હું આસ્તીક છું કે નાસ્તીક? લ્યો, તમે જ નક્કી કરો…

–ભુપેન્દ્રસીંહ રાઓલ

જો હું મારી જાતને નાસ્તીક કહીશ, તો અમુક મીત્રો કહેશે ખોટી વાત છે. તમને તો તમારી જાતમાં ખુબ વીશ્વાસ છે–શ્રદ્ધા છે માટે આસ્તીક કહેવાઓ. હવે આસ્તીક કહીશ, તો અમુક મીત્રો કહેશે ખોટી વાત છે તમને ક્યાં ઈશ્વરમાં શ્રદ્ધા છે ? કે તમે ક્યાં નીસર્ગાતીત (સુપર્સ્ટીશન) વસ્તુઓમાં માનો છો ? એટલે તમે નાસ્તીક કહેવાઓ. હવે વીવેકાનન્દ કહેતા કે જેને પોતાનામાં શ્રદ્ધા નથી તે નાસ્તીક કહેવાય. તો પછી હું આસ્તીક થયો કે નહીં ? ઘણા કહેશે જે ઈશ્વરમાં નથી માનતો તે નાસ્તીક કહેવાય અને માને તે આસ્તીક. હવે મને પોતાનામાં શ્રદ્ધા છે અને ઈશ્વરમાં નથી તો પછી મને શું કહેવો ? આસ્તીક અને નાસ્તીક બન્ને ? પ્રાચીન સમયમાં ભારતમાં જે વેદોને ના માને તે નાસ્તીક કહેવાતો. હવે વેદોમાં માનતા હોય; પણ સાંખ્યના કપીલ મુની જેવા ઈશ્વરમાં નહોતા માનતા; છતાં તે આસ્તીક કહેવાતા ! એટલે તે સમયમાં ઈશ્વરમાં માનો કે ના માનો તેનો કોઈ ફરક નહોતો પડતો. ખાલી વેદોમાં માનતા હોવા જોઈએ તે આસ્તીક કહેવાતા. વાંચનાર પણ ગોટે ચડી ગયા ને ?

આમ તો હું કોઈને કહેવા જતો નથી કે હું આસ્તીક છું કે નાસ્તીક છું; પણ આપણે અન્ધશ્રદ્ધામાં ના માનતા હોઈએ, એટલે તરત મીત્રોને લાગે કે આ તો નાસ્તીક છે ! એવા તો કેટલાય મીત્રો હશે કે જેઓ અમુક બાબતોમાં અન્ધશ્રદ્ધાળુ હોતા નથી; છતાં ઈશ્વરમાં માનતા હોય છે. પણ જનરલી તમે અન્ધવીશ્વાસુ ના હો, પુજાપાઠ વગેરેમાં માનતા ના હો, એટલે તરત મીત્રોને લાગશે કે આ તો નાસ્તીક છે ! થોડી બુદ્ધી કે તર્ક વડે વાત કરો તો પણ ભારતમાં તો લાગે કે આ નાસ્તીક છે. બુદ્ધી અને તર્ક વાપરવાં એ, અહીં તો ગાળ જેવું છે. ઘણા મીત્રોને એવું થતું હોય છે કે તમને કોઈ ફરીયાદ હશે, એટલે ઈશ્વરમાં નહીં માનતા હો. ઘણા તો તરત પુછી પણ લે કે, ‘તમારી સાથે એવું શું બન્યું કે તમે નાસ્તીક (પ્રચલીત અર્થમાં) બની ગયા?’ એ પુછનાર મીત્રના મોઢા ઉપર તે સમયે એવા ભાવ હતા કે જાણે હું ઈશ્વરને અળખામણો હોઈશ, તેણે મને કોઈ ભુલની સજા કરી હશે અને તેઓ પોતે તો જાણે ઈશ્વરના વહાલા ! ત્યારે મને હસવું આવે અને કહેવાનું મન થાય કે ભાઈ કશું બન્યું નથી, માટે નથી માનતો.

એક સહૃદયી મીત્રે તો માની લીધું કે હું ફરીયાદ કરતાં કરતાં જ નાસ્તીક બની ગયો હોઈશ. એમાં એમનો વાંક નથી. કોની આગળ ફરીયાદ કરવાની ? કોઈ વ્યક્તી આગળ ફરીયાદ કરી શકો, ‘સમસ્ત’ આગળ કઈ રીતે ફરીયાદ કરી શકો ? સમસ્ત તો સમસ્તનું હોય, સર્વનું હોય ત્યાં ફરીયાદ કોની કરવાની ? પણ તમે નાસ્તીક કેમ બની ગયા તેવું પુછનાર અમુક વ્યક્તીઓ, પોતે એક સ્ટેપ ઉંચા ઉભા હોય અને ભગવાનને ખુબ વહાલા હોય, તેવા ભાવ સાથે પુછતા હોય છે. સામેવાળો નાસ્તીક જાણે કોઈ હીન વ્યક્તી હોય, ગુનેગાર હોય, ભગવાનને હાથે સજા પામેલો હોય, માટે ફરીયાદ સ્વરુપે નાસ્તીક બન્યો હશે તેમ માનતા હોય છે. જો કે ઘણા લોકો તે રીતે નાસ્તીક બન્યા પણ હોય છે. એમનું ધાર્યું ના થયું હોય કે ઘરમાં એવા દુઃખદ બનાવો બન્યા હોય તેમાં ઈશ્વર પ્રત્યેની આસ્થા ડગી હોય.

હવે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાથી પોતાનું કામ થઈ જાય છે તેવું માનવાવાળા અને કામ નહીં થવાથી ઈશ્વરમાં નહીં માનનારા બન્નેની બ્રેન સર્કીટ સરખી જ કહેવાય – બન્નેની માનસીકતા સરખી જ કહેવાય. કારણ બન્નેના અચેતનમાં ઈશ્વર તો છે જ. એકનું કામ થાય છે અને બીજાનું નથી થતું. એટલે કામ તો કોઈ કરે છે. ભલે દેખાતો નથી; પણ કોઈ સુપ્રીમ પાવર (ભગવાન) છે જે વહાલાદવલાની નીતી અપનાવી રહ્યો છે. એટલે વહાલા હોય તે ભજે છે અને દવલા હોય તે ગાળો દેતા હોય છે. એક ધનસુખભાઈ હતા તે મન્દીરમાં જતા અને મુર્તી આગળ અવળા ફરીને ઉભા રહેતા. મતલબ અવળા ફરીને પણ ઉભા રહેવા, કારણરુપ કોઈ છે તો ખરું જ ! સામે કોઈ હોય જ નહીં, તો અવળા ફરી ઉભા રહેવાનો શો અર્થ? અને આવા બોગસ નાસ્તીકોને લીધે જે જેન્યુઈન નાસ્તીકો છે તેમને લોકો ઓળખી શકતા નથી.

હવે બીમારી કોના ઘરે નથી આવતી ? દરેકના ઘરે કોઈ ને કોઈ સભ્યને જીવલેણ બીમારી તો આવતી જ હોય છે. હું અહીં ડાયાલીસીસ સેન્ટર ઉપર જાઉં છું – વાઈફને મુકવા. ત્યાં આખા સેન્ટરમાં મારા વાઈફ એકલાં આવતાં હોય એવું નથી; આખું સેન્ટર ભરેલું હોય છે. દરેકના ઘરે સારા પ્રસંગો આવતા હોય; તેમ ખરાબ પણ આવતા જ હોય છે. આ તો જીવનના એક ભાગરુપ છે. તો મારા ઘરે કોઈ બીમાર પડે, કોઈ મરી જાય કે ખરાબ પ્રસંગ આવે, તો એવું ભોગવનાર હું એકલો તો હોતો જ નથી ! દરેકના ઘરે આવું બનતું જ હોય છે એમાં મારે ઈશ્વર હોય તો એને શું કામ દોષ દેવો ? જે કંઈ મારે ભોગવવાનું આવે, તેમાં મારા સમય, સંજોગો, વાતાવરણ, ખાનપાન, વારસાગત જીન્સ વગેરે વગેરે જવાબદાર હોય; એમાં ભગવાનનો શો દોષ ? મારી ભુલો હશે, તો જવાબદારી મારી હોય; માટે હું કદી ક્યાંય ફરીયાદ કરતો નથી. ફરીયાદ કરવાનું કોઈ કારણ જ હોતું નથી. અને કરું તો કોની સામે કરું ? જે દેખાતો નથી એની સામે ? માટે મને ફરીયાદ કરવા કોઈ કારણ જડતું નથી; તેમ જ પ્રાર્થના કરવા માટે પણ કોઈ કારણ જડતું નથી, માટે હું કદી પ્રાર્થના પણ કરતો નથી કે મને ઉગારો કે બચાવો. અને હું પ્રાર્થના કરીશ તો કોઈ ફરક ક્યાં પડવાનો છે ? લાખો લોકો પ્રાર્થના કરતા જ હોય છે; છતાં બીમાર પડતા જ હોય છે અને મરતાં પણ હોય જ છે ને !

પ્રાર્થના ક્યાં હોય ને ક્યારે હોય ? જ્યાં ફરીયાદ હોય ત્યાં પ્રાર્થના હોય. અથવા ભવીષ્યમાં ફરીયાદ ના કરવી પડે તેના આયોજનરુપે પ્રાર્થના હોય. હવે મારે ન તો કોઈ ફરીયાદ કરવી હોય; ન તો પ્રાર્થના કરવી હોય, તો ઈશ્વરની શી જરુર ? ઘણાને પ્રાર્થનામાં પ્રચંડ શક્તી દેખાતી હોય છે. એ શક્તી તમારી પોતાની જ હોય છે; બીજે કશેથી આવતી નથી. કારણ તમને પ્રાર્થનારુપી ‘પ્લેસીબો’ની આદત પડી ગઈ છે. પ્રાર્થના એક ડ્રગ જેવી છે; તેના વગર ટાંટીયા ચાલે નહીં. અફીણનો અમલ કરનારને અનુભવ હોય છે કે અમલ ઉતરી જાય ત્યારે એક ડગલું ચાલવાની શક્તી રહેતી નથી. થોડું અફીણ પેટમાં ગયું કે બાપુ મીલ્ખાસીંગ બની દોટ મુકવાના ! મહમ્મદ ગઝની બન્દગી કરશે : ‘હે અલ્લાહ, મને સોમનાથ પર જીત મેળવવાની શક્તી આપજે’ અને હીન્દુઓ કહેશે : ‘હે સોમનાથદાદા, ત્રીજું નેત્ર ખોલી યવનને ભસ્મ કરી દેજો.’ હવે સમસ્ત(સુપ્રી પાવર) કોની પ્રાર્થના સાંભળશે ? કોઈની જ નહીં ને ! જેનામાં તાકાત હશે તે જીતશે ! એટલે જ નબળા, કાયર, કમજોર હીન્દુઓની પ્રાર્થના સાંભળવાને બદલે મહાદેવે પોતે ગઝનીના મહેલના ત્રણ પગથીયે ચણાઈ જવાનું પસંદ કર્યું.

ફરીયાદરુપે કે મદદ માટે પ્રાર્થના કરો એનો મતલબ તમે કુદરતના નીયમોમાં દખલ કરો છો. તમે કુદરતના નીયમોમાં માનતા નથી, તેમાં તમને વીશ્વાસ નથી. કુદરતને એના નીયમો તોડવા માટે વીનન્તી કરો છો. કુદરત એના નીયમો ફક્ત તમારા માટે તોડે, એના માટે વીનન્તી અને પ્રસાદરુપે લાંચ પણ આપો છો. તમારું કામ થાય છે તે કુદરતના નીયમ આધીન થતું હોય છે; પણ તમને લાગે છે તમારી પ્રાર્થના સંભળાઈ. અને કામ નથી થતું ત્યારે પણ કુદરતના નીયમ આધીન નથી થતું. લાખો લોકો એક્સીડન્ટમાં બચી જતા હોય છે; તેમ લાખો લોકો મરી પણ જતા હોય છે. હવે જે મરી જતા હશે, તે શું પ્રાર્થના નહીં કરતા હોય ?

કેદારનાથ ભગવાનને મળવા ગયેલા હજારો મરી ગયા અને હજારો સમયસર મદદ મળતા બચી પણ ગયા. બચી ગયેલાને ભગવાને બચાવ્યા, તો મરી ગયા તેમને ભગવાને જ મારી નાખ્યા એમ ને ? કુદરત કુદરતનું કામ કરે છે તેના માટે પ્રાર્થના કરનાર અને નહીં કરનાર બન્ને સરખા જ છે. બચાવે તો ભગવાનની કૃપા અને ના બચાવે તો નસીબ અને કર્મનો દોષ ! સગવડીયાં બહાનાં શોધવામાં આપણે માહેર છીએ. ભગવાનમાં માનવું બહુ સરળ છે, સહેલું છે, એમાં કોઈ બુદ્ધીની કે હીમ્મતની જરુર નથી હોતી. પણ ભગવાનમાં માન્યા વગર જીવવું એમાં દીલ અને દીમાગની ઠંડી તાકાત જોઈએ. ભગવાનમાં માનીને જીવનાર માટે ભગવાન એક બહુ મોટો સહારો છે. એવા સહારા વગર જીવવા માટે દૃઢ મનોબળ જોઈએ; કારણ જે પણ કરીએ અને ભોગવીએ તેની તમામ જવાબદારી જાતે ઉઠાવવાની હોય છે. કહેવાતા આસ્તીકોની જેમ બધું ભગવાનને માથે, નસીબને માથે, પુર્વજન્મને માથે થોપવાનું હોતું નથી.

–ભુપેન્દ્રસીંહ રાઓલ

લેખકની ગુજરાતી વેબસાઈટ ‘કુરુક્ષેત્ર’ ( http://raolji.com/ )ના 31 ઓક્ટોબર, 2013ના અંકમાં પ્રકાશીત થયેલો આ લેખ, શ્રી. ભુપેન્દ્રસીંહ રાઓલના સૌજન્યથી સાભાર…  ..ગોવીન્દ મારુ

આ વીષયના અનુસન્ધાને અક મઝેનો લેખ માણવા માટે નીચે આપેલી લીન્ક પર ક્લીક કરશો :

https://govindmaru.com/wp-content/uploads/2012/01/197-2012-02-10-late-anil-shah-naastik-ni-tapasyaa-anil-shah.pdf

લેખક/બ્લોગર સમ્પર્ક: શ્રી. ભુપેન્દ્રસીંહ રતનસીંહ રાઓલ, અમેરીકા સેલફોન: +1 732 406 6937 ઈ.મેઈલ: brsinh@live.com

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તેમને માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. (હાલ અમેરીકાના પ્રવાસે..) સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 10/10/2014

25 Comments

  1. આસ્તિક અને નાસ્તિક …..?????્
    આપણાં રોજીંદા જીવનમાં જનરલી , સમજીને કે પછી સમજ્યા વિના ‘ભગવાન‘ ની હાજરીને માનવું કે પછી તેની હાજરી નથી અેમ માનવું તેના સંદર્ભમાં આ શબ્દોનો ઉપયોગ થાય છે.
    બાપુઅે પુરા આર્ટીકલમાં આ સમજાવવા લોજીકનો સુંદર ઉપયોગ કર્યો છે. વિમાસણમાં અટવાતા માનવને સમજાવવાનો તેમનો પ્રયાસ અેક લોજીકના સહારે પાર ઉતરે છે…અેક સવાલના રુપે….વિમાસણને સેક્સપિયરે હેમલેટ નાટકમાં….ટુ બી ઓર નોટ ટુ બી..તરીકે સવાલના રુપમાં ઉભારી છે.
    Logic ?…Logic is the use and study of valid reasoning. Logic is furthur extended by Al-Farabi, who catagorized it into two separate groups, Idea and Proof. Logic is often devided into three parts : inductive reasonings, abductive reasonings and deductive reasonings.
    Logic is also defined as, ” Reasonings conducted or assessed to strict principles of validity. It is said that experience is a better guide to this deductive reasonings / logic.”

    તો પછી અનુભવ…જીવનનો પર્સનલ અનુભવ જે રસ્તે લઇ જાય તે સાચુ. બાપુઅે પણ આજ પોતાની જીંદગીના અનુભવોની વાતો પોતાની જાતને ડીફાઇન કરવાં માટે વપરાય છે તેની વાતો કરી છે. વિજ્ઞાન સાબિતિઓનું જ્ઞાન છે…..strict principles of validity……આપણી આસપાસના પૂર્ણ વાતાવરણ વિષેના જ્ઞાન વડે સંપૂર્ણ થઇને જ્યારે માનવ વિચારતો થશે, ત્યારે તે છાતી ઠોકીને કહી શકશે કે તે કોણ છે ?
    શ્રઘ્ઘા અને અંઘશ્રઘ્ઘાના કુવામાંના દેડકા જેવા જ્ઞાનવાળાઓની તકરાર કશાયે કામની નથી.
    અમૃત હઝારી.

    Liked by 3 people

  2. Very well describe and explained. Human nature always look for ‘easy out’ or easy result, and it has to in their favor. If not they will quick to blame others including so called “BHAGWAN”.

    My question is do really understand Aastikta vs Nastikta? We can if we make effort to understand but as Bupendrsingh said “પ્રાર્થનારુપી ‘પ્લેસીબો’ની આદત” And we are ‘goolam’ of this habit.

    Liked by 1 person

  3. લો તમે જ નક્કી કરો, એવું આડકતરી રીતે સૂચવી ડેનિશ તત્વજ્ઞાની સરોયાન કિર્કગાર્ડે(એના નામનો ઉચ્ચાર અઘરૉ છે આ વધારે પ્રચલિત છે.)મોટા સાવ ખાલી ઓરડામાં એક ટેબલ મૂક્યું અને ગડી વાળેલો કાગળ,લખવા પેન મૂક્યાં,પછી દરેકને દરવાજ પાસે કહ્યું કાગળમાં એક વિધાન છે તેનો જવાબ આપી બીજી તરફના દરવીજેથી બહાર નીકળી જતાં રહેવું કોઇની રાહ જોયા વગરઃ
    ગડી વાળેલા કાગળ માં જમણી તરફ લખ્યું હતું હું ઇશ્વરમાં માનું છું કારણકે..
    ડાબી બાજું લખ્યું હતું હું ઇશ્વરમાં નથી માનતો કારણ કે…

    Liked by 1 person

  4. રાઓલ સાહેબની વાત તર્કબદ્ધ અને મોટાભાગે સાચી છે પરંતુ આપણે સમુહમાં રહેતા હોઈ આપણી માન્યતા વીરુદ્ધ પણ ક્યાંક બાંધછોડ કરવી રહી….

    ધર્મની વ્યાખ્યા સમયાંતરે આસ્તીક કે નાસ્તીકમાં ફેરવાઈ ગઈ છે, પહેલા બધા વધારે શ્રધાળું હોવાથી આસ્તીક કહેવાતા જેમ જેમ સમજણ અને જ્ઞાન આવતા ગયા તેમ તેમ તર્ક વધતા ગયા અને શ્રદ્ધાની દીશા કુદરતના નીયમમાં વહેવા લાગી.

    આસ્તીક એટલે ધર્મ અને મુર્તીપુજામાં માનનારો, અંધશ્રધામાં માનનારો અને જેનામાં આસ્થાનો વીશેષ પ્રભાવ છે તે અને નાસ્તીક એટલે પોતાનામાં અને કુદરતની રચનામાં માનનારો..

    આપણે નાસ્તીકતાને વખોડી શકીએ પરંતુ ધર્મના પ્રતીકો કે જેમાં આસ્થા છે કૈક જીવનની ફીલસુફી સમજાવે છે તેને અવગણી ના શકો ………..

    કૃષ્ણની મોરલી તમારા મનને જરૂર આનંદ તો આપે છે, સંગીતનું ઉદગમસ્થાન તો છે જ, કૃષ્ણના ભજનો ને ગાવામાં અને સાંભળવામાં આરોગ્ય અને આનંદ બેઉ સચવાય તો છે માટે જીવનનો ભાગ છે તેને નકારી નાં શકાય …

    શિવજીનું મંદિર જીવન જીવવાની પધ્ધતી શીખવાડે છે…તેના પ્રતીકો કૈક જરૂર કહે છે ……

    પોઠીયો :– આ પ્રતીક માણસની મદમસ્તતા દુર કરવાનું કહે છે પણ આપણે તેને શ્રધ્ધાથી પગે લાગીએ છીએ જે ખોટું છે

    કાચબો :– આ પ્રતિક જીવનના વિકાસ માટે નકારાત્મક અને અભીમાનને જેમ કાચબો પોતાના હાથ,પગ, માથું સંકોલે તેમ સંકોલી લેવાનું કહે છે

    ઉંચી ઉમરેઠ :- જીવનને ઊંચાઈ તરફ લઇ જવાનું સુચન કરે છે

    લીંગ ;- જીવનને ઉર્ધ્વગતી આપવાની છે, નીચેથી ઉપર

    માટલાનું ટપકતું પાણી :- શીખવે છે કે જીવન જીવવામાં ધીરજ રાખવી જરૂરી છે, જીવનનો વિકાસ ધીમે ધીમે સાચી દીશામાં કરવાનો છે

    લીંગ ફરતે ગોળાકાર :- જીવનનો વીકાસ કરવાનો છે પણ તમારી મર્યાદામાં રહીને જ

    હવે આ શીવજીનું મંદિર એ પ્રતીક છે જીવન જીવવાનું પણ લોકો ત્યાં જીવનમાં બધું જલ્દી મળે અને જીવનમાં કઈ તકલીફ ના પડે તેવી શ્રધ્ધાથી જાય છે .
    માટે ધર્મ હમેશા જીવન પધ્ધતી શીખવાડે છે પરંતુ માણસ જીવનને પોતાને અનુકુળ અને તકલીફ વગરનું બનાવવા અને વગર મહેનતે પ્રભુ પ્રાર્થના થકી મેળવવાનો પ્રયત્ન કરે છે

    માટે આસ્તીક કે નાસ્તીકની મથામણ કરતા કુદરતના સાનીધ્યમાં અને આપણા અસ્તીત્વને સ્વીકારી જીવન જીવવું જોઈએ

    Like

  5. સુધારો પેરેગ્રાફ- 4
    (આપણે નાસ્તીકતાને) બદલે આસ્તીકતા વાંચવું

    Like

  6. જેને જે માનવું હોય તે માને. બીજાના અભીપ્રાયની આપણને શી જરૂર?

    Liked by 1 person

  7. Excellent article. Hearty congratulations !
    “ઘણાને પ્રાર્થનામાં પ્રચંડ શક્તી દેખાતી હોય છે. એ શક્તી તમારી પોતાની જ હોય છે; બીજે કશેથી આવતી નથી. કારણ તમને પ્રાર્થનારુપી ‘પ્લેસીબો’ની આદત પડી ગઈ છે. પ્રાર્થના એક ડ્રગ જેવી છે; તેના વગર ટાંટીયા ચાલે નહીં. અફીણનો અમલ કરનારને અનુભવ હોય છે કે અમલ ઉતરી જાય ત્યારે એક ડગલું ચાલવાની શક્તી રહેતી નથી. થોડું અફીણ પેટમાં ગયું કે બાપુ મીલ્ખાસીંગ બની દોટ મુકવાના !”
    The above is a great idea. It applies equally to meditation also.

    “મહમ્મદ ગઝની બન્દગી કરશે : ‘હે અલ્લાહ, મને સોમનાથ પર જીત મેળવવાની શક્તી આપજે’ અને હીન્દુઓ કહેશે : ‘હે સોમનાથદાદા, ત્રીજું નેત્ર ખોલી યવનને ભસ્મ કરી દેજો.’ હવે સમસ્ત(સુપ્રી પાવર) કોની પ્રાર્થના સાંભળશે ? કોઈની જ નહીં ને ! જેનામાં તાકાત હશે તે જીતશે ! એટલે જ નબળા, કાયર, કમજોર હીન્દુઓની પ્રાર્થના સાંભળવાને બદલે મહાદેવે પોતે ગઝનીના મહેલના ત્રણ પગથીયે ચણાઈ જવાનું પસંદ કર્યું.”
    This also is a great idea. All Hindus need to think deeply about this.
    Thanks for a really nice article, Govindbhai !
    —Subodh Shah — NJ, USA.

    Thanks. — Subodh Shah —

    Liked by 2 people

  8. બહુ જ સરસ લેખ બન્યો છે. જ્યારે વ્યક્તી પોતાના વિચારો લખે છે.તે મને વાંચવા ગમે છે. ભૂપેન્દ્ર સિંહજીને અભિનંદન.આમાં નાવિન્ય છે. એકની શ્રધ્ધા બીજાની અંધશ્ર્ધ્ધા પણ બની શકે છે. પછી વાત એકની એક કેમ ન હોય? ગોવિન્દભાઈ, આવો ઉત્તમ લેખ લેવા માટે તમને પણ અભિનંદન.

    Liked by 2 people

  9. well, world around us is amazing, esp. the human ‘mind'(s). all those ‘things’ being posted/replied/discussed here are the outcome of the same. further, many things remain unexplained/not understandable to any individual or mankind, that’s also amazing!

    Like

  10. પુર્વ જન્મ, પુનઃજન્મ, કર્મ, પત્થર પુજા, વીવીધ વીધાનમાં જેમકે જન્મ થી મરણ સુધીની સમજણ ન પડે એવી વીધીઓ વગેરેમાં માને એ આસ્તીક હોય. વેદ, ઉપનીષદ, રામાયણ, મહાભારત, હીન્દુ, જૈન, બૌદ્ધ, વગેરે આવી ઘણી વીધીઓ, યોગ, પ્રાર્થના, ઉપાસના નામે કરે છે.

    ઈશ્લામના નામે પ્રાર્થના, નમાજ, હજ એ પણ વીધી વીધાન સમજવું.

    સમજણ ન પડે અથવા અમુક વાર, તીથી, મહીનામાં પુજા પાઠ ઉપવાસ કરી આસ્તીકો શરીરને કષ્ટ આપે છે.

    વાતો કરવી અહીંસા પરમો ધર્મની અને ગાયના પગ બાંધી મસીન કે હાથેથી દુધ દોહી લેવા જેવું.

    ગાયને ખબર ન પડે કે છેતરામણી થઈ છે એમ ઘણીં વખત નાસ્તીકોને ખબર નથી પડતી કે પોતે ક્યારે કઈ શ્રદ્ધામાં ફસાઈ ગયા.

    Like

  11. સલામ, ભુપેન્દ્રસિહ રાઓલ સાહેબ, સલામ એક નહીં બલ્કે સેંકડો સલામ ! શું સુપર્બ લેખ લખ્યો છે આપે ! જ્યારે જંગી બહુમતીના લોકો અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાઓમાં અટવાતા હોય, યારે ખુદના દૃષ્ટાંતે આપે આ મુશ્કેલ વિષયને ખૂબ સરળ રીતે સમજાવ્યો છે ! આવા નિખાલસ અને પ્રામાણિક આત્મકથનને ગુજરાતીના અન્ય રેશનાલિસ્ટ સામયિકોમાં સ્થાન મળે તો તો સારું જ થાય, પણ વ્યાપક ફેલાઓ ધરાવતા મેઇનસ્ટ્રીમ મીડિયા ( સંદેશ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર જેવાં વર્તમાનપત્રો વગેરે ) માં પ્રકાશિત થાય તો જેને આપણે ‘આમ આદમી’ કહીએ છીએ તેનું તો ખૂબ ભલું થાય.

    Like

  12. ધર્મ અને અંધશ્રદ્ધા
    એક નવું અને ઘણું જ ખતરનાક રૂપમાં ઉભરી રહેલું “ભક્તિ જેહાદ” શું છે ? અને આ કેવી રીતે કામ કરે છે ? એનાથી પણ વધારે શું તમે એવું વિચાર્યું છે કે માત્ર થોડા જ વર્ષોના પ્રયાસથી સાંઈબાબા , નિર્મળ બાબા આશારામ અને બીજા દુનિયામાં મોટા મોટા મંદિરો બાંધવામાં માહેર વગેરે પોતાને ભગવાનના રૂપમાં સ્થાપિત કરવામાં કેવી રીતે સફળ થઇ ગયા ? આના જવાબમાં સાદી ભાષામાં એટલું જ કહેવાય કે લોકોની મૂર્ખતા અને અંધ ભક્તિ છે .
    એવું લાગે છે કે આજના સમયમાં હિંદુ ધર્મ અને ધર્મગ્રંથોને સમજવા અને સમજાવવાવાળા ગુરુઓની અછત દેખાય છે . આપણા મંદિરમાં પંડિતો પુજારીઓ તો ઘણા છે પરંતુ તે બધી વાતો ધર્મ અને ભગવાનથી જોડી દે છે .આપણા મંદિરોના પુજારીઓ અને સંચાલકો આજના ઝડપી અને યાંત્રિક યુગમાં પણ ચંદ્રગુપ્ત જમાનાના નિયમોથી ધર્મને ચલાવવા અને સમજાવવા માગે છે જ્યારે આજે અંગ્રેજીમાં ભણેલા લોકો દરેક વાતને તર્કના સહારે સમજવા માંગે છે પરંતુ આપણા પૂજારી અને મંદિરના ટ્રસ્ટીઓ લોકોને તર્ક સંગત જવાબ આપી તેઓને સંતોષ કરવામાં અને ધર્મમાં લોકોની આસ્થા વધે તેની જગ્યાએ લોકોને અલગ જ શિખામણ આપે છે કે જો તમે આમ કરશો તો તેમ થશે. જો ભગવાન ને એક નારીયેલ ચઢાવશો તો તમારી નોકરી કે પ્રમોશન પાક્કું થઇ જશે.
    ભાવાર્થ એ છે કે જાણકારીનો અભાવ અને સ્વાર્થના કારણે હિંદુ સનાતન ધર્મ અને ભગવાનની પૂજાને આધ્યાત્મ અને શાંતિના માર્ગને બદલીને વ્યવસાયિક રૂપ આપી દીધું છે અને લોકોને કહેવામાં આવે છે કે ભગવાનને 251 કે 5001 રૂપિયા દાનમાં આપી ભગવાન પાસેથી મનનો માણીગર (વર) માગી શકાય છે અને આપણી આ કમજોરીને … શિરડી સાંઈના સ્થાપીતો બરાબર સમજી ગયા અને પછી આજ હથિયાર આપણા શ્રદ્ધાળુઓ પર ચલાવ્યું અને તેવોએ આધુનિક માધ્યમોનો ઉપયોગ કર્યો જેમ કે એસ એમ એસ કરવા , પત્રિકાઓ છપાવવી , પરચાઓની માહિતી છપાવવી , જો તમે સાંઈના દર્શન કરશો તો સાંઈ તમારું ભલું કરશે વગેરે વગેરે . વળી પાછા મેસેજમાં સંદેશો હોય કે જો તમે આ મેસેજ 20 વ્યક્તિને ફોરવર્ડ નહિ કરો તો મોટું નુકસાન થશે એવી વાહિયાત વાતો ફેલાવી ડરાવવામાં આવે છે. ભગવાન મનુષ્યના કલ્યાણ માટે હોય છે નહિ કે નુકસાન પહોચાડવા, માટે આવી ભ્રામક અંધશ્રદ્ધારૂપી માન્યતાઓથી બહાર આવવાની જરૂર છે .
    આપણે પહેલાથી જ આવી ભલીભોળી વાતોથી ભરમાતા તેથી કઈ નવું વિશેષ પૂછવાનું કારણ નહતું એટલે આ રીતે આપણે તેવોની જાળમાં ફસતા ગયા અને સાંઈ ભગવાન થતા ગયા. બાકીના બીજા બાબાઓ આજ રાહ પર ચાલ્યા પણ સાંઈબાબા જલ્દી બજારમાં પ્રચલિત થઇ ગયા અને બીજા હજુ સંઘર્ષ કરે છે એટલા માટે જો આપણે ભવિષ્યમાં આવી ઘટનાઓ અને નવા નવા સ્વઘોષિત ભગવાનોને અટકાવવા હશે તો આપણે આપણા મંદિરોની વ્યવસ્થા સુધારવી પડશે અને તર્કના આધારે સનાતન ધર્મની વ્યાખ્યા અને પૂજાનું જીવનમાં મહત્વ વિષે જે સમજાવી શકે તેવા લોકોને સ્થાન આપવું પડશે અને વૈજ્ઞાનિક પધ્ધતિ અને પૂજાને સરખાવી પૂજા અને ભગવાનની આસ્થા જગાવવી પડશે અને જ્યાં સુધી આવું નહિ થાય ત્યાં સુધી કોઈપણ દેશી કે વિદેશી કોઈને પણ પકડી લાવી ભગવાન બનાવવાનો સાહજિક પ્રયત્ન કરશે .
    સાંઈભક્તોને વિનંતી કે મહેરબાની કરીને સાંઈ બાબાનો ફોટો આપણા સનાતન ભગવાન સાથે મંદિરોમાં રાખી આપણા જ સનાતન ભગવાનનું અપમાન ના કરો કેમ કે હિન્દુઓની આસ્થાનો થતો આ તો નર્યો દુરુપયોગ છે .
    આપણા હિંદુ ધર્મમાં શિવને પરમાત્મા કલ્યાણકારી કહેવામાં આવ્યા છે અને સર્વશ્રેષ્ઠ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે, પૂજનીય ભગવાન રામ અને કૃષ્ણનું કર્તવ્ય અજ્ઞાનમાંથી પ્રકાશ તરફ લઇ જવા માટે છે અને આ બાબતે કદી પણ પત્રિકા કે પરચાઓ આપવા કે કહેવામાં આવતા નથી તે સનાતન છે અને સત્ય છે પરંતુ આજે દર્શન હિંદુ મંદિરમાં કરવાના અને પૈસાનું દાન સાંઈ મંદિરમાં પોતાનું ભલું થાય તે માટે કરવાનું??

    Like

  13. પ્રિય ભુપ્રેન્દ્રસિંહજી;
    પ્રેમ.
    “હું આસ્તિક છું કે નાસ્તિક, લ્યો તમે જ નક્કી કરો” ના શિર્ષક હેઠળ નો તમારો લેખ વાંચ્યો. જમીન થોડી ખેડવા લાયક અને ફળ્દ્રુપ જણાઈ એટલે ખેડાણનો પ્રયત્ન કરી રહ્યો છું. સફળતા નિષ્ફળતા રહીત પ્રયત્ન.
    હું સ્વસ્થ છું કે બિમાર તે હું નક્કી કરી શકું કે કોઈ અન્ય? હા, હું બેહોશ હોઊં, કોઈ ડ્રગની અસર હેઠળ હોઊં, મગજના જ્ઞાનતંતુઓની નબળાઈ કે અલ્પ મતિ હોઉં તો જ અન્ય ને નક્કી કરવાનુ કહી શકાય. બાકી તો દરેક વ્યક્તિને અસ્વસ્થ્તા નો અહેસાસ થાય તેવી વ્યવસ્થા કુદરતે કરી જ છે. આવું જ હું આસ્તિક છું કે નાસ્તિક છું તે દરેક વ્યક્તિ પોતે સમજી શકે તેવી વ્યવસ્થા કુદરતે કરેલ છે. અહીં બુધ્ધ પુરુષો સિવાય કોઈ આસ્તિક ન હોઈ શકે. ઈશ્વરને માનવાવાળા કે ઈશ્વરને ન માનવાવાળા એ બન્નેમાં કોઈ બુનિયાદી ભેદ નથી. તમારી ભાષામાં કહું તો બન્નેની બ્રેઈન સર્કીટ એકજ છે. માનવું એ રોગ છે. શું માનવુ ને શું ન માનવું એનુ કોઈ મહત્વ નથી. એટલે જ ઓશો હંમેશા કહેતા’માનો મત જાનો”. પરંતુ જાણવામાં શ્રમ કે તપ છે અને આપણે પ્રમાદી જીવો આ શ્રમ નથી કરવા માંગતા એટલે, આ કે પેલું તરત માની લઈએ છીએ. ઘણા ઓશો સન્યાસીને મેં જોયા છે જે પહેલાં મહાવીર કે કૃષ્ણને માનતા હવે ઓશોને માને છે. તમે જરા ઓશો વિષે ઘસાતુ બોલો કે તેમને મરચાં લાગી જાય. બુધ્ધપુરુષો ગમે તે ભાષામાં કહે પણ આપણે એટલું જ સમજીએ છીએ જેટલું આપણે સમજવું હોય છે અને જીવનની એક બહુમુલ્ય તક ચુકી જઈએ છીએ.
    આપ લખો છો કે”વિવેકાનંદ કહેતા કે જેને પોતાનામાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે” વિવેકાનંદની વાત સોટકા સાચી છે. પરંતુ નથી આપણને પોતાનો (સ્વ) બોધ કે નથી શ્રધ્ધા શું છે તેની ખબર. જરા ભિતર જોઈએ તો સમજાઈ જશે કે આપણે જેને હું કે પોતાની જાત સમજીએ છીએ તે અસલી ‘હું’ નહી પરતું નકલી ‘હું’નુ ટોળું છે. જેમ કે મારા માટૅ હું એટલે શરદ, હું એટલે પુરુષ, હું એટલે ઓશોનો સન્યાસી, હું એટલે કનસલટન્ટ, હું એટલે બ્રાહ્મણ, હું એટલે દિકરા સામે બાપ અને પત્ની સામે પતિ. આ અને આવા અનેક ‘હું’નુ જે મારી ભિતર ટોળું છે તે બધા નકલી ‘હું’ છે. જ્યાં સુધી આપણને અસલી હું ની ઓળખ નથી ત્યાં સુધી પોતાની જાતને ન તો ઓળખી શકાય કે ન તો તેની ઉપર શ્રધ્ધા કરી શકાય. અને શ્રધ્ધા કોઈ વસ્તુને માની લેવાનુ નામ નથી શ્રધ્ધા તો સ્વબોધના પરિણામે ખિલેલું ફુલ છે જે પ્રેમની સુંગંધથી ભરેલ છે. અને એ સુંગંધ કોઈ ઈશ્વર પ્રતિ કે વ્યકતિપ્રતિ નથી હોતી બસ એ પ્રસરે છે અને જે કોઈ એની પાસે આવે તેને સુંગંધથી તરબતર કરી દે છે.
    બીજું આપ લખો છે,” પ્રાર્થના ક્યાં અને ક્યારે હોય? જ્યાં ફરિયાદ હોય ત્યાં પ્રાર્થના હોય.” મારી સમજ છે કે જ્યારે બધી ફરિયાદો જ્યારે શમી જાય છે અને ચિત્ત ફરિયાદ રહીત બને છે ત્યારે એક અહોભાવ ઊઠે છે એનુ નામ છે પ્રાર્થના. પરંતુ બેહોશ માણસને પ્રાર્થનાનો કોઈ અનુભવ નથી અને પ્રાર્થના જેવા બહુમુલ્ય ભાવને તે ભિખ સમજે છે આથી વધુ અવમુલ્યન બીજું શું હોઈ શકે? આ અને આવા અનેક બુધ્ધપુરુષોએ ઊચ્ચારેલા શબ્દો અને કથનોનુ આપણે એટલી હદસુધી અવમુલ્યન કરી નાંખ્યું છે કે હવે તેના અસલી અર્થ જ ખોવાઈ ગયા છે અને આ અવમુલ્યીત અર્થજ આપણી સમજ છે અને આપણા લોહીમાં એવા વણાઈ ગયા છે કે હવે અસલી અર્થ સાંભળવા પણ આપણે તૈયાર નથી અને તેની ઉપર વાદ-વિવાદ કરી અહમ તૃપ્તિનો રસ લઈએ છીએ.
    મને ખબર નથી મારી વાતને તમે કયા પરિપ્રેક્ષ્યમાં મુલવશો પરંતુ કોઈ અગમ્ય શક્તિ લખાવી રહી છે.
    પ્રભુશ્રીના આશિષ,
    શરદ.

    Like

    1. ઘણા મહાત્માઓ અકારણ લોકોને મુર્ખ, બેહોશ, ડ્રગ લીધેલા, ક્ષુદ્ર જંતુ સમજી અકારણ કરુણા વહેવડાવે રાખતા હોય છે.

      Like

  14. અહી નરસિંહ મહેતાએ સરળ શબ્દોમાં ઉદાહરણ સાથે સુખ દુઃખ ની વ્યાખ્યા આસ્તીકો અને નાસ્તીકો માટે આપીછે.

    સુખ દુઃખ મનમાં ન લાવીએ, ઘટ સાથે છે ઘડીયાં,
    ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં ઘડીયાં…. સુખ દુઃખ મનમાં…
    હરીચંદ્ર રાજા સતવાદી, જેની તારા લોચન રાણી,
    વિ૫ત્ત બહુ ૫ડી, ભરીયાં નીચ ઘેર પાણી…. સુખ દુઃખ મનમાં…
    નળ રે રાજા સરખો નર નહી, જેને દમંયત્તી નારી,
    અડધા વસ્‍ત્રે વન ભોગવ્‍યાં, ના મળે અન્ન કે પાણી….સુખ દુઃખ મનમાં…
    પાંચ રે પાંડવ સરખા બાંધવા, જેને દ્રો૫દી રાણી,
    બાર રે વરસ વન ભોગવ્‍યાં, નયને નિદ્રા ના આણી….સુખ દુઃખ મનમાં…
    સીતા રે સરખી સતી નહી, જેના રામજી સ્‍વામી,
    તેને તો રાવણ હરી ગયો, સતી મહા દુઃખ પામી…. સુખ દુઃખ મનમાં…
    રાવણ સરખો રાજવી, જેને મંદોદરી રાણી,
    દશ મસ્તક તો છેદાઇ ગયાં,બધી લંકા લૂટાણી…. સુખ દુઃખ મનમાં…
    શિવજી સરીખા સતવાદી, જેને પાર્વતી નારી,
    ભિલડીએ તેમને ભોડવીયા, ત૫માં ખામી કહેવાણી….સુખ દુઃખ મનમાં…
    સર્વે દેવોને જ્યારે ભીડ ૫ડી, સમર્યા અંતર્યામી,
    ભાવટ ભાંગી ભૂદરે, મહેતા નરસિંહના સ્‍વામી…. સુખ દુઃખ મનમા

    Like

    1. Intresting Kavita. Summery of this Kavita leads to one thing….. female (Woman). Everyone of them had Raani or Stri in life and they all paid price for it!!!!

      Juast a Observation… please do not get mad or upset at me.

      Like

  15. ભગવાનમાં માનવું બહુ સરળ છે, સહેલું છે, એમાં કોઈ બુદ્ધીની કે હીમ્મતની જરુર નથી હોતી. પણ ભગવાનમાં માન્યા વગર જીવવું એમાં દીલ અને દીમાગની ઠંડી તાકાત જોઈએ. ભગવાનમાં માનીને જીવનાર માટે ભગવાન એક બહુ મોટો સહારો છે. એવા સહારા વગર જીવવા માટે દૃઢ મનોબળ જોઈએ; કારણ જે પણ કરીએ અને ભોગવીએ તેની તમામ જવાબદારી જાતે ઉઠાવવાની હોય છે. very good article and this paragraph.

    Like

  16. પ્રિય ભુપેન્દ્ર ભાઈ
    તમારી વાત સમજવા જેવી છે .આવા વૈજ્ઞાનિક યુગમાં હજી પણ લોકો ભયંકર અંધ શ્રદ્ધા માં જીવે છે .અને એને લીધે કહેવાતા ધર્મ ગુરુઓ માલામાલ થઇ ગયા છે .અને બહુમતી લોકોને આવા ધર્મ ગુરુઓની વાતો બહુ ગમતી હોય છે .ઇસુ ખ્રિસ્ત થી આશરે 600 વરસ પહેલાં ભારતમાં એક બૃહસ્પતિ નામનો સુધારક થઇ ગયો . તેની લખેલી “ચાર્વાક દર્શન ” બુક ધર્મ જ્નુંની લોકોએ બાળી નાખી અને એને પણ મારી નાખવામાં આવ્યો . ચાર્વાક બુકનું એકાદું પાનું બચી ગયું .તેમાં લખ્યા મુજબ સ્વર્ગ ,નર્ક નથી .પુનર્જન્મ નથી .ચેતનવંતા શરીરથી ભિન્ન આત્મા નથી .પાપ અને પુણ્ય પણ નથી .એ બધા મનના કારણ છે . માંસ એ મનુષ્યનો ખોરાક નથી . ભારતના જુદા જુદા ઋષિઓએ લખેલા છ શાસ્ત્રો વિશ્વનીય નથી . ફક્ત માણસની બુદ્ધિજ વિશ્વાસ કરવા યોગ્ય છે .
    ટીલાં ટપકાં કરનાર વ્યક્તિ , લોકોને જેવું તેવું ઉટ પટાંગ સમજાવી પોતાની આજીવિકા રળનારા હોય છે . જેનામાં બુદ્ધિ કે પુરુષાર્થનો અભાવ છે .એવા લોકો ટીલાં ટપકાં નો દેખાડો કરે છે .
    ઘણે ભાગે 1945ની સાલમાં મને એક ઉર્દુ બુક વાંચવા મળેલી તેમાં એક પાઠ બૃહસ્પતિ વિશેનો હતો .
    આતાવાણીમાં બ્લોગમાં પ્રથમજ પાને હિન્દીમાં સુરેશ જાની એ બૃહસ્પતિ નું થોડુક લખાણ લખ્યું છે . એ વાંચી જવા કૃપા કરશો એમાં અક્ષરો હિન્દી છે પણ ભાષા ઉર્દુ છે .

    Like

Leave a comment