વૈચારીક જાગૃતી વીનાનું જીવન વ્યર્થ છે

એક લોકડાયરામાં એક વક્તાએ એક સરસ વાત કહી. આપણે રસ્તા પર ચાલ્યા જતા હોઈએ અને કેળાની છાલ પર પગ આવી જાય એ આપણી કઠણાઈ કહેવાય. પણ, એ પછી આપણે ત્યાંથી ઉભા જ ન થઈએ, જમીન પર બેઠા રહીએ, અને પછી પ્રારબ્ધને દોષ દેતા રહીએ એ આપણી મુર્ખાઈ કહેવાય.

આપણું  જીવન એ સરસ મજાની ફુલોની પથારી નથી. એમાં માર્ગમાં અનેક વીઘ્નો આવે, અંતરાયો આવે, મુસીબતો આવે, અને એ બધાનો સામનો આપણે પુરા પુરુષાર્થથી, અડગ નીશ્વય બળથી કરવો પડે એને બદલે આપણે સામેથી આવતી મુસીબતને જોઈને જ શરણે જઈએ અને પછી નસીબને, વીધાતાને દોષ દઈએ ત્યારે શું સમજવું ?

પ્રયત્ન કરવો નહીં અને કરવો તો દીલચોરીથી કરવો, એ આપણી મોટી નબળાઈ છે અને પછી કોઈ ટકોર કરે ત્યારે આપણી પાસે જાતજાતની ‘એલીબી’ હાજર જ હોય છે. ‘મારા નસીબમાં નહોતું’, ‘કોશીશ તો બહુ કરી, પણ વીધાતાએ લેખ જ જુદા લખેલા’, વગેરે વગેરે લુલા બચાવ આપણી પાસે હાજર જ હોય છે. લુલા બચાવ, બહાનાબાજી અને આત્મ–પ્રતારણમાં આપણે લાજવાબ, બેમીસાલ છીએ.

આજના બધા વીવીધ ધર્મો, સંગઠીત ધર્મો, જ્યારે ઉદ્ ભવ્યા ત્યારે એમના મોટાભાગના નીયમો અને આદેશો પાછળ શુભભાવના હતી. આ બધા જ ધર્મો પોતપોતાના સમય અને સ્થળના સંજોગોથી જન્મેલાં હતાં. એ સંજોગો બદલાય એટલે કેટલાક નીયમો આપોઆપ જ ‘આઉટ ઓફ–ડેઈટ’ થઈ જાય. બજારમાંથી મળતી બધી જ દવાઓ ઉપર ‘એક્સપાયરી–ડેઈટ’ લખેલી હોય છે. સદીઓ પહેલાં ઘડાયેલા સંખ્યાબંધ આદર્શો ઉપર આવી ‘એક્સપાયરી–ડેઈટ’ છાપેલી ન હોય એટલે એ આપોઆપ શાશ્વત બની જતા નથી.

આપણે આ મહાન ભુલ કરી અને પરીણામે મહાન ગુંચવાડાઓના ચક્રવ્યુહમાં સરી પડ્યા. જે વૈજ્ઞાનીકોએ પહેલી વાર જાહેર કર્યુ  કે પૃથ્વી ગોળ છે અને સુર્યની આસપાસ ફરે છે અને એ સમયના ધર્મચક્ર પરીવર્તકોએ આકરી સજા જાહેર કરી હતી. પોપ પોલે સદીઓ પછી એ વાતનો સ્વીકાર કર્યો કે વૈજ્ઞાનીકોને એ સમયના ધર્માચાર્યોએ કરેલી સજા એ મોટી ભુલ હતી ! પણ, ક્યારેક ચા કરતાં કીટલી વધુ ગરમ હોય છે. પોપ પોલના કેટલાક અનુયાયીઓને હજી આમાં ભુલ નહીં દેખાતી હોય ! ગાંધી ખુલ્લા મનના હોય, પણ ગાંધીવાદી તો મોટે ભાગે જડ જ હોય. વૈચારીક જડતા જેવા અસાધ્ય કોઈ રોગ નથી અને માનસીક ગુલામી જેવી બુરી કોઈ ગુલામી નથી. એસ્પ્રો ખાવાથી માથું ઉતરી જાય, મીથ્યા આદર્શોની આધાશીશી ઉતારવા માટેની કોઈ ગોળી બજારમાં મળતી નથી.

ડગલે ને પગલે આપણી આસપાસ પુરુષાર્થ ભુલીને બધું પ્રારબ્ધ ઉપર છોડી દેવાની મનોવૃત્તી હવે મહાવ્યાધીનું સ્વરુપ લઈ રહી છે. આપણાં ગામડાંનો ખેડુત દુકાળ પડે કે વરસાદ ઓછો પડે ત્યારે માથે હાથ દઈને નીસાસા નાખીને કહેશે, ‘આપણે કંઈક પાપ કર્યાં છે, એની કુદરત સજા આપે છે.’ આમ બોલે ત્યારે એની નજર આકાશ તરફ હોય છે. આકાશ તરફ આપણી આંખ હોય ત્યારે આપણી બુદ્ધી જાણે થીજી જાય છે, વીચારશક્તી બુઠ્ઠી થઈ જાય છે, આકાશમાં ખોડાઈ ગયેલી આપણી આંખ આપણને કહે છે, બધું ઉપરથી જ નક્કી થાય છે. આપણા હાથમાં કંઈ જ નથી. આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ, પણ ઉપરવાળાની મંજુરી વીના બધુ જ વ્યર્થ છે.

આપણા હાથમાં શું ખરેખર જ કંઈ નથી ? અને, ઉપરવાળો શું માણસને પાણી કે અનાજ મળે એવી સીધીસાદી, અસ્તીત્વ ટકાવનારી વાતમાં પણ પોતાની મંજુરી આપવામાં હીચકીચાટ કરશે ? શા માટે ? માણસને ભુખે મારવામાં ઉપરવાળાને શો રસ હોય ?

પણ, આવા પ્રશ્નો આપણે કરતા નથી. આપણે હવે પ્રશ્નો કરવાનું છોડી દીધું છે, વીચારવાનું છોડી દીધું છે. જો વીચારતા હોત તો જવાબ મળી જાત. મુશ્કેલીમાંથી માર્ગ નીકળી આવત. વીચારીએ તો ખબર પડે કે પાણી વીનાના કુવાને ‘રીચાર્જ’ કરી શકાય છે. ઓછો વરસાદ આવે તોય વાંધો નહીં. જે બે પાંચ ઈંચ વરસાદ પડે એનાં એક એક ટીપાને સાચવવાનું શક્ય છે. કુવાની બાજુમાં એક ખાડો ખોદો, એમાં પાઈપલાઈન લગાવો. ખાડાને પથ્થર અને રેતીથી ઢાંકી દો. વરસાદનું પાણી ગળાઈને, ચળાઈને કુવામાં દાખલ થતું રહેશે. કુવો ભરાશે અને આજુબાજુની જમીનનું તળ ઉંચુ આવશે.

આ તો એક તદ્દન નાનો, મામુલી દાખલો થયો. આ એક નમુનો છે. પણ આપણે વીચારવાની ટેવ પાડીએ, પ્રશ્નો પુછવાની ટેવ પાડીએ તો આમ ઢગલાબંધ નવી માહીતી મળી આવે.

પશ્વીમના દેશોમાં ભાગ્યે જ દુકાળ પડે છે અને એશીયામાં તેમ જ આફ્રીકામાં વારંવાર પડે છે. એનો શો એવો અર્થ કાઢવો કે પશ્વીમના દેશોની પ્રજા પુણ્યશાળી છે અને એશીયા અને આફ્રીકાની પ્રજા પાપી છે ?

આપણી કેટલીક જુની કહેવતો જુની હોવા છતાં એમાં કેટલાંક સનાતન સત્યો સમાયેલાં હોય છે. આવી એક કહેવત છે, ‘સમય વર્તે સાવધાન’ સમયની સાથે તાલ મીલાવે એ વ્યક્તી, એ સમાજ, એ સંસ્થા ને એ દેશ ઉંચા આવે. આપણે સૌ સમયની સાથે રહેવામાં નીષ્ફળ નીવડ્યા છીએ. સાહીર લુધીયાનવી કેટલીક વાર ફીલ્મી ગીતોમાં ઉંચુ કાવ્યત્વ મુકી આપતા હતા. એમના એક ફીલ્મી ગીતની પંક્તી  જુઓ:

કોઈ રુકતા નહી, ઠેહરે હુએ રાહી કે લીયે,

જો ભી દેખેગા, વો કતરા કે ગુજર જાએગા,

હમ અગર વક્ત કે હમરાહ ન ચલને પાએં,

વકત હમ દોનોં કો ઠુકરા કે ગુજર જાએગા…

સમય મુજબ ધાર્મીક રીતરીવાજો બદલાવા જોઈએ, સમય મુજબ રુઢીઓ બદલાવી જોઈએ. જો રુઢીઓ કાળક્રમે એનું મહત્ત્વ ગુમાવી બેઠી હોય એને તીલાંજલી આપવી જ પડે.

એમ. એન. રોયે સાચું કહ્યું છે કે, ‘માણસ વ્યક્તીગત રીતે અભીમાની હોય એ ચલાવી લેવાય; પણ પોતાની જ્ઞાતી કે પોતાનો ધર્મ સર્વશ્રેષ્ઠ છે એમ એ માનવા લાગે તો એમાંથી કલેક્ટીવ ઈગો (સામુહીક અહમ્) જન્મે છે.એમાંથી જ કોમ–કોમ અને બે જ્ઞાતીઓ કે બે જુથો વચ્ચે સામુહીક અથડામણ થાય છે.’ પાકીસ્તાનની રચના ધર્મના આધારે થઈ; પણ હજી સુધી ત્યાંના ચાર પ્રાંતોની પ્રજા શાંતી અને સુખચેનથી જીવી શકતી નથી. પરવેઝ મુશર્રફ ઉપર ત્રણથી ચાર વાર હુમલા થઈ ચુક્યા છે. ઈરાક હોય કે ઈરાન હોય, સાઉદી અરેબીયા હોય કે મોરક્કો હોય બધે પ્રશ્ન ધાર્મીક રુઢીચુસ્તતાનો છે. આપણે બીનસાંપ્રદાયીક બંધારણ અપનાવ્યું; પણ હજુ સુધી આપણી પ્રજામાં ઉદારમતવાદી વલણ ઉતર્યું નથી. માત્ર બંધારણમાં સમાનતા અને એકતા શબ્દ લખવાથી સમાનતા આવી જતી નથી. એને માટે આપણું માનસીક વલણ પાયાથી બદલવું પડશે.

આરબ દેશો ભલે પોતાને ઈસ્લામીક કહેવડાવે, પણ એમણે તેલના કુવાઓમાંથી પેટ્રોલ કાઢવા માટે પશ્વીમના નીષ્ણાતોને બોલાવવા પડે છે અને મોટાભાગના શ્રમીકો ભારતથી લાવવા પડે છે. આજના બદલાતા વીષયમાં કોઈ દેશને કોઈ એક ધર્મ કે કોઈ એક વીચારધારા ઉપર અવલંબન રાખવું પોષાય તેમ જ નથી. વૈશ્વીકરણનો આ જ સાચો તકાજો છે.

ધર્મ કે ઉપાસના પદ્ધતીને આધારે માણસ સંગઠન રચે છે, એની કોમ કે જ્ઞાતી બને, અને પછી એ એકમેકના સહકારને બદલે ઘર્ષણમાં પરોવાય અને આવા કહેવાતા ક્રીયાકાંડોના રક્ષણ માટે લડાઈઓ કરે. એ વીજ્ઞાનના વીકાસની હરણફાળના યુગમાં અત્યંત બેહુદું લાગે છે.

આપણે ઘરને સાફસુફ કરીએ છીએ. કચરો અને જાળાં દુર કરીએ છીએ. દરરોજ આપણાં ફર્નીચર, યંત્રો, ટીવી, રેફ્રીજરેટર પર જામી ગયેલી ધુળ દુર કરીએ છીએ. પણ, મગજમાં સદીઓ પુરાણા વહેમો અને માન્યતાઓના જામી ગયેલા થરની બીલકુલ પરવા જ કરતા નથી ! ઘરની ગંદકી તો સ્થુળ અને ભૌતીક છે, પણ મગજની ગંદકી તો માનસીક છે અને ભારે નુકસાનકારક નીવડી શકે છે.

મનમાં સતત બહારના વાતાવરણની ચીલાચાલુ માન્યતો, પુર્વગ્રહો અને રુઢીઓની ધુળ દાખલ થતી રહે છે. એને રોકવા માટેનું કોઈ ફીલ્ટર હજી શોધાયું નથી, પણ આપણાં વૈચારીક દૃષ્ટાંતો અને ભય તેમ જ લાલચ મીશ્રીત ધર્માદેશોને એકવાર મનમાં પ્રવેશવા દીધા પછી એને હટાવવામાં નાકે દમ આવી જશે.

એકવાર આવી ધુળ અને આવો કચરો જામી જાય પછી એને ઉખેડવા માટે વૈચારીક યજ્ઞો પણ ઓછા પડે. થોડું ઘણું ખુલ્લું મન હોય એવા માણસના મનનો કચરો દુર થવાની શક્યતા રહે છે; પણ એકવાર મગજ અને મનના દરવાજા બંધ થયા પછી બહારના તાજા વીચારો અંદર આવશે નહીં અને અંદરની ધુળ બહાર નીકળશે નહીં. ઘરમાં જેમ હવાની અવરજવર માટે ‘વેન્ટીલેશન’ની ચીંતા કરીએ છીએ, એમ મગજના ‘વેન્ટીલેશન’નું ધ્યાન રાખીએ તો વીચારોની સ્થગીતતાના ગુલામ બનવાના ભયમાંથી નીકળી જઈએ.

માણસની કોમ અને જ્ઞાતી એના વીચારો પરથી નક્કી થવી જોઈએ. આ દૃષ્ટીએ માણસની બે જ કોમ હોઈ શકે. એક માણસની  અને બીજી સારા માણસની. અને માણસની બે જ જ્ઞાતીઓ હોઈ શકે– એક વૈચારીક દૃષ્ટીએ જાગ્રત માણસની અને બીજી નીદ્રાધીન માણસની. પણ આપણે તો હીંદુ, મુસ્લીમ અને ખ્રીસ્તીઓની કોમ બનાવી, અને વાણીયા, બ્રાહ્મણ અને પટેલની જ્ઞાતીઓ બનાવી !

કોઈપણ દીશામાંથી કોઈપણ સારી પ્રવૃત્તી શરુ થાય એને બીરદાવી જ રહી. કેટલીક સંસ્થાઓ હવે હૉસ્પીટલમાં જઈને થોડા દર્દીઓને બેપાંચ રુપીયાના ફળફળાદીનું વીતરણ કરીને મોટી સમાજસેવા કરી નાખ્યાનો ઓડકાર ખાય છે. હૉસ્પીટલો દર્દીઓથી ઉભરાતી હોય ત્યારે એ દર્દીના મુળ સમાન ગંદકી અને પ્રદુષણને નાબુદ કરવામાં ધ્યાન જવું જોઈએ. દરેક મોટા શહેરમાં પુરતી સંખ્યામાં મુતરડીઓ અને જાજરુ બાંધવામાં આવે તો અડધી હૉસ્પીટલો બંધ થઈ જાય. અને, રસ્તા સરખા કરવામાં આવે, ગટરો તથા ખાડા સરખા કરવામાં આવે અને ચોમાસામાં ભરાઈ રહેતું પાણી દુર થાય તો હાડકાં ભાંગવાની પ્રક્રીયા જ બંધ થઈ જાય, પણ નક્કર કામ ઓછું અને આડંબર અને ડોળ વધારે હોય ત્યાં આવી સાચી નીસ્બત અને આવું અનીવાર્ય ‘કમીટમેન્ટ’ ક્યાંથી આવે ?

-યાસીન દલાલ

‘ગુજરાત સમાચાર’, દૈનીક, સુરતની તા. 11 સપ્ટેમ્બર, 2010ની વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘વીચાર વીહાર’માંથી.. લેખકના અને ‘ગુજરાત સમાચાર’ના સૌજન્યથી સાભાર…

સંપર્ક:

શ્રી યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ360 007 ફોન: (0281-257 5327) ઈ.મેઈલ: yasindalal@gmail.com

અક્ષરાંકન:ગોવીન્દ મારુgovindmaru.wordpress.com

‘આ લેખ તમને ગમે તો govindmaru@yahoo.co.inર મને એક મેઈલ લખજો. પીડીએફ મારી પાસે તૈયાર જ છે, તરત મોકલીશ.’

પોસ્ટ કર્યા તારીખ 05–11–2010

25 Comments

  1. યાસીનભાઇ જેવા સુજ્ઞ લેખકો વર્ષોથી પ્રયાસ કરતા રહ્યા છે, પણ હવે તો કોમો અને જાતિઓનું જોર ઉલ્ટું વધી ગયું છે. આજે તો ‘ઑનર કિલિંગ’ ચાલે છે. કુટુંબની, કુળની મર્યા્દા માટે છોકરીને મારી નાખો એટલે બસ, કુળની મર્યાદા રહી ગઈ. આવાં તત્વો હવે વધારે જોરથી બોલતાં થયાં છે. આવું કેમ થયું છે? શું સમૃદ્ધિ અને પુરાતનવાદને સંબંધ છે? આજે આપણે મધ્યમ વર્ગનાં માણસો પહેલાં કરતાં તો વધારે સમૃદ્ધ છીએ. સમાજશાસ્ત્રીઓએ અભ્યાસ કરવો જોઈએ.

    Like

  2. શ્રી યાસીન દલાલની કોલમનો હું વર્ષો થયા ચાહક રહ્યો છું અને મોટે ભાગે ગુ.સ.માં આવતી તેમની કોલમ નિયમિતા રીતે વાચતો રહું છું. આમ કેમ ? તેવું ભાગ્યેજ કોઈ પૂછે છે અને પૂછે તેને પણ આગુસે ચલી આતી હે તેમ કહી ઉતારી પાડવામાં આપણો સમાજ કમભાગ્યે માહેર છે. નવા પરિવર્તન જો પોતાને અનુકૂળ હોય તો તુરત જ સ્વીકારી લેશે અને જો અનુકૂળ ના જણાય તો જબર જસ્ત વિરોધ કરી જે નવું સ્વીકારે તેની ટીકા/બદનામ કરવા સુધી પહોંચી જશે ! આપણો સમાજ અનુકરણ પ્રિય પણ ખરો પણ જો તે પોતાને અનુકૂળ આવે તો જ ! છાણાં-લાકડાથી રસોઈ કરતા લોકો સ્ટવ અને ગેસ સુધી સ્વીકારતા થય. કેરોસીન છોડી વિજળી સ્વીકારી ! ગાડા છોડી આધુનિક વાહન સ્વીકાર્યા ! અરે ખોરાકમાં પીઝા અને હોટ-ડોગ અને બર્ગર જમતા પણ થયા ! પોશાકમાં પણ પરિવર્તન સ્વીકાર્યું. લાજ અને ઘુમટા લગભગ અદ્રશ્ય થયા ! પરંતુ લગ્ન-મરણ વગેરેમાં હજું પણ 18મી સદીમાં જ જીવી રહ્યા છે. આજે પણ કુંડળીઓ-ગ્રહો અને મરણોત્તર વિધિઓ જેમની તેમ મોટા ભાગના લોકોમાં ચાલુ જોવા મળે છે. વહેમ-શંકાઓ એટલી હદે જડમૂળમાં વ્યાપેલી છે કે મોટા ભાગના બીજી રીતે વિચારવા તૈયાર જ નથી. પોતાની ભૂલ સ્વીકારાવાને બદલે નસીબ કે ગ્રહોની ખરાબ દશા ગણાવનાર જો કોઈ બાબતમાં સફળતા મળે તો તેનો યશ ક્યારે ય નસીબ કે ગ્રહોને કે ઈશ્વરને નહિ આપતા પોતાની મહેનત કે પૂરૂષાર્થને ગણાવતા જોવા મળશે ! સાચું પૂછો તો આજના આ સમયમાં કહેવાતા કે થઈપડેલા બાવાઓ-ગુરૂઓ-મહંતો એમ કહેતા જોવા મળે છે કે ભાવિકે કંઈ વિચારવાની જ જરૂર નથી સઘળું તેમના ઉપર છોડી દો તેમના બદલે તેઓ વિચારશે અને આમ લોકોની વિચારવાની શક્તિનું હનન કરી તદન કુંઠિત કરી દેવામાં આવે છે અને ભાવિકિ આ વાત હોંશે હોંશે સ્વીકારે છે. એક વાત સ્પષ્ટ છે કે વ્યક્તિ પોતે જ આગુસે ચલી આવતી પ્રથા-રૂઢિ કે પરંપરા વિષે પ્રશ્ન ના ઉઠાવે અને સંતોષકારક તર્ક વડે ના સમજે ત્યાં સુધી આ દેશમાં આમા જ ચાલ્યા કરવાનું છે !

    Like

  3. સરસ આર્ટીકલ ઉપલબ્ધ કરાવવા બદલ હાર્દીક આભાર ગોવીંદભાઈ.

    Like

  4. ગોવિંદભાઈ,

    યાસીનભાઈ નો આ સારો આર્ટીકલ આપે અહીં મૂકેલ છે, હકીકતમાં પ્રશ્ન પૂછવા જરૂરી છે, પણ પૂછવા તો પૂછવા કોને? તેનો પણ ખ્યાલ હોવો એટલો જ જરૂરી છે.

    કોઈપણ ધર્મમાં જડતા નો સમવેશ કરવામાં આવેલ નથી પરંતુ આ બધું તેમના કેહવાતા ધર્મધૂરંધરો ના કારણે જ છે. જો તે હકીકત જણાવે તો તેમના રોટલા કેમ શેકાઈ. અને આમ જ અંધશ્રધા ફેલાવી અને તેઓ લોકોના માનસ પર પોતાની હકૂમત ચલાવવાની કોશિશ કરતાં રહે છે.

    http://das.desais.net

    Like

  5. હું તો કાયમ લખતો હોઉં છું કે મહાત્માઓએ વિચારવાની બંધ કરેલી બારીઓ ખોલવાનો પ્રયાસ કરો.પણ એ બારીઓ ખુલે તો મહાત્માઓ નો ધંધો ચાલે નહિ.એટલે એ લોકો તમામ શક્ય પ્રયત્નો કરતા હોય કે તમારી આ વિચારવાની બારીઓ ખુલેજ નહિ.ઉલટાનું સમાજમાં વિચારવાનું વધારે બંધ થતું જતું હોય તેમ લાગે છે.પહેલા મને યાદ છે ખાલી અધિકમાસ માં ગામના બ્રાહ્મણ એમને આવડે તેવી કથા કરતા.પછી ભાગવત કથાઓ મોટા મંડપોમાં થતી.હવે તો મોરારીબાપુની કથાઓની બહુ મોટી industry ચાલી રહી છે,એની પાછળ અનેક કથાકરો ફૂટી નીકળ્યા છે.મારી સમજણમાં ઘણા બધા ધાર્મિક પરિવારો વૃદ્ધિ પામ્યા છે.હું નાનો હતો ત્યારે આ ધાર્મિક સંગઠનો ની શરૂઆત હતી.હવે દેશ વિદેશમાં ફેલાઈ ચુક્યા છે.હવે તો રોજ નવા ધાર્મિક સંગઠનો ફૂટી નીકળે છે.ઉલટાનો સમાજ ધર્મો પાછાળ પાગલ થતો જાય છે.પણ આ બધા ધર્મો ને બદલે સંપ્રદાય કહેવા વધુ યોગ્ય છે.ગરબડ એ થઇ છે ભણી ગણીને પણ માણસ નિરક્ષર થતો જાય છે.કોઈ અભણ દોરાધાગા કરે તે સમજી શકાય,પણ ભણેલોયે દોરાધાગા કરતો થઇ ગયો છે.કોઈ ડોકટર એવું કહે કે મારા ગુરુજી ત્રણસો વર્ષના છે ત્યારે આંખોમાંથી આશુ આવી જાય.કોઈ આઈ.ટી પ્રોફેશનલ એવું કહે કે મંદિર(દુકાન) નાં રક્ષણ કાજે શહીદી મેળવેલ ભારતીય આર્મીનાં મોંઘા જવાન માટે એના મહંતે સ્વર્ગમાં સીટ રિજર્વ રાખી છે ત્યારે હસવું કે રડવું?ભાઈ મને તો ઉલટાની વિચારવાની બારીઓ વધુ સજ્જડ રીતે બંધ થતી જતી હોય તેવું લાગે છે.બહુ સારો લેખ દિવાળીમાં મુક્યો છે.ધન્યવાદ.

    Like

  6. પ્રજ્ઞાવાદના પ્રભાવમાં પડીને પ્રાજ્ઞનાં જેવા વચનો બોલે છે ! એવો પ્રજ્ઞાવાદ આપણી આજુબાજુ વધ્યો છે, એ આપણી પ્રવર્તમાન પરિસ્થિતિની કરુણતા છે. પ્રજ્ઞાવાદ છે તો સારો, પરંતુ જો આચારથી છૂટાછેડા લે તો આશીર્વાદરૂપ નથી બની શકતો કિન્તુ અભિશાપરૂપ ઠરે છે.ઘણાની દશા એવી જ હતી. એ ધર્મના મર્મને જાણવાનો દાવો કરતા પણ ધર્મપરાયણ જીવન નહોતા જીવતા.
    આજના મોટા ભાગના માનવોની અવસ્થા એવી જ છે. અવસર આવતાં એ ધર્મની, ન્યાયની, નેકીની મોટીમોટી વાતો કરી શકે છે, ઉપદેશ-વાણી પણ સંભળાવે છે, બીજાના સુધાર અને સમુદ્ધારનો દાવો કરે છે, પરંતુ એમનું પોતાનું જીવન અધર્મ, અન્યાય, અનૃતથી આવૃત હોય છે. એ પોતાનાં જ સુધાર અને સમુદ્ધારની પ્રવૃત્તિ નથી કરતા. એવા માનવો શાંતિને બદલે અશાંતિની અને સંવાદિતાને બદલે વિસંવાદિતાની જ સૃષ્ટિ કરે છે.
    આપણે એવા કોરા પાખંડી પ્રજ્ઞાવાદથી બચીએ અને આપણા સુધાર અને સમુત્કર્ષમાં પ્રવૃત્ત થઈએ તો સારું. આપણે દીવા બનીશું એટલે પ્રકાશ તો આપોઆપ પાથરી શકીશું. ફોરમવંતા ફૂલ થઈશું એટલે ફોરમને ફેલાવીશું. સલિલ ભરેલી સ્વાદુ સરિતા સમાન બનીશું એટલે બીજાની તૃષાને આપોઆપ શમાવી શકીશું.

    Like

  7. માનવી અને પશુ પ્રાણીઓમાં તફાવત = “વૈચારીક શક્તિ”. એક માં છે અને બીજામાં નથી.

    સમયના અનુસાર માનવી પોતાની વૈચારીક શક્તિનો ઉપયોગ કરીને સમાજમાં જાગ્રતિ લાવી શકે છે – એક વૈચારીક જાગ્રતિ.

    સર્વેને નુતન વર્ષાભિનંદન.

    કાસીમ અબ્બાસ

    Like

  8. This article is right on the `head of the nail’. Thank you Mr. Yashin Dalal for writing and Govindbhai Maru for including on your web-sight Every sensible person believes, but is Not courageous enough to say it boldly. And that is why things continue ‘as is’. We can bring it to the notice of the Society at large and the message will rich to many and will prompt some to Act. In the meanwhile, let us continue `Speaking Out’.

    Fakirchand J. Dalal

    9001 Good Luck Road,
    Lanham, Maryland 20706.
    U.S.A.

    e-mail: sfdalal@comcast.net

    Like

  9. A mind boggling article–I have been waiting for the revolution to come to my community for the past fifty years-alas–they are regressing faster –Best wishes to you all for the new year–Yusuf

    Like

  10. સુંદર વિચારો પ્રગટ કર્યા છે.
    “સમય વરતે સાવધાન” ઘણુ અગત્યનુ છે.
    માણસો પણ ઘેટા-વૃત્તિમા રાચતા હોય છે અને ચીલા-ચાલુ પ્રવૃત્તિમાથી બહાર આવતા ગભરાય છે. દિવાળીના દિવસમા લોકોમા નવીન પ્રકાશ અને જાગૃતિ આવે તે આશા.

    Like

  11. સોરી મિત્રો,

    આ લેખ તદ્દન રસ વગરનો અને માનસીક ગડમથલ, ધડમાથા વગરનો, દિશાહિન અને કોઈ ચોક્કસ નક્કરતા રજુ નથી કરી શક્તો.

    “વૈચારીક જાગૃતી વીનાનું જીવન વ્યર્થ છે”
    એના બદલે
    “આત્મીક જાગૃતી વિનાનુ જ જીવન વ્યર્થ છે”

    Like

  12. GOOD ARTICLE.BRINGING CHANGE AND ACCEPTING SAME FOR GOOD IS NECESSARY FOR ALL WE JUNIORS AND SENIORS.WE HAVE TO CONTINUE TO PROVOKE THOUGHTS.THIS TYPE OF ARTICLE CAN BRING JAGRUTI WHICH IN FACT EVERY ONE WANTS.SMALL CIRCLE WILL AND CAN GENERATE BIG CIRCLE OF JAGRUTI.PLEASE KEEP IT UP.

    Like

  13. ગોવિંદભાઈ,
    નૂતન વર્ષાભિનંદન.
    લેખમાં સાચી વાતો કહી છે. દિપક ધોળકિયા, ભુપેન્દ્રસિંહ, અશોકકુમાર, અરવિંદ અડાલજા, પ્રજ્ઞાજુ , ફકિરચંદ દલાલ વગેરે મિત્રોના પ્રતિભાવો પણ ઘણું કહી જાય છે. એમની સાથે પણ સહમત થવું યોગ્ય લાગે છે.

    Like

  14. ક્રિયાકાંડ એ જ આજે ધર્મનો પર્યાય બની ગયો છે.
    શિવલિંગ પર દૂધની લોટી રેડવા જતી ગૃહિણી રસ્તામાં ગરીબ મજૂરનાં, ભૂખથી રડતાં બાળકને જોઈને રસ્તો ક્રોસ કરી બીજી બાજુ જતી રહે તો શું સમજવું?
    તેનામાં રહેલું માતૃત્વ પણ દબાઈ ગયું?

    Like

  15. શ્રી ગોવીંદભાઇ તથા ’અભીવ્યક્તી’ના સર્વે શાથી મિત્રો, નૂતન વર્ષાભિનંદન.
    શ્રી યાસીન દલાલ સાહેબનાં ’વિચાર વિહાર’નો વર્ષોથી વાંચક-પ્રસંશક રહ્યો છું. અને આથી તેમના વિચારો શાથે સહમતી હોય તેમાં કશી નવાઇ નથી જ. અન્ય ઘણાં મિત્રોના સુંદર, વિચારપ્રદ પ્રતિભાવો બહુ ગમ્યા. અનાયાસે આજે, હમણાં જ ઘટેલી એક ઘટનાની વાત માત્ર કરીશ, જેને સીધો તો આ લેખ શાથે કશો સંબંધ નથી પરંતુ વિચારયોગ્ય તો છે જ.
    કોમ્પ્યુટર શરૂ કરતા પહેલાં આજનું ’KBC’ જોયું. આજે એક સ્પર્ધક ’પ્રશાંત’ એક કરોડની રકમ જીતી ચુકેલો અને બોનસ પ્રશ્ન પાંચ કરોડ માટે, જેના ઉત્તરની તેને જરા પણ જાણકારી ન હતી, તથા તેના મા-બાપ અને એક્સપર્ટ સહીત સૌની સલાહ હતી કે એક કરોડ લઇ ક્વિટ કરવું યોગ્ય છે. ત્યારે તેણે કહ્યું હું હંમેશ ગણેશજીનું સ્મરણ કરી તેની સલાહ મુજબ વર્તુ છું !! અને (તેના મુજબ !) ગણેશજીએ સલાહ આપી કે આગળ વધ ! રમ્યો અને તેના કમભાગ્યે (કે પછી વધુ પડતા આત્મવિશ્વાસ કે બુદ્ધિથી નહીં પણ માની લીધેલી શ્રદ્ધાથી વિચારવાને કારણે !) હાર્યો ! અને જીતેલા એક કરોડ પણ ગુમાવ્યા.
    વૈચારીક જાગૃતિ એક કરોડ અને ૩,૨૦,૦૦૦ જેટલો ફરક પાડી શકે છે. આશા રાખું મારો કહેવાનો અર્થ સૌને સમજાયો હોય. આભાર.

    Like

  16. KBCના પ્રશાંતની અંધશ્રદ્ધાનું પરિણામ જોઈને મેં પણ અશોક્ભાઈ જેવું જ અનુભવ્યું. એમના પિતા અને એડવાઈઝરની વાત ન માની અને ગણપતિબાપાનું સ્મરણ કરીને અંધારામાં ભૂસકો માર્યો. જુગારી માનસિકતાનું પ્રદર્શન ગણેશ ભગવાનને નામે!

    Like

    1. શ્રી દિપકભાઇ, આભાર.
      દંતકથાનુસાર, ગણેશે માત-પિતામાં સમગ્ર બ્રહ્માંડ જોયેલું (પેલી માત-પિતાને પ્રદક્ષિણા કર્યાની કથા છે ને), અને આવડા આ મિત્રએ પિતાના આદેશનું ઉલ્લંઘન કરી ગણેશજીનો (મનથી ધારી લીધેલો) આદેશ માન્યો !! ગણેશજી પણ હવે કેમ બચાવે ! અહીં કોઇની મજાક ઉડાવવાનો ઇરાદો નથી પરંતુ લેખકશ્રીએ ઉલ્લેખ્યા મુજબ, માથાના દુઃખાવા માટે પણ એસ્પ્રોને બદલે ’ઈશ્વર’ને કષ્ટ આપવાની મગજમાં ઘુસી ગયેલી માનસિકતાનું અને ’મગજનું વેન્ટિલેશન’ કેમ બંધ થાય છે તેનું એક વધુ ઉદાહરણ રજુ કરવા માત્રનો છે.

      Like

  17. શ્રી યાસીનભાઈના લેખોમાં ખૂબ સચ્ચાઈ રહેલી હોય છે. મને એમના લેખો વાંચવાનું ખૂબ ગમે છે. સરસ લેખ બદલ આભાર.
    જય

    Like

  18. *********આપણે બીનસાંપ્રદાયીક બંધારણ અપનાવ્યું; પણ હજુ સુધી આપણી પ્રજામાં ઉદારમતવાદી વલણ ઉતર્યું નથી. માત્ર બંધારણમાં સમાનતા અને એકતા શબ્દ લખવાથી સમાનતા આવી જતી નથી. એને માટે આપણું માનસીક વલણ પાયાથી બદલવું પડશે.

    ધર્મ કે ઉપાસના પદ્ધતીને આધારે માણસ સંગઠન રચે છે, એની કોમ કે જ્ઞાતી બને, અને પછી એ એકમેકના સહકારને બદલે ઘર્ષણમાં પરોવાય અને આવા કહેવાતા ક્રીયાકાંડોના રક્ષણ માટે લડાઈઓ કરે. એ વીજ્ઞાનના વીકાસની હરણફાળના યુગમાં અત્યંત બેહુદું લાગે છે.****

    ૧. તો પછી સદીઓથી ભારતમાં પણ શું થઈ રહ્યુ છે??

    ૨. શું ભારત પણ આવા પાપોથી અળગુ છે??

    ૩. અત્યાચાર તો અહિં પણ થઈ રહ્યો છે ને??

    ૪. ભલુ થજો અંગ્રેજોનુ જેમણે ભારતને આજે વિશ્વસ્તરીય જ્ઞાન આપ્યુ નહિ તો આજે પણ ક્ષુદ્રોએ પાછળ ઝાડુ બાંધીને ચાલવુ પડતુ હોત, વિધવાઓએ ઘરના એક ખુણે બેસીને જીવન ઢસરડ્વુ પડત, સ્ત્રીઓ અને ક્ષુદ્રોને શિક્ષણ ના મળ અને આંબેડકરજીને બૌધ્ધ ધર્મ અપનાવવો જ ના પડ્યો હોત ને?

    આવા ઘણાએ વિચારો ફુટી નિકળે છે પણ લોકોને જ્ઞાનની મીઠી મીઠી વાતોમાં ફોસલાવીને આંખે જ્ઞાનના-સમજના-શિક્ષણના ઠેબા ખવડાવનારા પાટા બાંધીને માનવસમાજની સાચા ઉધ્ધારને બદલે સદાયે નાશ થનારી દિશાભુલ કરાવવુ એ પણ શૈતાની કામ નથી શુ? સારો સારો ઉપદેશ આપવા કરતા જતુ કરવા અને એજ સદીઓના હક્કોને જતા કરવા છે કોઈ તૈયાર, કોઈ ક્ષુદ્રનુ કામ કરવા તૈયાર નથી, આજે ક્ષુદ્ર ક્ષુદ્ર છે એના જવાબદાર યાસીન દલાલ અને અન્ય ભટકાવનારા બુધ્ધુ બુધ્ધીજીવીઓ જ છે, જે પોતાના સમાજને તો સુરક્ષા બક્ષે છે પણ નિમ્ન સમાજોને ઘ્રુણા અને એમના પાપોના ભોગવનારા માને છે……

    આજે ભારત ખરા અર્થમાં સ્વતંત્ર નથી એના જવાબદાર આ સર્વ બુધ્ધુ બુધ્ધીજીવો જ છે અન્ય કોઈ નહિ……..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s