6
મુળ લેખક : સુબોધ શાહ
રજુઆતકર્તા : મુરજી ગડા
(ગત અંક : 05 ( https://govindmaru.com/2015/05/29/culture-can-kill-5/ )ના અનુસન્ધાનમાં..)
પ્રાચીન સમાજોમાં ધર્મ અને શ્રદ્ધા બન્ને, શક્તીનાં અતીશય પ્રભાવી સ્રોત હતાં. ધર્મના નામે એકઠી થયેલી લાખો લોકોની મેદનીઓ પ્રવચન સાંભળતી, મન્ત્ર રટતી, તાળી પાડતી, ગાતી, નાચતી, કોઈ વાર રડતી સુધ્ધાં. શ્રદ્ધા પોતે પ્રસરે છે, બીજાને પ્રેરે છે, સમાજને પ્રતીબદ્ધતા પ્રદાન કરે છે અને સમુહને સાથે રાખી બાંધે છે. ધ્યેય કે હેતુ અર્પણ કરવાનું સૌથી વધુ પ્રભાવક એવું એ સાધન છે. અચંબો પમાડે એટલી હદે માણસને એ બદલી શકે છે. લોકો પૈસા ખાતર કામ કરશે; પણ ધર્મ ખાતર પ્રાણ દેશે. જીન્દગીમાં અર્થ શોધવા, જીન્દગી–નો અર્થ શોધવા, કલ્પના–નાં કલ્પવૃક્ષ વાવવા, કલ્પના–નું કલ્પવૃક્ષ પામવા, ભાવીનો ભ્રમ તાગવા, માણસ શું શું નથી કરતો?
જીવનમાં સો ટકા સારું કે સો ટકા ખરાબ એવું કદી કાંઈ હોતું નથી. સારા માનવીઓ મરે છે, સદ્ગુણો રડે છે, સારી સંસ્થાઓ સડે છે. શ્રદ્ધા જેવી સમર્થ શક્તીની અસરો પણ લાંબા ગાળે અનીચ્છનીય કે અણધારેલી થઈ શકે છે. દૃઢ માન્યતા કે શ્રદ્ધા મદદ પણ કરે છે તેમ જ ભ્રામક પણ સાબીત થાય. ભ્રામક કે હાનીકારક એટલા માટે કે એ વ્યક્તીનીષ્ઠ કે સાપેક્ષ (Subjective) હોય છે; વસ્તુનીષ્ઠ કે નીરપેક્ષ (Objective) હોતી નથી. ઈતીહાસમાં સૌથી વધુ ભયાનક યુદ્ધો ધર્મ અને શ્રદ્ધામાંથી જનમ્યાં છે. હીટલર શ્રદ્ધાળુ ખ્રીસ્તી હતો; સંત નહોતો. એ શ્રદ્ધાપુર્વક માનતો હતો કે એનું વર્તન પરમ કૃપાળુ પરમાત્માની ઈચ્છા મુજબનું જ છે. એટલે, કોઈ પણ ધાર્મીક માન્યતા સાચી છે કે ખોટી, સારી છે કે ખરાબ, એની ચીન્તા કર્યા વીના, એનાં પરીણામો કેવાં નીપજ્યાં, એ જ એનો માપદંડ હોવો જોઈએ. પછી ભલે એની વાત ભવ્ય ભાષામાં ચાલતી હોય કે ધર્મ અને નીતીના નામે ચાલતી હોય. ધર્મ દોરે પણ ખરો; દઝાડે પણ ખરો. શ્રદ્ધા પ્રેરણા પણ આપે, આંધળા પણ બનાવે. સદ્ગુણોમાં અને સારી વાતમાં સુધ્ધાં અતીશયતા કરીએ તો નુકસાન જ થાય, પછી એ સારી વસ્તુ ખોરાક હોય, લાગણી હોય, ઔષધ હોય કે અધ્યાત્મ હોય.
તમે ભલેને કોઈ પણ ધર્મમાં શ્રદ્ધા ધરાવતા હો; ધર્મની બીજી બાજુ તપાસવાની તમારી તૈયારી હોવી જોઈયે. બીજા માટે અને બીજાના ધર્મ માટે સમ્પુર્ણ સન્માન સાથે, ધર્મની બીજી બાજુ તરફ, જુદા દૃષ્ટીકોણથી નજર કરવી જોઈએ. કોઈના ધર્મની અવમાનના કરવા ખાતર નહીં; પણ એટલું દર્શાવવા ખાતર કે બીજા જુદા દૃષ્ટીકોણ શક્ય છે. શક્ય જ નહીં; સંભવીત પણ છે અને ઈચ્છનીય પણ છે. આપણી માન્યતાઓ જે કાંઈ પણ હોય, તેને અનુલક્ષીને આપણે તો ફક્ત તપાસવાનું જ હોય કે એ માન્યતાઓનાં પરીણામો કેવાં આવ્યાં છે.
શ્રદ્ધા અને અધ્યાત્મનાં દુષ્પરીણામોના થોડા દાખલઓ :
- કેટલીક ધાર્મીક શ્રદ્ધાઓઅમુક સંજોગોમાં ખોટી, ખરાબ કે અનીચ્છનીય હોય છે; પરન્તુ એ એમનું સૌથી વધારે હાનીકારક પાસું નથી. શ્રદ્ધાનું સૌથી વધારે હાનીકારક પાસું એ છે કે શ્રદ્ધા માણસની વીચારશુન્યતાને પોષે છે. વીચારશુન્યતા એટલે વીચારનો અભાવ, સામાન્ય બુદ્ધીથી વીરુદ્ધનો વીચાર. એ અતાર્કીક, અવીવેકી કે કુદરતના નીયમોથી વીરુદ્ધ હોઈ શકે. શંકર અને ગણપતીમાં મને શ્રદ્ધા હોય એનાથી મને લાભ થાય કે ન થાય; દેખીતું ખાસ કોઈ નુકસાન પણ ન થાય; કેટલાક લોકોને ફાયદો પણ થાય. પરન્તુ મૃત વ્યક્તીના શરીર ઉપર હાથીનું મસ્તક બેસાડી એને ફરી જીવતી કરી શકાય એ વીચારશુન્યતા (Non-Reason) છે. ઈશ્વર, અધ્યાત્મ કે શ્રદ્ધાના નામે એને પોષવામાં આવે છે એ એનાથીય મોટો અવીચાર છે. શીક્ષણ, શીખામણ કે વાર્તા તરીકે એ અનાવશ્યક ને હાસ્યાસ્પદ છે. સીધી કે આડકતરી રીતે શ્રદ્ધા એવા હજારો અવીચારોને જન્મ આપે છે, સ્વીકારે છે, પોષે છે, એનો પ્રચાર કરે છે, એનાથી ટેવાઈ જાય છે અને ટેવાઈ જવાની આપણને ટેવ પાડે છે. વ્યક્તી અને સમાજ અતાર્કીક (Non-logical) બને છે. શ્રદ્ધા નુકસાન કરે એના કરતાં શ્રદ્ધાથી દરેક વાત માની લેવાની ટેવ કેળવાય એ વધુ નુકસાન કરે છે. એનાથી મનુષ્ય અને એની સામાન્ય સમજની વચ્ચે એક દીવાલ બંધાઈ જાય છે. આધ્યાત્મીક શ્રદ્ધા ઉપર વધુ પડતો ભાર મુકવાથી વસ્તુલક્ષીતા (Objectivity) વંકાઈ જાય; વીચારશક્તી પર વ્યાઘાત થાય; અને સંસાર વીશે ઉપેક્ષા પોષાય. બુદ્ધીને બાજુએ મુકી, તર્કશક્તીને તીલાંજલી આપી, આભાસી ભાવનાઓને અબાધીત સત્ય માની લેવાનો ઉપદેશ કાયમ માટે કાને પડતો રહે, ત્યારે સ્વાભાવીક રીતે જ માણસમાં ઉભડક વાતને આધાર વીના માની લેવાનું ભોળપણ કેળવાય છે. માણસના મગજમાં દીવાલો બાંધી શકાતી નથી. તેથી આધ્યાત્મીક વીષયમાં પડેલી આવી ટેવો દુન્યવી વીષયોમાં આવવાની જ. શ્રદ્ધાનું સતત સેવન કરતો સમાજ જાણ્યે–અજાણ્યે અવીચારીપણામાં સરકી પડે છે. ઘણા સમાજમાં આમ બન્યું છે. આ મુદ્દો અત્યન્ત ઉપેક્ષીત, કદાચ નવો છે; છતાં એટલો મહત્ત્વનો છે કે એની વીસ્તૃત ચર્ચા આવશ્યક છે.
- આધ્યાત્મીકતાએ આપણી ઘણી તેજસ્વી માનવ સમ્પત્તીનું અને ભૌતીક સાધનસામગ્રીનું અપહરણ કર્યું છે. પરલોક તરફનું વલણ પ્રબળ બનવાથી દુન્યવી બાબતોમાં દેશ દરીદ્ર રહ્યો. પંડીતો પાક્યા, કારીગરો કરમાયા. શાસ્ત્રો વીકસ્યાં, શસ્ત્રો કટાઈ ગયાં. મંદીરો વધતાં રહ્યાં, શાળાઓ ઘટતી રહી. શૌચાલયો બાંધ્યા જ નહીં..
- વ્યક્તીની અંગત આધ્યાત્મીકતા અને સમાજની સામુહીક નીતીમત્તા એ બે તદ્દન જુદી બાબતો છે, એ વાત તરફ દુર્લક્ષ થયું.સંન્યાસી અને ગૃહસ્થાશ્રમીના આચાર–વીચાર વીશે એમ જ બન્યું. તત્ત્વજ્ઞાનની તર્કશુદ્ધતા અને કાવ્યસાહીત્યની પ્રેરણા વચ્ચેનો તફાવત ભુલાઈ ગયો.
- આધ્યાત્મીકતા ઈચ્છનીય હોઈ શકે; પરન્તુ જીવનમાં એ એક જ બાબત ઈચ્છનીય છે એવું નથી. બીજી ઘણી બાબતો સારી ને ઈચ્છનીય હોય છે : જેમ કે સર્વધર્મ સમભાવ, વીવેકબુદ્ધી, પ્રેમ, દેશભક્તી, વગેરે. એક બાજુ આ બાબતો અને બીજી બાજુ આધ્યાત્મીકતા, એ બે વચ્ચે વીરોધ હોય ત્યારે જીવનમાં આવશ્યક સમતુલન ન થાય. એવુ થાય ત્યારે સમાજ અન્તીમવાદ તરફ સરકી જાય છે.
- શ્રદ્ધાનો અતીરેક અનર્થ કરે છે. વહેમ, અન્ધશ્રદ્ધા અને આધ્યાત્મીકતા ત્રણેય સહપ્રવાસી છે. જ્યોતીષ, વીધીવીધાન, પુરાણકથાઓ અને પુરાતન શાસ્ત્રોમાં દરેક વ્યક્તી ઓછીવત્તી શ્રદ્ધા કે અન્ધશ્રદ્ધાથી માનતો હોય છે. શ્રદ્ધામાં પ્રમાણ અને પાયરીના ફરક હોય છે. દરેક ભક્તે આ સવાલ પોતાની જાતને પુછવો જોઈએ કે શ્રદ્ધાની કઈ પાયરીએ પહોંચીએ ત્યારે સામાન્ય બુદ્ધીને તીલાંજલી અપાય? ધાર્મીક આસ્થા કઈ પાયરીએ પહોંચી હોય ત્યારે મન્દીરના મહન્તને ભગવાન ગણીને પરીણીતા સ્ત્રી સ્વેચ્છાથી જાતીય સમર્પણ કરે? આવી અને બીજી અનેક દેવદાસી જેવી વીકૃતીઓ જરાય અજાણી નથી; નવી પણ નથી. એમના ઉપર સભ્ય સમાજે ઢાંકપીછોડો કરવો એ ઢોંગની પરાકાષ્ઠા છે.
- અનેક બુદ્ધીમાન લોકો સુ–શ્રદ્ધા અને અન્ધશ્રદ્ધા વચ્ચેનો તફાવત સમજી કે સ્વીકારી શકતા નથી. મોટા ભાગના ઉપેક્ષા કરે, કેટલાક ચલાવી લે, ભાગ્યે જ કોઈ વીરોધ કરે; પણ સમાજનું અધઃપતન ચાલુ રહે. મારા પરીચીત એવા અનેક અતીવીદ્વાન સજ્જનો ધર્મની સૌથી હાસ્યાસ્પદ વાર્તાઓમાં પ્રામાણીકપણે શ્રદ્ધા ધરાવે છે. (અહલ્યા પથ્થર બની, ત્રીશંકુ આકાશમાં લટક્યો, શાપ–વરદાન સાચાં પડ્યાં, પર્વત ઉંચકાયો, સોનું ઘાસ બની ગયું વગેરે વગેરે. ધર્મમાં શ્રદ્ધા છે એટલે બાળકબુદ્ધીની વાર્તાઓ સાચી ઠરાવાય; વાર્તા સાચી એટલે ચમત્કાર સાચા ઠર્યા; ચમત્કાર સાચા એટલે ગમે તેટલી હાસ્યાસ્પદ વાર્તા પણ સાચી મનાય અને મનાવાય. વીર વીક્રમની કાંધ પર વેતાલ; વેતાલની કાંધ પર ભુત; ભુતને માથે પલીત. વીર વીક્રમ સાચો એટલો પલીત પણ સાચો? આ દુશ્ચક્ર કેમ અટકે? વાર્તાઓ દરેક ધર્મમાં છે; પરન્તુ પ્રભુપ્રેમનું અધઃપતન આટલી હદ સુધી બીજા કોઈ ધર્મમાં થયું નથી. શ્રદ્ધાના નામે અક્કલમંદતાને પ્રભુપ્રેમની કક્ષાએ બીજા કોઈએ મુકી નથી. મુર્ખતાની આલોચનાને જો ધર્મની આલોચના ગણવામાં આવે; એને ધર્મનું અપમાન, ગર્વીષ્ઠતા કે અસંસ્કારીતા કહેવાય; તો પછી અક્કલમંદતામાં ને અન્ધશ્રદ્ધામાં મંદી કેમ આવે?
- શ્રદ્ધા અને બુદ્ધીમંદતા વચ્ચે ક્યારેક સીધો તો ક્યારેક આડકતરો સમ્બન્ધ હોય છે. શ્રદ્ધાથી અગમ્યતા (Mysticism) પોષાય; અગમ્યતાથી પૌરાણીક બાલીશ વાર્તાઓ પોષાય; બાલીશ પૌરાણીક વાર્તાઓથી મંદબુદ્ધી પોષાય. પ્રશ્ન કર્યા વીના આવી ચમત્કારીક વાર્તાઓને માની લેતાં શીખવવું, એ બુદ્ધીથી વીરુદ્ધનું કામ છે. એવા માનસને સંસ્કારી કે શ્રદ્ધાવાન ગણાવી ઉત્તેજન આપવું એ અનીચ્છનીય જીવનમુલ્યો ને સ્વીકારી લેવાનું કામ છે. આ પ્રકારનાં મુલ્યો કોઈ પણ સમાજને લાંબા ગાળે પુષ્કળ હાની કરે છે.
- પ્રચલીત માન્યતા કે શ્રદ્ધા લોકોને સહેલાઈથી આકર્ષે છે, કારણ એને માનવા ભેજું કસવું પડતું નથી. માન્યતા સાચી હોય કે ખોટી; પણ લોકો ચીલાચાલુ પદ્ધતીથી વીચારવા ટેવાઈ જાય છે. લાંબા સમય પછી એ માન્યતા રુઢ થઈને સામાજીક રુઢી બની જાય છે. આ રુઢીને તોડવી એ અત્યન્ત મુશ્કેલ કામ બને છે. ઉદાહરણ તરીકે, વર્ણાશ્રમ ધર્મ ગમે તે કારણથી પ્રાચીન કાળમાં જનમ્યો હોય, એને ભગવાને પોતે બનાવ્યો છે એ માન્યતા પ્રચલીત થઈને સામાજીક રુઢી બની ગઈ. કાળક્રમે એનું માળખું એવું લોખંડી થઈ ગયું કે અસ્પૃશ્યતાની રાક્ષસી પ્રથાને એણે સંરક્ષણ પુરું પાડ્યું. હવે આ માન્યતાનું મુળ તપાસો : ઋગ્વેદનું પુરુષસુક્ત કહે છે : બ્રહ્માના મસ્તકમાંથી બ્રાહ્મણો જન્મ્યા, છાતીમાંથી ક્ષત્રીયો, પેટમાંથી વૈશ્યો, અને પગમાંથી શુદ્રો જનમ્યા. આ જન્મપત્રીકાને ભાગ્યે જ કોઈ માને; પણ વર્ણાશ્રમ ધર્મને બધા હીન્દુઓએ 2,000 વર્ષોથી માન્યો જ છે ને? આ પ્રકારની પરંપરા આપણી અનેક માન્યતાઓ અને રુઢીઓનો ઈતીહાસ છે.
જીવનવ્યવહારના ઘણા બધા પ્રશ્નો કો’ક પ્રકારની માન્યતાઓનું માળખું સ્વીકાર્યા વીના ઉકેલી શકાય એવા હોતા નથી. મૃત્યુ, હીંસા, ગર્ભપાત, ગર્ભના આદીકોષો (Stem Cells) વીશેનું સંશોધન, ગુન્હેગારી વીશેના કાયદા, વગેરે આનાં ઉદાહરણો છે. તેથી નીતી, ધર્મ ને અધ્યાત્મ, એ સાંસારીક વ્યવહારના વીષયો બને છે; અને ઈશ્વર છે કે નહીં એ માત્ર કુતુહલનો, નવરાશનો, તુક્કા દોડાવવાનો કે ફીલસુફોનો નહીં; પણ દરેક વ્યક્તીની અંગત માન્યતાનો ગંભીર પ્રશ્ન બને છે. સમાજની વીચારશીલ વ્યક્તીઓ આ બાબતમાં સ્પષ્ટ ખ્યાલો ધરાવતી થાય તો જાહેર જીવનનું ધોરણ ઉંચું આવે. ધર્મ કે અધ્યાત્મ વીશેના ખ્યાલો અસ્પષ્ટ, અટપટા અને વીરોધાભાસી હોય, તર્કશુદ્ધ ન હોય, એ સમાજ કાયમ વીતંડાવાદમાં અથડાયા કરે છે, કારણ બહુમતીથી ચાલતી લોકશાહીમાં ઉપરના પ્રશ્નો વ્યક્તીગત ન રહેતાં સામાજીક મહત્ત્વ ધારણ કરે છે.
(ક્રમશઃ)
–સુબોધ શાહ
શ્રી. સુબોધ શાહનું અંગ્રેજીમાં લખાયેલું ‘Culture Can Kill’ પુસ્તકના એક પ્રકરણ ઉપરથી, ઉપરોક્ત લેખ, કચ્છી જૈન સમાજ, અમદાવાદના મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2014ના જાન્યુઆરી માસના અંકમાં પ્રકાશીત થયો હતો. આ લેખ, લેખકશ્રી અને રજુઆતકર્તાશ્રીની પરવાનગીથી સાભાર…
લેખકસમ્પર્ક :
Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ – 08831. USA
Ph : 1-732-392-6689 eMail : ssubodh@yahoo.com
પુસ્તક માટે સમ્પર્ક : www.AuthorHouse.com (Publisher) or
http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586
રજુઆતકર્તા : શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા–390007 સેલફોન : 972 679 9009 ઈ–મેલ : mggada@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ.. ..ગોવીન્દ મારુ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ :govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 26/06/2015
મિત્રો,
સુબોઘભાઇઅે અંગ્રેજી ભાષામાં લખેલાં પુસ્તક ‘ કલ્ચર કેન કીલ‘ ના સંદર્ભમાં આ લેખ આપણને મળ્યો છે. શાંતીપૂર્ણ ચિત્તે શબ્દે શબ્દ પચાવી પચાવીને વાંચીને , મનન કરીને સમજવાથી સુબોઘભાઇ જે કહેવા માં ગે છે તે ગ્રહણ કરવાનું સહેલું બનશે.
શ્રઘ્ઘા અને અઘ્યાત્મનાં દુષ્પરિણામોમાં નં. ૮ ના સંદર્ભમાં ગીતાના અઘ્યાય: ૪. શ્લોક: ૧૩ને સમજીઅે. ભગવાન કહે છે…..(તેનું ગુજરાતી). ‘ ગુણો તથા કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણો ઉત્પન્ન કર્યા છે. તેના કર્તા છતાં તું મને અકર્તા ને અઘિકારી જાણ.‘
હવે અઘ્યાય ૧૮ અને શ્લોક નં: ૪૧ : (ગુજરાતીમાં) ‘ હે પરંતપ ! બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રોના પણ કર્મ–સ્વભાવથી ઉત્પન્ન થયેલાં ગુણો અનુસાર વિભાગ કરવામાં આવ્યા છે.‘
આ સંદર્ભ, વર્ણવ્યવસ્થાની ઉત્પત્તી વિષેની માહિતી હાથવગી રહે તેથી કરીને લખ્યો છે.
સુબોઘભાઇની દરેક વાત સાથે અક્ષરસ: સંમત છું.
અમૃત હઝારી.
LikeLike
Khubsaras mahiti ane aankh ughadnaro lekh.
LikeLike
સુબોધભાઇની વાત સાથે અક્ષરઃશઃ સંમત છું. સુબોધભાઇના અંગ્રેજી પુસ્તકનું કોઇ ગુજરાતી ભાષાંતર કરે તો વધુ સારુ.
નવીન બેન્કર ૭૧૩-૮૧૮-૪૨૩૯ (હ્યુસ્ટન)
LikeLike
પુસ્તકનું ગુજરાતીમાં ભાશાંતર થયેલુંજ છે. ભવિષ્યમાં તે પુસ્તક રૂપે પ્રકાશીત થઈ શકે છે.
LikeLike
It is a good article and I have agreed with Subodhbhai’s views. It is full of truth.
Thanks,
Pradeep H. Desai
Indianapolis,IN.
USA
LikeLike
Excellent analysis and explanation of faith and its role in society as well as the pitfalls of its excess.
LikeLike
श्रद्धाने कारणे मंदीरनो पुजारी भगवान बनी जाय छे. साचुं ए छे के पत्थर पुजा करनार पुजारी सहेलाईथी समजी जाय छे के पत्थरने पुजनारने पोताने शरणे केम लाववा… गुरु, बाबा, धर्मगुरु, रुषी मुनीओ आ पुजा वीधी बरोबर जाणे छे. आत्मा, परमात्मा, कर्म अने पुर्व के पुन जन्म पछी आपोआप आवी जाय…
LikeLike
Nice article…!!! Its a different way of explaining spirituality and supersticious..!!
LikeLike
સુબોધભાઈએ બહુજ સચોટ વાત કરી છે. સંપૂર્ણ રીતે સહમત છું. મારાં બ્લોગ ઉપર રીબ્લોગ કરું છું.
LikeLike
Reblogged this on .
LikeLike
Saras!
LikeLike
Dear Subodh, Its really a thought provoking article. I read each and every letter of it. Murji Gada is my good friend. I am a Rationalist staying in Vadodara. Many a times I read your articles but I reply to Govind Maru. Regards.
LikeLike
Very Nice Govindbhai your attention is true
LikeLike
I think the article is an eye-opener and thought provoking.
We have lost the desire to work hard and earn with the help of the so called faith and religion.
I am surprised seeing qualified and otherwise intelligent ones falling in this trap.
Great article…Thanks..
.
LikeLike
I sincerely thank all the above thinkers for their appreciation of my thoughts.
If you really liked my ideas, please try to reblog them or spread them in whatever other ways you think fit, in the broader interest of our people—
because Abhivyakti alone cannot reach everybody.
Thanks. —Subodh Shah —
LikeLiked by 1 person
બહુજ સચોટ વાત . સંપૂર્ણ રીતે સહમત.
LikeLike
Atarkikata ne karne aapne dharmik vitandavdi to hata j, pan aaje darek khshetra ma aa j abhigame vitandavadi bani gaya chhie.Ne pariname kidini chale duniya pachhal ghasdaie chhie..!
LikeLike