દાનથી પરીગ્રહ વીચ્છેદ સુધી

દાનથી પરીગ્રહ વીચ્છેદ સુધી

(અપરીગ્રહની અવાસ્તવીકતા)

–મુરજી ગડા

કોઈપણ પરીક્ષામાં પાસ થવા માટે એમાં સમાવેલા બધા જ વીષયોમાં પાસ થવું જરુરી હોય છે. જેને દરેક વીષયમાં 100માંથી 40-50 માર્કસ મળે તે પાસ ગણાય છે. પછી ભલેને બીજાઓની સરખામણીમાં એનો નંબર ઘણો પાછળ હોય ! જેને એક વીષયમાં 100માંથી 100ની નજદીકના માર્કસ મળે; પણ બીજા વીષયમાં ફક્ત 2 કે 4 માર્કસ મળે તે નાપાસ ગણાય છે.

જો આ નીયમ ધાર્મીકતાને લાગુ પાડવામાં આવે તો મોટા ભાગના ધાર્મીકો એમની ધાર્મીકતાના દાવામાં નાપાસ થતા દેખાશે.

જૈન ધર્મ એક એવો ધર્મ છે જેમાં અપરીગ્રહને ખુબ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે એક સમુદાય તરીકે જૈનેતરની સરખામણીમાં જૈનો વધુ સાધનસમ્પન્ન (પરીગ્રહી) હોવાનું દેખાય છે. ઘણા જૈન વેપારી હોવાથી એમની વૃત્તી અને પ્રવૃત્તી સ્વાભાવીકપણે વધુ સમ્પત્તી ભેગી કરવાની હોય છે. એને જ સફળતાનો માપદંડ માનવામાં આવતો હોવાથી સમાજમાં સમ્પત્તી પ્રમાણે વ્યક્તીનું સ્થાન નક્કી થાય છે. ધનસંચય સીવાયની અન્ય સીદ્ધીઓને એટલું મહત્ત્વ નથી અપાતું. (ડૉક્ટરની કાબેલીયત કરતાં તે કેટલા પૈસા કમાય છે એની ચર્ચા વધુ થાય છે.) જે કોઈ વ્યક્તી સન્તોષ માની કે પછી પ્રામાણીકતા જાળવવા પોતાની આર્થીક પ્રવૃત્તીઓ મર્યાદીત રાખે તો તેને નીચી નજરે જોવામાં આવે છે.

અફસોસ એ વાતનો છે કે આ સર્વવ્યાપી વાસ્તવીકતાને અવગણી, અપરીગ્રહના આદર્શને આગવું સ્થાન આપી એની ફક્ત વાતો જ કર્યા કરવાનો દમ્ભ આપણે છોડતા નથી. આટલી સરળ વાતમાં પણ આપણે પ્રામાણીક નથી બની શક્યા.

ભારતીયો પશ્વીમી સંસ્કૃતીને ભોગવાદી ગણે છે. ભૌતીકતાને સંસ્કૃતી કરતાં મનોભાવના સાથે વધુ સમ્બન્ધ છે. હકીકતમાં આપણે પણ એટલા જ ભોગવાદી છીએ. આપણી પાસે ભૌતીક સગવડનાં સાધનો ઓછાં હતાં; કારણ કે તે અહીં મળતાં નહોતાં. હવે જ્યારે મળવા લાગ્યાં છે ત્યારે જેને પણ પોષાય છે એમની પાસે ભરપુર પ્રમાણમાં છે. એટલું જ નહીં; આપણી સમુદ્ધીનું પ્રદર્શન કરવામાં આપણે જરાયે પાછળ પડતા નથી. લગ્ન પ્રસંગો, ધાર્મીક તેમ જ અન્ય ઉજવણીઓના આના દાખલા છે. ખુદ ભગવાનની મુર્તી પર અલંકારો ચઢાવી એમને પરાણે પરીગ્રહી બનાવાય છે.

ભૌતીકતાની સાચી વ્યાખ્યા કોઈની પાસે કેટલી વસ્તુઓ કે સમ્પત્તી છે તે નહીં; પણ એમના માટે એનો લગાવ કેટલો છે તે છે. આપણને જરુર ન હોય; છતાં બીજા પાસે છે, માટે ભેગી કરવી; વસ્તુઓ ન હોવાનો અફસોસ કરવો વગેરે ભૌતીકવાદી માનસીકતાની નીશાની છે. આપણા આધ્યાત્મીકપણાના દાવામાં તથ્ય કરતાં દમ્ભ વધારે છે.

આપણી રોજબરોજની પ્રવૃત્તીને આસાન બનાવતાં સગવડનાં સાધનો વાપરવામાં કંઈ ખોટું નથી. એના લીધે બીજાં અગત્યનાં કામ માટે વધુ સમય ફાળવી શકાય છે. સગવડ વીરોધી વાતો અને વર્તન કરવાથી આધ્યાત્મવાદી નહીં; પણ અગવડવાદી થઈ જવાય છે. બધી બાબતોની જેમ અહીં પણ બન્ને બાજુનો અતીરેક નુકસાનકારક જ છે.

અપરીગ્રહની પ્રચલીત વ્યાખ્યા ભૌતીક સમ્પત્તી ભેગી ન કરવાની છે. ગૃહસ્થી માટે એ વ્યવહારુ નથી. આર્થીક રીતે સ્વતંત્ર (સધ્ધર) ન હોય એવી વ્યક્તીને ઘણી બાંધછોડ કરવી પડે છે. એમને વ્યક્તીગત સ્વતંત્રતાના મુળભુત હક્ક જાળવવા અઘરા પડે છે. કોઈના મતે અપરીગ્રહ એ સાંસારીક જવાબદારીમાંથી છટકી જવાનો એક પ્રકારનો પલાયનવાદ છે.

આપણે આવકનાં જે પણ સાધન વીકસાવ્યાં હોય એને આગળ વધારવામાં કંઈ ખોટું નથી. બીજા જે પણ આપણી પ્રવૃત્તી સાથે સંકળાયેલા હોય એ બધાના હીત માટે પણ એ જરુરી છે. એકમાત્ર શરત આપણા ધન્ધા–વ્યવસાયમાં સમ્પુર્ણ પ્રામાણીકતા જાળવવાની છે.

દેશમાં જેટલી સમ્પત્તી વધી રહી છે તે તો વધવાની જ છે. આપણે નહીં તો બીજા કોઈ, એ ભેગી કરી એનો દુરુપયોગ કરી શકે છે. સારા માણસોના હાથમાં પ્રામાણીકપણે આવેલી સમ્પત્તીનો કેટલો સદુપયોગ થઈ શકે એ વાત આગળ આવે છે.

કોઈ આ ભાગદોડથી દુર રહેવા માંગતા હોય તો એમાં કંઈ ખોટું નથી. એનાથી શાન્તી, સન્તોષ અને તનાવમુક્તી મળે છે. છતાં જે સાંસારીક જવાબદારીઓ સ્વીકારી છે તેને પુરી કરવાની ફરજ તો રહે જ છે.

અપરીગ્રહ ઉપદેશતા સમાજમાં (ધર્મમાં) સામાજીક અને ધાર્મીક પ્રસંગોએ ધનવાનોને (પરીગ્રહીને) આગવું મહત્ત્વ આપવામાં આવે છે. કારણ કે એમનાં જ દાનને લીધે બધી ધાર્મીક અને સામાજીક સંસ્થાઓ અને પ્રવૃત્તીઓ ચાલતી હોય છે. આમાં પણ કંઈ ખોટું નથી. તટસ્થ રીતે જોઈએ તો દાનની વાસ્તવીકતાએ અપરીગ્રહના આદર્શને પરાજીત કરેલ છે.

આટલી લાંબી રજુઆતનો આશય અપરીગ્રહને સદન્તર ભુલી જવાનો નથી. વાસ્તવમાં આપણે અપરીગ્રહ (સમ્પુર્ણ ત્યાગ) કરતાં દાનનો (આંશીક ત્યાગ) અમલ કરીએ છીએ. આ દાન અને અપરીગ્રહ ઉપરાંત ત્રીજો વીકલ્પ પણ છે. એમાં સમ્પત્તી ભેગી કરવાનો બાધ નથી; છતાં એ ભાવનાગત રીતે પરીગ્રહ નથી થતો.

આ વીકલ્પ છે ભેગી કરેલી સમ્પત્તીના માલીક નહીં; પણ ટ્રસ્ટી બની રહેવાનું. અહીં ટ્રસ્ટીપણાનો અર્થ થોડો જુદો છે. આપણી સમ્પત્તીનો બધો વહીવટ આપણા હાથમાં હોવા છતાં; તે ફક્ત આપણા અંગત ઉપભોગ (Wants) માટે નહીં; પણ બીજા ઘણાના ઉપયોગ (Needs) માટે પણ વપરાય. આ નવું નથી.

અતી ધનાઢય લોકો એમની સમ્પત્તીને લીધે અવારનવાર સમાચારોમાં ચમકે છે. શ્રીમંતોની વાર્ષીક યાદી પ્રગટ કરવાની ફેશન થઈ ગઈ છે. જોકે દુનીયાની અતી ધનાઢ્ય બે વ્યક્તીઓ જુદા કારણસર સમાચારોમાં ચમકે છે.

બીલ ગેટસ્ અને વૉરન બફેટ, બન્નેએ પોતાની મોટા ભાગની મીલ્કતનું ટ્રસ્ટ બનાવી એને સમાજકલ્યાણ માટે વાપરવાની જાહેરાત કરી છે. (દરેકની સમ્પત્તી ત્રણ લાખ કરોડ રુપીયા જેટલી છે.) એમની પ્રવૃત્તી શીક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પુરેપુરી દુનીયાને આવરી લેવાની છે. સો વરસ પહેલાં અમેરીકાના સ્ટીલ ઉદ્યોગના પ્રણેતા એન્ડ્ર્યુ કાર્નેગીએ પણ આવું જ કર્યું હતું. ભારતમાં અઝીમ પ્રેમજીએ આવુ કર્યાનું વાંચવામાં આવ્યું છે.

આ લોકો પાસે પુષ્કળ સમ્પત્તી હોવાથી એ સમાચાર માધ્યમોમાં ચમકે છે. બીજા પણ કેટલાક એવા હશે જેમણે આવું જ કર્યું હોય. જાહેરમાં નોંધ ન લેવાયાથી એમની ભાવના કે કાર્યનું મહત્ત્વ જરાય ઓછું થતું નથી.

આ બધી વ્યક્તીઓ સમાજ પાસેથી રળેલી સમ્પત્તી સમાજને પાછી સોંપે છે. અપરીગ્રહની ભાવનાને જાળવી રાખી એના અવ્યવહારુપણાનો આ શ્રેષ્ઠ વીકલ્પ છે. અઢળક સમ્પત્તી કમાયા પછી પણ એના માલીક મટી, ટ્રસ્ટી બનીને શું કરી શકાય તે આ વ્યક્તીઓની કરણીમાં જોઈ શકાય છે.

આ મહાનુભવોની વીશીષ્ટતા એ છે કે એમણે પોતાના બધા જ વારસદારોને મળીને મીલકતના 10 થી 15 ટકા જેટલી જ રકમ આપી છે. વંશજોને શ્રેષ્ઠ શીક્ષણ આપી, એમના વ્યવસાય માટે જરુરી મદદ કર્યા પછી, એમની કાબેલીયત પર છોડી દીધા છે. પોતે આપબળે સમૃદ્ધ થયા હોવાથી પુત્રો, પૌત્રોને સ્વાવલંબી બનવાની ફરજ પાડી છે. બીજું કંઈ નહીં તો ઘણા કીસ્સામાં બને છે તેમ, એમના વંશજો કુપાત્ર બનવાની શક્યતા ઘટે છે.

બધા વારસદાર હમ્મેશાં કાબેલ કે સુપાત્ર હોય એ જરુરી નથી. વારસાગત રીતે ચાલતા ઘણા ઉદ્યોગગૃહો અને શ્રીમંત કુટુંબો બીજી કે ત્રીજી પેઢીએ પડી ભાંગતા જોયા છે.

વૉરન બફેટ તો પહેલેથી જ સાચા અર્થમાં અપરીગ્રહી રહ્યા છે. આટલી સમ્પત્તી મેળવ્યા છતાં; તેઓ 55 વરસથી એક જ ઘરમાં (એટલે એ જ પડોશમાં) રહે છે. 75 વર્ષની ઉંમરે પોતાની ગાડી જાતે ચલાવીને ઑફીસે જાય છે.

અપરીગ્રહનો પ્રચલીત અર્થ કશું ભેગું ન કરવાનો થાય છે. ત્યાગનો અર્થ ભેગું કરેલું બધું છોડી દેવાનો કે આપી દેવાનો થાય છે. આમના કીસ્સાઓમાં સમ્પત્તીનો ત્યાગ છે; પણ જવાબદારી જાળવી રાખેલ છે. આના માટે વધુ યોગ્ય શબ્દ ન મળે ત્યાં સુધી આપણે એને પરીગ્રહ–વીચ્છેદ કહીશું.  આવો પરીગ્રહ–વીચ્છેદ એ પાછલી ઉંમરે કરેલ આંધળો નહીં; પણ જાગૃત ત્યાગ છે.

આંધળા ત્યાગમાં પાછળ શું થાય છે એની દરકાર નથી હોતી. જાગૃત ત્યાગમાં સમ્પત્તી યોગ્ય માર્ગે વપરાય એ જવાબદારી જાળવી રાખવામાં આવે છે. સત્તાની જેમ સમ્પત્તી પણ જ્યારે અયોગ્ય હાથમાં જાય છે ત્યારે ઘણું નુકસાન કરી શકે છે.

સમ્પત્તી પોતે ગુણ કે દોષ વગરની છે. એ વ્યક્તીના મુળભુત સ્વભાવમાં રહેલી સારી અને ખરાબ બન્ને ખાસીયતો બહાર લાવે છે. એ થોડા લોકોને નમ્ર અને ઉદાર બનાવે છે; જ્યારે મોટાભાગના કીસ્સામાં એ વ્યક્તીને ઘમંડી બનાવે છે. એટલે જ કદાચ જૈન વીચારધારામાં અપરીગ્રહને આટલું મહત્ત્વ આપવામાં આવ્યું હશે. કમનસીબે એ વ્યવહારુ સાબીત નથી થયું.

આવો પરીગ્રહ–વીચ્છેદ જેની પણ ઈચ્છા હોય એના માટે શક્ય છે. પોતાની સમ્પત્તીના માલીક મટી ભાવનાગત રીતે ટ્રસ્ટી બનવું અઘરું નથી; પણ વીશાળ અર્થમાં એને નભાવવું અઘરું છે. કૌટુમ્બીક ધોરણે આપણે એનો અમલ કરીએ જ છીએ. આપણી કમાયેલી મીલકત કુટુમ્બના અન્ય સભ્યોના ઉપયોગ માટે હોય જ છે. એ સહજ છે. પરીગ્રહ–વીચ્છેદમાં કુટુમ્બનો વ્યાપ બને તેટલો વીશાળ બનાવવાનો થાય છે. આપણા સમ્પર્કમાં આવતી તેમ જ અન્ય જરુરતમન્દ વ્યક્તીઓની મદદનો એમાં સમાવેશ થાય છે. લોહીના સમ્બન્ધથી આગળ જવામાં જ ઉદારતા સમાયેલી છે. જનહીતાર્થે ચાલતી સંસ્થાઓને આપેલું દાન આનો એક પર્યાય છે. પરીગ્રહ–વીચ્છેદ એ સાંસારીક જવાબદારીઓ પુરી કર્યા પછી અપરીગ્રહી બનવાની બીજી તક છે.

ટ્રસ્ટી શબ્દ સામાન્ય રીતે સમાજની જાહેર સંસ્થાઓ અને મીલકતનું સંચાલન કરનારા માટે વપરાય છે. એ જુદી જાતનું ટ્રસ્ટીપણું છે. એમાં સમાજને ટ્રસ્ટીઓની વહીવટી કુશળતાનો લાભ મળે છે; એમની સમ્પત્તીનો નહીં.

દાનેશ્વરી તરીકે પ્રસીદ્ધી પામેલા કે લોકહીતાર્થે કાર્ય કરનારા રાજાઓ આવા સંસ્થાકીય ટ્રસ્ટીઓથી વધારે નહોતા. એમની સમ્પત્તી જાતમહેનત કે કુનેહથી મેળવેલી નહોતી. પ્રજા પાસેથી કરવેરા દ્વારા ભેગી કરેલી હતી.

ઘણી મોટી કમ્પનીઓ અને શ્રીમન્ત કુટુમ્બો પોતાની આંશીક સમ્પત્તીના ટ્રસ્ટ બનાવી ઘણાં ઉત્તમ સામાજીક કાર્યો કરે છે. આવા બધા ટ્રસ્ટ પરીગ્રહ–વીચ્છેદ નહીં; પણ દાનના વ્યાપમાં આવે છે.

ભુતકાળમાં ભામાશા, જગડુશા વગેરે નામો આપણે ત્યાં પ્રસીદ્ધી પામેલાં છે. એ મોટા દાનેશ્વેરી હતા. રાજાને કે પ્રજાને મુસીબત પ્રસંગે મોટી મદદ કરવી અને સ્વેચ્છાએ જનહીતાર્થે સંસ્થાઓ ઉભી કરવી એમાં ઘણો ફરક છે. સંસ્થાઓ સક્રીય (Pro-active) હોય છે. જ્યારે પ્રસંગોપાત્ત કરેલી મદદ પ્રતીક્રીય (Reactive) હોય છે.

બીજી બધી ધાર્મીક વીચારધારાઓમાં અપરીગ્રહની નહીં; પણ દાનની વાત કરવામાં આવી છે.

દાનનો મહીમાં વર્ણવતાં ગીતામાં કહેવાયું છે કે, ‘સો હાથે કમાઓ અને હજાર હાથે આપો’ આ કથન દાન કરતાં આપણી પરીગ્રહ–વીચ્છેદની ભાવનાને વધુ મળતું આવે છે અને વધારે વાસ્તવીક પણ છે.

દાન અને પરીગ્રહ–વીચ્છેદ વચ્ચે ભેદરેખા દોરવી અઘરી છે. એ દરેકની કૌટુમ્બીક અને આર્થીક સ્થીતી પર આધાર રાખે છે. આનો સીધો અને શ્રેષ્ઠ ઉકેલ ખ્રીસ્તી ધર્મમાં વર્ણવવામાં આવેલા દાનની માત્રામાંથી મળે છે. “GIVE UNTIL IT HURTS.” તમને પોતા માટે કમી મહેસુસ થાય ત્યાં સુધી આપો.’ આ વાત પણ દાનથી આગળ વધી પરીગ્રહ–વીચ્છેદ સુધી પહોંચી જાય છે.

ધાર્મીક દૃષ્ટાન્ત કથાઓમાં, ગરીબના નાનકડા દાનને ધનવાનના મોટા દાન કરતાં વધારે મહત્ત્વનું ગણવામાં આવે છે. કારણ, ગરીબને દાન કરવા માટે પોતાની જરુરીયાતો પર કાપ મુકવો પડે છે. શ્રીમંતોની જીન્દગીમાં મોટા દાનથી પણ જરાય ફરક પડતો નથી.

ભુખ્યાને ખવડાવવું એ ની:શંક સત્કાર્ય છે. જ્યારે કોઈને પગભર કરવો એ વધારે મોટું સત્કાર્ય છે. એનાથી એના આખા કુટુમ્બને લાંબા સમય સુધી લાભ મળે છે. આ દૃષ્ટીએ જોઈએ તો સદાવ્રત કરતાં શીક્ષણ અને આરોગ્ય સંસ્થાઓ વધારે સારી ગણાય. આવી ધંધાદારી કે બીનધંધાદારી સંસ્થાઓનું અન્તીમ લક્ષ્ય એક હોવા છતાં એમની ભાવનામાં ઘણો ફરક હોય છે. ધંધાદારી સંસ્થા સંચાલકો માટે પરીગ્રહલક્ષી છે જ્યારે બીજી પરીગ્રહ–વીચ્છેદ લક્ષી છે.

ધાર્મીક સ્થળોએ કે પ્રસંગોએ થતા દાન વીશે કેટલાક લોકો એવી માન્યતા ધરાવે છે કે જેટલું આપીએ છીએ એનાથી ઘણું વધારે મળવાનું છે. આવી ભાવના દાનને એક સોદા કે રોકાણમાં બદલી નાંખે છે. એમાં પરીગ્રહ વધારવાની ભાવના ઉપરાન્ત પોતાના ઈશ્વરને છેતરવાપણું વધારે લાગે છે. દુ:ખની વાત એ છે કે સૌથી વધુ દાન આ ક્ષેત્રે થાય છે; પણ જરુરીયાતવાળા સુધી એમાંનું સાવ ઓછું પહોંચે છે. આ બાબતમાં દેખાદેખી છોડી પોતાની વીવેકબુદ્ધી પ્રમાણેનું વર્તન બધાના હીતમાં રહેશે.

પરીગ્રહ–વીચ્છેદ એ અપરીગ્રહ નથી. એ નીષ્ક્રીય અને આંધળો ત્યાગ પણ નથી. કરેલા પરીગ્રહથી વીમુખ થવાની એ પ્રક્રીયા છે. કુદરત અને માનવ સમુદાય પાસેથી મેળવેલું પાછું આપવાની આપણને તક પુરી પાડે છે. મુખ્યત્વે પાછલી ઉમ્મરે કૌટુમ્બીક જવાબદારીઓ પુરી થયા પછી શરુ થતી આ પ્રક્રીયા છે. એ Abandonment નથી;  Detachment છે.

આ પરીગ્રહ–વીચ્છેદ સમ્પત્તી ઉપરાન્ત પ્રવૃત્તી અને સમ્બન્ધોને પણ લાગુ પડે છે. આનો અર્થ પ્રવૃત્તી કે સમ્બન્ધોને છોડી દેવાનો નથી; પણ એમને નવો વળાંક આપવાનો છે. માલીકીભાવ અને અનુરાગ છોડી કર્તવ્યભાવ અપનાવવાનો છે, અનાસક્તી કેળવવાની છે. એમાં મોટાં થયેલાં સંતાનોને સમ્પુર્ણ સ્વતંત્રતા આપવાની વાત છે. કૌટુમ્બીક તેમ જ અન્યો પરના અંકુશો અને બન્ધનો ઢીલાં કરવાનાં છે. એમાં નીષ્ક્રીયતા નહીં; પણ પ્રવૃત્તીઓ પાછળની ભાવનાને ઉમદા કરવાની વાત છે. પક્ષપાત છોડી નેકી (Fairness) અપનાવવાની વાત છે.

વૈદીક સંસ્કૃતીની વર્ણવ્યવસ્થાએ ઘણા અનર્થો સર્જ્યા છે. જ્યારે એની આશ્રમવ્યવસ્થામાં ઘણું વજુદ રહેલું છે. ગૃહસ્થાશ્રમ પછી વર્ણવાયેલ વાનપ્રસ્થાશ્રમ આ પરીગ્રહ–વીચ્છેદની ભાવનાને મળતો આવે છે. એ સમ્પત્તી, સમ્બન્ધો, સત્તા, પ્રવૃત્તી વગેરે બધાને નવી દૃષ્ટીએ જોઈ અલીપ્તતા કેળવવાનું કહે છે.

પુનર્જન્મમાં માનતા લોકો ભવના ફેરામાંથી છુટકારો મેળવવા કંઈ કેટલીયે ધાર્મીક પ્રવૃત્તીઓ કરતા હોય છે. પણ આ જનમમાં કેળવેલા અને મેળવેલા અંકુશો તેમ જ પરીગ્રહો છોડી શકતા નથી. આપણી ચારેકોર દેખાતી આ એક મોટી કરુણતા છે.

અપરીગ્રહ બાબતે આપણી પાસે ત્રણ વીકલ્પો છે: (1) પરમ્પરાથી ચાલ્યો આવતો અપરીગ્રહનો આદર્શ રાખી, કથની અને કરણીના વીરોધાભાસનો દમ્ભ ચલાવે રાખવાનો; (2) સ્વીકારી લીધેલા આદર્શનું પાલન ન થવાથી  જાત પ્રત્યે અપરાધભાવ અનુભવવાનો; કે પછી (3) વાસ્તવીકતાને સ્વીકારી, અપરીગ્રહને નવું નામ આપી નવી નજરે જોવાનું. જે આદર્શ કોઈ પાળતું નથી કે પાળવાની ઈચ્છા પણ રાખતું નથી એની વાતો કર્યા કરવાથી બીજા એક આદર્શ ‘સત્ય’નો ભંગ થાય છે.

સામાજીક સ્તરે આવી વીચારસરણી વીકસાવવા માટે સમાજના આગેવાનોની ઈચ્છા અને ઈચ્છાશક્તી જરુરી છે. સમાજના સાચા આગેવાન કથાકાર–સાધુ–સન્તગણ છે. જનમાનસ પર સૌથી વધારે પ્રભાવ એમના કહેવાનો થાય છે. એમણે પોતાના વીચાર/પ્રચારને નવી દીશા આપવાની જરુર છે.

–મુરજી ગડા

લેખક સમ્પર્ક:

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 23 11 548 સેલફોન: 97267 99009 ઈ.મેઈલ:  mggada@gmail.com

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મંદીર’ માસીકના 2006 ના નવેમ્બર માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

  રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: GOVIND MARU, 405, Evaz Apparel Co-op. Housing Society, B Wing, Opp. Ayyappa Temple, Samata Nagar, BONKODE VILAGE, Navi Mumbai – 400 709 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ: 9/05/2013

11

 

25 Comments

  1. પરીગ્રહ-વિચ્છેદની મજાની વાત કરી.

    દાનનો મહીમાં વર્ણવતાં ગીતામાં કહેવાયું છે કે, ‘સો હાથે કમાઓ અને હજાર હાથે આપો’

    આપે જે વાક્ય ગીતાનું હોવાનું કહ્યું છે તે ક્યાં શ્લોકનો ભાવાર્થ છે? મારા ધ્યાનમાં નથી આવ્યું એટલે પુછ્યું.

    Like

    1. શ્રી અતુલભાઈ.
      આ અર્થનો કોઈ શ્લોક ગીતામાં નથી. પણ ઋગ્વેદના દસમા મંડળના ૧૧૭મા સૂક્તના સાતમા શ્લોકનું એ ચોથું ચરણ છે. એ આ પ્રમાણે છેઃ पृणन्नापिर्पृणन्तमभि ष्यात्. પંડિત સાતવળેકરજી આનો અર્થ આ પ્રમાણે આપે છેઃ “દાતા અદાતાથી શ્રેષ્ઠ થઈ જાય છે”. શ્રી મુરજીભાઈએ જ્યાંથી આ અર્થ લીધો છે તેમાં પણ એ જ સીધો અર્થ છે, પરંતુ તે પછી સમજાવવા માટે અર્થ વિસ્તાર કર્યો છે અને શ્રી મૂરજીભાઈએ આ અર્થવિસ્તારનો ઉપયોગ કર્યો છે, એમ મને લાગે છે.

      Like

    2. Me Gita ke Shastro vanchya nathi. Mota bhagni mahiti Uttam ane nami lekhakona pustak vanchanthi melvi che.

      Collegena varsho darmiyan kaka Kalelkar and Vinoba Bhavena ghana pustako vanshya hata. Emathi aa vakya hovani shakyata ghani che.Aa vatne 50 varsho thai gaya. Amuk vato magajma rahi jay. badhu yad na hoi. Vinobanu ek pustak “Gita Pravachano” hatu. Eni shakyata vadhu che pan khatrithi kai na kahevay.

      Like

  2. શ્રી મૂરજીભાઈ,
    તમે કહો છોઃ
    ” આ વીકલ્પ છે ભેગી કરેલી સમ્પત્તીના માલીક નહીં; પણ ટ્રસ્ટી બની રહેવાનું. અહીં ટ્રસ્ટીપણાનો અર્થ થોડો જુદો છે. આપણી સમ્પત્તીનો બધો વહીવટ આપણા હાથમાં હોવા છતાં; તે ફક્ત આપણા અંગત ઉપભોગ (Wants) માટે નહીં; પણ બીજા ઘણાના ઉપયોગ (Needs) માટે પણ વપરાય. આ નવું નથી.”

    ગાંધીજીનો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત પણ આવો જ છે.

    Like

    1. શ્રી દિપકભાઈ,

      સંબોધનને અંતે પૂર્ણવિરામ તે ગુજરાતી વ્યાકરણની દૃષ્ટીએ ખોટું છે. જો કે હું ખોટો હોઈ શકું. આપણે શ્રી જુ.ભાઈની સલાહ લેવી જોઈએ.

      ટ્રસ્ટીશીપ મેનેજમેન્ટની પ્રેરણા ગાંધીજીને કદાચ જોન રસ્કિનના “અન ટુ ધીસ લાસ્ટ” પુસ્તકમાંથી મળેલી. જો કે ઉપનિષદમાંયે તેના બીજ રહેલા છે :
      જેમ કે,
      તેન ત્યક્તેન ભુંજીથા

      Like

      1. ના. આમાં જુગલભાઈની સલાહ લેવાની જરૂર નથી. એ મારી ટાઇપિંગની ભૂલ છે.

        Like

    2. koobul hai.

      Koipan navo lagto vichar ke shabdaprayog sachej navo hovani shakyata pramanma ochi hoi che. Varsho pahela kyank vanchelu ke smbhalelu magajna databank mathi jaroor pade thyare nikli aave ane aapanne khabar pan na pade.

      Like

  3. આ બધી વ્યક્તીઓ સમાજ પાસેથી રળેલી સમ્પત્તી સમાજને પાછી સોંપે છે. અપરીગ્રહની ભાવનાને જાળવી રાખી એના અવ્યવહારુપણાનો આ શ્રેષ્ઠ વીકલ્પ છે.
    ————-
    બહુ જ ગમ્યું.

    Like

  4. મુરજીભાઇ,
    શાંતિથી વાંચન કીઘું. મન અને મગજ બન્ને, સર્વે વીચારોથી તૃપ્ત થયાં.

    થોડાં વિચારો……યાદ આવ્યા….

    આ નો ભદ્રા કૃત્વો યન્તુ વિશ્રવત:
    અમને કલ્યાણકારી કર્મો સરવે દિશાઅોથી પર્ાપ્ત થતા રહો.

    યજુ. ૩૬–૧૮, ૩૯–૪, ૩૭–૪, સામ.૩:૯ : ૭
    અપ ઘ્વાન્તમૂણહિ પૂઘ્ઘિ ચક્ષુ:
    અંઘકારને દૂર કરો, પ્રકાશનો પ્રસાર કરો.

    ગાંઘીજીની આત્મકથા: પ્રકરણ: ૨૬. પા. ૧૮૫.
    “ જે સેવામાં આનંદ મળે છે તે સેવા આગળ અેશારામ કે ઘનોપાર્જન ઇત્યાદિ પ્રવૃત્તિ તુચ્છ લાગે છે.“

    લગભગ સમાનારથી બે શબ્દો…..પરિવ્રાજક અને અપરિવ્રાજક. તેના પરિપેક્ષ્યમાં વાપરવા.

    થોડાં શબ્દો…..
    ૧. ઘેટાંશાહિ. ૨. શોમેનશીપ. સંસારના સંદર્ભમાં…“.તૂં હ્યાં બેસ.“….ભૈતિકતાનો દેખાવ. દંભ ૩. શ્મશાનવૈરાગ્ય………ઘર્મોઅે આપેલા આદરશો, જીવન જીવવાના નિતિ–નિયમો, મંદિરો, મસ્જિદો કે ચર્ચોમાં અને તેનાં પુસતકોને પાને સોહામણાં લાગે છે. મનને મનાવી લે છે. જેવાં તે વાતાવરણમાંથી બહાર નિકળો કે પાછા સંસારી….ભૌતિકતા મન પર સવાર. ૪. પરિવ્રાજક અને અપરિવ્રાજક. ૫. Asceticism and Renunciation.
    હવે……
    ઘંઘામાં – વ્યવસાયમાં સંપૂર્ણ પ્રમાણિકતા ?????????????? રોજીંદા વેપારના કે ઇવન જીવન વહેવારના ‘ઘંઘામાં‘ પ્રમાણિકતા સમાજમાં શૂન્ય %માં જોવા મળે છે. આજના સમયમાં જીવન જીવવાનો સંગ્રામ આ માટે જવાબદાર કહેવાય.સમાજ જૂઅે અને પ્રમાણપત્ર આપે તેવાં ભગવાં પહેરવાં કરતાં કુટુંબમાં અને સમાજમાં રહીને સદવિચારો, સંસકારો અને સાદાયથી જીવતાં જીવતા પોતાના કુટુંબ માટેની જવાબદારી પહેલાં નિભાવ્યા બાદ શક્તિ અનુસાર દાન.

    તમારાં લેખનાં છેલ્લાં પેરેગ્રાફમાં જે શબ્દ ” સાચા” ઉપર ભાર મૂક્યો છે તે ૧૦૦ ટકા જરુરી છે. આગળીને વેઢે ગણાય અેટલાં સાચાં મળે છે અને વૈભવી , દંભી અને ………………ઘણાં મળે છે. ત્યાં પણ સ્મશાનવૈરાગ્યની બોલબાલા છે.

    Few great truths of life, which, in some way, I think, are linked with the subject , we are discussing today…..

    What Rumi said is to be adopted by every individual, I feel.

    ” Yesterday I was clever, so I wanted to change the world. Today I am wise, so I am changing myself.”

    Another guidance…..by an unknown………
    ” Do not judge by appearance; a rich heart may be under a poor coat.”

    Aristotle, said…..
    ” Educating the mind without educating the heart is no education at all.”

    Voltair said, ” The comfort of the RICH depends upon an ABUNDANT supply of the POOR.”

    And at last this may be useful at any time in life…………..

    ” Listen to your elder’s advice, not because they are always right, but because they have MORE EXPERIENCES OF BEING WRONG.”

    Thanks. આભાર.

    Like

    1. Nice quotes. Thanks. And a word of caution.

      Quote with a name attached to it could land you in trouble.

      One from the unknown, “sometimes you can learn more from a loser than a winner”.

      Like

  5. અમેરિકાના બે ટોચના પુંજીપતીઓ બીલ ગેટ્સ અને વોરન બફેટ વિશ્વભરમાં દુખીજનો માટે જે દાનની ગંગા વહાવી રહ્યા છે એનાથી એમણે એમના ધનને દિપાવ્યું છે .આવી ભાવના બધા બતાવે તો કેવું સારું !

    આ લેખ જેવા પ્રેરક લેખો રજુ કરવા માટે આપને અભિનંદન , શ્રી ગોવિંદભાઈ .

    Like

  6. પરીગ્રહ-વિચ્છેદની વાત સાથે સંપુર્ણ સહમત.
    ધાર્મિક ચેરીટી ટૃસ્ટોની વાત કરવા જેવી જ નથી. તેઓ લોકોને પગભર નહીં અપંગ બનાવે છે.

    Like

  7. ગીતામાં જે યજ્ઞચક્રની વાત છે, એ પોતાના કમાયેલા ધનને ટ્રસ્ટમાં ફેરવી જે સમાજ પાસેથી ધન મેળવ્યું છે તેને પાછા આપવાની જ વાત છે.

    Like

  8. સરસ લેખ. આભાર ગોવીંદભાઈ તથા મુરજીભાઈ.
    ‘પરીગ્રહ-વીચ્છેદ’ જેમ નવો શબ્દ મુરજીભાઈએ વાપર્યો તેમ Abandonment અને Detachment માટે અનુક્રમે ત્યાગ (કે પરીત્યાગ) અને અનાસક્તી (કે અલીપ્તતા) શબ્દ મુરજીભાઈ કદાચ વાપરી શક્યા હોત? આ અંગ્રેજી શબ્દો વધુ અર્થવાહી છે કે આપણા ગુજરાતી? ગુજરાતીના વીદ્વાનો (જુગલકીશોરભાઈ સહીત અન્યો પણ) આના પર પ્રકાશ પાડે તો મારા જેવાને જાણવાનું મળે.

    Like

  9. માનવંતા પ્રતીભાવક મીત્રો,
    આજે (10 મે શુક્રવારે) બપોર બાદ હું નવસારી/બીલીમોરા/સુરતની મુલાકાતે છું… 16 મે, ગુરુવારે નવી મુમ્બઈ પરત ફરીશ તે દરમીયાન નેટની સુવીધા મળશે તે મુજબ કૉમેન્ટ મોડરેટ કરવા હું વીનમ્ર પ્રયત્ન કરીશ.
    ધન્યવાદ…

    Like

  10. હાતિમ તાઇ……‘ નેકી કર અોર દરિયેમે ડાલ ‘
    ચંદ્રકાંત બક્ષી…ક્લોઝપ….‘ કબીર કહે કું દો બાતાં સીખ લે
    કર સાહેબ કી બંદગી અરું ભૂખે કું અન્ન દે.‘

    Like

  11. Charity is an inegral part of every community as it brings harmon by bringing the gap between the fortunate in kife and the less fortunate. The main objective of charities is to help less fortunate in terms of getting proper medical care, improving living conditions and even assisting in the proper education of those who can hardly manage to get it. ( Read some time ago.)

    Also read……” Donation to charity is the perfect opportunity to make a difference in the world. By making a difference to someone’s life, you are leaving behind a legacy. You are making a statement that your life was worthwhile because you made a contribution to society.”

    દાન અને ગુપ્તદાન જેવાં બે પ્રકારનાં ચલણો સમાજમાં છે. આત્મસંતોષ પામવાની આ રીત સ્વર્ગથી પણ વઘુ ઉત્તમ છે.

    Like

  12. વ્યાખ્યા…………..વણલોભી……………..જે ‘ પરઘન નવ ઝાલે હાથ રે.‘
    વૈષ્ણવજન તો તેને કહીઅે, જે પીડ પરાઇ જાણે રે;
    પરદુખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.
    નરસિંહ મહેતા.
    આ બે કડીમાં નરસિંહ મેહતાઅે આજના લેખને સંપૂર્ણ પણે આવરી લીઘો છે.

    Like

  13. atlu aflatoon postmortem faqt mggada saheb kari sake. mastishk bahuj kasvu padechhe apne vanchvha. apne vancchva atle bhukhya petman bhojan java barabar chhe saheb.

    Like

  14. Dear Murjibhai:
    Very well explained! Thank you for a very nice article.
    I would like to add that both Warren Buffet and Bill Gates are rationalist and openly athiest. Now compare that to all the gold-laden popes and swamis of this world!
    -A. Dave

    Like

  15. અાપણી કહેવાતી ધાર્મિકતા એ તો માત્ર દેખાડો- દંભથી વિશેષ કશું નથી.

    Like

Leave a comment