. . . . . આનંદ ધામ અને હું

. . . . . આનંદ ધામ અને હું

જે વૃદ્ધો પ્રત્યે તેમના સ્વજનોને પ્રેમ અને આદર હોય, એને હું તે વૃદ્ધોની મોટી સીદ્ધી માનું છું. સમાજમાં એવા ભાગ્યશાળી વૃદ્ધોની સંખ્યા ઓછી જ છે.

-દીનેશ પાંચાલ એમના ‘તનકતારા’ શીર્ષકધારી સત્ત્વશીલ ચીંતનગ્રંથ (પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001 ફોન: 079-22144663. ઈ-મેઈલ: goorjar@yahoo.com)માંથી સાભાર !

દીનેશભાઈ, હું એવો જ એક ભાગ્યશાળી વૃદ્ધ છું. આજકાલ હું ‘શ્રી ભારતીમૈયા આનન્દધામ’ વેસુ-સુરત ખાતે વૃદ્ધાશ્રમમાં રહેવા આવી ગયો છું. જે મારાં સન્તાનોને મુદ્દલેય મંજુર નથી; પરન્તુ વાચકમીત્રો તો જાણે જ છે કે, હું વૃદ્ધોના વૃદ્ધાશ્રમ નીવાસનો ‘સુધારક’ તરફદાર છું. વીચારશો, નીરીક્ષણ કરશો, તો પ્રતીતી થશે કે આપણી કેટલીક પ્રાચીન કે પરમ્પરાગત વ્યવસ્થાઓ આજે કાલવીસંગત બની ચુકી હોઈ, તદનુસાર પરીવર્તન ન સ્વીકારતા જનો માટે તે દુ:ખદાયક બની રહી છે. એક મીત્ર રોજ સાંજે મળતા, ત્યારે પોતાની પીડા તથા અનુચીત અવસ્થાની સમસ્યા વ્યક્ત કરતાં, તેઓની આંખ ભીની થઈ જતી. વૃદ્ધાવસ્થા કેવી નીર્દય તથા નીર્મમ કુદરતી સજા છે ! એ ત્રાટકે છે; ત્યારે સીંહ જેવા સમર્થ પુરુષો પણ પાંજરાપોળની ઉપેક્ષીત, વસુકી ગયેલી ગાય જેવા ગરીબડાં અને પરાધીન બની રહે છે. પેલા મીત્રને બે પુત્રો છે. એ દીકરાઓએ મીલકતની જેમ બાપનીય એવી વહેંચણી કરી લીધી છે કે છ મહીના મોટાને ત્યાં અને છ મહીના માટે નાનાના માન ન માન એવા મહેમાન ! એમાં છ મહીના ઉપર એક કલાકનીય છુટછાટ ન ચાલે- શરત એટલે પાકી શરત ! હું ઓળખતો નથી, પણ પુત્રવધુઓ નીયમપાલનની ચુસ્ત આગ્રહી હશે…!

સારાંશ એ જ કે, એમાં પુત્ર કે પુત્રવધુઓનો કોઈ વાંક જ નથી. આપણી પુરાણી કહેવાતી ઉમદા અને ભદ્ર એવી સંયુક્ત કુટુંબની ભારતીય પરમ્પરાને કાલગ્રસ્ત માનીને, કાલવીસંગત સમજીને તીલાંજલી આપવાનો સમય પાકી ગયો છે. હવે વૃદ્ધ વડીલો યુવાન સંતાનોને માથે પડી, પડ્યાં  રહે એવી યોજના આધુનીક આર્થીક-કૌટુમ્બીક વ્યવસ્થામાં સરળતાથી કે શાન્તીથી ચાલી શકે તેમ જ નથી, તો ‘આનન્દથી’ તો કલ્પીય કેમ શકાય ? હા, ખુબ જ ધનીક ગૃહસ્થ કુટુમ્બ હોય અને દરેક સભ્યને પોતપોતાની સર્વથા સ્વતંત્ર જીવનવ્યવસ્થા મળી શકતી હોય તો વૃદ્ધ વડીલો ભલે તેઓને ફાળવાયેલા અલગ ખંડોમાં યથેચ્છ રહેતાં ! એય એક પ્રકારનો વૃદ્ધાશ્રમ જ ગણાય ને ? વૃદ્ધોનાં સ્વભાવની તથા સદ્દવર્તનની ચર્ચા અત્રે કરતો નથી. આપણા ઉત્તમ ચીન્તક કટારલેખક શ્રી દીનેશ પાંચાલે એ વીગતે ચર્ચી છે. ‘તનકતારા’માં જ એવા ત્રણચાર સરસ લેખો છે.

બરાબર અહીં જ, જે અભીનવ મહત્ત્વનો પ્રશ્ન ઉદ્દભવે છે તે વૃદ્ધાશ્રમનો: હું મજબુતપણે માનું છું કે, સમ્પુર્ણ નીવૃત્ત વડીલોએ સન્તાનોનાં ઘર-કુટુમ્બ છોડી, વૃદ્ધાશ્રમમાં ચાલ્યા જવું જ જોઈએ. આપણો સમાજ શરમાશરમી તથા લોકાપવાદનાં જરીપુરાણાં ભયશંકાથી દમ્ભી બની ગયો છે. માબાપને સાથે રાખવાનું ગમતું નથી, ‘ગમતું નથી’ – એ કરતાં એમ જ કહેવું જોઈએ કે ‘ફાવતું નથી’, તો સન્તાનોનો જ કોઈ મોટો દોષ છે એવું તારણ એમાંથી નહીં કાઢવું: ઘરમાં વીજળીક મીક્સર-ગ્રાઈન્ડર મશીન વસાવ્યાં પછી, નકામો પડેલો પથ્થરનો મોટો ખલ પગમાં અથડાયા કરતો હોય એ કોને ગમે ? આ ઉપમાને દ્વીઅર્થી પણ સમજી શકાય: કેટલાક વડીલો વળી ખરેખર ‘ખલ’ પણ હોય છે.

હવે સૌથી મોટો પ્રશ્ન ઉદભવે છે તે વયોવૃદ્ધ વડીલોનાં સ્વમાન અને ગૌરવનો. સન્તાનો અને સ્વજનો સૌને ઘરડાં માતાપીતા કે દાદાદાદી માટે આદર તથા આત્મીયતાભર્યો સ્નેહ હોવો ઘટે, અન્યથા પરીસ્થીતી ભારે કષ્ટકારક બની રહે છે. અહીં ‘આદર’ને બદલે હું ‘સમાદર’ શબ્દ પ્રયોજવાનું વધુ પસન્દ કરું: રીસ્પેક્ટ નહીં, પણ રેવરન્સ. પરન્તુ ‘હોવો ઘટે’ એવો ઔચીત્યદર્શક શબ્દપ્રયોગ કરીને, હું સમગ્ર જવાબદારી સન્તાનો પર નાખી દેવા જરાય ઈચ્છતો નથી. વડીલોએ પણ પોતાનું ગૌરવ જળવાય અને સન્તાનો-સ્વજનોમાં સમાદર કેળવવો જ જોઈએ; જેની આવી એક જ (નેહરુજીના) શબ્દમાં: પોલીસી ઓફ નન-ઈન્ટરફીયન્સ.

હવે જે વધુ ગમ્ભીર પ્રશ્ન ઉદ્ ભવે છે તે વળી એ કે, શું વૃદ્ધાશ્રમોમાં વડીલો-વયસ્કોનાં ગૌરવ-સમાદર જળવાય છે ખરાં? ‘આશ્રમ’ શબ્દ જ આપણા સંસારમાં જરા અણગમતા કે  બન્ધનકર્તા સન્દર્ભનો સુચક બની ગયો છે. ત્યારે હું જે આશ્રમમાં હાલ રહેવા આવ્યો છું, એ આશ્રમ માટે સાથીમીત્ર શ્રી કાર્તીક દેસાઈના જ શબ્દો ટાંકું તો, ‘આવો આશ્રમ તમને ગુજરાતમાં ભાગ્યે જ બીજો જોવા મળશે !’ આ વૃદ્ધાશ્રમ એ જ કે હવે હુંય જેનો નીવાસી છું તે, ‘શ્રી ભારતીમૈયા આનન્દધામ’– આપણા સુરતમાં જ વેસુ ખાતે આવેલો, અમ્બીકા નીકેતનના વીખ્યાત મન્દીર દ્વારા સંચાલીત વૃદ્ધાશ્રમ. પ્રારમ્ભે જ કહી દઉં કે, અહીં અમારાં ગૌરવ તથા સમાદર પ્રાય: સમ્પુર્ણ રીતે જળવાય છે. વધુમાં અહીં કોઈ બીનજરુરી બન્ધનો, નીયન્ત્રણો, મર્યાદાઓ કે કર્મકાંડના મીથ્યા વીધીઓ (પ્રાર્થના–પુજન જેવા) લાદવામાં આવતા નથી, માટે જ કાર્તીક દેસાઈ જેવા જુના નીવાસીઓ અને અમારા જેવા નવોદીતો પ્રસન્ન પ્રસન્ન છે.

એક ધાર્મીક સંસ્થાની, પ્રતીષ્ઠીત મન્દીર અમ્બીકા નીકેતનની જ શાખા હોવા છતાંય, આ ભારતીમૈયા આનન્દધામ-વૃદ્ધાશ્રમમાં કોઈ ધાર્મીક દબાણ કે બોજ બીલકુલ લાદવામાં આવ્યો નથી, એ અભીગમ અન્ય વૃદ્ધાશ્રમોએ ખરેખર જ અનુસરવા જેવો છે.  વીવીધ વીચારના સર્વ વૃદ્ધો માટે સમ્પુર્ણ પરીતોષપ્રેરક એવી આ વ્યવસ્થા બદલ સઘળો યશ, પુર્ણ ધન્યવાદ સંચાલકો- સુત્રધારકોને, વીશેષત: મૈયાના સુપુત્ર શ્રી ભરતભાઈ તથા સૌ. ચન્દ્રીકાબહેનને અને વ્યવસ્થાપક શ્રી દીલીપભાઈ સોલંકીને ફાળે જાય છે.

મારી જાણ મુજબ, શ્રી ભરતભાઈ લગભગ રોજ અહીં આવે છે; પરન્તુ તેઓએ ક્યારેય આશ્રમ-વાસીઓની જીવનચર્યામાં અધીકારી-ભાવે લેશમાત્રેય દખલગીરી કરી હોય એવું બન્યું નથી, અને દીલીપભાઈની તો પ્રશંસા જેટલી કરીએ તેટલી ઓછી જ: અમારી પ્રત્યેક જરુરીયાતને તેઓ પુરી સહાનુભુતી તથા સમાદરથી સાંભળે જ, અને ત્વરાથી તે શક્ય તમામ રીતે પુર્ણ કરે. દા.ત. દરરોજ વહેલી સવારે ત્રણ–ચાર વાગ્યે લેખન માટે હું ઉઠું ત્યારે મારે ચા જોઈએ, તો એય હાજર ! ક્યારેય અમારાં ગૌરવ-સ્વમાન ખંડીત થાય એવો એકેય ઉદ્ ગાર નહીં. વધુમાં વળી અમારાં સેવાર્થી સાથીઓ  કોકીલાબહેન, રીંકુભાઈ તથા હંસાબહેન તો જાણે અમે ઘરનાં જ ‘સાચ્ચા’ વડીલો હોઈએ, એટલી બધી આત્મીયતાથી અમારી સમ્ભાળ રાખે છે, એ આ આશ્રમની જ વીશીષ્ટતા ગણાવવી જોઈએ. કારણ કે હું અન્ય આશ્રમોમાં પણ રહી આવ્યો છું. સેવકોનો વ્યવહાર સામાન્યત: કામથી છટકવાનો અને ક્વચીત્ તુચ્છકારનોય અનુભવવા મળે !

અને છેલ્લે એક વીસ્મયકારક હકીકત પણ જાહેર કરી લઉં: ગુજરાતી રંગભુમીનો સીંહ શ્રી પ્રતાપ ઓઝા પણ આ જ વૃદ્ધાશ્રમમાં મારી સામે જ રહે છે ! અને અમારું જે કાંઈ ‘વીશેષત્વ’ છે એનીય અહીં યથોચીત નોંધ લેવાય છે…. અને છેલ્લે, આવી સંસ્થાઓ તથા શાળાઓમાં થતી સમુહપ્રાર્થના વીશે બે શબ્દ લખીને વીરમું: કોઈ પણ સંસ્થામાં ફરજીયાત સમુહપ્રાર્થના કરાવવી, એ વ્યક્તીસ્વાતંત્ર્યનું ક્રુર ખંડન જ સીદ્ધ થાય. કારણ કે દરેક વ્યક્તીના વીચારો-માન્યતાઓ ભીન્નભીન્ન હોય; જ્યારે સમ્બન્ધીત સંસ્થામાં તેના સ્થાપકો-સંચાલકોના સામ્પ્રદાયીક સીદ્ધાન્તો-માન્યતાઓ મુજબના આચારો, નીયમો લાદવામાં આવે, જે સંસ્થાની શોભા નહીં; પરન્તુ સંકુચીત ક્ષતી જ ગણવી રહી. તેમાંય  વૃદ્ધો ઉપર ફરજીયાત વ્યવહાર-નીયન્ત્રણ લાદવાં, એ તો તેઓનાં સ્વમાન-ગૌરવનો ભંગ જ બની રહે.

ભરતવાક્ય

ઉત્તમ તો એ જ કે, દીનપ્રતીદીન વધ્યે જતા આત્મહત્યાના બનાવોને લક્ષ્યમાં લઈ, સ્વેચ્છામૃત્યુ (સ્યુસાઈડ) અને દયામૃત્યુ (મર્સીકીલીંગ) જેવી કાનુની સુવીધાઓ વીશે સમાજશાસ્ત્રીઓએ વીચારવું જોઈએ. માણસ સુખમાં સારી  રીતે જીવી શકે, તો દુ:ખમાં કષ્ટ (પીડા) વીના મરી શકે, એવી વ્યવસ્થા કાયદેસર કરવી, એ પણ (જીવનના) સુખનો જ એક પ્રકાર લેખાય. જીવતાં જીવતાં માણસને કદીક મૃત્યુનીય જરુર પડી જતી હોય છે. આમ, મૃત્યુય જીવનજરુરીયાતની ચીજવસ્તુ જ બની રહે છે.

– દીનેશ પાંચાલ (‘તનકતારા’માંથી સાભાર !)

–પ્રા. રમણ પાઠક

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની, (શનીવાર તા. 5 જુન, 2૦10ની) લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’માંથી સાભાર.. લેખક અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી..

સંપર્ક:

પ્રા. રમણ પાઠક, શ્રી ભારતીમૈયા ‘આનંદધામ’, વેસુ, સુરત – 395 007 સેલફોન : (99258 62606)

અક્ષરાંકન: ગોવીન્દ મારુ govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ– 10–06–2010

‘આ લેખ તમને ગમે તો govindmaru@yahoo.co.in પર મને એક મેઈલ લખજો. શુક્રવાર થી રવીવાર સુધી હું મુંબઈમાં હોવાથી આ લેખની પીડીએફ ફાઈલ સોમવારે મોકલીશ.’

♦●♦

19 Comments

  1. Dear Govindbhai:

    Is it possible to get contact information for this place, ‘શ્રી ભારતીમૈયા આનન્દધામ’, preferably an email address. I do not think they have a web page.
    Jayendra.

    Like

    1. ‘શ્રી ભારતીમૈયા આનન્દધામ’ વેસુ-સુરતના મેનેજર શ્રી દીલીપભાઈનો સેલફોન નં. 9714445690, ફોન નં. 0261 6576820 છે. સંસ્થાની ઈ મેઈલ આઈ.ડી ambikanikrtantrust@gmail.com છે.

      Like

  2. આ લેખ ખુબ જ સુંદર છે , હું પણ દ્રઢ પાને માનું છું મા-બાપે જો સગવડ હોય તો સમાજ –
    નો કે દીકરા વહુ નું ખરાબ દેખાશે એ વિચાર કર્યા વિના દીકરા વહુ થી દુર જવું જોઈએ , આજ –
    ની આ ફાસ્ટ જિંદગી મા પતિ પત્ની બને એ દોડવું પડે છે , એમાં આપણે અડચણ રૂપ –
    ના હોવા છતાયે કોઈક વખત વધી પડેલા લાગી એ છીએ , આપણે જો આપણું માન-
    સ્વમાન જાળવવું હોય તો સ્વેચ્છાએ વાનપ્ર્સ્થાસન સ્વીકારવું જ જોઈ એ , દીકરા ની-
    સાથે એમની નજર સમક્ષ રહી એમના દિલ થી દુર થવા કરતા એમની નજર થી દુર –
    રહી એમના દિલ માં રહેવું સારું , એમ કરતા સ્વમાન પણ સચવાય છે ને લાગણી ને –
    પણ ઠેશ નથી પહોંચતી. પણ આતો જેની પાસે સગવડ છે એમની વાત છે , પણ જેની –
    પાસે કોઈ સગવડ નથી , એ મા-બાપે સમજવું જોઈ કે બાળકો ની લાગણી નું વહેણ-
    નથી સુકાયું પણ મઝા મુક્તિ મોઘવારી મા બે છેડા ભેગા કરવા મુસ્કેલ છે , ને દીકરા –
    ઓ એ પણ સમજવું જોઈ કે કોઈ મા-બાપ ને બિચારા બાપડા થઇ ને જીવવું ના ગમે –
    પણ ઘડપણ ના હાથે મજબુર છે એમનું સ્વમાન ઘવાય નહિ તેનું ધ્યાન રાખજો .
    સીમા દવે

    Like

  3. આ વ્યક્તિસ્વાતંત્ર્ય એ તો મનુષ્યોનુ આત્મીક પતન છે, જન્મથી જ મુળે મનુષ્ય પરાધીન છે, શૈતાને, મનુષ્યોને ભણાવી-ગણાવીને પરમેશ્વરે શીખવેલી આજ્ઞાઓને ના માનવા ભડકાવીને આજના જગતને વિનાશને આરે નથી લાવી મુક્યુ શુ?

    ભારતની કાયદાકાનુની પ્રગતિ, ભણતર-ધંધા-ભૌતિક પ્રગતિ વિદેશથી આયાત થયેલી નથી શુ?

    અને એ વિદેશી પ્રગતિ એ તો પરમેશ્વરના અનાદર રુપે જ નીતરી આવેલી નથી?

    ઉંડા ઉતરો ભાઈઓ ઉંડા ઉતરો, સત્યને જાણશો તો સત્ય સહુને સ્વતંત્ર કરશે,

    વ્યક્તિસ્વાતંત્ર્ય એ શૈતાની ચાલ છે ને આપણે ભારતવાસીઓને નહિ સમજાય,

    આત્મીક ઉધ્ધાર, આત્મિક શાંતિ જોઈતી હોય તો આત્મીક બંધનમાં રહેવુ અતિ ઉત્તમ છે નહિ તો બાળક જ શુ કેમ, વ્રુધ્ધો જ ભટકી જાય તો શું કરવુ?

    સમય નીકળી ગયો છે, હજુ કોઈ બચી જવુ હોય તો પરમેશ્વરના બંધનમાં રહેવાનુ પસંદ કરો નહિ તો સૈતાને સહુકોઈને પોતાની સાંસારીક બેડીઓમાં બાંધી તો રાખેલા જ છે ને.

    Like

  4. પૂજ્ય શ્રી રમણકાકા ,,,તમારા વિચાર સારા છે કે આ “મોર્ડન યુગ “માં બીજા ને તકલીફ આપવા કરતા શાંતિ નો માર્ગ પસંદ કરવો ,,,,
    “હું મજબુતપણે માનું છું કે, સમ્પુર્ણ નીવૃત્ત વડીલોએ સન્તાનોનાં ઘર-કુટુમ્બ છોડી, વૃદ્ધાશ્રમમાં ચાલ્યા જવું જ જોઈએ. આપણો સમાજ શરમાશરમી તથા લોકાપવાદનાં જરીપુરાણાં ભયશંકાથી દમ્ભી બની ગયો છે. માબાપને સાથે રાખવાનું ગમતું નથી, ‘ગમતું નથી’ – એ કરતાં એમ જ કહેવું જોઈએ કે ‘ફાવતું નથી’, તો સન્તાનોનો જ કોઈ મોટો દોષ છે એવું તારણ એમાંથી નહીં કાઢવું: ઘરમાં વીજળીક મીક્સર-ગ્રાઈન્ડર મશીન વસાવ્યાં પછી, નકામો પડેલો પથ્થરનો મોટો ખલ પગમાં અથડાયા કરતો હોય એ કોને ગમે ? આ ઉપમાને દ્વીઅર્થી પણ સમજી શકાય: કેટલાક વડીલો વળી ખરેખર ‘ખલ’ પણ હોય છે.”તો જાતેજ તેમાંથી સ્વમાનભેર ઉતમ માર્ગ શોધી કાઢવો ,,પણ સ્વેછેયાએ આ માર્ગ અપનાવીને પણ દિલ નો જે ખૂણો હંમેશા “કકળતો” રહે તેના માટે શું કરવું ? નામ ભલે “આનંદ ધામ ” હોઈ પણ જીવન ની આ પાનખર ઋતુ માં સંતાનો ની લાગણી અને અને હૂફ ના બે વાક્યો જે આનંદ અને માનસિક શાંતિ આપે તેવો આનંદ ગમે તેટલું 5star હોટેલ જેવું” આનંદ ધામ ” પણ ન આપી સકે એવું હું દ્રદ્પને માનું છું,,,,,

    Like

  5. Somnath Mahadev Road per Bharatbhai ane Chandrikabhabhi amara ghar [Guru Smruti] ni barabar baju ma j raheta hata. Mane e samay yaad avi gayo.
    Khub saras upayogi lekh chhe.Abhinandan.
    Mahiti apava badal khub khub abhar.
    Pallavi Mistry.[pallavimistry@yahoo.com]

    Like

  6. સમાદારની વાત અત્યંત મહત્વની છે. બંને પક્ષે બાળકો અને વડિલોએ પોત પોતાની મર્યાદાઓ અને સાથો સાથ સમય અનુસાર એક બીજાને અનુકૂળ થતા રહેવું જોઈએ ! આપણાં દેશમાં પ્રવર્તતી સંયુક્ત પરિવારની પ્રથા નામ શેષ થઈ રહી છે અને સાથોસાથ આયુષ્યની લંબાઈ વધી રહી છે. જે શરેરાશ 50-55ની ઉમર ગણાતી તે હવે 65-70 કે તેથી પણ વધારે થઈ રહી હોય આવા વડિલો અને બાળકો સાથે રહેવાના પ્રશ્નો સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. જો મારી યાદ દાસ્ત દગો ના દેતી હોય તો શ્રી ગુણંવત શાહે વૃધ્ધા વસ્થા કેમ વીતાવશો તેવા સંદર્ભ સાથેનું એક સુંદર પુસ્તક કે લેખ લખેલો છે જેમાં વડિલો અને બાળકોએ અરસ પરસના એક જ ઘરમાં રહેતા હોવા છતાં કેવા હોવા જોઈએ તે વિષે ખૂબજ સુંદર સમજ આપી છે. વૃધ્ધાશ્રમ એ જ માત્ર વૃધ્ધો માટેનું આખરી સ્થાન નહિ ગણાવું જોઈએ તેમ છતાં સાથે રહેવા માટે જ્યારે કોઈ માર્ગ બાકી ના જ રહે તો આપે દર્શાવેલ તેવા આદર્શ વૃધ્ધાશ્રમ હોય કે જ્યાં વૃધ્ધોનું સન્માન અને કોઈ પ્રકારની ફરજ સમુહ પ્રાર્થના જેવી પણ ના હોય તેવા વધુ અને વધુ બનવા જોઈએ !
    તદ ઉપરાંત આપની છેલ્લી વાત પણ મને ખૂબ જ ગમી
    ” ભરતવાક્ય”
    “ઉત્તમ તો એ જ કે, દીનપ્રતીદીન વધ્યે જતા આત્મહત્યાના બનાવોને લક્ષ્યમાં લઈ, સ્વેચ્છામૃત્યુ (સ્યુસાઈડ) અને દયામૃત્યુ (મર્સીકીલીંગ) જેવી કાનુની સુવીધાઓ વીશે સમાજશાસ્ત્રીઓએ વીચારવું જોઈએ. માણસ સુખમાં સારી રીતે જીવી શકે, તો દુ:ખમાં કષ્ટ (પીડા) વીના મરી શકે, એવી વ્યવસ્થા કાયદેસર કરવી, એ પણ (જીવનના) સુખનો જ એક પ્રકાર લેખાય. જીવતાં જીવતાં માણસને કદીક મૃત્યુનીય જરુર પડી જતી હોય છે. આમ, મૃત્યુય જીવનજરુરીયાતની ચીજવસ્તુ જ બની રહે છે.”

    Like

  7. ‘આનંદધામ..” ની આપની ચર્ચા ગમી. હાલ જ્યારે વિભક્ત કુટુંબો વધી રહ્યા છે, અને નોકરી/વ્યવસાય અર્થે ગમે ત્યા ગમે ત્યારે જવુ પડતું હોય એ સમયે આપણા સંતાનો પાસે સેવાની અપેક્ષા રાખવી યોગ્ય ના લાગે. જોકે એ વાત પણ એટલીજ સાચી છે કે અંગત વ્યક્તિનો પ્રેમજ માણસને સંતોષ આપી શકે, જેમને માટે આખી જીદગી દુઃખો વેઠ્યા હોય તેઓજ જરુરિયાત ના સમયે આપણને બિન જરૂરી સમજી તરછોડે એનું દુંખતો થાયજ!
    ‘સાજ’ મેવાડા

    Like

  8. Dear Friends,

    We all should follow this golden rule in our life ” Live & Let us live “. We all are human beings. What goes around comes around.

    My mom lives with me after my dad passed away. I feel very happy to help my mom. Always try to help others with out expecting any rewards in life. It is a great joy to help others.

    It is a very good article.

    THanks so much.

    Pradeep H. Desai
    Indianapolis, USA

    Like

  9. વ્રુધ્ધાશ્રમ અને વડિલો.
    આજ્કાલ વ્રુધ્ધાશ્રમો ની નીન્દાની ફેશન થઈ ગઈ છે.જુની પેઢી વતવાતમા નવી પેઢી ને ” સાવ બગડી ગયા છે” ” શરમ કે મર્જાદ જેવું કશું રહ્યું નથી તેમ કહ્યાઅરે છે.સાચી વાત એ છે કે જુની પેઢીની અપેક્શઓએ મઝામુકી છે. આજના જમનામા વડિલોને સાચવવા તે પહેલા જેટલું સરળ રહયું નથી.જગાની તંગી, મોઘવારી,નોકરીની ઇન્સીક્યુરીટી આ બધાને કારણે આજની પેઢી એક તનાવપુર્ન વાતાવરણમા જીવે છે.બ્બળકોના હોમવર્ક માથી ગ્રુહીણી ઉન્ચી નથી આવતી.અરે એને પોતાના વર સાથે બેસી ને વાતકરવાનઓ સમય નથી ત્યાંતે કેવી રીતે સસુ સસરા પાસે બેસી શકે ? કેવી રીતે આઠ વાગે ને એમનુ ભાણુ પીરસે ?એમા કરાક મોડુ વહેલું થાય કે થાળીમા બે વસ્તુ ઓછી હોય તો તે ચલાવી લેવાના બદલે મહેણા ટોણા શરુ થઈ જાય.” અમે તો બેન, સાસુ ને જમાડી નેજ જમતા, રોજ કચુંબર, પાપડ તો હોય્જ ને આજે જુવો આ બે વસ્તુ પીરસી દીઢી ને હાલ્યા એમના રુમ મા, અમે તો ઇ જમી લે ,ત્યાં સુધી સામે ઉભા રેતા” વિ.વિ.વધુ લા>બુ નથે લખતો પણ આ પરિશ્થિતિમા વ્રુધ્ધાશ્રમ એક સોલ્યુશન છે. એમ હું માનું છુ.
    Iam noy young ,I am m72 year old.

    Like

    1. નમસ્તે દાદાજી, આપણે આવી રીતે નિરાશ થવાનુ કોઈ કારણ નથી. આજે સર્વ કોઈ લાચારીનુ જીવન જીવી રહ્યા છીએ. સૌને બધુ જ જોઈએ છે, કોઈ ને જતુ કરવુ જ નથી. કેમ કે આ મોર્ડન ભણતર જતુ કરવાનુ નહિ પણ યેન્કેન પ્રકરેણ ભેગુ જ કરવાની માસ્ટરી શીખવે છે. એનો ભોગ બને છે યુવા કે પ્રૌઢ દંપતી, એકબાજુ ભણતા બાળકો અને ઘરડા મા-બાપ, સાસુ-સસરા, નણંદ, દીયરીયો, જેઠીયો, સગાઓ, નહિ તો પાડોશણો તો છે જ ને, તેઓ આવી આવીન ઘરની ડોશીના કાન ભંભેરે, ડોશી ડોસાના, એમાં બીચારી ઘરની નવપરણીતા કે પ્રૌઢ પુત્ર વધુની પર ભાર આવી પડે છે, અને એ ભાર ભાઈના માથે એટલે એ પણ આ બધી પળોજણમાંથી છુટવા, પોતાને એમ.બી.એ. શીખવનારા, કાળજાના કટકા જેમ પોષનારા મીઠા ઝરણાને જ ખારા સમંદરમાં ફેંકી આવે છે. શુ કામ? ખબર છે ? ફક્ત અને ફક્ત ભૌતિકવાદી… તુચ્છ જીવનનો આનંદ માણવા. કેમ કે હવે લોકોને ધાર્મીક વાતો સાંભળવી ગમતી નથી, દાદાઓ પણ અમિતાભના રવાડે ચડી ગયેલા છે ને જવાન સ્ત્રીઓની દોસ્તી કરવામાં. સૌ ને સાંજ પડે દ્વીઅર્થી કોમેડી, ડાન્સ, કાલ્પનિક ધારાવાહિનીઓ, ગીતો પિક્ચરો જોવાનો શોખ જાગ્યો છે, ટીવીએ અને ધન ની પ્રચુરતાએ આ નક્ખોદ વાળ્યુ છે. કોઈને પાસી ગીતા-ઉપનિશદો, બાઈબલ, કુરાન, કે ધાર્મીક વાતો જાણવાનો સમય જ નથી. જીવનની સચ્ચાઈ જાણવાની ફુરસદ નથી. અને માયાવી જાળમાં હવે તો સર્વ કોઈ ફસાઈ ગયેલા જ છે. કોને ખબર કાલે શું થવાનુ. વ્રુધ્ધોને જ ખબર નથી, તો યુવાનોની શી વાત કરવી. ચોરની મા…કોઠીમાં મોઢુ ઘાલીને જ રડે છે ને.
      હુ પણ આ મહિને ૧૧ તારીખ ૪૯ માં કુદ્યો છુ…જોઈએ પ્રભુ ની ઈચ્છા શું છે? આ તો માનવ માનવનો સ્વાર્થી પ્રેમ છે, આત્મિક પ્રેમ માં દુખ ન થાય…..

      Like

  10. શ્રી ગોવીંદભાઇ, લેખ તો વિચારપૂર્ણ રહ્યો, પરંતુ પ્રતિભાવો વળી વધુ વિચારપૂર્ણ રહ્યા !!
    લેખ એક વખત વાંચી અને ગળે ન ઉતર્યો !! પછી બહુ વિચાર કરતા અને આસપાસની બનેલી ઘણી ઘટનાઓને યાદ કરતા લાગ્યું કે આ લેખમાંથી માર્ગદર્શન મળે તો છે જ. સમાજની નક્કર હકિકતોને સ્વિકારવી જ રહી. ’જો’ સંતાનો વૃદ્ધોની યથાયોગ્ય સારસંભાળ ન રાખી શકતા હોય તો પછી લોકાલાજનાં ખોટા દંભને છોડી અને કોઇ સારા વૃદ્ધાશ્રમનું શરણ લેવું જ રહ્યું. આપણી પ્રાચિન સંસ્કૃતિમાં પણ આ સગવડ હતી જ. (વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમ) એટલે ’જમાનો ખરાબ આવી ગયો છે’ એવી કોઇ વાત પણ નથી.
    ભર્તૃહરિએ તેમના વૈરાગ્યશતકમાં પણ આવો જ ઉલ્લેખ કરેલો છે, જો કે ત્યારે કદાચ આજ જેવી વૃદ્ધાશ્રમોની સગવડ કે વૃદ્ધાશ્રમો ચલાવનાર સેવાભાવી લોકો નહીં હોય (નથી લાગતું કે જમાનો પહેલા કરતા ઘણો સારો છે ?) તેથી તેમણે ’શ્વાનની જેમ અપમાનો સહન કરી અને સંસારમાં પડ્યા રહેવા કરતા’ સંન્યાસ ગ્રહણ કરી જાતને કુદરતને ખોળે મુકવાની તરફેણ કરી છે. (ટુંક સમયમાં, વાંચનયાત્રા પર, આપને આ શતક પણ વાંચવા મળશે)
    જો કે સમાજ અને સમાજશાસ્ત્રીઓ આ બાબતે હજુ વધુ સારો માર્ગ દર્શાવી શકે તો ઉત્તમ બાકી ત્યાં સુધી, બાળકોને જેમ ’ન છુટકે’ ઘોડીયાઘરોમાં મુકવા તે નિંદનીય નથી લેખાતું તેમ વૃદ્ધોએ પણ ’ન છુટકે’ વૃદ્ધાશ્રમમાં રહેવું પડે તે, બન્ને પક્ષે, નિંદનીય ન જ લેખાવું જોઇએ.
    આપનો અને શ્રી રમણભાઇનો આભાર.

    Like

  11. આપનો લેખ સરસ છે . તેમાં પણ જે વડીલો પોતાનું માન જાળવવું પોતાના જ હાથમાં છે તે તદન સાચી વાત છે..સમરૂપ અને સમભાવ રાખી બે પેઢી સાથે રહે તો તેના જેવું ઉત્તમ બીજું કૈજ નથી પણ જો તે શક્ય ન બને તો મન તૂટે તે પહેલા સમજણથી વૃધ્ધાશ્રમ સ્વીકારવો તેમાં આમ જોઇએતો આપના વેદ-પુરાણ માં આવતી મોટી ઉમરે વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવા જેવી જ વાત છે…..
    મેં જોયું છે કે વૃદ્ધાશ્રમની મુલાકાતે આવતા લોકો દયાભાવ કે બીચારાપણા ની દ્રષ્ટિએ ત્યાં રહેતા વૃધ્ધોને જોતા હોય છે તે જ્યાં સુધી નહી બદલાય ત્યાં સુધી સ્વેચ્છાએ જવા કેટલા તૈયાર થશે…???
    મેં ઘણા એવા પણ જોયા છે જે તેમની વેદના કે પીડા ને ખુરેદીને કોઈ કથાબીજ શોધતા હોય…!!! પણ સાથે મને એ પણ લાગે જ છે કે જો વડીલ મિત્રો સંતાનોના ઘરમાં જ રહીને તેમના બાળકોને પ્રેમ , વાત્સલ્ય અને હુંફ આપે તો તેના જેવું ઉત્તમ બીજું કઈ જ નથી…કદાચ કુમળી વયના બાળકોની તકલીફો ઘણી ઓછી થઇ જાય કારણ કે આજના જમાના માં જયારે માં-બાપ બન્ને ને કમાવાની જવાબદારી હોય ત્યારે તેમાં ભીંસાતા બાળકો માટે બા-દાદા ઉત્તમ સાથી બની રહે… વડીલ મિત્રોએ પણ પોતાના સંતાનો ના સંતાન ને ઉછેરવામાં મદદ કરવામાં નાનમ ન અનુભવવી જોઈએ . આપના પ્રતિભાવ જણાવશો.

    Like

  12. સુંન્દર લેખ. રમણભાઇ હવે બારડોલીના ઘરની માયાથી મુક્ત થઇ ગયા?

    Like

Leave a comment