની કામ કરવાની પધ્ધ્દ્તિ કે મેનેજરની ગાહકોની સાથેની વર્તણુકની કોઈ ચિંતા નહિ કરી ! અને પરિણામ જે આવવુ જોઈતું હતું તે જ આવ્યું ! આવો જ એક બીજો દાખલો મારા મિત્રને મકાન લેવાનું હતું મારી બાજુનું મકાન વેચવાનું હોઈ તે તથા તેનો પુત્ર મકાન જોવા આવ્યા ! મકાન જોયું પસંદ પડ્યું પરંતુ દીકરાના મતે વાસ્તુ પ્રમાણે નહિ હોવાથી થોડા ફેરફાર મકાન માલિક કરાવી અપે કે કેમ તે વિષે પુછા કરતા મેં તેને પૂછ્યું કે હાલ જે મકાનમાં તમે અંદાજે 15 વર્ષ થયા રહો છો તે વાસ્તુ પ્રમાણે બનેલું છે ? દીકરાએ ના કહી એટલે મેં કહ્યું કે જે મકાન 15 વર્ષથી વાપરો છો અને તે જ મકાનને કારને તરકકી થતા આજે નવું મકાન લેવાની શક્તિ આવી છે તો તેજ મકાનને રીનોવેટ કરાવી વાપરો તો શું ખોટું છે ? મારી વાત મારા મિત્રને અને દીકરાને સ્પર્શી ગઈ અને આજે પણ તેજ જૂના મકાનમાં સુખે થી રહે છે અને પ્રગતિ કરી રહ્યા છે ! આવા તો અનેક ઉદાહરણ મળશે ! અંધશ્રધ્ધા જડની જેમ વળગે અને આત્મવિશ્વાસ એક વાર દગી ગયો તો ઈશ્વર પણ ના બચાવી શકે ! આવા લેભાગુઓ તેમની આજીવીકા આમજ મેળવી લે છે !
    આપ આવા સુંદર લેખો આપ્યા કરો છો તે વાંચવાની મજા તો આવે જ છે સાથોસાથ આજ 21મી સદીમાં પણ હજુ લોકો આવા તુત્માં રચ્યા-પચ્યા રહે છે તે જાણા દુખ પણ થાય છે ! અસ્તુ !

    Like

  17. સાચિ વાત છે તમારિ. આ વાસ્તુશાશ્ત્ર એક ફાલ્તુ શાશ્ત્ર જ છે. હુ પણ એમ જ માનુ છુ. જીવનમાં સુખ વાશ્તુશાશ્ત્રથી નહિ પણ આપણા કર્મથી મળે છે.

    Like

  18. http://www.sachchidanandji.com/cgi-bin/playlect.cgi?../html/SATLECT/mp3ss414.htm:SATLECT
    Listen Swami Sachchidanandji on “વાસ્તુશાસ્ત્રના નામે અંધશ્રધ્ધા”

    Please CLICK above website, CLICK Lectures, CLICK search, go to item No. 414 and CLICK, forward @ 9.00Min. to listen comments by Swamiji.

    For more information or to subscribe Monthly News Letter, please send request at bmistry@sbcglobal.net.

    Thank You.

    Like

    1. વાસ્તુશાસ્ત્રના નામે ચાલી રહેલા ધતીંગ-ગોટાળા, ફેલાવવામાં આવી રહેલા વહેમ અને અંધશ્રાદ્ધાને દુર કરવા માટે માન. સ્વામીજીનું પ્રવચન ખુબ પ્રેરક રહેશે. વૈજ્ઞાનીકોની સત્ય સ્વીકારવા/ સત્ય શોધનની કામગીરી ઉપર સ્વામીજીએ પ્રકાશ પાડ્યો છે.. સત્યમ.. શીવમ.. સુંદરમ..
      આભાર.

      Like

  19. I strongly believe that Vastu shastra and such other, so called science, May be scientifically correct, It is only practitioners who are cheaters or simply lack knowledge.

    As the fake medical doctor practicing medicine does not make medical science invalid. Ayurved practiced by fake vaidya also give bad name to ayurved though it is recognized as science

    I am telling Vastu Shastra is science, I only beilive it is not proved scientifically that it is not.

    Mahendra PArikh

    Like

  20. મહેન્દ્રભાઈની વાત સમજવા જેવી છે. પણ આધુનિકો તો આ બધા માટે હમ્બગ શબ્દ જ વાપરીને એને સાયન્સ સાથે તો બેસવા જ દેવાના નથી. એમને તો જૂનું એ બધું ખોટું. સાયન્સમાં ભૂલો થાય તોય એને સાયન્ટીફિકલી જ જોવાની.

    જૂની વાતો વૈજ્ઞાનિક હોય પણ હજારો વરસ થઈ ગયાં હોય તેથી એમાંનું સારા કરતાં નબળું વધારે આગળ નીકળી ગયું હોય ! એ નબળી ચીજોને આગળ કરીને પાછળ રહી ગયેલી સારી ચીજોને પણ આધુનિકો ધક્કો મારી દેવાના ! હજારો વરસ સુધી ટકી રહેલી બાબતો પાછળ કંઈક રહસ્ય હશે જ એટલુંય નમ્રતાથી સ્વીકારવા કોઈ તૈયાર ન હોય ત્યાં શી વાત કરવી ?!

    Like

  21. અમેરિકા અને કેટલાયે પસ્ચિમ દેશોમાં ભવ્ય ઇમારતો બની છે. શું આ બધા લોકો વાસ્તુ શાસ્ત્રનો અભ્યાસ કરીને પછી ફાઉન્ડેશન નાંખતા હશે? સમજો, જરા સમજો અને આવા વહેમ અને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો, બુદ્ધિને કામે લગાવો. મકાન હવા ઉજાસને ધ્યાનમાં રાખીને બનાવવાનું હોય. મકાન બની ગયા પછી કે જુનું મકાન લીધા પછી મિત્રો, સઞાં-સંબંધી ભેગા થઇ પોતાની શ્રદ્ધા પ્રમાણે કોઇ પૂજન વિધિ કરેતો તે યોગ્ય છે, નહિંતો જીવનમાં શુશ્કતા સિવાય બીજું કશું રહેતું નથી.

    Like

  22. Vaastu shastra is not a flimsy or baseless shastra. It is very much scientific, just as Ayurveda is. Many of the original texts are destroyed however what is available today was written by renowned ancient scholars. To denounce this science is to denounce our own revered scholars and their wisdom.

    What is wrong with this field is the lack of public awareness, lack of exposure, and the fact that many men with half-baked knowledge take advantage of gullible customers. But that does not make this science wrong.

    If an unqualified person practises medicine, we don’t discredit the medical science.

    It is sad that we Indians have scant respect for our own huge resource of ancient knowledge. We throw it out as ‘humbug’ without even trying to understand where it has come from.

    One may be unaware or uninformed, but it is unfair to condemn any subject without knowing it. Such criticism exposes one’s own ignorance.
    So. Lets not propagate its false criticism.
    We have plenty of old ‘granthas’, whose guidelines are followed in temples as well as many communities in South India, since ages. These ancient texts are certainly not rubbish or senseless.

    Mona

    Like

  23. દરેક વસ્તુ-ક્રિયા શાસ્ત્રમાં જોઇને કરવી એ એક ઘેલછા છે. દા.ત. શાસ્ત્રમાં લખ્યું છે કે સાચું બોલવુ પરંતુ કોઇનો જીવ બચાવવા ખોટું બોલવું એ સત્ય બોલવા કરતાં અનેક રીતે ચઢીયાતું છે. તમારી પાસે જે જમીનનો ટુકડો છે અને તેમાં ઘર બનાવવું હોય તો તે જગ્યાની સાઇઝ પ્રમાણે હવા ઉજાસને ધ્યાનમાં રાખી ઘર બનાવો તો તેમાં તમે સુખી થશો.

    વિજ્ઞાનની સામે શાસ્ત્ર હારતું હોય છે. દા.ત. પહેલાં એવું માનતા કે પૃથ્વી સપાટ છે પરંતુ હવે એક નાના બાળકને પણ ખબર છે કે પૃથ્વી ગોળ દડા જેવી છે. દરેક બાબતને શાસ્ત્રની સાથે જકડી રાખવી એ રુઢિ ચુસ્તતા છે અને તેનું પરિણામ યથા-યોગ્ય મળતું નથી. ઘણા શાસ્ત્રો લખાયા તેમાં મહર્ષિ વેદ-વ્યાસનું નામ મોખરે છે, પરંતુ વ્યાસના નામે એક બ્રહ્મસુત્ર સિવાય બાકીના બીજા બનાવટી શાસ્ત્રો રચાયા તે ઘણાને ખબર નહીં હોય કારણકે તેની રચનામાં સદીઓનો તફાવત છે.

    આજની લખેલું પુસ્તક આવતી કાલનું શાસ્ત્ર બની જાય છે. લોકોને અસલના જ્ઞાનની (Ancient Knowledge), ખબર નહિં હોય, નવું આધુનિક જ્ઞાન વિકસાવો અને વિકસ્યુંજ છે. ઇજનેર આર્કિટેકનો સંપર્ક કરો અને જુઓ તમારું મકાન કેવું સુખ-સગવડવાળુ તૈયાર થાય છે.

    મારા પિતાશ્રીએ નવસારીમાં અનેક પારસીઓના તથા અન્યોના મકાનો બાંધ્યા છે અને તે બાંધકામ હવા-ઉજાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવતાં. મકાન તૈયાર થયા પછી મકાન માલિક તેની ઇચ્છા અને શ્રદ્ધા મૂજબ વાસ્તુ-પૂજન વગેરે કરાવે તો એમાં શું વાંધો હોય?

    આયુર્વેદ એ નવી શોધખોળ (R&D) વિનાનું અટકી ગયેલું સાયન્સ છે કારણકે ઇમરજન્સીના કેસમાંતો અધ્યતન હોસ્પિટલ અને એલોપેથિક ડોકટરનોજ સહારો લેવો પડે છે.

    મકાનના બાંધકામ અને શરીરના સુખદુઃખ સાથે કોઇ સીધો સંબંધ નથી. ઘરમાં ફક્ત હવા-ઉજાસ સારા રહેશેતો તંદુરસ્તિ સારી રહેશે. શાસ્ત્રોમાંતો એટલું બધું લખ્યુંછે કે આખી જીંદગી તેમાં પુરી થઇ થશે અને પાણી વલોવવાથી જે પરિણામ આવે તે મળશે, વળી આ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિધ્યાએ આખા દેશને બાનમાં લીધો છે અને તેને માનવા-મનાવવામાં રાજકારણીઓ તો હદ કરી છે. હવે કલ્પના કરોકે જે દેશમાં અંધશ્રદ્ધાળુ રાજ નેતાઓ હોય તો તે દેશ કેવો થાય? માટે જાગો ઊઠો અને વાસ્તવિક બનો અને વાસ્તુ શાસ્ત્રના નામે થતી ભાંગ-ફોડ રોકો અને સમજો કે અંક જ્યોતિષ શાસ્ત્ર (ગ્રહોના પરિભ્રમણનું ગણિત) સાચું છે પરંતુ ફલિત જ્યોતિષ એ સ્વાર્થી ભેજાંનો પરિપાક છે. વાસ્તુશાસ્ત્રમાં પણ આવીજ શક્યતાને નકારી ન શકાય.

    Like

  24. Shri Govindbhai,
    Jai Shree Krishna.
    Aapna thaki Shri Vallabhbhai Italiya no ek lekh malyo. Vaachi ne kharekhar badhane vichar kari de evi sachot vaat amne lakhi che Vastu-Sastra maate. Hakikat je hoy te, pan mudda sachot che.
    Amara badhana khoob khoob abhinandan ane badhane Jai Shi Krishna.

    Like

  25. hello, vallbhbhai

    very good litreture on vastushastra agyan and nonscience

    i like this. Too much peoples have been cheating from a

    vastushastra and also wested their money on it

    Like

  26. i read it all topic and it’s really nice.
    i hope everyone read and be safe againts misguide of the persone.

    Like

  27. I have been surfing online more than 3 hours today, yet I never found any interesting article like yours. It’s pretty worth enough for me. In my view, if all website owners and bloggers made good content as you did, the net will be a lot more useful than ever before.

    Like

  28. આ સંપુર્ણ લેખ 100 % સત્ય છે. પરંતુ ભારતીયો મનના ગુલામ છે. જો આ બધા મનના માલિક બને તો સત્યનું ભાન થાય અને કુદરતે આપેલી ભેટ કેટલી મુલ્યવાન છે, જીવન શું છે, માન્યતા કરતા હકિકત શું છે એ સમજાય.

    Like

  29. ગોવિંદભાઈ આપનો વાસ્તુ શાસ્ત્રનો આ લેખ માત્ર સરસ જ નહીં પણ ખૂબ….ખૂબ…. ખૂબ સરસ છે.

    Like

Leave a comment