(1) હું જમું ને તમને ઓડકાર આવે ખરો ? અને (2) અંધશ્રદ્ધાની હોળીમાં વહેમનાં છાણાં

(1)

હું જમું ને તમને ઓડકાર આવે ખરો ?

જયકુમાર દમણીયા : Bન્દાસ’

એક ભાઈનાં માતુશ્રી અવસાન પામ્યાં ત્યારે ભાઈએ એક કર્મકાંડી મહારાજને ઉઠમણામાં બોલાવીને સુતક તથા સારણ–તારણની તીથી–વાર જોવડાવ્યાં. પછી બ્રાહ્મણે કહ્યું, ‘તમારી સ્વર્ગસ્થ માતાના આત્માના પુણ્યાર્થે સજ્જા ભરવી પડશે અને સાથે ગાય કે વાછરડીનું દાન આપવું પડશે’

‘મહારાજ ! સજ્જા એટલે શું ?’

‘તમારાં માતુશ્રી જીવન દરમ્યાન જે વસ્તુઓનો ઉપયોગ કરતાં તે આંગણામાં મુકવી પડશે. દા.ત. તમારાં માતુશ્રીનાં પલંગ, રજાઈ, ઓશીકાં, જમવાનાં વાસણો, છત્રી, ટોપી, વસ્ત્રો જેવી અનેક જીવનજરુરીયાતની વસ્તુઓ મુકજો.’

‘એનાથી શું થાય ?’

‘એ બધી જ વસ્તુઓ તમારાં માતુશ્રીને સ્વર્ગમાં પહોંચે એથી એમને ત્યાં કશી અગવડ ના પડે.’

‘બરાબર, પરન્તુ મહારાજ ! આ બધી વસ્તુઓ સાથે ગાય કે વાછરડીનું દાન શા માટે ?’

‘ભાઈ, ગાય કે વાછરડીના દાનથી તમારા માતુશ્રી સ્વર્ગમાં આવેલી વૈતરણી નદી, ગાય કે વાછરડીનું પુંછડું પકડીને  સહેલાઈથી તરી શકે !’

‘એમ ! ?’

‘ચોક્કસ એમાં શંકાને કોઈ સ્થાન જ નથી.’

‘મહારાજ ! તમારી વાત હું માની લઉં છું; પણ તમે મારી વાત માનશો ?’

‘બોલો.’

‘મારાં માતુશ્રીને અંતકાળ સુધી પેટમાં દુખાવાની બીમારી રહી. ઘણા ડૉક્ટરો કે વૈદ્યોના ઈલાજ કામ નહીં આવ્યા અને અંતે એ બીમારીએ જ એમનો જીવ લીધો. એમના મૃત્યુ બાદ એક ભુવાએ કહ્યું કે, તારી માતાને પેટમાં ડામ મુકાવ્યા હોત તો બચી જાત. મારી બીચારી માતાને હજી પેટનો સખત દુ:ખાવો થતો જ હશે તો તમે એ ભુવા પાસે તમારા પેટ ઉપર ફક્ત બે જ ડામ મુકાવશો ? તો મારા માતુશ્રીને પેટમાં શાંતી થશે.’

‘એ કેવી રીતે બને ?’

‘તો પછી આ સજ્જા અને સારણ–તારણની વીધી મારા માતુશ્રીને સ્વર્ગમાં કેવી રીતે પહોંચે ? હું જમું અને તમને ઓડકાર આવે એ કેવી રીતે બની શકે ?’

(2)

અન્ધશ્રદ્ધાની હોળીમાં વહેમનાં છાણાં

જયકુમાર દમણીયા : Bન્દાસ’

‘એલાવ, સાસુજી ! તમારી દીકરીને આજે સુરત મોકલો.’ જમાઈએ ફોન કર્યો.

‘જમાઈરાજ ! આજે મારી દીકરીને સાસરે નહીં મોકલું કેમ કે આવતીકાલે જ ભડભડતી સામી હોળી છે. એટલે રસ્તામાં નદીનાળાં ખાબોચીયાં ઓળંગાય નહીં.’

‘તો પછી ક્યારે મોકલશો ?’

‘રંગપંચમી પછી મોકલીશ કેમ કે હોળાષ્ટકથી રંગપંચમી સુધી કોઈપણ શુભકાર્યો થતાં નથી.’

‘કેમ ? તમારી દીકરીને સાસરે વળાવવી એ અશુભ કાર્ય ગણાય ? ’

‘કેમ કે ધારો કે હું મારી દીકરીને સુરત મોકલું અને રસ્તામાં ન કરે નારાયણ કાંઈક અશુભ થઈ જાય તો ?’

‘મારે પણ એ જ જોવું છે કે તમારી દીકરીને શું થાય છે ?’

‘તમે તો બધા ખતરાવાળા અખતરા, મારી દીકરી પર જ કરવા ઈચ્છો છો ને ? તમારે શું ?’

‘સાસુજી ! હું તમને પુછું છું કે તમારી દીકરીને  સાસરે સીધાવતાં જ બુધવાર, અમાસ, હોળી, નદીનાળાં, ખાબોચીયાં જ કેમ નડે છે ? પીયર આવતા આ બધાં નડતરો કેમ નડતાં નથી ?

‘એ તો જાણે મારી બલા ! પણ વર્ષોથી આવો (કુ)રીવાજ ચાલ્યો આવતો હોવાથી, હું એને નહીં મોકલી શકું. મારી બા પણ મને સાસરે મોકલતાં નહોતાં.’

‘ધારો કે સાસુજી ! તમારી દીકરી ભડભડતી હોળીને દીવસે જ, દીકરો કે દીકરીને જન્મ આપે તો શું કરો ?’

‘આપણા હાથની વાત થોડી છે ? એ તો ધાર્યું ધણીનું જ થાય છે !’

‘તમે તમારી દીકરીના ધણીનું ધાર્યું ક્યાં થવા દો છો ? આજે તો ધાર્યું ધણીનું; પણ ધણીપણું જ ક્યાં થાય છે ! મારા સસરાજીનું પણ ક્યાં તમે ધાર્યું થવા દો છો !’

તમે જમાઈ છો એટલે વ્યંગમાં બોલો છો; પણ હું તમારી પત્નીને મોકલવાની નથી’

‘સાસુજી ! ધાર્યું ધણીનું યાને ભગવાનનું જો થતું હોય તો પછી મારી પત્નીને સાસરે પધારતાં રસ્તામાં શું નડવાનું હતું? તમારા દીલમાં પ્રગટેલી અંધશ્રદ્ધાની હોળીમાં, વહેમનાં છાણાં– પરાળ નાંખીને, એને શું કામ વધુ ભડભડતી કરો છો ? અને એમાં મને શું કામ હોળીનું નાળીયેર બનાવો છો ? ધારો કે સાસુજી, મારા ઘરમાં હોળીથી રંગપંચમીના દીવસોમાં કોઈ ઈમરજન્સી આવે અથવા કાંઈક અશુભ બને તો તમે તમારી દીકરીને મારે ઘરે મોકલો કે નહીં !’

‘તો.. તો.. મારી દીકરીને મોકલવી જ પડે ને ? અને એની સાથે મારેય ઘસડાવું પડે ને !?’

‘ધારો કે મારી બા, મને ના મોકલે તો હું જ જાતે સાસરે દોડી જાઉં નહીંતર આપણી વચ્ચે વીના અગ્નીએ મનભેદની હોળી ભડભડે જે કદાપી ઠરતી નથી !’ પત્નીએ સાંસારીક હોળી મહાત્મ્ય સમજાવતાં કહ્યું.

ટી.વી., રેડીયો – હાસ્યકલાકાર – કવી/લેખક : જયકુમાર દમણીયા ‘Bન્દાસ’ના હાસ્ય સંગ્રહ ‘હસતારામનું હાસ્યામૃત’ (પ્રકાશક : શ્રી હરીહર પુસ્તકાલય, ટાવર રોડ, સુરત-395 003 ફોન: (0261) 2424302 ઈ-મેઈલ: hariharbooks@yahoo.com પૃષ્ઠઃ 176; મુલ્યઃ 100 રુપીયા)માંથી, લેખક, અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક સંપર્ક : ‘ધ્યાની-જ્યોત’ 6, ગોકુલ રો હાઉસ, ગેઈલ ટાવરની સામે, એસ.એમ.સી. લાયબ્રેરીની નજીક, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત-395 009. મોબાઈલ : 94267 77600

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, govindmaru@yahoo.co.in

પોસ્ટ તારીખ : 28/01/2011

16 Comments

  1. It is a good article to read & think over it and learn. All rituals we do during our life do not make sense at all.

    When a body dies, soul leves body. Body with out soul is like zero with out one. People do not think about rituals. When my father died three years ago in India, I did not do any kind of rituals at all. I brought my mom with me and she is stayinh happily with us.

    In life there is no need to fear from anything. Birth, Life & Death is transformation from one thing to another.

    Thanks so much.

    Pradeep H. Desai
    USA

    Like

  2. ‘તો પછી આ સજ્જા અને સારણ–તારણની વીધી મારા માતુશ્રીને સ્વર્ગમાં કેવી રીતે પહોંચે ? હું જમું અને તમને ઓડકાર આવે એ કેવી રીતે બની શકે ?’
    જો કે હવે આવું ઓછું જોવા મળે છે પણ રમુજમા બહુ મૉટી વાત કરી .
    દુનિયાની કોઈ પ્રજા વહેમોથી મુકત નથી. પછાત ગણાતી પ્રજાઓ તો વહેમને અંધશ્રધ્ધાનું દૂધ પાઇને પોષે છે, પણ સંસ્કૃત પ્રજા વિજ્ઞાાનમાં ઘણી આગળ હોવા છતાં વહેમથી મુક્ત નથી.
    કહેવાય છે કે પરદેશમાં વિમાનમાં ૧૩ નંબરની સીટ ખાલી રહે છે. એ સીટ કોઈ પસંદ કરતું નથી. કદાચ એમના અનુકરણમાં, ગાડરિયા પ્રવાહમાં તણાઇને આપણે પણ ૧૩ના આંકડાને અપશુકનિયાળ માનીએ છીએ. – શાસ્ત્રોમાં ત્રીજ અને તેરસનાં મુહૂર્ત ઉત્તમ ગણાવા છતાં ૧૩ પર આપણે વહેમ ઠોકી બેસાડયો છે. એવી જ રીતે હિંદુ સમાજમાં વદની ચૌદસ- અમાસ માટે વહેમ છે. માણસ ગંભીર બીમારીમાં હોય તો સગાં સંબંધીને વહેમ આવે છે કે ચૌદસ-અમાસે કદાચ પતી જાય.ખુદ સરકાર પોતે જ વહેમોમાં ડૂબકાં ખાતી હોય, પ્રધાનો શપથ લે તે માટે ય સારો દિવસ જોવાતો હોય

    હજુ વહેમ અને અંધશ્રદ્ધા સામે લડત ચાલુ રાખવી પડશે

    Like

    1. મારો તો જન્મ જ માગશર મહિનાની અમાસ,૧ જાન્યુઆરી નાં દિવસે થયો છે.શું કહેવું?અશુભ કે શુભ?અને મારો જન્મ દિવસ આખી દુનિયા ઉજવે છે.

      Like

  3. ગોવિંદકાકા,
    જય સ્વામિનારાયણ.

    તાજેતરમાં જ વિવેકાનંદ જયંતીના દિવસે અમારી કોલેજ એચ.એલ. ઇન્સ્ટીટ્યુટ ઑફ કૉમર્સમાં ‘Youth : Superstitious’ વિષય પર સમૂહ ચર્ચા યોજાઇ હતી. રાજ્યભરની વિવિધ કૉલેજના વિદ્યાર્થીએ તેમાં ભાગ લીધો હતો. કદાચ આ ચર્ચાના મુખ્ય અંશો વાંચવા ગમે કારણકે આજના યુવાનો અંધશ્રદ્દા વિશે શું વિચારે છે તે અગત્યનું છે.

    ૧. બધાનો એકમત હતો કે આજના યુવાનોમાં અંધશ્રદ્ધા છે. મેડિકલ,એન્જીનીયરીંગ, કોમર્સ, લૉ, મેનેજમેન્ટ જેવી વિવિધ વિદ્યાશાખામાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થી-વિદ્યાર્થિની સ્પ્રધકે યુવાન કોઇને કોઇ માન્યતામાં માનતા હોવાનું જણાવ્યું.

    ૨. કેટલાકના મતે પોતે અંગત રીતે તે માન્યતાને સમર્થન નથી આપતા. પણ પરિજનોને દુઃખ પહોંચાડી પોતાનો કક્કો ખરો કરવામાં તેમને રસ નથી. આથી પોતે ન માનતા હોવા છતા પરિજનોના સંતોષ ખાતર આવી માન્યતાને પાળે છે.

    ૩. ઘણા જેતે વહેમના ઉદ્દભવના મૂળમાં તપાસ કરવાનું યોગ્ય માને છે. અને ત્યારબાદ જો યોગ્ય લાગે તો તેનું પાલન ચાલુ રાખવામાં તેમને કોઇ વાંધો ન હતો.

    ૪. આજના યુવાનોના વહેમ આગલી પેઢી કરતા તદ્દન જુદા છે. Keep your finger cross કે સાથે લકી રૂમાલ, પેન, કપડા, લકી નંબર વગેરે વગેરે જેવી માન્યતાઓમાં માનતા હોવાનું તેઓ સ્વીકારે છે. હા પણ, કેટલાકની દલીલ એ હતી કે કોઇ ચોક્કસ કપડા પહેરવાથી કે કોઇ ચોક્કસ વસ્તુ પાસે રાખવાથી તેમને આનંદ થતો હોય અને તેમના આત્મવિશ્વાસને બળ મળતો હોય તો તેમ કરવામાં ખોટું શું છે.

    ૫. કેટલાકે એવો મત રજૂ કર્યો કે આવા વહેમમાં માનવું ન માનવું દરેકનો અંગત મત છે. કોઇકની શ્રદ્ધા બીજા માટે અંધશ્રદ્ધા હોય અને કોઇની અંધશ્રદ્ધા કોઇની શ્રદ્ધા હોય. આ દરેકની અંગત બાબત છે. જ્યા સુધી કોઇની માન્યતા બીજાને નુકસાન ન પહોંચાડે ત્યાં સુધી બીજી વ્યક્તિએ તેની શ્રદ્ધાને અંધ શ્રદ્ધા કહીને દખલ ન કરવી જોઇએ. Simply mind each others own business.

    આ તો ચર્ચાનો ટૂંકસાર છે. મેં જે જોયું તે આપના માધ્યમથી બધા સમક્ષ વ્યક્ત કર્યું.

    Like

  4. Let us take one example to study ANDHSHRADDHA….
    People visit JYOTISH to find SUBHA MUHRAT or they want to know favourable time period, luck, vaibhav….( By the way people blindly perform vaibhavlakshmi vrat to become rich….that also one of the thosands of ANDHSRADDHA prevailing in HINDUS. How many becomes RICH ? Only book writer and publishers and kirana seller become rich.)

    Do the JYOTISH study for the SUBH MUHRAT for him to start predicting favourable time for the customer ?

    Is it not necessary for the jyotish to start prediction for the customer only when his own GRAHDASHA is favourable to start prediction ?

    He does not see because this is his business and the visitor is his CUSTOMER….AND…….

    ” Var maro ke kanya maro pan brahman nu tarbhanu bharo.”

    LET US, HINDUS REALISE THAT WE ERRADICATE OUR OWN ANDHASRADDHA FIRST, IRRESPECTIVE OF OTHERS ALSO HAVE ANDHASRADDHA. Let them suffer because of their fault, why we worry ? We correct ourselves and be happy.

    ” Bura dekhan me chhala, Bura mila na koi,
    Jab dekha apne aapko, mujhase bura na koi.”

    Every coin has two sides. Let us accept only brighter side..

    Congratulations to Mr. Damania. Hilarious approach is more effective than serious one.

    Amrut(Suman)Hazari.

    Like

  5. આ બધા કુરીવાજૉ છે જ અને સડી ગયેલ પરંપરા ધર્મ અને અધ્યાત્મ સુધારો માંગે છે..આ તો લખીને વ્યક્ત થયું..ઘણીવાર લેખકો કવિઓ પોતાની ક્રુતિની જ બડાઈ હાંકતા હોય છે..પરંતુ સમાજમાં વ્યક્તિ વ્યક્તિ પાએ જઈ આવા કુરિવાજો શેરી નાટક કરી..સમજાવવા જોઈએ..જો આ પણ એક માધ્ય્મ છે આપે લોક જાગ્રુતિનું જ કાર્ય કર્યુ છે માટે વંદન..
    એક શ્લોક જતા જતા યાદ આવ્યો કે,
    સર્વદા સર્વ કાર્યેષુ નાસ્તિ તેષામ અમંગલમ
    યેષાં હ્રુદય્સ્થીતો ભગવન મંગલાતનયો વિદુઃ
    અર્થાત..હંમેશા બધા કર્યોમાં તેનું કશુ અંગલ કે અપશુકન થતું નથી.જે એમ માને છે કે પરમાત્મા હ્રુદયમાં બેથૉ છે..
    ધાર્યુ ધણીનું થાય આ અધ્યાત્મ છે પણ લોકોને આ નથી માનવું કેમ તેમનું ધાર્યુ નહિ થાય..અને ફક્ત તર્મ સાચવવાની કે છે આટ્લા દિવસ તે અહી રહેશે તેમાં..આ બીજા બધા બહાના ની ક્યા જરુર છે..નીતી મૂલ્યો અને જ્ઞાન આવે તો જ ઉન્ન્તિ થાય..

    Like

  6. સુંદર, જ્ઞાન સાથે ગમ્મત.
    લેખકશ્રી અને આપનો આભાર.
    પ્રથમ વાર્તામાં “બહાનું” અંધશ્રદ્ધારૂપે છે. બીજીમાં “લાલચ” અંધશ્રદ્ધારૂપે છે.
    * ઘણાં વેપારીઓ પણ સાંજે આવેલા ઉઘરાણીવાળાને ટાળવા કહી દે છે કે ’સાંજ ઢ્ળ્યા પછી અમે લક્ષ્મિને બહાર કાઢતા નથી !’ (બહાનું ! રાત્રીના શૉમાં નાટક-ચલચિત્ર જોવા જાય તો ત્યાં કેમ ટિકિટનાં પૈસા ધડ દઇને બહાર કાઢે છે !!)
    * અભણ કે ભોળા લોકોની અંધશ્રદ્ધા માત્ર અંધશ્રદ્ધા છે જ્યારે ભણેલા કે સમજદાર લોકોની અંધશ્રદ્ધા એક ચાલાકી બની ગઇ છે. શક્ય છે આગળ પર શાળા-કોલેજોના અભ્યાસક્રમમાં પણ, અંધશ્રદ્ધાના ઉપયોગ વડે લક્ષ્ય કેમ પાર પાડવું તે શીખવવું સામેલ કરાય !
    * હવે અંધશ્રદ્ધાનાં પણ બે ભાગ પડી શકે, નુકસાનકારક અને ફાયદાકારક !
    જો કે નૂકશાન અને ફાયદો એક સિક્કાની બે બાજુ જેવા હોય, કોઇકને માટે ફાયદાકારક અન્યને માટે નુકસાનકારક પણ બને.
    * નાની નાની અંધમાન્યતાઓ સામાન્ય રીતે કોઇને પણ ખાસ કંઇ નુકસાનકારક જણાતી નથી, પરંતુ લાંબાગાળે સમગ્ર વૈચારિકપ્રક્રિયા પર બહુ મોટો ફરક પાડે છે. અને ત્યારે કદાચ બહુ મોટું નુકસાન કરી દે છે.
    જેમ કે ભેંશ દોહવા ન દે તો ભૂવા પાસે તેનો દોરો મંત્રાવવા જનાર બહુ તો બે-ચાર દિવસનાં દૂધથી વંચિત રહે, પરંતુ આ (કુ)ટેવ આગળ ક્યારેક કોઇકને સર્પદંશ થાય ત્યારે પણ તેને ભૂવા પાસે જવા પ્રેરશે અને કદાચ કોઇકની અકારણ જાનહાનીનું કારણ બનશે.
    * એક અઘરું વાક્ય : આપ અંધશ્રદ્ધા ધરાવો છો ! તો આપને ઈશ્વરમાં તો શ્રદ્ધા નથીજ !! અર્થાત આપ જ ખરા અશ્રદ્ધાળુ છો !!! ( કદાચ આ મારી અંધશ્રદ્ધા હોય ! માટે વિચાર્યા વિના માની ન લેવું : – ) )

    Like

  7. ટુંકમાં ઘણુ કહી જાય છે.
    ઈશ્વરના ડરને કારણે ઘણીવાર માણસ અંધશ્રદ્ધામા ખૂંપી જાય છે.
    લોક જાગૃતિ લાવવી જરૂરી છે.

    Like

  8. કહેવાતા ધર્મ ગુરૂઓએ પોતાના સ્થાપિત હિતો પોષવા કોઈ વ્યક્તિ ગંભીર મુશ્કેલીમાં મૂકાય અને ત્યારે કોઈ ને કોઈનું અવલંબન શોધતી હોય છે બરાબર આ સમયના મોકાનો આ ધર્મને નામે કે ઈશ્વરને નામે વેપલો કરનારાઓ લાભ લઈ પેલી વ્યકતિનો આત્મ વિશ્વાસ ડગાવી તેના ઉપર અવલંબીત બનાવી દે છે. મને દુનિયા ભરમાંથી એક એવી વ્યક્તિ બતાવો કે જેના 60-70 વર્ષના આયુમાંથી 10-15 વર્ષ તકલીફ/મુશ્કેલીના ના આવ્યા હોય ? દરેકના જીવનમાં તકલીફ/મુશ્કેલી આવતી જ હોય છે તેના પ્રકાર અલગ અલગ હોઈ શકે ! કોઈને આર્થિક તો કોઈને શારીરીક તો કોઈને કૌટુંબીક/સામાજિક તકલીફો આવ્યા કરે છે ત્યારે આજુ-બાજુના લોકો કે જે આવી અંધશ્રધ્ધ/વહેમ કુંડ્ળી/ગ્રહો વગેરેમાં માનતા હોય છે તે ઉપરાંત આવા થઈ પડેલા બાવાઓ/ગુરૂઓ/મહંતો વગેરે પેલાને ભડકાવી પોતાની વગ હેઠળ લાવવા આત્મ વિશ્વાસ ડગાવવા તમામ કોશિશો કરી છૂટે છે. જો જ્યોતિષોની આગાહીઓ/ફલ કથન સાચા પડતા હોત તો તેઓને પોતાની જાહેરાતો કરવાની જરૂરિયાત ના હોત ! અખબારોમાં પાનાઓ ભરી જાહેરાતો આવે છે જે આપ સૌ વાચતા જ હશો ! વધુમાં રામ-સીતાની કંડ્લી વશિષ્ઠ જેવા ઋષિએ મેળવી હતી તેમના લગ્નમાં દેવી દેવતાઓ હાજર રહેલા અને આકાશમાંથી પુષ્પ વૃષ્ટી થયેલી તેમ છતાં સીતાનું દાંપત્ય જીવન અત્યંત કરૂણ રહેલું. પ્રથમ વનવાસ ત્યાંથી રાવણ દ્વારા અપહરણ પરિણામે રામ -રાવણ યુધ્ધ બાદ અગ્નિ પરીક્ષા તેમ છતાં ગર્ભવતી થતા જ રામ દ્વારા ત્યાગ પુત્રોનો જન્મ જંગલમાં અને આખરે આત્મ હત્યા ! અલબત્ત આપણને એમ સજાવવામાં આવે છે કે સીતાને ધરતીએ માર્ગ આપતાં ધરતીમાં સમાઈ ગયા પણ ખરા અર્થમાં તો તે આત્મહત્યા જ ગણાય ! રામે પણ સરયુ નદીમાં દેહ ત્યાગ કર્યો તે પણ આત્મહ્ત્યા જ કહેવાય ! ટૂંકમાં આપણા લોકોમાં અંધશ્રધ્ધા ગુરૂઓ અને સ્વામીઓ એ જડબે સલાટ જડની જેમ ઠસાવી દીશી હોય તે દૂર કરવી અત્યંત કઠિન છે. ઉપર કોઈના પ્રતિભાવમાં કહ્યું જ છે ને કે આજનો યુવા વર્ગ પણ વિચારવાને બદ્લે આવી અંધશ્રધ્ધા કદાચ અલગ પ્રકારની ધરાવતો થયો છે અને જેને ગુરૂઓ/સ્વામીઓ/જ્યોતિષીઓ પોષી રહ્યા છે. અસ્તુ !

    Like

  9. શ્રી ગોવિંદભાઈ ,

    કુરિવાજો માટે સુંદર કટાક્ષમય લેખ રૂપી વાત સંવાદ રૂપે મૂકી .

    અંધ શ્રધ્ધા અને કુરિવાજો એ આપણા દેશની અને માનવ સહજ જીવનની

    પ્રગતી રોકી દીધી છે. ધન્યવાદ ગોવિંદભાઈ સુંદર લેખ માટે.

    Like

Leave a comment