–મુરજી ગડા
અભીવ્યક્તી પર શ્રદ્ધા અને અન્ધશ્રદ્ધા જેવા વીષયો પર ઘણું રજુ થઈ ચુક્યું છે. એમાં વધારો કરવો ઉચીત નથી; પણ છુટથી વપરાતા આવા કેટલાક શબ્દોના અર્થ વીશે થોડી ચોખવટ કરવી જરુરી છે.
શબ્દકોશમાં શ્રદ્ધા અને વીશ્વાસને સમાનાર્થી બતાવ્યા છે, જો કે લોકોને આ બે શબ્દો વચ્ચેના સુક્ષ્મ ભેદની ખબર છે એટલે જ વહેવારમાં બન્ને શબ્દોનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે. ભલેને આ ભેદને તેઓ સારી રીતે સમજાવી શકતા ન હોય.
સહજ રીતે સાંભળવા મળતાં નીચેનાં બે વાક્યો પર થોડું વીચારીએ : (1) ‘અમારી કામવાળી એટલી ‘વીશ્વાસુ’ છે કે અમે બહાર જઈએ ત્યારે ઘરની ચાવી એને આપી જઈએ છીએ.’ (2) ‘અમારા શેઠને મારા પર એટલો ‘વીશ્વાસ’ છે કે તેઓ બહાર જાય ત્યારે કૅશ રજીસ્ટર/ કાઉંટર મને સંભાળવાનું કહે છે.’ અહીં માલીક અને નોકર બન્નેએ એકબીજા વચ્ચેના સમ્બન્ધના વર્ણન માટે ‘વીશ્વાસ’ શબ્દ વાપર્યો છે, કોઈએ શ્રદ્ધા શબ્દ નથી વાપર્યો. વ્યવહારમાં ખાતરી, વીશ્વાસ વગેરે શબ્દો સહજ રીતે વપરાય છે; જ્યારે ‘શ્રદ્ધા’ શબ્દ મુખ્યત્વે ધાર્મીક માન્યતાઓ માટે વપરાય છે.
શ્રદ્ધા અને વીશ્વાસમાં ફરક છે. વીશ્વાસ એ જાત અનુભવે કે જાહેર અનુભવે કેળવેલ મનોભાવ છે, જ્યારે શ્રદ્ધા એ અનુભવથી નહીં; પણ આશાવાદમાંથી જન્મતો મનોભાવ છે. ત્યાં સુધી બધું ઠીક છે. પરન્તુ માત્ર પરમ્પરાને આધારે કે પછી બીજા કોઈના કહેવાથી, જાતે વીચાર્યા વગર માત્ર શ્રદ્ધાના નામે કોઈ વાત સ્વીકારી લેવાય છે; ત્યારે અનર્થ થવાની શક્યતા ખુબ વધી જાય છે. શ્રદ્ધા એ સત્યશોધનના માર્ગમાં આવતી કાંટાળી વાડ છે. શ્રદ્ધાનો આડેધડ ઉપયોગ કરવો તે સત્ય પર ઢાંકપીછોડો કરવા જેવું છે.
શ્રદ્ધા ઉપરથી બીજો શબ્દ બન્યો છે : અન્ધશ્રદ્ધા અને વીશ્વાસ ઉપરથી બીજો શબ્દ બન્યો છે આત્મવીશ્વાસ. (આત્મશ્રદ્ધા શબ્દ ખાસ ક્યારે પણ સંભળાયો નથી). અન્ધશ્રદ્ધા શબ્દ નકારાત્મક (નેગેટીવ) ભાવ દર્શાવે છે, જ્યારે આત્મવીશ્વાસ શબ્દ રચનાત્મક/સકારાત્મક (પોઝીટીવ) ભાવ દર્શાવે છે. આના પરથી પણ શ્રધ્ધા અને વીશ્વાસ વચ્ચેનો અર્થ ભેદ જોઈ શકાય છે.
વીશ્વાસ એ જાત અનુભવે કેળવેલ મનોભાવ હોવાથી પહેલા દીવસથી જ નોકર પર વીશ્વાસ રખાતો નથી. થોડા સારા અનુભવો પછી જ વીશ્વાસ બેસે છે. કેટલાક વીશ્વાસ આપણા પોતાના નહીં; પણ બીજાઓના તેમ જ સામુદાયીક અનુભવ પરથી પણ સ્વીકારેલા હોય છે, જેવા કે જાણીતા ડૉક્ટર પરનો વીશ્વાસ, બસ કે ટ્રેનના ડ્રાઈવરની કાબેલીયત પરનો વીશ્વાસ આ પ્રકારમાં આવે છે.
શ્રદ્ધા સાચી ઠરે અને ખોટી પણ ઠરે છે. એ જ રીતે વીશ્વાસ પણ ક્યારેક ખોટો પડે છે. એના માટે ‘વીશ્વાસઘાત’ શબ્દ વપરાય છે. શ્રદ્ધા જ્યારે ખોટી ઠરે છે ત્યારે ‘શ્રદ્ધાઘાત’ જેવો કોઈ શબ્દ સાંભળ્યો નથી; કારણ કે એ દીશામાં વીચાર કરવાની પણ મનાઈ છે. ઘણા લોકોને સાધુ, બાવા, ગુરુ, મહારાજ વગેરે પર ખુબ શ્રદ્ધા હોય છે. જ્યારે એમનામાંથી કોઈનાં કાળાં કરતુત બહાર આવે છે ત્યારે ભોળા શ્રદ્ધાળુઓને કેવી લાગણી થતી હશે એની ખબર નથી. એના માટે ‘શ્રદ્ધાઘાત’ શબ્દ હજી સુધી કેમ નથી વપરાયો એ સવાલ જરુર થાય છે.
માન્યતા અને હકીકત વચ્ચેનો ભેદ પ્રમાણમાં ઘણો સ્પષ્ટ છે એટલે એમના ઉંડાણમાં જવાનું ટાળીએ; છતાં એટલું કહેવું જરુરી છે કે ‘શ્રદ્ધા’ સાથે ‘માન્યતા’ શબ્દ વપરાય છે, જ્યારે ‘હકીકત’ સાથે ‘વીશ્વાસ’ શબ્દ વપરાય છે. શ્રદ્ધા શબ્દ કોઈ વાપરતા નથી.
શ્રદ્ધા અફીણ જેવી છે. તે માણસને સતત ઘેનમાં રાખે છે. જ્યારે કોઈ પ્રશ્નનો બુદ્ધીગમ્ય ઉત્તર નથી મળતો ત્યારે બહુ વપરાયેલી જુની પુરાણી શ્રદ્ધારુપી ઢાલ આગળ ધરવામાં આવે છે. એનો ગર્ભીત અર્થ થાય છે કે, ‘અમારી પાસે તાર્કીક ઉત્તર નથી; છતાં અમારી માન્યતાઓને પડકારશો નહીં.’ જ્યારે અન્ધશ્રદ્ધા તો ગળ્યું ઝેર છે. ઝેર એટલા માટે છે કે તે મનુષ્યની સત્ય જાણવાની જીજ્ઞાસાને જ મારી નાખે છે અને ગળ્યું એટલા માટે છે કે લોકો તેને હોંશેહોંશે સહેલાઈથી સ્વીકારી લે છે !
ટી. વી. પર ધાર્મીક સીરીયલો વધતી જાય છે. એ તો ઠીક, સામાજીક સીરીયલોમાં તેમ જ છાપાંઓમાં પણ ખુબ અન્ધશ્રદ્ધા પીરસવામાં આવે છે. કેટલીયે સાવ પાયા વગરની વાતો ફેલાવવામાં આવે છે અને ભોળી પ્રજા એને શ્રદ્ધાથી સ્વીકારે છે. તેમની માન્યતા એવી છે કે ટી. વી. પર જે બતાવાય છે તેમ જ છાપાંમાં જે લખાય છે તે કંઈ ખોટું થોડું હોય ! આપણને જો સાવ પલાયનવાદી બનવું ન હોય તો, અન્ધશ્રદ્ધાના આ ઘોડાપુરમાં સામા પ્રવાહે તરનારા બનવું જરુરી છે.
શ્રદ્ધા–અન્ધશ્રદ્ધાની આજ સુધીની ચર્ચાનો સાર ટુંકમાં કહેવો હોય તો એ જ કે, ‘અન્ધશ્રદ્ધા ઓછી કરવા આપણે કોશીશ કરતા રહેવું જોઈએ; પણ શ્રદ્ધાને છેડવી ના જોઈએ.’ વાત તો સાચી છે; પણ શ્રદ્ધા અને અન્ધશ્રદ્ધા વચ્ચેનો ભેદ કોણ નક્કી કરે ? અને કોઈ કરે તોય બીજા એને સ્વીકારશે એવું માની ન લેવાય.
આપણને જે નજર સામે દેખાય છે, અનુભવાય છે એને અવગણીને પરમ્પરાથી ચાલી આવતી કોઈ માન્યતાને પકડી બેઠા રહીએ, એને અન્ધશ્રદ્ધા સીવાય બીજું કંઈ ન કહેવાય.
રેશનાલીઝમ માત્ર ધાર્મીક માન્યતાઓને જ લાગુ નથી પડતું. તે ડગલે ને પગલે લેવા પડતા નીર્ણયોમાં ખુબ ઉપયોગી થાય છે. શ્રદ્ધા, અન્ધશ્રદ્ધા અને રૅશનાલીઝમ વચ્ચેનો ભેદ આપણા બધા સાથે સંકળાયેલી એક સામાન્ય બાબતથી સારી રીતે સમજી શકાય છે. એ છે માંદગી અને એનો ઉપચાર.
રોગપ્રતીકાર કરવાની શરીરની પોતાની શક્તી હોય છે. એ જાણી, શરદી જેવી સામાન્ય માન્દગીમાં તરત ઉપચાર ન કરાવતાં, થોડીક રાહ જોવી એ જાત અનુભવે કેળવેલ ‘પોતા પરનો વીશ્વાસ’ અને ‘પ્રકૃતી પ્રત્યેની શ્રદ્ધા’ છે. બીમારી વધતાં એ મટાડવા, ભુવા પાસે દોડી જવું કે બાધા આખડી રાખવી એ શ્રદ્ધા નહીં; પણ ‘અન્ધશ્રદ્ધા’ની નીશાની છે. સારવાર કરાવવા યોગ્ય પ્રકારના ડૉક્ટર પાસે જવું એ ‘રૅશનાલીઝમ’ છે.
જેમ આરોગ્ય માટે આપણે અનુભવ આધારીત વ્યવહારુ પગલું લઈએ છીએ તો માન્યતાઓનાં બીજાં ક્ષેત્રોમાં કેમ કોશીશ નથી કરતા ?
–મુરજી ગડા
લેખક સમ્પર્ક:
શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન: 972 679 9009 ઈ–મેલ: mggada@gmail.com
વડીલ શ્રી. મુરજી ગડાએ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગ માટે ખાસ આ લેખ કરી મોકલ્યો તે બદલ હું એમનો ખુબ આભાર માનું છું. ..ગોવીન્દ મારુ… લેખ લખાયો : 26 જાન્યુઆરી 2015
‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’
અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 30/01/2015
હું મારી શ્રદ્ધાને SELF CONFIDENCE તરીકે ગણું છું. મારી જાત પરના મારા વિશ્વાસને હું મારી શ્રધ્ધા માનુ છું. હું જીવતા માણસને ભગવાન માનુ છું, મંદિરની મૂર્તિને નહીં. હું દવાને માનુ છું, દુવાને નહીં. હું દાક્તરને માનુ છું, દોરા-ધાગાને નહીં. હું ગ્રંથીઓની ચિંતા કરનારો છું, ગ્રંથોની નહીં. ચમત્કારને નમસ્કાર કરનારા ચમચાઓ મારે મન પાગલથી વિષેશ નથી. હું કોઇને આનંદ આપી શકુ, દુ:ખ નહીં. શરીર છે તો હું છું, શરીરનો જ્ઞાતા ડૉક્ટર મારે મન વંદનીય વ્યક્તિ છે . હું રેશનાલીઝમને માનનારો કટ્ટર રેશનાલીસ્ટ થયો છું. રેશનાલીઝમમાં મને પુરી શ્રદ્ધા છે. મને પ્રકૃતિમાં શ્રદ્ધા છે, વિકૃત વિકરાળ મૂર્તિઓમાં નહીં. મને પૂજામાં નહીં, પ્યારમાં રસ છે. રીવાજ કરતા રીયાઝ મારે મન અગત્યની બાબત છે. વહેમ મારાથી દૂર છે, રહેમને નજીક રાખુ છું. રોગીની ચિંતા કરનારો છું, જોગીની નહીં. જ્યોતિષમાં નહીં, જ્યોતિમાં(પ્રકાશ/ગરમી/ઉર્જા/અગ્નિ) માનુ છું. ઢોંગ રોન્ગ છે. બાબાને નહીં, બાને પ્રણામ કરવામાં ગૌરવ છે. મારુ કામ કરનારા સૌ સાથીઓ ઇશ્વર છે, ગોવિંદ છે, કેશવ છે, શંકર છે, ………… મુરજી ગડાનો શબ્દોનો સંશોધનાત્મક આ લેખ ‘ ગોવિંદને’ ગમ્યો એટલે અમને મળ્યો. બંને મહાનુભાવોને શ્ર્ધ્ધાભર્યા નમસ્કાર.
લિ. અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી,
રોહિત દરજી ‘ કર્મ ‘ , હિંમતનગર
LikeLiked by 1 person
Really nice one
LikeLike
excellent article
LikeLike
મિત્રો,
વિશ્વાસની સાથે અવિશ્વાસ શબ્દનો પણ ઉપયોગ થાય છે. વિશ્વાસઘાત શબ્દ કદાચ અવિશ્વાસ કરતાં જુદો ભાવ દર્શાવવા માટે વપરાતો હશે……‘ મારા બોસને મારામાં વિશ્વાસ ઓછો અને અવિશ્વાસ વઘુ છે.‘
‘ મારાં બીઝનેસ પાર્ટનરે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.‘
મઝા આવે છે.
અમૃત હઝારી.
LikeLiked by 2 people
Well explained. Shardhaa (Belief) is nothing but a Brain Washing activity. It has laways came through peer and does impact your brain and your thought process. Where Vishwas (faith) is something you creat on base of experience. Faith can be true (Real) where Shardhaa may or may not true (real). In life, it is more practical to follow faith and be a ‘faithfull’ over believer.
LikeLiked by 1 person
અાજકાલ ઇ-મેઇલમાં સતત જોવા મળતી “સલાહો’ જેમકે અા ખાઓ તો અામ થાય વગેરે વગેરે.કેટલીક વાર
અા ” સલાહો” એકબીજાથી વિરુધ્ધ જોવા મળે છે.કેટલીક માહિતીને કોઇ અાધાર હોતો નથી.એટલે અા નવા પ્રકારની પાંગરતી જતી અંધશ્રદ્ધા છે એમ મારું નમ્રપણે માનવું છે.
LikeLiked by 1 person
100% sachi vat aaj kal dharmaguru o jyotishacharyo ni jem aayurvedacharyo no pan rafdo fatyo chhe.
LikeLike
રોજીંદા જીવનમાં વપરાતા શબ્દો અને તેના વિષે સાચી ખોટી માન્યતાઓની સ્પષ્ટ છણાવટ. સાથે શ્રી રોહિત દરજીનો પ્રતિભાવ ……
અભીવ્યક્તી, શ્રી મુરજી ગડા,શ્રી રોહિત દરજીનો શ્રધ્ધાપુર્વક આભાર.
LikeLike
Shraddha ane Andh-Shraddha no khel sadeeo thi chaalyo aave chhe. Andh-shraddha virudh avaaz uthavnara kain ketlay thaee gaya chataan joi tetlo pher kyan padelo dekhay chhe? Duniya ma lagbahg badhan samajo ma aa banne jova malej chhe. Andh-shardha viruddh na prayaso ne dharma na naame lila laher krnaraa ane emn chamchao dharma virodh ma khapave chhe. Bhagyej koi evo samaaj hashe jena membro aano shikaar na hoy.
Muslim samaaj ma ma dargaho par thataa dhatingo shun chhe/ Ae pan andhsraddha no varvo namunoj chhe. Dargaho na Urs manavva, Sandalo kaadhva maate Isla ma kyany nathee lakhiyun ane chhatan thaayaj chhe.
hristianity ma mombaatio jalavi badhao manci, Novina karva ae pan andhshraddhaj chhe ne? 100 OMG ke PK aave to pan kain fer padvano nathee.
Murji Gada bhaie saari chhanavat kari chhe. Shbda fer bahuj saras rite samjhavyo chhe.
LikeLike
Khub saras lekh
Ane sathe khub saras abhipray ROHIT DARJI
Shraddha sabda j andhshraddha no janm data ganai kharekhar shraddgalu o ne Khabar j padti nathi teo kyare shraddha na pradesh mathi andhshraddha na pradesh ma aavi gaya shraddha ane andhshraddhal banne pradesh ni border matha na bal jetli patli hoi.
Shraddha no atirek ej andhshraddhal.
LikeLike
બહુ સુંદર સમજણ આપતો લેખ છે…………..
LikeLike
પ્રિય ગોવિંદ ભાઈ મારું
તમે કેટલાક શબ્દોની ચોખવટ કરવાનું વિચારો છો એ સારી વાત છે।
LikeLike
VISWAS MEANS 99.999 MEANS THERE IS AVISWAS IN VISWAS WHILE SRAHDHHA MEANS 100% VISWAS. THIS IS DIFFERENCE.
LikeLike
Excellent Elaboration of two words by Mr. Gada. Thank you. Dr. Pradip Martin Surat.
LikeLike
સારવાર કરાવવા યોગ્ય પ્રકારના ડૉક્ટર પાસે જવું એ ‘રૅશનાલીઝમ’ છે.
——–
હેટ્સ ઓફ! વન્ડરફુલ.
અવળા રસ્તાઓ તર્ફ લાલબત્તી બહુ ચીંધી . નકારને નકારથી મહાત ન કરી શકાય.
હવે આમ જ જીવનમાં કામમાં લાગે તેવી દિશાઓ બતાવતા રહેજો. કદાચ……એ વધારે અસરકારક નીવડી શકે.
LikeLike
શ્રદ્ધા નામની વસ્તુ પર અત્યારે અબજો ડોલરનો ઉદ્યોગ ચાલી રહ્યો છે. અને આ ઉદ્યોગપતિઓ છે પંડિતો, મુલ્લાઓ, મોલવીઓ, પાસ્ટરો વગેરે. ગ્રાહકોમાં છે જગતના લગભગ દરેક ધર્મના અંધ્શ્રદ્ધાળુઓ. ખોટમાં છે આપણા જેવા રેશ્નાલીસ્ટો, જેઓ પોતાનાથી થઈ શકે તેવા પ્રયાસો કરી રહ્યા છે.
કાસીમ અબ્બાસ
LikeLike
મુરજીભાઈનો આભાર. અઅવો સુંદર સમજ આપતા લેખ માટે. તેમની વાત ખરી છે. આ શબ્દો ચવાઈ ગયેલા છે. પણ સમજવાની જરૂર છે. ગોવિંદભાઈને ધન્યવાદ.
LikeLiked by 1 person
પરફેક્ટ … શ્રદ્ધા થોડી વધી જાય તો અંધશ્રદ્ધા.. બાકી શ્રદ્ધાની વિરુદ્ધનો શબ્દ છે અશ્રદ્ધા.. શ્રદ્ધામાં અને વિશ્વાસનો ભેદ બહુ સરસ સમજાવ્યો. શ્રદ્ધાઘાત શબ્દ હજુ વપરાયો નથી, ક્યાંથી વાપરે? બાવાઓનો બીક જો લાગે છે. હહાહ્હાહા
LikeLiked by 1 person
વાહ મુરબ્બી મુરજીભાઈ વાહ.. બીમારી વધતાં એ મટાડવા, ભુવા પાસે દોડી જવું કે બાધા આખડી રાખવી એ શ્રદ્ધા નહીં; પણ ‘અન્ધશ્રદ્ધા’ની નીશાની છે. સારવાર કરાવવા યોગ્ય પ્રકારના ડૉક્ટર પાસે જવું એ ‘રૅશનાલીઝમ’ છે.
LikeLike
Very Good explanation …..
LikeLike
Friends,
Blind Faith : Noun: Belief without true understanding, perception, or discrimination. ( 21st Century Lexican Dictionary.)
Urban Dictionary: Blind Faith : Blind faith can be practiced by anyone including atheists. Blind faith occurs when someone puts faith into something without any evidence.
One word related to blind faith is “Stupidity.”
Collection by :
Amrut Hazari.
LikeLike
Well explained. Thanks.
LikeLike
સરસ .મજા આવી. શ્રદ્ધાઘાત શબ્દ કદાચ એટલે નથી વપરાતો કે શ્રદ્ધા શબ્દ માં જ થોડી અચોક્કસતા છે જ.તમે લખ્યું તેમ વિશ્વાસ તો પરીક્ષણ કાર્ય પછી આવ્યો હોય છે જયારે શ્રદ્ધા માં anticipation માત્ર છે.એટલે તેનુ વ્યર્થ જવું માન્ય છે. તેથી તેના ઘાત નો કોઇ મુદ્દો નથી અને તેના માટે શબ્દ પણ નથી..
LikeLike
બધા પ્રશ્નોના બુદ્ધિજન્ય કે બુધ્ધીસ્વીકાર્ય ઉત્તરો મળે તે શક્ય છે? ઘણા પ્રશ્નો એવા હોય છે કે જેમાં તે સાવ અશક્ય હોય છે. તેમાંથી કેટલાક બિનજરૂરી હોય છે તે સાચું. પણ બાકીના, રોજીંદા જીવનને અસર કરતા, પ્રશ્નોના જવાબ ન મળે તો કશીક શ્રદ્ધા રાખવી પણ પડે. આવી શ્રદ્ધા વ્યક્તિગત રહેતી હોય તો તેમાં વાંધો શું કામ ઉઠાવવો જોઈએ? હા, આવી શ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવાતો હોય ત્યારે પ્રજાને ચેતવણી આપવી જોઈએ. પણ બધી શ્રધ્ધાઓને અફીણ કહીને વગોવવી તે પણ રેશનાલીસ્ટ કથન નથી.
LikeLike
———–આવી શ્રદ્ધા વ્યક્તિગત રહેતી હોય તો તેમાં વાંધો શું કામ ઉઠાવવો જોઈએ? હા, આવી શ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવાતો હોય ત્યારે પ્રજાને ચેતવણી આપવી જોઈએ. પણ બધી શ્રધ્ધાઓને અફીણ કહીને વગોવવી તે પણ રેશનાલીસ્ટ કથન નથી.————–
ઊત્તર. શ્રદ્ધા વ્યક્તિગત રહે છે ખરી? ગણપતીને દૂધ પીવડાવવા ભણેલા ગણેલા બધા દોડી ગયા હતા. શ્રદ્ધા નામના ચાંદામાથી અંધશ્રદ્ધા નામનું કૅન્સર કયારે થઈ જાય છે તેની બુદ્ધીશાળી ગણાતા લોકોને ખબર પડતી નથી.
LikeLike
અમેરિકામાં નેશનલ રાઈફલ એસોસીએશન પિસ્તોલ નિયંત્રણનો કોઈ પણ કાયદો થવા દેતું નથી. તે એવી દલીલ કરે છે કે એક વાર આવો કશો કાયદો કરીએ તો જતે દિવસે સરકાર બધી પિસ્તોલ પર પ્રતિબંધ મૂકી દેશે. એના જેવી આ દલીલ છે.
LikeLike
લેખમાં પણ મેં એનો ઊલ્લેખ કર્યોજ છે. વાત એટલી સહેલી નથી. વાંચો….
“શ્રદ્ધા–અન્ધશ્રદ્ધાની આજ સુધીની ચર્ચાનો સાર ટુંકમાં કહેવો હોય તો એ જ કે, ‘અન્ધશ્રદ્ધા ઓછી કરવા આપણે કોશીશ કરતા રહેવું જોઈએ; પણ શ્રદ્ધાને છેડવી ના જોઈએ.’ વાત તો સાચી છે; પણ શ્રદ્ધા અને અન્ધશ્રદ્ધા વચ્ચેનો ભેદ કોણ નક્કી કરે ? અને કોઈ કરે તોય બીજા એને સ્વીકારશે એવું માની ન લેવાય.”
LikeLike
શ્રદ્ધા અને વિશ્વાસ વચ્ચેનો ભેદ તો સમજી ગયા. શ્રદ્ધા અને આશા વચ્ચેનો સંબંધ પણ વિચારવા જેવો છે.
આપણામાંથી કેટલાક વડીલો અને મિત્રો પુસ્તકો લખે છે, બ્લોગો કે સંસ્થાઓ ચલાવે છે. તેમનો સારો હેતુ રેશનાલીઝમનો પ્રસાર કરવાનો હોય છે. અત્યારનું માહોલ જોઈએ તો સફળતા મળવાની શક્યતા કેટલી? છતાં આશા રાખીએ છીએ કે સફળતા જરૂર મળશે. તેથી આ બધા પ્રયત્નો કર્યે રાખીએ છીએ. કારણ કે આપણને રેશનાલીઝમ પર શ્રદ્ધા છે. આ શબ્દ જોઇને ઘણા ભડકશે, કેમ કે બધાને નહિ તો ઘણાને તેની એલર્જી વર્તાય છે.
જીવન માટે આશા આવશ્યક છે, આશાનો પાયો છે શ્રદ્ધા. ચારે બાજુથી અત્યંત વિષમ સંયોગોથી ઘેરાયેલી વ્યક્તિ નિરાશ થઈને જો રેશનલ દૃષ્ટિકોણથી વિચારે તો તેને એમ લાગી શકે કે આપઘાત કરવા સિવાય બીજો કશો ઉપાય નથી. આવો વિચાર આવવાનું કારણ શ્રદ્ધાનો સદંતર અભાવ. કોઈના પર કે કશાક પર જો શ્રદ્ધા હોય તો આશાનું નાનું સરખું પણ કિરણ તે વ્યક્તિને જીવતી રાખી શકે.
જનજીવનમાંથી શ્રધ્ધાને નિર્મૂળ કરવાનો પ્રયત્ન કરતા પહેલા આ વાતનું ધ્યાન રાખીએ, આપણી સમતુલા જાળવી રાખીએ તો સારું. છગનભાઈની શ્રદ્ધાનો દુરુપયોગ મગનભાઈ કરતા હોય તો છગનભાઈને ચેતવવા જોઈએ. પણ છગનભાઈની બધી જ શ્રધ્ધાઓને ભુસી નાખવાનું યોગ્ય નથી.
LikeLike
ત્રણ અંગ્રેજી શબ્દો આ વાતને વધુ સારી રીતે સમજાવી શકે છે.
Possible, impossible and probable.
probable ની આશા રાખી શકાય પણ Impossible ની નહીં. કઈ વાત પ્રોબેબલ છે અને કઈ નથી એ સમજવું પણ રૅશનાલીઝમ છે.
આપણે તો રૅશનાલીઝમ્ની જ્યોત જલતી રાખવી છે. ભવિષ્યમાં કોઈ વધુ પ્રતીભાશાળી વ્યક્તિ આવે અને ત્યારે સામાજીક વાતાવરણ વધુ અનુકુળ હોય તો એને એકડે એક્થી શરુ કરવાની જરૂર ન પડે. એના માટે થોડું ગ્રાઊંડ વર્ક કરી રાખ્યું હોય તોયે ઘણું
LikeLike
શબ્દછેદન (semantics) માં પડવાને બદલે તાત્પર્ય પર ધ્યાન આપવું જોઈએ.
ભવિષ્યમાં કોઈ કલ્કી અવતાર થશે અને સામાજિક વાતાવરણ અનુકુળ થશે તેવી આપને ‘શ્રદ્ધા’ છે ખરી. ત્યારની વાત ત્યારે. હાલ તુર્ત તો અધ્યાત્મવાદી ધર્માત્મા ગુરુઓના પ્રપંચ અને બુદ્ધિવાદી તર્કાત્મા રેશનાલીસ્ટોના ઘમંડ વચ્ચે ગુંચવાતી જનતાને એવા વ્યવહારુ વિકલ્પની જરૂર છે કે જેનો અમલ કરી શકાય. 24/7 અક્કલ વાપરવાનું શક્ય નથી હોતું. જનસાધારણ ને રુચે તેમ જ પચે તેવું વાંચન પીરસવું જોઈએ. આપણે અંદર અંદર ચર્ચા કર્યા કરીએ અને સંમત કે અસંમત થયા કરીએ તેનો શો લાભ પ્રજાને મળે?
LikeLike
મઝા આવે છે. ગુજરાતી પર્યાય શબ્દો ખૂબ મઝાના છે. રેશનલ અેટલે…બુઘ્ઘિવિષયક અથવા સમજુ. રેશનેલ અેટલે ખુલાસો. અને રેશનાલીઝમનો ગુજરાતી પર્યાય શબ્દ સુંદર સમજ આપે છે…તે પોતે પુરી સમજ આપતો શબ્દ છે. તેની ઉપર ઘણી ચર્ચા કરી શકાય તેમ છે. આપણે આપણી ચર્ચામાં રેશનાલીઝમ શબ્દનો જ ઉપયોગ કરી રહ્યા છીઅે. તો રેશનાલીઝમ અેટલે….‘બુઘ્ઘિસ્વાતંત્રવાદ‘…..જ્યાં સ્વતંત્ર.,..આઝાદ ….બુઘ્ઘિનો વસ્તુ સમજવા માટે ઉપયોગ થાય…….કોઇ પૂર્વગ્રહ નહિ……આપણી ગુજરાતી ભાષામાં થતી ચર્ચામાં ચાલો આજથી….‘બુઘ્ઘિસ્વાતંત્રવાદ‘ શબ્દનો ઉપયોગ કરીઅે……
અમૃત હઝારી.
LikeLike
બાબા, ગુરુ, સાધુ, મુની, આચાર્યને શ્રદ્ધા અને વિશ્વાસમાં શુ ફરક છે એ ખબર હોય છે. લોકોને ઉંધુ ચતું સમજાવી ફસાવવું એ બાબા ગુરુઓનો ધંધો હોય છે. ભાષા કે વાણીનો દુરઉપયોગ કરી આ ઢોંગી બાબા, ગુરુ, સાધુ, મુનીઓ વધુમાં વધુ લોકોને અંધશ્રદ્ધામાં ઢસડી જાય છે. આપણા દેશમાં પત્થર પુજા એનો નમુનો છે અને રાજકરણીઓ પણ એમાં આગળ છે….
LikeLike
વાસ્તવમાં માનવસ્વભાવ જ એવો છે કે માણસ માત્ર મૂર્તિપૂજક છે, પછી ભલે તે ગમે તે ધર્મમાં માનતો હોય. કેટલાક લોકો જાણીને સ્વીકારીને સમજણપૂર્વક મૂર્તિપૂજા કરે છે. બીજા કેટલાક જાણીને સ્વીકારીને પણ સમજ્યા વિના કરે. બીજા ઘણા મૂર્તિપૂજાનો અસ્વીકાર કરવા કે તેની ટીકા કરવા છતાં અજાણતા પણ મૂર્તિપૂજા તો કરતા જ હોય છે.
મૂર્તિપૂજા મંદિરમાં જ થઇ શકે તેમ નથી. કોઈ પણ પ્રકારનું ચિહ્ન પહેરીએ તો તે પણ આડકતરી રીતે મૂર્તિપૂજા જ છે. ધાર્મિક મહાપુરુષોના નશ્વર દેહોની જન્મજયંતી ઉજવવી તે પણ મૂર્તિપૂજાનું છૂપું સ્વરૂપ છે. અબ્રાહમે ઈશ્વરના સ્મારકો (monuments) સ્થાપ્યા તે પણ મૂર્તિપૂજા જ હતી. તાલીબાનોએ અફઘાનીસ્તાનમાં બામિયાન બુદ્ધને તોડી પાડ્યા તે પણ ભલે નકારાત્મક (negative) છતાં હતી તો મૂર્તિપૂજા જ કારણ કે તેમને મૂર્તિનો ડર લાગતો હોવાની આડકતરી છૂપી કબુલાત હતી. મૂર્તિઓનો ધિક્કાર પણ મૂર્તિપુજાનું સ્વરૂપ જ છે.
LikeLiked by 1 person
મને તો ડોક્તારોમાથી પણ વિશ્વાસ ઉઠી ગયો છે .
शाश्त्रोमे वैद्योंको देव अंश कहते है (मगर ) कोई कोई डॉक्टरों बे मोत मार देते है . મારું એકવખત ખોટું ઓપરેશન થએલું એવું હું માનું છું .
LikeLike
તમારી કોમેન્ટ વાચ્યા પછી મને તો એવું લાગ્યું કે તમારી ” ઉંધી ખોપરી”નથી પણ સવલી ખોપરી છે .
LikeLike
શ્રી મુરજી ગડાનો શ્રદ્ધા વિશ્વાસ ,અંધ શ્રદ્ધા વગેરેની વિગતવાર સમજણ એ વાંચી ઘણું જાણવા મળ્યું .
આવા લખાણો તમે રજુ કરો છો એ બદલ તમારો ઘણો આભાર ગોવિંદભાઈ અને મુરજી ગડાનો પણ આભાર મુરજી ભાઈને હું કઈ લખું એનો એ જવાબ ન આપી શકે કારણ કે એ બહુ પ્રવૃત્તિમાં એટલે હું એનો ધોખો નથી કરતો . આતા નાં રામ રામ
LikeLike
આતાજી, આ શું? રેશનાલીસ્ટ બ્લોગ પર ‘રામ રામ’ લખાય?
LikeLike