–મુરજી ગડા
‘ક્ષમા’ અને ‘સહનશીલતા’ વીશે એક આદર્શ તરીકે ઘણું લખાયું અને કહેવાયું છે. ધાર્મીક વીચારધારામાં તો એમનું આગવું મહત્ત્વ છે. જો કે એમની વ્યાવહારીક મર્યાદાઓ વીશે સાવ ઓછું ચર્ચાય છે.
ન્યાયતંત્રમાં ક્ષમાના વીરોધી શબ્દો ‘દંડ’ અથવા ‘સજા’ છે. જ્યારે વ્યવહારમાં ક્ષમાનો વીકલ્પ ‘બદલો’ અથવા ‘સમજુતીથી પ્રામાણીક વ્યવહાર’ થાય છે.
અજાણતા થયેલી નાની ભુલની ક્ષમા હોઈ શકે; પણ જાણતા હોવા છતાં નીયમોનું પાલન ન કરવું, કાયદાનું ઉલ્લંઘન કરવું એ સજાને પાત્ર બને છે. એ માટે કાયદો, વ્યવસ્થાતંત્ર અને ન્યાયતંત્રનું માળખું રચાયું છે.
ધાર્મીક દૃષ્ટાન્ત કથાઓમાં ક્ષમાનો મહીમા બતાવવા, રીઢા ગુનેગારોને ક્ષમા કરવાથી એનું હૃદયપરીવર્તન થયાની ઘણી વાર્તાઓ છે. વાસ્તવમાં એવું ક્યારે પણ જોવા મળતું નથી.
જાહેર જીવનમાં ગુનાની ક્ષમા ન હોઈ શકે. ગુનેગાર પ્રત્યે ઉદારતા દાખવવા જતાં એના શીકાર બનેલા સાથે અન્યાય થાય છે. તેમ જ ભવીષ્યમાં બીજા નીર્દોષ પણ એનો શીકાર બની શકે છે.
ન્યાયતંત્રનું માળખું દરેક ભુલ કે ગુનાને અનુરુપ સજા થાય એવા પાયા પર રચાયેલું છે. જ્યારે એનું પાલન નથી થતું ત્યારે જાહેરજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. દેશમાં વધતી ગુનાખોરી પાછળ આપણા વ્યવસ્થાતંત્ર અને ન્યાયતંત્રની નબળાઈ રહેલી છે. જાહેર શીસ્ત માટે જાણીતી પ્રજાના વર્તન પાછળ એમના દેશના કાયદા અને ન્યાયતંત્રની સફળતા રહેલી છે.
દરેક સમાજનો મોટો વર્ગ એવો છે જે માત્ર સજાના ડરથી ગુનો કરતો અટકે છે. સજાનો ડર ન હોય તો કાયદાને અવગણે છે. પછી એ ગમ્ભીર ગુનો હોય કે વાહનવ્યવહારના સામાન્ય નીયમનો ભંગ હોય; વૃત્તી સરખી જ છે. (આ લેખમાં ‘સમાજ’ શબ્દ દેશ, પ્રાંત, જાતી વગેરે બધાને આવરી લે છે.)
આ બધી વાતો જાહેર જીવનને લગતી બાબતોની થઈ. આમાં કંઈ નવું નથી કહ્યું. અહીં સાચું–ખોટું જાણવું પ્રમાણમાં સહેલું છે. કાયદામાં ગુના પ્રમાણેની સજા સ્પષ્ટ આલેખાયેલી છે. ‘ક્ષમા વીરસ્ય ભુષણમ્’ એ સુત્ર જાહેર જીવનને લાગુ પડતું નથી.
તો પછી બધી ધાર્મીક વીચારધારાઓમાં ક્ષમાને આટલું મહત્ત્વ શા માટે આપવામાં આવ્યું છે ?
એક કારણ એ છે કે જ્યારે ધાર્મીક વીચારધારાઓ અસ્તીત્વમાં આવી ત્યારે ન્યાય તોળવાની આટલી વીસ્તૃત પદ્ધતી વીકસી નહોતી. કાયદાઓ સ્પષ્ટ નહોતા. રાજાઓ, ધર્મગુરુઓ, સમાજના આગેવાનો વગેરે મરજી પ્રમાણે ફેંસલો સંભળાવી દેતા હતા. જેમાં ન્યાય સાથે અન્યાયની શક્યતા પણ એટલી જ હતી. એના વીકલ્પરુપે ક્ષમા કરવાનો માર્ગ સુચવાયો. એનાથી દોષીત ક્યારેક છુટી જાય; પણ નીર્દોષને ખોટી સજામાંથી બચાવી લેવું વધારે અગત્યનું હતું. આધુનીક ન્યાયપદ્ધતી નવી દુનીયાની શોધ અને દેન છે.
બીજા કારણમાં અંગત સમ્બન્ધોની નાજુકતા જાળવવા અને આત્મશાન્તી માટે ક્ષમા જરુરી ઔષધ છે.
અંગત સમ્બન્ધોમાં બધું ખુબ ગુંચવાયેલું હોય છે. ત્યાં ખાસ ગુના નહીં; પણ ગેરવાજબી અપેક્ષાઓ, અણઆવડત, જરુરી ખુલાસાઓનો અભાવ વગેરેને લીધે ગેરસમજ ઉભી થઈ સમ્બન્ધ બગડતા હોય છે. આવા પ્રશ્નોના ઉકેલ માટે ન્યાય તોળવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી ક્ષમાનો માર્ગ અપનાવાયો છે.
જૈન વીચારધારા કદાચ એક જ એવી છે જ્યાં વાર્ષીક ધોરણે સામુહીક ‘ક્ષમાપના’ મંગાય છે અને અપાય છે. જો કે આ ઉમદા પ્રથા એક સામાજીક પ્રસંગ માત્ર બની ગઈ છે. એનો મુળ હેતુ સરતો જણાતો નથી.
નાની અમથી વાતમાં ‘સોરી’ (કે ‘થેંક યુ’) કહેતી પ્રજાના શીષ્ટાચારની આપણે હળવી મજાક પણ કરી લઈએ છીએ.
જ્યાં સાચે જ જરુરી હોય ત્યાં પણ ક્ષમા ન માંગવા કે આભાર વ્યક્ત ન કરવા માટે આપણે ‘ખોટો શીષ્ટાચાર’ કહી આપણી ખામીનો પાંગળો બચાવ કરીએ છીએ.
સાચા અર્થમાં ક્ષમા માંગવી અને આપવી બન્ને કામ અઘરાં છે. ક્ષમા માંગવામાં અહમ્ આડો આવે છે, જ્યારે ક્ષમા આપવામાં ન્યાય ન થયાનો અફસોસ રહે છે. સાચી ક્ષમા માંગવી હોય તો પોતાના સાચાપણાનો આગ્રહને જતો કરવો પડે છે. સાચી ક્ષમા આપવામાં માંગનારની શરણાગતી નહીં; પણ નમ્રતા જોવાની છે.
ક્ષમા માંગવી ત્રણ પગલાંની ક્રીયા છે. સૌ પ્રથમ સામી વ્યક્તીને ખાસ એ જ હેતુસર મળી, આડી અવળી વાત કરવાને બદલે, નજર મેળવી આપણાથી થયેલ ભુલનો એકરાર કરવાનો છે. બીજું પગલું એવી ભુલ ફરી ન થાય એની ખાતરી આપવાની છે. ત્રીજું પગલું આપણા લીધે એમને થયેલી હાની કઈ રીતે સમારી શકાય એ પુછીને તે પ્રમાણે કરવાનું છે. આટલું ન કરીએ ત્યાં સુધી સાચી ક્ષમા માંગી ન કહેવાય.
વાસ્તવીકતા એ છે કે આપણે ત્યાં માત્ર બે મીનીટ લેતા આ ત્રણ પગલાં ભરાતાં ક્યાંય જાણ્યાં નથી. (અમેરીકામાં પ્રત્યક્ષ જોયા છે.) હા, નુકસાન ભરપાઈ કરવાની સજા કાયદો સંભળાવે છે. આપણા આદર્શથી વાસ્તવીકતા કેટલી દુર છે એનો આ એક વધુ દાખલો છે. વ્યવહારમાં જેનું આચરણ કરાય છે તે મજબુરીથી કે ફાયદા માટે કરેલી બાંધછોડ છે, સાચા અર્થની ક્ષમા નથી. વીખવાદનાં મુળ કારણોનો ઉકેલ ન શોધાય ત્યાં સુધી સમાધાન શક્ય નથી. ત્યાં ક્ષમા એક ઔપચારીકતા માત્ર છે.
સાચી રીતે મંગાતી હોય તો ક્ષમા આપવાની સામે પક્ષે ફરજ બની જાય છે. ક્ષમા આપ્યા પછી એ બાબત કે પ્રસંગનો ઉલ્લેખ ફરી ક્યારેય ન કરાય. એ બાબત મનમાં કડવાશ પણ ન રખાય. ભુતકાળમાં બનેલો કડવો પ્રસંગ સદન્તર ભુલી જવો શક્ય નથી; પણ એને પરાણે યાદ ન કરવું આપણા હાથમાં છે. મનમાં આવતા વીચાર પર કાબુ ન રખાય; પણ એ વીચારોને શબ્દો દ્વારા વ્યક્ત કરવાનો કે ન કરવાનો નીર્ણય આપણો છે.
જાહેર સ્થળે કોઈને આવકારવાથી કે સામાજીક પ્રસંગે આમન્ત્રણ આપવાથી ક્ષમાયાચના નથી થઈ જતી. આવા આડકતરા સંકેત પાછળ નમ્રતા અને ઉદારતા કરતાં સ્વાર્થ વધુ હોય છે. સામા પક્ષે તે સ્વીકારાઈ જાય એવી અપેક્ષા રાખવી વધુ પડતી કહેવાય.
એક રીતે જોઈએ તો ક્ષમા માંગવી અને આપવી સામી વ્યક્તી કરતાં આપણા માટે વધુ જરુરી છે. સાચા કે માની લીધેલા અન્યાયને ભુલવું ખુબ અઘરું છે. તેમ જ દરેક અન્યાયનો ન્યાય થવો પણ શક્ય નથી. જીવનભર બદલાની આગમાં બળતા લોકોની મનોદશા અને એના પરીણામ બતાવવા માટે તો વેદવ્યાસે મહાભારત રચ્યું છે. સામાન્ય રીતે મહાભારતની કથાને ધર્મયુદ્ધની કથા ગણવામાં આવે છે. આ લેખકને મહાભારતનો મુખ્ય સંદેશ, દરેક પાત્રની બદલાની ભાવના સર્વનાશમાં પરીણમતી બતાવવાનો છે. આવા સંજોગોમાં સર્વનાશ નીવારવા સાચા અર્થની સામુહીક ક્ષમાપના યુદ્ધનો વીકલ્પ બની શકી હોત.
માંગ્યા વગર સામેથી અપાતી ક્ષમાનો હેતુ સમજવો વધારે અઘરો છે. ક્યારેક જ તે આત્મશાન્તી માટે હોય છે. મોટેભાગે એમાં ઉદારતા કરતા ઘમંડ(arrogance) વધારે હોય છે. એમાં પોતાની ભુલનો એકરાર નહીં; પણ બધો દોષ સામા પક્ષે હોવાના આગ્રહ સાથે પોતાના મોટાપણાનો આડંબર રહેલો છે. વ્યવસાયમાં ઉપરીના હાથ નીચેના લોકો સાથેના વર્તનમાં આવું ખાસ જોવા મળે છે. જેવી રીતે બાળકની દરેક જીદ પુરી કરવાથી કે એની બધી ભુલો માફ કરવાથી એ બગડી શકે છે, એ જ રીતે દરેક વાતમાં મોટાઓનો અહમ્ પોષવાથી નકારાત્મક પરીણામ આવી શકે છે. આપણામાં ઉમ્મરને અપાતા વધુ પડતા મહત્ત્વના કેટલાક ગેરફાયદા પણ છે. સભ્ય વર્તનની જવાબદારી નાનામોટા બધાની હોય છે. આનો અર્થ વડીલોને અવગણવાનો નથી; પણ સત્ય અને સભ્યતાને નમ્રતા કરતાં આગળ મુકવાની – વધુ મહત્ત્વ આપવાની વાત છે. કહેવાતા જનરેશન ગેપ પાછળ આ એક મોટું કારણ છે.
કેટલાક લોકોને વાતવાતમાં વણમાગી સલાહ આપવાની ટેવ હોય છે. ઘણાને તે ગમતી નથી; છતાં સભ્યતાની રુએ ચુપચાપ સાંભળી લે છે. એ જ રીતે વાતવાતમાં આપવડાઈ કરનાર તેમ જ સતત બીજાની નીન્દા કરનારને, ગમતું ન હોવા છતાં ઘણા લોકો સહન કરી લે છે. રોજબરોજના વ્યવહારમાં બતાવાતી આવી સહનશીલતા કેટલી વાજબી અને જરુરી છે ?
સહનશીલતા આપણો ખાસ ગુણ ગણાય છે. અછતમાં નીભાવી લેવું યોગ્ય છે. કુદરતનાં પરીબળોને સહન કરવાં જરુરી છે; પણ કોઈની ઉદ્ધતાઈ સતત સહેવી જરુરી નથી. ‘સહનશીલતા’ અને ‘કાયરતા’ વચ્ચેની પાતળી ભેદરેખા ક્યારે ઓળંગાઈ જાય છે એનો ઘણાને ખ્યાલ રહેતો નથી.
સહનશીલતાનો વીકલ્પ એકમાત્ર સંઘર્ષ નથી; અસહકાર અને અવગણના પણ છે. જેમને વણમાગી સલાહ જોઈતી હોય, પરનીન્દામાં કુતુહલ સાથે રમુજ જણાતી હોય એમના માટે કોઈ પ્રશ્ન નથી. જેમને આવું બધું વાજબી ન લાગે એમણે આવા પ્રસંગ અને વ્યક્તીઓથી દુર રહેવું જરુરી છે અને પુરતું છે.
જે સમાજમાં આ પ્રકારના અભદ્ર લોકોની સંખ્યા ઓછી હોય તેમ જ જાહેરમાં શીસ્ત અને સ્વચ્છતા જાળવનારા વધુ હોય એ સમાજ વધુ સભ્ય અને સંસ્કારી ગણાય છે. કેટલાક સમાજોમાં ક્ષમા અને સહનશીલતાનાં ધોરણ, સ્ત્રી અને પુરુષ માટે અલગ હોય છે. ત્યાં પુરુષોના મનઘડંત કાયદા પ્રમાણે બધો ન્યાય કરવામાં આવે છે. બાકીની દુનીયા એમને અન્તીમવાદી ગણે છે.
આમની સરખામણીએ ભારત જેવા દેશમાં ન્યાયનું માળખું યોગ્ય છે; પણ ન્યાયપાલન સાવ પાંગળું છે. ‘હોતા હૈ, ચલતા હૈ, જાને દો’ જેવી મનોવૃત્ત્તી, સહનશીલતાને નામે કાયરતાને નભાવે છે, અરાજકતાને પોષે છે. ક્ષમા અને સહનશીલતા, ગુણને બદલે નબળાઈ બની જાય છે. સદીઓની ગુલામીને લીધે આપણામાં વધુ પડતી સહનશીલતા આવી છે કે પછી વધુ પડતી સહનશીલતાએ ગુલામીને પોષી છે તે એક સંશોધનનો વીષય છે. વ્યક્તી સ્વાતન્ત્ર્યના અભાવે પણ એમાં ઘણો ભાગ ભજવ્યો છે.
‘ક્ષમા’ અને ‘બદલો’, એ બન્ને કરતાં યોગ્ય ન્યાય થવો વધારે અગત્યનું અને જરુરી છે. એમાં જ સંસ્કૃતીનો વીકાસ છે. ભારત જેવો વીશાળ, વીભીન્ન સમસ્યાઓથી ઘેરાયેલો દેશ આ બધાં જ ક્ષેત્રોમાં ઝડપી સુધારા ન કરી શકે. દરેક સમાજ પોતાના સામાજીક પ્રશ્નોનો ઉકેલ જાતે શોધે તે જરુરી છે. આપણો સમાજ દેશવીદેશના ઘણા સમાજોના સમ્પર્કમાં આવ્યો છે. એમનું સારું જણાય તે અપનાવવું આપણા હીતમાં છે.
–મુરજી ગડા
લેખક સમ્પર્ક:
શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009 ઈ–મેલ: mggada@gmail.com
કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2009ના જુન માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
અક્ષરાંકન: GOVIND MARU, 405, Krishna Apartments, Wing – B, Opp. Balaji Garden, BONKODE, KOPEKHAIRNE, Navi Mumbai – 400709 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 13/12/2013
મુરજીભાઇ,
હેપી હોલીડેઇઝ અને ૨૦૧૪ના નવાં વષૅની મુબારકબાદી આપને, આપના કુટુંબીઓને, ગોવિંદ મારુજીને, તેમના કુટુંબીજનોને,અને અભીવ્યક્તિના આપણા મિત્રમંડળને…..માણસ નામે ને સદબુઘ્ઘિની ભેટ મળે તેવી ઇચ્છા વ્યક્ત કરું છું.
સંપૂર્ણ અભ્યાસપૂર્ણ લેખ. આનંદ થયો.
નેલસન મંડેલાને જ્યારે ૨૭ વષૅ પછી જેલમાંથી છોડયા અને દક્ષિણ આફ્રિકાના પ્રમુખ બનાવ્યા ત્યારે સપથવિઘિ વખતે તેમણે તેમના જેલરોને સંબોઘીને કહેલું કે….ફરગીવનેસનો હું પાલક છું. જેલમાં મારી સાથે જે વ્યવહાર તમે કરેલો તે તો તમે તમારી ફરજના ભાગ રુપે કરેલો. મારે તમારે માટે તે માટે જ ખૂબ માન છે. તમે તમારી ફરજ બજાવેલી. આ પ્રસંગને મુલવવો રહ્યો. થોડા વિરલાઓ ક્યાંક મળી આવે છે.
થોડા શબ્દો વિચારો કરવાં માટે મદદ રુપ થઇ શકે …..
(૧) ભારત માટે આજની જીંદગીને માટે….’ સંઘષૅપૂર્ણ જીવન….શાંનું જનેતા ?
(૨) સ્વાર્થ અને સ્વાર્થી
(૩) આખાબોલો…..શહનશીલતા અેટલે વીકનેસ, નબળાઇ……
(૪) પુરુષપ્રઘાન સમાજ….
(૫) પદડા પાછળથી ચલાવાતો સ્ત્રીપ્રઘાન સમાજ….વઘુ અસરકારક ?
બાકી મુખમેં રામ અને બગલમેં છુરી આ સમાજનો પ્રેક્ટીકલ નિયમ છે. સ્વાર્થ આગળ બઘું જ નકામું.
આભાર.
અમૃત.
LikeLike
Friends,
I have studied few quotes on forgive and forget. I thought my quoting those here, may help exchanging our munching on them.
(1) A happy marriage is the union of two good forgivers.
(2) Oscar Wilde;,” Always forgive your enemies, nothing annoys them so much.”
(3) Darkness cannot drive darkness out; only light can do that. Hate cannot drive hate out; only love can do that.
(4) Gandhi,” the weak can never forgive. Forgiveness is the attribute of the strong.”
(5) I forgive people, but that does not mean I trust them.
(6) One of the keys to happiness is a bad memory.
(7) Forgive and Forget, NOT revenge and regret.
(8) Forget what hurt you but never forget what it taught you.
(9) I don’t forgive people because I’m weak. I forgive them because I’m strong enough to know people make mistakes.
(10) My plan is to forgive and forget. Forgive myself for being stupid and forget you ever even existed.
(11) The first to APOLOGIZE is the bravest. The first to forgive is strongest and the first to forget is the happiest.
These quotes are interwoven in our life at any one stage…..
There are many brainy quotes, if put in practice, can / may help us live a happy life….
Thanks.
Amrut.
LikeLike
1. I like the very reasonable and balanced approach of the writer in practical matters of everyday life. Did Rama forgive Ravan? No. The likes of Kaikeyi can be forgiven, but Ravans? Certainly not. Proper discrimination is the key in justice.
2. Forgiveness is preached by most religions, as the author has rightly mentioned. Yet it is emphasized much more than others, especially by two religions : Jainism and Christianity —at least in theory, though practices will always vary.
Thanks for a good food for thought. —Subodh Shah — NJ, USA.
LikeLike
સરસ લેખ. દુર્વાસાએ કોઈપણ દેવદેવીને માફ ન્હોતા કર્યા. એ કેથલિક કન્ફેસનમાં માનતા ન હતા. વાસ્તવિક જીવનમાં એવું એ બને જે કહેવું હોય તે કહી દેવાય અને પછી હું મારા શબ્દો પાછા ખેંચું છું એમ કહીને વાત વાળી લેવાય. કોઈક ટીખળીયા જાણીજોઈને ટપલી મારે અને બેશરમ થઈને “સોરી” પણ કહી દે.
LikeLike
ખુબ સરસ લેખ! મનુષ્ય સામાજિક પ્રાણી હોવાથી આસપાસના સમાજમાં સ્વીકૃતિની તેને જરૂર રહે છે વળી ભદ્ર અને અભદ્ર સમાજની ઓળખનો ઘણોખરો આધાર બાહ્યાચાર પર હોવાથી કહેવાતા ભદ્ર સમાજ્ ગુનાનો ભાર ઉપાડવા ગરીબને ખરીદી લેવાય અને ન્યાયની દેવીને આંખે પાટા બાંધી ન્યાય કરવામાં આવે ત્યારે પ્રજાનું ખમીર હણાય સાથે કાયરતાનો ક્ષમાના વાઘા પહેરાવી સ્વીકાર થાય છે. સાચો ન્યાય અને ગુનેગારને દંડ જ ક્ષમાની ભાવનાને ખમીરવંતી કરી શકે. બાકી તો ક્ષમાના નામે કાયરતાને જ પોષણ મળે.
LikeLike
યાદ આવ્યુ…..રોજીદા જીવનમાં ૯૫ % પુરુષ અને /કે સ્ત્રીને ક્ષમા , સહનશીલતા અને ન્યાયનું જીવન જીવવા માટે નક્કિ કરેલી ‘ હદ ‘ હોય છે.
LikeLike
It is a very good article full of good thoughts. I fully agree with author, Hazari Amrut M, and Subodh Shah. When you forgive other person, at least you will feel peaceful and good. Revenge is always bad and never solves the problem. Have a good holidays.
Thanks,
Pradeep H. Desai
Indiana, USA
LikeLike
ખુબ સરસ.. આપના આ વિચાર માટે ધન્ય વાદ.. સાથે આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી બ્લોગ બદલ ‘ગુજરાતી વિચાર સંગ્રહ’ વેબ સાઈટ તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હું બ્લોગ બનાવનારના આ પ્રયાસોને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંત:કરણની શુભેચ્છાઓ. ખુબ ખુબ ધન્યવાદ..
LikeLike