સાપ અંગે માન્યતાઓ

Sarpsandarbh

–અજય દેસાઈ

દુનીયાના કેટલાક દેશો કે જ્યાં સાપ જોવા મળે છે અને કેટલાક એવા દેશો કે જ્યાં સાપ જોવા નથી મળતા, તેવા સહુ દેશોમાં તથા દુનીયાના એવા દેશો કે જ્યાં 100 ટકા સાક્ષરતા છે અને દુનીયાના કેટલાક એવા દેશો કે જ્યાં 100 ટકા સાક્ષરતા નથી, સર્વત્ર અજ્ઞાન, નીરક્ષરતા છે, તેવા બધા જ દેશોમાં સાપ વીશે અન્ધશ્રદ્ધાઓ, માન્યતાઓ–ગેરસમજો પ્રવર્તે છે. એટલું જ નહીં, આવી માન્યતાઓ, ગેરસમજોને લઈને તેઓ સાપને મનુષ્યજાતીનો મોટો દુશ્મન માને છે અને તેને જોતાંવેંત મારી નાંખવાનું ઝનુન રાખે છે. સાપ વીશે લોકોને તમે ગમે તેટલું સમજાવો, સચોટતાથી, સમ્પુર્ણ વૈજ્ઞાનીક તથ્યોસભર જાણકારી આપો, પ્રત્યક્ષ અનુભવો કરાવો; છતાં તેઓ તમારી અમુક બાબતો સ્વીકારતા નથી. શાળાઓમાં, કૉલેજોમાં કે અનેક સંસ્થાઓમાં, ગ્રામસભાઓમાં, મેળાઓમાં અને નાના જનસમુહોમાં જ્યારે પણ સાપ અંગે માહીતી આપવાની થાય છે, સાપનું જીવન્ત નીદર્શન કરવાનું થાય છે, ત્યારે સાપ વીશેની માન્યતાઓ–અન્ધશ્રદ્ધાઓ ખંડીત કરવા પ્રયત્નો કર્યા છે જ; પરન્તુ મોટાભાગે સફળતા મળતી નથી. અલબત્ત, ધીમે ધીમે આ અંગે ચોક્કસ સમજ ઉભી કરવામાં જરુર સફળતા મળી છે; છતાં હજુ પણ આવી માન્યતાઓ, અન્ધશ્રદ્ધાઓ કે દન્તકથાઓને દુર કરવા અનેક પ્રયત્નો થાય તે જરુરી છે. આ અંગે સાચી માહીતી આપતાં પુસ્તકો, ફીલ્મ શૉ, વ્યાખ્યાનો, ટીવી કાર્યક્રમો વગેરે મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. હજારો વર્ષો જુના આપણા ધર્મગ્રંથોથી લઈ આજપર્યન્તના સાહીત્યમાં, અરે ! આપણી ફીલ્મો, ટીવી સીરીયલો, ટીવી સમાચારો વગેરે પણ આવી દન્તકથાઓને અને ખોટી માહીતીઓ ફેલાવવાનાં પ્રબળ માધ્યમો છે. અત્રે આ પ્રકરણમાં આપણે આપણા દેશ અને વીદેશમાં સાપ વીશેની કેવી માન્યતાઓ પ્રવર્તે છે તે જાણીશું અને તેને ચોક્કસાઈભરી માહીતી દ્વારા ખંડીત કરીશું.

1.     સાપ દુનીયામાં બધે જ જોવા મળે છે :

આ વાત સાચી નથી. સાપ ઠંડા લોહીવાળા જીવ છે. તેથી તેઓ સહ્ય વાતાવરણમાં જ રહી શકે છે. બારેમાસ બરફથી  ઢંકાયેલી રહેતી જમીન હોય તેવા પ્રદેશોમાં સાપ નથી રહી શકતા. જેમ કે ઉત્તર અને દક્ષીણ ધ્રુવ, આયર્લેન્ડ વગેરે ઉત્તર ધ્રુવના કેન્દ્રથી 200 કી.મી. સુધીના પ્રદેશોમાં સાપ નથી જોવા મળતા. બાકી દુનીયાના બધા વીસ્તારમાં ઓછાવત્તા પ્રમાણમાં સાપ જોવા મળે છે.

2.     દુનીયામાં સાપની સંખ્યા ખુબ જ છે – સાપ અસંખ્ય છે :   

આ માન્યતા પાયાવીહીન છે. આપણે ઉપર જોયું તેમ વીશ્વના અનેક પ્રદેશોમાં તો સાપ છે જ નહીં; ક્યાંક જુજ છે. દુનીયામાં અત્યાર સુધી અંદાજે 2900 જેટલી જાતીના સાપ નોંધાયા છે. તે જ બતાવે છે કે સાપ અસંખ્ય નથી.

3.     બધા જ સાપ ઝેરી છે :

વાસ્તવમાં દુનીયાભરમાં જે 2900 જેટલી જાતીના સાપ નોંધાયા છે તે પૈકી લગભગ 400 જેટલા સાપ ઝેરી છે. આ પૈકી પણ ફક્ત 50 ટકા જેટલા સાપનું ઝેર જ આપણા મનુષ્યો માટે ઘાતક છે. ગુજરાતમાં 57 પૈકી ફક્ત 4 સાપનું ઝેર જ આપણા મનુષ્યો માટે ઘાતક છે.

4.     સાપ હવામાંથી આવતા અવાજને સાંભળી નથી શકતા :

આપણે જ્યારે મદારીની બીન ઉપર સાપને આમથી તેમ ડોલતો જોઈએ છીએ ત્યારે આપણને થાય છે કે, સાપ બીનના અવાજના તરંગોથી પ્રેરાઈને ડોલે છે; પરન્તુ હકીકતમાં સાપને બાહ્ય કાન છે જ નહીં. અરે, કાનની જગ્યાએ કાણું પણ નથી. એટલે હવામાંથી આવતા સીધા અવાજો, કાન મારફતે નથી સાંભળી શકતો. આના વીકલ્પમાં કુદરતે તેને વીશીષ્ટ શક્તી આપી છે. હવામાંથી આવતા અવાજના તરંગો, તેની લપકારા મારતી જીભ ઉપર સંગ્રહાય છે અને પછી આ જીભ તેના મોંની અંદર ઉપરના તાળવામાં આવેલા જેકબસન ઓર્ગનમાં સ્પર્શે છે. આ ઓર્ગનની વીશ્લેષક ગ્રંથીઓ અવાજનું વીશ્લેષણ કરે છે અને સંદેશો મગજમાં પહોંચાડે છે. એટલે સાપ હવામાંથી આવતા અવાજો સાંભળતો નથી; પણ અનુભવે છે, એમ કહેવું વધુ યોગ્ય છે. જ્યારે જમીન ઉપરથી આવતા અવાજને ખુબ જ સમ્વેદનશીલ રીતે તે અનુભવી શકે છે. જમીન ઉપરના અવાજો, પેટાળની ચામડીનાં ભીંગડાંઓ ઉપરથી અનુભવી શકે છે. વળી તેની નીચેના જડબાં ઉપર પણ હવામાંથી આવતા અવાજના તરંગો, ઝીલીને અંદરના કાનના હાડકાં સુધી પહોંચાડે છે અને સાંભળે છે.

5.     ધામણ (Rat Snake) જો ભેંસના પગ વચ્ચેથી પસાર થાય તો, ભેંસ મરી જાય છે :

કોઈ આકસ્મીક સંજોગોમાં ભેંસ સાપના ભયથી ડરીને મરી ગઈ હોય તો જ આવું બન્યું હોઈ શકે. અમે આ માન્યતાને ખંડીત કરવા ઘણી બધી જગ્યાઓએ ભેંસના પગ વચ્ચેથી ધામણ પસાર કરી છે, કશું જ થયું નથી. એક બાબત તો વીચારો કે કોઈ પણ જાતના સ્પર્શ, આક્રમણ કે દંશ વગર કોઈ પણ જાનવર કેવી રીતે નુકસાન પહોંચાડી શકે ? વળી, ધામણ તો બીનઝેરી સાપ છે !

6.     ગાયનાં આંચળમાંથી ધામણ તેનાં મોં દ્વારા દુધ પીએ છે :

ધામણ તો શું કોઈપણ સાપના દાંત, બન્ને જડબાં ઉપર અન્દરની બાજુએ વળેલા, ને ખુબ જ તીક્ષ્ણ હોય છે. આથી સાપ ગાયના આંચળમાંથી દુધ ખેંચવા આંચળ મોમાં લે, તો ગાયનાં આંચળને નુકસાન જ થાય. વળી, સાપને સ્વાદેન્દ્રીય જ નથી, તેથી સાપ દુધ અને પાણીનો તફાવત પારખી શકતા નથી. વળી, ધામણ નાગની જેમ અધ્ધર રહી શકતી નથી. આથી તેના માટે ગાયના આંચળ સુધી પહોંચવું શક્ય નથી. બધા જ સાપ માંસાહારી છે, તેને દુધના સ્વાદ સાથે લેવાદેવા નથી, સાપ માટે દુધ ખોરાક તરીકે સ્વીકાર્ય જ નથી.

7.     સાપ ઉડી શકે છે :

ખરેખર તો કોઈ સાપ ઉડી નથી શકતા. આપણે જેને ઉડતા સાપ કહીએ છીએ તે તો હવામાં ફક્ત સરકે (glide) છે. તે પણ એક ઉંચી ડાળથી નીચેની ડાળ ઉપર કે ઝાડ ઉપરથી જમીન ઉપર અથવા એક ઉંચા ઝાડ ઉપરથી બીજા નીચા ઝાડ ઉપર સરકે છે. જમીન ઉપરથી તો કોઈ પણ સાપ ઝાડ ઉપર નથી ઉડી શકતા, એટલે કે કોઈ પણ સાપ પક્ષીની જેમ ઉડી શકતા નથી.

8.     નાગ મદારીની બીન સાંભળી ડોલે છે :

નાગને તો શું દુનીયાના કોઈ પણ સાપને કાન નથી હોતા. હકીકતમાં તમે નાગ સમક્ષ બીન નહીં; પણ બીનને બદલે લાકડી પણ આમથી તેમ કરો તો નાગ, લાકડી જે બાજુએ લઈ જાઓ તે બાજુએ સ્વરક્ષણ માટે ફર્યા કરે છે. એટલે જે બાજુ લાકડી જાય તે બાજુ નાગ ફરે છે. આજ પછી તમે જ્યારે પણ મદારીને બીન વગાડતા જુઓ ત્યારે એટલું જરુર નોંધજો કે મદારી સ્થીર રહીને બીન નહીં વગાડે, બીન વગાડતી વખતે તે બીનને આમથી તેમ ફેરવે છે.

9.     કેટલાક સાપ બે મોંવાળા હોય છે :

ખરેખર તો આવા બે મોંવાળા કહેવાતા સાપ કુદરતની વીકૃતતા જ છે. ઘણી વાર મનુષ્યોમાં કે અન્ય જીવોમાં પણ આ રીતે બે મોંવાળા જીવ જન્મતા હોય છે. તે ફાંટાબાજ કુદરતની કમાલ જ હોય છે. સાપમાં પણ કવચીત્ આવા બે મોંવાળા સાપ જન્મતા હોય છે; પરન્તુ કુદરતી રીતે તેમનો વીકાસ થતો નથી. લાંબુ જીવતા નથી. અકાળે મૃત્યુ પામતા હોય છે. ઘણી વાર દમોઈને (Red Sand Boa) પણ બે મોંવાળા સાપ તરીકે લોકો ઓળખે છે; પરન્તુ આપણે જાણીએ છીએ કે તેને પણ એક જ મોં હોય છે. પુંછડીનો ભાગ મોં જેવો જણાતો હોય છે.

10.    નાગના માથા પર મણી હોય છે :

નાગના માથા પર મણી હોય તો દોસ્તો, મારા જેવા કૈંક લોકો કે જેઓ સાપ–નાગ પકડતા હોય છે, તેઓ અબજોપતી હોત અને ઈરુલા જાતીના આદીવાસીઓ કે જેઓનો ધંધો જ સાપ પકડવાનો છે, તેઓ પણ અબજોપતી હોત. ક્યાંક તો મણીવાળો નાગ મળે જ ને ? હકીકતમાં નાગને માથે કે અન્ય ક્યાંય મણી નથી હોતો. કુદરતે કોઈ પણ જીવને વધારાની વસ્તુ આપી નથી. નાગને મણીની ઉપયોગીતા શી હોઈ શકે ? ઘણા તો કહે છે, નાગ મણીના પ્રકાશમાં રાત્રીના શીકાર કરે છે. આવા સમયે માથા પરથી મણી ઉતારે છે અને શીકાર થયા બાદ પાછો મણી માથા પર મુકી દે છે ! જાણે નાગને માથા ઉપરથી મણી ઉતારવા અને પાછો મુકવા માટે બે હાથ ન હોય ? વળી, મણી માથા ઉપર ચોંટાડે શાનાથી ? ખરેખર તો નાગ કે અન્ય કોઈ પણ સાપને શીકાર કરવા માટે પ્રકાશની જરુરીયાત જ નથી હોતી. ગમે તેવા અન્ધકારમાં શીકારની ગરમીથી જ શીકારને પકડી શકે છે.

11.    સાપ 100 ફુટથી વધુ લાંબા હોય છે :

આ પણ ખુબ જ ગેરસમજ ભરી માન્યતા છે. પૃથ્વી ઉપર સાપ જ્યારથી ઉદ્ ભવ્યા છે ત્યારથી આજ સુધી કોઈ પણ સાપ આટલા લાંબા નથી નોંધાયા. જે અશ્મી–અવશેષો પણ મળ્યાં છે તે બતાવે છે કે 43 ફુટથી મોટો કોઈ સાપ આ પૃથ્વી ઉપર થયો નથી. બાકી હાલ તો પૃથ્વી ઉપર જાળીદાર અજગર (Reticulated Python)નો 33 ફુટની લંબાઈનો રેકૉર્ડ છે.

12.    સાપ દંશતો નથી; પણ કરડીને ઝેર ઠાલવે છે :

ઘણાના મનમાં એવું છે કે સાપ દાંતથી નહીં પણ; બચકાં સ્વરુપે કરડીને ઝેર ઠાલવે છે. ખરેખર તો સાપના મોંમા કે જીભમાં કે જડબા ઉપર આવેલા અસંખ્ય ઝીણા અંદરની તરફ વળેલા દાંતોમાં, કયાંય ઝેર હોતું નથી. સાપનું ઝેર તો તેની આંખો પાછળ માથામાં ઉપરથી આવેલ બે વીષગ્રંથીમાં ઉત્પન્ન થાય છે. ઝેર ક્યાંય ગળે–ઢળે નહીં તેમ ઉપરના જડબામાં આગળથી આવેલા બે વીષદંતમાં તે ઠલવાય છે અને ત્યાંથી શીકારના શરીરમાં ઠલવાય છે. સાપ આ બે વીષદંત દ્વારા જ દંશે છે અને ઝેર ઠાલવે છે. બીનઝેરી સાપ બચકાં સ્વરુપમાં કરડે છે જરુર; પરંતુ તે ઝેર ઉત્પન્ન નથી કરી શકતો, આથી ઝેર ઠાલવવાનો સવાલ જ નથી ઉદ્ ભવતો.

13.    ઘણા સાપ 100 વર્ષથી વધુ ઉમ્મરવાળા હોય છે અને આવા સાપને મુંછો હોય છે :

આપણે અગાઉ જોયું તેમ કોઈ પણ સાપનું આયુષ્ય 12 થી 15 વર્ષની સરેરાશથી વધુ હોતું નથી. તેથી 100 વર્ષની વાત કપોળકલ્પીત છે. સાપ બન્ધન અવસ્થામાં વધુ જીવ્યાની નોંધ જરુર છે; પરન્તુ તે પણ 40 વર્ષ 3 મહીના 14 દીવસ જીવ્યાનું નોંધાયું છે. આ નોંધ ફીલાડેલ્ફીયાના ઝુમાં રહેલ આ બોઆ કન્સ્ટ્રીક્ટરની છે. કુદરતી અવસ્થામાં તો તે ઓછું જ જીવતા હોય છે. જ્યારે સાપને મુંછો તો શું કોઈ પણ જાતના વાળ કે રુંવાટી નથી હોતી. એક મદારી પાસે નાગ હતો. તેને મુછો હતી. અમે મદારીને પકડ્યો, ખુબ ધમકાવ્યો ત્યારે તેણે કબુલ્યું કે આ નાગ તેની પાસે 6 વર્ષથી છે. 100 વર્ષની વાત ખોટી છે તથા તેની જે મુંછો છે તે તો તાર પરોવીને, તેની આંખો પાછળથી આરપાર પસાર કરીને, તેમાં ઘોડાની પુંછડીના વાળ પરોવીને બનાવેલી છે. કેવી ક્રુરતા !!!

14.   સાપનું ઝેર, તેના લોહીમાં રહેલું હોય છે :

સાચી વાત તો એ છે કે ઝેરી સાપનું ઝેર તેની વીષગ્રંથીઓમાં જ ઉત્પન્ન થાય છે અને ત્યાં જ સંગ્રહાયેલું રહે છે. આ વીષતંત્રની રચના એ રીતની હોય છે કે ક્યાંયથી ગળ્યા–ઢળ્યા વગર સીધું જ તે ઝેર, દંશતા દાંત દ્વારા શીકારના શરીરમાં ઠલવાય છે. એટલે સાપના લોહીમાં ઝેર ક્યાંયથી ભળતું નથી–હોતું નથી. જો તેના લોહીમાં ઝેર હોય તો દુનીયામાં અસંખ્ય લોકો સાપને ખોરાક તરીકે ભક્ષ્ય બનાવે છે તેમનું શું થાય ?

15.     સાપ વશીકરણ કરે છે :

સાપની બન્ને આંખો ઉપર, આપણાં પોપચાંની જેમ ખુલ્લાં, બંધ થઈ શકતાં પોપચાં હોતાં નથી. તેના બદલે પારદર્શક આવરણ હોય છે. આ આવરણમાંથી આંખો સ્થીર અને એકીટશે દેખતી હોય એવું લાગે છે. વળી સાપ આપણી જેમ તેમની આંખોનાં નેત્રગોલક(ડોળા) ફેરવી નથી શકતા. તેની આંખો પલકારા પણ નથી મારી શકતી. આથી તે સતત આપણી સામે જોતા હોય તેવું લાગે છે. આને લઈને સાપ વશીકરણ કરતા હોય તેવું લાગે છે !

16.   ઝેરી સાપ દંશ માર્યા બાદ, જ્યાં સુધી મોં ઉંધું નથી કરતો, ત્યાં સુધી વીષ નથી ઠાલવી શકતો, અને સાપ ગુંચળું વળીને જ કરડે છે :

આ બન્ને બાબતો ખોટી છે, પ્રથમ જોઈએ તો, ઝેરી સાપના વીષદંશના દાંત ઉપરના જડબામાં ઉપરના હોઠ નીચેના ભાગમાં આવેલા છે. સાપ જ્યારે કરડે છે ત્યારે આ દાંતથી શીકારને દંશે છે અને ખુબ જ તીવ્રતાથી તેના આ દાંતની સાથે જ જોડાયેલી વીષગ્રંથીમાંથી વીષ ઠાલવે છે. આ સમયે, સાપ ઉંધો થાય તો જ વીષ નીકળે તેવું નથી. ઘણા સંજોગોમાં દંશ વાગી જાય; પરન્તુ વીષ ઠાલવવાની અનુકુળતા ન થઈ હોય તો શીકારના શરીરમાં વીષ ઠલવાતું હોતું નથી. સાપ ઉંધો–ચત્તો હોય, લટકતો હોય કે ગમે તે સ્થીતીમાં હોય, તે દંશી શકે છે અને વીષ ઠાલવી શકે છે. વળી, આ માટે ગુચળું વળીને દંશવું પણ ફરજીયાત નથી હોતું, હા, ક્યારેક સાપ ગુંચળું વળીને ફુંફાડા જરુર મારતા હોય છે. દા.ત. ખડચીતળ, ફુરસા વગેરે. ક્વચીત ખડચીતળના દંશમાં આવું બની શકે ખરું; કારણ કે તેના વીષદંત લાંબા અને વધુ વળાંકવાળા હોય છે. શીકાર કે મનુષ્યને તે દંશે ત્યારે આ દાંત ખાસ્સા ઉંડા જાય છે અને પાછા નીકળવામાં ક્યારેક અટવાઈ પડે છે અને આ માટે તેને ક્યારેક દાંત ત્વરીતતાથી બહાર ખેંચવા માટે મોં ઉંધું કરવું પડતું હોય છે.

17.   સાપની સતત લપકારા મારતી જીભ (કે જેને ઘણા ફેંગ પણ કહે છે), દ્વારા સાપ કરડે છે :

વાસ્તવમાં સાપની આ સતત લપકારા મારતી જીભનું કામ હવામાંના તરંગો, ગંધને જીભ ઉપર સંગ્રહીને તેને જેકબસન ઓર્ગન સુધી પહોંચાડવાનું હોય છે, જ્યાં તેનું વીશ્લેષણ થાય છે. એટલે જીભનું કામ અવાજ અને ગંધ પારખવામાં મદદરુપ થવાનું છે. સાપની જીભ ખુબ જ મુલાયમ અને આગળના ભાગેથી બે ભાગમાં વહેંચાયેલી હોય છે, તેથી તે દ્વારા તે કરડી તો શું; પણ લસરકો પણ ન પાડી શકે. સાપના વીષ દંશતા દાંત તો આગળ જોયું તેમ ઉપરના જડબામાં હોઠ નીચે આવેલા હોય છે.

18.     સાપને મારી નાંખો તો, નરને મારતા માદા અને માદાને મારી નાંખતા નર, બદલો લે છે :

આ માન્યતા ઘણા દાખલા દલીલો સાથે રજુ કરાય છે. હકીકતમાં સાપમાં કૌટુમ્બીક ભાવના જ નથી હોતી. હા, આવું એક જ સંજોગોમાં બની શકે છે. તે પણ કુટુમ્બ ભાવનાથી પ્રેરાઈને નહીં; પરન્તુ અકસ્માતથી જ બની શકે છે. જ્યારે સાપ સંવનન ઋતુમાં હોય છે, ત્યારે તેઓ એકબીજાને આકર્ષવા માટે પોતાના અવસારણી માર્ગમાંથી ખાસ પ્રકારની ગન્ધ–દુર્ગન્ધ મારતા પ્રવાહીનો સ્રાવ કરે છે. હવે આવા દીવસોમાં જો તમે સાપને મારો તો, મારતી વખતે આ પ્રવાહી તમારાં કપડાં, બુટ કે લાકડી ઉપર લાગે અને તમે એ પ્રવાહી લાગેલી વસ્તુ સાફ ન કરો તો નજીકમાં ફરતો એ જાતીનો બીજો સાપ એ ગન્ધથી આકર્ષાઈને આવે એટલું જ ! વળી તે સાપ ઝેરી અથવા બીનઝેરી પણ હોઈ શકે છે; પરન્તુ આવું પણ થવાની સંભાવના ખુબ જ જુજ રહે છે.

19.   સાપની કાંચળી તીજોરીમાં રાખવાથી લક્ષ્મી (પૈસો) ઘરમાં આવે છે :

સાપની કાંચળી ઘરમાં સંગ્રહી રાખવાથી ઉલટાનું આવી કાંચળી ઉપર લાગેલા સ્રાવની ગન્ધથી આકર્ષાઈને બીજો સાપ આવી ચઢે તો, હસવામાંથી ખસવું થઈ જાય. આ તો તદ્દન કપોળકલ્પીત માન્યતા છે. માટે સાપની કાંચળી ઘરમાં સંગ્રહી રાખવી હીતાવહ નથી.

20.   નોળીયો, ભુંડ, મગર કે અન્ય શીકારી પક્ષીઓને સાપના વીષની અસર થતી નથી :

ખરેખર તો કોઈપણ પ્રાણી, પક્ષી તો શું ખુદ સાપ પણ તેના પોતાના વીષની અસરમાંથી બાકાત નથી રહી શકતો. સાપનું વીષ કોઈના પણ લોહીમાં ભળે તો તેની અસરો થાય છે જ.

21.    સાપ ખજાનાની ચોકી કરે છે :

સાપ આવી અનેક મનઘડન્ત માન્યતાઓથી ઘેરાયેલા છે. સાપ તેની રહેવાની ખાસીયતો મુજબ ઉંડા દરો, ઉધઈના રાફડાઓ, જુના અવાવરુ મન્દીરો તથા મકાનો વગેરેમાં રહે છે. જોગાનુજોગ કોઈક વાર આવી અવાવરુ જગ્યામાંથી કોઈને કાંઈક મળ્યું હોય કે જ્યાં સાપ રહેતો હોય. અગાઉના જમાનામાં લોકો જમીનની અન્દર કે મકાનની નીચે ભોંયરાઓમાં, પોતાની પાસેનું સોનું, ચાંદી, ઝવેરાત સાચવવા દાટતા હતા કે છુપાવતા હતા. ક્યારેક તેને દાટનાર આકસ્મીક મરી જાય ત્યારે તે વર્ષોવર્ષ દટાયેલું રહે છે. ઉપરોક્ત વાત મુજબ આવી જગ્યાના પોલાણમાં સાપે દર કર્યો હોય ને સાચે જ કોઈને તે ધન મળ્યું હોય તો એ તો ‘કાગનું બેસવું ને તાડનું પડવું’ જેવું બન્યું ગણાય. આ માન્યતા બંધાવા પાછળ આવું કારણ હોઈ શકે. ખરેખર તો વીચારો કે સાપને સોનું, ચાંદી કે રુપીયા શું કે પથ્થરો શું, બધું જ સરખું તથા બીનઉપયોગી છે. વળી તેનું મગજ પણ વીકસીત હોતું નથી, તો આ બધું સાચવવાની પ્રેરણા તેને કોણ આપે ? તેને સમજ કોણ આપે ? તે સાચવે તો પણ કોના માટે ? વળી, સાપ કેટલાં વર્ષો માટે સાચવે ? મહત્તમ 20 વર્ષ સુધી જ ને ? ત્યાર પછી શું ?

22.   કેટલાક સાપના પડછાયાથી મનુષ્ય આંધળો બની જાય છે અને સગર્ભા સ્ત્રીનું વીકસી રહેલું બાળક મૃત્યુ પામે છે :

ખરેખર તો એક બાબત સીધી દીવા જેવી છે કે સાપનો પડછાયો આપણા ઉપર ક્યારે પડે – કેવી રીતે પડી શકે ? સાપ આપણાથી ઉપરની બાજુએ હોય તો જ ને ! અને તે પણ આપણા શરીરના કેટલા ભાગ પર પડે ? વળી પડછાયો આપણા શરીર ઉપર પડે તો એ પડછાયા થકી આપણા શરીરમાં શી પ્રક્રીયા થાય કે આપણને શું નુકસાન થાય ? ખરેખર આ તદ્દન ખોટું છે.

23.   સાપ વર્ષો સુધી ભુખ્યો કે ખાધાપીધા વગર રહી શકે છે :

કોઈ પણ સાપ હોય, તેને તેનું જીવન–અસ્તીત્વ ટકાવી રાખવા, વૃદ્ધીનો ક્રમ જાળવી રાખવા ઓછા–વત્તા ખોરાકની આવશ્યક્તા રહે છે જ. સામાન્યત: અનુભવથી અને અભ્યાસ દ્વારા એવું ફલીત થયું છે કે સાપ ભુગર્ભાવસ્થા દરમ્યાન દીવસો સુધી તેની આવશ્યક્તાઓ ન્યુનતમ કરી સંગ્રહાયેલી ચરબી ઉપર નીર્ભર રહી 3–4 મહીના જીવી શકે છે. દુનીયાનો મહત્તમ રેકૉર્ડ બે વર્ષ અને નવ મહીનાનો પેરીસ ઝુમાં રહેલા ભારતીય અજગર(Indian Python)નો છે. જ્યારે મદ્રાસ સ્નેક પાર્કનો રેકૉર્ડ બે વર્ષનો છે.

24.   સાપ આક્રમણખોર હોય છે અને પાછળ દોડીને દંશે છે :

સાપ કારણ વગર ક્યારેય કોઈને દંશતો નથી, તેનો આળસુ સ્વભાવ તેને શાન્ત પડી રહેવા પ્રેરે છે. તે બીનજરુરી ઉશ્કેરાતો નથી. જો તેને છંછેડવામાં ન આવે તો તેની પાસેથી આપણે પસાર થઈ જઈએ; તો પણ તે દંશતો નથી. તો પાછળ પડીને દોડીને, દંશવાની વાત ક્યાંથી આવે ? સાપની દોડવાની ઝડપ સરેરાશ 4 કી.મી. પ્રતી કલાકથી વધુ નથી. જ્યારે મનુષ્ય તો તેનાથી ઘણી વધુ ઝડપે દોડી શકે છે. ખડચીતળ જેવા સાપ આક્રમક સ્વભાવના હોય છે જરુર; પરન્તુ તે આક્રમક ત્યારે જ થાય છે કે જ્યારે તમે તેને છંછેડો કે તેની જીવનચર્યામાં બાધારુપ થાવ. આ ઉપરાન્ત બીજી અનેક માન્યતાઓ એવી છે જેના ખુલાસા પુસ્તકમાં અન્યત્ર આવી જ જાય છે.

 –અજય દેસાઈ

પ્રકૃતી અને પર્યાવરણના અભીન્ન અંગ એવા સાપ માટે ફેલાયેલી ખોટી માન્યતાઓ અને ગેરસમજોને કારણે સાપની સમગ્ર પ્રજાતી પર માનવી દ્વારા ખતરો તોળાઈ રહ્યો છે. તેવા સમયમાં સાપનું મુલ્ય પર્યાવરણમાં શું છે, સાપ આપણને કેવી રીતે ઉપયોગી છે, સાપને કેમ બચાવવા, જેવા ઉમદા હેતુથી ગુજરાતના 57 પ્રકારના સાપ વીશે 54 રેખાંકન/શ્વેત–શ્યામ અને 76 જેટલી રંગીન તસવીરો સહીત વૈજ્ઞાનીક તથ્યોસભર માહીતી ધરાવતા, લેખકના બહુ જ લોકપ્રીય બનેલા ગ્રંથ ‘સર્પસંદર્ભ’ (પ્રકાશક: પ્રકૃતીમીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’ અમૃતવાડી સોસાયટી પાસે, રેલવે સ્ટેશન રોડ, દાહોદ – 389 151; ઈ.મેઈલ: pmm_dhd@yahoo.com ; આવૃત્તી: પાંચમી – ઓગસ્ટ, 2011, પુનર્મુદ્રણ– એપ્રીલ, 2012; પૃષ્ઠસંખ્યા: 260; મુલ્ય: રુપીયા 200/-) માંથી લેખકશ્રીના અને પ્રકાશક મંડળના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ–389 151 ફોન: +91 94264 11125 ઈ–મેઈલ: desaiajaym@yahoo.com

 ‘રૅશનલ–વાચનયાત્રા’ માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: Govind Maru, 405, Evaz Apparel Housing Co-Op. Housing Society, (Krishna Apartments, B Wing), Opp. Ayyappa Temple , Sector 12 E, Bonkode, KOPARKHAIRNENavi Mumbai – 400 7009 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 09/08/2013

13 Comments

  1. લેખમાં સાપની પુજા એટલે કે “નાગ પંચમી” અને તેની સત્ય હકીકત વિષે થોડી માહિતિ આપેલ હોત તો તેના વિષે પણ જાણકારી મળેલ હોત.

    કાસીમ અબ્બાસ

    Like

  2. જીવો અને જીવવા દો પછી શ્રી અજય ભાઈ દેસાઈની પોસ્ટ બધાને બે વખત વાંચવા વીનંત્તી.

    જેને હાથ નથી પગ નથી દાંત નથી મગજ પણ ઓછું ચાલે એવા સાપથી માનવ ડરે.

    મને તો માણસના મગજની શક્તી ઉપર જ વહેમ પડે છે.

    અજયભાઈ દેસાઈની આ પોસ્ટ વાંચી સાપ અને મદારીઓના દેશની ઓળખમાં ફેરફાર થાય એ જરુરી છે.

    મને ત્રણ વખત સાપ કરડેલ છે જેમાં પાંચમીમાં રાતે હાથથી સાપને પકડવા જતા ડંખ થયેલ અને હથેળીમાં સોજો જરુર આવેલ.

    એ સીવાયના બે વખતના ડંખ તો કયારે પડેલ એ ખબર ડંખ પછી ચામડી ઉપરના ચાઠા ઉપરથી ખબર પડેલ.

    શંકર બચાવે આ સાપોને માનવ મદારીઓથી…..

    આતા દાદાના બ્લોગ ઉપર સાપના રંગીન ઘણાં ફોટાઓ છે….

    Like

  3. bahu સરસ સર્પ વિશેની માહિતી અજયભાઈએ આપી ગોવિંદભાઈ તમારો ઘણો આભાર

    Like

  4. અજયભાઈ એથીસ્ટ અને સારા પ્રકૃતિવિદ છે . તેમનો આ આર્ટીકલ વાંચી સારી એવી માહિતી મળી .ધન્યવાદ . viththal Talati

    Like

  5. People in west have studied the world of the reptiles. even in Africa a large number of study is being conducted on snakes. Eventhough most snakes are not lethal to humans, many people are still terrified of these slithering reptiles. A study illustrates how venomus snakes bite human in selfdefense and would much rather not confront us. Snakes also provides a valuable service by controlling the rodent population……

    How many Cultures represent snake in their Mythology……….

    (1) Greek Mythology. Minoan is a Snake Goddess.
    Olympias the mother of Alexander the great and princess of the primitive land, Epirus, had the reputation of Snake Handler.

    Likewise other mythology had Snake involved….
    – Nordic Mythology.
    – Hindu Mythology.
    – Budhha Mythology in far east countries.
    – African Mythology.
    – Native American Mythology.
    – Snake worship in the Ancient Near East
    – Serpent Judo-Christian Mythology.
    Even today serpent symbolic figures are being used in modern medicine in form of” The star of life feathures, a rod of Asciepius.”

    Hinduism has several symbolic uses of snake, like…..
    – Nagaland means Naga = snake in Sanskrit
    – Lord Shiv has serpent coiled around his neck.
    – Lord Vishnu on NAGASHAIYA….
    – SamudraManthan
    – In KUNDALINI…..Two snakes are coiled together…..

    Still it is believed that HUMAN is most Venomous………….They do not need a reason to bite…….

    Like

  6. amrut hazari સહિત લેખ અને માહિતિ સરસ રહ્યાં,આભાર.

    Like

  7. A very important information : We have a very reputed research institute in Mumbai, (Bombay) India, named, Haffkine Institute of Research., since 1899. It was named Haffkine institute after the 1st research Director Dr. W.M. Haffkine who researched on Plague vaccination.
    First ” Venomous Animal Laboratory ” was established in this institute in 1960. They carried out research on the medicinal ( Anti-Toxins )uses of the Venom of different type of snakes. Very important and useful studies have been done on snake venom here. This is still in progress. More info can be obtained from the institute………….

    Like

Leave a reply to Qasim Abbas Cancel reply