ગરીબીનો મહીમા, ગુરુપરમ્પરા અને સદગુણનો અતીરેક

9

પ્રગતીની અવરોધક માન્યતાઓ – 1

ગરીબીનો મહીમા, ગુરુપરમ્પરા અને સદગુણનો અતીરેક

                                મુળ લેખક : સુબોધ શાહ
રજુઆતકર્તા : મુરજી ગડા

(ગત લેખાંક : 8 https://govindmaru.com/2015/08/28/culture-can-kill-8/ ના અનુસન્ધાનમાં.. )

દરેક સમાજમાં પ્રચલીત એની પોતાની વીશીષ્ટ માન્યતાઓ હોય છે. એ માન્યતાઓથી પ્રેરાયેલાં આદર્શો, ધ્યેયો, રીતરીવાજો, વલણો, વગેરેને અનુસરીને સમાજ જીવતો હોય છે; અને આ બધું એનાં સંસ્કાર–સંસ્કૃતીનાં અનીવાર્ય અંગો બની જાય છે. સંસ્કારો (Culture) તારક બને, અવરોધક બને કે સંહારક પણ બની શકે છે. માનવ સંસ્કૃતીની શરુઆતમાં તારક બનેલા સંસ્કાર, ઈતીહાસના અંધારયુગ અને મધ્યયુગમાં કાળક્રમે આપણા સંહારક બન્યા છે. એ સંસ્કારો એટલે માન્યતાઓ, રીવાજો, પરમ્પરાઓ, આદર્શો. એ બધું આજે પુનર્વીચારણા અને નવનીર્માણ માગે છે. ભારતીય સમાજમાં લગભગ બધાએ સ્વીકારી લીધેલી આવી કેટલીક માન્યતાઓથી સમાજને કદીક થોડો ફાયદો થયો હોય; પણ સાથે સાથે લાંબા ગાળાનું અત્યન્ત ગંભીર નુકસાન પણ થયું છે. એની વાત ત્રણ લેખની આ લેખમાળામાં કરી છે.

  1. ગરીબીનો મહીમા અને સમ્પત્તીનો વીરોધ :

ધનદોલત કે પૈસાને અનીષ્ટ ગણી–ગણાવીને આપણે ગરીબાઈને વધુ પડતું ગૌરવ આપ્યું છે અને આડમ્બરને આડકતરું ઉત્તેજન આપ્યું છે. ‘સંતોષ શ્રેષ્ઠ, પૈસો અનીષ્ટ; ગરીબ સદ્‌ગુણી, ધનીક ધુતારો; પૈસો એટલે હાથનો મેલ; પૈસાને તો કુતરાંય સુંઘતાં નથી’; આવી આવી ભ્રામક કહેવતો, માન્યતાઓ ને આદર્શો નાનપણથી ધર્મગુરુઓ, સાધુઓ, ચલચીત્રો અને સમાજ તરફથી આપણને મળે છે.

મહાન દાર્શનીક શંકરાચાર્ય એમના ‘ભજ ગોવીન્દમ્‌’ કે ‘ચર્પટપંજરીકા’ નામના વીખ્યાત સ્તોત્ર (શ્લોક 29)માં કહે છે: ‘પૈસાને હમેશાં અનીષ્ટ ગણજે. સત્ય એ છે કે એનાથી સહેજ પણ સુખ મળતું નથી. ધનવાન માણસોને એમના પુત્ર તરફથી પણ ભય હોય છે. બધી જગ્યાએ આવી જ રીતી છે.’

આપણે બધા જ જાણીએ છીએ કે જીવનમાં પૈસો એ જરુરી જ નહીં; અનીવાર્ય છે. ધર્મ કરવો હોય તોય પૈસો તો જોઈએ જ. પૈસાની ગુલામી ખરાબ હોઈ શકે; પૈસો ખરાબ નથી.  નમ્રતાપુર્વક અને સન્માન સાથે હું કહીશ કે આ શ્લોકમાંનું વીધાન સ્પષ્ટ રીતે, આત્યન્તીક અને ગેરમાર્ગે દોરનારું છે. છતાં હીન્દુઓ જેમને સાક્ષાત ભગવાનના અવતાર સમાન માને છે એ સંતનું આ વચન છે. એકદમ સીધીસાદી સ્પષ્ટ સંસ્કૃત ભાષામાં આ શ્લોક છે અને કોઈ પણ એ વાંચીને સમજી શકે એમ છે. આ અર્થના બીજા શ્લોકો પણ છે. આ સ્તોત્ર ફક્ત સન્યાસીઓ માટે છે એવો કોઈ ઉલ્લેખ એમાં નથી; એથી ઉલટું, ગૃહસ્થોને સમ્બોધીને લખાયેલો ઉપદેશ એમના જ અનેક શ્લોકોમાં જોવા મળે છે.

હવે જરાક વીચાર કરીએ. પૈસા વીશે આ પ્રકારની માન્યતા સદીઓ સુધી જેણે ધરાવી હોય, પચાવી હોય, એ પ્રજા ગરીબ રહે એ બાબતમાં આશ્ચર્ય ન હોય. ધર્મ ગરીબીને વખોડતો નથી; વખાણે છે. પરીણામે, નીર્ધન માણસ ઘણીવાર ખોટાં મુલ્યો ધરાવે છે; અને હાનીકારક વલણોમાં વીંટળાઈ રહીને પોતે જ પોતાની જાતને નુકસાન કરતો હોય છે. નીર્ધનતાની ચુંગાલમાંથી છુટવાનું મુશ્કેલ કામ આપણી માન્યતાઓને કારણે વધુ મુશ્કેલ બને છે. આના જેવી બીજી અનેક જડબેસલાક માન્યતાઓ સમાજમાં ધર્મ દ્વારા પ્રચલીત થઈ છે.

  1. ગુરુપરંપરા :

આપણી બીજી એક માન્યતા છે ગુરુને દેવ ગણવાની. ગુરુને દેવ ગણવાથી સ્વતન્ત્ર વીચારશક્તી, મૌલીકતા ને સર્જનશીલતાનું અવમુલ્યન થયું છે. ‘બ્રહ્મા કહો, વીષ્ણુ કહો, મહેશ્વર કહો, જે કહો તે; પણ ગુરુ એ સાક્ષાત પરમ બ્રહ્મ છે’. એવું કોણે કહ્યું?  ગુરુઓએ પોતે ! એમાં કોઈ શક નથી કે શીક્ષક માટે સન્માન જરુરી ને આવશ્યક છે. પણ સન્માન એટલે સમ્મતી નહીં; સ્વતન્ત્ર વીચારશક્તીનો ત્યાગ નહીં. સન્માન એટલે આન્ધળો વીશ્વાસ કે અણછાજતો અહોભાવ પણ નહીં. માન–સન્માન, આજ્ઞાંકીતપણું, વીશ્વાસ, શ્રદ્ધા, અન્ધશ્રદ્ધા, આ બધાંની વચ્ચે સુક્ષ્મ ભેદ રેખાઓ છે. ગુરુને ભગવાન ગણવાથી આપણાં માનસમાંથી તે ભેદ રેખાઓ ભુંસાઈ ગઈ છે. ગુરુનો કોઈ વીચાર કુવીચાર હોય, તો એ સમજવા છતાં એની વાત કરતાં આપણા સંસ્કારો આપણી જનતાને અટકાવે છે; કારણ કે ગુરુ તો દેવસ્વરુપ છે ! ગુરુના કથનમાં ખુલ્લો વીરોધાભાસ હોય, નરી ગેરસમજ હોય, ઉપદેશ અનીષ્ટ પણ હોય; એ જાણવા છતાં પોતાની સમજશક્તીને બાજુએ રાખી દેવા આપણી જનતા ટેવાયેલી છે. શીક્ષક સારો હોય તેમ ખરાબ પણ હોઈ શકે છે. કોઈ પણ માણસની ઉંમર, દાઢી, ભગવાં/શ્વેત કપડાં કે જાતી જોઈને એને કે એના પદને સન્માનપાત્ર ગણવાનો કે ઉતરતો ગણવાનો રીવાજ યોગ્ય નથી. સન્માન માગવાનું ના હોય; સ્વયં એને લાયક બનવાનું હોય છે. શીષ્યોના પ્રશ્નોથી જેમનું સ્વમાન ઘવાતું હોય એવા ગુરુઓ શીષ્યોને આજ્ઞાંકીત થવાનો ઉપદેશ આપે એ સ્વાભાવીક છે. વીવેકશુન્ય વીચારો અને ઉટપટાંગ આદર્શોનો શીષ્યો પાસે મુંગો સ્વીકાર કરાવવાનાં ફાયદા બધા ઉપદેશકો જાણતા હોય છે. જ્યારે શાળાઓ કે પુસ્તકો સુધ્ધાં ન હતાં, ત્યારે ગુરુમાં વીશ્વાસ રાખવા સીવાય બીજો વીકલ્પ નહોતો. આધુનીક જગતની આવશ્યકતાઓ જુદી છે. જુની પેઢીનું આંધળું અનુકરણ આપણી વીચારશક્તીને રુંધે છે, ઘેટાંશાહી માનસ જન્માવે છે અને મૌલીકતાને વીકસવા દેતી નથી. એવું હવે ચાલે એમ નથી. ગુરુમાં શ્રદ્ધા વીના બાળક શીખી શકે નહીં, એ સાચું છે; પણ કોઈનેય આખી જીન્દગી બાળક સમજવું ન જોઈએ. પુખ્ત વયના માણસમાં ગુરુના વીચારોને પડકારવાની તેમ જ જરુર પડ્યે વીરોધ કરવાની હીમ્મત હોવી જોઈએ, તેમ જ ગુરુથી આગળ જવાની, કંઈક નવું કરવાની ક્ષમતા પણ હોવી જરુરી છે. ગુરુ, માબાપ, વૃદ્ધ, પદવીધારી બધાંની સામે સન્માનનાં ઓઠાં હેઠળ ડોકું નમાવી રાખવાની આદતવાળો સમાજ સ્વતન્ત્ર વીચારશક્તીવાળો સર્જનશીલ ન બની શકે. સજ્જડ શ્રદ્ધાવાળાં જડ માનસ દરેક સમાજ માટે ભયજનક હોય છે.

‘શ્રદ્ધા એ શ્રેષ્ઠ’ અને ‘સંશયાત્મા વીનશ્યતી’ (ગીતા 4–40) એ વચન માત્ર વીવાદાસ્પદ નહીં;  વીનાશાત્મક વીચાર છે. સંશય નહીં, વીકલ્પ નહીં; તો સત્યનાં વીવીધ પાસાંઓ કેમ જોઈ, જાણી કે તપાસી શકાય? ગુરુએ શીખવેલા સત્યને પ્રશ્ન કર્યા વીના એકમેવ સત્ય તરીકે સ્વીકારી લેવાનું હોય, તો સત્યને પામવાની આશા વ્યર્થ છે. સક્ષમ અને તન્દુરસ્ત વીકલ્પવાદ–પ્રશ્નશીલતા એ તો નવસર્જન અને પ્રગતીનો પીતા છે. યુદ્ધ જેવા કોઈક અસાધારણ સંજોગોમાં ઉપરીના નીર્ણય સામે પ્રશ્ન કરવો કદાચ ખોટો હોઈ શકે; પણ એ સીવાય બીજે બધે જ સંશય સારી ચીજ છે. સંશયને આવકારવો જોઈએ. સમાજનાં બૌદ્ધીક ધોરણો નીચી પાયરીએ જાળવી રાખવાં હોય, નીર્વીવાદ પરમ્પરા ટકાવી રાખવી હોય, તો એમ કરવાનું શ્રેષ્ઠ સાધન પ્રશ્નવીહીન ગુરુપુજન છે. મૌલીક વીચારશક્તી ઉપર આવો પ્રતીબન્ધ, આવી ચતુરાઈથી, દરેક ધર્મે લાદ્યો છે.

આધ્યાત્મીક ચર્ચા માટે સંસ્કૃત ભાષામાં શબ્દ છે ‘શાસ્ત્રાર્થ’, એટલે કે ‘શાસ્ત્રનો અર્થ’. માત્ર અર્થ જ કરવાનો કે પછી સમજવાનો ? ચર્ચા નહીં, શંકા નહીં, પ્રશ્ન નહીં; સંશય તો નહીં જ નહીં. સમજવા સીવાય બીજી કોઈ ચેષ્ટા કરો તો અવીનય કે નાસ્તીકતા ગણાય. શાસ્ત્રમાં શંકા થાય જ નહીં. માન્યતા અને શ્રદ્ધાને ગૃહીત ધરીને જ ચાલવાનું. સન્ત, મહન્ત, ભગવાન, ઉપદેશક અને યોગી, જે મળે તે બધા જ બુદ્ધીને બાજુએ મુકી શ્રદ્ધા શીખવવાનો ઉદ્યોગ આદરે છે. કહેવાય છે કે નવા પ્રશ્નો તરફ દોરી જાય નહીં તેવું જ્ઞાન, જલદીથી નાશ પામે છે. જીવનને પોષણ આપવા માટે આવશ્યક એટલું વાતાવરણ એ જાળવી શકતું નથી.

  1. સદગુણનો અતીરેક અને શક્તીની અવહેલના :

ભારતીય સમાજ દૃઢતાપુર્વક માને છે કે જ્યાં ધર્મ છે ત્યાં વીજય છે (ગીતા);  એટલે કે સદ્‌ગુણનો હમ્મેશાં વીજય થાય,  ધર્મ કરવાથી બીજો જન્મ સારો મળશે એવી માન્યતાથી સદ્‌ગુણ કે નીતીનો વીકાસ થયો; પણ સાથે ક્રીયાશીલતાનો હ્રાસ થયો. નીતીને સીદ્ધાન્તનો ટેકો મળ્યો; પણ જીન્દગીની હરીફાઈમાં જીતવા માટે જરુરી એવાં હેતુ, પ્રેરણા કે પીઠબળ ન મળ્યાં. જીવનમાં નીતી તો જોઈએ જ; પણ નીતી એ અથથી ઈતી નથી, સર્વસ્વ નથી. નીતી એ મુલ્ય છે, આદર્શ છે;  સીદ્ધી નથી. એ બન્ને જુદાં છે. સારા થયા એટલે સફળ થયા, એવું નથી હોતું. ખેલના મેદાનમાં, યુદ્ધમાં, જીવનમાં, સફળ થવા શક્તી પણ જોઈએ જ, એકલી નીતીથી કામ ના ચાલે. રોજ રોજ નીતીની ચીન્તા કરતાં કરતાં શક્તીને આપણે ભુલી ગયા. ભલા થવાનું યાદ રહ્યું, જીતવાનું ભુલાઈ ગયું. એટલે સુધી જીવન હારતા રહ્યા કે જીવનની નીરર્થકતા ઉપદેશતા થયા.

જીવનની લાંબી દોડમાં, અસ્તીત્વના અવીરત યુદ્ધમાં, ભલા માણસો હમ્મેશાં જીતતા નથી. આપણે માનીએ અને ઈચ્છીએ કે તેઓ જીતે તો સારું. એ પણ આ જ જન્મમાં,  બીજા જન્મમાં નહીં. ઉત્ક્રાન્તીનો નીયમ સમર્થને જીતાડે છે, સદ્‌ગુણીને નહીં;  શક્તીને જીતાડે છે, શીલને નહીં. હીટલર દારુ પીતો નહીં, માંસ ખાતો નહીં; છતાં હારી ગયો. એને હરાવનાર વીન્સ્ટન ચર્ચીલ ચીરુટનો બંધાણી ને દારુડીયો હતો. નેપોલીયનને હરાવનાર ડ્યુક ઓફ વેલીન્ગટન દારુ, જુગાર ને સ્ત્રીઓનો શોખીન હતો. આપણે ભારતીયો જેને નીતીમાન સદ્‌ગુણી ગણીએ એવો તો નહીં જ. બીજી બાજુ જુઓ તો આપણા દેશમાં ઘણા હારી ગયેલા રાજપુરુષો, ધર્મશાસ્ત્રોના જાણકાર ડાહ્યાડમરા પંડીતો હતા. આખા દેશોની વાત કરીએ તો, પશ્ચીમના દેશોના દારુ પીનારા, ગોમાંસભક્ષી, આપણી દૃષ્ટીએ પાપી, દુર્જન એવા લોકો આજે સમૃદ્ધ ને સુખી છે; તેઓ બધા નરકમાં જશે કે નહીં એ તો ખબર નથી. પરન્તુ એક વાત બધા જાણે છે કે સારા, સદ્‌ગુણી, પુણ્યપવીત્ર, ભારતીયો આજે ભુખમરો, રોગ, ને પ્રદુષણોનાં નરકથી બહુ દુર નથી.

કમનસીબીની વાત છે કે દુન્યવી સફળતાને નૈતીક મહાનતા સાથે સીધો સમ્બન્ધ નથી. અહીં અનીતીનો પુરસ્કાર થાય છે એવુ નથી. આટલું જ કહેવાનું છે કે જીન્દગીમાં જીવવા માટે, જીતવા માટે, નીતી ઉપરાન્ત ઘણું બધું જોઈએ છે. આ વાત વ્યક્તી અને સમાજ બન્નેને લાગુ પડે છે. લોકોમાં રુઢ થયેલી આપણી માન્યતા કે ‘ધર્મ જ હમ્મેશાં જીતે છે’, તે આપણા અનુભવ ઉપર થયેલી આશાની જીત છે; અનુભવ તો સાવ જુદો જ છે. જીવનની દોડમાં હમ્મેશાં દોડવીર જ જીતે છે એવું નથી; તાકાતથી જ યુદ્ધ જીતાય એવું પણ નથી; ડાહ્યા માણસને રોટલો કે સારા માણસને દોલત મળે જ એમ પણ નથી; હોશીયારને ફાયદો થાય જ એવું પણ નથી. એની પાછળ ઘણાં પરીબળો કામ કરે છે.

પવીત્ર કે પુણ્યશાળી થવા ખાતર આપણે મરવાની જરુર નથી. ઘણા સારા લોકોએ પણ સમયે સમયે નીતી સાથે બાંધછોડ કરી હતી. આ અનૈતીકતા નથી; વ્યાવહારીક વાસ્તવીકતા છે. અમુક પ્રકારના લોકો સામે અહીંસા ચાલે નહીં. શક્ય છે કે હીંસા સામે બીજો ગાલ ધરવાથી શાન્તીપ્રીય સજ્જનોને સ્વર્ગ મળે. બીજી બાજુ અલ્લાહના નામે બીજાને કાફીર કહીને કાપી નાખનારા સ્વર્ગે જાય એવું પણ મનાવવામા આવે છે. વાસ્તવીકતા છે કે એ બધાય સ્વર્ગે સીધાવે એ પહેલાં, બીજા પ્રકારના લોકો આ દુનીયાનું રાજ મેળવે છે, જ્યારે પહેલા પ્રકારના લોકો માથું ગુમાવે છે. સજ્જનતા એ ઈચ્છનીય મુલ્ય છે; પણ વાસ્તવીકતા અમુલ્ય વ્યવહાર છે.

ગીતાનું મહાવાક્ય છે : જ્યાં ધર્મ અને તાકાત બન્ને સાથે હોય, ત્યાં તો વીજય હોય જ, એમાં પ્રશ્ન નથી. પણ માનો કે એ બેમાંથી એક કદાચ ગેરહાજર હોય, તો શું થાય એનો ઉલ્લેખ નથી. બીજી રીતે વીચારો : ધર્મ(રાજ) એટલે યુધીષ્ઠીર અને શક્તી(માન) એટલે અર્જુન, બન્ને સાથે રહી યુદ્ધ જીત્યા. અર્જુન ન હોત તો યુદ્ધ જીતી શકાત ? ના. યુધીષ્ઠીર ન હોત તો યુદ્ધ જીતી શકાત ?  હા. શક્તી વીના જીતાય નહીં એ સામાન્ય સમજની વાત છે.

મહમદ ગીઝની પાસે સોમનાથનું મન્દીર તોડવાની તાકાત હોય ત્યારે શું થાય છે ? એની તાકાત જીતે છે અને આપણા મહાદેવ હારે છે. દેવની સંજ્ઞા, એની મુર્તી, ગીઝનીના મહેલનાં પગથીયાં બને છે.  ધર્મ ધુરન્ધર, પવીત્ર પંડીતો ગીઝનીની શેરીઓમાં ગુલામ થઈને વેચાય છે કે તૈમુરલંગ–નાદીર શાહ જેવાના હસ્તે કપાઈ મરે. મોટી માછલી નાનીને ગળી જાય છે. પ્રકૃતી રક્તરંજીતા છે. કોઈ એને બદલી શકવાનું નથી, તો રોચક કલ્પનાઓ શા કામની ? સત્યને સ્વીકારવું તો પડશે જ.

બે જુગારીઓ જુગાર રમતા હતા. એક કહે : “હું જીતું છું, મારી પાસે ત્રણ એક્કા છે.” બીજો કહે : “ના, હું જીતું છું, મારી પાસે બે નવ્વા છે અને એક પીસ્તોલ પણ છે.” તાકાતવાન રાષ્ટ્રો એ કરે છે, જે કરવાની એમનામાં તાકાત હોય છે. નબળાં રાષ્ટ્રો એ સ્વીકારે છે, જે એમણે સ્વીકારી લેવું પડે છે. આતંકવાદીઓ તો એ જ છે, પણ શક્તીશાળી અમેરીકા એમને શીક્ષા કરે છે, નબળું ભારત એમને સ્વીકારી લે છે. આ વાસ્તવીક જીવન છે. વીજેતાઓ જ ઈતીહાસ રચે છે અને લખે પણ છે.

જીવનમાં ધર્મ જરુરી હોય તો પણ; પર્યાપ્ત નથી. નીતીનો અભાવ ટીકાપાત્ર છે; પણ નીતીની હાજરી જ માત્ર પુરતી નથી. અસ્તીત્વને ટકાવી રાખવા, બીજા દેશો સામે સરસાઈ મેળવવા, પ્રગતી કરવા, ધર્મ કે નીતી સીવાય બીજું ઘણું જરુરી હોય છે. આપણે હમ્મેશાં માની લીધું છે કે એટલું જ પુરતું છે. એમ પણ માની લીધું કે એ એક જ જોઈએ; બીજું કશું જ નહીં. આ છે આપણી એકપક્ષી આદર્શઘેલછાનાં, નરી નીષ્ફળતાઓનાં અને રાજકીય નીર્બળતાઓનાં મુળીયાં..

 –સુબોધ શાહ

શ્રી. સુબોધ શાહનું અંગ્રેજીમાં લખાયેલું ‘Culture Can Kill’ પુસ્તકના એક પ્રકરણ ઉપરથી, ઉપરોક્ત લેખ, કચ્છી જૈન સમાજ, અમદાવાદના મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2014ના મે માસના અંકમાં પ્રકાશીત થયો હતો. આ લેખ, લેખકશ્રી અને રજુઆતકર્તાશ્રીની પરવાનગીથી સાભાર…

લેખકસમ્પર્ક :

Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ – 08831. USA

Ph : 1-732-392-6689   eMail : ssubodh@yahoo.com

પુસ્તક માટે સમ્પર્ક : www.AuthorHouse.com  (Publisher)   or

http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586

રજુઆતકર્તા : શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન : 972 679 9009 ઈ–મેલ : mggada@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 25/09/2015

15 Comments

  1. Shankaracharye j Vivekne chudamani kahyochhe..e visrai j gayu…ne pariname desh vyavharikata chuki gartama dhakelai gayo.

    Like

  2. An excellent component of an equally excellent series.

    पुत्रात् शिष्यात् वाञ्छेत् पराजय: પુત્ર અને શિષ્યથી પરાજયની અપેક્ષા રાખવી જોઈએ એમ કહીને પણ “શીષ્યોના પ્રશ્નોથી જેમનું સ્વમાન ઘવાતું હોય એવા ગુરુઓ શીષ્યોને આજ્ઞાંકીત થવાનો ઉપદેશ” આપતા હતા.

    “લોકોમાં રુઢ થયેલી આપણી માન્યતા કે ‘ધર્મ જ હમ્મેશાં જીતે છે’, તે આપણા અનુભવ ઉપર થયેલી આશાની જીત છે; અનુભવ તો સાવ જુદો જ છે.” Great statement!

    Like

  3. બહુ મજાનો લેખ.
    પૈસો, ગુરુમહીમા, સદગુણ વીશયક માન્યતાઓ અને એવું તો બીજું ઘણું ઘણું………….આ દેશને એવી જગ્યાએ લઈ ગયા છે કે પાછાં ફરવું કઠીન થઈ પડ્યું છે. લાખ્ખોની સંખ્યામાં શ્રોતાઓને ભેગાં કરીને જે પીવડાવવામાં આવે છે તેનો ફાયદો તો ઘેર ગયો, પણ એ લોકોનેય એ પીણું અપચો કરનાર બની રહે છે. આયુર્વેદમાં કહ્યું છે, “આમં હિ સર્વ રોગાણાંમુલમ્ !” ને એનો ઉપાય “લંઘનં પરં ઔષધમ્” કહ્યો છે…….(કાચો આમ એ બધા રોગોનું કારણ અને લંઘન તે ઉપાય છે.)

    મને લાગે છે કે કાચી સમજણોએ આ દેશને “ધાર્મીક કબજીયાત” કરી આપી છે ! લંઘન એટલે કે કથાકારો વગેરે અપચો કરનારાં તત્ત્વોને પચીસ–પચાસ વરસ સુધી દુર કરીને સાચી ક્ષુધા જગાડવાની જરુર છે…..પણ રાજકારણીઓને તો આ અજ્ઞાનમાં રહેનારાંઓ જ દુઝણી ગાય છે…..નીરક્ષરતાને ન મટવા દેવી; ફીલ્મો–ટીવીના નશામાં સૌને મશગુલ કરી દેવાં (ને હવે ફ્રી વાઇફાઇની લહાણ !!) વગેરે બાબતો રાષ્ટ્રીય કબજીયાત તરફ લઈ જનારી છે…..

    થાય છે કે, ઋષીઓએ લખેલું મોટા ભાગનું પાછળથી ઉમેરાઈ ઉમેરાઈને દુષીત થઈ ગયું હશે. નહીંતર સાવ આમ ન હોય ! ગીતાના બહુ બધા શ્લોકો પાછળથી જ ઉમેરાયા છે. સંશયનો આવો અર્થ નહીંતર ગીતામાં હોય શી રીતે ? કહેવાતા જ્ઞાનીઓએ આજીવીકા માટે થઈને કેટકેટલું ઉમેરી દીધું છે !!

    એક એવો યુગ/સમયગાળો ઉભો થાય, જેમાં આ મહાઅપચાના ઉકેલ માટે નીરાહારરુપ કોઈ અસરકારક પરેજી/ઔષધી આપણને સાંપડે !

    Like

    1. ઋષીઓએ લખેલું મોટા ભાગનું પાછળથી ઉમેરાઈ ઉમેરાઈને દુષીત થઈ ગયું હશે. નહીંતર સાવ આમ ન હોય ! ગીતાના બહુ બધા શ્લોકો પાછળથી જ ઉમેરાયા છે. સંશયનો આવો અર્થ નહીંતર ગીતામાં હોય શી રીતે ? કહેવાતા જ્ઞાનીઓએ આજીવીકા માટે થઈને કેટકેટલું ઉમેરી દીધું છે !! You are quite right. A lot of things have been added to our religious literature. That is a proven fact.
      Thanks. —Subodh Shah

      Like

  4. સુબોઘભાઇ,
    સુંદર. સુંદર સમજ આપતો લેખ. બે લિટીઓની વચ્ચે વાંચનાર જરુરથી કાંઇક મેળવશે. વારંવાર વાંચતાં અને ત્રણે ભાગો ઉપર વિચારતાં જણાયું કે તે ત્રણે અેક બીજાના પુરકો છે. અેક બીજા સાથે કોઇક મુદ્દે જોડાયેલાં છે.
    ગરીબીનો મહીમા….ગુરુપરંપરા અને સદગુણનો અતિરેક અને શક્તિની અવહેલના…

    આપણે જાણીઅે છીઅે કે, ” Culture is not static for any group of people.” We are different today than what we were 500 years ago…..or 100 years ago.”

    Voltaire said,” The comfort of the rich depends upon an abundant supply of the poor.”
    Aristotle said,” Poverty is the parent of revolution and crime.”
    સદગુણ માટે બે સરસ કાવ્યપંક્તિઓ છે…….
    ‘ દુનિયા જરુર પૂજતે અમને ઝુકી ઝુકી, અફસોસ કે ખરાબ થતાં આવડયુ નહીં.‘
    અને….
    ‘આવારગી છોડ દી હમને તો લોગ ભૂલને લગે હૈ,
    વરના શોહરત કદમ ચુમતીથી, જબ હમ બદનામ હુઅા કરતે થે.‘
    કબિરજી કહી ગયેલા કે,
    ‘પત્થર પૂજે પ્રભુ મીલે, તો મેં પૂજું પહાડ,
    તા તે ચક્કી ભલી, પિસ ખાય સંસાર.‘

    ‘ We were all human, untill race disconnected us, religion separated us, politics divided us, and wealth classified us.’

    Socrates said,” The secret of change is to focus all your energy, not on fighting the old, but on building the new.”

    અર્જુનને જીવનની ફીલોસોફી છોડીને લડાઇ કરવાં કૃષ્ણ જ શીખામણ આપે છે…..ગીતામાં….સદગુણોને ત્યાગીને યુદ્ઘ કરવા અર્જુનને કૃષ્ણ જ સમજાવે છે….અઘર્મ અને ઘર્મ વચ્ચેનો તફાવટ પણ ત્યાં સમજાવે છે…….
    ઘણું કહી શકાય……
    અમૃત હઝારી.

    Like

  5. Dear Subodhbhai,
    Thanks.
    During reading when i come across such quotations, i write down in a notebook. I have collected many such quotations.
    Thanks,
    Amrut Hazari.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s