શ્રી સત્યનારાયણની કથા

–હરનીશ જાની

આ કથા સત્યનારાયણની નથી; પરન્તુ મારી, ‘સત્યનારાયણદાસ’ ઉર્ફે ‘ભોગીલાલ કઠીયારા’ની છે. અમેરીકાનું જીવન જ એવું છે ને કે સામાન્ય જીવની વાર્તા પણ કથામાં પરીણમે. વળી, આ કથાનું અનુસન્ધાન મારા ધન્ધાના વીકાસ સાથે છે. અમેરીકાના હીન્દુ ધર્મનો ઈતીહાસ પણ એમાં સમાયેલો છે.

અમેરીકામાં હું તે જમાનામાં આવ્યો હતો કે જ્યારે ન્યુ યોર્કમાં ફીફ્થ એવન્યુ પર સાડી પહેરીને જતી ભારતીય સ્ત્રીને અમેરીકન લોકો ફોટો પાડવા ઉભી રાખતા. તે વખતે ન્યુયોર્કમાં ઈન્ડીયન ગ્રોસરી સ્ટોર્સમાં લેડીઝને ખાવાનો ગુન્દર, અમૃતાંજન બામ કે પાર્લેનાં બીસ્કીટ નહોતાં મળતાં. અરે ! ગ્રોસરી સ્ટોર્સ જ નહોતાં. ત્યારે મન્દીરો તો ક્યાંથી હોય ?

હું ભોગીલાલ કઠીયારા, બી.કૉમ.ની ડીગ્રી પર ગ્રીન કાર્ડ લઈને અમેરીકા આવી ગયો હતો. નોકરી મળતી નહોતી. ન્યુયોર્કમાં ‘સીક્સ હન્ડ્રેડ વેસ્ટ’માં રહેતા બધા કોલમ્બીયા યુનીવર્સીટીના સ્ટુડન્ટ્સ પાસેથી ઉધાર લઈને થાક્યો હતો. તે ટાણે મને મારો ટ્રાવેલ એજન્ટ યાદ આવતો હતો. મારા ટ્રાવેલ એજન્ટે કહ્યું હતું : ‘ભાઈ કઠીયારા, અમેરીકામાં જો તમે ભણેલા હશો તો સુખી થશો. અને નહીં ભણ્યા હો તો પૈસાવાળા થશો. અને તમે બી.કૉમ થયા છો એટલે પૈસાવાળા થશો.’

તે દીવસથી મેં તેને મારો ગુરુ માન્યો હતો. મારે પણ ભગવાન દત્તાત્રેય જેટલા ગુરુ હતા. વાત એમ છે કે આપણી આગળ ઘણા લોકો સલાહને નામે લવારા કરી જાય છે. જેના લવારા કામ લાગે તેને ગુરુ ગણવા; જેના લવારા કામ ન લાગે તેને દોઢડાહ્યા ગણવા.

ગીતામાં ભગવાને કહ્યું છે કે જ્યારે જીવનમાં અંધકાર લાગે, આજુબાજુ કોઈ આશાનું કીરણ નજરે ન પડે ત્યારે ધર્મને શરણે જવું. તે પ્રમાણે મેં બ્રુકલીનમાં આવેલ હરેકૃષ્ણના મન્દીરનો આશરો લીધો. કામ બહુ સરળ હતું. સવારે શીરાનો બ્રેકફાસ્ટ, બપોરે શીરાપુરી અને સમોસાંનો લંચ અને રાતે શીરાપુરી, સમોસાં અને કઢીભાતનો મહાપ્રસાદમ્. બદલામાં ‘હરે રામ, હરે કૃષ્ણ’ બોલી બોલીને કુદવાનું. શરુઆતમાં આંખ મીંચીને કુદાકા મારવાનું નહોતું ફાવતું; પરન્તુ થોડા સમયમાં જ હું નીષ્ણાત થઈ ગયો હતો. જ્યારે આજુબાજુ ગોરી અમેરીકન છોકરીઓ કુદતી, ત્યારે આંખ ખુલી જતી. આમાં મારે મન ધર્મને કાંઈ લેવાદેવા નહોતી. ધર્મનો ઉપયોગ જીવન ટકાવવા માટે કરવો હતો. બાકી જીવનનો ઉપયોગ ધર્મ માટે વ્યય કરવાનો મારો ઈરાદો હતો જ નહીં. મને તો બીયર પીવાનો પણ શોખ હતો. આ મન્દીરમાં એની તક નહોતી; પરન્તુ ઍરપોર્ટ કે સેન્ટ્રલ પાર્કમાં અમે ફંડફાળો ઉઘરાવવા જતા ત્યારે ગાપચી મારીને હોટડૉગ અને બીયર ઝાપટી લેતો. આ મન્દીરમાં બીજા ભક્તો આંખો બન્ધ કરીને ભગવાનનું ધ્યાન ધરતાં; ત્યારે હું આ દેશમાં – આ નવા દેશમાં કેવી રીતે ટકવું અથવા મારે કયો ધન્ધો કરવો જોઈએ તેનું પ્લાનીંગ કરતો. જીવન ધીમે ધીમે ઠેકાણે પડવા માંડ્યું. ત્યાં એક ચમત્કાર થયો.

એક ગુજરાતી પરીવારને સત્યનારાયણની કથા કહેવા માટે પંડીતની જરુર હતી. તેમને થયું કે આ ‘હરે રામ હરે કૃષ્ણ’ના મન્દીરમાં કોઈક તો હશે જ અને તેઓ સાચા પડ્યા. મન્દીરમાં હું, ભોગીલાલ તેમને મળ્યો. મારા ગામના પાડોશી રણછોડ શુક્લ મને નાનપણથી કહેતા : ‘તક, તૈયારી તે તાલેવાન, મળે કીર્તી ને માનપાન.’ જ્યારે તક આવે અને તક ઝડપવા તૈયાર રહીએ તો પૈસા અને માનપાન મળે. કહેવાની જરુર નથી કે રણછોડ શુક્લને હું ગુરુ માનતો હતો. અમેરીકા આવવા નીકળ્યો ત્યારે રણછોડ શુક્લે મને સુરતાના ‘હરીહર પુસ્તકાલય’ની લખોટા જેવા અક્ષરવાળી ‘શ્રી સત્યનારાણની કથા’ની ચોપડી ભેટ આપી હતી. આમ અમે બ્રાહ્મણ નહીં; પણ રણછોડ શુક્લના પાડોશીને નાતે હું અડધો બ્રાહ્મણ ઈન્ડીયામાં થયેલો. બાકીનો અડધો અમેરીકામાં આવીને થઈ ગયો.

સત્યનારાયણની કથા કહેવામાં મુશ્કેલીઓ બહુ પડી. પુજા કરનાર સ્ત્રી–પુરુષમાંથી જમણી બાજુ કોણ બેસે ત્યાંથી જ મુશ્કેલી ચાલુ થઈ. કંકુ, ચોખા અને ફુલથી વધુ પુજાપાની ગતાગમ મને નહોતી. પૈસા ક્યારે ચડાવવાનું કહેવાનું તેનું પણ જ્ઞાન નહોતું અને એ નબળાઈ તો પોસાય તેમ જ નહોતી. પરન્તુ હરે રામ હરે કૃષ્ણ મન્દીરની ટ્રેનીંગ અહીં કામ લાગી. મારી નૈતીક હીમ્મત વધી ગઈ હતી. મેં વીચાર્યું, આ નવા ઈમીગ્રન્ટ્સમાં કંઈ ભક્તીનો ધોધ વહ્યો જતો નથી. આ તે જ પ્રજા છે જે દેશમાં વરસમાં ભાગ્યે જ એકાદ સત્યનારાયણની કથામાં હાજરી આપે છે. આ એ જ પ્રજા છે કે જે બુટ, ચમ્પલ થેલીમાં મુકીને ભગવાનના મન્દીરમાં આરતી ટાણે અન્દર જવાનું પસન્દ કરે છે. દેશમાં હું એવા બ્રાહ્મણોને જાણું છું કે જેઓ જન્માષ્ટમીને દીવસે કૃષ્ણજન્મની ઘડી માણવા માટે ઍલાર્મ મુકીને સુતા. ઘણા બુદ્ધીવાળા જન્માષ્ટમીની રાતે 9 થી 12 ના શૉમાં ફીલ્મ જોવા જતાં. મેં વીચાર્યું આ નવા ઈમીગ્રન્ટ્સ એમનાં બાળકોને ભક્તીભાવની ગતાગમ થાય અને ધર્મના સંસ્કાર પડે એટલે જ આ પુજાના નામે પાર્ટી કરે છે. બાકી નથી તેઓમાં ધર્મનીષ્ઠા કે નથી તેઓને ધર્મમાં શ્રદ્ધા. જો દીકરો પાસ થાય કે ખોવાયેલું ગ્રીનકાર્ડ મળે તો સત્યનારાયણની પુજા માને.

હવે આ લોકોને માટે મારા કરતાં વધુ લાયકાતવાળા ગુરુની જરુર પણ નહોતી. મારા મોટા ભાગના યજમાન મને કહેતા કે ‘મહારાજ જલદી પતાવજો.’ તેમને ક્યાં ખબર હતી કે મને જ કથા કહેવાનો કંટાળો હતો ? મારી કથા ચાલતી હોય ત્યારે થોડીઘણી વાતો થતી હોય તો તે હું ચાલવા દેતો. પુજા માટે એક વસ્તુની જરુર હોય તો તે લેવા ચાર જણ જાય અને એક જણ વસ્તુ લઈને પાછું આવે. યજમાન દમ્પતીને કથા કહેવડાવ્યાનો અને ભુલથી લીધેલું વ્રત પુરું થયાનો સંતોષ થાય. મને આરતીમાં રસ, બીજાં બધાંને આરતી ક્યારે પુરી થાય એમાં રસ. તેમાં પણ પ્રસાદનો લહાવો જ અલગ. સત્યનારાયણની કથા લખનાર વ્યક્તી પોતે જ જમવામાં નીષ્ણાત હશે. તેથી જ તેણે ખાંડ અને ઘીથી લચપચ યુનીવર્સલ ટેસ્ટવાળી રેસીપી કથામાં જ ઘુસાડી દીધી.

મને મારી મુંઝવણનો ઉકેલ મળી ગયો. મેં જોયું કે ધર્મની લાઈન પકડી રાખીશું તો સુખી અને પૈસાવાળા થઈશું. આહાર, નીદ્રા અને કામ પશુમાં અને મનુષ્યમાં હોય છે. બાકી ધર્મ એ એવી વસ્તુ છે જે મનુષ્યને પશુથી જુદો પાડે છે.

માનવજાત જાણેઅજાણ્યે પાપ કરે છે અને પાપને ધોવા ભગવાનનો ઉપયોગ કરે છે. આપણે ભગવાન પાસે બેઠા હોઈશું તો ન્યાલ થઈ જઈશું. મેં નીર્ણય કર્યો કે મારે આ જ બીઝનેસમાં પડવું. આમાં ધંધાના વીકાસની શક્યતા હતી. આપણા લોકો ‘કૃષ્ણમન્દીર’થી નહીં સંતોષાય. તેમને શ્રીનાથજીનું જુદું મન્દીર જોઈશે. ગોવર્ધનજીના ભક્તને શ્રીનાથજીના મન્દીરમાં ચક્કર આવશે અને રણછોડજીના ભગતનો ગોવર્ધનજીના મન્દીરમાં શ્વાસ રુંધાશે. પછીથી તેમાં જાતજાતનાં માતાજીઓનાં મન્દીર થશે. ગણપતી અને હનુમાનજીને તો જુદા કાઢ્યા ને પછી રામ, લક્ષ્મણ અને સીતાજીના પણ અલગ મન્દીર પાંચ દસ વરસમાં બંધાય તો મને એની નવાઈ નહીં લાગે. આમાં તો બીઝનેસની તકો જ તકો છે. રીસેશનની કોઈ શક્યતા જ નથી. તેથી ઉલટું બહાર રીસેશન થશે તો લોકો મન્દીર તરફ જ દોડશે ! આ ધંધામાં ધર્મસેવા, પ્રભુસેવા, સમાજસેવા જેવી કેટલીય સેવાઓ સમાયેલી છે. આપણા લોકોમાં મને વીશ્વાસ હતો કે તેઓ કોઈ ‘ગેસ્ટહાઉસ’ કે ‘કૉમ્યુનીટી હૉલ’ બાંધીને પૈસાનો વ્યય નહીં કરે; પરન્તુ કોઈ પણ ભગવાનનું મન્દીર બાંધવા અચુક પૈસા આપશે. આપણને એ બેહદ પસન્દ હતું.

હું ભોગીલાલ કઠીયારા, ભગવાન સત્યનારાયણની સેવામાં કમાવા લાગ્યો. કમાણી તદ્દન ટેક્સ ફ્રી; યજમાનને ઘેર સારું જમવાનું; શનીવારની સાંજનો પ્રશ્ન ઉકલી ગયો. સારા સારા લોકોને મળવાનું થાય. કથામાં થોડુંક સંસ્કૃત આવે એવું લોકો પસન્દ કરે. તેથી ‘શાન્તાકારમ્’ અને ‘શ્રીરામચન્દ્ર કૃપાલુ ભજ મન’ ગદ્યમાં બોલી જતો. યજમાન દમ્પતીને પહેલેથી જ કહેતો કે ‘ભગવાનને ક્વાર્ટર ચઢાવવા હોય તો ક્વાર્ટર અને ડૉલર ચઢાવવા હોય તો ડૉલર… પછી જેવી તમારી શ્રદ્ધા.’ યજમાનની ભક્તીને ચેલેન્જ આપો એટલે પૈસા ચઢાવવામાં કચાશ જ ન રહેતી. બેઝીક પુજા કરાવીને લીલાવતી કલાવતીની વાર્તા જ ચાલુ કરી દઉં. પછીથી પાંચ મીનીટની આરતીના ચાલીસ પચાસ ડૉલર તો ખરા જ !

એકે બીજાને કહ્યું, બીજાએ ત્રીજાને કહ્યું… ને આપણી ગાડી ચાલી. શનીવારની સાંજનો નહીં; પરન્તુ રવીવારની બપોરનો પ્રશ્ન પણ ઉકલી ગયો. મારી માંગ વધી ગઈ. ખરી વાત તો એ હતી કે મારે કોઈ કૉમ્પીટીશન જ નહોતી. મારા ધંધાના વીકાસમાં મારું નામ નડતું હતું. આ દુનીયામાં યોગી, ભોગી હોઈ શકે; પણ કોઈ ભોગીથી યોગી ન બનાય. આ લોકો મને ‘સત્યનારાયણવાળા મહારાજ’ કહેતા હતા એટલે સત્યનારાયણ નામ ગમી ગયું. મહારાજ, દેવ, મુની, આચાર્ય ઘણાંયે બીરુદ હતાં તેમાંનું એકેય બીરુદ લઉં તો લોકો શંકા કરે અને ‘ભગવાન’ નામ રાખું તો ઈન્કમટેક્સવાળા પાછળ પડે. આમ વીચારીને ‘દાસ’ રાખ્યું. ‘સત્યનારાયણદાસ.’ સીધે સીધું નામ; વહેમ ન પડે તેવું સાદું નામ. મે ‘ૐ’ વાળા બીઝનેસ કાર્ડ પણ છપાવી દીધા. આપણા લોકોનો સ્વભાવ જાણું એટલે ‘એઈટ હંડ્રેડ’ વાળો ફ્રી ટેલીફોન નમ્બર રાખ્યો. હરીહર પુસ્તકાલયની જાતજાતની વીધીનાં પુસ્તકો પણ મંગાવી લીધાં. નવી દુકાનનું ઉદ્ધાટન, બાબરી ઉતારવાનો વીધી, ઘરનું વાસ્તુ અને નવી ઈમીગ્રન્ટ સ્ત્રીઓનાં સીમંત વીધી પણ કરાવવા લાગ્યો. આ ધંધામાં લાયસન્સ જેવું એક લાલ ટીલું પણ કપાળ પર કરવા લાગ્યો.

તમને એક વાત કરવાની રહી ગઈ. મને આરતીનો ચસ્કો લાગ્યો હતો કે ઉપરના દરેક પ્રસંગે અચુક આરતી કરાવતો… ને આવેલા મહેમાનો પાસેથી ટેક્સ ઉઘરાવી લેતો. આપણે ખોટું અભીમાન નથી કરતા; પરન્તુ એન્જીનીયર કરતાં તો વધુ કમાતા જ હતા. રોલ્સ રોઈઝ વસાવવાની હોંશ નહોતી; પણ લીન્કન તો લગાવવી જ હતી. ઘણી વાર વીચાર આવતો કે માંસ–મટન ખાઉં છું, બીયર પીઉં છું તે સારું ન કહેવાય. પણ વળી પાછો બીજો વીચાર આવતો કે હું તો નીમીત્ત માત્ર છું. બીચારા લોકો એમની જાતે પાપ કરે છે અને એમની જાતે આ પ્રભુભક્તીનું શુભકાર્ય કરી પાપમાથી મુક્તી મેળવે છે. તે સાથે મારા હેમબર્ગર અને બીયરને શી લેવાદેવા ? બાકી મારું પ્લાનીંગ બરાબર જ હતું. એક આર્ષદ્રષ્ટાના વીચારો હતા. આમ છતાં મારી આ કુચમાં રુકાવટ આવી.

વાત એમ બની કે લગ્નવીધીના અન્તે વરકન્યા પાસે હું આરતી કરાવતો હતો. ત્યારે મહેમાનોમાંથી રેશમી ઝભ્ભો–કુર્તો પહેરેલા એક સજજન મારી પાસે આવ્યા. બોડકું માથું અને કપાળ પરના તીલક પરથી લાગ્યું કે તેઓ સન્યાસી હતા. તેમણે મને પુછયું : ‘તમે હીન્દુ છો ?’ મેં હા પાડી. તો તેઓ કહે : ‘તમે કોઈ દીવસ હીન્દુ લગ્ન જોયું છે ?’ પાંત્રીસ વરસે પણ હું કુંવારો હતો. મેં ડોકું ધુણાવી ના પાડી. ‘તો પછી લગ્ન કરાવવા કેમ નીકળી પડ્યા છો ? અને લગ્નમાં કદી આરતી કરાવાય ?’ એ સજ્જન ગુસ્સે થઈને બોલ્યા. હું તો તેમને જોતો જ રહ્યો. શો પ્રતાપી અવાજ ! શી એમની પ્રતીભા ! મેં જેમ તેમ આરતી પુરી કરાવી. અને એ સજ્જન પાસે ગયો. મને કોઈકે કહ્યું : ‘આ તો બાળ બ્રહ્મચારી પરમ પુજ્ય ગુરુ શ્રી ચરીત્રાનન્દ છે.’ હું ગુંચવાયો; છતાં તેમને પગે લાગ્યો. હું કેટલાય લોકોને મળ્યો છું. પરન્તુ આમનો તો પ્રભાવ જ જુદો હતો. એમના મોં પર કંઈ જુદું જ તેજ હતું. તેમણે મને કહ્યું : ‘તમે માણસ સારા દેખાવ છો. પછી આવા ધંધા કેમ કરો છો ?’ મને થયું કે ‘આમને મારા પોલની જાણ એક જ ધડાકે ક્યાંથી થઈ ગઈ ?’ તેમ છતાં મેં હીમ્મત રાખીને તેમને કહ્યું : ‘ગુરુજી ! આ પ્રવૃત્તી તો આ દેશમાં ટકવા માટે જ કરી રહ્યો છું. મારી દૃષ્ટીએ એમાં કશું ખોટું નથી.’

‘તમે ભગવાનનો ડર ન રાખો તો કંઈ નહીં પરન્તુ ઈન્કમટેક્સવાળાથી તો ડરો. આ અમેરીકન સરકાર તમને સળીયા ગણતા કરી દેશે.’ મને લાગ્યું કે આમની સાથે દલીલ કરવામાં માલ નથી. ત્યાં તો ગુર શ્રી ચરીત્રાનન્દજી બોલ્યા : ‘એક કામ કરો. આવતા શનીવારે આપણા મન્દીરમાં આવો. ધર્મ શું છે તે જુઓ. અને આવો તો મને જરુર મળજો.’ આ ઉલટતપાસ પુરી થાય એટલા માટે જ હું મન્દીર જવા સહમત થયો.

અઠવાડીયું પસાર થઈ ગયું. બાળબ્રહ્મચારી શ્રી ચરીત્રાનન્દે મને મળવા બોલાવ્યો છે તે મને યાદ હતું. શનીવારે તેમના લોંગ આયલેન્ડના મન્દીરે પહોંચી ગયો. મન્દીર શું હતું ! વૈકુન્ઠ હતું વૈકુન્ઠ ! જેટલો સમય મેં મન્દીરમાં ગાળ્યો તેટલો મારી વીચારસરણીના પરીવર્તન માટે અગત્યનો નીવડ્યો.

મન્દીરમાં કોઈ ઓચ્છવ મનાવાઈ રહ્યો હતો. કયો પ્રસંગ હતો તેની કાંઈ ખબર ન પડી. આપણા કોટી કોટી દેવતાઓમાંથી કોઈને કોઈનો જન્મપ્રસંગ 365 દીવસમાં જરુર હોય જ અને ન હોય તો અગીયારસ કે પુનમ તો ખરી જ ! ભગવાં વસ્ત્રોમાં બાળબ્રહ્મચારીશ્રી હારમોનીયમ વગાડી રહ્યા હતા. આજુબાજુ પાંચ દસ અમેરીકન ગોરાં છોકરા–છોકરીઓ પદ્માસન લગાવી બેઠાં હતાં. ન સમજાય એવા શબ્દોમાં ગાતાં હતાં. મને થયું ક્યાં મારી ધર્મપ્રવૃત્તી ને ક્યાં આ મહાત્મા ! ભારતવર્ષનો ઝંડો ફરકાવવા શ્રી વીવેકાનન્દ જેવી વીભુતી પછી આજે બીજો આત્મા અમેરીકામાં આવ્યો. ભજન–કીર્તન બેત્રણ કલાક ચાલ્યાં. પછી મહાપુજા. ભજન–કીર્તન પછી તેઓ મને મળ્યા. મને કહ્યું : ‘મહાપુજા પછી મને મળીને જજો.’ મહાપુજા તેમણે સ્વહસ્તે કરી. પેલાં અમેરીકન છોકરા–છોકરીઓ શું સરસ રીતે કામ કરી રહ્યાં હતાં ! તેમાંની બે ઈન્દ્ર દરબારની અપ્સરા જેવી લાગતી છોકરીઓ તો મન્દીરના ગર્ભાગારમાં પણ કામ કરતી હતી. સ્વામી ચરીત્રાનન્દ મને મન્દીરના ઉપરના ભાગમાં લઈ ગયા. ત્યાં તેમના સીવાય બીજું કોઈ પ્રવેશી શકતું નહીં. તે તેમનું રહેઠાણ અને પર્સનલાઈઝ્ડ દેવમન્દીર હતું. તેમણે મને કહ્યું : ‘હું તમારા જેવા માણસની શોધમાં છું જે આ મન્દીરનો કારભાર કરે.’ મેં સ્વપ્ને પણ ધાર્યું નહોતું કે બાળબ્રહ્મચારી મહારાજ મને આવી તક આપશે. હું તો ચમકી જ ગયો. મેં કહ્યું : ‘પ્રભુ ! હું તમારા મન્દીરને લાયક નથી.’ તેઓ બોલ્યા : ‘તમે પરણેલા છો ?’ મેં કહ્યું : ‘પાત્રીસ વરસે પણ હું હજી કુંવારો છું.’ તો તેઓ બોલ્યા : ‘જુઓ, ગૃહસ્થ લોકો કુંવારા હોય. સાધુ તો બાળ બ્રહ્મચારી હોય.’ હું તેમને જોઈ જ રહ્યો.

તેમણે કહ્યું : ‘તમે આ જવાબદારી સંભાળો. હું તમને ધાર્મીક સંસ્કાર આપીશ; તમને શાસ્ત્રીય સંગીત શીખવીશ; તમે હાલ કમાઓ છો તેથી વધારે પૈસા આપીશ. શરત ફક્ત એટલી કે જુગાર નહીં રમવાનો; સીગરેટ નહીં પીવાની; માંસ નહીં ખાવાનું અને પરણો નહીં ત્યાં લગી સ્ત્રી–સમ્બન્ધ નહીં રાખવાનો.’ મેં કહ્યું : ‘શરુઆતની શરતો માન્ય છે; પરન્તુ છેલ્લી શરત વીચારવી પડશે.’

ઘેર આવ્યો. આખી રાત વીચારમાં ગઈ. એક બાજુ મારો વધતો જતો બીઝનેસ અને બીજી બાજુ સાચા ધર્મસંસ્કાર, સાચો ધાર્મીક વારસો અને સાચી જનસેવા. એક બાજુ મારી કમ્ફર્ટેબલ લાઈફ સ્ટાઈલ અને બીજી બાજુ બાળ બ્રહ્મચારીનું નીતીનીયમોવાળું જીવન. હું શું કરું ? બાળ બ્રહ્મચારી ચરીત્રાનન્દજીને મળવું અને મારા વીચારો દર્શાવવા. મતલબ, મારે મારી પોલ જાતે જ ખોલવાની ! પછીથી મારે એનો અભીપ્રાય પુછવો અને નીર્ણય લેવો.

આખી રાત ઉંઘ નહોતી આવી, એટલે બીજે દીવસે સવારે આઠ વાગ્યે મન્દીરે પહોંચ્યો. ભવીષ્યના નીર્ણય માટે ચરીત્રાનન્દનો અભીપ્રાય અગત્યનો હતો. આગળનું દ્વાર ખુલ્લું હતું. કોઈ વહેલી સવારે મન્દીરમાંથી બહાર ગયું હશે. રાતના ઓચ્છવની સામગ્રી ચારે બાજુ વેરવીખેર પડી હતી. કૃષ્ણ–રાધાની મુર્તી આડે પડદો પાડી દીધો હતો. લાગ્યું કે ભગવાન પણ રવીવારે ઉંઘતા જ હશે.

ઉપર શ્રી ચરીત્રાનન્દજીના રહેઠાણમાંથી અવાજ આવતો લાગ્યો. મન્દીર પાછળના ભાગ પરના દાદર પરથી હું ઉપર પહોંચ્યો. જોયું તો તેમના ‘અંગત ભક્તીખંડ’માંથી કોઈક અન્દર હોય એવો અવાજ આવતો હતો. બારણું બંધ હતું. મેં બારણે ટકોરા માર્યા. ‘બ્રહ્મચારીજી ! આપ અન્દર છો ?’ અન્દરથી કંઈક ગુસપુસ થતી હોય એવા અવાજ સંભળાયા. મેં બારણાંને સહેજ ધક્કો માર્યો તો બારણાં ખુલી ગયાં. મેં જોયું તો અમેરીકન શીષ્યા એક ખુણામાં તેના બ્લાઉઝનાં બટન બીડી રહી હતી. અને ત્યાં જ સીંગલ બેડ પર શ્રી બાળ બ્રહ્મચારી આખા શરીરે ચાદર ખેંચી, ઉંચુ ડોકું કરી, મારી સામે આંખો ફાડી ફાડીને જોતા હતા.

તેમણે અભીપ્રાય આપી દીધો. – અને મેં મારો નીર્ણય લઈ લીધો.

–હરનીશ જાની

 2003માં પ્રકાશીત થયેલા, લેખકના હાસ્ય વાર્તાસંગ્રહ ‘સુધન’ (પ્રકાશકઃ સુનીતાબહેન ચૌધરી, રંગદ્વાર પ્રકાશન, 15, યુનીવર્સીટી પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં પાસે, નવરંગપુરા, અમદાવાદ–380 009 eMail: rangdwar.prakashan@gmail.com પૃષ્ઠ સંખ્યા: 180, મુલ્ય: 100/- રુપીયા)માંથી લેખકશ્રીની પરવાનગીથી સાભાર.. ..ગોવીન્દ મારુ..

લેખક–સમ્પર્ક:

Harnish Jani

4, Pleasant Drive, YARDVILLE, NJ – 08620 – USA

Phone: 001-609-585-0861 E-Mail: harnishjani5@gmail.com  –

અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તીઈ.બુક્સ મારા બ્લોગના મથાળે  ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.

 ‘રૅશનલ–વાચનયાત્રા’ માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 31–10–2014

24 Comments

  1. આ વાર્તા ૨૫ વરસ પહેલાં લખી હતી.અને જ્યારે જ્યારે જાહેરમાં વાચન કરું છું તો લોકોકરતાં તો મને વધારે મઝા આવે છે. ગોવિન્દભાઈ તમે તકલિફ લઈને રીટાઈપ કરી. કમાલ છો તમે!
    આપણા વાચકોને ગમશેઅ .આતો મારું દિવાસ્વપ્ન છે.

    Like

  2. Shu Kahu ane shu na kahu…… At least author is honest and not hiding truth. It is true that in America, anyone who want to play roll of Brahmin will make lots and lost of ‘taxfree’ money……Nowdays,they do not accept “sidhu”. Rokda dollar sidhu na naame chaalse…….

    2nd highest taxfree money making is being ‘Jyotish’…….. Both cater customer who already has been blind by “Aandhshradhaa”…

    For me, best part is Shiro. Many have aproch me regarding this and asked me If I can performed Pooja for them or If I can write Kundli for their kids!……My ‘moral’ did not allow me.

    Harnishbhai: Do not ever feel guilty of what you did. Society has driven you in to this…….. and you have been honest..

    Like

  3. ભલે ૨૫ વર્ષ પહેલાં લખી હોય, પણ આજના જમાનામાં પણ એકદમ સંપુર્ણપણે બંધબેસ્તી છે….!!!! હસી હસીને પેટ દુઃખી ગયું… ચોરનો ભાઈ ઘંટી ચોર—– સરસ ગોત્યું છે… તમે તો, ભોગીલાલ, સોરી, બ્લાઉઝના બટન ભીડાતા જોનારા સત્યનારાયણદાસનું જીવન સુધારી દીધું…….!!!!!!

    વાર્તા વાંચવાની બહુ મજા આવી……

    Liked by 1 person

  4. માત્ર અમેરિકામાં જ નહિ અહીં દેશમાં પણ આવો ધંધો ધમધોકાર ચાલે છે અને ચાલતો રહેશે. લોકોની અંધશ્રધ્ધાનો લાભ લેવા અનેક ચરીત્રાનંદજી જેવા મારાજો ધર્મને નામે હાટડીઓ પણ ચલાવે છે. આ દેશમાં જો કોઈએ વધુમાં વધુ સંપત્તિ એકઠી કરા હોય તો તે સાધુઓ-સ્વામીઓ-મહંતો-ગૂરુઓ વગેરે ઘ્ણા શકાય. ટાટા-બીરલ કે અંબાણી કે રાજકારણીઓનો કોઈ ક્લાસ નથી. આ દેશને જો ઈશ્વર હોય તો, આ થઈ પડેલા ગુરૂઓ-સ્વામીઓ-.સાધુઓ-મંહતો અને મારાજોથી બચાવે !

    Liked by 1 person

  5. It is very interesting and full of truth. This is real world. I liked it.
    Thanks for printing.

    Pradeep H. Desai
    USA

    Like

  6. મિત્રો ,આ વાર્તા વિષે વધુ.
    આ વાર્તા “સાઠ દિન”ના મિત્રો સમક્ષ વાંચી હતી ૧૯૯૦ માં આ લેખક મંડળ આદિલ મન્સુરી અને રોહિત પંડ્યા ન્યૂયોર્કમાં ચાલાવતા હતા. આદિલસાહેબ ખૂશ થઈ ગયા હતા. મને કહ્યું કે ” જાની સાહેબ, પહેલી ખુરસી બનાવવાની સહેલી છે.” હવે આવી બીજી ખુરસીઓ બનાવાવાનું ચાલુ રાખો. પછી લગભગ ૩૦ વારતાઓ બની, મુરબ્બી રઘુવીર ચૌધરીએ કહ્યું કે અઅ તો હાસ્ય વાર્તા કહેવાય.અને મારા વાર્તા સંગ્રહને હાસ્ય કેટેગરીમાં ગુ.સાહિત્ય એકેડેમી ગાંધીનગરઘએ બીજું પારિતોષીક આપ્યું પછીના નિબંધ પુસ્તકે મને જ્યોતીન્દ્ર્ દવે પારિતોષીક અપાવયું.
    મારા હાસ્યના પ્રોગ્રામોમાં આ વાર્તાની ફરમાઈશ હોય છે. લેસ્ટર ,યુ.કે.માં રેડિયા પર પણ વાંચી હતી.
    એક ગુજરાતી માસિકે આ વાર્તા છાપી ત્યારે તેમની બે જાહેરાતો પાછી ખેંચાઈ ગઈ હતી. પરંતુ તે માસિકના સંપાદક ભડવીર હતા. પછી તો તેમણે મારી આ પ્રકારનીવાર્તાઓ છાપી છે. ઓપીનીયનના વિપુલ કલ્યાણી પણ મારું કઘુંએ છાપતા લોકોની ચિંતા નથી કરતા.

    મારો ગુરુઓ અને દંભીઓ પરનો ગુસ્સો આ રીતે મજાકમાં દર્શાવું છું
    ગોવિન્દભાઈ આ ભૂલાઈ ગયેલી વાર્તા પાછી લાવ્યા બદલ ગોવિન્દભાઈનો આભાર.

    Liked by 1 person

  7. ઉપર શ્રી ચરીત્રાનન્દજીના રહેઠાણમાંથી અવાજ આવતો લાગ્યો. મન્દીર પાછળના ભાગ પરના દાદર પરથી હું ઉપર પહોંચ્યો. જોયું તો તેમના ‘અંગત ભક્તીખંડ’માંથી કોઈક અન્દર હોય એવો અવાજ આવતો હતો. બારણું બંધ હતું. મેં બારણે ટકોરા માર્યા. ‘બ્રહ્મચારીજી ! આપ અન્દર છો ?’ અન્દરથી કંઈક ગુસપુસ થતી હોય એવા અવાજ સંભળાયા. મેં બારણાંને સહેજ ધક્કો માર્યો તો બારણાં ખુલી ગયાં. મેં જોયું તો અમેરીકન શીષ્યા એક ખુણામાં તેના બ્લાઉઝનાં બટન બીડી રહી હતી. અને ત્યાં જ સીંગલ બેડ પર શ્રી બાળ બ્રહ્મચારી આખા શરીરે ચાદર ખેંચી, ઉંચુ ડોકું કરી, મારી સામે આંખો ફાડી ફાડીને જોતા હતા.

    તેમણે અભીપ્રાય આપી દીધો. – અને મેં મારો નીર્ણય લઈ લીધો.

    –હરનીશ જાની
    Harnishbhai,
    25 years back you wrote this.
    Well done !
    Via the Hasya Medium, you had revealed the REALITY !
    Now on TV these Sadhu/Guru are on the Path of “fooling” the Public.
    Is this the Kalyug ?
    We, as Humans, must NOT fall pray…..but with the CLEVER ADS we as the Humans are the VICTIMS.
    And….
    With the LIGHTER NOTE….Your 25 years ago START lead you on the JOURNEY as the Hasya Lekhak & with God’s Grace ( you may believe or not..it does not matter) & your personal efforts you had your recognition….I feel proud to be your Friend !
    Dr. Chandravadan Mistry

    Like

  8. ખૂબ્બ ખૂબ અભિનંદન, હરનીશભાઈ. સુપર્બ વાર્તા લખી છે. જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા પડે. અને પુરસ્કાર તો ઓછામાં ઓછો રૂપિયા 50.000નો આપવો પડે. મને થાય છે કે આ વાર્તા ગુજરાતી સાહિત્યની મુખ્ય ધારાના તમામ સામયિકોમાં ( પરબ, શબ્દસૃષ્ટિ, નવનીત-સમર્પણ જેવાં ) રિપ્રિંટ થાય તો કેવું સારું ! સારું થયું અહી વાંચવા મળી ! ગોવિંદભાઈનો આભાર.

    Like

  9. સત્યમેવ જયતે.
    અસત્યો માહેંથી પ્રભુ પરમ સત્યે તું લઇજા….ચરિત્રનંદજીઅે ખોટા ઘંઘામાં પોતનું ચરિત્ર ઉઘાડુ પાડીયુ અને સત્યનો જય થયો…બટનો ભિંડાતા ન્હોતા.સત્યના બટનો…ખૂલતાં હતાં..અને ખૂલી ગયા…..સત્યનારાયણદાસે ઉર્ફે ભાગીલાલ કઠીયારાઅે અમેરિકા પ્રવેશના સમયથી વાર્તાના અંત સુઘી ,સત્યોચ્ચાર જ કરેલો સમજાય છે. પોતાના ભોગોનો પણ અેકરાર અંત સુઘી કરેલો છે…પોતાની નિર્બળતા સ્વીકારેલી જ છે…માટે જ સત્યમેવ જયતે….તકે તક ઝડપીને તૈયાર તે તાલેવાન….

    પરંતુ હરનીષભાઇનું સૈથી અસરકારક વાક્ય આ છે..
    .‘ અામાં મારે મન ઘર્મને કાંઇ લેવાદેવા નહોતી. ઘર્મનો ઉપયોગ જીવન ટકાવવા માટે કરવો હતો. બાકી જીવનનો ઉપયોગ ઘર્મ માટે વ્યય કરવાનો મારો ઇરાદો હતો જ નહીં. ‘

    આ આપણા સમાજને સ્પર્શતું સનાતન સત્ય છે. શુક્ષ્મ(માર્મિક) હાસ્યના લેખકની આ તો ખુબી છે..સફળતા છે…..હસાવતા હસાવતા પાછી યાદ આપીને પાછા હસતાં કરી દેવા…..( સ્થૂળ હાસ્યને અહિ કોઇ સ્થાન નથી. )

    માણસની વ્યાખ્યા આંખ ખોલી ગઇ, ‘ આહાર, નીદ્રા અને કામ પશુમાં અને મનુષ્યમાં હોય છે. બાકી ઘર્મ અે અેવી વસ્તુ છે જે મનુષ્યના પશુથી જુદો પાડે છે.‘
    કેવી સીરીયસ વાત , વાત વાતમાં કહી દીઘી ? પરંતુ હું તો માણસ અેટલે પશુ ( વિજ્ઞાન) માનુ છું…ફક્ત વિકસીત મગજ તેને પશુથી થોડો…થોડો..જુદો પાડે છે.

    હવે ગોવિદભાઇની સાથે અેક વાત. અેસે…નિબંઘ જેવા લેખો કરતાં આવાં અેક કાંકરે બે પંખી મારતાં શુક્ષ્મ હાસ્યોવાળા લેખો આપણો આશય નઝેથી પૂરો પાડશે. આજનું લેખનું સીલેક્શન સુંદર છે.

    હરનીશભાઇ તો ઘરનાં છે…તેમનાં તે વખાણ કરવાનાં હોય ?

    મઝા આવી ગઇ.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  10. કરેક્શન :…….બે પંખી મારતાં શુક્ષ્મ હાસ્યોવાળા લેખો આપણો આશય મઝેથી પૂરો પાડશે.
    અમૃત.

    Like

  11. માનનીય શ્રી ગોવીંદભાઇ

    મે પણ મારા પ૦ વરસના જીવનમા

    Like

  12. I agree that nowadays there are 999 out of 1,000 pandit/ maharaj & sadhus are like bhogilal or charitranand. it is same situation for other religions too.

    BUT it is also duty of individual to find out good one and understand dharma.

    there is a breed of a fish in the sea full of salty water which goes to the point where river meets the sea to drink sweet water.

    We the People are equally responsible for raising such bhogilal and charitranand.

    Liked by 1 person

  13. ભારત દેશના આવા ધુતારાઓને લોકોએ શા માટે ” ગુરુ” કે ” મહારાજ ” બનાવી દીધા છે ? આ વાર્તાના સત્યનારાયણદાસ અને ચરીત્રાનંદ એવા પ્રતિક છે કે જે લોકો સાથે છેતરપીંડી કરતા હોય. પોલ ખોલ કાર્યક્રમો યોજાવા જોઇએ અને જગજાહેરમાં આવા ધુતારાઓને ખુલ્લા પાડી તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ.
    તક મળે ત્યારે આવા ગુરુની તો ઘંટડી વગાડી દેવી છે, …………
    @ રોહિત કે.દરજી, ‘ કર્મ’ , હિંમતનગર

    Like

  14. પ્રિય ગોવિંદભાઈ મારુ અને પ્રિય હરનીશ જાની
    આ સત્યનારાયણની કથા વાળી વાત વાંચ્યા પછી અને મારો એક અનુભવ યાદ આવ્યો જે લખું છું .
    હું એક મંદિરમાં ગયો .મારે પેશાબ કરવો હતો .મેં ક્યાંય પેશાબ કરવાનું બોર્ડ જોયું નહિ એટલે એક અખરક જગ્યાએ પેશાબ કરવાની જગ્યા હશે એમ સમજીને ત્યાં ગયો .ખાલી બારણું વાસેલું હતું .મેં ખોલ્યું તો અંદર એક ગોરી જુવાન યુવતી અખંડ બાલ બ્રહ્મચારી તરીકે ઓળખાતા પુરુષની પગ ચંપી કરી રહી હતી . તે પોણા ભાગની નગ્ન હતી . પુરુષ સફાળો ઉઠ્યો અચાનક બારણું ખુલવાનો અવાજ સાંભળીને .અને બારણાં તરફ ધસ્યો .તેને ઓઢેલી ચાદર સરકી જવાથી તદ્દન નગ્ન થઇ ગએલા અને ભલી ગોરી લલના પુરુષની નગ્નતા ઢાંકવા ચાદર વીંટાળવા માંડી . અને પુરુષ મારા ઉપર ગુસ્સે થઈને ધમકી આપવા માંડ્યો .

    Like

  15. પ્રિય ગોવિંદ ભાઈ
    મેં સત્યનારાયણની કથા વાળી હરનીશ જાનીની વાર્તા વાંચેલી અને એની કોમેન્ટ પણ આપી
    આ વાર્તા ફરીથી વાંચી કેમકે ઘડી ઘડી વાંચવાનું મન થાય એવી છે .
    ફરીથી અભિપ્રાય લખું છું .
    એક માણસ કે જે અમેરિકામાં રહેતા હતા એણે એના ભાઈ કે જે દેશમાં ડોક્ટર હતા .એને અમેરિકા માં તેડાવ્યા . તેઓ અહીની ડોકટરી પરિક્ષામા પાસ ન થઇ શક્યા . હવે કરવું શું ? અમેરિકામાં તો થોડાક લોકોનું લોન મોવર કરવા જાય તોય તોપણ દેશમાં ડોકટરી કરતા વધુ કમાય અને એવું કામ ડોક્ટરને કરવું ન ગમે . फिर उसने एक दुरकी सोची साधु बननेकी .સાધુ બનવા માટે કોઈ પરિક્ષા આપવી પડતી નથી .ફક્ત ભગવાં વસ્ત્ર ફેરી લેવાના થોડાક સંસ્કૃત શબ્દો , વાક્યો , ગીતાના કોઈ શ્લોક આટલું જાણી લેવું .અને ઈંગ્લીશ ઢબે અપભ્રંશ સંસ્કૃત શબ્દો બોલવાના .જેવાકે યોગ , નું યોગા ,રામનું રામા લક્ષ્મણનું લક્ષ્મણા કૃષ્ણ નું કૃષ્ણા વગેરે
    આ ડોક્ટર ભાઈ સાધુ બની ગયા . એક એના ભાઈની મદદથી ઘર ખરીદ્યું . એ ઘરના એક રૂમમાં કેટલાય કહેવાતા ભગવાનોની મૂર્તિઓ મૂકી દીધી મૂર્તિઓ આગળ પૈસા નાખવાની પેટીઓ મૂકી દીધી . આરતી પછી સારો એવો પ્રસાદ આપવાનું શરુ કર્યું જુદા જુદા ભગવાનની જુદી જુદી આર્તીયો થવા લાગી .અને આરતીની બાજુની થેલીમાં નોટો પડવા લાગી . પછીતો કામ કામને શીખવે . આ ડોક્ટર પછીતો મહાત્મા થઇ ગયા હાલ અપ સ્ટેટ ન્યુ યોર્કમાં આશ્રમ બનાવ્યો યોગ પણ શીખવે આયુર્વેદિક દવા પણ આપે ઘણી બધી ઓરડીયો બનાવી મોટેલ જેવું કરી નાખ્યું .ગોરી સેવિકાઓ ફ્રિ સેવા આપવા લાગી ગોરાઓ પણ સેવા આપવા લાગ્યા એક ડાન્સરને હૈદરાબાદથી તેડાવ્યો તે ગોરી છોકરીઓને નૃત્ય શીખવવા માંડ્યો સો એકર જમીનમાં એક સરોવર છે નાટક પણ ભજવાય છે . હું ગયો ત્યારે વિશ્વામિત્ર મેનકાનું નાટક ભજવાતું હતું એક ગુલાબી રંગ ની ચામડી અને બ્લુ આંખો વાળો કદાવર બાંધાનો રશિયામાં જન્મેલો વિશ્વ મિત્ર બન્યો હતો . બે ગોરી છોકરીઓએ અદ્ભુત ડાન્સ કર્યો , બાપુ જોવાની ખુબ મજા આવી . દરરોજ ડોક્ટર મહાત્મા નવા નવા નુકસા કરે છે ને નાણાંના ઢગલા કરે છે .
    મને એક જાની કરીને ભાઈ મળ્યા તેઓ રાજકોટમાં કોઈ હાઇસ્કુલમાં મોટા હોદ્દા ઉપર હતા। મારી દાઢી મારા હાથ ચાલાકીના ખેલ જોયા પછી મને કીધું તમે એક ચક્કર દેશમાં મારી જાઓ એક ભગવો ઝભ્ભો પગની પાની ઢંકાય એટલો લાંબો પહેરી લ્યો .બસ હું તમારા ચરણોમાં પૈસાનો ઢગલો કરવી દઉં મેં કીધું બેવ કુફ લોકોને વધુ બે વકૂફ બનાવવાનું મને નહિ ગમે .

    Like

  16. પ્રિય ગોવિંદ ભાઈ
    હું પહેલાં સત્યનારાયણની કે અસત્યનારાયણ ની કથાઓ બહુ સાંભળતો એ એટલા માટે કે મારા મૃત્યુ પછી સ્વર્ગના કોઈ સારા રૂમની ચાવી મને ચિત્રગુપ્ત આપે પણ
    બહુ કથાઓ સાંભળિયા પછી બેડ મારી ગઈ મતિ(કારણ )
    સાચી વાતો કમ હતી પણ ખોટી વાતો બહુ હતી .

    Like

  17. Tame game etla dambh ughada pado..Aapni bhaneli ke abhan dharmik ghelachhabaddh praja ,tyan shun ke anhi shun?..Kyarey nahi sudhare.

    Liked by 1 person

Leave a comment