સંશયની સર્ચલાઈટ

–રમણ પાઠક ‘વાચસ્પતી’

વીખ્યાત બ્રીટીશ ચીન્તક થોમસ કાર્લાઈલે કહ્યું છે કે ‘જેમ જેમ સત્યનું જ્ઞાન વધુ ને વધુ પ્રાપ્ત થતું જાય છે તેમ તેમ શ્રદ્ધાનું સ્થાન–મહત્ત્વ સંકોચાતું જાય છે.’ બીજી બાજું, આપણા સાધુબાવાઓ, કથાકારો અને ઉપદેશકો એથી ઉલટો જ પ્રચાર કરે છે કે : ‘જ્યાં વીવેકબુદ્ધીની હદ પુરી  થાય છે, ત્યાંથી શ્રદ્ધાનું ક્ષેત્ર શરુ થાય છે.’ જોકે ગૉડમેનોની આવી દલીલ ખોટી તથા સ્વાર્થપરસ્ત જ છે; કારણ કે એમાં એ લોકોનું હીત રહેલું છે. બાકી સત્ય હકીકત તો ઉલટી જ છે. કાર્લાઈલ કહે છે તેમ, માણસમાત્ર જન્મ બાદ, શીશુવયમાં વડીલો પાસેથી જાતજાતની શ્રદ્ધાઓ લઈને ઉછરે છે; પરન્તુ વય વધતાં જેમ જેમ તેનાં જ્ઞાન તથા વીવેકબુદ્ધી વીકસે છે તેમ તેમ તેને પ્રતીત થતું જાય છે કે પોતાની મોટા ભાગની શ્રદ્ધાઓ નાપાયાદાર છે. પણ આજે આ મુદ્દાની ચર્ચા નહીં કરીએ.

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં એક સુભાષીત આવે છે; જે ચેતવે છે કે ‘સંશયાત્મા વીનશ્યતી.’ એ વાચતાં મને હમ્મેશાં લાગ્યું છે કે જેટલો વીનાશ આ સુત્રે સર્જ્યો છે; એટલો વીનાશ કદાચ કોઈનોય સંશય કરવાથી તો નહીં જ થયો હોય; સેંકડો દાખલા મોજુદ છે : હજી આજેય વગદાર સાધુસન્તો પ્રચારે છે કે વર્ણાશ્રમ ધર્મ તો સ્વયમ્ ઈશ્વર નીર્મીત વ્યવસ્થા છે. એથી સમાજને લાભ જ લાભ છે. ‘ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટ્મ્’ એમ ખુદ ભગવાને સ્વમુખે જ ગીતામાં કહ્યું છે. પુ. પાંડુરંગ શાસ્ત્રીજી છેક વીસમી સદીના અંત ભાગે પ્રચારે છે કે : ‘શુદ્ર શુદ્ર જ રહેવો જોઈએ. જો તે બ્રાહ્મણ, ક્ષત્રીય કે વૈશ્યના વ્યવસાયમાં માથું મારે તો સમાજમાં અવ્યવસ્થા સર્જાય. શ્રીરામે શંબુકનો શીરચ્છેદ કર્યો એ યોગ્ય જ હતું’ ઈત્યાદી ! કયા જમાનાની આ વાતો છે ? અરે, ખુદ મહાત્મા ગાંધીજી કહેતા કે વર્ણવ્યવસ્થા એ તો ભારતે વીશ્વને આપેલી એક મોટામાં મોટી અણમોલ ભેટ છે ! આવી માન્યતા ધરાવનાર માણસની પછી હરીજનોદ્ધારની પ્રવૃત્તીનું હાર્દ કેટલું ક્રાંતીકારી હોઈ શકે ? માટે જ આજે દલીતો કે બહુજન સમાજ ગાંધીજીની ટીકા કરે છે.

હજી આજેય આ સુત્ર, એટલે કે સંશય કરનાર વ્યક્તીનો વીનાશ થાય છે, એ સુત્ર એટલો જ હાહાકાર આ દેશમાં વરતાવી રહ્યું છે. હજી તો જગદ્ ગુરુઓ એવા શંકરાચાર્યો સ્ત્રીજાતીને વેદપાઠ કરવાની મનાઈ ફરમાવે છે. એ જ રીતે, મુર્ખતાની હદ તો ત્યારે આવે છે કે જ્યારે ધાર્મીક અગ્રણીઓ એવી દૃઢતાપુર્વક ઘોષણા કરે છે કે यज्ञात भवती पर्जन्य: । યજ્ઞથી વરસાદ પડે અને આ એકવીસમી સદીમાં વળી એવાં જાહેર પ્રયોગો થાય, અને આવા વીધાનની નીષ્ફળ ચકાસણી પણ કરવામાં આવે છે ! છતાં પાછા યજ્ઞો તો થતા જ રહે ! હીમાલય બાજુથી ધનભુખ્યા કે કીર્તીભુખ્યા ભગવાં કે શ્વેતધારીઓનાં ટોળાં ઉતરી પડે છે અને અનેક પ્રકારના નાનામોટા ભવ્ય–સુભવ્ય યજ્ઞો યોજાતા રહે છે : શતકુંડી, સહસ્ત્રકુંડી, લક્ષચંડી, અશ્વમેધ, વીશ્વશાંતીયજ્ઞ વગેરે વગેરે… અગ્નીની વેદીમાં માત્ર ઘી, અન્ન કે માનવોપયોગી ઈતર દ્રવ્યો જ નથી હોમાઈ જતાં; આપણાં જ્ઞાન, પ્રગતી તથા વીવેકશક્તી પણ એમાં બળીને ભસ્મ થઈ જાય છે.

દુનીયાના સુધરેલા દેશો વીજ્ઞાનમાં આગળ વધી, સમગ્ર માનવજાતને સુખસગવડનાં અદ્ ભુત, ચમત્કારીક સાધનોનું જ્યારે પ્રદાન કરી રહ્યા છે ત્યારે આપણા પ્રાણપ્રશ્નો છે : અમુક ઈમારતો શું છે ? એ તોડવી કે બાંધવી ? અમુકતમુકને અનામત આપવી કે એની સામે જંગે ચઢવું ? ઉત્તરાયણ ચૌદમીએ મનાવવી કે પંદરમી જાન્યુઆરીએ ? ગણપતીની મુર્તીની ઉંચાઈ કેટલી રાખવી ? નર્મદા–સરોવરમાંથી માછલાં પકડવા કે નહીં ?… અરે, એવાય પ્રશ્નો ચર્ચાય છે કે પૃથ્વી ગોળ છે કે નહીં ? એ ફરે છે કે નથી ફરતી ? અને આ બધાનો જવાબ એક જ મળે છે. ‘સંશય કરશો નહીં ! શાસ્ત્રો ફરમાવે છે એ જ અને એટલું જ કરો–કરતા રહો !’

સંશય કરવો નહીં અને દૃઢ શ્રદ્ધા રાખવી – આ ધાર્મીક સુત્રે કેવળ ભારતની જ નહીં; સમગ્ર વીશ્વની પ્રગતીના મુળમાં જે વીનાશક કુઠારાઘાત કર્યો છે, એથી થયેલી હાની એટલી તો અપરમ્પાર છે કે એનો અંદાજ પણ કાયમ દુષ્કર છે. આમ થવાનું સીધુંસાદું કારણ એ જ કે માનવીની પ્રગતીનો પાયો જ શ્રદ્ધા નહીં; પરન્તુ ‘સંશય અર્થાત્ શંકા’ છે. આપણા પ્રાચીન ધર્મશાસ્ત્રોમાં એક પ્રાર્થના છે :

હિરણ્યમયેન પાત્રેન સત્યસ્યાપિહિતમ્ મુખમ્, તત્ત્વમ્ પૂષન અપાવૃણુ..

અર્થાત્ ‘સત્યનું સુખ સોનાના પાત્ર હેઠળ ઢંકાઈ ગયું છે. તો હે પુષન, તું ખોલી દે !’ મને લાગે છે કે સુવર્ણપાત્ર એટલે શ્રદ્ધા જ ! માટે જ આપણે એક એવી જડસુ પ્રજા રહી ગયા છીએ કે સત્યની શોધ કે વીજ્ઞાનની સીદ્ધીની દીશામાં આપણો ફાળો નહીંવત્ જ રહ્યો છે.

હવે સંશયથી થતા લાભો, સત્યની પ્રાપ્તી અને જ્ઞાનની વૃદ્ધીની સોદાહરણ ચર્ચા કરીએ :

પવીત્ર ‘બાઈબલ’ ગ્રંથના પ્રારમ્ભે જ લખ્યું છે કે શરુઆતમાં ઈશ્વરે સ્વર્ગ અને પૃથ્વી સર્જ્યાં. ત્યારે મહાસાગરને માથે અંધકાર ઝળુમ્બી રહ્યો હતો. એટલે ઈશ્વરે ફરમાવ્યું, ‘લેટ ધેર બી લાઈટ !’… અને પછી ઈશ્વરે આકાશમાં બે મોટા દીપકો સળગાવ્યા: દીવસે પ્રકાશ અર્પવા માટે સુર્ય અને જરાક નાનો દીપક એવો ચંદ્ર તે રાત્રે પ્રકાશવા માટે. છેક પંદરમી સદી સુધી, માનવજાત આ શાસ્ત્રવચનમાં તથા એરીસ્ટોટલના એવા વીધાનમાં શ્રદ્ધા રાખીને જીવતી હતી કે આ પૃથ્વી જ વીશ્વનું કેન્દ્ર છે, આકાશનો ચંદરવો માનવજાતના લાભાર્થે જ ઈશ્વરે શણગાર્યો છે ને તે દીવસરાતના ચક્ર ચલાવતો પૃથ્વી ફરતે ભમ્યા કરે છે ! જો આવા બ્રહ્મવાક્યમાં અફર શ્રદ્ધા રાખીને માનવી નીષ્ક્રીય બેસી જ રહ્યો હોત, તો હજી આજેય આપણને સત્ય–જ્ઞાન જ ન લાધ્યું હોત. અરે, એ તો ઠીક, પણ માનવસર્જીત અસંખ્ય ઉપગ્રહો અવકાશમાં ઘુમતા ન હોત અને નીરાંતે ઘરમાં સુતાં સુતાં એક નાનકડા પડદા ઉપર સમગ્ર વીશ્વની અવનવીન ઘટનાઓને આપણે નીહાળી શક્યા ન હોત !

ધર્મના રખેવાળો તો તેમના ભ્રમને અજરાઅમર રાખવા માટે ખડેપગે મજબુત પહેરો ભરી રહ્યા હતા અને શંકા કરનારને કડકમાં કડક સજા ફરમાવતાં : તે એટલી હદ સુધી કે સુર્ય નહીં, પૃથ્વી ફરે છે– એવી જાહેરાત કરવા બદલ બ્રુનો નામક સત્યશોધકને તો ધર્મગુરુ(અ–ધર્મગુરુ)ઓએ જીવતો જ સળગાવી દીધો ! અરે, આપણે તો હજી આજેય માનીએ છીએ કે સુર્યનારાયણ સાત ઘોડાવાળા રથમાં રુઢ થઈને પૃથ્વી ફરતે ચક્કરો કાપ્યા કરે છે – આપણા જ લાભાર્થે : ધર્મ એટલે જ અસત્ય !

સંશય કરવા વીરુદ્ધ આવાં આવાં કડક ફરમાનો પ્રવર્તતાં હોવાને પરીણામે જ, છેક સોળમી સદી સુધી સત્યના દરવાજા અડાબીડ બંધ જ રહ્યા. પછી એકાએક તથા અણધાર્યા ઉક્ત ધર્મના ક્ષેત્રમાં જ ભ્રમભંજક વીદ્રોહ જાગી ઉઠ્યો : કોપરનીક્સ નામના એક ધર્મગુરુને–પાદરીને જ સંશય જાગ્યો કે આકાશ જો માનવજાતના લાભાર્થે ઘડેલો, તેજપીંડો જડેલો એક સ્થીર ચંદરવો જ હોય, તો ઈટલીના આકાશમાં તારકોની જેવી ગોઠવણી દેખાય છે એવી મીસરના આકાશમાં કેમ નથી ? પૃથ્વીના ઉત્તમ ભાગમાંથી જે તારાઓ દેખાય છે તે તારાઓ દક્ષીણ ભાગમાંથી કેમ દેખાતા જ નથી ? ચંદ્ર કેમ રોજેરોજ પોતાનાં સ્થાન તથા કદ બદલતો રહે છે ? સમુદ્રમાં આગળ વધતાં જહાજોનો નીચેનો ભાગ કેમ પ્રથમ અદૃશ્ય થાય છે ? આવા પ્રશ્નોની હારમાળા મનમાં ઉઠતાં, ધર્મપુસ્તકોએ આપેલા જવાબોથી એને સંતોષ થયો નહીં, બલકે એને સંશય જાગ્યો કે ધર્મગ્રંથોની વાતો અસત્ય જ હોઈ શકે, સત્ય કંઈક જુદું જ છે. અને તટસ્થ બની એણે તારણ કાઢ્યું કે આ પૃથ્વી ગોળાકાર હોવી જોઈએ અને એ જ પોતાની ધરીની આસપાસ ગોળગોળ ઘુમતી હોવી જોઈએ. જો એ સત્ય હોય, તો જ ઉપરની તમામ શંકાઓનું સમાધાન મળે… અને કોપરનીક્સે ઘોષણા કરી કે ‘બાઈબલની વાત ખોટી છે; પૃથ્વી ગોળ છે અને તે એની ધરી ફરતે અવીરામ ચક્કર માર્યા કરે છે.’ એટલું જ નહીં, ‘વીશ્વના કેન્દ્રમાં રહેલો સુર્યપીતા પોતાના આજ્ઞાંકીત બાળકો જેવા અન્ય નાના પીંડોને સતત પોતાની આસપાસ ફેરવ્યા કરે છે.’

આમ, એક ધર્મગુરુને ધર્મવચનમાં સંશય જાગ્યો અને સત્ય પ્રગટ્યું. કોપરનીક્સથી ચર્ચ, એટલે કે ધર્મ અને વીજ્ઞાન એટલે કે અસત્ય અને સત્ય વચ્ચેના ધર્મયુદ્ધનો આરમ્ભ થયો. પછી એ જ સોળમી સદીના ઉત્તરાર્ધમાં ઈટાલીમાં ગેલેલીયો નામનો એક યુવાન ધાર્મીક માન્યતાઓ સામે પડકારરુપે પ્રગટ થયો, જેણે કોપરનીકસની શોધ આગળ ચલાવી. તેણે તો વળી ચશ્માંના કાચનો ઉપયોગ કરીને, વીશ્વનો પ્રથમ ટેલીસ્કોપ બનાવ્યો અને આકાશ સામે પ્રથમ વાર માનવીની વીરાટ દૃષ્ટી માંડી. તેને જે સત્યદર્શન થયું તે અદ્ ભુત હતું : તેણે જોયું, ચંદ્ર તો પૃથ્વી જેવો જ વીરાટ ગોળો છે; જેના પર પહાડો છે, ખીણો છે, મેદાનો છે… માનવજાત માટે આ અદ્ ભુત મંગલ ઘટના હતી; જેના મુળમાં માનવમનમાં પ્રગટતા સંશયરુપી વ્યાપારના અજોડ આશીર્વાદ હતા. ગેલેલીયોએ સાક્ષાત સીદ્ધ કર્યું કે વીશ્વના કેન્દ્રમાં સુર્ય જ છે. પ્રમાણમાં પૃથ્વી તો ઘણો નાનકડો પીંડ છે; જે સુર્યની આસપાસ ફરે છે. એથી ઋતુઓનું ચક્ર ચાલે છે. ઈત્યાદી… આવી ધર્મવીરોધી, ધર્મગ્રંથોનાં વીધાનો પ્રતી સંશય જગાવતી શોધ કરનાર ગેલેલીયો ઉપર ધર્મગુરુઓ કાળઝાળ ક્રોધે ભરાયા. તેઓએ જાહેર કર્યું કે બાયબલના સીદ્ધાન્તોની વીરુદ્ધ કોપરનીકસના મતમાં માનવું એ પાપ છે, ગેલેલીયોએ તે પાપ કર્યું છે માટે તેને સજા થવી જોઈએ. પરીણામે ગેલેલીયો પર કેસ ચલાવવામાં આવ્યો અને ધર્માચાર્યોએ એને સજા ફટકારી. ત્યારે ૭૦ વર્ષનો વૃદ્ધ અને અશક્ત થઈ ગયેલો ગેલેલીયો ભાંગી પડ્યો, તેણે ઘુંટણીયે પડીને માફી માગી લીધી. (જોકે મનમાં તો તે બોલ્યો જ કે, માફી તો માગું છું, બટ ઈટ ડઝ મુવ– પૃથ્વી ફરે જ છે.) આમ, અસત્યના રક્ષણ માટે ધર્મ આટલો કઠોર હઠાગ્રહી પણ બની શકે છે. જો કે હમણાં ચારસો વરસ બાદ, માનો તો કહી શકો કે ‘સત્યનો વીજય થયો:’ રોમન કેથલીક ધર્મના વર્તમાન વડા નામદાર પોપે જાહેરાત કરી કે ‘ગેલેલીયો સાચો હતો… મારા પુર્વજ ધર્મગુરુઓના ઘોર અપરાધ બદલ હું ગેલેલીયોની ક્ષમા માગું છું.’

ધન્યવાદ એ નામદાર પોપને ! પરન્તુ આપણા ધર્માચાર્યો ગજબના વીસંગત, પરસ્પર વીરોધી વીચાર–વર્તન સેવનારા છે : એક બાજુ, વીજ્ઞાનનાં બધા જ અદ્યતન સાધનોનો તેઓ ભરપેટ ઉપયોગ કરે છે: એ.સી. કારમાં ઘુમે છે, એ.સી.વાળા ઓરડામાં નીરાંતની ઉંધ ખેંચે છે, વીમાનોમાં વીશ્વભરમાં ઉડાઉડ કરે છે, માઈક ઉપર કથા–પારાયણો લલકારે છે ! અરે એટલું જ નહીં, ક્લોઝ્ડ સરકીટ ટી. વી. ગોઠવીને લાખ્ખો ભાવીક ભક્તજનોને સાક્ષાત દર્શન આપવાનો ચમત્કાર પ્રયોજે છે… છતાં પોતાનાં પ્રવચનોમાં વીજ્ઞાનને પાછા ભારોભાર ભાંડે છે ને શાસ્ત્રવચનમાં અતુટ શ્રદ્ધા, રાખવાનો ઉપદેશ આપતાં, ફરમાવે છે કે ‘સંશય કરશો નહીં ! સંશયાત્મા વીનશ્યતી !’

વાસ્તવમાં સંશય નહીં કરવાથી જ આપણે પછાત, ગરીબ અને દુ:ખી રહી ગયા. વીજ્ઞાનનાં વીશાળ, સુસજ્જ કેન્દ્રો સ્થાપીને, માનવહીતનાં નવાંનવાં સત્યો શોધવાને બદલે, સ્વર્ગ–નરક, પાપ–પુણ્ય, યજ્ઞ–યાગ, મરણ–પરણનાં અર્થહીન કર્મકાંડ, બાવા–બામણો જેવી પરોપજીવી જમાતની ખર્ચાળ સેવાચાકરી, આલીશાન મન્દીરો અને બાદશાહી ઠાઠમાઠવાળા આશ્રમો, ઘૃતસ્નાન અને છપ્પનભોગ, કથાપારાયણો, યાત્રાઓ–પદયાત્રાઓ, વ્રત–તપ અને મંત્રતંત્ર પાછળ સમયશક્તીનો ભયંકર ગુનાહીત બગાડ, સાથે સાથે જ ભીષણ–પ્રકાંડ બીનઉત્પાદક પ્રવૃત્તીઓથી આપણે ખતમ થઈ રહ્યા છીએ–થઈ ગયા છીએ. ત્યારે સમજો કે માનવપ્રગતી–સીદ્ધીનું મુળ સંશયમાં જ રહેલું છે. તો ચાલો, હવે સંશય શરુ કરીએ !

–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’

 પ્રા. રમણ પાઠકે તા.૩૦ જુલાઈ, ૧૯૯૭ના દીવસે તેમના સાર્થક જીવનનાં પંચોતેર વર્ષ પુરાં કર્યાં અને છોતેરમાં પ્રવેશ્યા એ નીમીત્તે ‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’માં પ્રકાશીત થઈ ચુકેલા પંચોતેર લેખોને સમાવીષ્ટ કરી ‘મધુપર્ક’ પુસ્તક પ્રકાશીત કરીને એમના ચાહકોએ જીવતેજીવ એક અંજલી આપી હતી. એ ‘મધુપર્ક’ પુસ્તક (સમ્પાદક: રજનીકુમાર પંડયા, યાસીન દલાલ અને ઉત્તમ ગજ્જપ્રકાશક: એમ. કે. મદ્રાસી, શબ્દલોક પ્રકાશન, 1760/01, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001  પ્રથમ આવૃત્તી: 1997, પૃષ્ઠ સંખ્યા: 381 મુલ્ય:  રુપીયા 200/-)ના પાન ક્રમાંક   ૨૩૪થી ૨૩૭ ઉપરથી સમ્પાદકો અને લેખકશ્રીના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક: પ્રા. રમણ પાઠક, એ–4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કોમ્પલેક્સ, બારડોલી – 394 641 ફોન: (02622) 222 176 સેલફોન: 99258 62606

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna (Evaz Apparel) Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12-A, KOPARKHAIRNE. Navi Mumbai 400 709 સેલફોન: 8097 550 222 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 01–03–2013

1

//

34 Comments

  1. પ્રા.રમણ પાઠક ના વિચારો ને પ્રસારીત/પ્રચારીત કરી “અભીવ્યક્તી” ઉત્તમ કાર્ય કરે છે.

    Like

  2. We should stop all rituals of old superstitions, should make science as main subject in education.

    Like

  3. બીનઉત્પાદક પ્રવૃત્તીઓથી આપણે ખતમ થઈ રહ્યા છીએ.
    એકદમ સાચી વાત.
    ————-
    उत्तिष्टत , जाग्रत, वरान्निबोधय।

    Like

  4. શ્રીમદ ભગવદ ગીતાના ચોથા અધ્યાયના ૩૭ થી ૪૦મા શ્લોકોમાં નીચે પ્રમાણે કહેલ છે.

    यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन ।
    ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ॥

    क्योंकि हे अर्जुन! जैसे प्रज्वलित अग्नि ईंधनों को भस्ममय कर देता है, वैसे ही ज्ञानरूप अग्नि सम्पूर्ण कर्मों को भस्ममय कर देता है॥37॥

    न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते ।
    तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति ॥

    इस संसार में ज्ञान के समान पवित्र करने वाला निःसंदेह कुछ भी नहीं है। उस ज्ञान को कितने ही काल से कर्मयोग द्वारा शुद्धान्तःकरण हुआ मनुष्य अपने-आप ही आत्मा में पा लेता है ॥38॥

    श्रद्धावाँल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ।
    ज्ञानं लब्धवा परां शान्तिमचिरेणाधिगच्छति ॥

    जितेन्द्रिय, साधनपरायण और श्रद्धावान मनुष्य ज्ञान को प्राप्त होता है तथा ज्ञान को प्राप्त होकर वह बिना विलम्ब के- तत्काल ही भगवत्प्राप्तिरूप परम शान्ति को प्राप्त हो जाता है ॥39॥

    अज्ञश्चश्रद्दधानश्च संशयात्मा विनश्यति ।
    नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ॥

    विवेकहीन और श्रद्धारहित संशययुक्त मनुष्य परमार्थ से अवश्य भ्रष्ट हो जाता है। ऐसे संशययुक्त मनुष्य के लिए न यह लोक है, न परलोक है और न सुख ही है ॥40॥

    અહીં સહુ પ્રથમ તો જ્ઞાનની પ્રશંસા કરી છે. ત્યાર બાદ જિતેન્દ્રીય, સાધન પરાયણ અને સાધનામાં શ્રદ્ધાવાન મનુષ્યો જ્ઞાન પ્રાપ્તિના અધીકારી છે તેમ જણાવેલ છે.

    —————–
    શ્રી રમણભાઈ જણાવે છે કે માનવ પ્રગતિનું મુળ સંશયમાં જ રહેલું છે. કેવા પ્રકારના સંશયથી માનવ પ્રગતિ થઈ છે?

    વિજ્ઞાનની જેટલીએ શોધ થઈ છે તેના શોધકોને શ્રદ્ધા અને વિશ્વાસ હતા કે તેઓ કશું ક શોધી શકશે. તેથી તેમણે પ્રયોગો કર્યા, અવલોકનો લીધા, તારણો કાઢ્યાં અને કશીક પ્રાપ્તિ કરી. સાધનાના માર્ગે પણ તેમ જ બને છે. સાધકને શ્રદ્ધા હોય છે કે શ્રદ્ધા પૂર્વક સાધના કરતા કરતાં તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકશે. છેવટે સાધનાના પરીપાક રુપે કેટલાયે સાધકો સિદ્ધ બની ગયાં. જો સાધકને કે વૈજ્ઞાનિકોને પહેલેથી જ સંશય હોય કે કશી શોધ થશે નહીં કે કશી સિદ્ધિઓ પ્રાપ્ત નહીં થાય તો તેઓ કેવી રીતે સાધના કે શોધ કરી શકે?
    ———————–
    ચાલો, હવે સંશય શરુ કરીએ. કેવો સંશય શરુ કરશું? સંશય શરુ કરવા માટે ય શ્રી રમણભાઈ જે કહે છે તે વાત પર શ્રદ્ધા રાખવી પડશે. હવે મારે રમણભાઈનો લેખ વાંચીને તેમના પર શ્રદ્ધા રાખીને સંશય શરુ કરવો કે તેમની વાત પર સંશય રાખીને શ્રદ્ધા રાખવી?
    ———————–
    અહીં વિવેકબુદ્ધિ કામ આવે. જ્યારે કુટપ્રશ્નો હોય, અવઢવ હોય, કિંકર્તવ્ય મુઢતા હોય ત્યારે આપણાં કરતાં વધારે યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન લેવું પડે. તેવે વખતે તે વ્યક્તિ પર શ્રદ્ધા રાખવી પડે. ડગલે ને પગલે મનુષ્યને શ્રદ્ધા રાખવી જ પડતી હોય છે. સહુ પ્રથમ તો જરુર છે આત્મશ્રદ્ધા વિકસાવવાની. માણસ આત્મશ્રદ્ધા જ ગુમાવી બેઠો છે એટલે પછી તેની પાસે માત્ર સંશયો જ રહે છે.
    ———————–

    Like

  5. ૧. વિજ્ઞાનીઓને ધર્મોના કહેવાતા અને ઠોકી બેસાડેલા સત્યોમાં પહેલા સંશય થયો.
    ૨. આ સંશયે તેમને સંશોધન કરવા મજબુર કર્યા.
    ૩. વિજ્ઞાનમાં તેમની શ્રદ્ધાએ તેમને સત્યશોઘક બનાવ્યા.
    ૪. માનવીને સત્યના દર્શન થયા. નવી શોઘો માનવી વાપરતો થયો.
    ૫. ધર્મોના કહેવાતા વાહકો આજે વિજ્ઞાનને ગાળો ભાંડવા વિજ્ઞાનનો જ ઉપયોગ કરે છે.
    ૬. શંકરાચાર્ય સ્ત્રીઓને વેદપાઠની મનાઇ ફરમાવે છે.
    ૭. આજે પણ કેટલાક ધર્મો સ્ત્રીઓને મંદીરોમા જુદી બેસાડે છે. અને મંદીરોમા સંસાર ચલાવે છે તેવા સમાચારો પેપરમા આવતા રહે છે.

    Like

    1. વિજ્ઞાનીઓને ધર્મો ના કહેવાતા અને ઠોકી બેસાડેલા સત્યોમાં પહેલા સંશય થયો.

      શ્રી હઝારી સાહેબ,

      ન્યુટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધવાની પ્રેરણા વૃક્ષ પરથી સફરજન પડ્યું તે જોઈને થઈ. તેને કોઈ ધર્મોના કહેવાતા કે ઠોકી બેસાડેલા સત્ય અસત્યમાં રસ ન હતો. તેને જીજ્ઞાસા હતી, કુતુહલ હતુ તેની પોતાની જાતમાં શ્રદ્ધા હતી તો તે અનેક શોધો કરી શક્યા.

      એડીસન, આઈન્સ્ટાઈન વગેરેની શોધો તેમની અદમ્ય જીજ્ઞાસા અને કુતુહલ વૃત્તિને લીધે થઈ છે નહીં કે ધર્મોના કહેવાતા સત્ય કે અસત્યમાંથી ઉત્પન્ન થયેલા સંશયોને લીધે.

      રમણ ભાઈ હંમેશા બે બાબતોની ભેળ સેળ કરી દે છે. સંશયને અને શોધને કશું લાગતું વળગતુ નથી. કુતુહલ કે જીજ્ઞાસાને શોધ સાથે સંબંધ છે.

      સંશય માત્ર તમને સુધારક બનાવી શકે શોધક નહીં. દયાનંદ સરસ્વતિને સંશય થયો કે જે શિવલિંગ પર ઉંદરડા આંટા મારતા હોય તે વળી મહાન શક્તિશાળી અને ઈશ્વર કેવી રીતે ગણાય? તો તેમણે મૂર્તીપુજાનો વિરોધ કર્યો અને સુધારક બન્યાં. કોઈ પણ શોધ ખોળ કરવી હોય તો તેને માટે સંશય નહીં પણ જીજ્ઞાસા જોઈએ. ઉત્પન્ન થયેલી જીજ્ઞાસાનો ઉકેલ મેળવવા માટેનો પુરુષાર્થ જોઈએ અને પોતે તેવો પુરુષાર્થ કરી શકવા સક્ષમ છે તેવી આત્મશ્રદ્ધા જોઈએ.

      Like

  6. વેદ પછી ઉપનીષદ થયા.

    વેદ અને ઉપનીષદમાંથી ગીતાની રચના થઈ એટલે કે કંઈક લઈ કંઈક છોડવામાં આવ્યું.

    વેદ અને ઉપનીષદોનો ઉપયોગ સુચવે છે કે ગીતા એ વર્ણસંકર છે.

    બધાને સત્યનું જ્ઞાન થાય એ રજુઆત રમણભાઈએ પહેલા વાક્યમાં કરી છે.

    વેદની પહેલાં યોગસુત્ર કે યોગશાસ્ત્ર આ દેશમાં હતા અને યોગસુત્ર કે યોગશાસ્ત્રોએ વેદને પડકાર કરેલ છે એટલે યોગ વેદનીંદક કહેવાય.

    યોગમાં ઈશ્ર્વરને સ્થાન નથી.

    મીત્રો ખાઓ, પીઓ, જલસા કરો.

    બીજાને ઉપયોગી થાય એવું સંશોધન કરી નેટ, વેબ કે બ્લોગ ઉપર મુકો.

    Like

      1. == @ Atul Bhai Jain….

        મીત્રો, વેદની પહેલા યોગની રચના થયેલ છે.

        વેદ કે ઈશ્ર્વરમાં માનનારા પોતાની રીતે મનફાવે એમ અર્થઘટન કરી પ્રયત્ન કરે છે કે વેદના ઈશ્ર્વરની રજુઆત યોગમાં છે.

        યોગ અને વેદ ઈશ્ર્વર બાબત આમને સામને વર્તુળના વ્યાસની છેડે છે.

        વેદ ઉપનીષદમાંથી કોપી પેસ્ટ એટલે ગીતા સમજવી.

        શ્ર્વાસ અંદર બહાર કરવાની ક્રીયા, હાથ પગ ઉચાં નીચા આડા અવડા કરવા એ બિલાડી કે કુતરીના બચ્ચાને ખબર હોય છે જે યોગ કહેવાય.
        ==

        Like

      2. વોરા સાહેબ,
        તમે તો મારી અટક પણ બદલી નાખી. તો પછી વેદ, યોગ અને અન્ય શાસ્ત્રોના અર્થઘટનો મન ઘડન રીતે કરો તેમા શી શંકા.

        Like

      3. ટાઈપીંગ ભુલ થયેલ છે અને અંગ્રેજીમાં જાની ને બદલે જૈન લખાઈ ગયેલ છે.

        હવે અતુલભાઈ જૈન બની ગયા લાગે છે. જૈન વેદ કે ઈશ્વ્રરને માનતા નથી.

        કોમેન્ટમાં લખાયેલ ભુલ સુધરતી નથી અને પરમ સત્ય બની જાય છે.

        Like

      4. રમણ ભાઈએ લખેલ છે કે …… ૭૦ વર્ષનો વૃદ્ધ અને અશક્ત થઈ ગયેલો ગેલેલીયો ભાંગી પડ્યો, તેણે ઘુંટણીયે પડીને માફી માગી લીધી. (જોકે મનમાં તો તે બોલ્યો જ કે, માફી તો માગું છું, બટ ઈટ ડઝ મુવ– પૃથ્વી ફરે જ છે.)..

        Like

      5. વોરા સાહેબ,

        હું અહીં કશું બનવા કે બનાવવા નથી આવ્યો 🙂
        હું તો અહીં આપણાં સહુના અસ્તિત્વનો ઉત્સવ ઉજવવા આવ્યો છું. ભગવદ ગીતા કોઈ સાંપ્રદાઈક વિચાર નથી તે સિદ્ધાંતોનો સંગ્રહ છે. તેવી જ રીતે યોગ શાસ્ત્ર સમગ્ર માનવ જાતને માટે છે જે કોઈ સાધના કરે તેને અનુભવ થાય.

        Like

  7. One may look at all examples given in this article by Raman Pathak and see how much readings he has done to enlighten himself that inspire him to write this article.

    An average person may get enlightened if he/she follows his footsteps.

    Where there is will there is a way !

    Where there is will there is a cure !

    Every one gets enlightened sooner or later by his/her way.

    Like

  8. મારી માન્યતા મુજબ પ્રમાણભાન હોવું ઘટે. સંશય વગરની શ્રદ્ધા એ અંધશ્રદ્ધા છે અને શ્રદ્ધા વગરનો સંશય આત્મવિશ્વાસનો અભાવ દર્શાવે છે જે સત્યથી વેગળો હોવાની સંભાવના છે.

    Like

  9. “સંશય“…………થોડા વિચારો………………….મુલવણી દરેક વાચકની પોતાની……………
    ૧. Those who have conqured doubt and fear have conqured failure.
    – James Allan.
    સમજો કે જેણે સંશય અને બીકને મહાત કરીયા તેણે નિષ્ફળતાને મહાત કરી દીઘી છે.
    ૨. Faith and doubt can not exist in the same mind at the same time, for one will dispel the other.
    – Thomas S. Monson.
    શ્રદઘા અને સંશય કદાપી સાથે કોઈ અેક માણસના મનમા રહી શકે નહી. બે માથી એક બીજાને હાંકી કાઢશે.
    ૩. Faith keeps many doubts in her pay. If I could not doubt, I should not believe.
    – Henry David Thoreau.
    શ્રદઘા, ઘણા સંશયોના ભોગ થકી બને છે. જો હુ સંશય જ ના કરું તો હું ‘માનયતા‘ કેવી રીતે ઘરાવી શકુ ?
    ૪. If you would be a real seeker after truth, it is necessary that at least once in your life, you doubt, as far as possible, all things.
    – Rene Descartes
    જો તમે સાચેજ સત્યશોઘક હો તો જરુરથી તમારી જીંદગીમા હરેક વસ્તુ સવીકારતા પહેલા તે દરેક વત્તુમાં સંશય રાખજો.
    ૫. Modest doubt is called the beacon of the wise.
    – William Shakespeare.
    થોડા પરમાનંદનો સંશય એ સમજુ, વિદ્વાન માનવી માટેની દીવાદાંડી છે.
    ૬. Doubt is not a pleasant condition, but certainly is absurd.
    – Voltaire.
    સંશય જો કે આનંદદાયક પરિસ્થિતિતો નથીજ, પરંતુ સાચે સાચ મુર્ખાઈ ભરેલી પરિસ્થિતિ તો છે જ.

    વઘુ હવે પછી.

    Like

  10. શ્રી રમણભાઈનો ખુબ સુંદર આર્ટીકલ આપે શોધીને મુક્યો એ બદલ હાર્દીક અભીનંદન ગોવીંદભાઈ. કમનસીબી એ છે કે આ પ્રકારના વીચારોનો પ્રસાર આપણા લોકોમાં જેટલો થવો જોઈએ તેટલો નથી થતો. આ વીચારો તો રમણભાઈએ કેટલાં વર્ષો પહેલાં જાહેરમાં મુક્યા હશે. ૧૯૯૭માં તો આ લેખ સંપાદીત કરેલ પુસ્તકમાં લેવામાં આવ્યો હતો.
    “અગ્નીની વેદીમાં માત્ર ઘી, અન્ન કે માનવોપયોગી ઈતર દ્રવ્યો જ નથી હોમાઈ જતાં; આપણાં જ્ઞાન, પ્રગતી તથા વીવેકશક્તી પણ એમાં બળીને ભસ્મ થઈ જાય છે.” કેટલી સાચી વાત કહી રમણભાઈએ! પણ સાભળે છે કોણ?
    આભાર ગોવીંદભાઈ.

    Like

  11. તમે જયારે સંશોધન કરતા જાણો કે અણુ ઈલેક્ટ્રોન થી બનેલો છે, ઈલેક્ટ્રોન અન્ય પાર્ટીકલ થી બનેલો છે અને તે પણ અન્ય, અન્ય અન્ય એમ અનંત જ છે તો પછી …. બુદ્ધિ, જ્ઞાન ની એક સીમા આવી જાય છે. એજ રીતે સૂર્યમંડળ નિહારીકામાં છે જે એથી મોટી ગેલેક્સી માં છે. એમ ઉપર પણ અંત નથી. પિંડે સો બ્રહ્માંડે.અહીં પણ બુદ્ધિ, જ્ઞાન ની એક સીમા આવી જાય છે. પછી…? ત્યાં આવે છે શ્રદ્ધા અને શ્રદ્ધા એટલે એવી શક્તિ-ઈશ્વર-બ્રહ્માંડ પરનો વિશ્વાસ કે તે આ તમામની સીમા-કદ રચનાર છે અને તે આ બાબતમાં સંપૂર્ણ છે. આવો વિશ્વાસ, શ્રદ્ધા ક્યારે ઉદભવે? જયારે બુદ્ધિ ની એક સીમા આવી જાય. FAITH COMES WHEN INTELIGENCE SIEZES…TRUE. અને બધા જ સાધુસંતો ગેરસમજ ઉભી નથી કરતા. વેદો અને ઉપનીશદો માં જે કહ્યું છે તે કૈંક આવું જ છે. મુંબઈના એક વૈષ્ણવાચાર્ય તો particle physics ને પણ આપણા ધર્મગ્રંથો ને ટાંકી સહજ રીતે સમજાવી જાય છે. એટલે બધુજ જે ધર્માચાર્યો કહે છે તે જુઠું છે, તે પણ જુઠું છે. છતાં જ્યાં સુધી બુદ્ધિ ચાલે ત્યાં સુધી વાતને જ્ઞાન અને દેખીતા સત્યની એરણે ચડાવવી જોઈએ. અને અંતે જ્યારે નેતિ નેતિ લાગે ત્યારે શ્રદ્ધા એજ આશરો રહે છે.

    Like

  12. અેક નાનો સુઘારો…………વાંચો………..
    ૫. થોડા પરમાણનો સંશય અે સમજુ…………….
    આભાર.
    …………………………………………………………………………………………………………………….

    આજની આપણી ચરચા સંશય માટે હકારાતમક વલણ અને નકારાતમક વલણ વીષે છે.
    સંશયાતમા વિનશયતિ…..વિનાશ લેવો…….અને…………સંશય કરીને રીસરચ….કરીને નવુ પામવુ…….

    Like

  13. પાથક સાહેબ જે કહે છે કે માનવીના વિકાસનુ મુળ સંશય મા રહેલુ છે તે જ સાચુ છે. Always be positive. Negative approach વીકાસને અટકાવે છે. ઉપર મારા આપેલા છ વીચારો
    +ve approach છે. સંશયાતમા વિનશયતી………….-ve approach છે. વિકાસ પામવા હકારાતમાક વલણ અપનાવો. Ask questions. Children should be taught to ask questions ( સંશય કરવો અેટલે સવાલ પુછવો ) to distinguish between right and wrong and take final decision.

    Like

    1. શ્રીમદ ભગવદ ગીતામાં જે અજ્ઞાની એટલેકે વિવેક હિન, આત્મશ્રધા વગરનો અને સતત સંશયોમાં જીવે છે તેનો વિનાશ થાય છે તેમ કહ્યું છે. જ્યારે રમણભાઈ આગળ પછળનો સંદર્ભ લીધા વગર સંશયાત્મા વિનશ્યતિ તેમ કહે છે. સંશયાત્મા વિનશ્યતિ તે ય સાચું જ છે. જો સંશય થાય અને તેનું સમાધાન મેળવવાનો પુરુષાર્થ કર્યા વગર હંમેશા સંશયાત્મા રહે તો જરુર વિનાશ થાય.

      Like

  14. ગોવિંદભાઈ,
    વિઠ્ઠલ તલાટી। હું હમેશ “અભિવ્યક્તિ “વાંચું છું . ઘણું ઘણું જાણવા મળે છે . પૂજનીયશ્રી રમણભાઈનો ઘણો સુંદર અને વિચારણીય લેખ છે . મને યાદ છે ત્યાં સુધી 1944-45માં જયંતભાઈ અને રમણભાઈ બંને હાલોલ એમ એસ હાઈસ્કૂલમાં મારા શિક્ષક હતા . હું પ્રથમ તો તેમને આચાર્ય વંદના કરું છું . તે તેમના સુધી પહોંચડશો . ગુરુવંદના તો નહી કહું કારણ, ગુરુ શબ્દને તો લઘુઓએ અપનાવી લીધો છે। અને આમેય મારી સમજ પ્રમાણે ઋષિકાળમાં કેવળ આચાર્ય શબ્દ જ હતો! ગુરુ તો સામ્પ્રદાયિકોના આવ્યા પછી પ્રયોજાયો . અંતમાં પૂજનીયશ્રી રમણભાઈને કુશળ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ ઈચ્છું છું . મારો ફોન # (608)256-9995; અને ઈ મેઈલ vt_1930@yahoo.com છે .

    Like

    1. વહાલા વિઠ્ઠલભાઈ,
      માનનીય શ્રી. રમણભાઈ પાઠકને સેલફોન નંબર 99258 62606 પર સમ્પર્ક કરી આપના વતી આચાર્ય વંદના અને શુભેચ્છાઓ પાઠવી છે… તેઓએ પણ આપના પ્રતી શુભેચ્છાઓ પાઠવી છે..

      Like

  15. FAITH and Belief have been made to prevail by the vested interests of Unintelligent and Ill-informed Gurus and Others in large part, instead of FACTS and TRUTH. Reasoning and Logic have been side-tracked due to unusual Respect and Reverence for Religious Heirarchy/Authority.

    Religions have done more harm than good, while Education in Science and Logic have encouraged Reasoning. Therefore, this is the way to go in Schools and Other Edcational Institutions. Let us Encourage Education in All Societies, particularly Backward areas/territories/countries.

    Fakirchand J. Dalal
    U.S.A.

    Like

  16. જેને કોઈ ધર્મના વાડાનું બંધન નથી . તે પ્રાણીઓ વધુ સુખી છે .ઇકબાલનો એક શેર છે કે બાજ આયે હમતો ઐસી મજહબી તાઉન સે ઇન્સનોકા હાથ તર હો ઇન્સાનો કે ખુનસે કે ખૂન સે

    Like

  17. I am agree with you…But my question is why you people always criticise the Hindu religion only??? why you people don’t talk and give examples about other religions??? there is also a blind belief,rigidity,orthodoxism,short vision,castism etc.etc…

    Like

  18. હિંદુ તરીકે જે જાતી કે ધર્મ ઓળખાય છે .તે નું ગરીબકી જોરુ સબકી ભાભી જેવું છે .એટલે એના માટે તમે ગમે તે બોલો કોઈને કશો વાંધો નથી .ખરેખર હિંદુ એ કોઈ ધર્મ નથી .કેમકે કોઈએ ચલાવેલો નથી . હિંદુ તરીકે ઓળખાતા તત્વજ્ઞાનમાં જે પુસ્તકો છે એ વિજ્ઞાનની સામે ટકી શકે એમ નથી .તમને બધા અસત્યથી ભરેલા લાગે .ઈસુથી આશરે 600 વરસ પહેલા થઇ ગએલા તત્વવેત્તા બૃહસ્પતિએ કીધું છેકે કોઈ પણ શાસ્ત્ર ઉપર શ્રદ્ધા કરવાને યોગ્ય નથી ફક્ત મનુષ્યની બુદ્ધિજ ભરોસા પાત્ર છે ..બુધ અને જૈન એના પછી ઉત્પન્ન થયા

    Like

  19. ગોવિંદભાઈ,
    સારો આર્ટીકલ વાંચ્યો, પણ પ્રશ્નો તો છે જ.
    આર્ટીકલ અને કોમેન્ટસની ધમાલમાં મુળ મુદ્દો મિત્રો ભુલી જાય છે –
    દરેક વ્યક્તિ દરેક શબ્દોને પોતાની રીતે મુલવે છે તો શબ્દોની મારામારી શા માટે ?
    સંશય અને શ્રધ્ધા બંનેની અગત્યતા છે. બંને એક મગજમાં ન રહી શકે એ વાતમાં ‘સંશય’ છે. વૈજ્ઞાનિકો પણ શ્રધ્ધાળુ હોય છે જ. (મારે સંદર્ભો આપી ચર્ચામાં નથી ઉતરવું)
    વિજ્ઞાનના દરેક ‘કાર્યો’ ને સંશયથી જ જોવા પડે અને તો જ પ્રગતિ કરી શકાય.
    આપણી આંખોના ‘લેન્સ’ ગોળાકાર છે માટે વિશાળ વસ્તુઓ ગોળ નહી દેખાતી એની શું ખાત્રી ? (બધા જ લેન્સ ગોળાકાર છે.)

    Like

Leave a comment