અસાધારણ બનાવો માટે અસાધારણ પુરાવા જોઈએ

અસાધારણ બનાવો માટે અસાધારણ પુરાવા જોઈએ

પ્રા. ધવલ મહેતા

જગતમાં મોટા ભાગના લોકો દૈવી કે પારલૌકીક શક્તીમાં વીશ્વાસ ધરાવે છે. ભારતમાં આમ ખાસ બની રહ્યું છે. લાખો લોકો ગુજરાતમાં અમ્બાજીનો પગપાળો પ્રવાસ કરે છે તેને આપણે ‘રીલીજીયસ ટુરીઝમ’ કહી શકીએ. ઘણા લોકો માતાજી ઉપરાન્ત ગણપતી કે નાગદેવતાની પણ ગુઢ શક્તીમાં વીશ્વાસ ધરાવે છે. ગણપતી ઉત્સવ મહારાષ્ટ્રના નેતા બાળગંગાધર તીલકનું ‘રાજકીય ઈનોવેશન’ હતું. વીજ્ઞાન માનવજાતને જે તાકાત આપે છે તેનાથી આ ગુઢ તાકાત વધુ પવીત્ર અને આધ્યાત્મીક ગણાય છે. વીજ્ઞાનની શક્તી આસુરી ગણાય છે. તે માત્ર કાર્યકારણના સીદ્ધાન્તને આધારે જ તાકાત ઉભી કરી શકે છે. જ્યારે ગણપતી, સાંઈબાબા, શંકર, રામ કે કૃષ્ણની પુજા દ્વારા આધ્યાત્મીક તાકાત ભક્તજનોમાં ઉભી કરાય છે તેવો ઘણા દાવો કરે છે. વીજ્ઞાનની આસુરી તાકાત  કરતાં આધ્યાત્મીક તાકાત ચઢીયાતી ગણાય છે. ફરક માત્ર એટલો જ કે  વીજ્ઞાનની તાકાત માપી શકાય છે, જ્યારે આધ્યાત્મીક તાકાતને માપી શકાતી નથી અને તેને અનુભવનારા તે ગુઢ તાકાત હોવાનો દાવો કરે તો તે માન્ય રાખવો પડે છે.

મન્ત્રના જપ જપવાથી ગુઢ તાકાત ઉભી થાય છે અને ભક્તજન તે અનુભવે છે તે દાવામાં કેટલું સત્ય છે તે જાણી શકાયું નથી. મન્ત્ર એક પ્રકારનું ‘ઓટો સજેશન’ છે અને વારંવાર એક જ શબ્દોનું રટણ કરવાથી મન કોઈ પણ ‘સજેશન’ માટે તૈયાર થઈ જાય તેવી એક શક્યતા છે. મોટા ભાગની ધાર્મીક માન્યતાઓમાં ભગવાનનું રટણ કરવું તેવી સુચનાઓ અપાય છે. દુનીયાના દરેક ધર્મના પાયામાં ચમત્કારો રહેલા છે. ઈસુ ખ્રીસ્ત મૃત્યુ પામેલા તે સજીવન થયા અને કૃષ્ણે અર્જુનને વીશ્વરુપ દર્શન કરાવ્યું કે  કૃષ્ણે  મોં ખોલ્યું અને માતા જશોદાને તેમાં સમગ્ર વીશ્વ દેખાયું એવી ઘણી ચમત્કારીક માન્યતાઓ પ્રસીદ્ધ છે અને તે લોકોએ સ્વીકારી છે તે પણ એક ચમત્કારીક ઘટના ગણી શકાય. ઈસ્લામ અને બૌદ્ધ ધર્મમાં પણ અનેક ચમત્કારો છે અને આદીવાસીઓની માન્યતાઓ તો ચમત્કારો– ખાસ કરીને ભુત-પ્રેત, ડાકણ વગેરેના ચમત્કારો કે ભયોથી ભરપુર છે. દુનીયાના દરેક ધર્મના સંતો, સાધુઓ, યોગીઓ, ઓલીયા, પાદરીઓ, લામાઓ, ફકીરો વગેરે પાસે ચમત્કારીક શક્તી હોય છે તેવું સામાન્ય જનતા દૃઢપણે માને છે, તેઓ આ શક્તી ભગવાનની ભક્તી દ્વારા કે ઈશ્વરના વરદાન દ્વારા પ્રાપ્ત કરે છે.

યોગીઓ અને તાંત્રીકો  કહેવાતી આ શક્તી ઈશ્વરના વરદાન દ્વારા નહીં; પરંતુ યૌગીક સાધના દ્વારા કે તંત્રમંત્ર દ્વારા પ્રાપ્ત કરે છે તેમ મનાય છે. શ્રદ્ધાળુઓના કમભાગ્યે આવી એક પણ શક્તીની વૈજ્ઞાનીક સાબીતી નથી અથવા તો તે વૈજ્ઞાનીક કસોટીમાંથી પાર ઉતરતી નથી. ચૌદમી, પંદરમી અને સોળમી સદીના યુરોપમાં પણ ડાકણો(વીચક્રાફ્ટ)ની માન્યતા હતી અને તેઓ પ્લેગ, શીતળા, બળીયા જેવા રોગો દ્વારા કરોડો લોકોનો નાશ કરે છે, પ્રજાજનોના તથા પશુઓના અકાળે મૃત્યુ લાવે છે, માણસોને બીજી રીતે પણ પાયમાલ કરી નાખે છે તેવી માન્યતાને લીધે લાખો ‘ડાકણો’નો નાશ કરવામાં આવ્યો. યુરોપમાં અને દુનીયામાં સર્વત્ર  માત્ર સ્ત્રીઓ જ કેમ ડાકણો હોય અને પુરુષો કેમ ના હોય તે માન્યતાનો જવાબ મળતો નથી. અલબત્ત, પુરુષો ભુત કે પીશાચ થઈ શકે છે; પરન્તુ તેઓ ડાકણો જેટલા વીનાશકારી હોતા નથી તેવી માન્યતા છે. સોળમી અને સત્તરમી સદીમાં વીજ્ઞાનનો ઉદય થયો અને તે પછી ગામડાંઓ, નગરો અને શહેરોમાં વીજળી (તે પહેલાં મીણબત્તી અને ગેસલાઈટ) આવી તે પછી ભુત-ડાકણોનો ઉપદ્રવ ઓછો થયો જણાય છે.

વીજ્ઞાનની પહેલાં સમગ્ર માનવજાત જેને આપણે ‘મેજીકલ બીલીફ્સ’ કહીએ તેનાથી પીડાતી હતી. હજી પણ ભારતના કરોડો લોકો યજ્ઞો દ્વારા વરસાદ લાવવા મથે છે, પ્રાર્થના દ્વારા રોગો મટાડવા માગે છે અને ‘સીદ્ધીવીનાયક’ની પુજા દ્વારા સમૃદ્ધી લાવવા પ્રયત્ન કરે છે તેને આપણે આપણી પ્રાથમીક (પ્રીમીટીવ) અવસ્થામાં ઉભી થયેલી  ‘મેજીકલ બીલીફ્સ’ ગણી શકીએ. અમુક શ્રદ્ધાળુઓ તો પાણી ભરેલા કુંડામાં બેસીને વરસાદ લાવવા મન્ત્રોચ્ચાર કરે છે અને કાગડાને અણધારી ‘ફીસ્ટની મોજ’ કરાવવાથી તે પુર્વજોને પહોંચશે એમ માને છે તેને પણ આપણે ‘મેજીકલ થીંકીંગ’નો એક ભાગ ગણી શકીએ. મેજીકલ થીંકીંગ એટલે  કુદરતના કાર્યકારણના નીયમોથી કંઈક જુદા જ બનાવો ઉભા કરવાનું ચીંતન અને તેમાંથી ઉભું થતું ઍકશન, શહેરી કલ્ચર, લાંબાગાળાનું શાળા-કોલેજજીવન, છાપાંઓ અને મેગેઝીનો, ટેલીફોન, ઈન્ટરનેટ અને આધુનીક પ્રકાશ–વ્યવસ્થા (લાઈટીંગ) વગેરેને લીધે મેજીકલ થીંકીંગ થોડુંક ઘટ્યું છે; પરંતુ આફ્રીકાની ઘણી જાતીઓમાં અને જંગલની અંદરના ભાગમાં રહેતા ભારતના આદીવાસીઓમાં તે હજી ચાલુ છે. તેમ છતાં ભારતનો લગભગ દરેકેદરેક નાગરીક એમ માને છે કે આ દેખાતી વાસ્તવીકતા પાછળ કોઈ ઉંડી વાસ્તવીકતા છે, તેની તાકાત જોઈ શકાતી નથી, તે આધ્યાત્મીક છે અને પછી દરેક જણ ઉમેરે છે કે તમે એને કુદરત કહો અમે એને ઈશ્વર કહીએ- તે બધું એક જ કહેવાય. કુદરતને નીયમો હોય છે અને તે માનવ પ્રયત્નો અને પ્રયોગોથી જાણી શકાય છે.  અત્યાર સુધી જે શક્તીઓ ગુઢ ગણાતી હતી. (લોહચુંબક, વીજળી, ગુરુત્વાકર્ષણ, અણુના પાર્ટીકલ્સને બાંધી રાખતો સ્ટ્રોંગ ફોર્સ તથા રેડીયોએક્ટીવ વીઘટન કરતો વીક ફોર્સ) તેને વીજ્ઞાન જાણી શક્યું છે અને તેમાં એને કશું આધ્યાત્મીક તત્ત્વ જડ્યું નથી. આ આધ્યાત્મ બહું જ ઉંડે કદાચ માનવીની અંદર તેની કલ્પનામાં છુપાયેલું હોવું જોઈએ !!

પરન્તુ જેને આપણે પેરાનોર્મલ એટલે કે કશી અસાધારણ શકતી વીશેની માન્યતાઓ કહીએ છીએ તે દુનીયાના દરેક સમાજમાં જોવા મળે છે. કદાચ માનવ સર્વાઈવલ માટે માનવના મગજમાં જ આધ્યાત્મનું વાયરીંગ થઈ ગયું હોય તે સંભવ છે, પરન્તુ આધ્યાત્મનું વાયરીંગ થવાનો શો અર્થ કરવો તે સ્પષ્ટ નથી. માણસમાત્રને ઉંઘ આવે અને તેમાં સ્વપ્નો પણ આવે અને સ્વપ્નામાં મૃત સમ્બન્ધીઓ પણ દેખાય. આ કારણે કદાચ માનવજાતમાં ‘સ્પીરીટ’ એટલે કે કોઈ પ્રકારના આત્માનો ખ્યાલ ઉભો થયો હોય તેમ જણાય છે. માણસે જીવન્ત શરીર જોયું હોય અને તે પછી મૃત શરીર જોયું હોય અને બન્ને વચ્ચેનો તફાવત જોયા પછી શરીરમાં કોઈ ચૈતન્યતત્ત્વ છે તેવો ખ્યાલ પણ ઉભો થયો હોય. એક શાયરે લખ્યું છે કે,  “શ્રદ્ધા હો તો પુરાવાની શી જરુર છે. કોઈ એક ધાર્મીક ગ્રંથમાં ક્યાં ઈશ્વરની સહી છે ?” આ શાયર આપણને મધ્યયુગમાં લઈ જવા માગે છે !!

વળી, કેટલાક લોકો પાસે પેરાનોર્મલ શક્તી એટલે કે અલૌકીક શક્તીઓ હોય તેવા દાવા વારંવાર થાય છે. કેટલાક સાધુઓ કે યોગીઓ પરકાયાપ્રવેશ કરી શકે છે અને ભવીષ્યમાં શું થશે તેની આગાહી કરી શકે છે, હવામાં ઉડી શકે છે કે પાણી ઉપર ચાલી શકે છે કે સામાના મનની ઈચ્છા પુરી કરી શકે છે કે હાથના સ્પર્શથી રોગ મટાડી શકે છે તેવું સામાન્ય માનવી માને છે. આમાંની કોઈ પણ માન્યતાના વૈજ્ઞાનીક પુરાવા નથી તેના પુરાવા નક્કર આધાર વીનાના તેમને ‘કલ્પના’ કે ‘ફેન્ટસી’ ગણવી જોઈએ. પશ્વીમ જગતની વાત કરીએ તો રશીયાના રાસ્પુટીન પાસે કેટલીક અલૌકીક શક્તી હતી, જેની કોઈ સાબીતી નથી. પશ્વીમ જગતમાં એક માન્યતાએ પચાસ વર્ષ પહેલાં ચકચાર જગાવી હતી તે યુએફઓની હતી. જેમાં બ્રહ્માંડમાંથી કોઈ સ્થળે ત્યાંના રહેવાસીઓ પૃથ્વીની મુલાકાત લે છે તે અંગેની માન્યતા હતી. આ માન્યતા અંગે કોઈ નક્કર પુરાવા પ્રાપ્ત થયા નથી. પ્લાન્ટેચ કે અન્ય રીતે મૃતાત્માઓને બોલાવવાની કે તેમની સાથે વાત કરવાની માન્યતાઓ હવે મરી ચુકી છે. જ્યોતીષ એક નકરું જુઠાણું હોવા છતાં તેમાં કરોડો લોકો માને છે તે માનવજાતની વીચીત્રતા દર્શાવે છે. નવયુગ નવી (ખોટી) માન્યતાઓ ઉભી કરે છે, જેમ કે વાસ્તુશાસ્ત્ર કે ફેંગશુઈ. આ બધી ખોટી માન્યતાઓ માટે એક જ સીદ્ધાંત યાદ રાખવો: ‘એકસ્ટ્રા ઓર્ડીનરી ઈવેન્ટ્સ રીક્વાયર એકસ્ટ્રા ઓર્ડીનરી એવીડન્સ’ અસાધારણ બનાવો (કે શક્તીઓ) માટે અસાધારણ રીતે નક્કર પુરાવા જોઈએ. પરન્તુ કોઈ ચમત્કારો વૈજ્ઞાનીક ચકાસણીમાંથી પસાર થયા નથી.

પ્રા. ધવલ મહેતા

મે, 2010ના પ્રકાશીત થયેલા ‘વીવેકપંથી’, મુમ્બઈ (તન્ત્રી ગુલાબ ભેડા – 2/C/1-Asmita Mogra, Dutta Jagdamba Marg, Sher-e-Punjab Colony, Andheri(East) Mumbai-400 093 Phone- 022-2838 8891)ના 99મા અંકમાંનોઆ લેખ વીવેકપંથી’ની તેમજ લેખકની પરવાનગી અને સૌજન્યથી સાભાર

●● લેખક–સંપર્ક

પ્રા. ધવલ મહેતા

બી-13, કોનાર્ક – કરીસ્મા એપાર્ટમેન્ટ, રેણુકા હોલ સામે, વસ્ત્રાપુર, અમદાવાદ-15 ફોન નંબર: 079 2675 4549

ઈમેઈલ: dhawalanjali@yahoo.com

●●●●●●લેખક પરીચય

વીદ્વતા જ જેનું વ્યક્તીત્વ છે તેવા સમન્વયકારી પ્રાધ્યાપક  ધવલ મહેતાને વાંચવા અને સાંભળવા તો ઠીક; પણ સમજવા માટે એક વીશીષ્ટ દૃષ્ટી જોઈએ. તેમનું લેખન અને વક્તવ્ય એટલું આધારભુત હોય છે કે જેને પડકારવું લગભગ અશક્ય. પુરાવા વીનાની કોઈ વાત કદી લખે પણ નહીં અને બોલે પણ નહીં. આપણે એમને પ્રખર પંડીત કહી શકીએ. લેખક એમ. કોમ. ફર્સ્ટક્લાસ, એમ. એ. (ઈકોનોમીક્સ) અને એમ. બી. એ. (યુનીવર્સીટી ઓફ મીનેસોટા, યુ.એસ.એ.), પોસ્ટ ગ્રેજ્યુએટ આઈ.ટી.પી. (હાવર્ડ યુનીવર્સીટી) અમેરીકામાં ત્રણ વર્ષ અધ્યયન (જ્યોર્જ વૉશીંગ્ટન યુનીવર્સીટી અને હેમ્પટન યુનીવર્સીટી), વર્જીનીયા યુ. એસ. એ., મેથડ્ઝ એન્ડ પ્રોસીજર્સ એડવાઈઝર-શીકાગો-રીડ હોસ્પીટલ શીકાગો, એમ. એસ. યુનીવર્સીટીમાં કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં હેડ ઓફ ડીપાર્ટમેન્ટ, ડાયરેક્ટર અને પ્રૉફેસર બી. કે. સ્કુલ ઓફ બીઝનેસ મેનેજમેન્ટ, સીન્ડીકેટ મેમ્બર : બરોડા યુનીવર્સીટી ટીચર્સ એસોસીએશન અને ગુજરાત યુનીવર્સીટી  ટીચર્સ એસોસીએશનના પ્રમુખ. જો તમે સંગીતરસીયા હો તો આ મહાવીદ્વાન પાસે પંકજ મલીકનાં જુનાં ગીતો સાંભળવાનો લાભ પણ લેવા જેવો છે. ધવલ મહેતા અને વીદુષી પત્ની અંજલીબહેન ખરેખરું રૅશનલ જીવન – પુર્ણ સ્વસ્થ જીવન, સ્વતંત્રતા, સ્વસ્થતા અને સુવ્યવસ્થામાં જીવી રહ્યાં છે. એ દમ્પતીને આદર્શ રૅશનાલીસ્ટ દમ્પતી તરીકે જરુર આગળ કરી શકાય. તે આપણા માટે ગૌરવની વાત છે.

ગુલાબ ભેડા

●●●●(તારીખ ૧૨–૧૩ જુન ૨૦૧૦ના દીનોમાં મુમ્બઈમાં મળેલા રૅશનાલીસ્ટ સમ્મેલન’માં વક્તાઓના પરીચય આપવામાં જ ઘણો સમય ન વપરાય અને બચેલો સમય વક્તાને સાંભળવા–સમજવામાં જ વપરાય તે હેતુસર તૈયાર કરેલી અને સમ્મેલનમાં સૌને આગોતરી આપેલી ‘પરીચય પુસ્તીકા’માંથી..સાભાર

વીવેકપંથી’ રૅશનલ વીચારોનું માસીક (વાર્ષીક લવાજમ માત્ર રુપીયા 100/-) હવે વેબસાઈટ પર વાંચવા માટે પણ ઉપલબ્ધ છે. જેની લીન્ક નીચે મુજબ છે:

http://sites.google.com/site/vivekpanthi/home

http://sites.google.com/site/vivekpanthi/

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા, જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને નીરાન્તે મમળાવવા મન થાય કે મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર એક મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુનવસારી

પોસ્ટ તારીખ 19/06/2010

34 Comments

  1. પ્રો. ધવલ મહેતાના વિચારો સાથે સંમત થયા વિના ચાલે એમ જ નથી. ચમત્કારની આશા રાખનાર વ્યક્તિ એમ માને છે કે કઈં પણ બની શકે. પરંતુ (ભગવાનમાં વિશ્વાસ હોય તો) એ વાત પર કદી ધ્યાન જતું નથી કે બાવળ પર કદી ગુલાબ ઊગતું જોયું નથી! આનો અર્થ એ કે ભગવાને સૃષ્ટિની રચના કરી અને એને ચલાવવા અમુક વ્યવસ્થા ઘડી. તે પછી ભગવાને પોતે પણ એ નિયમો મન-મરજીથી તોડવાનું આજ સુધી તો કર્યું નથી! બાવળ પર ગુલાબ એ તો ચમત્કાર કહેવાય. પણ એવો ચમત્કાર આજ સુધી કેમ થયો નથી? કોઇ કહે કે પ્રાર્થનામાં ચમત્કાર કરવાની શક્તિ છે, તો પ્રાર્થના કરી જુઓ ને, કે “હે ભગવાન, મારા બાવળિયા પર ગુલાબ ઉગાડી દે!”… પછી જુઓ, પ્રાર્થના ફળે છે કે નહીં? ભગવાનમાં માનતા હોઈએ તો પણ આ વાત માનવી જ પડશે કે ભગવાન પોતે બનાવેલા નિયમોમાં દખલ દેતો નથી. એટલે ચમત્કાર થવાની શક્યતાનો આપણે ઇન્કાર કરવો જોઇએ.
    જેને આપણે ’ભગવાને બનાવેલા નિયમો’ કહીએ છીએ તે તો બરાબર વિચારતાં સમજી જવાશે કે એ તો સાયન્સના જ નિયમો છે! આ નિયમો પ્રાર્થના દ્વારા બદલાતા નથી. સાયન્ટિફિક દૃષ્ટિકોણ વિસ્તરવાની સાથે અધ્યાત્મનું ક્ષેત્ર સંકોચાતું જાય છે, એ તો આપણો સૌનો અનુભવ છે.

    Like

  2. પ્રાધ્યાપક ધવલ મહેતાનો આ લેખ ખૂબ ગમ્યો…
    જેને જાગવું હોય તો જાગી જાઓ.. બાકી …!!
    ગોવિંદભાઈ,
    તમે સરસ લેખોને ચૂંટીને બ્લોગ પર મૂકી રહ્યા છો. ધન્યવાદ.

    Like

  3. શેના ચમત્કાર?અતો ધંધો છે મુર્ખ લોકો પાસે થી પૈસા બનાવવાનો.મારે એક બાવા જોડે ઝગડો થયેલો,પૈસા માંગતો હતો.આમેય મને રખડતા ભટકી ખાતા બાવાઓ પ્રત્યે સખત નફરત.મને કહે મૂઠ મારુંગા લોહી કી ઉલટી કરા દુંગા.મેં યુવાની માં નકલ ઉપર મુઠ્ઠી વાળી ને પુશ અપ (દંડ)બહુ કરેલા.મેં કહ્યું ઇસમે તો દેર લગેગી,લેકિન મૈ એક પંચ મારુંગા તો તુજે તત્ક્ષણ લોહી કી ઉલટી કરા દુંગા.એ પછી ભાગી ગયો.પણ બીજા આજુબાજુ સગાવહાલા ઉભેલા તે ડરી ગયેલા કે આ બાવો મૂઠ મારશે તો પ્રોબ્લેમ થશે.મેં કહ્યું મને કઈ નહિ થાય.હજુ જીવું છું.મેં મારા ત્રણે છોકરાઓ ને કદી દોરા ધાગા કે બાધા આખડી કર્યા વગર જ મોટા કર્યા છે.મેં કદી મેંશ નું ટપકું પણ કરવા દીધું નથી.તમે ડર્યા તો ગયા.તમારી અંદર ના ભય નો આ લોકો બાખૂબી ઉપયોગ કરે છે.સરસ લેખ છે.

    Like

  4. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા નું દદ્વ યુદ્ધ સદીઓથી ચાલતું આવ્યુ છે..અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘટુયું છે..પણ એનું પૂર્ણવિરામ કદી નહી આવે..વિજ્ઞાન અને ધર્મ ઘણીવાર સજોડે જાય છે…જેવા સસુર્યોદય પૂજા..સૂર્યા. વીકમાં એક દિવસનો અપવાસ….પણ આપણે ઘણીવાર એનો માત્ર..ધર્મ માની…પૂર્ણ..મળશે અને આગળ જતાં ..એ કદાચ અંધશ્રદ્ધામાં પરિણમે!

    આ લેખ ઘણોજ સુંદર લઈને આવ્યા છો.

    Like

  5. આ લેખમાં લખાયેલા ફક્ત એક વાક્ય વિશે મારો પ્રતિભાવ લખું છું:

    પ્રા. ધવલ મહેતા: “શ્રદ્ધાળુઓના કમભાગ્યે આવી એક પણ શક્તીની વૈજ્ઞાનીક સાબીતી નથી અથવા તો તે વૈજ્ઞાનીક કસોટીમાંથી પાર ઉતરતી નથી.”

    ખોટી વાત છે. પુરાવાઓ છે, તમે અભ્યાસ ન કરો તો ભૂલ કોની?

    વાંચો સ્વામી રામે મેનીંજર ફાઉન્ડેશન, ટોપેકા, કાન્સાસના વૈજ્ઞાનિકો અને પ્રોબ મૅગેઝિનના પત્રકારો સમક્ષ કરી બતાવેલા કેટલાક ચમત્કારોના પુરાવા તેમજ બ્રીટાનિકા યરબૂક, ૧૯૭૩માં લેવાયેલી એની નોંધ:

    Click to access swami-rama-beyond-biofeedback.pdf

    Click to access swamiramaprobe1973.pdf

    Click to access swami-rama-britannica-1973.pdf

    પરમહંસ યોગાનંદના શરીરમાં મૃત્યુ પછી ૨૦ દિવસ પણ કોઈપણ જાતનો સડો લાગ્યો ન હતો: (ટાઈમ્સ મૅગેઝીન, ૧૯૫૨)

    http://en.wikipedia.org/wiki/Paramahansa_Yogananda#Bodily_incorruptibility

    તર્કશાસ્ત્રનો એક મહત્વનો નિયમ યાદ અપાવું. કોઈ પણ સિદ્ધાંતમાં ફક્ત એક જ, I repeat, ફક્ત એક જ અપવાદ છે એમ બતાવીએ તો એ સિદ્ધાંત ખોટો સાબિત થઈ જાય છે. અહીં તો એક કરતાં ઘણાં વધારે પુરાવા છે. શું એ રૅશનાલિસમની અધૂરપ સાબિત કરવા માટે પૂરતા નથી?

    પુરાવા નથી એમ કહેનારા તમામ રૅશનાલિસ્ટોએ પોતાને પૂછવા જેવો સવાલ છે કે પુરાવાઓ સામે આવે ત્યારે એમને સ્વીકારવામાં ક્યાંક આપણી પોતાની શાહમૃગ વૃત્તિ તો વચ્ચે આવતી નથીને!

    ગોવિંદભાઈ આ પુરાવાઓ વિશે “કંઈક” લખજો! બે જ સંભાવનાઓ છે. કાં સ્વીકારવું પડે કે રેશનાલિસમથી પરે કંઈક હોવાની સંભાવના છે અથવા અન્ય પુરાવાઓ સાથે થાય છે એમ; ટાઈમ્સ મૅગેઝીન, બ્રિટાનિકા યરબૂક, મેનીંજર ઈન્સ્ટીટ્યુટ જેવા લબ્ધપ્રતિષ્ઠ અને વિશ્વસનીય સંદર્ભો હોવા છતાં પણ; આ બધા પુરાવા પણ ખોટા છે એમ કહીને છૂટા થઈ જાઓ.

    આ જ લખાણ મેલ દ્બારા પ્રા. ધવલ મહેતાને મોકલી આપ્યું છે.

    Like

  6. અંધશ્રધ્ધા એ આત્મવિશ્વાસ વગરની વ્યક્તિઓને રાહત આપતી અકસીર દવા છે. આત્મવિશ્વાસ વગરની વ્યક્તિઓ માટે ઈશ્વરની કલ્પના એક આશ્વાસન છે અને તેનું સતત રટણ એટલે પલાયનવાદ. બીજું કંઈ ન વિચારવા માટેનું એક સર્વ સ્વીકાર્ય બહાનું! અથવા અતિવિચારોથી લાગતા થાકથી મનને રાહત આપવાની તરકિબ. “આત્મા એ જ પરમાત્મા” માની આત્મા સાથે સંવાદ સાધી શકાય તો પરમાત્માની આવશ્યકતા પૂરી થઈ જ રહે છે. આત્મશક્તિ અદૃશ્ય છે તેથી જલ્દી ઓળખી શકાતી નથી અને તેથી તેની સાથે મનનું જોડાણ કરવાનું અઘરૂં પડવાને કારણે ઈશ્વરને માધ્યમ બનાવનારા લોકોને સાવ ખોટા ન પાડી શકાય. જેમને માધ્યમની જરૂર પડતી હોય તેમને માટે ઈશ્વર એ માધ્યમ છે. પ્રબળ અંધશ્રધ્ધા હોય ત્યાં આ માધ્યમ પણ નિષ્ફળ નીવડે છે અને આત્મશક્તિનો ઉપયોગ થઈ શક્તો નથી. અને પ્રબળ આત્મવિશ્વાસ હોય ત્યાં આ માધ્યમની જરૂર જ નથી. મોટાભાગના લોકો આ બે અંતિમો વચ્ચે હોઈ ઈશ્વરના માધ્યમ થકી જ જાત સાથે સંવાદ સાધવાનો પ્રયત્ન કરતાં રહે છે. એમને રોકવાથી કોઈ ફાયદો નથી કારણ કે જિંદગીના શરૂઆતના(બાળપણના) વર્ષોમાં સંસ્કારોના જે બીજ રોપાયા હોય તેના મૂળીયા દૃઢ અને ફેલાયેલા હોય છે. દુ:ખ વગર તે મનમાંથી નીકળવા મુશ્કેલ હોવાથી કોઈ તે તસ્દી લેવા કે આપવા તૈયાર નથી હોતું. પ્રેરણાદાયક ચર્ચાઓનો ફાયદો પણ વિરોધ ન હોય ત્યારે જ થાય છે.

    Like

  7. ધવલભાઈ મહેતાનો સરસ આર્ટિકલ,
    વચ્ચે એકવાર ટી.વી ચૅનલ પર એક ગામડામાં મંદિરના શિખર પર સિક્કા ચોટતા હોવાનો ચમત્કાર જોયો હતો…મેં પણ આ પ્રયોગ મારી ઘરે કરી જોયો.રસોડામાં જઈને પાંચ સિક્કા એક સાથે ચોંટાડ્યા,,,મેં સિક્કા ચોટાડવા કોઈ પ્રદાર્થનો ઉપયોગ કર્યો નથી..અસાધારણ ચમત્કાર ઢોંગી લોકો કરતા હોય છે તેવા જ ચમત્કાર એક જાદૂગર કરી શકે છે…જે જાદૂગર જાતે જ કહે છે કે ‘જાદૂગરી વૈજ્ઞાનિક સિદ્ધાંત પર કાર્ય કરે છે…તેમા માત્ર હાથની સફાઈ સિવાય કશું નથી’…ડૉ.સનલ આજકાલ ટી.વી ચૅનલો પર આવા પાખંડો ખૂલ્લા પાડવાના કાર્યો કરી રહ્યા છે..
    ભુપેન્દ્રભાઈએ મુક્કો મારવાની વાત જોરદાર કરી છે.. 🙂

    Like

  8. શ્રી ગોવિંદભાઈ,
    બે મિત્રો – રેખાબહેન અને ભાઈ હેમંત પૂણેકર – ની ટિપ્પણીઓ ખરેખર ચર્ચાને આગળ વધારે છે. રેખાબહેન કહે છે: “અંધશ્રધ્ધા એ આત્મવિશ્વાસ વગરની વ્યક્તિઓને રાહત આપતી અકસીર દવા છે. આત્મવિશ્વાસ વગરની વ્યક્તિઓ માટે ઈશ્વરની કલ્પના એક આશ્વાસન છે અને તેનું સતત રટણ એટલે પલાયનવાદ” એમણે થોડામાં ઘ્ણું કહી દીધું છે. મુખ્ય વસ્તુ જ આત્મવિશ્વાસ છે. પરંતુ રેખાબહેન તમારા એક કથન પર હજી વધારે વિચાર કરવાની જરૂર લાગે છે. તમે કહો છો: ” શરૂઆતના(બાળપણના) વર્ષોમાં સંસ્કારોના જે બીજ રોપાયા હોય તેના મૂળીયા દૃઢ અને ફેલાયેલા હોય છે. દુ:ખ વગર તે મનમાંથી નીકળવા મુશ્કેલ હોવાથી કોઈ તે તસ્દી લેવા કે આપવા તૈયાર નથી હોતું.” આ વાત સાચી હોવા છતાં આપણે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે આપણે ઘણી માન્યતાઓ કશા જ દુ:ખ વગર પડતી મૂકી જ છે ને! અને આજના બધા નાસ્તિકો અથવા રેશનલિસ્ટ્સ પણ બાળપણથી જ નાસ્તિક કે રેશનલિસ્ટ નહોતા, કારણ કે બાળક માટે કોઈકનો આધાર લેવાનું જરૂરી છે. ’મારા કરતાં કોઈક વધારે સમર્થ છે’ એ વાત કદાચ બાળક સહજ રીતે સમજતું હોય છે. એને આગથી દૂર રહેવાનું શીખવીએ તો એ આપણી વાત માને છે. શક્ય છે કે આવી વૃત્તિમાંથીજ આખી સમાજવ્યવસ્થામાં આદેશનું, પરંપરાનું પાલન કરવાની ટેવ વિકસી છે. અને ઈશ્વરને પણ આપણે સર્વશક્તિમાન જ માનીએ છીએ ને? બે વર્ષનું બાળક ઈશ્વર વિશે વિચારતું નથી હોતું. એને આપણે મંદિર, મસ્જિદ કે ચર્ચમાં લઈ જઈએ તે પછી વિચારવા લાગે છે. આમ, ધર્મ અને ઈશ્વર સામાજિક સંપર્કનું પરિણમ છે.

    હેમંતભાઈએ જે લિંક મો્કલી છે તે બધા લેખો મેં રસપૂર્વક વાંચ્યા. સ્વામી રામની સિદ્ધિઓનો ઇન્કાર કરવાનો સવલ જ ઊભો નથી થતો અને કોઇ પણ રેશનલિસ્ટ એનો ઇન્કાર ન કરી શકે. રેશનલિસ્ટ કહે છે કે ખાલી દા્વા ન કરો. સ્વામી રામની સિદ્ધિઓને બિરદાવવા ઉપરાંત આપણે પ્રયોગધર્મી સાયન્ટિસ્ટોને પણ બિરદાવવા જોઇએ કે એમણે આ પ્રયોગ કર્યા. કોઈએ કહ્યું એટલે સાચું માની લેવા તૈયાર નહોતા! અને સ્વામી રામની પ્રશંસા એટલા માટે કરૂં છું કે તેઓ જાતે આવા પ્રયોગો કરવા આતુર હતા અને એમની સિદ્ધિઓને વિગ્નાનના માપદંડ પર ચડાવવા તૈયાર હતા. એમણે શરીર શું કરી શકે છે તે દેખાડી આપ્યું. હેમંતભાઇ કહે છે કે “સ્વામી રામે …કરી બતાવેલા કેટલાક ચમત્કારોના પુરાવા તેમજ…” પરંતુ સ્વામીએ શરીર પર નિયંત્રણની એમની સિદ્ધિ દેખાડી છે. તેઓ પોતે એને ચમત્કાર નથી માનતા, એ વાત ભૂલવી ન જોઇએ. શરીરથી ઘણૂમ થઈ શકે. એક માણસ મેરેથોન દોડની સ્પર્ધામાં જોડાઈ શકે, એવરેસ્ટ પર ચડી શકે, અને બીજો માણસ વાંકો વળે તો એને ફાંદ નડે! બધા બધું ન કરીશકે એ જ કારણ્સર એ ચમત્કાર ન બની જાય. વળી હેમંતભાઈએ મોકલેલા ૧૭ પાનાના લેખમાંથી જ એક વાત ટાંકું, જે બહુ ઉપયોગી થાય તેમ છે. સ્વામી અમેરિકાથી બાયોફ઼ીડબેક મશીનરી મંગાવવા માગે છે (પાનું ૧૭) એમનો ઉદ્દેશ છે:”..training young yogis and eliminating fakers.. અહીં લેખક કહે છે:”I gathered from him that one of the main problems in India is that some people are yogis only by repute and skillful con men can generate a huge following without ever having to perform.Physiological detectors would make short work of these people, he felt.” આમ સ્વામી સંપૂર્ણ રીતે સાયન્ટિસ્ટ હતા, એક ઉમદા વ્યક્તિ હતા, કારણ કે એમને ઠગારા યોગીઓના કહેવાતા ચમત્કારોનો ભંડો ફોડવાની ઇચ્છા હતી.ધતિંગ એમને પસંદ નહોતાં. ધતિંગની વિરુદ્ધ સાયન્સનો ઉપયોગ કરતા હતા.સ્વામી રામ રેશનલિસ્ટ હતા એમ જ કહી શકાય.

    Like

    1. દીપકભાઈ,

      મેં આપેલી લિન્ક્સ આપે રસપૂર્વક વાંચી એ જાણીને ખરેખર આનંદ થયો. પોતાની માન્યતાઓ કરતા તથ્યોને વધુ મહત્વ આપનારાઓ પૈકી આપ પણ એક છો એ ગમ્યું.

      જેમ અધ્યાત્મમાં અંધશ્રદ્ધાવાળા લોકો છે એવાજ વિજ્ઞાનમાં અંધશ્રદ્ધાવાળા લોકો પણ છે. રૅશનાલિસમને નામે અંતે અંધશ્રદ્ધા જ રાખવાની હોય તો મને મંજૂર નથી. મને એક પગલું આગળ જઈને હોલિસ્ટીક રૅશનાલિસમ એવો શબ્દ વાપરવાની ઈચ્છા થાય છે. હોલિસ્ટીક રૅશનાલિસમ એટલે કે જ્યાં
      ૧) પુરાવા પોતાની માન્યતા/ આજસુધીના પ્રસ્થાપિત વિજ્ઞાનથી તદ્દન વિરોધમાં હોવા છતાં એમનો સ્વીકાર કરવામાં આવતો હોય.
      ૨) એ આધારે પોતાની માન્યતાઓ/સમજણ બદલવા પ્રયાસ કરાતો હોય.
      ૩) જો પુરાવાને સમાવી લેતી સમજણ વિકસાવવી શક્ય ન હોય તો આજની સમજણમાં ક્યાંક કંઈક ખૂટે છે એવો સ્વીકાર હોય.

      રઈશભાઈનો આ શેર કેટલો પ્રસ્તુત છે એ જુઓઃ

      મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?
      ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ?

      શરીર પરના કાબુ ઉપરાંતની કેટલીક ઘટનાઓ ખરેખર ચમત્કારિક છે:

      ૧) બંધ આંખોએ કાગળ પરનું લખાણ વાંચી બતાવવું.
      ૨) હૃદય પાસે આવેલા ચક્રની તીવ્રતા એટલી વધારવી કે જેથી એનો પ્રકાશ નરી આંખે જોઈ શકાય.
      ૩) પરમહંસ યોગાનંદના શરીરમાં ૨૦ દિવસ સડો ન લાગવો.

      ચાલો એક મીનિટ માટે આ બધી વસ્તુઓને ચમત્કાર ન કહીએ તો પણ “અસાધારણ બનાવો માટેના અસાધારણ પુરાવા” તો કહી જ શકાય. જોઈએ, ગોવિંદભાઈ અને ધવલ મહેતા સાહેબ શું કહે છે?

      રહી વાત અંધશ્રદ્ધા નિર્મૂલન કે ઢોંગી બાબા/તાંત્રિકોનો વિરોધ કરવાની, તો એ બાબતે હું ગોવિંદભાઈ અને ધવલ મહેતા સાહેબ સાથે પૂર્ણપણે સહમત છું.

      Like

  9. પ્રિય હેમંતભાઈ,
    તમારો પ્રતિભાવ વાંચ્યો. તમે મારા માટે જે આદરભર્યા શબ્દો વાપર્યા છે તે બદલ આભાર.
    તમે માન્યતાઓ કરતાં તથ્યોને વધુ મહત્ત્વ આપવાની વાત લખી છે તે સ્વાભાવિક હોવું જોઈએ, છેવટે માન્યતાનો આધાર શું? તથ્યોની સાંકળ જ ને?આ સાંકળ એવી અદ્ભુત છે કે કડીઓ છૂટી જાય, તૂટી જાય, સાંકળ ક્શા જ આધાર વિના ટકી જાય છે અને કોરડો બનીને વિંઝાયા કરે છે.
    તમે હોલિસ્ટિક રેશનલિઝ્મ શબ્દ વાપરવા પ્રેરાઓ છો તે પણ બરાબર છે, પરંતુ રેશનલિઝમનો અર્થ જ એ છે કે આપણે તમામ પૂર્વ-માન્યતાઓનો ત્યાગ કરવા તૈયાર રહીએ. આઇન્સ્ટાઇન પહેલાનું ભૌતિક્શાસ્ત્ર જૂદું જ હતું અને એમણે બદલી નાખ્યું.આઇન્સ્ટાઇનના સિદ્ધાંત સાચા છે એવું પહેલાં તો પોલ એડિંગ્ટને સાબિત કર્યું. એમણે સૂર્યગ્રહણ વખતે જોયું કે આઈન્સ્ટાઇનના કહેવા મુજબ પ્રકાશ ગુરુત્વાકર્ષણની અસર નીચે માર્ગ બદલે છે.અને તે પછી એમણે આઈન્સ્ટાઇનને તાર કરીને અભિનંદન આપ્યાં! આ જ હોલિસ્ટિક રેશનલિઝ્મ છે. સ્વામી રામ વિશે હું કઈં જ જાણતો નહોતો પણ તમે મોકલેલા સાહિત્ય પરથી મને લાગ્યું કે એ scientific temperના માણસ હતા.
    રેશનલિસ્ટનો એવો દાવો નથી કે એની પાસે બધા જવાબો છે. તમે જે ચમત્કારો લખ્યા છે તે આજે સાયન્સ દ્વારા સમજાવી શકાય તેમ નથી, એ સાચું, પણ આવતીકાલે એ સ્થિતિ ન પણ રહે.
    ભુજ મારું વતન, ત્યાં એક મુસલમાન બહેન હતાં. ગરીબ અને મજૂરી કરે. પણ ગુરુવારે એમના શરીરમાં ’પીર આવતા એમ કહેવાતું. અમે પણ જોવા ગયા. બહેન માત્ર દર્દીઓને દવા આપતાં. એમણે પહેલાં જ કહી દીધું કે દવા માટે એક પૈસો તો ઠીક, અગરબત્તી પણ મૂકવી નહીં. પછી કચ્છીમાં બેત, નાતિયાકવ્વાલી (ભજનો) શરુ થયાં અને એ ધૂણવા લાગ્યાં. પછી અવાજ પુરુષ જેવો થઈ ગયો. અને વારાફ઼રતી દર્દીઓ એમની પાસે જાય અને બહેન એમની વાત સાંભળે અને હવામાં હાથ હલાવે એટલે દવા આવી જાય! અને તે પણ એલોપથીની! કોઈકને સિરપ તો કોઈકને ગોળીઓ. આનો અર્થ એ નહીં કે દર્દીઓ સાજા થઈ જતા હતા. એ તો દવાની અસર પર જ આધાર રાખે. આ વાત મેં એટલે લખી કે ખુદ મારી પાસે આનો જવાબ નથી. કોઈ મિત્ર કદાચ જાણતા હોય તો કહેશે. પરંતુ, વિગ્નાન પાસે આનો જવાબ હશે જે જાણવાનો મેં પ્રયત્ન જ નથી કર્યો! મારી આ ત્રુટિને હું વિગ્નાનની પણ ત્રુટિ માનું એ વાત મને ગળે ઊતરતી નથી.
    ભુજમાં જ એક સંપ્રદાય (નામ નહીં આપું)ના મહંત વિદ્યાર્થીઓને ચેલા બનાવતા. મારો એક મિત્ર મને લઈ ગયો. એમણે મને ત્રીજા જ દિવસે ખાસ મળવા આવવા કહ્યું. અંગત મુલાકાત માટે તો ભક્તોને છ છ મહિના રાહ જોવી પડતી! . મારી તો હાક વાગી ગઈ! હું મળવા ગયો. એમણે મારી ઇચ્છા પૂછી. ખાતરી આપી કે એમનું ગુરુપદ સ્વીકારીશ તો ઇચ્છાઓ પૂરી થશે. મેં કહ્યું કે ભગવાને મને બે હાથ, બે પગ અને એક મગજ આપ્યાં છે અને ઇચ્છા પૂર્તિ માટે હવે હું ભગવાનને તકલીફ઼ આપવા માગતો નથી. એમને મઝા ન આવી તો પણ મને ગુરુની માળા આપવાનું કર્યું. મેં એમનાં ચરણોમાં જ મૂકી દીધી. મેં કહ્યુ હું આપનો શિષ્ય બનવાને લાયક નથી કારણ કે મારું મગજ બહુ સ્વતંત્ર રીતે ચાલે છે.(ગુરુઓ પણ આપણી દુન્યવી ઇચ્છાઓમાંથી જ જન્મે છે!) બસ, ત્યારથી જીવનમાં શાંતિ અને સંતોષ છે.

    Like

  10. મિત્રો,
    ખાલી વિચારવાની મહાત્માઓએ કરેલી બંધ કરેલી બારીઓ ખોલો,તો એ બહુ છે.દીપકભાઈએ માળા પાછી મૂકી કેમ કે એમની બારી ખુલ્લી હતી.હમણા જ મેં બે આર્ટીકલ મારા બ્લોગ માં મુક્યા છે,”ધાર્મિક ક્રીમીનાલ્સ,સીરીયલ કીલર્સ”અને બીજો છે “ધર્મ અને નીતિમત્તા”.હજારો વર્ષોના ધર્મ ના શિક્ષણ હોવા છતાં અનૈતિકતા ઓછી થઇ છે ખરી?શ્રી અરવિંદ મહર્ષિ ની ડેડબોડી ને પણ સાચવી રાખેલી કે અતિમનસ ચેતના ઉતરવાની છે,પણ પછી ડેડબોડી માંથી વાસ આવવા લાગી એટલે પછી એની વિધિ કરી નાખી ને સમાધિ સ્વરૂપ આપી દીધું હતું.જસ્ટ ફોર નોલેજ લખું છું.

    Like

    1. “ખાલી વિચારવાની મહાત્માઓએ કરેલી બંધ કરેલી બારીઓ ખોલો,તો એ બહુ છે.”

      ભૂપેન્દ્રસીંહજી, આપની સાથે પૂર્ણપણે સંમત! ફક્ત એક ઉમેરો! મહાત્માઓએ બંધ કરેલી બારીઓ ખોલવાની સાથે સાથે વિચારવાની જે બારીઓ પર વિજ્ઞાને કે વિજ્ઞાન પરની અંધશ્રદ્ધાએ જે પડદો નાખી દીધો છે એ પણ ખોલી નાખો!

      ખોટા કિસ્સાઓ અંગે બુમરાણ મચાવનારાઓને મારો પ્રશ્ન છે કે યોગશક્તિના સાચા પુરાવા સામે આવે ત્યારે એમના હોઠ કેમ સિવાઈ જાય છે? મૃત્યુ બાદ વીસ દિવસ વીતી ગયા પછી પણ પરમહંસ યોગાનંદના શરીરમાં કોઈ જાતનો સડો નથી લાગ્યો એવું કેલિફોર્નિયાના મડદાઘરના ડાયરેક્ટરે નૉટરાઈઝ્ડ લેટરમાં જણાવ્યું હતું, આ આપની જાણ ખાતર!

      Liked by 1 person

  11. વિજ્ઞાન આનો પણ રસ્તો શોધી લેશે કારણ કે ભૌતિક વિશ્વમાં બધું ભૌતિક શાસ્ત્રના નિયમો પ્રમાણે ચાલે છે.બિગ બૅંગથી આ નિયમો શરૂ થયા, કાળની ગણતરી પણ. બિગ બૅંગ પાસે ભૌતિક વિજ્ઞાનના બધા નિયમો પડી ભાંગે છે.એટલે, જે કઈં ચમત્કાર જેવું જણાય તે આ નિયમોની બહાર ન હોઈ શકે. ભગવાન પણ ભૌતિક વિજ્ઞાનના નિયમોને માન આપતો જણાયો છે.આજ સુધી કોઈ નિયમ બદલાયો હોવાનું શાસ્ત્રો નથી કહેતાં અને આપણો પણ અનુભવ નથી – એટલે ભગવાન આ નિયમો (ઘડીને)નિવૃત્ત કે સંતુષ્ટ થઈ ગયો છે કે બધું બરાબર ચાલે છે. ભગવાન સર્વશક્તિમાન મનાય છે એટલે એ નિયમો તોડી ન શકતો હોય તો એનો અર્થ એ કે એ સર્વશક્તિમાન નથી!આથી આપણે એમ સંતોષ લેવો જોઈએ કે એ જાણીજોઈને નિયમો તોડતો નથી. ભગવાન જાણતો હશે કે યોગાનંદજીના મૃતદેહ દ્વારા નિયમોનો ભંગ નથી થયો. મૃતદેહમાંથી કેમ વાસ ન આવી તે સમજવાનું મારા ગજા બહારનું છે (ઘણું એવું છે કે જે મને સમજાતું નથી હોતું, તે પૈકી આ પણ છે).પણ મને એટલું સમજાય છે કે એ પણ વિજ્ઞાનની સીમાની બહાર ન હોઈ શકે. આવું કેમ થયું તેનો જવાબ શોધવાની જવાબદારી સૌ બૌદ્ધિકોની છે. આવું ન બની શકે/આવું બની શકે – કઈં પણ પૂરવાર કરવા માટૅ ભલે જાતે આપણે કઈં ન કરી શકીએ પરંતુ એ દિશામાં વાચન સામગ્રી તો શોધી શકીએ.
    મારો નામજોગ ઉલ્લેખ કરવા બદલ શ્રી ભૂપેન્દ્રસિંહભાઈનો આભાર માનું છું.

    Like

  12. હેમંતભાઈ તથા દીપકભાઈ,
    મૃતદેહ માંથી વાસ નાં આવવા માટે કોઈ કારણ તો હસેજ.આપણે જાણતા ના હોઈએ તેવું બને.મારા ઘેર બરોડા એ પુસ્તક પડેલુજ છે.ઓટોબાયોગ્રાફી ઓફ યોગી.ગુજરાતીમાં જ છે.એટલે એના વિષે હું જાણું જ છું.આજે વેબ કેમ દ્વારા અહી અમેરિકા બેઠો બેઠો ભારતીય સગાઓ ને હું જોઈ શકું છું તે પણ એક ચમત્કાર જ છે અને વિજ્ઞાન પણ છે.એક સુપર હ્યુમન વિષે જોએલું કે એ સ્નો મેં અલાસ્કા જેવી જગ્યા માં પુષ્કળ બરફ માં ઉઘાડા પગે ને ઉઘાડા શરીરે ૨૨ કે ૨૫ માઈલ દોડેલો.

    Like

    1. “મૃતદેહ માંથી વાસ નાં આવવા માટે કોઈ કારણ તો હસેજ.આપણે જાણતા ના હોઈએ તેવું બને.”

      કારણ તો દરેક ચીજના હોવાનાં જ. પ્રશ્ન છે કે આજસુધીના વિકસિત વિજ્ઞાનથી આ ઘટનાઓ સમજાવી શકાય છે કે નહીં. આજસુધી વિકસિત વિજ્ઞાન પ્રમાણે ૨૦ દિવસ સુધી સડવાનું એક પણ ચિહ્ન ન દેખાય એમ ન થઈ શકે. Human decomposition wiki એવો ગુગલ સર્ચ આપીને પાંચમો પોઈન્ટ વાંચી લેજો. મૃત્યુ પછી થોડાં જ સમયમાં શરીરનું વિઘટન ચાલું થઈ જાય છે.

      ચાલો શરીર ના સડ્યું એના કારણો વૈજ્ઞાનીક છે. આંખો પૂરેપૂરી બંધ કર્યા બાદ કાગળ પરનું લખાણ વાંચવાના “વૈજ્ઞાનિક” કારણો? ૫ ફૂટ અંતરેથી સ્વેટર વણવાની ૧૪ ઈંચની સોયને ૧૦ ડિગ્રીથી ફેરવવાના “વૈજ્ઞાનિક” કારણો? (ન્યુટનના ગતિના પહેલા નિયમ અનુસાર કોઈપણ વસ્તુની સ્થીતિ બદલવા માટે બળની જરૂર પડે. જો કોઈ ભૌતિકબળ વપરાયાના પુરાવા મળતા નથી તો યોગબળનું અસ્તિત્વ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ બચે છે ખરો? ચાલો યોગબળ નથી પણ એટલું તો માનો કે આજના વિજ્ઞાનથી સમજાવી ના શકાય એવા કોઈ બળનું અસ્તિત્વ છે). હૃદય પાસેથી ઈચ્છાનુસાર દૃશ્ય પ્રકાશ પેદા કરી બતાવવાના “વૈજ્ઞાનિક” કારણો?

      ભૂપેન્દ્રસીંહજી, વાત એક ઉદાહરણની નથી. વાત છે ઉઘાડી આંખે દેખાતા એવા અનેક “વૈજ્ઞાનિક” પુરાવાઓની જેમને આ લેખમાં નકારવામાં આવ્યાં છે. મેં પહેલા પણ કહ્યું છે કે મારો વાંધો આ લેખમાં લખાયેલા ફક્ત આ વાક્યો સામે છે: “યોગીઓ અને તાંત્રીકો કહેવાતી આ શક્તી ઈશ્વરના વરદાન દ્વારા નહીં; પરંતુ યૌગીક સાધના દ્વારા કે તંત્રમંત્ર દ્વારા પ્રાપ્ત કરે છે તેમ મનાય છે. શ્રદ્ધાળુઓના કમભાગ્યે આવી એક પણ શક્તીની વૈજ્ઞાનીક સાબીતી નથી અથવા તો તે વૈજ્ઞાનીક કસોટીમાંથી પાર ઉતરતી નથી.”

      હવે હું authentic પુરાવાઓ સાથે વાત કરું છું તો કોઈ કંઈ બોલતું નથી. કાં તો પ્રા. ધવલ મહેતા અને ગોવિંદભાઈ એ વાતને સ્વીકારે કે વિજ્ઞાનની સીમા બહાર કંઈ છે અથવા તો, જેમ આજ સુધી ચાલ્યું આવ્યું છે એમ, આ બધા વૈજ્ઞાનિક પુરાવાઓ પણ અપુરતાં અને ખોટા છે એમ કહી દે.

      મને લાગે છે ત્યાં સુધી “વૈજ્ઞાનિક” પુરાવાઓનો સ્વીકાર નહીં થાય. થોડા દિવસ આ વિષય પર મૌન રહીને, પ્રા. ધવલ મહેતા અને ગોવિંદભાઈ ફરીથી યોગબળને નકરવાનું/વખોડવાનું ચાલુ કરી દેશે. મને એનો ખેદ પણ નથી. કોઈના માનવા ન માનવાથી સત્ય બદલાતું નથી. પણ આખુ જીવન જેને જૂઠલાવવામાં ગયું હોય એજ વસ્તુ સત્ય બનીને સામે આવે ત્યારે એને સ્વીકારવાનું સાહસ દાખવે એવા વીરલા તો ઓછા જ રહેવાના!

      Liked by 1 person

  13. ભૂપેન્દ્રસિંહભાઈ અને હેમંતભાઈ,
    ૨૦ દિવસ સુધી મૃતદેહમાંથી વાસ ન આવવાનાં કારણ હોવાં જોઇએ, એ સાચી વાત છે.કારણો હોય તો એ જે નિયમો અનુસાર આ વિશ્વ ચાલે છે તેનાથી જુદાં હોઈ જ ન શકે.ચર્ચા માટે મારો મુદ્દો નીચે પ્રમાણે વધારે સ્પષ્ટ કરૂં:

    યોગવિદ્યા ક્યારે સક્રિય બને અને ક્યાં સુધી સક્રિય રહે? કોઈ એને સક્રિય બનાવે ત્યારે બને કે આપમેળે સક્રિય રહે? સ્વામી રામના પ્રયોગો એવું દેખાડે છે કે યોગવિદ્યાને વ્યક્તિ પોતે સક્રિય બનાવે તો જ એ પોતાનો પ્રભાવ દેખાડે છે. આ માનવ શરીરની ભૌતિક શક્તિની એક સીમાને સ્પર્શ કરી શકાય છે એવું સિદ્ધ થઈ શકે છે અને હેમંતભાઈએ મોકલેલા લેખમાંથી મેં એવું તારણ કાઢ્યું છે કે આપણી શક્તિઓનો આપણે પૂરો ઉપયોગ નથી કરતા.
    હેમંતભાઈનું તારણ જુદું જણાય છે. એમનું માનવું છે કે આ ચમત્કાર છે. ચમત્કાર દરેક જણ કરી શકતો હોય તો એ ચમત્કાર ન રહે! અમુક જ જણ કરી શકે તો જ એને બીજા ચમત્કાર માને. પરંતુ જે વ્યક્તિ પોતે ’ચમત્કાર’ કરતી હોય એ પોતે પણ એને ’ચમત્કાર’ માનતી હશે?
    બીજી બાજુ, પરમહંસ યોગાનંદજીના પાર્થિવ દેહમાંથી ૨૦ દિવસ સુધી વાસ ન આવવાનું કારણ જો યોગ શક્તિ હોય તો એનો અર્થ એ થાય કે યોગ શક્તિ આપમેળે સક્રિય રહે છે!
    આમ બન્ને લેખો આપણને જુદા તારણ પર લઈ જાય છે. યોગ શક્તિ સ્વતંત્ર હોવાનું માનીએ તો એ પક્ષપાતી ન હોઈ શકે. જેવું પરમહંસ યોગાનંદજીના મૃતદેહ સાથે થયું એવું જ બીજા કોઈ પણ મૃતદેહ સાથે થવું જોઈએ. સ્વતંત્ર યોગ શક્તિને યોગાનંદજી પ્રત્યે પક્ષપાત શા માટે હોય?
    આ બે મુદ્દ પર હેમંતભાઈ કઈંક પ્રકાશ પાડી શકશે એવી આશા છે. મારો પ્રશ્ન એ છે કે યોગ શક્તિ વ્યક્તિના પ્રયાસનું પરિણામ છે કે વ્યક્તિ-નિરપેક્ષ છે?
    હું માનું છું કે યોગ શક્તિ પણ ચમત્કાર નથી. એ પણ જૈવિક/ભૌતિક નિયમોની અંદર જ હોઈ શકે.
    rigour mortisનાં કારણો ભૌતિક/જૈવિક નિયમોને અધીન છે. જીવન-પદ્ધતિને આની સાથે સંબંધ હોવો જોઈએ. જેમ રોગનો આધાર ઘણાખરા અંશે જીવન પદ્ધતિ પર હોય છે (અથવા જેનેટિક) તેમ rigour mortis વિશે જીવન પદ્ધતિની દૃષ્ટિએ વિચાર કરી શકાય કે નહીં?

    Like

  14. દીપકભાઈ,

    વધુ ચર્ચા કરવામાં આપને રસ છે. મને પણ ગમશે. આપને રસ એટલા માટે પડ્યો કારણ કે સ્વામી રામને લગતાં વૈજ્ઞાનિક પુરાવાઓ આપને સ્વીકાર્ય છે. પણ ગોવિંદભાઈ કે અન્ય વાચકો એમાં સક્રિય રીતે સામેલ નથી તેથી આ ચર્ચા અહીં આગળ વધારવી મને યોગ્ય લાગતી નથી. આપણે offline લઈ લઈએ.

    મૂળ ચર્ચાનો મુદ્દો લેખના શિર્ષકમાં છે – “અસાધારણ બનાવો માટે અસાધારણ પુરાવા જોઈએ”. મેં વૈજ્ઞાનિક પુરાવા આપીને મારી બાજુ મૂકી છે. હવે બૉલ લેખક અને પ્રેષકના કોર્ટમાં છે. આ પુરાવા વિશે એ એમનો મત સ્પષ્ટ કરશે તો જ અહીં આગળ ચર્ચા કરી શકાય.

    Liked by 1 person

  15. જુઠ ની પણ એક હદ હોય છે. અમેરીકા, કેનેડા અને બ્રિટન જેવા સુધરેલા દેશોમાં પણ હજી પંડીત મહારાજ, પીર સૈયદ સાહેબ અને અજમેરી બાબા જેવા લેભાગુઓ ધુમ કમાણી કરી રહ્યા છે. અમેરીકાની જ વાત કરીએ. એક ધુતારો મુલ્લા એક રાત માં કુરાન માં થી મંત્રોચાર કરીને ગ્રીન કાર્ડ મંજૂર કરાવવાનો દાવો કરે છે, અને દાન ના નામે ડોલર વસુલ કરે છે. લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે.

    Like

  16. શ્રી હેમંતભાઈનું offline જવાનું આમંત્રણ સ્વીકારૂં છું પરંતુ બીજા મિત્રો અહીં ચર્ચા ચાલુ રાખશે તો એમાં પણ સહર્ષ ભાગ લઈશ.

    Like

  17. વહાલા હેમંતભાઈ, દીપકભાઈ અને ભુપેન્દ્રસીંહભાઈ,

    તમારી આ ચર્ચા આ વીષયનું ઘરેણું છે.. ને તેનું સ્વાગત છે..

    મન સાવ ખુલ્લું રાખીને વીષયને અનુરુપ–સુસંગત ચર્ચા ગમે તેટલી લાંબી ચાલે તો પણ હું થવા દઈશ.. વીદ્વાનોના વાદવીવાદથી સૌને જ્ઞાન લાધે..

    હા, ચર્ચા સદ્ ભાવભરી હોય, આદરભરી હોય અને તેમાં અંગત ટીકા કે સામી વ્યક્તીને ઉતારી પાડવાનું વલણ ન હોય તો, લાંબી ચર્ચા પણ આવકાર્ય જ છે..

    ગોવીન્દ મારુ..

    Like

    1. ગોવિંદભાઈ,

      આપની પાસે આ જ સહૃદયતાની અપેક્ષા હતી. આ અગાઉ પણ આપે વિચારોના વિરોધને આવકાર્ય ગણ્યો છે અને તેથી જ અહીં આટલી લાંબી ચર્ચા મેં કરી.

      “અસાધારણ બનાવોના અસાધારણ પુરાવા નથી” એવો મુદ્દો પ્રા. ધવલ મહેતાએ અને (એમનો લેખ પ્રસિદ્ધ કરીને) આપે મૂક્યો. ત્યારબાદ મેં મારી બુદ્ધિક્ષમતાનુસાર એનું ખંડન કર્યું. હવે વારો તમારો છે. એટલે મારી ઈચ્છા છે કે હવે તમે મારા આપેલા પુરાવાઓ અંગે કંઈ કહો તો વાત આગળ વધે. તમે જે કહેશો એના પર આધાર છે કે આ ચર્ચા કઈ દિશા લેશે. તો આપનું/ પ્રા. મહેતાનું મત જણાવશો તો જ અહીં ચર્ચા થઈ શકે એવું મારો આગ્રહ છે. આશા છે આપ સમજી શકશો.

      Liked by 1 person

      1. વહાલા હેમન્તભાઈ,
        ભલે મત જુદો હોય; પણ તમારી સ્નેહભરી મેઈલ મળતાં આનંદ થયો..
        આ વીષયના લેખકના વીચારો દર્શાવવાનો મારો ધર્મ હું સમજ્યો ને તેમ મેં કર્યું અને કરું છું.. લેખકનું સરનામું અને ફોન નંબર પણ હું આપું છું જેથી, પોતે જુદો મત ધરાવતા હોય છતાં, બ્લોગ પર તે ભીન્ન મત દર્શાવવા ન ઈચ્છતા હોય અથવા તેમ કરવું એમને ફાવતું ન હોય, ઈન્ટરનેટની કશી મુશ્કેલી હોય તો, તેઓ લેખકનો ફોન પર સીધો સમ્પર્ક સાધી શકે..
        લેખકના વીચારો અંગે વધારે સ્પષ્ટતા કે ખુલાસો હું આપું તે અજુગતું નહીં ગણાય ?
        બનવા જોગ છે જે ધવલભાઈ કશે બહાર ગયા હોય કે કમ્પ્યુટર બન્ધ હોય.. લેખક વીદ્વાન છે ચર્ચા કરવા સક્ષમ છે.. રાહ જોઈએ.
        તમે એમને ફોન પણ કરી શકો..
        શુભેચ્છક,
        – ગોવીન્દ મારુ..

        Like

  18. ચમત્કારો થાય છે, થાય છે અને થાય જ છે. એની કોઈ શંકા કરવા જેવુ છે જ નહિ. ફક્ત એની અમુક કંડીશન્સ છે.

    ૧. ચમત્કારો ફક્ત મુરખો માટે જ થાય છે.
    ૨. મુરખ એ છે કે જે ભણી ગણીને ઈંટેલીજન્ટ બનીને ફુલાઈ જાય છે.
    ૩. અને આખા જગતને, ચંદ્રમાંને, પરગ્રહોને, તારાઓ નક્ષત્રોને આબી આવે છે.
    ૪. પછી પાછલી ઉંમરે મરણ પથારીએ અથવા બીમારીની પથારી પકડે ત્યારે એને પોતાના ઈંટેલીજન્સ કે ધન કે નામ કોઈ કામમાં આવતુ જ નથી પછી કહે છે ચંદ્રમાં પર મે પહેલો અવાજ “અલાહ્હો અકબર સાંભળેલો” ત્યારે એ મુરખાએ કેમ જાહેર ના કર્યુ કે એણે અલ્લાહો અકબર સાંભળેલુ, ત્યારે એનો કાન આ જગતના, સંસારના જ્ઞાને બંધ કરી મુકેલા ત્યારે એ અલૌકિક અવાજ એને સંભળાયો પણ ના સમજાયો.
    ૫. વિજળી આજે પણ થાય છે, વાદળોના ગડગડાટ આજે પણ થાય ચે, ભુકંપો આજે પણ થાય છે, પણ એનો ગેબી અવાજ કોઈ મુરખ જ સાંભળી શકે છે. જેને યા તો આ જગતની ગતાગમ ની સમજણ જ નથી હોતી અથવા તો “નીલ” ના જેમ પથારીવશ થઈને એ ગેબી અવાજો સાંભળતો હોય.
    ૬. જ્યારે શરીર બળવાન થાય છે ત્યારે આત્મા નિર્બળ હોય છે અને જ્યારે શરીર નિર્બળ થાય છે ત્યારે આત્મા બળવાન થાય છે એ વાત એ જગતનો પ્રથમ ચંદ્રપથક ને પથારીમાં સમજાય છે.
    ૭. અને ચમત્કારો ની વાતો એ “નીલ” ને ત્યારે સમજાય છે કે ચમત્કારો કરનારો ફક્ત પ્રભુ છે, વિજ્ઞાન તો મીથક છે. ઈંન્સાન ને ઈન્સાન બનાવવાને બદલે એને ગુલામ બનાવી રાખીને જગતનુ લોહિ પિનારા શૈતાનની ચાલ છે.
    એટલે સો વાતની એક જ વાત
    “અસાધરણ બનાવો માટે અસાધારણ સમજ જોઈએ અને એ અસાધરણ સમજ અસાધારણ પવિત્ર આત્મા જ આપે છે” જગતની સચ્ચાઈથી અળગા કરના૨ વિજ્ઞાન થી નહિ.” છતા પણ એક ઉદાહરણ આપુ છુ.

    એક વખત એક વિજ્ઞાની હાથમાં થોડા પુસ્તકો લઈને ઉતાવળે નદિ પાર કરાવનાર માજીને અકડથી કહેતો હતો કે મને નદિ પાર કરાવ.
    માજીને રોટી મળી એટલે એ તૈયાર.
    નાવ ચાલી.
    વિજ્ઞાની અને માજી બે જ જણ હતા નાવમાં,
    વિજ્ઞાની અભિમાનથી માજીને પુછે છે “તુ કેટલુ ભણ્યો?”
    માજી કહે “અંગુઠો”
    વિજ્ઞાની “તારુ ૨૫% જીવન એળે ગયુ, જવા દે, તને ગણિત આવડે છે”
    માજી “અ…હહ”
    વિજ્ઞાની “તારુ ૫૦ ટકા જીવન એળે ગયુ, ઈતિહાસ”
    માજી “અ….હહ”
    વિજ્ઞાની “ભુગોળ, વિજ્ઞાન, ઈંગ્લીશ વગેરે વગેરે પુછ્યુ
    માજીએ દરેક વખતે “ઉ…હુહુ.. જ કરે રાખ્યુ.
    વિજ્ઞાની કહ્યુ તારુ ૮૦ ટકા જીવન બરબાદ થઈ ગયુ.
    એટલી વારમાં જોરથી હવા નુ તોફાન ઉઠી આવ્યુ અને નાવ હાલક ડોલક થવા લાગી. અને વિજ્ઞાની ની આંખોમાં ડર ઉઠવા લાગ્યો જેને માજી જાણી ગયો.
    ત્યારે તો વિજ્ઞાનીને જીભડી તાળવે ચોંટેલી હતી, ગળુ સુકાતુ હતુ.
    ત્યારે માજી એ કહ્યુ “હે બાબુજી આપકો તૈરના આતા હૈ?”
    વિજ્ઞાનીએ ના ના ચાચાજી મુજે બચા લો…..
    માજી એ કહ્યુ કોઈ બાત નહિ ઉપરવાલે કી મરજી હોગી તો હમ દોનો બચ જાયેંગે, અને એ માજીએ એ વિજ્ઞાનીને પોતાના બાવડાના બળે અને ઉપરવાળાના વિશ્વાસે બચાવી લિધો.
    એટલે જ બાઈબલ કહે છે “કે પરમેશ્વરે તો કરોડો-ખર્વોને આ જગતમાં મોકલાવ્યા પણ એમાથી ગણ્યા ગાંઠ્યા લોકોને જ પાછા ચુંટી કાઢેલા છે, કેમ કે બીજા બધા તો પોતાના અભિમાનમાં નષ્ટ થઈ ગયેલા જ છે. વિજ્ઞાન નો જનમ વધુ વધુ તો ૫૦૦ વરસ ગણુ છુ પણ ભુતકાળ તો ચમત્કારોથી જ ભરેલુ પડ્યુ છે. અને આજે લોકો જોતા હોવા છતા જોઈ શકતા નથી, સાંભળતા હોવા છતાંય સાંભળતા નથી, અનુભવે છતાય માનતા જ નથી…કેમ કે આ સંસારના ભૌતિકવાદ જે સૈતાનનુ આધુનિક નામ છે એણે બધાને પોતાની માયાજાળમાં જકડી લિધેલા જ છે…..

    Like

  19. શ્રી રાજેશભાઈ ભૌતિકવાદને શેતાન સાથે સરખાવે છે.તેઓ કદાચ Hadonismની, એટલે કે સુખોભોગવાદની વાત કરે છે. એમાં માણસ માત્ર પોતાનું સુખ જ જોતો હોય. ભૌતિકવાદ એટલે Materialism અથવા પદાર્થવાદ. જે લોકો જડને આદિ તત્વ માનતા હોય તેઓ ભૌતિકવાદી અથવા પદાર્થવાદી છે; એમની દૃષ્ટિએ ચેતન પણ જડમાંથી જ વિકસ્યું છે. આ તો એક મત થયો! કોઈ ચેતનને પ્રથમ માને છે, તો કોઈ જડને. ભારતીય ચિંતન પરંપરામાં ચાર્વાક્ના અનુયાયીઓ એટલે કે લોકાયતવાદીઓ(લોકોમાંથી આવેલી વિચારધારામાં માનનારા)પદાર્થવાદી જ હતા. આસ્તિકવાદીઓ એમની ઠેકડી ઉડાવતાઃ ऋणं कृत्वा घृतं पिबेत. દેવું કરીને ઘી પીઓ! કારણ કે લોકાયતવાદીઓ માનતા કે સ્વર્ગ-નર્ક અને પાપ-પુણ્ય જેવું કઈં નથી. પરંતુ એ ગંભીર ભૌતિકવાદી ચિંતકો હતા. ગૌતમ બુદ્ધ પણ અનાત્મવાદી હતા. પરંતુ ચોક્કસ કારણ સબબ ઇશ્વર,પરલોક કે ચમત્કારોના અસ્તિત્વનો ઇન્કાર કરનારને સામાન્ય રીતે અનૈતિક માની લેવામાં આવે છે,જેનું કોઈ કારણ નથી.
    બીજું, માત્ર આજનો જમાનો જ સુખોપભોગવાદી નથી; જ્યારે આપણા ધર્મગ્રંથો રચાયા અથવા મહાપુરુષો પેદા થયા ત્યારે પણ અનૈતિકતા હતી જ અને તે પણ ધર્મને નામે. ગીતામાં તો કૃષ્ણે દુષ્ટોના નાશને જ પોતાના જન્મનો ઉદ્દેશ ગણાવ્યો છે. આજનો માણસ દુર્યોધન કરતાં પણ વધારે દુષ્ટ છે?ન્યૂ ટેસ્ટામેંટ સૅડ્યૂસીઓ અને ફારિઝીઓએ ધર્મ ઉપર કરેલા કબ્જા અને જિસસના એમની સામેના વિદ્રોહની જ કથા છે.મહંમદ પયગંબર આવ્યા ત્યારે એમના જ કબીલા કુરૈશોનું જ કાબા પર વર્ચસ્વ હતું. દરેકનાં દેવી-દેવતાની પ્રતિમાઓ એમાં હતી અને એ વેપારનું પણ ધામ હતું. પયગંબરે કાબાની પવિત્રતાની પુનઃ સ્થાપના કરી.આમ,બધા સમાજોમાં ધર્માધારિત અનૈતિકતા દરેક સમયે રહી છે.

    Like

  20. શ્રી દિપકભાઈ, આપની ટીપ્પણી બદલ ધન્યવાદ,

    આપની ટીપ્પ્ણીનો સાર “આમ,બધા સમાજોમાં ધર્માધારિત અનૈતિકતા દરેક સમયે રહી છે”

    એ અનૈતિકતાએ તો યુગો યુગોથી નખ્ખોદ વાળી નાંખ્યુ છે, આજે પણ!!

    અને એ અનૈતિકતા ક્યાંથી આવી? એના જવાબદાર કોણ?

    હુ ખોટા યોગીઓ અને તાંત્રીકો અને ભિખ માંગી ખાનારા (ગરીબો ને માફ), દાન ભુખ્યા ધર્મગુરુઓને ફટકારુ છુ, ચર્ચો, મંદિરો, ગુરુદ્વારાઓ, મેળાવડાઓ, ભંડારાઓને, ધુતારાઓને ફટકારુ છુ.

    પરબ્રહ્મને પામ્યા પછી ઘરબાર છુટી જાય એ સત્ય છે પણ પરબ્રહ્મને જાણવા ઘરબાર મુકી દો એ ભટકાવનારુ અને દયામણા બની દાન માંગો એ તદ્દન ખોટુ છે પછી મંદિર, ચર્ચ, મસ્જીદ બનાવો એ તો એથીએ વધુ નિંદનીય છે, પાપ છે.

    હુ જે સુખોપભોગવાદની વાત કરુ છુ એ આજના ભણતરનુ અથવા તો વિજ્ઞાનનુ ફળ છે. વિજ્ઞાન ન હોત તો ભારતથી અમેરીકા જવામાં કદાચ છ મહિના લાગી જાત અને એ છ મહિનાના કઠણ પ્રવાસ દરમ્યાન જ પરમાત્માનો ભેટો થઈ જાત, હજારો નહિ તો ૧૦-૨૦ ચમત્કારો તો જરુર થાત.

    પણ હવે તો બે દિવસના પ્રવાસમાં ચમત્કારો થતા હોય તો પણ કોને જાણવાની ફુરસદ છે? ઘરની, ઘંધાની, કામની અને અંગત સુખોપભોગની ચિંતાઓએ મનુશ્યોને અલૌકિક બુધ્ધિનો દરવાજો જ બંધ કરી દિધો છે.

    ભારતમાં ઘણો અંધકાર છે, જેના જવાબદાર આ (અ)ધાર્મિક ઠેકેદારો જ છે, ભણતરથી બુધ્ધિ તેજ થાય છે, જ્ઞાની બનો છો પણ આત્મિક નથી બની શકતા.

    વિવેક વિવેકી બને એ વિવેક્મય છે પણ અતિવિવેક કરીને અવિવેકી બનવુ એ તો અવિવેકી જ ઠરે છે.

    આત્મિક જણ દરેક ના વિવેકને જાણી શકે છે પણ વિવેકી જણ દરેક જ્ણના આત્મીકપણાને જાણી નથી શક્તો.

    વિવેક વિવાદ કરી ઉભો કરે છે, આત્મિકતા જગ્યા કરી આપે છે.

    Like

  21. છેલ્લી લાઈન સુધારુ છુ….

    અવિવેક વિવાદ ઉભો કરે છે, આત્મિકતા જગ્યા કરી આપે હે.

    Like

  22. ગોવિંદભાઈ, આપના વિવેકમય પ્રેમસભર ઈ-મેલ માટે મારા સહસ્નેહ અભિવાદનીય ધન્યવાદ સ્વીકારજો ……

    Like

Leave a comment