પરીવર્તન

–મુરજી ગડા

છેલ્લા એક દાયકામાં આપણી જીવનશૈલીમાં જેટલું પરીવર્તન આવ્યું છે એટલું, એનાથી આગલા પાંચ દાયકાઓમાં માંડ આવ્યું હશે. આ નીવેદન માત્ર આજને લાગુ નથી પડતું; પણ છેલ્લાં 60 વર્ષના દરેક દાયકા માટે પણ એટલુ જ લાગુ પડે છે. વીશેષમાં આ ચક્રમાં આપણે એકલા નથી; સારી દુનીયા ઝડપથી બદલાતી જીવનશૈલીમાંથી પસાર થઈ રહી છે.

આપણા માટે શું બદલાયું છે એના પર એક ઉડતી નજર કરીએ. છેલ્લાં 60 વર્ષમાં ખોરાક બદલાયો, પોષાક બદલાયો, બાળલગ્નો બંધ થયાં, સ્ત્રીઓનાં પુનર્લગ્નો સ્વીકારાયાં, શીક્ષણનું પ્રમાણ વધ્યું, આવરદા વધી, સ્વાસ્થ્ય સુધર્યું, સુખસગવડનાં સાધનો વધ્યાં, ધંધાનાં નવાં ક્ષેત્રો વીકસ્યાં, સંદેશાવ્યવહાર વીકસ્યો, વાહનવ્યવહાર વીકસ્યો, સરેરાશ બધાની આર્થીક પ્રગતી થઈ વગેરે, વગેરે.  આ સુચી ઘણી લાંબી થઈ શકે; પણ લેખનો એ મુખ્ય આશય નથી.  આટલા ફેરફાર તો આના આગલા 500 વરસમાં પણ નહોતા થયા !

આમાંના કેટલાક ફેરફાર સક્રીયપણે કરવામાં આવ્યા છે, જ્યારે મોટાભાગના ફેરફાર દુનીયામાં ચાલતા પરીવર્તનના પ્રવાહ સાથે અનાયાસે થતા ગયા છે. આ ઝડપી સામાજીક, સાંસ્કૃતીક, અને આર્થીક પરીવર્તન પાછળનાં સૌથી મોટાં પરીબળ રહ્યાં છે : શહેરીકરણ અને ઘેરબેઠા મળતી માહીતી. પરીવર્તન મોટાં શહેરોથી શરુ થાય છે. ત્યાં રહેતા અને આપણાથી અલગ જીવનશૈલી ધરાવતા બીજા લોકોના સમ્પર્કમાં આવવાથી, આપણને વાજબી લાગતી અને અનુકુળ આવતી જીવનશૈલી આપણે અપનાવીએ છીએ. સાથેસાથે પરીવર્તનનો વીરોધ કરતાં પરીબળોનો અંકુશ પણ શહેરોમાં ઢીલો હોય છે. જે લોકો ગામડાંઓમાં રહે છે, એમના માટે સ્વતંત્રતા અને આબાદી ઘણા ધીમાં રહ્યા છે.

પરીવર્તન તો હંમેશાં થતું રહ્યું છે. વખતોવખત એની ગતી ઓછી કે વધુ થાય છે. અત્યારના આ ઝડપી પરીવર્તનના સમયમાં બધાં જ ક્ષેત્રો ઝડપથી બદલાઈ રહ્યાં છે. પરીવર્તનનું આ વાવાઝોડું ધીમું પડવાના હાલ કોઈ એંધાણ દેખાતાં નથી. ઉલટાનું તે વેગ પકડી રહ્યું છે. આ વેગ જ્યારે પણ ધીમો પડશે, ત્યાં સુધી ઘણું બધું બદલાઈ ગયું હશે.

બીજી બધી વાતમાં ભવીષ્ય ભાખનારા જ્યોતીષીઓ આ પરીવર્તનના ભાવી વીશે કંઈ કહેતા નથી. આપણે તો આપણી કલ્પના દોડાવી શકીએ છીએ.

ભુતકાળમાં ધાર્મીક અને રાજકીય વીચારધારા આધારીત પરીવર્તનોએ લોકોને વીભાજીત કર્યા છે. વર્તમાનનું પરીવર્તન પહેલાં કરતાં જુદું છે. એની દીશા અને ધ્યેય દુનીયાના એકીકરણ તરફ છે. એ કેટલે અંશે સફળ થશે અને ક્યાં અટકશે એ તો સમય જ બતાવશે. જે વીચારધારા પ્રબળ હશે, જેનું માર્કેટીંગ જોરદાર હશે તેનું વર્ચસ્વ રહેશે.

રાજકીય ક્ષેત્રે થતાં પરીવર્તનોમાં; ગુલામી નાબુદ થઈ છે, બઘે જ ધીરે ધીરે લોકશાહી પ્રસરી રહી છે, યુરોપમાં રાષ્ટ્રીય સરહદોનું મહત્ત્વ ઝાંખુ થયું છે. બધે જ ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે, વગેરે. આઝાદી વખતે ભારતની 10% વસ્તી એટલે માત્ર 3–4 કરોડ લોકો શહેરોમાં રહેતા હતા. આજે 30% એટલે કે 35–40 કરોડ લોકો શહેરોમાં રહે છે. આવતાં પચાસ વરસમાં ભારત સહીત બધા દેશોની અડધી વસતી શહેરોમાં રહેતી હશે.

સાંસ્કૃતીક ક્ષેત્રે આવા એકીકરણમાં પુરુષોનો પોષાક મોખરે રહ્યો છે. એક જ પોષાક ધંધાદારી દુનીયામાં સર્વમાન્ય થઈ રહ્યો છે. પ્રાદેશીક પોષાકો હવે પ્રસંગોપાત્ત વપરાશના રહ્યા છે. મુખ્ય ધંધાકીય અને ટૅક્નીકલ ભાષા તરીકે અંગ્રેજી સર્વત્ર સ્વીકારાઈ રહી છે. સંગીત, નૃત્ય અને ખોરાકમાં એકીકરણ (ફ્યુઝન) થઈ એક નવું જ સ્વરુપ ઉભરાવા લાગ્યું છે. બીજાં ક્ષેત્રો પણ થોડા સમયમાં આંબી આવશે.

પ્રવાસ સહેલો અને ઝડપી બન્યો છે. લોકોનું સ્થળાન્તર અને દેશાન્તર વધ્યું છે. પરીણામે યુવા પેઢીમાં રંગભેદ, જાતીભેદ ઓછા થઈ આન્તરજાતીય અને આન્તરધર્મીય લગ્નો વધી રહ્યાં છે. આખી દુનીયાની માહીતી અને જ્ઞાન ઘેરબેઠા ઈન્ટરનેટ પર મળી શકે છે. મોબાઈલ દ્વારા ગમે ત્યાંથી સતત સમ્પર્કમાં રહી શકાય છે.

ભુતકાળમાં ઘણી સંસ્કૃતીઓ, જાતીઓ, ભાષાઓ વગેરે લુપ્ત થઈ છે જેની પાછળ કુદરતી ઘટનાઓ કે પછી આક્રમણકારોના હુમલા જવાબદાર હતા. આ વખતે જે કાંઈપણ લુપ્ત થશે તે લોકોએ સ્વેચ્છાએ છોડી દીધેલ હશે.

પરીવર્તનના આટલા જોરદાર પ્રવાહમાં હજી પણ બે ક્ષેત્રોમાં કોઈ પરીવર્તન દેખાતું નથી. એક છે આર્થીક ક્ષેત્ર. આર્થીક અસમાનતા માણસની મુળભુત પ્રકૃતી સાથે વણાયેલી છે. કોઈકે આ વાત સરસ રીતે સમજાવી છે. ‘જો દુનીયાની બધી સમ્પત્તી લોકોમાં સરખે ભાગે વહેંચવામાં આવે તો પણ બે ત્રણ વરસમાં જ ગરીબ લોકો પાછા ગરીબ થઈ જશે અને મોટા ભાગની સમ્પત્તી ઉપલા દસ ટકા લોકોના હાથમાં ભેગી થઈ જશે.’ મોટા ભાગના લોકોને પૈસા સાચવતા નથી આવડતા. ગરીબી માટે બાહ્ય કારણોની સાથે ગરીબોની પોતાની અંગત મનોવૃત્તી પણ જવાબદાર હોય છે. સામ્યવાદી દેશોએ આર્થીક સમાનતા લાવવાનો અખતરો કરી જોયો અને નીષ્ફળ ગયા.

પરીવર્તનનું બીજું વીરોધી ક્ષેત્ર છે ધાર્મીક માન્યતાઓ અને અન્ધશ્રદ્ધા. આમ તો ધાર્મીક વીચારધારાઓમાં પણ અંદરથી પરીવર્તન થયા છે. દરેક મુખ્ય ધર્મના અનેક ફાંટા અને પંથ એના પુરાવા છે. ધર્મગુરુઓ વચ્ચે અર્થઘટનના મતભેદ કે પછી અંગત પ્રતીષ્ઠા અને અનુયાયીઓ પર અંકુશ રાખવાની વૃત્તીથી એ થયું છે. આ બધાં પરીવર્તન ઉપરછલ્લાં હોઈ એનાથી અન્ધશ્રદ્ધા અને જડતા ઘટવાને બદલે વધી છે.

ચીલાચાલુ ઘરેડમાં જ ધર્મને જોવાનો અને કાલ્પનીક ભુતકાળની વાતો વાગોળવાનો અફીણીયો ધર્મપ્રચાર લોકોનું ઘેન વધારે છે. જ્યારે પ્રજા અશીક્ષીત હતી ત્યારે એને જે કહેવામાં આવતું તે સ્વીકારી લેતી. હવે શીક્ષણ અને માહીતીના સ્રોત વધ્યા છે. નજર સામે જે નવું આવે છે તેનો સ્વીકાર જરુરી છે. ધાર્મીક કથન અને જમીની વાસ્તવીકતામાં જે અંતર છે તેનું નીરાકરણ કરવાની જાગૃતી, હીમ્મત અને પહેલ ભક્તગણ તરફથી થવી જરુરી છે.  આવું કરવાનું ધર્મગુરુઓના હીતમાં ન હોવાથી તેઓ પહેલ નહીં કરે; બલકે આનો વીરોધ કરે તે શક્ય છે.

કુદરતી વાવાઝોડા સામે જે ઝુકતું નથી તે મોટાભાગે સમુળગું નાશ પામે છે. પરીવર્તનના આ જબરદસ્ત વાવાઝોડા સામે જડ અન્ધશ્રદ્ધાઓ અને અજ્ઞાન ટકી રહેશે, ઝુકશે કે સમુળગું નાશ પામશે તે તો સમય જ બતાવશે.

આ હતી માનવસર્જીત પરીવર્તનની વાતો. પરીવર્તન તો કુદરતનો અવીરત ક્રમ રહ્યો છે. કુદરતમાં બધું સતત બદલાયા કરે છે. એની ગતી આપણી સમયગણના પ્રમાણે ખુબ જ ધીમી હોવાથી આપણે તે અનુભવી શકતા નથી. કુદરતી પરીબળોથી પૃથ્વી પરની જીવસૃષ્ટીમાં થતા પરીવર્તનને ઉત્ક્રાંતી કહે છે અને એના સીદ્ધાંતોને ઉત્ક્રાન્તીવાદ. આ વીષયની ઉંડાણપુર્વકની ચર્ચા ‘ઉત્ક્રાંતી’ લેખમાં કરવામાં આવી છે.

બધાં જ પરીવર્તન સારાં કે આવકારદાયક નથી હોતાં. કેટલાંક વીનાશક પણ હોય છે. માનવ જાતીનો અતીશય વસતીવધારો, જંગલોનો નાશ, મર્યાદીત કુદરતી સમ્પત્તી સામે આપણી વધતી જરુરીયાતો, વાતાવરણનું પ્રદુષણ વગેરે દ્વારા આપણે કુદરતના નાજુક સમતોલનને છેડ્યું છે. એનાં પરીણામો ક્યારે અને કેવા આવશે એ ચોક્કસપણે કોઈ કહી શકે એમ નથી. એટલું તો ચોક્કસ છે કે તે સારાં તો નહીં જ હોય.

ભુતકાળમાં કુદરતી કારણોસર સંસ્કૃતીઓનો નાશ થયો છે. આજે પણ એવું થઈ શકે છે. કોઈ નવી જાતના બેક્ટેરીયા કે વાયરસ મોટી સંખ્યામાં માનવવસતીને ખતમ કરી શકે છે. (ખતરનાક ઈબોલા આજકાલ ચર્ચામાં છે.) ગીચ વસ્તીવાળા પ્રદેશમાં મોટો ઉલ્કાપાત, ભુકમ્પ કે સુનામી ઘણી તારાજી સર્જી શકે તેના અનુભવ તાજા જ છે. વાયુ પ્રદુષણને લીધે વધતું ઉષ્ણતામાન ધ્રુવ પ્રદેશના બરફને ઓગાળી દરીયા કાંઠાનાં શહેરોને ડુબાડી શકે છે. આ ફક્ત કલ્પનાઓ નથી; પણ વાસ્તવીક શક્યતાઓ છે.

પરીવર્તન એ કુદરતનો અફર નીયમ છે. આપણે ઈચ્છીએ કે નહીં એથી કુદરતને કોઈ ફરક પડતો નથી. આપણે જે પરીવર્તનો કરી રહ્યા છીએ તેના ફાયદા આપણને જ મળવાના છે અને સાથે એનાં માઠાં પરીણામ પણ આપણે જ ભોગવવાનાં છે.

–મુરજી ગડા

લેખક સમ્પર્ક:  

શ્રી. મુરજી ગડા,  1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન: 972 679 9009 મેલ: mggada@gmail.com

અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તીઈ.બુક્સ મારા બ્લોગના મથાળે  ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને  govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

  રૅશનલવાચનયાત્રા માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. (હાલ અમેરીકાના પ્રવાસે) ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ: 24/10/2014

 

14 Comments

  1. Happy Diwali & Happy New Year…Vikram Samvat..2071.
    It is said that, ” Culture is not static for any group of people.” અને મુરજી ગડા સાહેબે જે કાંઇ લખ્યુ, કહ્યુ તે ૧૦૦ ટકા સત્ય છે.

    Like

  2. Happy Diwali & happy new year to all readers & writers of this blog
    Murji Bhai khub saras lekh
    Sathe andhshraddhalu lokoe e pan vicharvu joiye ke darek dharma guruo tola aagal bolta hoi chhe ke parivartan hi sansar ka niyam hai pan teo pote parivartan shil thaya chhe ( tv phone internet hawaimusafari car vagere darek navi sodh no teo upyog Kare chhe ) ane gheta o ne ej sadio purani satyanarayan / santoshima/ sol somvar/ vaibhav Lakshmi / jevi anek kathao vrato vagere mathi nikalvani salah aapta nathi ane garibo ni paristhiti mate teo ni abhanta ane abhanta ne lidhe faleli andhshraddha javabdar chhe.

    Like

  3. પુરુષોના પોષાકનો ઉલ્લેખ કર્યો છે તે તો બરાબર છે જ, પણ છેલ્લા એક દાયકામાં ભારતનાં શહેરોમાં સ્ત્રીઓના પોષાકમાં પણ બહ જ મોટો ફેરફાર થયો છે. સ્ત્રીઓનાં વસ્ત્રો સામાજિક ક્ષેત્રમાં આવેલા પરિવર્તનનો ખરો સંકેત આપે છે.

    Like

  4. પરિવર્તન લોકો જાતેજ કરી શકશે કોઈ પ્રકારની ધાર્મિક માન્યતાઓ માં પરી વર્તન કોઈ બહારનો નહિ કરે પોતે જાતેજ કરી નાખશે .

    Like

  5. ઉલ્કાપાત, ભુકંપ, સુનામી, બેકટરીયા, વાઈરસ, ઠંડી, ગરમીના પરીવર્તનની અસર તો થવાની છે. પૃથ્વી પર ડાયનાસોર વીચરતા હતા અને ગાયબ થઈ ગયા.

    મુરબ્બી મુરજીભાઈએ સંદેશા વાહનવ્યવહારથી જબરું પરીવર્તન બરોબર લખ્યું છે. આર્થીક અને ધર્મક્ષેત્ર પરીવર્તનમાં ધીમી ગતી લખેલ છે.

    ગરીબાઈ જોઈને ગાંધીજીએ ટુંકી પોતડી વાપરવાનું શરું કર્યું. એ હીસાબે સ્ત્રી પુરુષના પહેરવેશમાં ઘણોં પરીવર્તન થયેલ છે. જર્મનીમાં ૨૦૦ વરસથી ગામડું શું છે એ ખબર નથી.

    મુંબઈ, અલીબાગ, દહાણું એક શહેર બની ૧૫ થી ૩૫ કરોડ વસ્તી થવાની છે. ભાષાવાદ, પ્રાંતવાદ અને કોમવાદીઓના પેટમાં ચુંક ઉપડવાની શરુ થઈ ગઈ છે. રાજ્સ્થાન, બીહાર, યુપી, બંગાળ, આંધ્ર ઓરીસ્સા, કેરળથી ઘણાં નાગરીકો ટ્રેનમાં બેસી મહાનગરી મુંબઈમાં આવવાના છે. બધાનું સ્વાગત કરવામાં આવશે. પાણી, સંદેશ, વાહનવ્યવહાર, શીક્ષણ અને આવકની અફલાતુન સગવડ આ નાગરીકોને મળશે. મારા જેવા થોડીક ધાર્મીક વીધી કરશે અને બધા સમૃદ્ધ થઈ જશે.. મુરજીભાઈ અને ગોવીન્દભાઈ આ પરીવર્તન નજીકના સમયમાં જોઇ શકશે…

    Like

  6. જેમ જેમ શારીરીક પ્રતીકો (પાઘડી,ધાર્મીક બીયર્ડ,તીલક ,ટોપી ) અદ્રશ્ય થશે તેમ તેમ આધુનીકતા આવશે. શું, સમાન ધ્વન્યાત્મક અક્ષર ધ્વનિમાય પણ જટીલ લીપીઓથી વીભાજીત ભારત ગુજનાગરી કે રોમન લીપી અપનાવશે ?ગુજરાતીઓ ભાષા માર્કેટીંગમાં મંદ કેમ છે ? ગુજરાતમાં હીન્દી રાજ્યોની જેમ ધ્વીલીપી શીક્ષણ માધ્યમ કેમ ન થઇ શકે?

    આઓ મીલકર સંકલ્પ કરે,જન-જન તક ગુજનાગરી લીપી પહુચાએંગે,
    સીખ, બોલ, લીખ કર કે,
    ગુજરાતી કા માન બઢાએંગે.
    ઔર ભાષા કી સરલતા દીખાયેંગે .
    બોલો હીન્દી લેકીન લીખો સર્વ શ્રેષ્ટ નુક્તા / શીરોરેખા મુક્ત ગુજનાગરી લીપીમેં !
    ક્યા દેવનાગરી કા વર્તમાનરૂપ ગુજનાગરી નહીં હૈ ?

    Like

  7. Govindbhai,
    It is the NEW YEAR today.
    Best Wishes to All.
    Murajibhai’s Lekh read.
    There is a NICE SOCIAL MESSAGE.
    I do not want others to think that there is NO DIVINE.
    ANDHSHRADHDHA is the the HUMAN CREATION.
    The SANATAN SATYA is that the DIVINE IS PRESENT NOW, WAS PRESENT IN THE PAST & WILL BE PRESENT in the FUTURE.
    We as the HUMANS must perform KARMO with the HUMANITY intact within us.
    By God’s GRACE & with his INSPIRATION, I share a POEM(which will be a FUTURE Post on my Blog)>>>
    નવયુગે પરિવર્તન !
    નવયુગે પરિવર્તન નિહાળી આનંદ માણો,
    પરિવર્તન તો એક કુદરતી નિયમ છે એવું જાણો,
    જે આજે છે તેમાં પણ બદલાવ જરૂર હશે,
    જે કાલે હશે તે પણ કદી ના કાયમ રહે !………….(૧)
    નવયુગે, પોષાક અને ખોરાક બદલાયો,
    બાળલગ્ન બંધ અને પુનર્લગ્નનો સ્વીકાર થયો,
    વધુ શિક્ષણ પ્રાપ્તી સાથે આવરદા સૌની વધી,
    સુખ-સગવડોના સાધનો સાથે જીવનમાં ખુશીઓ વધી !…….(૨)
    પણ….
    સામાજીક છેત્રે, ગરીબાય નાબુદ ના થઈ,
    ધાર્મીક છેત્રે, અંધશ્રધ્ધાઓ પણ નાબુદ ના થઈ,
    દુઃખ એનું, હૈયે વહી રહે એનું જ આજે ચંદ્ર કહે,
    આવા દુઃખ હટાવવા માટે ચંદ્ર આજે સાહસ કરે !…………..(૩)
    ધર્મ છે માનવીઓની માનવતાનો પાકો પાયો,
    ધર્મના નામે અંધશ્રધ્ધાનો આધાર જ ખોટો પાયો,
    કુદરતમાં જો જનસેવાનો સમાવેશ કદી થાય,
    ત્યારે, અંધશ્રધ્ધાઓ નાબુદ,’ને માનવતા જ જાગૃત થાય ……..(૪)
    આજે કે કાલે માનવીઓ ભલે પરિવર્તન પ્રમાણે કરે,
    પણ, કુદરતને કદી ના એ ભુલે કે ભુલી શકે,
    એવા પંથે, સેવાના સુત્રે જ્યારે માનવીઓ રહે,
    ત્યારે, ગરીબાય હટાવવા માનવ-પ્રયાસો રહે !………………..(૪)
    એથી, અંતે ચંદ્ર સૌને કહેઃ
    “માનવતાનો પ્રથમ સ્વીકાર કરો,
    એવા સ્વીકાર સાથે જનસેવાને જોડો,
    સેવા કરતા, માનવીઓમાં જ પ્રભુના દર્શન કરો,
    તો… નાસ્તિક કે આસ્તિક શબ્દો જગમાં ના રહે,
    ફક્ત માનવતાભર્યા જગમાં રહે !
    કાવ્ય રચના ઃ તારીખ, ઓક્ટોબર,૨૪,૨૦૧૪ ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    Inviting MURAJIBHAI & others to my Blog Chandrapukar !

    Liked by 1 person

  8. પરિવર્તન સમયે સમયે થયા કરે છે અને ઘણી ઝડપે થયા કરે છે .

    વિશ્વ આજે ખુબ નજીક આવી ગયું છે, વિશ્વ ગ્રામ બન્યું છે .

    આધુનિક ટેકનોલોજી ની અસર દરેક ક્ષેત્રમાં આજે દેખાય છે.

    આ લેખમાં શ્રી મુરજીભાઈએ પરીવર્તનના અગત્યના વિષયમાં સુંદર મનનીય

    વિચારો રજુ કર્યા છે .

    Like

  9. Parivartan ye sikka ne be bajoo o baraabar chhe……. Any changes will bring challanges in life. With challanges, it will have benefit as well as consquances.We must except both to except Changes.

    Like

  10. સમતોલન વિચારો સહિતનો ખુબ જ સુંદર લેખ
    બીજા આવા લેખોની અપેક્ષા.
    લેખક અને વાચક મિત્રોને નુતન વર્ષાભીનંદન સહિત હાર્દિક શુભેચ્છાઓ.

    Like

  11. ‘गं गच्छति इति जगत्’ જે જાય છે (બદલાયા કરે છે) તે જગત એવી તે શબ્દની વ્યુત્પત્તિ છે જેમાં તે પરીવર્તન પામ્યા કરતુ હોવાનો ભાવાર્થ તેમ જ સુચિતાર્થ સમાયો છે. અને તેથી જ ‘બ્રહ્મં સત્યં જગન્મીથ્યા’ કહેવાયું છે.

    Like

Leave a comment