શોધ કોને કહેવાય ?

–મુરજી ગડા

થોડા સમયથી ભારતના પ્રાચીન કાળની વૈજ્ઞાનીક સીદ્ધીઓ વીશે ઘણુ સાંભળવા અને વાંચવા મળે છે. એમાનું કેટલું સાચું હોઈ શકે અને કેટલું ઉપજાવી કાઢેલું હોઈ શકે એ જાણવું અને સમજવું જરુરી છે. એના માટે સૌથી પહેલાં વૈજ્ઞાનીક જગત શોધ કોને ગણે છે તે સમજીએ. આપણને શોધ લાગતી કોઈ બાબત વૈજ્ઞાનીકજગતને શોધ ન પણ લાગતી હોય. એક ચોખવટ કરવી છે કે, આ લેખમાં વૈજ્ઞાનીક સીદ્ધીઓની વાત પર ભાર મુકવામાં આવ્યો છે. અન્ય ક્ષેત્રની સીદ્ધીઓનો માત્ર અછડતો ઉલ્લેખ કર્યો છે. એમની શોધ બાબત આટલાં ચોક્કસ માપદંડ નથી હોતાં.

અંગ્રેજીમાં બે શબ્દો છે; ડીસ્કવરી (Discovery) અને ઈન્વેન્શન (Invention). આ શબ્દોના ચોક્કસ અર્થ થાય છે. જે મોજુદ છે પણ આપણી જાણમાં નથી તે ખોળી કાઢવાની કે શોધવાની ક્રીયાને ‘ડીસ્કવરી’ કહે છે. જે વસ્તુનું અસ્તીત્વ જ નથી તેને બનાવવાની ક્રીયાને ‘ઈન્વેન્શન’ કહેવાય છે. ગુજરાતીમાં આ બન્ને ક્રીયાઓ માટે એક જ શબ્દ છે. તે છે શોધ. આ લેખના સન્દર્ભમાં બીજો એક અગત્યનો શબ્દ સમજવો પણ જરુરી છે. તે છે ‘અવલોકન’ (Observation). આ ત્રણેય શબ્દોને ધ્યાનમાં રાખીને આપણે શોધ કોને કહેવાય અને ક્યારે થઈ કહેવાય, એ વાત જુદાં જુદાં ક્ષેત્રના દાખલા વડે સમજવાની કોશીશ કરીએ.

આપણી જાણમાં છે એવી દુનીયાની બધી સંસ્કૃતીઓ 12,000–13,000 વરસથી વધારે પુરાણી નથી. ત્યારે છેલ્લા હીમયુગનો અન્ત આવ્યો હતો. માણસ સારા અને ફળદ્રુપ વસવાટની શોધમાં વીષુવવૃત્તથી દુર જવા લાગ્યો હતો. એટલે સ્થાયી સંસ્કૃતીની શરુઆત વધુમાં વધુ 10,000 વરસ પહેલાં થયેલી મનાય છે. હીમયુગ પહેલાંની સંસ્કૃતીઓના નામના જ અવશેષ જોવા મળે છે.

સંસ્કૃતીઓના શરુઆતના વર્ષોમાં માણસને કુદરતી ઘટનાઓની ખાસ સમજ નહોતી. જો કે એનું મગજ વીકસ્યું હોવાથી એ એનો ભરપુર ઉપયોગ કરવા લાગ્યો હતો. ત્યારની માણસની બધી પ્રવૃત્તીઓ દીવસના અજવાળામાં થતી હતી. અંધારું થયા પછી એના માટે માત્ર એક જ પ્રવૃત્તી શક્ય હતી – આકાશદર્શનની. આ વીષય એના માટે ખુબ કુતુહલનો હોવાથી શોધખોળોની બાબતમાં અગ્રીમ હતો.

આકાશદર્શનમાં સૌથી જુદી તરી આવતી ઘટના એટલે ચન્દ્રની વધતી–ઘટતી કળા, એના ઉગવા આથમવાનો ચોક્કસ રીતે બદલાતો સમય વગેરેને જાહેર અવલોકન કહેવાય. અનાયાસે થતા કે પછી જાહેર અવલોકનને શોધ ન કહેવાય; કારણ કે તે બધાને જ દેખાય છે, સમજાય છે અને જાણીતી છે. એમાં કંઈ નવું નથી કહ્યું. વધારે ધીરજવાળા લોકોએ તારાઓનું નીરક્ષણ કરીને જાણ્યું કે તારાઓ પણ આકાશમાં રોજ થોડા મોડા ઉગે છે(આજની ચાર મીનીટ જેટલા); પણ એકબીજાની સરખામણીએ પોતાનું સ્થાન જાળવી રાખે છે. શરુઆતમાં એમણે જુદાજુદા તારાઓના સમુહોને એમની આછીપાતળી આકૃતી પ્રમાણે નામ આપ્યાં(જેને આજે આપણે રાશીઓ કહીએ છીએ). દરેક પ્રાચીન સંસ્કૃતીના લોકોએ એમની ત્યારની સમાજવ્યવસ્થાના આધારે એ નામ પસન્દ કર્યાં હતાં. આજે જો કોઈને આ તારાવૃન્દોનાં નામ પાડવાનું કહેવામાં આવે તો એને ‘હરણ’ કે ‘આખલા’ને બદલે ‘મોટરસાયકલ’ દેખાશે અને ‘સપ્તર્શીના પતંગ’ને બદલે કદાચ ‘ટીવી’ કે ‘મોબાઈલ’ દેખાશે.

આપણી આસપાસ માનવસર્જીત જે પણ દેખાય છે તેની શરુઆત માણસના મગજમાં આવેલા વીચારથી થઈ છે. વીચાર અવલોકનને પ્રેરે છે. માનવસમાજનું બધું જ્ઞાન ત્યાંથી શરુ થાય છે અને થયું છે; પણ ત્યાં પુરું થતું નથી. જેણે વધુ બારીકાઈથી આકાશનું અવલોકન કર્યું એને પાંચ અવકાશી પુંજોની ભ્રમણકક્ષામાં કંઈક અનીયમીતતા દેખાઈ. એમનું આકાશમાં સ્થાન નીયમીતપણે બદલાતું હતુ. એમણે એમને તારાને બદલે ગ્રહ/ પ્લાનેટ કહ્યા. (ગ્રીક ભાષામાં પ્લાનેટ એટલે રખડુ.)   અવકાશ વીશેની આનાથી વધુ સમજ ત્યારે કોઈને નહોતી. તારા અને ગ્રહો વચ્ચે માત્ર એટલો જ ફરક ગણાતો. આને ગ્રહોની શોધ કરી એમ કહી શકાય ? જો એને શોધ ગણીએ તો એનો યશ કોને અપાય ? એ તો બધી જ સંસ્કૃતીઓએ સ્વતન્ત્ર રીતે ગ્રહોને ઓળખીને પોતાનાં મનગમતાં નામ પણ આપ્યાં હતાં. કોઈ એકને તો એનો યશ ન જ અપાય. (છેલ્લા બે ગ્રહ તો નરી આંખે દેખાતા પણ નથી.)

ગ્રહો સાચે જ શું છે એની ખબર તો ઠેઠ સોળમી સદીમાં પડી છે. પૃથ્વી પણ એક ગ્રહ માત્ર હોવાની ખબર પણ ત્યારે જ પડી. ગ્રહોની શોધનું શ્રેય નીકોલસ કોપર્નીકસ, જોહનીસ કેપલર, ટાઈકો બ્રાહા અને ગેલેલીઓ ગેલેલાઈને સયુંકત રીતે અપાય છે. જો કે દરેકનું યોગદાન અલગ અલગ કારણોસર છે. એના ઉંડાણમાં ન જઈએ.

1)  આજે આપણને ખબર છે કે તારા અને ગ્રહ સાવ અલગ પદાર્થ છે. તારા સ્વયંપ્રકાશીત છે જ્યારે ગ્રહો સ્વયંપ્રકાશીત નથી. તારાઓ કરતાં ગ્રહો ઘણા નાના છે. તેઓ કોઈ એક તારાની પ્રદક્ષીણા કરતા હોય છે વગેરે વગેરે. આપણને દેખાતી ગ્રહોની વીશીષ્ટ ભ્રમણકક્ષાનું સાચું કારણ પણ ખબર છે. સુર્યમંડળના ગ્રહોનું બંધારણ, કદ, સુર્યથી અન્તર વગેરે બધી માહીતી એમનું અવલોકન તેમ જ ગણીતની મદદથી શક્ય બની છે. આમાંની કેટલીક માહીતી ઠેઠ વીસમી સદીમાં મળી છે. ગ્રહો પરનું સંશોધન હજી ચાલુ જ છે. એટલે આવી ઉંડાણભરી શોધનું શ્રેય ચોક્કસ વ્યક્તીને આપી શકાય છે.

2)  ઘણી જાણીતી અને ચર્ચાયેલી લાઈટ બલ્બની શોધને તપાસીએ. કહેવાય છે કે લાઈટ બલ્બ શોધવા માટે થોમસ એડીસનને એક હજારથી વધારે પ્રકારના પ્રયોગ કરવા પડ્યા હતા. એના એક મીત્રે પુછ્યું પણ હતું કે આટલી બધી નીષ્ફળતાઓ છતાંય તે કેમ હજી હાર સ્વીકારતો નથી ?  એડીસનનો જવાબ પણ પ્રખ્યાત થયો છે. એના શબ્દો હતા : “આ નીષ્ફળતાઓ નકામી નથી. હવે મને અને જગતને ખબર પડી છે કે આ જુદી જુદી હજાર રીતે લાઈટ બલ્બ બનાવી ન શકાય”. અન્તે તે માત્ર લાઈટ બલ્બ જ નહીં; પણ બીજી 2,000 જેટલી નાનીમોટી શોધો કરે છે અને એના પરીણામે દુનીયા બદલાઈ ગઈ છે.

3)  આપણા શરીરની અન્દર કયા અવયવો છે, ક્યાં છે, અન્ય પ્રાણીઓ કરતાં કેટલા જુદા છે, તે કયું કામ કરે છે, કેવી રીતે કરે છે, વગેરે બધી બાબતે માણસ અજાણ હતો. મૃત્યુ પછી મૃતદેહને કાં તો બાળી નાખવામાં આવતો હતો કાં તો જમીનમાં દાટી દેવાતો હતો. માનવ શરીરની ચીરફાડ કરવી ધાર્મીક માન્યતાઓની વીરુદ્ધ હતુ. એવું કરનારને ધર્મગુરુ દ્વારા ખુબ આકરી સજા કરવામાં આવતી.

શરીરની અન્દરના અવયવોનો અભ્યાસ કર્યા વગર ચીકીત્સાક્ષેત્ર અધુરું રહેતું હતું.  એટલે બધાં જોખમો ખેડીને પણ, અઢારમી સદીમાં ઈંગ્લેંડના જાંબાઝ ડૉકટરોએ રાતના અંધારામાં કબરો ખોદીને, મડદાઓના શરીર ચીરીને, માનવ શરીરનો અભ્યાસ કર્યો હતો. એમના પ્રતાપે આજે શરીરના દરેક અવયવનું કાર્ય સમજાય છે, ઑપરેશન શક્ય બન્યાં છે અને પરીણામે ઘણી જીન્દગીઓ બચાવી શકાઈ છે. અત્રે ખાસ ઉમેરવાનું કે ઑપરેશન માટે બીજાં કેટલાંય સાધનો, યન્ત્રો, દવાઓ, ઍનેસ્થેસીયા, ઍન્ટીબાયોટીક્સ વગેરે જોઈએ છે જેમનો ફાળો પણ એટલો જ અગત્યનો છે. એને અવગણાય નહીં; છતાંય એની ચર્ચા કરી નથી; કારણ કે આ લેખનો વીષય અલગ છે.

4)   પ્રાચીનકાળ તો શું પણ મધ્યયુગ અને ઠેઠ મોગલયુગ સુધી મોટી બહુમાળી ઈમારતો બંધાતી, સુન્દર કોતરકામ થતું, પણ મોટી બહુમાળી ઈમારતો બનતી નહોતી; કારણ કે ત્યારે છત/ સ્લેબ (slab) બનાવવાની તકનીક શોધાઈ નહોતી. ઈમારતો બાંધવાની અલગ જાતની સીમેન્ટ હતી, ધાતુઓ બનાવવાની આવડતેય હતી; પણ આર. સી. (Reinforced Concrete) બનાવવાની શોધ કોઈએ કરી નહોતી. એના વગર મોટી સાઈઝની સમતળ છત બની શકે નહીં. પુરાણી બધી ઈમારતોને ગુમ્બજ હોય છે(મુસ્લીમ ઈમારતો) કે પછી શીખરો હોય છે(હીન્દુ અને જૈન મન્દીરો). ગુમ્બજ કે શીખર (Self Supporting Structure) પોતાનો ભાર પોતે ઉપાડનાર બાંધકામ છે. જ્યાં છત બનાવવાની જરુર પડી છે ત્યાં પુષ્કળ થાંભલા અને પથ્થરના બીમ લગાવવા પડ્યા છે (ગુજરાતની વાવ). કારણ કે પથ્થરની લંબાઈની મર્યાદા હોય છે અને લાકડાના ટકાઉપણાની પણ મર્યાદા હોય છે. આર. સી.ના સ્લેબ બનાવવા એ પ્રાથમીક તકનીક ગણાય, જે ઠેઠ ઓગણીસમી સદીમાં પશ્ચીમમાં શોધાઈ છે. આજે વપરાતી સીમેન્ટ પણ એ જ અરસામાં શોધાઈ છે.

અત્રે પ્રસ્તુત કરાયેલી ચાર શોધોમાંથી પહેલી શોધ ‘ડીસ્કવરી’ હતી. એના માટે માત્ર અવલોકન અને ગણીતના સમીકરણો પુરતાં હતાં. (આમેય અવકાશી પદાર્થો પર પ્રયોગ શક્ય નથી.) એ શોધાઈ ત્યારે એનું ખાસ કંઈ મહત્ત્વ પણ નહોતું.  જ્યારે બીજી શોધ ‘ઈન્વેન્શન’ બને છે.  એના માટે પુષ્કળ પ્રયોગો કરવામાં આવ્યા હતા. તે ખાસ હેતુસર કરવામાં આવી હતી. ત્રીજી શોધ જેના માટે એ લોકો પોતાની જાનનું જોખમ ખેડતા હતા, તેની શરુઆત ડીસ્કવરીથી થઈ હતી પણ એના ઉપયોગને ‘ઈન્વેન્શન’ કહેવું પડે. ચોથી શોધ વૈજ્ઞાનીક રીતે સામાન્ય ગણાય. એના માટે ખાસ પ્રયોગો કરવાની કે જોખમ ખેડવાની પણ જરુર નહોતી. માત્ર થોડુંક આગળ વીચારવાની જરુર હતી.

કોઈ એક શોધ થાય એટલે એ બાબતનું કામ પુરું થઈ નથી જતું. એક જ ક્ષેત્રની કે યન્ત્રની શોધ તબક્કાવાર પણ થાય છે. કોઈ એક વૈજ્ઞાનીકને પાયાના સીદ્ધાન્તો સમજાયા પછી, અન્ય કોઈ વૈજ્ઞાનીક વધારાના કે વધારે ચોક્કસ સીદ્ધાન્તો શોધે છે. યન્ત્ર હોય તો એને વધારે કાર્યક્ષમ બનાવાય છે. આ ક્રીયા લાંબો વખત ચાલી શકે છે. આજકાલ રોજ બજારમાં આવતા નવા મોબાઈલ આનો શ્રેષ્ઠ દાખલો છે. આટલી ઝડપથી આજ સુધી કોઈ પણ વસ્તુ બદલાઈ નથી.

વૈજ્ઞાનીક શોધો તો હજારો થઈ છે અને સતત થઈ રહી છે. પહેલાના વખતમાં અને અત્યારની શોધોમાં એક મુખ્ય તફાવત એ છે કે ત્યારે એકલદોકલ વ્યક્તીએ શોધો કરી હતી. હજી પણ વ્યક્તીઓજ કરે છે; જો કે તે બધી વ્યક્તીઓ યુનીવર્સીટી અથવા કોર્પોરેશન સાથે સંકળાયેલી હોય છે. સ્વતન્ત્ર રીતે નવી શોધ કરવી એક વ્યક્તી માટે ખુબ અઘરું અને ખર્ચાળ બની ગયું છે.

આ બધી વૈજ્ઞાનીક શોધોનાં દૃષ્ટાંત આપવાનો હેતુ શોધ કોને કહેવાય, કેટલી રીતે થઈ શકે વગેરે દર્શાવવાનો છે. એનું કારણ આપણામાં ઘર કરી ગયેલી એક આદત છે. જ્યારે પણ વીકસીત દેશોમાં કોઈ નવી શોધ થાય છે, ત્યારે છાપામાં અવશ્ય વાંચવા મળે છે કે, ‘આ બધું તો પ્રાચીન ભારતમાં હતું જ. પ્રાચીન ઋષી મુનીઓએ અધ્યાત્મ, ધ્યાન અને તપથી બધું જાણી લીધું હતું. પશ્ચીમના લોકોએ આપણા ગ્રન્થોમાંથી બધું ઉપાડ્યું છે, વગેરે વગેરે..’ મોટા ભાગના લોકો કંઈ પણ વીચાર્યા વગર આ બધું સાચું માની લે છે. આવા ઠાલા પ્રચારથી ભોળવાયા વગર વાસ્તવીકતા શું છે કે શું હોઈ શકે છે તે સમજવાની કોશીશ કરીએ.

વીજ્ઞાન એ કુદરતના નીયમ સમજવાનું શાસ્ત્ર છે. એ સ્થળ અને કાળથી પર છે. કુદરતના નીયમ માત્ર અનાયાસ અવલોકનથી નથી સમજાઈ જતા. અવલોકન એ કુદરતને સમજવાની શરુઆત માત્ર છે. એનો અન્ત નથી. જો કે કોઈ ખાસ કારણસર કરવામાં આવતું અવલોકન કેટલાક સંજોગોમાં શોધ બની શકે છે; પણ દરેક અવલોકન એ શોધ નથી બનતું. મોટા ભાગની કુદરતના નીયમ જાણવાની પ્રક્રીયા ઘણી લાંબી છે. એના માટે અવલોકન (observation), જીજ્ઞાસા (Curiosity), અર્થઘટન (interpretation), વીશ્લેષણ (analysis), ચીન્તન (thinking), પ્રયોગ (experimentation) અને ક્યારેક વીસ્તૃતીકરણ (extrapolation)નો આશરો લેવો પડે છે. માત્ર અવલોકન કરવાથી કે ધ્યાન ધરવાથી બધું જ્ઞાન, ખાસ કરીને કુદરતના નીયમોનું, આવી જતું નથી. પ્રાર્થના, ભક્તી, તપ વગેરેથી સમજવાનો તો કોઈ સવાલ જ નથી. કહેવાતાં દાર્શનીક સત્યો કુદરતના નીયમ સમજવા બાબતમાં ખોટા પડ્યા હોય એવા ઘણા દાખલા મોજુદ છે. વ્યક્તીગત જુજ અપવાદ બાદ કરતાં, પ્રયોગો કરવા જેટલો વીકાસ ભારતીય કે અન્ય કોઈ પણ પ્રાચીન સંસ્કૃતીનો થયો નહોતો. એટલે ભારતના જ નહીં; અન્ય કોઈ દેશના લોકો પોતાની પ્રાચીનતાના મોટા મોટા દાવાઓ કરતા હોય તો તેમને પણ આ વાત લાગુ પડે છે.

ભારતના સન્દર્ભમાં કહીએ તો પ્રાચીનકાળથી મધ્યયુગ સુધીના જીજ્ઞાસુઓ/ વીશારદો/ ચીન્તકો ગણીતમાં આગળ હતા; પણ પદાર્થ વીજ્ઞાન વગેરેમાં અવલોકનથી આગળ વધતા નહોતા. ચીકીત્સાશાસ્ત્ર વીકસ્યું હતું, હાથપગના હાડકા સંધાતા હતા, ઉપરછલ્લી શસ્ત્રક્રીયાયે થતી હતી.  પણ શરીરના અન્દરના અવયવોની સર્જરી શક્ય નહોતી. શરીરથી કપાયેલો કોઈ ભાગ પાછો જોડી શકાય એટલી સર્જરી વીકસી નહોતી. આજે ઘણા અવયવ બદલી શકાય છે, કપાયેલી આંગળી પાછી જોડી શકાય છે; પણ માથું છુટું થઈ ગયું હોય તો એને પાછું જોડી શકાય એટલી હદે હજી પણ સર્જરી વીકસી નથી. ભવીષ્યમાં એવું શક્ય બનવાની શક્યતા પણ ના બરાબર છે. એના માટે જટીલતા અને સમયની મર્યાદા કારણભુત છે.

ભુતકાળમાં ઘણા પ્રકારનાં શસ્ત્રો બનતાં હતાં; પણ એક તીર સીવાય બન્દુક, તોપ જેવા અસ્ત્રો નહોતાં બનતાં. વાહનવ્યવહારમાં પ્રાણીઓના ઉપયોગથી આગળ વધી પાયાના યન્ત્ર જેવી સાયકલ બનાવવા સુધી પણ આગળ વધ્યા નહોતા. વીમાન માત્ર કોઈની કલ્પનામાં જ ઉડતા હતા. વાહનોને જોઈતું ઈંધણ શોધાયું નહોતું. ટુંકમાં, વાહનવ્યવહારના કે સન્દેશવ્યવહારના યાન્ત્રીક સાધનો વીકસ્યાં નહોતાં.

હવે વર્તમાનકાળની વધુ વીકસીત શોધોની વાત કરીએ. વીકસીત દેશોમાંથી ક્લોનીંગની સફળતાના સમાચાર આવ્યા એટલે બીજે જ દીવસે છાપામાં મોટા અક્ષરે સમાચાર છપાયા કે : ‘આપણા દેશમાં તો પહેલેથીજ ક્લોનીંગની જાણકારી હતી. 100 કૌરવો ક્લોનીંગથી જ બન્યા હતા.’ આવા દાવાને બાલીશતા કહેવી પડે. જો ક્લોનીંગ શક્ય હોત તો લાખોની સંખ્યામાં સૈનીકો બનાવી શક્યા હોત અને દેશ કોઈ દીવસ પરદેશી શાસન કર્તાઓના હાથમાં ન આવત.

રાજાશાહીના જમાનામાં પુરી દુનીયામાં બહુપત્નીત્વની પ્રથા હતી. રાજાઓને તો કેટલીયે પત્નીઓ હોય. થોડા સમય પહેલા જ છાપામાં ફોટા સાથે સમાચાર આવ્યા હતા કે આજની તારીખે આફ્રીકાના એક દેશના રાજાને 100થી વધારે પત્નીઓ અને 500 જેટલાં બાળકો છે. હસ્તીનાપુરના રાજા ધૃતરાષ્ટ્રને પણ ઘણી પત્નીઓ હોઈ શકે છે. મહારાણી ગાન્ધારીના દુર્યોધન અને દુ:શાસન એમ માત્ર બે પુત્રો હોવાનું ક્યાંક વાચ્યું છે. બાકીના 98 કૌરવો અન્ય રાણીઓના હોઈ શકે કે હતા. ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો જ કહેવાય. આમ તો કેટલાક લોકો મહાભારતને ઈતીહાસ નહીં; પણ માત્ર વાર્તા જ ગણે છે. આપણે એના વીવાદમાં ન જતાં એટલું જ ધ્યાન રાખવાનું જરુરી છે કે દરેક નવી શોધને પ્રાચીન કાળની વાસ્તવીકતા ગણવાને બદલે આવી વ્યવહારુ અને વધારે તર્કબદ્ધ શક્યતાઓ વીચારીએ/ તપાસીએ તો સારું.

મહાભારતના યુદ્ધ પહેલાં વેદવ્યાસ સંજયને દીવ્યદૃષ્ટી આપે છે. જે લોકો શ્રાપ, વરદાન, મન્ત્ર–તન્ત્ર શક્તી વગેરેમાં માનતા હોય એમના માટે કંઈ કહેવું નથી. જે લોકો એવો દાવો કરે છે કે  દીવ્યદૃષ્ટી એટલે ત્યારે પણ ‘ટીવી’ હતું; એમને પુછવાનું કે ટીવીની બનાવટ, એનું પ્રસારણ વગેરેમાં કેટલાં ઉપકરણો જોઈએ એનો કયારે પણ વીચાર કર્યો છે ? ટીવી તો હમણાં શોધાયું છે. સો વરસ પહેલાંના લોકોને ટીવીની કલ્પના પણ નહોતી; ત્યારે સંજયની દીવ્યદૃષ્ટીને કઈ આધુનીક શોધ સાથે સરખાવતા હશે ? કે પછી ત્યારના લોકોને પ્રાચીનકાળના ભારતની સીદ્ધીઓની વાતો કરતા નહોતા. આજે પણ આપણે  ટીવી પર જે સમાચાર જોઈએ છીએ, તે સમાચાર બનાવના સ્થળ પર ગયેલ કોઈ પત્રકાર અને કૅમેરામૅન મોકલે, ત્યારે જ આપણને દેખાય છે. આપમેળે નથી આવી જતા. બધાને રાજા સુધી જવાની પરવાનગી ન હોય, એટલે સમાચાર સંજય દ્વારા પહોંચતા હશે. રાજા પાસે તો જોઈએ એટલા નોકરચાકર હોય છે. દીવ્યદૃષ્ટીની સરખામણીએ આ વધારે તાર્કીક અર્થઘટન નથી લાગતું ?

આવા તો ઘણા દાખલા આપી શકાય. મુળ હેતુ દાખલા આપવાનો નહીં પણ વાસ્તવીકતા સ્વીકારવાનો છે. વૈજ્ઞાનીક શોધખોળોની બાબતમાં આપણા દરેક દાવાને અલગથી મુલવવો જરુરી છે. એટલે આવા અન્ય અ–વૈજ્ઞાનીક દાવાઓની છણાવટ કરી, દરેક વહેતી મુકાતી સ્વ–મહત્તાની વાતને સાચું માનવા અને મનાવવા કરતાં વ્યવહારુ અને વધુ તાર્કીક શક્યતાઓ સ્વીકારીએ એ આપણા હીતમાં છે.

શોધોની સાથે પ્રાચીનકાળની સીદ્ધીઓ સંકળાયેલી છે એટલે આપણે ત્યારની સીદ્ધીઓને પુરતો ન્યાય આપવો જરુરી બને છે. ઘણાં ક્ષેત્રોની સીદ્ધીઓ આગળ વર્ણવાઈ છે. પ્રાચીન કાળમાં કળા, સાહીત્ય, સંગીત વગેરે ક્ષેત્રોની સીદ્ધીઓ નોંધપાત્ર છે. તે ઉપરાંત  એક અગત્યનું ક્ષેત્ર બાકી રહે છે એની પણ નોંધ લઈએ. કુદરતના નીયમ ભલે અફર હોય; સમાજશાસ્ત્રના નીયમ સમ્પુર્ણપણે આપણા હાથની વાત છે. સમુહમાં શાન્તી અને સહકારથી રહેવા માટે; ધાર્મીક ભાષામાં નીતીશાસ્ત્ર કે તત્વજ્ઞાન કહેવાતા, શાસનવ્યવસ્થામાં કાયદા કહેવાતા, અને સામાજીક ક્ષેત્રે પરમ્પરા કહેવાતા; સમાજશાસ્ત્રના નીયમ/બન્ધન બનાવવા અને સમજવા પ્રમાણમાં સહેલા છે. એમને માત્ર ચર્ચા–વીચારણાથી જ બનાવી શકાય છે. સ્થળ અને કાળ પ્રમાણે તે બદલાય પણ છે. દરેક ક્ષેત્રના ઘણા લોકોએ એમાં પોતાનું યોગદાન આપ્યું છે. ભારતનાં સન્દર્ભમાં પ્રાચીનકાળમાં આ ક્ષેત્રે ઘણું કામ થયું હતું એ ની:શંક છે. આપણે એનો ગર્વ અવશ્ય લઈ શકીએ. જો કે આજના સમયમાં પ્રાચીન કાળની સમાજવ્યવસ્થાની ઉપયોગીતા કેટલી સુસંગત છે તે વળી જુદો જ વીષય છે.

–મુરજી ગડા

લેખક સમ્પર્ક :

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન : 972 679 9009  મેલ : mggada@gmail.com

વડીલ શ્રી. મુરજી ગડાએ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગ માટે ખાસ આ લેખ કરી મોકલ્યો તે બદલ હું એમનો ખુબ આભાર માનું છું. ..ગોવીન્દ મારુ..

‘અભીવ્યક્તીઈ.બુક્સ

મારા બ્લોગના મથાળે  ‘અભીવ્યક્તીઈ.બુક્સ વીભાગ  https://govindmaru.wordpress.com/e-books/   માં અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી પાંચ ઈ.બુક્સ મુકી છે. 2nd ઓગસ્ટ, 2015 દીવસે પ્રકાશીત થયેલી બે ઈ.બુક્સ ‘વીવેકવલ્લભ’ અને ‘વીજયવીવેક’ પણ ત્યાં છે જ..  સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in  પર, પોતાના નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

 ‘રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ એપાર્ટમેન્ટ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી.  પોસ્ટ :  એરુ એ. સી. – 396  450 જીલ્લો : નવસારી. .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ : 11/09/2015

26 Comments

  1. ગોવીન્દ મારુ posted: “–મુરજી ગડા થોડા સમયથી ભારતના પ્રાચીન કાળની વૈજ્ઞાનીક સીદ્ધીઓ વીશે ઘણુ સાંભળવા અને વાંચવા મળે છે. એમાનું કેટલું સાચું હોઈ શકે અને કેટલું ઉપજાવી કાઢેલું હોઈ શકે એ જાણવું અને સમજવું જરુરી છે. એના માટે સૌથી પહેલાં વૈજ્ઞાનીક જગત શોધ કોને ગણે છે તે સમજીએ. આપણન”

    Liked by 1 person

  2. Khub saras mahiti
    Mahenat paschimi rashtro na vaignyaniko ni ane aapna bhartiyo nu fakt mithyabhiman. Aankh ughadto lekh aavuj udaharan ramayan nu ravan pote buddhishali/ vaignyanik hato evu ane pushpak viman nu samajvu.

    Liked by 1 person

    1. પહેલાં તો ‘ગૌરવ’ અને ‘મિથ્યાભિમાન’ વચ્ચેનો તફાવત સમજીએ. ગૌરવ એટલે જેને માટે ગૌરવ ધરાવતા હોઈએ તેના સારા પાસાઓના વખાણ ભલે કરીએ પણ તેની ખામીઓ અંગે સભાન હોઈએ અને તેમનો ઉપાય કરવા પ્રયત્નશીલ બનીએ અને રહીએ. જ્યારે મિથ્યાભિમાની તો તેની પ્રિય બાબતના કેવળ વખાણ જ કરે એટલું જ નહીં પણ તેની ક્ષતિઓને પણ મારી મચડીને વ્યાજબી ઠરાવવા બધા જ બહાના કાઢે. હવે તો આપણે આપણી વિચારસરણીને પ્રતિકૂળ એવા ઇતિહાસને પણ બદલી નાંખવા માંડ્યા છીએ. આવા મિથ્યાભિમાનથી ભારતીય સંસ્કૃતિને લાભ નહીં પણ નુકશાન જ થઈ શકે.

      આપણે બધા આપણા પૂર્વજોની છૂટી છવાઈ વ્યક્તિગત સિધ્ધિઓને બિરદાવવામાંથી જ ઊંચા નથી આવતા. પણ જરા પણ વિચાર કરતા નથી કે એ બધી સિધ્ધિઓ ગઈ ક્યાં? વિમાન બનાવતા આવડતું હતું તો પછી બીજા વિમાનો કેમ નહીં બનાવ્યા? ભૌતિક સફળતાને પણ આધ્યાત્મિક ચમત્કાર તરીકે ખપાવીને ગુરૂઓએ ઈશ્વર ને બદલે પોતાની પ્રત્યે શ્રધ્ધા પેદા કરી તેને ટકાવી રાખવા માટે તેનું જ્ઞાન બીજા કોઈને આપ્યું નહીં. પરિણામે તે શોધ ભૂલાઈ ગઈ.

      Liked by 2 people

      1. Rashmikant desai,
        Maro kahevano matlab aaj chhe aapna bhartiyo vignyan ni sodhno labh laychhe pan teno yash guru bhagvan mantro vagere ne aape chhe,
        jemke darek gharma janmta balak ne shitla ane polio nu rasikaran thai ane te pan sarkar na paisathi ( prajanajto) ane ane praja nahijoyela shitla mata na mandiro bandhe chhe puja vrat karechhe. ane aapno mantra MUKAM KAROTI VACHALAM PANGU LANGHAYTE GIRIM YATKRUPA TAMHAM VANDE PARMANANDAM MADHVAM. ej batave chhe ke aapne je kharekhar pujvane layak rasisodhak vaignyanik na nam janva ni pan darkar rakhta nathi ane nahi joyela jate banavela dev ni puja kariye chhiye aa chhe bhartiyo ni mansikta abhanta ane ahesanfarosi ane mithyabhiman.

        Liked by 1 person

  3. માત્ર અવલોકન કરવાથી કે ધ્યાન ધરવાથી બધું જ્ઞાન, ખાસ કરીને કુદરતના નીયમોનું, આવી જતું નથી. પ્રાર્થના, ભક્તી, તપ વગેરેથી સમજવાનો તો કોઈ સવાલ જ નથી. This statenebt is 100% true.

    Prayer are designed to help ease up your problem by drifting your attention away from problem. Meditation (Saadhnaa) is designed to self decipline your self and to obtain peace yourself. Yes it is true that more decipline you are more wisdom you gain, however, this does not link to any discovery or innovation.

    What today’s human need to understand that we are in 21st century with ample luxarary at cost of Science. One must not think or act as what was in 1000+ years ago. This kind of thought prevent Human to grow or discover new things!

    Liked by 3 people

  4. Tamari prashna ni chhanavat gami.Vaignanik abhigam vagar aavi vato samjati nathi<ne etle j bhavya parmparana gungan gavay chhe.Saras lekh!

    Liked by 1 person

  5. Research ના વિવિધ પાસાઓનું સરસ Analysis કર્યું છે. ઉદાહરણૉ પણ સરસ લીધા છે. આ બધું પહેલા હતું કહેનારાઓને સમજ આપવા કોશીશ કરી છે, આમ લેખના અનેક લક્ષ્યો સારી રીતે હાંસિલ કર્યા છે.

    Liked by 1 person

  6. આ લેખ આ બ્લોગ પર જ રહી ના જવો જોઈએ. તેને જાણીતા બહોળો ફેલાવો ધરાવતા અખબારમાં છપાવવો જોઈએ. તેની હજારો કે લાખો નકલો વહેંચાવવી જોઈએ. Its English translation should also be very broadly distibuted.

    લેખને કશા સમર્થનની જરૂર નથી. છતાં કેટલાક મુદ્દાઓ રજુ કરું છું.

    અવારનવાર આપણા પૂર્વજોની ‘સિધ્ધિઓ’ની યાદી રજુ કરવામાં આવે છે. તેમાં પંદર-વીસ બાબતોનું પુનરાવર્તન થયા કરતુ હોય છે. પંદર-વીસ જ શા માટે? પાંચ હજાર વરસોમાં પાંચ હજાર નહિ તો પાંચસો શોધો તો થઇ શકવી જોઈતી હતી.

    અગસ્ત્ય સંહિતાના શિલ્પસૂત્રમાં કેટલાક શ્લોકમાં વીજકોષ બનાવી તેની વીજળી વડે પાણીમાંથી હાયડ્રોજન (ઉડાણવાયુ) અને ઓક્સીજન (જ્વલનશીલ વાયુ) છુટા પાડ્યા હોવાનું વર્ણન આવે છે. તે સમયે કોઈએ વિદ્યુતપ્રવાહ પેદા કર્યો હતો. આ શોધ ત્યાં જ અટકી ગઈ કારણ કે આપણા મોક્ષઘેલા પૂર્વજોને આવી કશી સિધ્ધિમાં રસ હતો જ નહિ. આ પ્રયોગ કરનારને પ્રોત્સાહન આપીને આ જ્ઞાનને આગળ વધાર્યું હોત તો પ્રજાનું કેટલું હિત કરી શકાયું હોત! પણ કલ્પનાના ઘોડા દોડાવ્યા કર્યા. સાયકલ બનાવતા નહોતી આવડતી તેમણે વિમાન બનાવ્યું હોવાના ગપગોળા ફેલાવ્યા, ચશ્માં નહોતા બનાવતા તેઓએ સુક્ષ્મ વાઢકાપ (સર્જરી) કરી હોવાના દાવા કર્યે રાખ્યા.

    આધુનિક પશ્ચિમી વિજ્ઞાને શીતળાના રોગને પૃથ્વીના પટ પરથી નિર્મૂળ કર્યો જયારે આપણા વડીલોએ શીતળામાતાના કે બળીયબાપજીના મંદિરો બાંધ્યા!

    Liked by 2 people

  7. Very good article. Documentation is very important. So many things we called chamatkar has no value till you have proof and documentation. We can not call ourselves superior based on Purans. Always think and question
    Once again very nice contribution from Mulji Ghada. Keep it up

    Liked by 2 people

  8. મિત્રો,
    શરુઆત મુરજીભાઇને અને ગોવિંદભાઇને અભિનંદન અાપીને કરીઅે. નવું જ્ઞાન આપનાર વૈજ્ઞાનિકને વેસ્ટમાં પણ ચર્ચના માઘાંતાઓઅે સજા કરી હતી. ચર્ચની પકડ સમાજ ઉપરથી ઉતરી ના જાય તેની બીકે. હું મુરજીભાઇના લેખના સંદર્ભમાં મારે જે કાંઇ કહેવું છે તે સપોર્ટના રુપે કહીશ. ભારતીય પુરાણ અને ત્યારની વૈજ્ઞાનિક શોઘો વિષે તો ઘણુ અને ઘણી જગ્યાઅે ચર્ચાયુ છે જ. માટે લેખના સંદર્ભમાં જ કાંઇ કહીશ અને ઉમેરીશ.
    મુરજીભાઇઅે નવી શોઘ માટેના બે શબ્દો કહ્યા અને તેની ડેફીનેશન કહી. ડીસક્વરી અને ઇન્વેન્શન અને તે બન્ને વચ્ચે ના તફાવતો સમજાવ્યા. ભારતીય ભાષામાં બન્નેને ‘શોઘ‘ તરીકે વાપરવામાં અાવે છે. વેસ્ટમાં અેક ત્રીજો શબ્દ પણ કાયમી ઘોરણે વપરાય છે અને તે છે ‘રીસર્ચ‘ અા શબ્દને અા રીતે ડીફાઇન કરેલો છે જે ડીસ્કવરી અને ઇન્વેન્શનને સાંકળે તો છે પરંતુ તેની પોતાની આગવી ડેફીનેશન પણ છે. જે આ પ્રમાણે છે… Research : ” The systematic investigation into and study of materials and sources in order to establish facts and reach new conclsions. In broader sense of the word, the definition of research includes any gathering of data, information and facts for the advancement of knowledge.” ગુજરાતી શબ્દકોશ રીસર્ચને પણ ‘ શોઘખોળ‘ જ કહે છે.
    કોમેંટમાં સુરેશ અને ચંદ્રાઅે સવાલ પૂરૂયો છે…‘ સૈથી પહેલાં વિજ્ઞાનીક જગતની શોઘ કોને ગણે….?‘ મારો જવાબ છે કે માનવે જ્યારે પોતે પોતાના મગજનો ઉપયોગ કરીને પોતાને પ્રગતિશીલ માણસ તરીકે સ્વિકાર્યો તેને….‘
    હવે આગળ વઘીઅે. મુરજીભાઇઅે બે જગ્યાઅે ગણીત શબ્દનો ઉલ્લેખ કર્યો છે. ગણીતને અંગ્રેજીમાં Mathematics કહે છે.તેનો પણ ઇતિહાસ છે.
    Wikipedia referance : From Greek, Mathema = knowledge, study, learning.
    Mathematics is defined as : ” The study of topics such as quantity, (Numbers), structure, space and change.” There is range of views among mathematicians and philosophers as to the exact scope and definition of Mathematics. Rigorous arguments first appeared in greek mathematics most notably in “Euclids Elements.” (Known for Euclid’s Calipers)
    Aristotale defined mathematics as ” The science of quantity.”
    Greek mathematician, Pythagoras ( c.570 – c.495 BC) commonly credited with discoverying the Pythagorous theorem.
    મારે જે કહેવાનું છે તે અા કે વિજ્ઞાનની કોઇ પણ શોઘ વિજ્ઞાનના બીજા વિષયની મદદ વિના શક્ય નથી. દા. ત. ગણિતના મદદરુપ જ્ઞાનની શોઘ પણ આ સમયે થયેલી જ હોવી જોઇઅે. શૂન્યની શોઘ માટે પણ ઘણી ચર્ચા ચાલે છે. ડભોઇગામના અશોકના શીલાલેખમાં પાલી ભાષામાં આ વિશે કોઇક ઉલ્લેખની વાતો પણ ચર્ચામાં છે.
    માણસે પોતાને મળેલી મગજની ભેટનો સદઉપયોગ કરીને સમાજને પ્રગતિ આપી અને તે જ મગજનો દૂરુપયોગ કરીને સમાજના સંહારની ભેટ અાપી.
    ઘર્મ,…રીલીજીઅન અને વિજ્ઞાન હંમેશા અેક સાથે ચાલ્યા નથી. કેમનો જવાબ જ્ઞાની માણસ જ આપી શકે. વેસ્ટમાં ઘર્મ ભારતમાંના હિન્દુ ઘર્મ કરતાં વઘુ ઓપન માઇન્ડેડ સાબિત થઇ ચૂક્યો છે. સત્યને સ્વીકારતો થયો છે. પોતાને સુખ આપે તેવાં ઇન્ટરપ્રીટેશનો કરીને કોલર ઉંચા કરતાં નથી હોતા. ચર્ચની પકડ ઘણી ઢીલી થઇ ચૂકી છે. જ્યારે હિન્દુ, મુસલમાન જેવા અને બીજા ઘર્મોની સમાજ ઉપરની પકડ દિવસે દિવસે મજબુત થતી દેખાઇ રહી છે. વિજ્ઞાનની શોઘોને તે શોઘ માટેના નોલેજ વિના આનંદપૂર્વક વાપરવી છે પરંતુ તેના શોઘક દેશ અને વિજ્ઞાનીને જાણવા નથી…કદાચ સ્વીકારવા નથી.
    આ લેખને જુદી જુદી ભાષામાં ઉતારીને સમાજના મૂળીઅા સુઘી પહોંચાડવા માટે સજેશન કરવામાં અવ્યુ છે તે યોગ્ય જ છે.
    Science will remain prgressive only when these questions are asked and answer is sought for. Why, When, Where and who…….
    ઘરમાં પિતાને ક્યુરીઅસ દિકરો કે દિકરી ઘર્મની કોઇ સમજીના શકાય તેવી વાત માટે સવાલ કરે ત્યારે પિતા કે ઘર્મગુરુ….તેને ટાળવા જો કહે કે, તું હજી નાનો કે નાની છે…મોટા થયા પછી સમજાશે અને ઘર્મની વાત તો શ્રઘ્ઘાથી માની લેવાની હોય તેમાં સવાલ ના પૂછાય તો પછી પેલાં બાળકોની જીંદગીમાં પ્રગતિનો કોઇ અવકાશ નથી……..ગણપતિને હાથીનું માથુ કેવીરીતે મળ્યુ તે સવાલનો જવાબ ….બીચારા ઇન્ક્વીઝીટીવ બાળકને ક્યારે પણ નહિ મળે……..
    અાભાર.
    અમુત હઝારી.

    Liked by 2 people

    1. “વિજ્ઞાનની શોઘોને તે શોઘ માટેના નોલેજ વિના આનંદપૂર્વક વાપરવી છે પરંતુ તેના શોઘક દેશ અને વિજ્ઞાનીને જાણવા નથી…કદાચ સ્વીકારવા નથી.”

      Well said!

      Liked by 1 person

  9. You are our assets. I appreciate your scientific temperament which I do share.
    Today it is urgent need to save our people from religious terrorism and political corruption. For it people of this nation must be awakened. I wholeheartedly support your ideas and viewpoints. Many Many thanks for it to you all who are with you.
    Krit Joshi

    Liked by 1 person

  10. દરેક વિદ્યાર્થી અને શિક્ષકોએ વાંચવા જેવો લેખ. “ મેરા ભારત મહાન” ના ગપગોળા બહુ ચાલ્યા. હવેતો તેમાંથી બહાર આવો!!! આ દેશને સૌથી વધુ નુકશાન ધાર્મિક સંપ્રદાયોએ કર્યુછે. દરેકને સૌથી વધારે ચેલા મુન્ડવાનો ગિનેસ બૂક રેકોર્ડ બનાવવોછે. જ્ઞાન અને વિજ્ઞાનની ઐસી તૈસી.

    Liked by 1 person

  11. આ લેખના અમુક અંશ ઈ-વિદ્યાલય પર કિશોર- કિશોરીઓની જાણ માટે મુકવા છે.
    પરવાનગી આપવા વિનંતી.

    Liked by 1 person

    1. વહાલા સુરેશભાઈ,
      લેખના કેટલાંક અંશ તમે મુકવાના છો, પરન્તુ જીજ્ઞાસુ વાચકમીત્રો આખો લેખ વાંચી શકે તે માટે ‘અભીવ્યક્તી’ બ્લોગની લીન્ક અને લેખકશ્રીનું સૌજન્ય સાથે ખુશીથી મુકવા વીન્નતી છે.
      ધન્યવાદ..
      ..ગો.મારુ..

      Like

  12. શુન્યની શોધ ભારતમાં થઈ છે. એ કેવી રીતે કહી ળકાય? એની પ્રુફ કયાં વાંચવા મળે? મેં તો આ વાતજુદા જુદા લોકો પાસેથી ઘણીવાર સાંભળી છે.
    મુરજીભાઈ, આપનો લેખ અભ્યાસપૂર્ણ છે. અભિનંદન.

    Liked by 1 person

    1. ઈન્ટરનેટ્પર શોધીયે તો કદાચ મળે. અત્રે મારા બીજા એક લેખનો નાનો ભાગ મુકું છું.
      પુરો લેખ વાંચવો હોય તો નિચેની લિંક ખોલીને પાના નં. ૩૪ પર લેખ મુકાયો છે તે વાંચો.

      Click to access mm_11_2012.pdf

      (૧) સમસ્ત દુનિયામાં પ્રસરી ગયેલી દશાંશ પદ્ધતીના મૂળમાં રહેલ “શૂન્ય” એ ભારતની દુનિયાને મળેલી પહેલી ભેટ ગણાય છે. આદિ માનવ પોતાના વિચાર શબ્દોમાં જણાવતો થયો, એટલે કે ભાષાની રચના થઈ એની સાથે ગણતરી પણ શરુ થઈ હતી. એના માટે એણે પોતાની આંગળીઓનો ઉપયોગ કર્યો હશે. આજે પણ નાના બાળકો ગણવા માટે પોતાની આંગળીઓનો ઉપયોગ કરે છે.
      ગણતરી માટે આંગળીઓનો ઉપયોગ કરવો એટલો સ્વાભાવિક છે કે મોટા ભાગની પ્રાચીન સંસ્કૃતિઓમાં સ્વતંત્રપણે દસના ગુણાંકવાળી પદ્ધતી શરુ થઈ હશે. ભારત, સુમેર, મીસર, ગ્રીસ, અને ચીનની સંસ્કૃતિઓનો આમા સમાવેશ થાય છે. આ લેખકની જાણ પ્રમાણે એમાં માત્ર બે અપવાદ હતા. મધ્ય અમેરિકાની મયન સંસ્કૃતિએ વીસના ગુણાંકવાળી તેમજ રોમનોએ પાંચના ગુણાંકવાળી પદ્ધતિ અપનાવી હતી. આ પણ આંગળીઓની સંખ્યા આધારીત છે. કોઈ ખાસ કારણોસર ગણતરી માટે રોમનો કદાચ એકજ હાથનો ઉપયોગ કરતા હશે. જો માણસના હાથને ચાર કે છ આંગળીઓ હોત તો કદાચ આઠ કે બારના ગુણાંકમાં અંકશાસ્ત્ર રચાયું હોત.
      આ બધી પદ્ધતિઓમાં શૂન્યના ઉપયોગ વગર આગળ વધવાંમાં ખૂબ અગવડ થતી અને મોટી રકમો ઘણી જટિલ બનતી. શૂન્ય ઉપરાંત, રકમના દરેક આંકડાના સ્થાન મુજબ એની કિંમત આંકવાની ભારતની પ્રથા સૌથી સરળ હતી. સમયાંતરે અને સ્વાભાવીકપણે બધાએ તે અપનાવી. જે પણ હોય, આજે ભારતને “શૂન્ય”ના આવિષ્કારનો યશ મળે છે.

      Liked by 1 person

      1. Western people call the numerals 0 through 9 as ‘Arabic’ numbers to differintiate them from the Roman numerals. Arabs call them ‘Hindu’ numerals.

        Had the numbering system been invented by Arabs, they would have been written from right to left just as they write their text, not from left to right as all people including Arabs do.

        On gmail, it is possible to write in Urdu (or any middle-eastern) script. While doing so, if one needs to insert a number it is entered from left to right although the text runs from right to left. While writing, if they have to insert a number, they have to leave enough space to accommodate it so as not to overwrite the preeceeding word.

        Like

    2. Since no one else is staking claim for inventing zero, India gets the credit for it by default. As I have read elsewhere, Arabs got it from India and then it spread in Europe. As a result, Some people credit Arabs for it.

      Liked by 1 person

Leave a reply to Shah Madhusudan Cancel reply