સુપર કંડક્ટર

–હરનીશ જાની

1196ના ઉનાળામાં આખી દુનીયામાં વ્યવસ્થીત અફવા ફેલાઈ કે ગણપતીની મુર્તી દુધ પીએ છે. મુર્તીની સુંઢને, જો દુધની વાડકી અડકાડવામાં આવે તો અંદરનું દુધ અદૃશ્ય થઈ જાય છે. આ અફવા ભારતમાં જ નહીં; પરન્તુ લંડન, હોંગકોંગ અને ન્યુયૉર્કમાં એટલી પદ્ધતીસર ફેલાઈ કે તે સમાચાર બની ગઈ. જગતભરના ટી.વી.વાળાઓ કૅમેરા લઈને જુદાં જુદાં મન્દીરો પર પહોંચી ગયા. તેઓ પાત્રમાંથી અદૃશ્ય થતા દુધને ટી.વી. પર નહોતા બતાવતા; પરન્તુ દુધને અદૃશ્ય કરવા મથતાં લોકોનાં ટોળાં બતાવતાં. ભારતમાં તો લોકો ભગવાનને એટલું બધું દુધ પીવડાવવા મથતાં કે લોકોને પીવા માટે દુધ નહોતું મળતું. મોટા ભાગના લોકો જીજ્ઞાસાથી પ્રેરાઈને લાઈનમાં ઉભા રહેતા. જે ભાવકનું દુધ ભગવાને પીધું તે ભક્ત બની ગયા અને જેમનું ન પીધું તે વૈજ્ઞાનીક બની ગયા. ભગવાન પૃથ્વીને ભુલી ન જાય માટે થોડાં થોડાં વરસે મનુષ્ય રામાયણમાંથી કંકુ ખરવાના કે કુરાનમાંથી હજરતના વાળ મળી આવવાના ચમત્કારો ભગવાન માટે યોજે છે. આ તેવી વાત હતી.

પ્રભુદાસ અને ઉમાબહેનની ઉંમર સાઠની આજુબાજુ હશે. ન્યુયૉર્ક શહેરમાં એક ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતાં હતાં. એક દીકરો અને એક દીકરી દેશમાં કૉલેજમાં ભણતાં હતાં. છોકરાંઓનાં ભવીષ્ય માટે ઉમાબહેનના ભાઈની સીટીઝનશીપ ઉપર તેઓ અમેરીકા આવ્યાં હતાં. પ્રભુદાસ, દેશમાં કૉલેજમાં પ્રોફેસર હતા. અમેરીકામાં દેશી ગ્રોસરી સ્ટોરમાં નોકરી કરતા હતા.

એક સાંજે પ્રભુદાસ નોકરી પરથી ઘરે આવ્યા ત્યારે ઉમાબહેને તેમને કહ્યું :

‘આપણા ગણપતીએ સવારની પુજામાં ધરાવેલું દુધ પીધું.’

‘લાવ, બતાવ જોઈએ.’ પ્રભુદાસે શંકાથી કહ્યું.

‘હમણાં દુધ નહીં પીએ. સંધ્યાકાળે પુજા કરીશ ત્યારે બતાવીશ. ભગવાન ગમે ત્યારે દુધ ન પીએ.’ ઉમાબહેને નીયમ બનાવી દીધો. સંધ્યાકાળની પુજામાં ઉમાબહેને આંખો મીંચી, બે હાથ જોડ્યા અને ધ્યાન ધર્યું. પ્રભુદાસે જાતે છલોછલ દુધ ભરેલી વાડકીમાં શ્રીગણેશની મુર્તીની સુંઢ ડુબાડી. પ્રભુદાસે જોયું તો ધીમે ધીમે બધું દુધ અદૃશ્ય થવા માંડ્યું. પ્રભુદાસ સ્તબ્ધ થઈ ગયા. તેમનો હાથ ધ્રુજવા લાગ્યો. શરીર ધ્રુજવા લાગ્યું. વાડકી જમીન પર મુકી દીધી.

મુર્તીને લાંબા થઈ પ્રણામ કર્યા. ‘હર હર મહાદેવ’ – ‘ગણપતીદાદા મોરીયા’ ના પોકાર કરવા લાગ્યા. બીજી ક્ષણે ભાનમાં આવ્યા. મુર્તી ઉંચકી લીધી. મુર્તી કોઈ મીશ્ન ધાતુની બની હતી. તેમણે નીચે જોયું. ક્યાંય દુધ ઢોળાયાનું નીશાન નહોતું. આજુબાજુની જગ્યા જોઈ. લાકડાના મન્દીરની આજુબાજુ ફરીને બધે જોયું. ક્યાંય ભીનાશ નહોતી. ખરેખર ભગવાન દુધ પી ગયા.

બન્ને જણાંએ વીચાર્યું કે કોઈ સાધુસન્તને આ વાતની ખબર પડશે તો ઘરને સરકસમાં ફેરવી કાઢશે. આ ચમત્કાર તો આજના આધુનીક વીજ્ઞાનને એક પડકાર આપે છે. કોઈ વૈજ્ઞાનીકને વાત કરવી જોઈએ. પ્રભુદાસે તેમના મીત્ર ડૉ. પટેલને ફોન કર્યો. તેઓ બન્ને ગુજરાત કૉલેજમાં સાથે ભણ્યા હતા. ન્યુયૉર્કમાં એ. ટી. ઍન્ડ ટી. ટેલીફોન કંપનીમાં રીસર્ચ ડીપાર્ટમેન્ટના વડા હતા. ડૉ. પટેલે આ દેશની ટેલીફોનની પ્રગતીમાં ઘણો ફાળો આપ્યો હતો.

ડૉ. પટેલ બીજે દીવસે સાંજે પુજામાં હાજર રહ્યા. તેમણે જાતે જોયું કે ગણેશજીની મુર્તી વાડકીમાં ધરાવેલું દુધ પી ગઈ.

‘વાડકીમાં જ દુધ ધરાવવું પડે એવું ખરું ? કાચની પ્યાલીમાં ભગવાન દુધ પીએ ખરાં ? પટેલ સાહેબે પુછયું.

 ‘આ વાડકીને કાનો નથી એટલે સીધી ધાર પેટ અને સુંઢ વચ્ચે જઈ શકે છે.’ ઉમાબહેને કહ્યું.

પટેલસાહેબે મુર્તી ઉંચકી લીધી. તેમણે સુંઢનું નીરીક્ષણ કર્યું. પછી મોટેથી બોલ્યા, ‘હું ઝીણાં છીદ્રો જોવા પ્રયત્ન કરું છું. કૅપીટલ ટ્યુબ્ઝ – કેશવાહીનીનો નીયમ તો કામ નથી કરતો ને !’

તેમણે મુર્તીને ટકોરા મારી જોયા. તેમણે ચારે બાજુ ફરી ફરી અને લાકડાના મન્દીરના ખુણા તપાસ્યા. પછી ઉમાબહેનને પુછયું,

‘આ ગણપતી ક્યાંથી ખરીદ્યા ?’

 ‘મારા બાપુજી રજવાડામાં રાજપુરોહીત હતા. અને તેઓ આ મુર્તીની પુજા વરસોથી કરતા હતા. હું એકની એક, એટલે મુર્તી મારે ભાગ આવી. આ તો સાચા ગણપતી છે.’ તેમણે જણાવ્યું.

ડૉ. પટેલ બોલ્યા. ‘વેરી ઈન્ટ્રેસ્ટીંગ !’

જ્યારે કોઈ વાતની સમજ ન પડે ત્યારે અમેરીકામાં ‘વેરી ઈન્ટ્રેસ્ટીંગ’ બોલાય છે.

તેમણે પ્રભુદાસને આ ચમત્કારની વાત કોઈને પણ ન કરવાનું કહીને બીજા દીવસે પાછા આવવાનું વચન આપીને વીદાય લીધી.

તે સાંજે ડૉ. પટેલ પોતાના ઉપરી અધીકારી ડૉ. મોર્ગન, જે ટેલીફોન કમ્પનીના મોટા ડાયરેક્ટર હતા તેમને લઈ આવ્યા. પટેલસાહેબના કહ્યા પ્રમાણે ઉમાબહેને પુજા ચાલુ કરી. બન્ને વૈજ્ઞાનીકોએ વાડકીમાંથી દુધ અદૃશ્ય થતાં જોયું. ડૉ. મોર્ગન તરત જ બોલી ઉઠ્યા : ‘આ ચમત્કાર નથી. આ વીજ્ઞાન છે.’

પટેલસાહેબે પતીપત્ની બન્નેને કહ્યું કે ‘આમ કાંઈ જાદુથી બને નહીં. જગતની દરેક ક્રીયા–પ્રક્રીયામાં વીજ્ઞાન સમાયેલું છે.’

ઉમાબહેને ગુસ્સામાં કહ્યું, ‘પટેલસાહેબ, આ ભાઈને તો ગણપતી શું છે તે ખબર નથી; પરન્તુ તમે પણ આમ બોલો છો ? તમારી આંખ આગળ દુધ અદૃશ્ય થયું કે નહીં ? આવું ભગવાનની કૃપા સીવાય બને ખરું ? તમે એમ કહો છો કે દુનીયામાં બધું તમે વૈજ્ઞાનીકો કરો છો ? આ ફુલ કોણ ઉગાડે છે ? કયા ચીત્રકારે  મેઘધનુષ્યમાં રંગો પુર્યા ? કયા વીજ્ઞાને માછલીઓને તરતાં શીખવ્યું ? તેથી ઉલટું આવા અનેક ચમત્કારોમાંથી વીજ્ઞાન પેદા થયું છે.’

ડૉ. મોર્ગને પ્રભુદાસને જણાવ્યું કે તેમને આ મુર્તી પર વધુ રીસર્ચ કરવામાં રસ છે. તો તેઓ આ મુર્તી મને આપે ખરાં ?

ઉમા બહેને પુછ્યું, ‘તમે મુર્તીનું શું કરશો ?’

ડૉ. પટેલે જણાવ્યું, ‘અમારે જોવું છે કે આ મુર્તી દુધ સીવાય કયા કયા પ્રવાહી પીએ છે ? પાણી, કેરોસીન અને દુધ ત્રણેની વીશીષ્ટ ઘનતા જુદી જુદી હોય. તો અમે મુર્તીને કેરોસીન પીવડાવવાનો પ્રયોગ કરીશું.’

ઉમાબહેનનો પીત્તો ગયો. ‘તમે કઈ જાતના હીન્દુ છો ? ભગવાનને કેરોસીન પીવડાવાતું હશે ?’

ડૉ. પટેલ સીધા મુદ્દા પર આવી ગયા. ‘મારી કંપની તમને આ મુર્તીની કીંમત દસ હજાર ડૉલર આપશે.’

પ્રભુદાસ કાંઈ બોલે તે પહેલાં ઉમાબહેને કહ્યું, ‘પટેલસાહેબ દુનીયામાં માનવીની શ્રદ્ધાનું મુલ્ય નથી હોતું. ભગવાનની કીંમત ન હોય. આ ચમત્કાર જોઈને તમારા જ્ઞાનનો ઘમંડ ઓછો થવો જોઈએ. નમ્રતાનો અનુભવ થવો જોઈએ.’

પટેલસાહેબે તેમને પોતાની ઓફર પર વીચારવાનું કહીને બન્ને મહાનુભવોએ રજા લીધી.

બીજા દીવસે ફરીથી બન્ને વૈજ્ઞાનીકો પાછા આવ્યા. બન્નેએ પુજા નીહાળી. દુધ અદૃશ્ય થતાં જોયું. બન્ને જણાએ અંદરોઅંદર થોડી ગુસપુસ કરી. ડૉ. પટેલ બોલ્યા: ‘જુઓ આ મુર્તી અમારી રીસર્ચ માટે ખુબ જરુરી છે. તમારી લાગણીને માન આપીને અમે તમને પચાસ હજાર ડૉલર આપીશું.’

પ્રભુદાસે પુછયું, ‘તમે આ મુર્તી પર કયા કયા પ્રકારની રીસર્ચ કરશો ?’

ડૉ. પટેલે જવાબ આપ્યો, ‘અમને એવું લાગે છે કે બક નામના વૈજ્ઞાનીકે બક ટ્યુબનો નીયમ બનાવ્યો છે. જેના સીદ્ધાન્ત પર ટૉઈલેટ બાઉલ શોધાયા છે કે જેમાં ટાંકી ભરીને પાણી રેડો તોપણ ઉભરાયા વીના પાણી જતું રહે છે. તો તે પ્રમાણે દુધ એક વખત ચુસવાનું ચાલુ થઈ જાય છે પછી વાડકીમાંથી બકના નીયમ મુજબ ખાલી થઈ જાય છે. આ મુર્તીની ધાતુ અમારે ઈન્ફ્રારેડ કીરણોથી તપાસવી પડશે. આજકાલ અમે ‘સુપર કંડક્ટર’ પર કામ કરીએ છીએ. ‘સુપર કંડક્ટર’ એટલે એવી ધાતુ કે જે ગમે તેટલા ઠંડા કે ગરમ ઉષ્ણતામાને અવરોધ વગર ઈલેક્ટ્રીસીટી પસાર કરે. આ સુપર કંડક્ટર ભવીષ્યમાં કમ્પ્યુટર અને ટેલીફોનની રચનામાં વપરાશે. તો આ મુર્તી જે ધાતુની બની છે એ ધાતુ અમને અમારા સંશોધનમાં કામ લાગે પણ ખરી. આને માટે સુંઢ કાપવી પડે. પેટ વહેરવું પડશે.’

ઉમાબહેન એકદમ ક્રોધે ભરાયાં.

‘આ તો તમે કસાઈ કરતાં પણ હલકા થયા. ભગવાનની સુંઢ કપાતી હશે ? હું મરી જઈશ પણ મુર્તીને ભાંગવા નહીં દઉં.’

બન્ને વૈજ્ઞાનીકોએ રજા લીધી.

તેમના ગયા પછી પ્રભુદાસે મનોમન ગણતરી કરી કે પચાસ હજાર ડૉલરમાં કેટકેટલાં કામ થાય. બીજું કશું નહીં તો આ નાના ઍપાર્ટમેન્ટમાંથી તો છુટાય. ઉમાને કેવી રીતે સમજાવવી ? ઉમા એકની બે નહીં થાય. આમ જુઓ તો ઉમા પણ સાચી હતી. પચાસ હજાર ડૉલર તો વરસ–બે વરસમાં કમાઈ લઈ શકાય.

‘પ્રભુદાસ, અમે તમને એક લાખ ડૉલરની ઑફર મુકીએ છીએ.’ ડૉ. પટેલનો ફોન આવ્યો. ‘અમારું રીસર્ચનું બજેટ 5 કરોડ ડૉલરનું છે. અમારી એ. ટી. ઍન્ડ ટી. કમ્પનીનું બજેટ કોઈ નાના દેશના સમગ્ર બજેટ કરતાં પણ મોટું છે.’

વાત પુરી થતાંમાં જ પ્રભુદાસનું મગજ ચકડોળે ચઢ્યું. લાખ ડૉલર શું ન કરી શકે ? નવું ઘર, નવી કાર, નવો ધંધો, શું ન કરાય ? છેવટે કશું ન કરે અને પૈસા બૅન્કમાં મુકે તો વ્યાજમાંથી જીવાય. નોકરીમાંથી તો છુટાય !

ઉમાબહેને પ્રભુદાસને શાંતીથી જણાવ્યું, ‘આજે પૈસા વીના આપણે સુખી નથી ? દુનીયામાં કેટલાય લોકોને કેટલાય જાતના રોગ થાય છે. ત્યારે આપણે અને આપણાં બાળકો તંદુરસ્ત છીએ. આપણા કુટુમ્બમાં કોઈ અકાળે મર્યું નથી. આજ સુધી કોઈને એક્સીડન્ટ નથી થયો કે હૉસ્પીટલમાં રાત ગાળી નથી. શું મને પૈસા નથી ગમતા ?’

પ્રભુદાસને પત્નીની વાત ગળે ઉતરી. જો મુર્તી વેચીને ભગવાનના કોઈ શાપના ભોગ બની જઈએ તો !

એમનું મગજ શાંત થાય ત્યાં તે દીવસે સાંજના ડૉ. મોર્ગનનો ફોન આવ્યો. તેમણે જણાવ્યું કે, ‘અમારે મુર્તી જોઈએ જ છે. અને છેલ્લી ઓફર બે લાખ ડૉલરની મુકીએ છીએ અને હા, બહુ વીચારતા નહીં. અમને આવતી કાલે બપોરે બાર વાગ્યા પહેલાં જવાબ મળવો જોઈએ.’

પ્રભુદાસને સમજ ન પડી. આનન્દથી કુદવું કે દુ:ખ અનુભવવું ! આ તો મોટું ધર્મસંકટ માથે આવ્યું. તેમણે ઉમાબહેનને વાત કરી. ઉમાબહેન બોલ્યાં, ‘મારે મુર્તી વેચવી નથી; પરન્તુ તમને જોતા લાગે છે કે તમારી શ્રદ્ધા ડગવા માંડી છે. આનો નીર્ણય ભગવાન પર છોડી દઈએ. ભગવાન આપણને સાચા રસ્તે દોરશે.’ પ્રભુદાસ વીચારોમાં ને વીચારોમાં ખુરશીમાં ફસડાઈ પડ્યા. ઉમાબહેન પલાંઠી લગાવીને ભગવાન સામે દીવો પ્રગટાવીને બેસી ગયાં.

બન્નેમાંથી કોઈ આખો દીવસ કાંઈ ન બોલ્યું.

બીજા દીવસે સવારના પહોરમાં ઉમાબહેન બોલ્યાં: ‘ગઈ કાલે રાતના મને સ્વપ્નમાં ગણપતીદાદાએ દર્શન દીધાં. મને કહ્યું કે ‘મારી મુર્તી વેચી દો. દુનીયામાં મારી લાખો મુર્તીઓ છે. એક મુર્તી તુટવાથી મારો નાશ નથી થવાનો. આ રીતે તમને જે પૈસા મળે તે મારી ‘કૃપા’ ગણજો.’

લગભગ દસેક વાગ્યે ટેલીફોનની ઘંટડી રણકી. પ્રભુદાસે ફોન ઉપાડ્યો. સામેના છેડે ડૉ. પટેલ હતા. તેમણે કહ્યું:

‘પ્રભુદાસભાઈ, ગઈ કાલે રાતે એ. ટી. ઍન્ડ ટી.ના બૉર્ડ ઑફ ડીરેક્ટર્સે અમારો ‘સુપર કંડક્ટર’નો આખો પ્રૉજેક્ટ જ કેન્સલ કર્યો છે. હવે ફાઈબર ઑપ્ટીક્સ પર કામ કરવાનું છે. એટલે હવે અમારે મુર્તીની જરુર નથી.’

          –હરનીશ જાની

લેખકસંપર્ક:

શ્રી. હરનીશ જાની, 4, Plesant Drive, Yardville, NJ 08620 – USA

eMail: harnish5@yahoo.com Phone – 609-585-0861

તેમના વાર્તા સંગ્રહ ‘સુધન’ (પ્રકાશક: રંગદ્વાર પ્રકાશન, 15, યુનીવર્સીટી પ્લાઝા, નવરંગપુરા, અમદાવાદ–380 009, પૃષ્ઠ સંખ્યા–180, મુલ્ય રુપીયા– 100/-)ના પાન ક્રમાંક – 17 પરથી, લેખકની પુર્વ પરવાનગી અને સૌજન્યથી સાભાર…

અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તીઈ.બુક્સ મારા બ્લોગના મથાળે  ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 ♦ ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો,પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે,મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે,આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 95 37 88 00 66 .મેઈલ: govindmaru@yahoo.co.in  (હાલ અમેરીકાના પ્રવાસે)

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 28/11/2014

12 Comments

  1. “ચમત્કાર ને નમસ્કાર”

    “વા વાવા થી નળ્યુ ખસ્યું”

    “ઝૂકતી હે દુનીયા, ઝૂકાને વાલા ચાહીયે”

    આવા ધતીન્ગો મુસ્લીમો. માં તથા ખ્રિસ્તીઓ માં પણ થાય છે. અમેરિકા અને કેનેડા જેવા પ્રગતિશીલ દેશો માં પણ થાય છે.

    કાસીમ અબ્બાસ
    કેનેડા

    Liked by 1 person

  2. OMG: or I should say “Bhagwan Badhaane sadboodhi aape”

    Another example of Human with Blindfaith…… Amne aatli badhi shradhaa hati to ye kem na vicharyu ke 1 laakh doller ma saras majaa nu Ganpati nu mandir banaavish ane roj doodh pivdavish?

    Rahi vaat Ganpati ye doodh pivaani…. My thoguht during this time was that most of murtis are made with stone which contain Marble or plaster paris and has high contant of Calsium which will absorb any liquied.

    As Quasim Abbasbhai mention Dharma na naame dhatingo badhej thai chhe….

    Like

    1. ભગવાનના ભંડારમાં અછત હોય તો તે ફક્ત ‘સદબુદ્ધિ’ની છે. ‘સબકો સન્મતિ દે ભગવાન’ ગાઈ ગાઈને કરોડો લોકોના ગળા બેસી ગયા પણ બહુ ઓછા ને તે મળી છે.
      ધર્મ એટલે જ ધતીંગ, તેને નામે બીજું કશું ના ચાલે.

      Liked by 1 person

  3. DHARMA NA NAME DHATING
    Du its na darek desho ma dharma na name dhating thata hoi chhe ane shraddgalu ( andhshraddhalu) tene chamatkar kaheta hoi chhe je vastu ke vat manushya samji nathi sakto tene chamatkar evu rupadu nam aapi devai chhe
    Parantu potana alpgnyan ne kabul nathi karta.
    Ane chhele DHARMA NA NAME DHATING nahi pan
    DHARMA KHUD EK DHATING yogya lage chhe.

    Like

  4. મિત્રો,
    હરનિશભાઇની આ હઠોટી છે….હસતાં હસતાં હસાવીને હરાવીને બે વાત સમજાવી દેવી. પરભુદાસ અને ઉમાબહેનના અંઘશ્રઘ્ઘાથી ભરેલા જીવનમાં અેક બાજુ શ્રઘ્ઘા કે (અંઘશ્રઘ્ઘા) અને સામે ડોલર અને તે પણ બે લાખ…….

    બન્ને ત્રાજવે તોલાયા. ત્રાજવું પણ કાયદાનું નહિં કે પેલા વેપારીનું નહિ…જાત પરિક્ષાનું…..

    શ્રઘ્ઘા કે (અંઘશ્રઘ્ઘા) હાર્યા. હારનાર પાછા પટેલ….હરાવનાર પણ ડો. પટેલ……..

    અંઘશ્રઘ્ઘાને જો આપણે સમાજમાંથી દૂર કરવી હોય તો આવા સુક્ષ્મ હાસ્યને સહારે હસાવતાં હસાવતાં વિજ્ઞાન સમજાવીને ઉંઘે હાથે ચોટલી કે કાન પકડાવવી કે પકડાવવા રહી કે રહ્યા.

    સીરીયસ લેખો કરતાં હાસ્યલેખો …‘જલ્દી દે…સસ્તા દે…જયાદા દે.‘…જેવું કાર્ય કરે છે. પરભુભાઇ અને ઉમાબહેન સામાજીક સીમ્બોલ બની જશે….અને સુપર કંડક્ટરને બદલે ફાઇબર ઓપ્ટીક્સ બાજી મારી જશે. હાર્દિક અભિનંદન…હરનિશભાઇને અને ગોવિંદ મારુજીને…હસે તેનું ઘર વસે….
    અમૃત હઝારી.

    Like

  5. ખુબજ સુદર વાર્તા !!! તે અરસામાં આ અફવાએ ભારે જોર જમાવી ભલભલાને બે ઘડી ભારે દ્વીઘામાં નાખી દીધેલા બેસુમાર લોકો દૂધ પાવા મંદિરોમાં ઉભરાતા તે અરસામાં આ વાર્તા વાંચવા મળેલી. આવી વાર્તાઓ થી જે થોડા ઘણામાં બદલાવ આવે તો સારું. બાકી તો પ્રભુદાસ ને ઉમાબેન બે લાખ $ને ઠોકર મારીને હજી પણ પસ્તાતા કે ઝઘડતા હોય તો નવાઈ નહિ ???

    Like

  6. Harnishbhai is an excellent hasya writer. I witnessed these ganpati stories in those days. People were so foolish at the time that an educated crowd staying in america and abroad not only believed in news, but waited in line for hours and hours to witness the news/miracles. Any way, the year was 1996 instead 1196. I know its a typo.
    Andhshradhha ki jai ho

    Like

  7. I do not believe this is a true story. Earlier, during 1994, there was a widely spread rumor that Ganesh used to drink milk. It was all trick. Explanations were also immature and non-scientific. e.g one of the explanation was that our solar system which is a part of Milkyway had entered a certain spot in the space that caused Ganesh to consume milk. This explanation was bogus just like statements of Baavaas like Osho Asaram and Saint Rajnishmal.

    No statue drank any milk anywhere.

    Like

  8. My dear SMDave 1940 Saheb, We both agree that Ganesh and Milk is a bogus thing. Please,check my first paragragh. However I am a story teller I created a human story. out of this bogus news. Still it may be difficult to follow my story telling style. Thank you for your opinion.readresstory telling technic
    1996ના ઉનાળામાં આખી દુનીયામાં વ્યવસ્થીત અફવા ફેલાઈ કે ગણપતીની મુર્તી દુધ પીએ છે. મુર્તીની સુંઢને, જો દુધની વાડકી અડકાડવામાં આવે તો અંદરનું દુધ અદૃશ્ય થઈ જાય છે. આ અફવા ભારતમાં જ નહીં; પરન્તુ લંડન, હોંગકોંગ અને ન્યુયૉર્કમાં એટલી પદ્ધતીસર ફેલાઈ કે તે સમાચાર બની ગઈ. જગતભરના ટી.વી.વાળાઓ કૅમેરા લઈને જુદાં જુદાં મન્દીરો પર પહોંચી ગયા. તેઓ પાત્રમાંથી અદૃશ્ય થતા દુધને ટી.વી. પર નહોતા બતાવતા; પરન્તુ દુધને અદૃશ્ય કરવા મથતાં લોકોનાં ટોળાં બતાવતાં. ભારતમાં તો લોકો ભગવાનને એટલું બધું દુધ પીવડાવવા મથતાં કે લોકોને પીવા માટે દુધ નહોતું મળતું. મોટા ભાગના લોકો જીજ્ઞાસાથી પ્રેરાઈને લાઈનમાં ઉભા રહેતા

    Like

    1. Yes, Haranishbhai, It was my mistake. In fact you wrote a story for humor. It happened when I was in Shillong during 1993-1995. I do not know exactly which year during this period.
      Keep it up writing such stories. It is badly needed in India.

      Like

  9. પ્રિય ગોવિંદભાઈ
    વષો પહેલા મારે સરકારી કામે મુંબઈ જવાનું થતું મારો એક મિત્ર મુંબઈમાં ચોમાસાના દિવસોમાં રહે . હું એને ત્યાં મુંબઈ જાઉં ત્યારે એને જરૂર મળું .
    કદાચ તમે

    મારો વિડીયો જોયો હશે મારા મોઢા ઉપર કાળો વીંછી ફરે છે હું સર્પ સાથે રમું છું ન જોયો હોય તો મારા બ્લોગમાંથી ગોતજો .
    એક વખત મુંબઈ વાળા મિત્રે મને વાત કરીકે એક માણસ માતાજીનો ભગત છે તે નાળીયેર માંથી કંકુ કાઢે છે ચુંદડી કાઢે છે મેં તેને પૂછ્યું એ ભગત આપણે નાળીયેર આપીએ એમાંથી કાઢે છે ? મિત્ર બોલ્યો એ પોતાની પાસેના નાળીયેર માંથી કાઢે છે . મેં એને કીધું હું તમે મને નાળીયેર આપો એમાંથી લાલ લોહી જેવું પાણી કાઢી બતાવું છું . ગોવિંદ ભાઈ આ વાત હું મારા બ્લોગમાં લખવાનો છું એમાં તમે વાંચશો એટલે રહસ્યની ખબર પડી જશે હમણા તમે આતા કેવીરીતે આપણે આપેલા નાળીયેરમાંથી લાલ પાણી કાઢી બતાવતા હશે .એનો વિચાર કતા રહો .

    Like

Leave a comment