વીજ્ઞાન અને ધર્મની આલોચના

–મુરજી ગડા

     વીજ્ઞાન અને ધર્મ ક્યારેય પણ પરસ્પર વીરોધી નહોતા અને આજે પણ નથી. એમના માર્ગો અલગ છે, કાર્યક્ષેત્ર જુદાં છે, કાર્યપદ્ધતી અલગ છે; પણ બન્નેનું અંતીમ ધ્યેય એક છે. એમની વચ્ચે સ્પર્ધા જરુરી નથી. છતાંયે એ એકબીજાના વીરોધી હોવાનો ભરપુર પ્રચાર થયો છે અને થઈ રહ્યો છે. કોઈ એક ખાસ ધર્મ નહીં; પણ બધા જ ધર્મોને આ લાગુ પડે છે.

      વીજ્ઞાન અને ધર્મ બન્ને સનાતન છે. આપણા પુર્વજોએ જ્યારથી બુદ્ધીનો ઉપયોગ કરવાનું શરુ કર્યું ત્યારથી બન્ને અસ્તીત્વમાં આવ્યા છે. આદી માનવે શીકાર કરવા લાકડી અને પથ્થર (શસ્ત્ર અને અસ્ત્ર)નો કરેલો ઉપયોગ તે વીજ્ઞાનની શરુઆત હતી. કોઈ કાર્ય કરતાં પહેલાં માનવી જ્યારથી સારા નરસાનો વીચાર કરવા લાગ્યો ત્યારથી આપોઆપ નીતી અને ધર્મની શરુઆત થઈ.

       દરેક પ્રવર્તમાન પરીસ્થીતી એક ચોક્કસ વર્ગ માટે ફાયદાકારક હોય છે. એમાં થતો કોઈપણ ફેરફાર એમના હીતની આડે આવે છે. વીજ્ઞાનના વીકાસ અને સ્વીકાર સાથે જેમને પોતાનું મહત્ત્વ ઓછું થતું લાગ્યું એમણે લોકસમુદાય પર પોતાનું પ્રભુત્વ ટકાવી રાખવા વીજ્ઞાનનો વીરોધ કરવાનું શરુ કર્યું. હકીકતમાં જે લોકો વીજ્ઞાનનો વીરોધ કરે છે એમને વીજ્ઞાન શું છે એ તો ખબર નથી જ; પણ સાચા અર્થમાં ધર્મ શું છે એની પણ ખબર નથી ! ક્રીયાકાંડને ધર્મ માનનારા ધર્માંધ લોકો જ વીજ્ઞાનનો વીરોધ કરે છે. સાચા અર્થમાં ધાર્મીક વ્યક્તીને વીજ્ઞાનના વીકાસ સામે વાંધો ન હોઈ શકે.

       વીજ્ઞાનનું કાર્યક્ષેત્ર છે કુદરતનાં રહસ્યો ઉકેલવાનું અને મળેલી નવી માહીતીનો ઉપયોગ કરીને આપણું જીવન વધુ સગવડભર્યું બનાવવાનું. એને આપણી વાસ્તવીક દુનીયા સાથે સમ્બન્ધ છે. આદી માનવે જો વૈજ્ઞાનીક વીચારસરણી અપનાવી ન હોત તો આજે પણ આપણે ગુફાઓમાં રહીને પ્રાણીઓનો શીકાર કરતા હોત. ધર્મનું અસ્તીત્વ ના હોત. અહીંસાની વાતો આપણને ના પરવડત.

   વીજ્ઞાનને માત્ર આધુનીક શોધખોળોમાંથી નથી જોવાનું. આપણી આજુબાજુ માનવસર્જીત જે પણ કંઈ દેખાય છે તેમાંથી મોટાભાગનું વીજ્ઞાનને આભારી છે. આપણા ઘર, કપડાં, અનાજ વગેરે બધું જ વૈજ્ઞાનીક શોધોનું ફળ છે. ઘઉં, ચોખા વગેરે જંગલમાં નહોતા ઉગતા, મનુષ્યે વીકસાવ્યા છે. એ શોધો જુની થઈ એટલે વીજ્ઞાનની ભેટ મટી નથી જતી. દુરના ટાપુઓ પર વસતી આદી જાતીઓ સીવાયના બધા જે પણ વીજ્ઞાનનો વીરોધ કરે છે તે નાસમજ કે સરાસર દંભી ગણાય.

       એક વ્યાખ્યા પ્રમાણે ધર્મ એ નીતીશાસ્ત્ર અને ભક્તીશાસ્ત્ર છે. નીતીપુર્ણ જીવન જીવવા માટેના આદેશ અને એ સમુદાયના ઈષ્ટદેવની ભક્તી એ ધર્મનો વ્યાપ છે. ઈશ્વરનો સ્વીકાર એ શ્રદ્ધા છે. એની આરાધના એ ભક્તી છે. ધર્મના આદેશોનું સાચા અર્થમાં કરેલું પાલન એ નીતી છે. આ ધર્મનો વ્યાપ અને કાર્યક્ષેત્ર છે. તે સીવાય ધર્મના નામે જે પણ કહેવામાં અને કરવામાં આવે છે એમાંથી મોટા ભાગનું પોતાની વીચારધારા ફેલાવવા માટેનો કે પછી અંગત લાભ મેળવવા માટે ધર્મના નામનો કરેલો ઉપયોગ છે.

       ધર્મ એ પણ એક વીચારધારા છે. દરેક ધર્મની શરુઆત વખતે એ પ્રદેશની ત્યારની સામાજીક સ્થીતી અને એ ધર્મની શાખની સરખામણી કરીએ તો આ વાતની પુષ્ટી મળે છે. વીચારધારા એ નદીના પ્રવાહ જેવી હોય છે. શરુઆતમાં એ નાની અને સરળ હોય છે. આગળ જતાં એમાં બીજા પ્રવાહો ભળીને એને વીશાળ અને વીસ્તૃત કરે છે. ક્યારેક મુળ ધારા કરતા એ ઘણી બદલાઈ જાય છે.

       ધર્મને લગતી બાબતો શ્રદ્ધા આધારીત છે. એ આપણી આંતરીક દુનીયાને પ્રભાવીત કરે છે. શ્રદ્ધા એ શક્ય અને અશક્ય વચ્ચેની સ્થીતી છે. એ સાચી યા ખોટી સાબીત કરી શકાય નહીં. ધાર્મીક માન્યતાઓ આપણી પાસેથી સમ્પુર્ણ સ્વીકારની અપેક્ષા રાખે છે. એમની સામે પ્રશ્ન ઉઠાવવો એ ગુનો ગણાય છે. એમનું કામ સ્વતંત્ર વીચાર અને તર્કને દાબી દેવાનું રહ્યું છે. જે પણ આપણા સાંભળવામાં કે વાંચવામાં આવે તેને સાચું માની લેવું એ શ્રદ્ધા નથી. શું અને કેટલું સાચું માનવું એમાં બુદ્ધીનો ઉપયોગ કરવો પડે છે. જે બાબતો કુદરતી નીયમો અને આપણા અનુભવોની વીરુદ્ધ જાય છે એનો સ્વીકાર એ શ્રદ્ધા નહીં; પણ અંધશ્રદ્ધા છે. ઘણા લોકો અંધશ્રદ્ધાને શ્રદ્ધામાં ખપાવવામાં સફળ થાય છે; કારણ કે એમને સાબીતીની જરુર હોતી નથી. એ ભોળા લોકોમાં રહેલ લાલચ અને ડરનો લાભ ઉઠાવે છે. પ્રચલીત અંધશ્રદ્ધાની વાતો માટે એક લેખ તો શું, પુસ્તક પણ નાનું પડે.

       આજે જેને ધર્મ કહેવામાં આવે તે સંગઠીત કે સંસ્થાકીય ધર્મ છે. એ ઘણા પાછળથી અસ્તીત્વમાં આવ્યા છે. આ સંસ્થાકીયપણું મહત્ત્વાકાંક્ષી લોકો દ્વારા પોતાનું મહત્ત્વ વધારવાના પ્રયાસનું પરીણામ છે. એમાં નીતી અને આદર્શ ઓછા અને વીધીવીધાન વધારે છે. એટલે જ બધા મુળ ધર્મના આટલા બધા પંથ છે. સમ્પ્રદાયને જ ધર્મ માનવામાં આવે છે. એનો પ્રચાર એ જ એમનો મુખ્ય હેતુ હોય છે.

      રાજાશાહીના જમાનામાં કાયદા નહીંવત્ હતા. રાજા પોતાની મરજી મુજબ કાયદા બનાવી અને બદલી શકતા હતા. રાજા બદલાય એની સાથે કાયદા પણ બદલાતા રહેતા. એવા વાતાવરણમાં ધાર્મીક નીતીનીયમોએ લોકસમુદાયને શાંતીથી રહેવામાં અને વ્યવસ્થા જાળવવામાં ખુબ અગત્યનો ભાગ ભજવ્યો છે. ધર્મનું એ એક મહત્ત્વનું કાર્ય હતું. હવે જ્યારે રાજ્યવ્યવસ્થા સ્થીર થઈ છે, કાયદા ચોકસાઈથી બનાવવામાં આવે છે ત્યારે ધર્મની એ જવાબદારી સીમીત થઈ જાય છે. ઉલટાનું બહુધર્મીય રાષ્ટ્રોમાં ઘણીવાર ધાર્મીક મતભેદો શાંતીના બદલે અશાંતી ફેલાવે છે.

       સામ્યવાદી અને વીકસીત દેશોમાં, જ્યાં કાયદાપાલનનું પ્રમાણ ઉચું છે ત્યાં, ધર્મનો વ્યાપ આપોઆપ પોતાના મુળ કાર્યક્ષેત્રમાં સીમીત થઈ રહ્યો છે. ધાર્મીક પ્રસંગની ઉજવણીઓ બહોળા સામાજીક પ્રસંગ કરતાં મર્યાદીત સમુદાયમાં સમાઈ રહી છે. આ ભાવનાનો સર્વત્ર સ્વીકાર થાય તો ધાર્મીક ઝઘડા અવશ્ય ઘટી જશે. ભારત જેવા કાચી લોકશાહીવાળા દેશમાં ઘણી ભીન્નતાને લીધે કાયદાપાલન અઘરું છે. એટલે ધાર્મીક સમ્પ્રદાયોની પકડ વધુ મજબુત રહેવા પામી છે.

       વીજ્ઞાનના વીરોધીઓની મુખ્ય દલીલ એ છે કે ધર્મ અપરીવર્તનશીલ સનાતન સત્ય છે જ્યારે વીજ્ઞાન સતત બદલાયા કરે છે. બન્ને ખ્યાલ ગેરસમજ ભરેલા છે. જો ધર્મ સનાતન સત્ય હોત તો દુનીયામાં એક જ ધર્મ હોત. જુદી જુદી વીચારસરણીવાળા આટલા ધર્મો અને દરેક ધર્મના આટલા પંથની વાસ્તવીકતાનો ઉપરોક્ત કથન સાથે મેળ ખાતો નથી. ધર્મનો વ્યાપ પણ સમય અને સ્થળ પ્રમાણે બદલાતો રહ્યો છે. એમાં સમયાંતરે થતા ફેરફાર જરુરી પણ છે. કોઈપણ ધાર્મીક વીચારધારા કુદરતી નીયમોથી વીરુદ્ધ ન હોઈ શકે. બધા ધર્મોનું હાર્દ આની સાથે સહમત થાય છે. ધર્મ જો આ મર્યાદામાં રહ્યા હોત તો કોઈને ધર્મ પ્રત્યે વાંધો ન હોત.

       વીજ્ઞાન વીકસે છે નીતનવી શોધોને લીધે. એ વીસ્તાર પામે છે. એને બદલાય છે એમ ન કહેવાય. એના નીયમો સનાતન છે અને બધે જ લાગુ પડે છે. એમાં સ્ત્રી–પુરુષના ભેદ નથી, ઉંચ–નીચની ભાવના નથી, કાળા–ગોરાનો ફર્ક નથી. કોઈ પણ વ્યક્તી એમાં જંપલાવી બુદ્ધી અને મહેનતથી પોતાનું યોગદાન આપી શકે છે.

       વીજ્ઞાન એ કુતુહલમાંથી નીપજતું સત્ય છે. એનું કાર્યક્ષેત્ર અને ધ્યેય કુદરતનાં છુપાયેલાં રહસ્યોને શોધી કાઢવાનું છે. જે સાબીત થઈ શકે તેને અને ફક્ત તેને જ સ્વીકારવાનું વૈજ્ઞાનીક વીચારસરણીના મુળમાં છે. એના માટે ફક્ત શ્રદ્ધા પુરતી નથી. વૈજ્ઞાનીક વીચારસરણી સતત સવાલો કરે છે અને એના ઉત્તરો શોધી પોતાની અધુરપો સુધારી વધુ ચોક્કસ બનાવે છે. એનો કોઈ અંત નથી. એ કોઈ એક લક્ષ્યાંક પાછળ નથી કે જે મેળવ્યા પછી એનું કાર્ય સમાપ્ત થઈ જાય. એ વહેતા પાણી સમાન છે. ધર્મો બંધીયાર પાણી જેવા બની ગયા છે. કુદરતી રીતે વહેતું પાણી બંધીયાર પાણી કરતાં હંમેશાં વધુ સ્વચ્છ હોય છે.

       જનસમુદાયની પ્રચલીત માન્યતા જ્યાં સુધી સાબીત ન થઈ શકે ત્યાં સુધી વીજ્ઞાન એને ‘શક્યતા’થી વધારે નથી ગણતું. સાથે સાથે એમાં કુદરતના નીયમોનું ઉલ્લંધન ન થતું હોય તો નકારી પણ નથી કાઢતું. બધાં જ ક્ષેત્રોની જેમ પાખંડીઓ વીજ્ઞાનનો પણ ગેરલાભ ઉઠાવે છે. જાદુના કે એવા બીજા પ્રયોગો જ્યારે મનોરંજનથી આગળ વધીને લોકોને છેતરવા માટે વપરાય છે ત્યારે વીજ્ઞાનનો ગેરલાભ ઉઠાવ્યો કહેવાય.

       વીજ્ઞાન પાસે હજી ઘણા પ્રશ્નોના જવાબ નથી. કુદરતનાં રહસ્યોનો તો હજી સાવ નાનો સરખો ભાગ ઉકેલાયો છે. એનો મતલબ એવો નથી કે અણઉકલ્યા પ્રશ્નોના ગમે તે જવાબ આપીએ તે સાચા થઈ જાય. અવારનવાર છાપામાં આવતી નવી શોધો વીશે, ‘શાસ્ત્રોમાં આ બધું લખેલું છે’ કહી, ગમે તેવો સમ્બન્ધ જોડી દેતા કહેવાતા વીદ્વાનો ઉમટી પડ્યા છે. આ આત્મશ્લાઘાની પરાકાષ્ટા છે.

       વીજ્ઞાનના વીરોધીઓ વાતવાતમાં શાસ્ત્રોનો આધાર આપે છે. શાસ્રો કોણે, ક્યારે અને કેવા સંજોગોમાં લખ્યા એની ચોક્કસ માહીતી મળવી મુશ્કેલ છે. એમની અસલીયત વીશે પણ પ્રશ્નો ઉઠે છે. મોટા ભાગના ધર્મોનો ફેલાવો રાજ્યાશ્રયમાં થયો છે. એમનાં લખાણો માટે રાજાની સંમતી જરુરી હતી. એટલે જ કદાચ રાજાઓને દૈવી કુળના ગણાવવામાં આવતા. જુના જમાનામાં સાવ ઓછા લોકોને લેખનકળા સીદ્ધ હતી. કાગળ મર્યાદીત હતા. છાપખાનાં શોધાયાં નહોતાં. દરેક પ્રત હાથે લખાતી હતી. એવામાં શબ્દફેર કે ભાવફેર થઈ જવો અથવા સ્વેચ્છાએ કરવો આસાન હતો. કેટલાયે લહીયાઓએ પોતાની સલામતી અને/અથવા સુખ સગવડ ખાતર તત્કાલીન રાજાને કે પરીસ્થીતીને અનુકુળ ફેરફારો કર્યા હોય એ સંભવીત છે. કોઈએ પોતાની અંગત વીચારસરણી ફેલાવવા માટે પણ ફેરફારો કર્યા હોય (આજે પણ બદલાતી સરકારો ઈતીહાસમાં પોતાને અનુકુળ ફેરફારો કરે જ છે) આજે જે શાસ્ત્રોનો આધાર આપવામાં આવે છે તે મુળ ધર્મ સંસ્થાપકની વાણી સાથે બીજા ઘણાની વીચારસરણીનો સમન્વય હોવાની ઘણી શક્યતા છે.

       ઈતીહાસ, ભુગોળ, ખગોળ, સ્થાપત્ય, ભુસ્તર, ચીકીત્સાશાસ્ત્ર વગેરે ધર્મથી તદ્દન સ્વતંત્ર વીષયો છે. જે જુજ લોકોને લખતા આવડતું, એમાંના મોટા ભાગના ધર્મલેખન સાથે સંકળાયેલા હતા. એમના હાથમાંથી જે પણ પસાર થતું અથવા બીજું જે પણ લખાતું તે બધું ધર્મનો જ એક ભાગ ગણાવા લાગ્યું. ત્યારથી આ સ્વતંત્ર વીષયોને ધર્મ સાથે જોડીને ધર્મને નામે પ્રસારવામાં આવ્યા છે. પોતાના મુળ કાર્યક્ષેત્રથી આગળ વધીને ધર્મના રખેવાળોએ આ વીષયોમાં કરેલા નીવેદનોમાંથી ઘણા ખોટા સાબીત થયા છે અને સતત ખોટા સાબીત થઈ રહ્યા છે. ધર્મના આવરણમાંથી એમની મુક્તી અત્યંત આવશ્યક છે. એ ન થાય ત્યાં સુધી આવા સ્વતંત્ર વીષયો પરનાં મંતવ્યોનું પ્રસારસ્થાન ખ્યાલમાં રાખી, એ સ્વીકારવામાં વીવેક જાળવવાનું શાણપણ રાખવું જરુરી છે.

       વીજ્ઞાન હોય કે ધર્મ, બન્નેનું અંતીમ લક્ષ્ય છે સત્યની શોધ અને સ્વીકાર. ક્યાંક વાંચેલું કે સાંભળેલું, પરમ્પરાથી ચાલ્યું આવતું બધું જ સાચું માની ને એને વળગી રહેવામાં સત્યનો અસ્વીકાર અને ધર્મનું અ–પાલન છે.

       રામના નામે ત્યારે પથ્થરો તર્યા હતા કે નહીં એ રામ જાણે ! સદીઓથી રામના નામે ઘણા લોકો પોતાના સ્વાર્થને તારતા આવ્યા છે અને તારી રહ્યા છે. વર્તમાનમાં રાજકારણીઓ એમાં સૌથી મોખરે છે. રામની જેમ જ બીજા યુગપુરુષોના નામે શું શું નહીં તર્યું હોય ?

–મુરજી ગડા

લેખક સમ્પર્ક:

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 23 11  548 સેલફોન: 97267 99009 ઈ.મેઈલ: mggada@gmail.com

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મંદીર’ માસીકના ૨૦૦૭ ના ઓક્ટોબર માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

 રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: GOVIND MARU, 405, Evaz Apparel Housing Co-op.Society, B Wing, Opp. Ayyappa Temple, Samata Nagar, BONKODE VIAGE, Navi Mumbai – 400709  સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 19/04/2013

9

23 Comments

  1. ‘રામના નામે ત્યારે પથ્થરો તર્યા હતા કે નહીં એ રામ જાણે ! સદીઓથી રામના નામે ઘણા લોકો પોતાના સ્વાર્થને તારતા આવ્યા છે અને તારી રહ્યા છે. ‘ — સચોટ વાક્ય !

    Like

  2. ઉ….હ્હુ………….સોરી, મનનિય ગડા સાહેબ, હુ આપની દરેક વાતે સહમતી જાળવી નથી શક્તો. તમે વૈજ્ઞાનિક છો એ્ટલે તમે વિજ્ઞાનના વખાણ કરો છો… ભલે એની છુટ છે અને એ તમારો હક્ક પણ છે. પણ એ કદાચ ઓછુવત્તુ ગાંડપણ જ છે. મનુશ્ય આજના જમાનામાં હવે લકઝરી વધારતી વૈજ્ઞાનિક શોધોથી પોતાની વિનાશકતાને નોતરવાના એંધાણ માંડી ચુક્યો છે.

    મારા ક્ષુલ્લક મનની રુએ વિજ્ઞાન એટલે જે જરુરતમંદોને, ગરીબોને, તુછ્છોને મહત્વની મદદ કરી આપે એ જ વિજ્ઞાન. અછતમાં માર્ગ ચીંધે એ જ વિજ્ઞાન અને જરુરીયાતમંદોએ જ ખરેખર શોધો કરી છે જ્યારે આજના વિજ્ઞાનીઓ તો ફક્ત પગાર પાડે છે નવુ કશુય નથી આપતા અને ધનના કે ડિગ્રીઓના જોરે ગગનચુંબી ઈમારતોમા મહાલતાઓની લકઝરી વધારતા રહે છે.

    સહુલતીઓની સહુલતોમાં વધારો કરે એ વિજ્ઞાન તો લકઝરી કહેવાય જે અધર્મીઓ જ ભોગવતા હોય છે જ્યારે અસહુલતીઓની સહુલતોમાં વધારો કરી આપે એ જ ખરુ વિજ્ઞાન કહેવાય. પછી ભલે એ ભોતિક, જીવ કે રાસાયણિક વિજ્ઞાન હોય કે ગણિત હોય કે સમાજશાસ્ત્ર હોય કે નાગરિકશાસ્ત્ર, કે પછી ફિલોસોફી હોય કે માનસચિકિત્સા હોય, વગેરે વગેરે.

    તમે જે વિજ્ઞાનની વાતો કહો છે એ ફક્ત લકઝરીમાં વધારો કરે એ જ વિજ્ઞાન એવુ મને જણાય છે જે સામાન્ય માનવીની જરુરીયાતોને પોષતો નથી. આજે પણ સામન્ય ભારતીય એ.સી., કોંપ્યુટર, ઈંટરનેટ ખરીદી શકતો નથી કે નથી કાર ખરીદી શક્તો, અરે હવે તો સામન્ય માણસ તો ઘર પણ ખરીદી શકે એવી સ્થિતિમાં નથી અને એ માટે એણે ફક્ત વૈજ્ઞાનિક કહેવાતી ડિગ્રીઓ કમાવી પડે છે. આને હુ વિજ્ઞાન કેવી રીતે કહિ શકુ ? આ તો સામન્ય અથવા અભણ માણસ માટે તો મોત નો પૈગામ જ કહેવાય કે નહિ ?

    વિજ્ઞાન તો એને કહેવાય જે ભારતીયોમાં માનવતાના ગુણ પેદા કરી શકે, સેવા ભાવનાના ગુણો જગાડી શકે, ભ્રષ્ટચાર મટાડી શકે, ભેદભાવ મટાડી શકે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૈભવી બની જવાથી માનવતા નથી વધતી, વૈજ્ઞાનિક શોધોનો ધોધમાર કરવાથી માનવતા નથી આવતી, ભેદભાવ નથી મટતો, ગરીબી નથી મટતી ઉલ્ટુ અભણ-ગરીબો અને સધ્ધરો વચ્ચે ખાઈ પેદા કરે છે. એ ખાઈ ને ઓળંગવા માટે ગરીબો અભણો જેને અનુસરે છે એ ધાર્મિક અંધશ્રધ્ધા કહી શકાય. અને આપણો દેશ ધાર્મિક અંધસ્રધ્ધાળુ દેશ છે જે વૈજ્ઞાનિક નહિ પણ સ્વાર્થી ધાર્મિકતા પાછળ ખુવાર થઈ રહ્યા છે એ રોકી શકે એવુ કોઈ વિજ્ઞાન હોય તો જણાવવા આપને નમ્ર વિનંતિ કરુ છુ…….. બાકિ વૈજ્ઞાનિક સગવડો દ્વારા ગાંડીયાઓની લકઝરી વધારીને કોઈનો ઉધ્ધાર નથી થવાનો એ તો નક્કિ છે.

    Like

    1. Our life is controlled by two types of laws. One is the laws of nature. They are universal. We have no control over those and we cannot change them. We just have to accept them and live with them. Science deals only with the laws of nature, to understand them and then use those to better our life.

      Second is the laws made by men, which come from religions, politics, society, business practices etc. That is why they are different in different places and time. One should not mix these two areas. Kitchen knife is a basic invention and an extremely useful tool, yet it can kill a person. We cannot blame science/technology for that. So is true for everything else.

      The problems you are talking here are due to human greed, an area for improper social structure. That falls under “manmade laws” and not under laws of nature. Please understand. Technology evolved as societies became complex. Now societies have to evolve along with the fast changing technology.

      Like

      1. In earlier years, individuals discovered the laws of nature and/or invented new basic things. Now everything has become very complex and impossible for an individual to do that. These days almost all new inventions are done by corporations. Corporations cannot function without money. There is a new group of people in the business called marketing experts. In a free economy, profit is the biggest motive to do anything. Even though this is not desirable, nobody can shut down what is going on. You cannot blame the scientist either. He is only one link in the system. The problem is society, politics and policy making, not science.

        Like

      2. My dearly Gada Sir, I respect your good answer and as per my limited knowledge I also want to add that human life is controlled and runs only by two unseen beings or things. One is by mind and other is by conscience. Mind says one things but conscience says other thing.

        for example : See and reason a latest case of rap on 5 yr old girl.

        Mind can be strengthened or cultivated by particular readings, hearings, lookings, touchings or practicings etc. and one can cultivate his or her mind in that liking ways but by overlooking or neglecting the voice of his conscience.

        Whereas one can cultivate his/r mind fully surrendered to conscience who may sound righteous neglecting mind’s directives.

        My Dear Sir, your scientifically cultivated mind talks righteousness but your scientific mind does not permit you to acknowledge yourself righteousone. That is not your fault, but the system prevails in every Indian’s mind particularly Hindu or Hinduism liberated religions.

        My Dearly Sir, your mind must be acknowledging what my mind speaks but your are forcing your conscience to shut up. You are speaking american, whereas I am speaking Indian. America has different conscience and India other. Both minds are as far as East to West.

        Law of nature are dumb and rigid but it can be made helpful by human but righteous mind for benefit of humankind. for example See a case of Nuclear Atom Bomb, Hiroshima and Nagasaki is an example of mind not righteousness. Righteous mind never attacks and destroys humanbeings.

        Law made by human mind is full of shortfalls and that is why they are different at different places.

        But laws ordered or preached by Holy spirit is always beneficial and same at each places. I request your goodself to reason on it.

        Like

  3. ધર્મ કે અધ્યાત્મ? અધ્યાત્મને વિજ્ઞાન સાથે સરખાવી શકાય. ધર્મ ( ફરજના અર્થમાં ) એના મૂળ સ્વરૂપમાં નીતિ શાસ્ત્ર વધારે છે. ત્રણે માનવ જીવન માટે જરૂરી છે.
    બાકી સંગઠિત ધર્મો દુકાનો છે.

    Like

  4. સરસ લેખ ગોવીંદભાઈ.
    ૨૦૦૮માં ગુરુપુર્ણીમા વખતે મને બે શબ્દો કહેવાનું જણાવવામાં આવ્યું હતું, ત્યારે મેં જે કહ્યું હતું, એમાંથી થોડાં વાક્યો: ધર્મ એટલે આ ચૈતન્ય, આત્મા, બ્રહ્મનું વિજ્ઞાન. જેમ આપણે જેને વિજ્ઞાન કહીએ છીએ- સ્થૂળનું, જેના ઘણા પ્રકારો છે-પદાર્થ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, અણુવિજ્ઞાન વગેરે સાયન્સ- તે સમગ્ર વિશ્વમાં એક જ છે. હિન્દુઓનું સાયન્સ કે ખ્રિસ્તીઓનું સાયન્સ અલગ પરિણામો નહિ આપે, અલગ હોઈ શકે નહિ. તેમ આત્માનું, ચૈતન્યને જાણવાનું, સમજવાનું વિજ્ઞાન ધર્મ (એને ક્રીયાકાંડ સાથે કશી નીસ્બત નથી, એટલે કે ક્રીયાકાંડ તે કંઈ ધર્મ નથી.) પણ સમગ્ર વિશ્વમાં એક જ હોઈ શકે. એને સમજવાના માર્ગો- સંપ્રદાયો તેને આપણે હિન્દુ, ઈસ્લામ, ખ્રિસ્તી વગેરે નામો આપ્યાં.

    Like

  5. Murajibhai,
    Masterpiece.Excellent writing.One request.Please don’t waste your energy to respond Blogger’s like Rajeshpadaya

    Like

  6. દેખીતી રીતે વિશ્વમૈત્રીની વાતો કરનારા ધર્મો હકીકતમાં તો ‘અમારા ધર્મ વિના તમારો ઉદ્ધાર નથી’ એ થિયરીનો જ પ્રચ્છન્નપણે પ્રચાર કરતા હોય છે.

    વિજ્ઞાનનું જમાપાસું એ છે કે તેમાં કંઈ ખોટું જણાય તો તે સુધારી લેવામાં તેને જરાય નાનમ નથી લાગતી. ધર્મના નેતાઓ જો ખોટું કરતા હોય અને તે અંગે સમાજનું ધ્યાન દોરવામાં આવે તો જે તે ધર્મના ડાઘીયાઓ તરત જ ધ્યાન દોરનારાની પાછળ પડી જાય છે.

    સંપ્રદાયગત વ્યભિચારી સાધુઓની રક્ષા માટે જે તે સંપ્રદાયના બધા લોકો ઝંડો લઈને નીકળી પડતા હોય છે. આ સંગઠિત ધર્મોની બહુ મોટી નબળાઈ છે. સંગઠન એટલે ઘેટાંવાદ. જ્યાં બુદ્ધિના દરવાજા ‘શ્રદ્ધા’ના નામે બંધ કરી દેવામાં આવે છે.

    ભગવાન મહાવીર કહી ગયા છે કે ‘युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः’ મતલબ કે જેનું વચન યુક્તિસંગત હોય તેનો સ્વીકાર કરવો. આજે પરિસ્થિતિ એવી છે કે યુક્તિસંગત વાત કરનારાઓને દરવાજો દેખાડી દેવામાં આવે છે અને લોલેલોલ કરનારા જતે દિવસે સંપ્રદાયના નાયકો બની જાય છે.

    વિજ્ઞાનના ક્ષેત્રે તમે આઇન્સ્ટાઇનથી લઈને ન્યૂટન સહિતના કોઈ પણ વૈજ્ઞાનિક સાથે અસહમત થઈ શકો છો, તમે તેને વૈજ્ઞાનિક તર્કોથી ખોટા પણ પાડી શકો છો. તમારી થિયરી સાચી હોય, અને તે, ગમે તેવા ખ્યાતનામ વૈજ્ઞાનિકની થિયરીથી જુદી પડતી હોય, તો, તેનો સ્વીકાર કરતાં વિજ્ઞાન જરાયે અચકાતું નથી. પરંતુ સંગઠિત સંપ્રદાયોમાં આવું બની શકતું નથી. જો તમે સંપ્રદાયના વડાઓની વિચારસરણીથી અલગ પડે એવું કંઈ પણ કહેશો તો તમને પીંખી નાખવામાં આવે એવી શક્યતાઓ જ વધારે છે.

    વિજ્ઞાન અને ધર્મ એકબીજાના પૂરક હોય એવો સુવર્ણયુગ ક્યારનોય આથમી ગયો છે.

    —મિત્રાનંદસાગર

    Like

      1. I am pleasantly surprised and impressed by what Muni Shri Mitranand Sagaraji Maharaj has written here.
        Such good ideas coming from religious teachers like him will lift up our society from centuries of ignorance.
        Namaskaara and many thanks.
        —-Subodh Shah —

        Like

  7. મિત્રો,
    જ્ઞનાન મેળવવા જેટલા રસ્તા મળે તે સૌનો લાભ લેવો જઈઅે. વિજ્ઞનાન અને ઘમૅની આ ચરચા માટે જૂઅો……દરેક રીલીજીયનના રેફરન્સમાં…………….
    Wikipedia. The free encyclopedia.
    And search for the subject: ” Relationship between Religion and Science.

    Very interesting discussion with strong examples and thoughts of great people from both the fields….i.e. Science and Religion.

    Like

  8. માનનિય મિત્રો, હુ અહિ કોઈનુ અપમાન કરવા કે નીચા પાડવા નથી લખતો, જેને એવુ માઠુ લાગતુ હોય તો હુ તેવા માનનિય મિત્રોની ક્ષમા માંગુ છુ. મને જે સમજાય છે એ લખુ છુ. જે મારા ‘દિલતો બચ્ચા હૈ” એવુ મારુ બચ્ચા જેવુ મન’ નથી માનતુ એ બધુ જ નકારુ છુ અને જે મારો આત્મા મને શીખવે છે એ લખુ છુ, ઘણી વેબસાઈટો અને બ્લોગ્સ્ની ભરમાર પડી છે પણ આ ‘અસામાન્ય’ બ્લોગ ઉપર વાચવુ એ અદભુત અનુભવ હોય છે અને જે કોઈ આવે છે તેઓમાં સામાન્ય કરતા ઉચ્ચ પ્રકારનુ જ્ઞાન હોય છે અને મને એ દરેક લખાણ ગમે છે એટલે હુ પણ મારુ રજકણસમ જ્ઞાન ચકાસુ છુ. એટલે મારા લખાણથી કોઈપણ ગુણીજને અંતિમ અથવા છેલ્લી કે પ્રથમ પાયરીનુ અપમાન કે દુખ ના અનુભવવુ કેમ કે હુ એવા સર્વગુણીજનોને લાગ્યુ હોય કે લાગતુ હોય કે લાગશે તો એવા દરેક મહાનુભાવોની દિલથી ક્ષમા ચાહુ છુ.

    દરરોજ સવારેઅથવા દિવસભર ટીવી ઉપર ભારતદેશના જે ખુન-ખરાબાના, વ્યભિચારના, ભ્રસ્ટાચારના અને અસંખ્ય અસભ્ય સમાચાર દ્વારા ચિંથરેહાલ જૌ છુ અને મારો આત્મા આક્રોશી ઉઠે છે ત્યારે મને જગતના દરેક વિજ્ઞાનન ક્ષુલ્લક અને વામણા લાગે છે એટલે હુ એવી દરેક વૈજ્ઞાનીક અથવા ધાર્મિક વાતોને નકારુ છુ જે સામાન્ય કે અસામાન્ય માનવીઓમાં સાચી માનવતા જગાવી ના શકે………..

    Like

  9. મુનિશ્રી મિત્રાનંદ સાગરજીને તેમના વિચારોની મહાનતા માટે સાદર વંદન. અેક ઘારમિક સંસથાના જૈન મૂનિશ્રી આટલું વિશાળ મન અને હ્દય ઘરાવે તે તેમના ગ્નાનની અને નિરપેક્ષતાના દશૅન કરાવે છે.
    આજે સાયંસ બરહમાંડની શોઘમાં ખૂબ આગળ વઘી ગયુ છે. શું આ લકઝરી છૈ ? અેક વખત પેન અને પાટી વાપરનારા બઘાજ ગરીબ કે તવંગર આજે કોમપ્યુટર વાપરીને આજની ચરચામાં પોતાના વિચાર છૂટથી લખી શકે છે અે શું લકઝરી છે ? દુનિયાને પોતાના ગજવામાં લઈને ફરવાવાળા ગરીબ કે તવંગર, આઈ ફોન છૂટથી વાપરનારા બાળકો, સતરીઅો કે પુરૂષો
    શું તરફેણ પામેલા માણસો છે ?
    ઘણું ઘણું લખી શકાય……..
    વિકીપીડીયામાં વાંચો…દરેક ઘરમના સંદરભમાં આખ ઉઘાડનારા વિચારો લખીયા છે.

    Like

    1. પ્રણામ અમ્રુત સાહેબ, આપની વાત એકદમ સાચ્ચી છે કે વિજ્ઞાન બ્રહ્માંડની શોધમાં ખુબ જ આગળ નીકળી ગયુ છે પણ દિવા નીચે અંધરુ એવી જ રીતે વિજ્ઞાન માણસને હવે માણસ રહેવા જ નથી દીધો. દા.ત. અમેરીકા હવે પરમાત્મા માં માજતુ જ નથી અને ભવિશ્યની પેઢી ખરેખર અકલ્પ્ય પરીણામો લાવશે એ વાત તો નક્કી જ છે.

      છેલ્લા ૫૦૦ વરસમાં વિજ્ઞાનની લ્હ્યાયમાં મનુશ્યએ છેલ્લા દસ હજાર વરસોથી હયાત પૃથ્વીને નાગી અને બોડી કરી નાંખી છે. અણુકચરો તો કોઈ અભણે નથી પેદા કર્યો !! પ્લાસ્ટીક વેસ્ટ પણ કોઈ અભણે પેદા નથી કર્યો. એવા હજારો દાખલાઓ પણ ગણી લેજો સાહેબ.

      ગરીબ ગમાર ભલે કોમ્પ્યુટર વાપરતો થઈ જાય પણ એ વાપરનારાઓમાંથી ૯૦ ટકા તો ન ભણવાનુ ભણી રહ્યા છે અને આજે ૫ વરસની નાની કુમળી બાળાની યોનિમાં મીણબત્તી અને તેલની શીશી નાંખે છે. અને આવુ બધુ જે ભારતમાં થાય છે એના જવાબદાર શ્રી અમ્રુત હઝારી સાહેબ અને એમના મિત્રો જ છે એવુ મારુ માનવુ છે.

      તમે વિજ્ઞાનની રુએ વધુ કડક કાયદો ઘડવાનુ કહેશો કે એને ફાંસી આપવાનુ કહેશો અને એવુ કર્યા પછી પણ એવા કરોડો નાદાન મનોજો ભારતમાંથી પેદા થવાનુ બંધ નથી થવાનુ એ યાદ રાખવુ ઘટે. આજે વૈજ્ઞાનિક ભણતર નહિ પણ આત્મિક ભણતરની જ ખુબ જ જરુર છે. બાળકોને આજે લેપટોપ આપવાની વાતો ચાલે છે પણ લેપટોપ જ એટમ બોંબ થી વધુ ખતરનાક હથિયાર બની શકે છે અને એવુ ના બને એ માટે આત્મા અને પરમાત્માનુ જ્ઞાન શીખવે એવા વિજ્ઞાનની જરુર છે.

      અને હા, જે લોકો વિકિપીડીયા પર લખે છે તેઓ પાસે પણ અંતિમ સત્ય નથી. તેઓ ફક્ત માહિતી આપે છે પણ આત્મિક સચ્ચાઈને તેઓના વૈજ્ઞાનિક મનથી જ મુલવે છે, આત્મિક રુએ નહિ.

      સપ્રેમ ધન્યવાદ સરજી,

      Like

  10. અત્રે અેક વાત યાદ આવી.
    માનવ અને જીવ માત્રના ભલા માટે ઘરમ અને વિજ્ઞનાનને તેના સારા પણાના ગુણોને સવીકારીને ચાલો આપણે એકવીસમી સદીના વિશ્વમાનવ બનીયે. બાકીનું બઘું સુઘરી જશે. કુવા પણ સમુદ્ર બની જશે.

    Like

  11. ઉપરની બધી વાતો સમજવા માટે કે ચર્ચા કરવા માટે જે IQ હોવો જોઈએ તે આ બંદામાં નથી. વિજ્ઞાન તો ખૂબજ ગતીશીલ છે. કેટલાક કહેવાતા વિજ્ઞાનિકો માત્ર વાંચી વાંચીને જ વિજ્ઞાનનો વેપાર કરતા હોય છે. સાચા સંશોધકો જે ‘ગોડ’માં માનતા હોય એની બે મિનિટ પ્રાર્થના કરીને કામે વળગે છે. આપણે થોડા અતીજ્ઞાની થઈને હું કેટલો જ્ઞાની છું એનો વાવટો ફરકાવીએ છીએ. મારા જેવો ટચાકીયો મુરખ પણ ચર્ચામાં ટાંટિયો ઘુસાડે અને કહે કે જ્યાંથી વિજ્ઞાન પૂરું થાય ત્યાંથી ધર્મ અને ભગવાન શરુ થાય.

    Like

  12. WELL PRESENTED,VERY CONVINCING
    .I AM GLAD TO READ THESE THOUGHTS.
    WE HAVE TO EDUCATE PEOPLE .
    GOOD WORK. THANKS .
    IT IS AN EXCRLLANT ARTICLE.

    Like

Leave a comment