શ્રદ્ધા અનેસંતો : સમાજની બેવડી મુસીબતો

–દીનેશ પાંચાલ

અમારી પાસે છે તેટલી બધી નમ્રતા ભેગી કરીને એક વાત કહેવી છે. ધર્મની વ્યાખ્યા સન્તો ભલે કરતા; પણ તે બુદ્ધીગમ્ય અને ની:સ્વાર્થ હોવી જોઈએ. (બુદ્ધી ન હોય તો સત્યની વ્યાખ્યા કરવાનો હક હરીશ્ચન્દ્રને પણ ન હોવો જોઈએ) પ્રકાશનું સત્ય ઘુવડ ન સમજી શકે; પણ સુરજને અન્ધકારનું સત્ય સમજાઈ જવું જોઈએ. આસ્તીકો ઈશ્વર અંગેના અજ્ઞાનની આખી પેટી માથે ઉંચકીને ગુરુ પાસે જાય છે. ગુરુનો સ્વાર્થ તેના પ્રવચનમાં પ્રગટે છે: ‘ગુરુ વીના જ્ઞાન નહીં… માટે ગુરુ કરો… સંસારની મોહમાયા ત્યજો અને પ્રભુને ભજો…!’ એ કારણે થાય છે એવું કે પેટીભરીને અજ્ઞાન લઈને ગુરુ પાસે ગયેલો શ્રદ્ધાળુ પટારો ભરીને અજ્ઞાન લઈને પાછો ફરે છે. ગુરુઓ ધર્મની વ્યાસપીઠ પરથી ‘અહમ્ બ્રહ્માસ્મી’ નો મોઘમ હક જતાવીને પોતે જ ભગવાન બની બેસે છે. નાસ્તીકો તેમનો ભ્રમ ભાંગતા કહે છે: ‘એ બનાવટી ચશ્મામાંથી તેમને જે દેખાય છે તે કેવળ ભ્રાન્તી છે; સત્ય નથી. રાત્રે રોડ પર નીકળો અને દુરથી દેખાતી વાહનોની હેડલાઈટને ફરતે તમને અનેક ગોળ વલયો દેખાય છે. એ વલયોનું અસ્તીત્વ હોતું નથી. તમારી નજરનો એ ભ્રમ હોય છે. વાહન નજીક આવે ત્યારે એ વલયો અદૃશ્ય થઈ જાય છે. ઈશ્વરનો મામલો એ હેડલાઈટ જેવો છે. વર્ષોથી તમે એ હેડલાઈટનાં વલયોને ઈશ્વરીય શક્તી સમજી રહ્યા છો. યાદ કરો, અનેક વાર તમારા જીવનમાં અન્ધકાર આવ્યો; પણ ઈશ્વરની એ હેડલાઈટ તમને ખપ ના લાગી. વીજ્ઞાનની સર્ચલાઈટે જ તમારું અન્ધારું દુર કર્યું.

ધર્મગુરુઓ જેને ઈશ્વર સમજે છે તે વીજ્ઞાનને મન એક હેડલાઈટ છે. ધર્મ શું છે તે જાણવું અશક્ય નહીં; તોય અઘરું જરુર છે. ‘અહીંસા પરમો ધર્મ’ એવું કહેનાર ગાંધીજીએ તેમના આશ્રમમાં એક બીમાર વાછરડાને ઈંજેક્શન અપાવીને મારી નંખાવ્યો હતો. એ વાછરડો અસાધ્ય રોગથી પીડાતો હતો. મૃત્યુપર્યંત એણે પીડાવું પડે એમ હતું. એ સંજોગોમાં ઈંજેક્શન દ્વારા આપવામાં આવેલું મૃત્યુ ‘દયામૃત્યુ’ હતું. હતી તો એ હીંસા જ; પણ તે દયામય હોવાથી પવીત્ર હતી. એક ખુની કોઈના પેટમાં ખંજર હુલાવે, તે હીંસા ગણાય; પણ ડૉક્ટર પેટ પર છરી ચલાવે તેને હીંસા કહેવાની ભુલ કોઈ કરતું નથી. ગઠીયો, લોકોને બેહોશીની દવા સુંઘાડીને ઘરેણાં ચોરી લે છે; પણ ડૉક્ટર એનેસ્થેસીયા વડે દરદીને બેભાન કરીને તેની કીડનીમાંથી પથરી(સ્ટોન) કાઢી આપે છે. બન્નેમાં માણસને બેહોશ કરવામાં આવે છે; પણ એક બેહોશીમાં બદમાસી છે – બીજી બેહોશી કલ્યાણકારી છે. એનેસ્થેશીયાનું ઈંજેક્શન દયામૃત્યુના ગોત્રનું ગણાય. એનેસ્થેસીયા એટલે દરદીની સેન્સેટીવીટીનું મર્સીકીલીંગ !

દોસ્તો, કોઈનું ખુન કરવાની સલાહ અમે નથી આપતા; પણ સેંકડોની હત્યા કરનારા એક ખુંખાર આતન્કવાદીની તમે (અજાણતામાંય હત્યા કરી બેસો) તો હજારોને જીવતદાન આપવા જેવી એ ઉપકારક બાબત ગણાય. સમજો તો સીધી વાત છે. માત્ર ખંજરથી નહીં; ધર્મગ્રંથો વડે પણ હત્યા કરી શકાય છે. બાબાઓ, પંડીતો અને ધર્મગુરુઓ શ્રદ્ધાનું ક્લોરોફોર્મ છાંટી શ્રદ્ધાળુઓની બુદ્ધીને બધીર બનાવી દે છે. પછી તેમની બુદ્ધીની બેરહેમીથી કતલ કરે છે. અને એ ‘ખુન’ને તેઓ ‘ઓપરેશન’માં ખપાવે છે, પેલો શ્રદ્ધાળુ (ખસી કરેલા બળદની જેમ) હમ્મેશને માટે અન્ધશ્રદ્ધાળુ બની જાય છે. એ રીતે તેઓ આખા સમાજમાં હજારો માણસોનાં માનસીક ખુન કરે છે. એક ગુરુનો મઠ એટલે ગુરુએ બનાવેલું કતલખાનું ! એવા તો કેટલાય કહેવાતા બાપુઓની ગેંગ દેશમાં ધાર્મીક કતલખાનાંઓ ચલાવે છે. એક બાપુનો  કીસ્સો ફાટીને ધુમાડે ગયો તે આપણે જાણીએ છીએ. આ કહેવાતા બાપુને કારણે કેટલીય છોકરીઓએ આત્મહત્યા કરી હતી… દેશવીદેશમાં ચાલતાં એમનાં 400 ‘કતલખાનાં’માં લાખો ભક્તો શ્રદ્ધા અને ભક્તીના નામે હોંશેહોંશે વધેરાઈ જાય છે. દોસ્તો, આવી દુર્ઘટનાઓ એટલા માટે બને છે કે સદીઓથી આપણી ધર્મપ્રધાન સંસ્કૃતી ધર્મના અફીણી ઘેનમાં બેહોશ થઈને જીવી રહી છે. એનેસ્થેસીયાની અસરમાં આવેલા દરદીને ખબર પડતી નથી કે એના દેહ સાથે કેવી ચીરફાડ થઈ રહી છે, તે રીતે ઢોંગી સંતોના સકંજામાં સપડાયેલા અ–બૌદ્ધીકોને ખબર પડતી નથી કે ભક્તી અને ધર્મની આડમાં એની સાથે કેવો વ્યવહાર થઈ રહ્યો છે? ધર્મના નામે પ્રવર્તતી આંધળી શ્રદ્ધામાં કેટલાક તો એવા બેહોશ બની જાય છે કે તેમના દેહ સાથે સેક્સનો હવસી ખેલ ખેલાતો હોવા છતાં તેને તેઓ ‘ગુરુસેવા’ સમજીને વેઠતા રહે છે. અન્ધશ્રદ્ધાનું ગાઢ ધુમ્મસ માણસની ચપટીક બુદ્ધીને ચોમેરથી ઘેરી વળે છે.

એ યાદ રાખવાનું છે કે ભગવાન કદી કોઈ સન્તને તેમની ભક્તાણીઓ સાથે શારીરીક દુર્વ્યવહાર કરવાની રજા આપતો નથી અને છતાં વર્ષોથી આવું થતું આવ્યું છે તેના મુળમાં, માણસની આંધળી ધર્મશ્રદ્ધા છે. મા, બહેન, દીકરીઓ એવા ઢોંગી ગુરુઓના શરણે એટલી હદે સમર્પીત થઈ જાય છે કે જાણે કૃષ્ણની બાંહોંમાં ગોપીઓ…! તેમના પતી કે વાલીઓને પણ સન્તોએ ગુરભક્તીની સીરીંજમાં ભરીને અન્ધશ્રદ્ધાનું ઈંજેક્શન આપ્યું હોય છે એથી તેઓ પણ હીપ્નોટાઈઝ્ડ થઈને આ બધું જોતા રહે છે. ધર્મ ભલે પાળો, ભક્તી પણ કરો; પરન્તુ કદી એ ભુલવાનું નથી કે કોઈ ધરમ કદી આવું કરવાનું કહેતો નથી. ખરેખર તો ઈશ્વર અને માણસ વચ્ચે આવા આડતીયાઓ (ગુરુઓ) હોવા જ ન જોઈએ. સાચી શ્રદ્ધા હોય તો તમારા અન્તરના ટેલીફોન બુથમાંથી ઈશ્વર સાથે તમારું ડાયરેક્ટ ડાયલીંગ થઈ શકે છે. ધર્મના નામે આવા ઢોંગી બાપુઓ સેક્સના જે કુટણખાનાં ચલાવે છે તેમાં 99 ટકા વાંક અન્ધશ્રદ્ધાળુઓનો હોય છે. ઢોંગી બાપુઓ તો ભુખ્યા વાઘની જેમ (અત્રે ભુખ્યા શબ્દ એટલા માટે વાપર્યો કે તેઓ સંસાર છોડી ચુકેલા હોય છે) પોતાના સંપ્રદાયની ગુફામાં જડબુ ફાડીને બેઠા હોય છે. સમાજની કેટલીય નાદાન હરણીઓ સામે ચાલીને તેમના મુખમાં જઈ પડે છે. જંગલમાં વાઘ હરણનો શીકાર કરે છે ત્યારે તેના પર ખુનનો આરોપ લગાવી શકાતો નથી; કારણ કે શીકાર કરવો એ વાઘની કુદરતી પ્રકૃતી છે. સંસારના દરેક ડાહ્યા વડીલને એટલી સામાન્ય બુદ્ધી હોવી જોઈએ કે ભુખ્યા રહીને અકુદરતી જીવન જીવતા સાધુ – બાવટાઓને ગુરુ સમજીને તેમની પાસે તમારી મા–બહેન–દીકરીને મોકલવા જેવું મોટું જોખમ બીજું એકે નથી. સત્ય એ છે કે કોઈ ગાંડો માણસ પોતાના ઘરના ગાર્ડનમાં ગુલાબને બદલે બાવળ રોપે અને પછી રોજ પાણી પાઈને બાવળને ઉછેરે તેમ આપણા ધાર્મીકો સમાજમાં આવા શેતાનોને ઉછેરે છે.

દોસ્તો, આપણા ધર્મગુરુઓએ ધર્મના રેપરમાં વીંટાળીને અધર્મનાં એટલાં બધાં પડીકાં સમાજમાં વહેંચ્યાં છે કે ધર્મ બાજુએ રહી ગયો છે અને અધર્મનો ડંકો વાગી રહ્યો છે. આપણા રાજકારણીઓ પણ તેમની વોટબૅંક સાચવવા માટે જરુરી પાપ કરી છુટે છે.

સાધુ અને શેતાનો ભેગાં મળી સંસ્કૃતીની સ્મશાનયાત્રા કાઢે છે. અહીં એક બે નહીં; કરોડો માણસો અજ્ઞાની, અન્ધશ્રદ્ધાળુ અને મુર્ખ છે. એવા પથરાઓથી ભરેલું વહાણ પોતાના ભારથી જ ડુબશે ત્યારે દુ:ખ જરુર થશે; પણ કોઈને આશ્ચર્ય નહીં થાય. ફરી ફરી એ કહેવાનું પ્રાપ્ત થાય છે કે આપણા દેશને, ચીન કે પાકીસ્તાને નથી પહોંચાડ્યું એટલું નુકસાન આપણા જ દેશની અજ્ઞાની પ્રજાએ પહોંચાડ્યું છે. બુટલેગરો, નેતાઓ, દાણચોરો અને હવસખોર સન્તોએ આદરેલા આ ‘દેશડુબાવ’ યજ્ઞમાં 125 કરોડ લોકોએ ખભેખભા મીલાવી આહુતી આપી છે ત્યારે આ દેશમાં દુર્દશાનો ડંકો વાગી શક્યો છે. આખો દેશ જાગૃત બૌદ્ધીકોથી ભરેલો હોત તો થોડાક હવસખોર બાબાઓ અને લુચ્ચા લફંગા નેતાઓની શી મજાલ કે તેઓ એકલે હાથે 125 કરોડ જનતાને આટલું નુકસાન પહોંચાડી શકે ?

ધુપછાંવ

પહેલી નજરે સાચી ન લાગે એવી વાત એ છે કે આપણી આસ્તીકતાએ અનેક આપત્તીઓ ઉભી કરી છે. જરા વીચારો, જે કન્યાએ કહેવાતા બાપુ કે ગુરુના  હવસનો શીકાર બનવું પડ્યું તે કન્યા નાસ્તીક હોત તો તે આવા સ્વામીઓ કે બાપુઓ પાસે જતી હોત ખરી ? એ જ તર્ક આગળ વધારી એમ પણ કહી શકાય કે ખુદ સ્વામીઓ અને બાપુ  નાસ્તીક હોત તો તેમણે ઈશ્વરના નામ પર 400 આશ્રમો સ્થાપવાની કે આટલા ચેલાઓની ફોજ ઉભી કરવાની જરુર પડી હોત ખરી ?

દીનેશ પાંચાલ

‘ગુજરાતમીત્ર’, દૈનીક,સુરતની તા. 09માર્ચ, 2014ની રવીવારીય પુર્તીમાં,વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર જીવનસરીતાના તીરેમાંથી, લેખકનાઅને ‘ગુજરાતમીત્રના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક: શ્રી. દીનેશ પાંચાલ, સી-12,મજુર મહાજન સોસાયટી,ગણદેવી રોડ,જમાલપોર, નવસારી -396445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508

‘અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તી–ઈ.બુક્સમારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

 ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગનાહોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537  88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ:  03 – 04 – 2015

 

 

 

 

15 Comments

  1. Khub saras lalbatti jevo lekh samaj ne mate ruko gurukarnese pahele evi lalbatti aagal badhae Rokai ne aajubaju guru na name vasnano varu to nathi ne te joi nej aagal vadhavu evi sadi samaj Jo darek vyakti kelve to koij guru na kare.

    Like

  2. ‘કોઈ ગાંડો માણસ પોતાના ઘરના ગાર્ડનમાં ગુલાબને બદલે બાવળ રોપે અને પછી રોજ પાણી પાઈને બાવળને ઉછેરે તેમ આપણા ધાર્મીકો સમાજમાં આવા શેતાનોને ઉછેરે છે.’ અહીં એક પ્રશ્ન થાય છે:
    બાવળના તો આયુર્વેદમાં વૈદકીય ઉપાયો બતાવવામાં આવ્યા છે. તો આ શેતાનના કોઈ ઉપયોગ હોઈ શકે? બાવળ તો ભાઈ બહુ ઉપયોગી છે, પણ આ શેતાનો ભારે વીધ્વંસકારી છે.

    Like

  3. માત્ર ખંજરથી નહીં; ધર્મગ્રંથો વડે પણ હત્યા કરી શકાય છે. બાબાઓ, પંડીતો અને ધર્મગુરુઓ શ્રદ્ધાનું ક્લોરોફોર્મ છાંટી શ્રદ્ધાળુઓની બુદ્ધીને બધીર બનાવી દે છે. પછી તેમની બુદ્ધીની બેરહેમીથી કતલ કરે છે. અને એ ‘ખુન’ને તેઓ ‘ઓપરેશન’માં ખપાવે છે, પેલો શ્રદ્ધાળુ (ખસી કરેલા બળદની જેમ) હમ્મેશને માટે અન્ધશ્રદ્ધાળુ બની જાય છે. એ રીતે તેઓ આખા સમાજમાં હજારો માણસોનાં માનસીક ખુન કરે છે. This is very true statement.

    Another an ‘eye opening’ article. I I enjoy reading Dinesh Paanchal article.

    Let share this article and this type of article in all form of ‘social media’ with hope of someone readint will understand and bring change in their life.

    Like

  4. રેશનાલીઝમના ઘણા લેખકો અને લેખ જાણવા/વાંચવા મળે છે. કેટલીક બાબતો પજવે છે તે ઍ છે કે લેખોમાં ભારતીય સંસ્કૃતિના મહાકાવ્યોના પાત્રોને શા માટે ઘસડી લાવવામાં આવે છે. મારા માટે ‘હરિશ્ચંદ્ર’ એક પૌરાણિક ‘વાર્તા’નું પાત્ર છે, એને ‘સત્ય’ની વ્યાખ્યા માટે શા માટે ટાંકવામાં આવે ? માની લો કે એનું ‘સત્ય’ એક એબસોલ્યુટ વસ્તુ છે, તેને ‘અસત્ય’ની ખબર નથી, તો તે શું વ્યાખ્યા આપે ? વધુમાં, એ વાત લખનાર તો એક લેખક હશે ને ! કૃષ્ણની વાત કરનાર પણ એક લેખક જ છે. કૃષ્ણે પોતે તો આત્મકથા લખી નથી. ‘કૃષ્ણની બાહો’ ના બદલે આજના કોઈ ફીલ્મના ‘હિરોની બાહોમાં’ અસરકારક રહે કે કેમ ? ભારતની પ્રજાનો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ અંધશ્રધ્ધામાં ખેંચાઈ ગયો છે એમાં કોઈ બેમત નથી (ધનવાનો અને નેતાઓ બાબાઓના ચરણે ‘બીઝનેસ’ માટે જાય છે) આ અંધશ્રધ્ધાનું વૈજ્ઞાનિક કારણ પણ છે- અન્ય પોસ્ટમાં મેં શ્રધ્ધાને પણ મારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે.
    આપે વાસ્તવિકતા પર સારા પ્રહારો કર્યા છે, મારી કોમેન્ટનો અર્થ ટીકાના સ્વરુપે ન લેતાં મારી મુંઝવણની અભિવ્યક્તિ છે એવું માનવા વિનંતિ.

    Liked by 1 person

  5. મિત્રો,
    ફેઇથ…..શ્રઘ્ઘા……વગર કોઇપણ કહેવાતા ઘર્મો નભે નહિ. આંઘળો વશ્વાસ પણ તે ઘર્મનો પાયો બને છે…પછી તે હિંદુ, મુસ્લીમ, પારસી કે બુઘ્ઘ ઘર્મ હોય….કે બીજો કોઇ….દિનેશભાઇનો આજનો વિષય છે, ‘ શ્રઘ્ઘા અને સંતો….‘ શ્રઘ્ઘાનો મીસયુઝ…ઉંડાણમાં વિચારવાનો વિષય છે. મોટેભાગે અહિં આપણે હિંદુ ઘર્મને વઘુ સેન્ટરમાં રાખીને વાતો કરીઅે છીઅે. મને થયું ઇસ્લામ, ખ્રિસ્તી જેવા ઘર્મોમાં પણ આવી પરિસ્થિતિ હોવી જોઇઅે. જો તેનો થોડો અભ્યાસ કરીઅે તો આપણે હ્યુમન માઇન્ડનો અભ્યાસ વિશાળતાથી કરી શકીઅે. જો ચોર, ખૂની, પોલીટીશીયન, સંતો, મહંતો અેક ઘર્મમાં હોય તો ફેઇથનો મીસયુઝ કરનારા પણ હોવાનાં. આપણે આજે કરંટ સમયના અનુસંઘાનમાં જ વાતો કરીઅે કારણકે તે આપણો વર્તમાન છે. પાસ્ટમાં શું થયેલું તેને સંદર્ભ તરીકે જોઇ શકાય. ભાવિના ગનરેશન માટે આજનો સમય સંદર્ભ બની રહેશે.
    મેં થોડો અભ્યાસ કર્યો અને તે આપ સૌની સમક્ષ વિચાર વિનીમયના રુપે રજુ કરું છું. આપણે કોન્ઝરવેટીવ નહિં રહીઅે…વિશાળ વિચારના બનીને રેફરન્સ સાથે અભ્યાસ કરીઅે.
    I started with knowing , “Misuse of someone’s faith.” I came across, Published on June 17,2014. The heading of the articale is, ” 10 ways christians misuse – Christianity-faith.”
    Reader has to elaborate….They are…( This is a part of a published article.)
    (1) As a form of Escapism. (2) To get money. (3) To gain popularity. (4) To avaid Risk and Sacrifice. (5) To control others. (6) as a promotional tool. (7) To rationalize bad behavor. (8) To explain the unexplainable or to reject “secular” truth. (9) To judge others and (10) To change the culture.

    Now we go to another big religion…Islam. This is also a part of the published article. Referances are quoted…..
    (1)
    It quotes…” Malala presents an alternate narrative to the hijacking of Islam by the Taliban; using the muslim faith as a framework to argue for the importance of education rather than making Islam a justification for oppression. She doesn’t hesitate to directly challenge the Taliban, saying in aspeech to the UN,, ” They think that God is a tiny, little conservative being who would send girls to the hell just because of going to school. The terrorists are MISUSING the name of Islam and Pashtun society for their OWN PERSONAL BENEFITS.”
    (2)
    Chapter 1:
    The two basic concepts misused by those who portray Islam as a violent faith : Sharia and Jihad.

    Please also read…” Islam and the misuse of Ecstasy.”

    આ હ્યુમન માઇન્ડનો પ્રશ્ન છે. ગામ હોય ત્યાં ઉકરડો હોય તે કહેવત ઘણા અનુભવોને અાઘારે જ બની હશે. સ્વાર્થ આ માઇન્ડસેટ માટેનો પાયો છે. અને પછી શરુઆતમાં જ દસ કારણો બતાવ્યા છે (ખ્રિસ્તીઓ માટેના વિચારો) તે મોર ઓર લેશ બઘા જ ઘર્મોના ફોલોઅર્સને લાગુ પડે છે કારણકે આખરે તેઓ પહેલાં માનવી…માણસ છે….માનવ સ્વભાવ, ઘોળા, કાળા, બ્રાઉન,પીળા કે મીક્ષ રંગવાળા દરેકનો અે સરખો હોય છે……આપણો અભ્યાસ પણ માનવ સ્વભાવના બેઇઝ ઉપર આઘારિત હોવો જોઇઅે…..
    પાછા મળીશું…..
    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. “Kaagdaa Badhe j Kaalaa” Their has been billion doller industry just in USA in name of religion. Recently, A preacher request 65 million doller Jet for his travel to his congragation members. Every minister and/or preachers in USA lived lavising life …all from their audiance fund!!

      Like

  6. ભારતમાં એવા વ્યક્તિની જરૂર છે કે જે એવી કોઈ સંસ્થા ઉભી કરે અને એમાં એવા જવાં મરદો ની ભરતી કરે કે જેઓ લોકોને અંધ શ્રદ્ધા માં ધકેલીદાઈ એનો પુરેપુરો લાભ લેતા હોય અને ભોળા પુરુષો અને સ્ત્રીઓને ફસાવતા હોય એમને મારી નાખવા અને એના ઠેકી દારોને પણ રેહ્સી નાખવા અને પોતાના વિરુદ્ધમાં કોર્ટમાં સાક્ષી આપવા જનારાઓને પણ મારી નાખવા .આવી જુંબેશ ઉઠાવવી જોઈએ એમના આશ્રમો નો નાશ કરી નાખવો જોઈએ એમની સભામાં એમનો ઉપદેશ સંભાળવા જનારને પણ મારી નાખવો જોઈએ આવી સંસ્થા જો ઉભી થાય તોજ અંધ શ્રદ્ધા ઓચ્ચી થતા થતા એક દિવસ નિર્મૂળ થઇ જશે બાકી વાતો થી કે લખાણો લખવાથી કશું વળે એમ નથી આવું હું માનું છું .

    Like

  7. With DHARMA…DHATINGO
    Without DHARAMA ..Also DHATINGO.
    TRUE FAITH is within the HEART with its PURITY.
    One can WRITE ARTICLES but it’s Like BHENS AGAL BHAGVAT.
    The INNER CHANGE is needed.
    Chandravadan

    Like

  8. આજના આ લેખમાં પાયાની જ ભુલ શીર્શકથી જ દેખાય છે. લેખમાં વાત તો અશ્રદ્ધા અને ધુતારાઓની કરવાની હતી પણ શીર્શકે શ્રદ્ધા અને સંતોને જ સમાજની મુસીબતો કહીને અન્યાય કર્યો છે !! લેખકે સતત અશ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વીરુદ્ધ વાત કરી છે ને ધતીંગ કરનારાઓની બદબોઈ કરી છે પણ શ્રદ્ધા અને સંત જેવા શબ્દોની સામે એમને ક્યાંય વાંધો હોય તેવું દેખાતું નથી…..
    શીર્શકે જ એ બન્ને શબ્દોને મુસીબતો કહીને અપમાનીત કર્યાં છે એવું ચોક્ખું દેખાય છે !

    વળી “બુદ્ધી ન હોય તો સત્યની વ્યાખ્યા કરવાનો હક હરીશ્ચન્દ્રને પણ ન હોવો જોઈએ” આ વાક્ય દ્વારા એવું સમજાય છે કે હરીશ્ચન્દ્રનું નામ લઈને તેનો સંદર્ભ બુદ્ધી વગરના કોઈ સાથે જોડવાની જરુ નહોતી. જો બુદ્ધી ન હોત તો હરીશ્ચન્દ્રને આપણે યાદ ન જ કરતા હોત ! તેનામાં બુદ્ધી ન હોય તેવી કલ્પના કરીને તેને કોઈ પણ બુદ્ધી વગરના સાથે બેસાડી દેવાની જરુર શી પડી ?!

    “સુરજને અન્ધકારનું સત્ય સમજાઈ જવું જોઈએ” આ વાક્ય પણ ઘુવડના સંદર્ભે બંધ બેસતું નથી….સુરજને ઘુવડની વીરોધમાં અલંકારરુપે પણ બેસાડવામાં જોખમ તો છે જ !! પ્રકાશ (જ્ઞાન)નું સત્ય ઘુવડ (અજ્ઞાની) ન સમજી શકે તે બરાબર પણ સૂરજ (જ્ઞાની) અંધકારનું (અંધકારનું) સત્ય ન સમજી શકે તેવું બને ખરું ?! તો પછી તે સુરજ (જ્ઞાની) શાનો ?!!

    મને લાગે છે કે સમાજના મોટા ભાગનાની અણસમજોને ભાંડવામાં સુકા ભેગું લીલું પણ બળી જતું હોય છે. હરીશ્ચન્દ્રને આપણે જાણતા હોઈએ પછી પણ તેના હક્ક વીશે આવી રીતે હીનોપમાથી લખવાનો હક્ક આપણને કોણે આપ્યો ?

    એવું નથી લાગતું કે સુધારાના નામે વધારે પડતી છુટ લઈને આપણે કરોડો લોકોમાંના સારા માણસોને પણ અન્યાય કરીએ છીએ ?

    Like

  9. શ્રી જુગલકિશોર્ભાઈના મંતવ્યને સાથે હું સ્પષ્ટપણે આવકારું છું…એમના દાખલા દલીલ એકદમ બંધબેસ્તા છે. શ્રી પ્રવીણ શાસ્ત્રીના જવાબી લેખ સાથે પણ હું સર્વસંમતી દર્શાવું છું..

    આપણું કોઈ એક અંગ પાકી જાય અને પરૂ થઈ જાય તો દવાથી મટાડીએ, જો જરૂર પડે તો પુરા શરીરને બચાવવા એ અંગ કાપવું પણ પડે,,, આખું શરીર નથી કાપી નાંખતા…..સમાજમાં જો થોડાક કે વધારે સંતો ખરાબ હોય એટલે “બધા”જ સંતોને ઉતારી પાડવા એ યોગ્ય કહેવાય…??? આજે તો હિંદુ ધર્મમાં ભગવાનમાં સાચી શ્રધ્ધા રાખવાવાળાઓને ઉતારી પાડવાનો રીતસરનો એક ધંધોજ થઈ પડ્યો છે..અને આ વાત કરવા માટે પણ વાક્યે વાક્યે “ભગવાનનું” નામ તો લેતાંજ રહેવાનું..!!! શું મંદિરમાં ન જવું કે કોઈ પણ સંત-સારા કે ખરાબ-ની સભામાં ન જવું તો પછી શું, પબમાં જવાનું, નાઈટ કલબમાં જવાનું, ડાન્સ બારમાં જવાનું, હોટલમાં જવાનું….!!!???? આસારામ હોય કે બીજા કોઈ, તમને કે મીડિયાને એ પકડાયા પછીજ તેના ખરાબપણાની ખબર પડી..??? આટલા વર્ષો સુધી કોઈને ખબરજ નહોતી…?? આજે જો તમે જાણતા હોય તો થોડાક “લેભાગુ” સંતોની નક્કર યાદી બહાર પાડોને, જો ખરાબ, ચરીત્રયહીન હશે તો તમને કોઈ કાંઈ નહીં કરી શકે, તમારી સામે કોઈ કોર્ટોમાં કેસ પણ નહીં થાય. અને સાચા અને સારા સંતોની યાદી બહાર પાડશો તોજ તમે લોકોની સાચી સેવા કરી કહેવાશે અને આવા લેભાગુ સંતોને માનવાવાળા લોકો સાચા સંતો તરફ વળશે…

    માત્ર અંધશ્રધ્ધા વિશેજ લખ્યા કરવાથી લોકોની સેવા નહીં થાય….ધર્મમાં જો કઈ સારું હોય તો તે પણ લખો, હજારો પાનાના અનેક ધર્મગ્રંથોમાંથી માત્ર ખરાબ વસ્તુ ગોતીને લખવાથી લોકોનું શું ભલું થવાનું..

    Liked by 2 people

  10. अति सर्वत्र वर्जयेत् બધી વાતમાં અતિરેક ટાળવો જોઈએ. બુદ્ધિ અને શ્રદ્ધા વચ્ચે પણ સમતુલા અને પ્રમાણભાન કેળવવું જોઈએ.

    શ્રદ્ધા માનવજાતની સર્વસામાન્ય નબળાઈ પણ છે અને જરૂરિયાત પણ છે. જો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તે તાકાત પણ બની શકે.

    સાચા સંતો પોતાની જાહેરાત નથી કરતા. તેમનું જીવન જ પ્રેરણાદાયક હોય છે. તેથી બધા સંતોને વખોડવા તે પણ વ્યાજબી નથી.

    ધર્મના વખાણ કરવાવાળા તો હજારો છે. મિથ્યાભિમાન અને ગૌરવ વચ્ચેનો ભેદ સમજવાની જરૂર છે. પોતાના ધર્મના બધાજ પાસાઓના ખરા ખોટા બચાવ કર્યે રાખવા તે મિથ્યાભિમાન. સારી વાતોની પ્રસંશા કરવા છતાં ખોટી કે ખરાબ વાતોને સુધારવા પ્રયત્ન કરવો તે ગૌરવ.

    Like

  11. ધર્મ, શ્રધ્ધાને અનીતિ સાથે જોડી…સમાજને જે સંસ્કાર મળવા જોઈએ…તેનાથી દૂર ધકેલતી વૃતિ ને આ ખોટા વેપારે જ આ અવદશા કરી છે. એકલું વિજ્ઞાન પશ્ચિમે અપનાવ્યું ને પ્રજાના સંસ્કાર તળિયે ગયા. આવક વધી પણ વાપરવાના રસ્તા ખોટા ..ડ્રગ, મોજશોખનો અતિરેક..વ્યસનો..બે જવાબદારી જોઈ, લોકો ને લાગે છે કે..ઘર ને સમાજમાં ..એક એવા પાયાનું બળ જરુરી છે…જે શિશુવયથી પાંગરે ને સમજ સાથે ઘડાય. આ વાત ભારતીય સંસ્કૃતિએ ઝીલી ને કેળવી. પણ સમાંયતરે, આ વ્યવસ્થામાં સડો પેઠો..જરૂરી ફેરફારો ને અવાજ ઊઠાવનારાને પાછા પાડવામાં આવ્યા..જેનું પરિણામ જ ભોગવાય છે.. ભોગવાય છે. આચાર્ય શ્રી રામશર્મા આચાર્યજી જેવા એ સુંદર વૈચારિક અભિયાન છેડેલ…બદલવા જેવું છે તે..મૂલ્યાંકનની કસોટી. ધર્મનો પ્રાણ શું તો કહે… વ્યક્તિત્ત્વની શાલિનતા…નહીં કે વ્યવહારની ચતુરાઈ કે આડંબર. સમાજ દ્વારા સસ્તી પ્રતિષ્ઠા ..ધનને જોઈ..નીતિ કે અનીતિના સ્ત્રોત વગર આપવાની ..અપનાવવાની વાત ..જેવટે એક એવો ભાગ બની પરિણામ દે..જેને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી! પણ આડંબર જ હોય છે. સાચા સંતોની પ્રતિષ્ઠા વૈભવથી નહીં, આચરણ જૉઇ કરીએ..કરાવતા થઈએ..એ પ્રશ્નનો સાચો નીકાલ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  12. આપણી શ્રધ્ધા અને ધર્મ ગુરુઓ સંત મહાત્માએ તો આપનું ધનોત પનોત કાઢી નાખ્યું છે . ભાઈ દિનેશ પંચાલનો લેખ બહુ ગમ્યો .તમારો અને દિનેશભાઈનો હું આભાર માનું છું એક વાત તમારી આગળ કહેવાની ઈચ્છા થઇ છે એ ઈચ્છાને હું રોકી શકતો નથી . વાત એમ છે કે એક ભાઈ એ મને કીધું કે બે મહા મહાત્માઓ મારે ઘરે પધાર્યા છે . તમે એના દર્શન કરીને પાવન થઇ જશો . તો જરૂર તમે આવો મેં કીધું હું કાર ચલાવતો નથી .એટલે હું આવી શકું એમ નથી તો તે ભાઈ કહે હું તમને તેડી જઈશ . હું એ ભાઈને ઘરે ગયો ચાલતી આવતી રૂઢી પ્રમાણે મેં તે મહાત્માઓ આગળ મારા બે હાથ જોડી મારું મસ્તક નમાવ્યું . મહાત્માઓએ મને આશીર્વાદ આપ્યા અને ખુરસી દેખાડી ત્યાં બેસવાનું કીધું હું ત્યાં બેઠો એટલામાં ઘરધણી આવ્યા જે મને અહી લઇ આવ્યા હતા તેના હાથમાં કંઠી હતી મને ડોક ઉંચી કરવાનું કીધું। મેં પૂછ્યું . શામાટે હું ડોક ઉંચી કરું તો તેઓ બોલ્યા મહાત્માની રૂબરૂ કંઠી ગ્રહણ કરો એટલે તમારો આ ભવ અને પરભવ સુધરી જશે . મેં કિધું આ મારા વાળ સફેદ છે ઈ કાળા થઇ જશે . કંઠી પહેર્યા પછી જો એ શક્ય ન હોય તો આ ભવ અને પરભવ સુધારશે એ વાત મને માનવામાં નહી આવે .
    મહાત્માઓ બોલ્યા આને એમને ઘરે મૂકી આવો . અને મને ભૂખ્યો ઘરે કાઢ્યો .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s