Saaraa Vichaaro E Saaraa Maanasa ni Smpatti Chhe

સારા વીચારો એ સારા માણસની સાચી સમ્પત્તી છે

– વલ્લભભાઈ ઈટાલીયા

(દીવ્યજીવન સંઘ’, નવસારી દ્વારા 2010ની ત્રીજી નવેમ્બરે(વાગ્બારસના દીને), નવસારી ખાતે ‘સરસ્વતી વંદના’ કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે શહેરના 15 જેટલા સાહીત્યકારો તેમ જ સાહીત્યરસીક પ્રબુદ્ધ નાગરીકોએ પોતાની કે અન્ય સાહીત્યકારો રચીત ગીત, ગઝલ, કાવ્ય, શાયરી, લેખો વગેરે વીવીધ રચનાઓનું પઠન કર્યું. તેમાં આ બ્લોગરે પણ રૅશનાલીસ્ટ લેખક/ચીન્તક શ્રી વલ્લભ ઈટાલીયાના આ લેખનું પઠન કર્યું. તમને ગમશે એવી આશાએ તે અહીં રજુ કરું છું.. –ગોવીન્દ મારુ)

વાંચવું આસાન છે, લખવું આસાન છે; પરન્તુ વીચારવું માણસને પરેશાન કરી મુકે છે. એક વહુ કલાકો સુધી દહીંને વલોવે, ત્યારે સ્વાદીષ્ટ અને પૌષ્ટીક માખણનું સર્જન થાય છે. એક માતાનું ઉદર મહીનાઓ સુધી વલોવાય ત્યારે વહાલસોયા સંતાનનું સર્જન થાય છે, એમ એક વીચારકનું મગજ કલાકો સુધી વલોવાય, ત્યારે એમાંથી સમાજમાં વહેંચવા લાયક થોડા વીચારોનું સર્જન થતું હોય છે.

સારો વીચારક પોતાના વીચારો લોકો સુધી પહોંચે એ પહેલાં એને ત્રણ કસોટીમાંથી પસાર કરતો હોય છે.

1. પોતે જે કહે છે કે લખે છે એ નીરર્થક તો નથી ને ? પોતાના વીચારો માનવસમાજ માટે પ્રેરણામય અને પૌષ્ટીક તો છે ને ?

2. પોતાના વીચારો સમાજમાં અન્ધશ્રદ્ધા ફેલાવે એવા તો નથી ને ? પોતાના વીચારો સમાજ માટે હાનીકારક તો નથી ને ?

3. પોતે જે વીચારો રજુ કરે છે તે વ્યવહારુ તો છે ને ? પોતાના વીચારો સત્ય અને તર્કની એરણ પર ખરા તો ઉતરે છે ને ?

સારા વીચારો માણસને સારો માણસ બનાવવામાં અને સારી રીતે જીવવામાં મદદરુપ થાય છે. સારો લેખક હમ્મેશાં સારા વાચકોનો ઓશીયાળો હોય છે. સારા શીક્ષકની કીમ્મત ત્યારે જ થાય છે જ્યારે તેને સારા વીદ્યાર્થીઓ પ્રાપ્ત થાય છે. કલમ એક શક્તી છે, એની પ્રતીષ્ઠા જળવાઈ રહેવી જોઈએ. તલવાર નફ્ફટ બને ત્યારે જેટલું નુકસાન કરે છે એના કરતાં કલમ નફ્ફટ બને ત્યારે લોકોને વધારે નુકસાન કરે છે.

મહાન વીચારક પ્લેટોએ એક અદ્ ભુત વાત કરી છે, ‘આ દુનીયા વીચારોની બનેલી છે’ ટેબલનું સર્જન થાય છે; એ પહેલાં એના સર્જકના મનમાં ટેબલના વીચારનું સર્જન થાય છે. એરોપ્લેનનું સર્જન થયું; એ પહેલા રાઈટ બન્ધુઓના મગજમાં હવામાં ઉડવાના વીચારનું સર્જન થયેલું. ટેલીફોનનું સર્જન થયું; એ પહેલાં એલેકઝાન્ડર ગ્રેહામ બેલને દુર રહેતાં સ્વજનો સાથે વાત કરવાનો વીચાર પ્રગટ થયેલો. કહેવાય છે કે મોટામાં મોટી ક્રાન્તીનો આરમ્ભ નાનકડા વીચારથી થયો હોય છે. સારાં કાર્યો હમ્મેશાં સારા વીચારોની કુખેથી જન્મ લેતા હોય છે.

લગભગ સવાસો વર્ષ પહેલાં કવી દલપતરામની ઘણી લોકચાહના હતી. ભાવનગરના એ વખતના રાજાને એક વીચાર આવ્યો કે કવી દલપતરામનું જાહેર સન્માન કરવું જોઈએ. રાજાએ પોતાનો આ વીચાર કવીવર દલપતરામને જણાવ્યો. કવીએ જવાબમાં એવું સન્માન સ્વીકારવાની નારાજી જાહેર કરી. રાજાએ વધારે આગ્રહ કર્યો એટલે કવી દલપતરામે એક શરતે જાહેર સન્માન સ્વીકારવાની હા પાડી. કવીવર દલપતરામે શરત મુકી કે, ‘ભાવનગરમાં એક સારી લાયબ્રેરીની સ્થાપના કરવામાં આવે, તો હું સન્માન સ્વીકારવા રાજી છું.’ અને ૩૦મી ડિસેમ્બર, ૧૮૮૨માં ભાવનગરમાં એક પુસ્તકાલયની સ્થાપના થઈ જેને આજે આપણે બાર્ટન લાઈબ્રેરીના નામથી જાણીએ છીએ. કવીવરના એક સારા વીચારે લાખો સાહીત્યરસીકોની ભુખ સંતોષી છે. આ બાર્ટન લાયબ્રેરીએ ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાથી માંડીને સોલીસીટર જનરલ રાયજી ઢેબર, મનસુખલાલ ઝવેરી, મહેન્દ્રભાઈ મેઘાણી અને હરીન્દ્ર દવે જેવા વીદ્વાન સાહીત્યકારોને પોતાના ઘડતર અને વીકાસમાં બહુમુલ્ય યોગદાન પુરું પાડ્યું છે. સારા માણસનો એક સારો વીચાર લાખો માણસોને  સારા માણસ બનવામાં મદદરુપ બનતો હોય છે.

જે માણસ સારા વીચારોને પકડી શકે છે, એ માણસે હાથમાં માળા પકડવાની જરુર નથી. બધાં મા–બાપ સન્તાનને એક સારી મોટર વારસામાં ન આપી શકે; પરન્તુ એક સારો વીચાર તો વારસામાં જરુર આપી શકે.

વીષ્ણુગુપ્ત ચાણક્ય પાસે કોઈ શસ્ત્ર નહોતાં, કોઈ સૈન્ય પણ નહોતું; છતાં માત્ર પોતાની વીચારશક્તીથી નન્દવંશનો નાશ કર્યો અને ચંદ્રગુપ્ત મૌર્યને મગધનું શાસન સોંપ્યું હતું ! આ વીચારોની તાકાત છે. વીભીષણના વીચારો લંકાની પ્રજાને વીનાશથી બચાવી શકે; રાવણની સેના કદી ન બચાવી શકે.

સારા માણસ બનવા માટે સારા વીચારો અનીવાર્ય છે એટલે જ સારા વીચારોનું દાન એ બીજા કોઈ પણ દાન કરતાં ઓછું મુલ્યવાન નથી. સારા વીચારકો પણ સમાજના સાચા સેવકો છે. પાણી કરતાં સેવાની તરસ વધે ત્યારે માણસ પાકો સમાજસેવક બને છે. અને સેવા કરતાં સત્તાની તરસ વધે ત્યારે માણસ પાકો રાજકારણી બને છે ! પાકા સમાજસેવકો, પાણીની તંગીથી પરેશાન થાય છે, જ્યારે પાકા રાજકારણીઓ મતની તંગીથી પરેશાન છે ! સારા વરસાદ કરતાં સારા વીચારોનો દુષ્કાળ વધારે વીકરાળ હોય છે. ચપટીક સારા સમાજસેવકોના કારણે પ્રત્યેક કાળમાં સેવાનો મહીમા જળવાઈ રહ્યો છે.

જે દેશની પ્રજામાં ખુદ્દારી હોય એ દેશને જ પ્રગતી સાધવાનો અધીકાર છે. ભીખારી પાસે ગમે તેટલી મુડી થઈ જાય, એ માલદાર બની શકે; પણ ખુદ્દાર ન બની શકે. આપણી ભીખારીવૃત્તી અને માયકાંગલા વીચારો જ ભારતમાંના ભ્રષ્ટાચારનાં મુળ કારણો છે. રાષ્ટ્રની પ્રજામાં નીતીમત્તાનું સ્તર ઘટે છે ત્યારે જ ભ્રષ્ટાચારનું સ્તર વધે છે. માણસ ભ્રષ્ટ થતા હોય છે. વીચારવંત માણસ જીવંત માણસ છે. સારા વીચારો પર વજ્રાઘાત થાય છે ત્યારે જ આપઘાત થાય છે. હૃદય અને મગજ બંધ થાય ત્યારે જ નહીં; પરન્તુ વીચારવાનું બન્ધ થાય છે ત્યારે પણ માણસ મૃત્યુ પામતો હોય છે.

માણસનું મગજ બગડે ત્યારે ડૉક્ટરો પાસે ઉપાય છે; પણ માણસની દાનત બગડે ત્યારે ડૉક્ટરો પણ લાચાર બની જતા હોય છે. સારા માણસનો દેહ પડી જાય છે; પરન્તુ એમના સારા વીચારો અને સારાં કાર્યો ટકી જતાં હોય છે. ગાંધી ગયા; પણ એમના વીચારો રહી ગયા. સરદાર ગયા; પણ એમનાં કાર્યો રહી ગયાં. વીવેકાનંદ લાંબુ ન જીવી શક્યા; પરન્તુ એમના વીચારો લાંબુ જીવી ગયા.

આપણે ત્યાં ધર્મસભા, શોકસભા અને મતસભા ભરાય છે; પરન્તુ વીચારસભા ભાગ્યે જ ભરાય છે ! ગુજરાતમાં રથયાત્રા કે ગૌરવયાત્રા કરતાં વીચારયાત્રા નીકળે તો કેવું ? સારા સ્વસ્થ અને સમાજોપયોગી  વીચારો એ જગતના વીચારકો તરફથી  માનવજાતને મળતો ખરો પ્રસાદ છે.

: પ્રસાદ :

માણસે પોતાના મહત્ત્વનાં કાર્યનો આરમ્ભ પુરતો વીચાર કર્યા પછી જ કરવો જોઈએ. આ ભાગદોડના યુગમાં વીચારપુર્વક કાર્ય કરવાનું અત્યંત આસાન છે; કારણ કે એમાં હરીફાઈ ખુબ ઓછી છે.

– વલ્લભ ઈટાલીયા

લેખકસંપર્ક:

શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, 74–બી, હંસ સોસાયટી, વરાછા રોડ, સુરત – 395 006 મોબાઈલ : 98258 85900 ઈ મેઈલ: vallabhitaliya@gmail.com

મુમ્બઈથી પ્રકાશીત થતા માસીક ‘વીવેકપંથી’ (તંત્રી– ગુલાબ ભેડા – 2/C/1-Asmita Mogra, Dutta Jagdamba Marg, Sher-e-Punjab Colony, Andheri(East) Mumbai-400 093 Phone- 022-2838 8891 નો 100મો વીશેષાંકનો આ લેખ ‘વીવેકપંથી’ના તંત્રીશ્રીની તેમ જ લેખકશ્રીની પરવાનગી અને સૌજન્યથી સાભાર…

‘વીવેકપંથી’ રૅશનલ વીચારોનું માસીક (વાર્ષીક લવાજમ માત્ર રુપીયા 100/-) હવે વેબસાઈટ પર વાંચવા માટે પણ ઉપલબ્ધ છે. જેની લીન્ક નીચે મુજબ છે:

http://sites.google.com/site/vivekpanthi/home

http://sites.google.com/site/vivekpanthi/

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ

https://govindmaru.wordpress.com/

ગોવીન્દ મારુનવસારી

November 12, 2010

27 Comments

  1. ‘સારા વીચારો માણસને સારો માણસ બનાવવામાં …’
    સુંદર વાત
    વિચારક દાદા ધર્માધિકારીએ તો ‘વિચાર ક્રાંતિ’ પ્રવચનો આપ્યા
    બાદ સર્વોદય સારી રીતે સમજાયુ…..
    અને અમારા બબલભાઈ તો શરુઆતમાં ગવડાવે
    જેવા વિચાર કરશો
    તેવા તમે થવાના
    દિલના વિચાર નક્કી
    જીવન બની જવાના…
    અને ગાંધીજી વિનોબા જેવા વિચારકોએ પગલે…
    …”સર્વ સેવા સંઘના સદસ્ય અને લોકસેવક તરીકે કાર્ય કરવા ઇચ્છતા વ્યક્તિ સત્ય, અહિંસા, અપરિગ્રહ અને શરીરશ્રમમાં નિષ્ઠા ધરાવતો તેમ જ એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરતો હોય, તે જરૂરી છે. લોકનીતિ વડે જ સાચી સ્વતંત્રતા સંભવે છે – એવી માન્યતાના આધારે પક્ષ આધારિત રાજનીતિ અને સત્તાની રાજનીતિથી દૂર રહેતા હોવા જોઇએ. આ ઉપરાંત કોઇ રાજકીય પક્ષના સદસ્ય ન હોવા જોઇએ. જાતિ, વર્ગ કે પંથ વગેરે કોઇપણ પ્રકારના ભેદને જીવનમાં સ્થાન ન આપતા હોય તેમ જ પોતાનો પૂરેપૂરો સમય અને મુખ્ય ચિંતન ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિના કાર્યમાં આપી શકે તેમ હોવું જોઇએ.”ાવા વિચારકોની વાત અપૂર્ણ જ રહે!!બાકી રહે તે

    શેષ આચારેણ પૂરયેત

    Like

  2. Dear friends,

    It is very good article. Generally , people have good thoughts or they know what they are supposed to do intheir life but the problem is , very few people have self courage to put into daily life.

    If you are determined to follow good thoughts in your life, nobody can stop you in doing.

    Be happy what you have and full faith in Lord.

    Implementation of anybody’s good thoughts will help everybody.

    Thanks,

    Pradeep H. Desai
    USA.

    Like

  3. “આપણે ત્યાં ધર્મસભા, શોકસભા અને મતસભા ભરાય છે; પરન્તુ વીચારસભા ભાગ્યે જ ભરાય છે ! ગુજરાતમાં રથયાત્રા કે ગૌરવયાત્રા કરતાં વીચારયાત્રા નીકળે તો
    કેવું? સારા સ્વસ્થ અને સમાજોપયોગી વીચારો એ જગતના વીચારકો તરફથી માનવજાતને મળતો ખરો પ્રસાદ છે.”

    Well said!

    Like

  4. સારા વિચારો કરે સારા નથી બનાતું-એમ તો સારા વિચારોના પુસ્તકોના ઢગલા પડ્યા છે-પરંતુ સારા વિચારો-તમારા હોય કે બીજાના-જો તમે અમલમાં ન મુકો તો એ બધાં પોથી માં ના રીંગણાં-

    Like

  5. સારા વિચારો વાંચવા વંચાવવા અને કરવા એજ જીવનનુ
    ભાથુ
    સુંદર લેખ

    Like

  6. માનનીય ગોવિંદભાઈ અને ઈટાળીયા સાહેબ ઉત્તમ લેખ….. અભિનંદન
    પણ સાથે સાથે
    હર્નીશભાઈ તદ્દન જ સાચુ કહે છે………..
    ગોવિંદભાઈ અને ઈટાળીયા સાહેબ અને અન્ય મહાનુભાવોના ઉત્તમોત્તમ લેખો આપણે સદીઓથી વાંચીએ છીએ, પણ “ખાટલે મોટ્ટામાં મોટ્ટી ખોડ” ફક્ત એ જ છે કે બધા વાંચીને પછી ભુલી જાય છે અને શ્રી ગોવિંદભાઈ અને ઈટાળીયા સાહેબ અને અન્ય સુજ્ઞમહાનુભાવોના ઉત્તમ કહેવાતા વિચારો “પોથીમાંના રીંગણા” ઠરી જાય છે. એવુ ન થાય એ માટે હજુ વધારે કઈક કરવાની જરુર રહે છે………

    Like

  7. Vallabhbhai Italia’s “Good Thoughts are Good Men’s Real Wealth” article published in `Vivek Panthi’ monthly for promoting Rational Thoughts is an Effort to bring home the realization that it is an Essential Need of the Day. People are to Busy in their rugged day-to-day activities of Earning Money for their Family. They have No Time to Think, They say`Marvano pan vakhat Nathi’.

    The Logical sequence is To Read First, Think next, and then Put in Practice.”Vancho, Vicharo ane Amalma Muko” People who Preach have to Practise First. This does not happen in to-days world. There are so many Gurus, etc. come to America during Summer to Make Money. They are the Hawkers coming to Sell their Stale Goods in America and Return with Dollars before Winter Sets In. They Do Not Come to Make People Learn from Reliigious Shastras or to make them become Better Human Beings. There are a lot of things of that nature to do in India itself. Hypocrisy is the First Symptom of most of the Leaders of Religious Organizations in U.S.A. There are already many thinking People in the Society, but have been Neglected. It is a Sorry State of Affairs. “Dharmano Dhandho Dham Dhokar Chale Chhe”.

    Fakirchand J. Dalal

    9001 Good Luck Road,
    Lanham, Maryland 20706.
    U.S.A.

    Note: I am a 83 year old (Real) Jain, Originally from Surat, Retired since May 1, 1991 living in America for over 40 years with Family.

    Like

  8. મુ. શ્રી વલ્લભ ભાઈ ઈટાલીય,

    વિચારવાની પ્રેરણા આપે એવો સુંદર લેખ આપવા બદલ અભિનંદન.

    વિચારો ને તર્ક શાસ્ત્ર જોડે લેણું છે જે છેત્રમણ નો અનુભવ મહદ અંશે કરાવે છે, માટે વિચરો લેવા વાળા ઓછા હોય છે.
    માટે બાળ પૂર્વક વિચારો વેચવા વાળા પાખંડ નો આશરો લે છે.

    ગાંધીજી કહેતા ” હજારો મણ તર્ક કરતાં એક અધોળ આચરણ ચડીયાતું છે”
    આપણા વિચરો ને પ્રકટ કરવાનો સચોટ ઉપાય સ્વ-આચરણ છે..

    વિચારકો નો તત્કાલીન સમાજ વિરોધ કરે તોયે તે વિચારો ને આચરનારા ની ઈતિહાસ નોંધ રાખે છે.

    વિચારો માટે મૃત્યુ ને વરવા વાળા સોક્રેટીસ ની ગણના સાચેજ વીર પુરુષ તરીકે ગણાય. ગાંધીજી પણ એમાં ના એક ગણાય.

    જે વિચારો આચરણ માં પોતે ન મૂકી શકે તેને વિચારો પ્રકટ કરવાનો દંભ ન કરવો જોઈએ
    (ઉપદેશાકે આચાર્ય પહેલા થવું જોઈએ) ઉપદેશાત્મક વિચારો સાથે ” યોગ્ય તે કરજો” એ સંદેશ નિહિત છે.

    વિચાર બીજ રૂપે છે જે આચારો ની ફળદ્રુપ વાડી સર્જી શકે છે.

    વિચાર બીજ ની જેમ અવિનાશી હોય છે, જે ગમે ત્યાં /ત્યારે પાંગરી શકે છે.

    અસ્તુ.
    શૈલેષ મહેતા
    +૧ ૩૧૨ ૬૦૮ ૯૮૩૬

    Like

  9. વિચાર એક બીજ છે.એમાંથી પછી વૃક્ષ બને.પણ વિચાર્યુજ ના હોય,બીજ રોપ્યું જ ના હોય તો વૃક્ષ ક્યાંથી પેદા થવાનું?વિચાર પછી આચરણ આવે.ભારતમાં વિચારવા પર પ્રતિબંધ મુકેલો છે.’સંશયાત્માં વિનશ્યતિ’,,’મામેક્મ શરણમ વ્રજ’,,દુનિયાના કોઈ સમાજમાં આવું કહીને વિચારવા પર પ્રતિબંધ મુકાયો નથી.હવે આના જાત જાતના મિત્રો અર્થ કરશે ,પણ સામાન્ય જન માનસ ઊંડી ફિલોસોફી નહિ,સીધા સપાટ અર્થ કરી લેછે.ભારતમાં અર્થ કરવાની છૂટ છે,ડાઉટ કરવાની નહિ.બસ અહીજ વિચારવાની બારીઓ બંધ.ડાઉટ કરવાનો નથી તો સ્વીકારીલો, અર્થ જેને કરવા હોય તે સામાન્ય જન માનસ વિચારવાનું શરુજ નહિ કરે.વેદ વ્યાસજીએ કુટિરમાં બેસી પોતાનું લખીને શ્રી કૃષ્ણ ના મુખે મૂકી પ્રમાણભૂત છે તેની મહોર મારી ભારતની ઘોર ખોદી નાખી.લોકો જ્ઞાન વગરના ટેકનોલોજી વગરના નિર્માલ્ય થઈને તૈયાર બેઠેલાજ હતા.ફક્ત સમયનો સવાલ હતો વિદેશીઓ ક્યારે આવે.સમય આવ્યો વિદેશી આક્રમણકારો આવ્યા ત્યારે વાતાવરણ રેડી હતું.સંસ્કૃતિના પાયા સડી ગયેલા,ઉધઈથી ખવાયેલા તૈયાર જ હતા.એક જ ઢીંક ને ભારત હજાર વર્ષ ગુલામીની ગર્તામાં ફેંકાઈ ગયું.હજુ નામની સ્વતંત્રતા મેળવી છે,માનસિકતામાંથી ગુલામી ખસતી નથી.ગાંધીજી,સરદાર,વિવેકાનંદ જેવા થોડા મહાનુભાવો વિચારે છે તેને લીધે કહેવાતી આઝાદી મળી છે.સરસ લેખ મુક્યો છે.આભાર.

    Like

  10. ખૂબ સરસ અને વિચાર કરતાં કરી મુકે તેવો લેખ. સાથે સાથે ઉપયોગી માહિતી પણ. જેમ કે, હું ભાવનગરમાં જ રહું છું પણ બાર્ટન લાયબ્રેરી પાછળ શ્રી દલપતરામ નું યોગદાન આજે જ જાણ્યું.

    આભાર.

    જય

    Like

  11. બહુ જ સુંદર લેખ અને પ્રસાદ તો અત્યંત ગુણકારી.

    Like

  12. A VERY GOOD PRESENTATION FOR ALL GOOD TO HAPPEN TO ALL THOSE WHO WILL READ THIS.
    MANY OF US OFTEN READ GOOD QUOTES AND THEN CIRCULATE ALWAYS FOR GOOD CAUSE. OUR PARENTS MANY TIMES USE GOOD PROVERB AS AND WHEN NECESSARY.CYCLE OF CIRCULATION AND GENERATION OF GOOD THOUGHT IS VERY IMPORTANT.

    Like

  13. સુંદર લેખ.
    સારુ વાંચન સારા વિચારો તરફ લઈ જાય છે. સત્સંગ પણ તેમાં સારો ભાગ ભજવે છે.
    સારા વિચારો તો લગભગ સૌને આવે પણ તેનુ આચરણ કેટલા કરે છે તે મહત્વનુ છે.

    Like

  14. વિચાર બીજ રૂપે છે જે આચારો ની ફળદ્રુપ વાડી/સુદ્રઢ સમાજ સર્જી શકે છે.
    વિચાર બીજ ની જેમ અવિનાશી હોય છે, જે ગમે ત્યાં /ત્યારે પાંગરી શકે છે.

    વેદો એ વિચારોનો સંપુટ છે.

    અસ્તુ.
    શૈલેષ મહેતા
    +૧ ૩૧૨ ૬૦૮ ૯૮૩૬

    Like

  15. ખુબ સુંદર છે.વિચારો જીવનમા સારા સારા વિચાર ઉતારે તો જ જીવન શાર્થક બને.

    Like

  16. લેખ ગમ્યો અને સરસ છે, કદાચ સારા થવા સારું નહીં પણ બીનહાનિકારક વિચારવું જોઈએ,

    Like

    1. Satishbhai,
      Is it? Yes, it is. But how many of these have we read or heard? Then what? Like Harnishbhai Jani said – if we do not show the courage to implement any of it, they are just material to be framed for others to read. In addition, the presenter should FIRST practice before sharing them.

      Like

  17. ” તલવાર નફ્ફટ બને ત્યારે જેટલું નુકસાન કરે છે એના કરતાં કલમ નફ્ફટ બને ત્યારે લોકોને વધારે નુકસાન કરે છે. ”
    ” મોટામાં મોટી ક્રાન્તીનો આરમ્ભ નાનકડા વીચારથી થયો હોય છે. ”
    ” સારા વીચારોનું દાન એ બીજા કોઈ પણ દાન કરતાં ઓછું મુલ્યવાન નથી. ”
    ” સારા વરસાદ કરતાં સારા વીચારોનો દુષ્કાળ વધારે વીકરાળ હોય છે. ”
    ” વીચારવાનું બન્ધ થાય છે ત્યારે પણ માણસ મૃત્યુ પામતો હોય છે. ” – અહીં એથેન્સની કોર્ટમાં બોલતો સોક્રેટિસ યાદ ન આવે તો જ નવાઇ.
    — જો કે મુ. વલ્લભભાઇના આ લેખનાં શબ્દે શબ્દને સોને મઢાવવા જેવા છે. છતાં મને વધુ ગમેલા થોડા વાક્યો અહીં ફરી ટાંક્યા. અને વલ્લભભાઇએ સુચવેલી ત્રણ કસોટી ઉભરતા વિચારકોએ પણ ચકાસી અને ઉપયોગમાં લેવા જેવી છે. એ વાત સાચી કે વિચાર જો આચારમાં ન આવી શકે તો તે માત્ર પોથી માંહ્યલું રીંગણું બની જાય છે, પરંતુ એથી વિચારની કિંમત ઓછી આંકવા જેવું નથી. કારણ એક સારો (અને સાચો !) વિચાર આવતા આવતા ક્યારેક જીંદગી પુરી થઇ જાય છે. અને આચાર વૃક્ષ છે તો વિચાર તેનું બીજ છે (આભાર બાપુ !), જો બીજ કડવા લીમડાનું હશે તો આંબો કેમથી મહોરશે ?
    પછી તો સૌનો પોતપોતાના સંસ્કાર મુજબનો આચાર હોય છે પણ વિચારથી અલગ આચાર તો નર્યો દંભ જ ઠરે ને ! (જો કે માનો કે ખરાબ વિચાર આવવા છતાં તેને અવગણી સારો આચાર કર્યો તો તેને શું કહીશું ?–સંસ્કાર ?) આમ આચાર-વિચાર અને સંસ્કાર સર્વે સાપેક્ષ જોડાયેલા રહે છે.
    મને લાગે છે વિદ્વાન લેખકશ્રીએ અહીં લેખમાં જ સરસ ચોખવટ આપી દીધી છે કે; “સારા માણસ બનવા માટે સારા વીચારો અનીવાર્ય છે” — સારા વિચારો માટે સારો માણસ હોવું અનિવાર્ય નથી જ !
    મુદ્દામાં સારા વિચારને પકડવાનો છે, સારા માણસને નહીં ! આપણી એક ભુલ એ પણ છે કે આપણે ’માણસ’ને પકડી પુજવા લાગીએ છીએ, ’વિચાર’ને નહીં.
    જો કે આટલા સુંદર અને વિચારપ્રેરક લેખનાં એક એક વાક્ય પર કંઇ કેટલુંયે વિચારી શકાય છે, પરંતું સ્થાળસંકોચે મેં અહીં માત્ર થોડું રજુ કર્યું.
    સુંદર વિચાર અમારા સુધી પહોંચાડવા બદલ ગોવીંદભાઇ, આપનો પણ ખુબ આભાર.

    Like

  18. ઇટાલીયાસાહેબનો સરસ લેખ…વિચારયાત્રા કાઢવી જ જોઈએ….
    વિચારો તો બધાને આવતાજ હોય છે….પણ વાત એ વિચારોને આચરણમાં મુકવાની હોય ત્યારે ભલભલા હાંફી જાય છે….વિચારો માનવીની પ્રતિકૃતિ છે…

    વિચારો એ સપના જેવા હોય છે…આખા દિવસ જે કામ કર્યું હોય તેના અનુસંધાનનું જ સપનું આવે એવી જ રીતે માનવી જે વ્યવસાય, અભ્યાસ કે પ્રવૃત્તિ કરતો હોય એ વિશેના વિચારો વધારે આવે…જે સારા અને ખરાબ બન્ને પ્રકારના હોઈ શકે….

    રાવણ બુદ્ધિશાળી હોવા છતાં એક ખરાબ વિચારના કારણે એનો વિનાશકાળી અંત થયો…
    એક વિચાર મેઘા પાટકરને આયો…જેના કારણે આજે નર્મદા યોજનાનું કાર્ય પૂર્ણ થતું જ નથી…લાખો લોકો પાણી માટે તરસે છે.
    ગાંધીજી જેવું વિચારતા કે તરતજ તેને આચરણમાં મુકવા પ્રયત્ન કરતાં…એટલે તેઓ કહી શક્યા કે, ” મારું જીવન એજ મારો સંદેશ. ”
    હિટલર પોતાના વિચારોનું પુસ્તક લખ્યું અને ૪૦ લાખ યહુદીઓની હત્યા થઇ…એક વિચાર..
    એક વિચાર જે અમેરિકાના પ્રમુખને આવ્યો અને એને જાપાન પર પરમાણું બોમ્બ ફેંક્યો…અમેરિકા માટે સારો વિચાર હતો યુદ્ધ જીતવા માટે પણ જાપાન માટે એ વિચાર ખતરનાક સાબિત થયો…
    ગમેતેવા અણઘડ વિચારો કરે તેને મોહમ્મદ તઘલખ કહેવામાં આવે છે…

    એક કથાકાર હતાં…તેઓ પોતે સિગરેટ અને તંબાકુ ખાતાંતા….પણ કથામાં વ્યસન છોડવાની વાત કરે…તો કોઈએ કહ્યું કે, આપ તો ખાઓ છો અને અમને છોડવાનો ઉપદેશ આપો છે…આવું કેમ??? તો કથાકાર કહે, ” તમારે મારી કથા સામું જોવાનું મારા વ્યક્તિગત જીવન તરફ નહી…” હવે બોલો એની કથામાંથી શું લાભ થાય??? કથાકારનો વિચાર સારો છે વ્યસન છોડો…પણ આચરણ ખરાબ છે…જેનું આચરણ ખરાબ એ માણસ પણ ખરાબ જ….

    જે વ્યક્તિ પત્નીને છોડીને વેશ્યાઓ પાસે જાય અને પ્રયાવરણપ્રેમી બનો…વ્યસનનો ત્યાગ કરો…સાચા અર્થમાં માનવ બનો એવી શિખામણ આપે …તો કોણ એ વ્યક્તિની વાત માનવાનું????? કોણ એ વ્યક્તિને સારો કહેવાનું???? કદાચ કોઈ નહી….કેમકે, વિચારો ગમેતેવા બળિયા હોય પણ જો માણસ સારો ના હોય તો એના ગમેતેટલા સારા વિચારોનો કોઇજ અર્થ રહેતો નથી…કારણ કે સમાજ માણસનું આચરણ જુવે છે,વિચાર નહીં…

    ” સારા વિચારોનું આચરણ જ માણસના ચારિત્રનું ઘડતર કરે છે. ”

    સારા વિચારો સારા પુસ્તકો વાંચવાથી, સત્સંગ કરવાથી, મનમાં શુભ સંકલ્પો અને દરેકનું કલ્યાણ થાઓ એવા સંકલ્પો કરવાથી આવે છે…

    બાકી આજના ટેન્શનભર્યા સમયમાં સારા વિચારો આવવા એ પણ એક સુખદ ઘટના છે…

    Like

  19. જે દેશમાં જગતના મહાન વિચારકોએ જન્મ લીધો હતો અને એના જ દેશવાસીઓએ પ્રભુ યીશુના વિચારો નહિ પણા અચારથી જ પ્રભાવીત થઈને એમને પ્રભુ તરીકે અપનાવી લીધા હતા અને આજે એ દેશ જગતના ખ્રિસ્તીઓની રાજધાની કહેવાય છે. અને એ જ પ્રભુ યીશુના વિચારો સાથે સાથે આચારે પણ પોણા જગત ઉપર રાજ કરે છે. (જો કે હવે વિજ્ઞાન, ખ્રિસ્તીવાદને ઢીલો પાડવાની કોશિશ કરે છે પણ છેવટે “બોંબ બ્લાસ્ટ થાય છે ત્યારે તેઓ પણ ચર્ચ-પાદરીઓ અને પ્રાર્થના તરફ જ દોટ મુકે જ છે ને”)

    ગાંધીજી એ ફક્ત બાઈબલના જ વિચારોને પોતાનુ આચરણમાં બનાવ્યુ ત્યારે જ દક્ષિણ આફ્રિકામાં જ મહાત્મા પદ પામ્યા હતા. (જે તેઓ દક્ષિણ આફ્રિકા ન ગયા હોત અને ખ્રિસ્તીઓની સંગતમાં આવ્યા ન હોત તો ગાંધીજી એક સામાન્ય ભારતીય બનીને રહી ગયા હોત અને ભારતનુ ચિત્ર કંઈક અલગ જ હોત.)
    પછી ભારતમાં આવીને ગીતાને મહત્વ આપ્યુ એ અલગ વાત છે.

    પણ ગીતાનુ જ્ઞાન પામીને અર્જુન જે અહિંસક બની ગયો હતો, દયાથી વ્યાકુળ થઈ રહ્યો હતો એ જ હિંસક બનીને પોતાના સગાઓને નાશ નુ કારણ બની ગયો હતો. જોકે ગીતાનુ જ્ઞાન કૌરવોને આપવુ જરુરી હતુ નહિ જે ક્રુષ્ણએ કૌરવોને પચાવે ન શક્યા અને ન આપીને એમના દુશ્ટાચાર દ્વારા એમની ઘોર ખોદી નાંખી હતી.

    સાંઈબાબાના સદવિચારો અને સદાઆચારોના કારણે આજે ભારતના દિલો-દિમાગ પર રાજ કરી જ રહ્યા છે ને.

    અને આજના ભારતમાં મને કોઈ સદાચારી જણાતો જ નથી અને થોડે ઘણે અંશે સ્વામી અગ્નીવેશ કહી શકાય, મુંબઈના રીટાયર્ડ મ્યુનિસિપલ કમિશ્નર જેમણે દાઉદની મદિના-મહેલને જમીનદોસ્ત કરી આપ્યો હતો. બીજા હશે પણ કોઈ ધ્યાનમાં નથી આવતા, આપને આવે તો ધ્યાન દોરવા વિનંતિ છે…

    અને સાચુ જ્ઞાન સારા વિચારોથી નહિ પણ સાચ્ચા જ્ઞાન ની ઓળખ, પછી એનો વિચાર, પછી એનુ મનન, અને એ સદવિચાર આચાર બની જાય તો જ એ વિચાર સાચો છે નહિ તો એ સારો વિચાર “પોથીમાનાં રીંગણા…”

    (ઉતાવળે લખાયુ છે, ભુલ્ચુક ક્ષમા યાચુ છુ)

    અશોકભાઈ અને યશદલાલજી સૂંદર વાત કહી…… ધન્યવાદ
    ..
    .

    Like

  20. a very good article. For every creation the first step is thought. I have read thoughts becomes things when coupled with a burning desire.

    Like

  21. વાત તદ્દન સાચી છે ,સારું વાંચન , કે સારા વિચારો હોવા એ જેટલું અગત્ય નું છે,
    એથી પણ અગત્યનું છે એનું મનન કરવું, અમલ માં મુકવું, એક વ્યક્તિ ના અમલ થી-
    સંસાર બદલી નથી સકતા, પણ દરેક વ્યક્તિ એક સારા વિચાર ને અમલ માં મુકે, તો –
    કદાચ સંસાર માં ઘણા સારા પરિવર્તન લાવી શકાય,
    સીમા દવે

    Like

Leave a comment