પુનર્જન્મ અને અધ્યાત્મનો અતીરેક

‘અભીવ્યક્તી’ બ્લોગના ચાહકો–વાચકોને એક વીનંતી

છેલ્લાં આઠ વર્ષથી ‘અભીવ્યક્તી’ બ્લોગ પર નવી પોસ્ટ મુકાયાની જાણ દર સપ્તાહે મેઈલ દ્વારા આપ સર્વ 4000 મીત્રોને અંગત મેલ લખી કરું છું. હવે એ કામ મારે માટે મુશ્કેલ બનતું જતું જણાય છે. મોકલાયેલી મેલમાંથી અડધોઅડધ બાઉન્સ થાય–પરત આવે. કશીક ગરબડ ચાલે છે. મારી જેમ જ ઘણાનો આ અનુભવ છે. બનવા જોગ છે કે, દર શુક્રવારે અચુક નવી પોસ્ટ મુકાય જ છે છતાં પણ; હવેથી હું મેલથી તમને આ વીશેની જાણ ન કરી શકું.

હા, એનો એક ઉપાય છે.

આપને ‘અભીવ્યક્તી’ બ્લોગના લેખ વાંચવા ગમતાં હોય તો, બ્લોગની જમણી બાજુએ ‘સભ્ય પદ’ વીભાગમાં Join 1,294 other followersની નીચે આપેલા ‘નોંધણી કરો’ બટનની ઉપર ખાલી જગ્યામાં (Enter your email address)માં આપની ઈ.મેઈલ આઈડી લખી ‘નોંધણી કરો’વાળા બટન પર ક્લીક કરી દો. ત્યાર બાદ મારા બ્લોગની વેબસાઈટ ‘વર્ડપ્રેસ.કોમ’ તરફથી આપને કન્ફર્મેશન માટે એક મેલ મળશે. આપ કન્ફર્મેશન આપશો તો મારા બ્લોગના વાચકમીત્ર તરીકે આપ કાયમના રજીસ્ટર્ડ થઈ જશો.

ત્યાર પછીના દર શુક્રવારે ‘અભીવ્યક્તી’ પર નવી પોસ્ટ મુકાયાની જાણ વેબસાઈટ તરફથી જ મેઈલ દ્વારા આપને આપોઆપ કરવામાં આવશે. આ અગાઉ 1,294 વાચકમીત્રોએ રજીસ્ટ્રેશ કરાવ્યું છે. તેમને મારે મેલ મોકલવી પડતી નથી. 

આ એક જ સરળ માર્ગ અપનાવીને મારા બ્લોગના ‘સભ્ય પદ’ વીભાગમાં નોંધણી કરવા બાકી રહેલા સર્વ વાચકમીત્રોને વીનન્તી છે.

ધન્યવાદ..

..ગોવીન્દ મારુ..

લો, હવે વાંચો આજની પોસ્ટ શ્રી. સુબોધ શાહ નો લેખ ‘પુનર્જન્મ અને અધ્યાત્મનો અતીરેક’ લેખ માણી, મમળાવી, નીચે કૉમેન્ટ મુકવાનું ચુકશો નહીં. આભાર….

10

પ્રગતીની અવરોધક માન્યતાઓ – 2

પુનર્જન્મ અને અધ્યાત્મનો અતીરેક

લેખક : સુબોધ શાહ

(ગત લેખાંક : 9 https://govindmaru.com/2015/09/25/culture-can-kill-9/  ના અનુસન્ધાનમાં.. )

પુનર્જન્મની માન્યતામાં પશ્ચીમના ધર્મો કરતાં ભારતના હીન્દુ, જૈન, બૌદ્ધ ધર્મ જુદા તરી આવે છે. કર્મફળનો સીદ્ધાન્ત એ જ સીક્કાની બીજી બાજુ છે, જે પુનર્જન્મની સાથેસાથે જાય છે. જીન્દગી જ્યારે દુઃખથી ભરેલી હોય ત્યારે આ સીદ્ધાન્ત સાન્ત્વન, શાતા, આશા આપે છે. સારું વર્તન કરવા માટે એ હેતુ પુરો પાડે છે. કારણ એ જ કે સારાં કામનું ફળ સારું મળે અને ખોટાં કામનું ફળ ખોટું મળે. આ જન્મે નહીં; તો આવતા જન્મે એમ મનાય છે. આ એનું હકારાત્મક અને પ્રેરણાદાયક પાસું છે. હવે એની બીજી બાજુઓ તરફ નજર કરીએ, જેનાથી સમાજને અત્યન્ત ગંભીર હાની પહોંચી છે :

કર્મફળ ને પુનર્જન્મમાં શ્રદ્ધા સર્વમાન્ય બની એટલે દેવદર્શન, ક્રીયાકાંડ, તપ, વગેરેને તો ઉત્તેજન મળ્યું જ; પણ સાથેસાથે પ્રબળ પ્રારબ્ધવાદ અને નીષ્ક્રીય નસીબવાદે સમાજમાં ઘર ઘાલ્યું. આપણે નકારાત્મક ને નીરાશાવાદી બન્યા અને નીષ્ફળતાને સ્વાભાવીક માની સ્વીકારતા થઈ ગયા. જેમ સ્પર્ધા, પુરુષાર્થ, મહત્ત્વાકાંક્ષા, ધ્યેયપ્રાપ્તી, વગેરેનું મહત્ત્વ ઘટતું ગયું, તેમ સમાજની પ્રગતી રુંધાતી ગઈ. અધ્યાત્મનું નીરન્તર ચીન્તન, મનન, રટણ કરવાથી આ લોકની વાસ્તવીકતાઓ બાજુ પર રાખી, પરલોકની રંગદર્શી કલ્પનાઓ તરફ સમાજની દીલચશ્પી વધી ગઈ. સમાજનાં ધન અને બુદ્ધીધન બન્ને બીજી દીશામાં વળી ગયાં. આકાશમાં મીટ માંડીને રસ્તે ચાલતો માણસ ઠોકર ખાય એ સ્વાભાવીક વાત છે. આત્માની દરકારમાં દેહ દુબળો પડે, એ પણ એટલું જ સ્વાભાવીક છે. જીવનસફરમાં જે સમાજનું ધ્યેય અસ્પષ્ટ હોય, ધ્યાન બે તરફ હોય, લક્ષ્ય આકાશ હોય, તે સમાજ ક્યાંક અટવાઈ જાય, અથડાઈ જાય, કે કુટાઈ જાય, એમાં આશ્ચર્ય શું ?

પુનર્જન્મની માન્યતાનું બીજું સીધું પરીણામ એ આવ્યું કે આપણે ત્યાં અધ્યાત્મનો અતીરેક થયો. એ માન્યતા સાચી હોય કે ખોટી હોય તો પણ; અધ્યાત્મની એકસરખી આરાધનાથી, કહો કે વળગાડથી, એવો સમાજ નીર્માણ થયો કે જેને ભાષા ને તત્ત્વજ્ઞાનના વીષયમાં કદાચ ફાયદો થયો હોય; તો પણ ભૌતીક ને સ્વરક્ષણ ક્ષેત્રે એ નીર્માલ્ય બન્યો. પ્રત્યક્ષ જીવન સાથે કોઈ સમ્બન્ધ ન હોય એવી દુનીયાની શોધમાં સમાજમાં કરોડો લોકો નીકળી પડ્યા. એમની પરલોકની શોધ કદી પુરી થતી નથી, તેમ જ આ લોકના પ્રશ્નોના ઉકેલની શોધ કદી શરુ થતી નથી. એમની અમુલ્ય જીન્દગી જ્યારે ભાવી સ્વર્ગની લાલચે તેઓ હોડમાં મુકે છે, ત્યારે તેઓ આભાસી સત્ય પામે છે. જીન્દગી સત્ય છે; જ્યારે સ્વર્ગ આભાસી છે.

અધ્યાત્મનું આક્રમણ ખાળવું આપણા દેશમાં અશક્ય છે. એ અતીશય નફાકારક ઉદ્યોગ બન્યો છે. કરોડો લોકો વ્યાખ્યાનો, શીબીરો, સેમીનારોમાં ઉભરાય છે. મન્દીરમાં, આશ્રમમાં, ખુલ્લાં મેદાનોમાં, અને હવે વીમાનમાં, એનાં માઈકોનો અવાજ કાનના પરદા ચીરે છે અને સામાન્ય બુદ્ધીને હણે છે. ‘દુનીયા દુઃખથી ભરેલી છે, દુનીયા ભ્રમ છે, બ્રહ્મ એ જ સત્ય છે, મોક્ષ એ જ ઉપાય છે’, એમ સર્વ સન્તો, શાસ્ત્રો, સુજ્ઞ પુરુષો કહે છે. સન્તો આપણને આકર્ષક વાણીમાં દુન્યવી જીવનની નીરર્થકતા અને અમર આત્માની તેજસ્વીતા, અદ્‌ભુત વીગતે સમજાવે છે ! એમણે શોધી કાઢ્યું છે કે આત્મા એ પ્રકાશ છે, શક્તીનો સ્રોત છે, અનાદી, અનન્ત, અમર્ત્ય, અજ્ઞેય છે. એ દરેક જીવન, જીવાણુ, બધામાં વાસ કરે છે. એના વીશેનું જ્ઞાન એ એક જ જ્ઞાન પામવા યોગ્ય છે, બીજું બધું વ્યર્થ છે.

અજ્ઞાનીઓ ઉપર દયા કરીને આ બધું જ્ઞાન આપવા બેઠેલા સાધુઓ, સન્તો, સ્વામીઓ, મહાત્માઓ, ગુરુ, બાપુ, દાદા, એ બધાની ગણતરી રાખવી એ ભારતમાં દુષ્કર કાર્ય છે. એમને અપાતાં સુન્દર વીશેષણો – શ્રી. શ્રી., સદ્‌ગુરુ, સર્વજ્ઞ, આત્મજ્ઞ, જગદ્‌ગુરુ, 108, 1008, ભગવાન, ભગવન્ત – એ કોઈવાર આપણા ભાષા જ્ઞાનની કસોટી કરે એવાં હોય છે. દર વર્ષે વીશ્વશાન્તી પ્રચારાર્થે સંખ્યાબન્ધ આત્મજ્ઞ કે સર્વજ્ઞ ગુરુઓની પધરામણી અમેરીકામાં થાય છે; કશ્મીર કે પેલેસ્ટાઈન જેવા પ્રદેશોમાં કદી નથી થતી. અને તે પણ હુંફાળા ઉનાળામાં જ થાય છે, ઠારી નાંખતા શીયાળામાં નહીં. આવું કેમ? ભગવાં વસ્ત્રધારી કોઈ પણ સ્વામી આજકાલ અમેરીકાની યાત્રા કરીને શીષ્યગણ સમ્પાદન ન કરે તો ભારતમાં એમની કીંમત ઓછી ગણાય છે.

એક વ્યાપારી કમ્પની જ્યારે સમય, શક્તી, નાણાં, બુદ્ધીધન, વગેરે અમુક ક્ષેત્રમાં રોકે છે, ત્યારે એ નવું કંઈક શોધી શકે છે, અને વધુ કમાય છે. 1960 પછીના દાયકામાં અમેરીકાએ અવકાશસંશોધન ક્ષેત્રે મોટું મુડીરોકાણ કર્યું અને એ ચન્દ્ર પર પહોંચ્યું. જેમાં રોકાણ કરો એમાં પ્રગતી થાય. એક સમાજ જ્યારે પરલોક માટે પુણ્ય કમાવવામાં રોકાણ કરે, ત્યારે એ કદાચ પરલોક સારો પ્રાપ્ત કરે પણ ખરો; પણ આ લોકમાં તો જરુર પાછળ રહેવાનો. આ જન્મમાં પ્રગતી કરવી હોય તો આ જન્મ ઉપર લક્ષ્ય કેન્દ્રીત કરવું પડે; મૃત્યુ પછીના જન્મ ઉપર નહીં. ઉદ્યમ અને ઉદ્દેશ સંલગ્ન થાય તો જ સફળતા જન્મે. પરન્તુ ભારતીય સમાજે હજારો વર્ષો સુધી પથ્થર પાછળ પૈસા ખર્ચ્યા છે. આજે પણ જ્યારે સ્કુલો ને હૉસ્પીટલો ગરીબીમાં સબડે છે, ત્યારે સાંઈબાબાને સોનાનો મુગટ ચડવાય છે. મન્દીરોનાં ટ્રસ્ટો મીલકત માટે બાખડે છે. ગુરુઓને રુપીયાની ખોટ નથી.

જીવનના ભીષણ સંગ્રામમાં ભારતીય સમાજને શત્રુઓની જરુર ના પડી; એની પાસે તો એના ગુરુઓ જ બસ હતા. આટઆટલા બુદ્ધીશાળી ભારતીઓનું બૌદ્ધીક ક્ષેત્રોમાં આટલું ઓછું પ્રદાન શા માટે છે ? તેઓ બે વખત લુંટાય છે. ગરીબી જે યુવાનીને ચોરી જાય છે અને અધ્યાત્મ જે ઘડપણને લુંટે છે. યુવાનીમાં કમાવું પડે, ઘડપણમાં દર્શન, યાત્રા, પુજા, વ્યાખ્યાન, ભજન કરવાનાં. બૌદ્ધીક બાબતોમાં પડવાનો એમની પાસે સમય જ ક્યાં છે ? એકંદરે ખોટ જાય છે સમાજને. બુદ્ધીપ્રતીભાનો ઉપયોગ આધ્યાત્મીક પીષ્ટપેષણમાં થાય છે, સમાજને આગળ લઈ જવામાં નહીં. જ્યારે આપણું અર્ધું બુદ્ધીધન અધ્યાત્મમાં વેડફાઈ જાય અને બાકીનું અર્ધું ક્ષુદ્ર કૌટુમ્બીક પળોજણોમાં પરોવાઈ જાય, ત્યારે દેશની પ્રગતી માટે શું બચે ?

મહર્ષી અરવીન્દ જેવી અનેક પ્રખર બુદ્ધીમાન હસ્તીઓને ધર્મ અને અધ્યાત્મએ આપણી પાસેથી આંચકી લીધા છે. એમની નીઃશંક તેજસ્વીતાનો લાભ પોંડીચેરીને કે પરલોકને ભલે મળ્યો હોય; દેશને ના મળ્યો. દેશના સારા નસીબે, સુભાષચન્દ્ર બોઝ હીમાલયથી જરીકમાં પાછા આવ્યા અને પછી તો કેટલા અદ્‌ભુત નેતા બન્યા ! અરવીન્દ પણ એવા થઈ શક્યા હોત; પણ પલાંઠી વાળીને બેસી ગયા ! ગુજરાતી ભાષાના સમર્થ કવીઓ સુન્દરમ્ અને પુજાલાલ બન્ને પોંડીચેરી સીધાવ્યા અને એમનામાંથી કવીતા ઉડી ગઈ. આપણે ઉદાર દીલથી દેશની બુદ્ધીશક્તીનો દુર્વ્યય કરીએ છીએ, જ્યારે એની ટંચઈ(shortage)ની ચીન્તા રોજેરોજ કરતા હોઈએ છીએ

આપણે પરલોક ઉપર બધું લક્ષ કેન્દ્રીત કર્યું એનું પરીણામ શું આવ્યું ? આ દુનીયા આપણને ના ગમી એટલે આપણે તે ગુમાવી, બીજાઓએ તે જીતી લીધી. આપણે સ્પર્ધામાં ઉતરવાની જ ના પાડી દીધી ! પછી એને જીતવાની તો વાત જ ક્યાં ? તો પછી, આપણા પછાતપણા માટે પસ્તાવો કરવાનું કારણ ના જ હોય. આ લોક ગુમાવવા ઉપરાન્ત પરલોક જીતવાની મહેનત કરવી તો આપણે માટે બાકી રહી જ. દુનીયા આખી અધ્યાત્મના આપણા ભવ્ય વળગાડથી ચકીત થાય છે. આપણા અધ્યાત્મની નીતી છે, આજે ઉધાર; કાલે રોકડા. આપણે આપણી જાતને પુછવાની જરુર છે : મોક્ષ મેળવવો એ જ શું આપણું સૌથી મોટું ધ્યેય છે, એકમેવ આવશ્યકતા છે ?’

‘આત્મા સર્વશ્રેષ્ઠ અને દેહ ક્ષુદ્ર’ એ માન્યતાનાં દુષ્પરીણામો ભારત માટે ભયંકર આવ્યાં છે : શરુથી જ ભુખે મરતા લોકોને ઉપવાસ અને અપોષણનો ઉપદેશ; અનારોગ્ય અને શરીરની ઉપેક્ષા; રોગોની ભરમાર. આપણા સાધુસન્તો લાખો લોકોને પોતાનાં પાપ ધોવાનું શીખવે છે. એને બદલે રોજ સાબુથી નહાવાનું અને જમતાં પહેલા હાથ ધોવાનું શીખવે તો ચેપી રોગો ઓછા પ્રસરે. પોતાના આત્માના કલ્યાણ માટે ઉપવાસ કરવા કરતાં ગરીબોની સહાનુભુતીમાં ઉપવાસ કરવા વધારે સારા. આજુબાજુ લોકો ભુખે મરતા હોય ત્યારે પોતાના જ આત્માના મોક્ષનું ધ્યાન ધરવું એ મોટું પાપ છે; કારણ બધા ધર્મો પરમાર્થનો પુરસ્કાર કરે છે; સ્વાર્થનો નહીં. આપણું સ્વકેન્દ્રીત વર્તન સ્વવીનાશક બનીને આજે જાહેરમાં સર્વ સ્થાને દેખાય છે.

સામાજીક, આર્થીક અને રાજકીય ક્ષેત્રોમાં આપણી ભયાનક નીષ્ફળતાઓનું એક મહત્ત્વનું કારણ તે આધ્યાત્મીક ક્ષેત્રમાં આપણે મેળવેલી અનેરી સફળતા છે. આપણે યુદ્ધો પાણીપતના મેદાનપર નહીં; બલકે ગંગાના પવીત્ર ઘાટ ઉપર હાર્યા છીએ. પંડીતોના પવીત્ર મન્ત્રોચ્ચારોથી ઉભરેલા આધ્યાત્મીકતાના મહાપુરમાં આપણી યુદ્ધક્ષમતા તણાઈ ગઈ હતી. આપણા પોતાના અન્તીમ લક્ષ્યના જ આપણે ભક્ષ્ય બન્યા. ભુલી જ ગયા કે આત્માની મુક્તીના જેટલી જ દેશની, સમાજની મુક્તી આવશ્યક ને ઈચ્છનીય છે. આપણે તો જીવનમાં સામે દેખાતા દુશ્મનોને છોડીને, કાલ્પનીક દુશ્મનો સામે ઝુકાવ્યું ! દૈનીક જીવન જો અસ્તીત્વ ટકાવી રાખવાનો એક સંગ્રામ હોય, સ્પર્ધા હોય; તો આત્માનું નીત્ય ચીન્તન, મનન, શ્રવણ, એ કોઈ માર્ગ નથી. કયો ઉપવાસ દેહને પુષ્ટ કરશે? કયા મન્દીરનો ઘંટનાદ મારા મરતાં બાળકને જીવાડશે? કયું ભજન ભુખ્યાને ભોજન પુરું પાડશે ? ‘આત્મા પ્રકાશી પુંજ છે’ એવું રટણ રોજેરોજ કરવાથી જીવનનાં અન્ધારાં હટશે નહીં; એ તો પુરુષાર્થથી જ હટશે.

આજે, ‘અધ્યાત્મ–દ્વારા’ મુક્તી નહીં; પણ ‘અધ્યાત્મ–માંથી’ મુક્તીની જરુર છે. અધ્યાત્મના અતીરેકમાંથી છુટવાની જરુર છે. બ્રહ્મ સત્ય હોય અને જીવન સ્વપ્ન હોય તો ભલે હોય. એ સ્વપ્ન જો 70–80 વરસ સુધી ચાલવાનું હોય, તો એને સુખી જોવાનું કેમ ના ઈચ્છવું ?

 –સુબોધ શાહ

શ્રી.સુબોધ શાહનું અંગ્રેજીમાં લખાયેલું ‘Culture Can Kill’ પુસ્તકના એક પ્રકરણ ઉપરથી, ઉપરોક્ત લેખ, કચ્છી જૈન સમાજ, અમદાવાદના મુખપત્ર મંગલ મન્દીર’ માસીકના 2014ના જુન માસના અંકમાં પ્રકાશીત થયો હતો. આ લેખ, લેખકશ્રી અને ‘મંગલ મન્દીર’ની પરવાનગીથી સાભાર…

લેખકસમ્પર્ક :

Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ – 08831. USA

Ph : 1-732-392-6689   eMail : ssubodh@yahoo.com

પુસ્તક માટે સમ્પર્ક : www.AuthorHouse.com (Publisher)   or

http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…  ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 30/10/2015

41 Comments

  1. ‘અધ્યાત્મ–માંથી’ મુક્તીની જરુર છે. વાહ, બહુ સરસ આર્ટીકલ છે. આભાર.

    Liked by 1 person

  2. It is 100% true. There is no alternative for hard work. Chinese leader Mao said this. China has become a world leader by working hard.

    It is a very good article for reading and thinking too.

    Thanks so much to Subodhbhai.

    Pradeep H. Desai

    USA

    Liked by 1 person

  3. Respected Sir,
    This write-up is very good as writers view is concerned and I think that he has written at the age of career stability. What he has written about re-birth is undoubtedly true but each age is having particular kind of pros and cons. Spirituality is some what about which no one can provide assurity as it has destroy our culture or not because this assumption is similar to that of providing description of a person sitting on SATURN. In my view Indian youth needs Authentic guidance about spiritual path,about how to discover it and most importantly hypothetical analysis about spirituality is there or not. Recently we have observed international yoga day and whole world has celebrated it with full of joy but what I have analyzed is that as per written materials yoga has it’s root originated in India but what we got on 21 June that all about benefits of yoga. No one taught us why yoga? Science of yoga? India needs conceptual and reason oriented projects to yield particular kind of results.

    Like

  4. Respected Sir,
    This write-up is very good as writers view is concerned and I think that he has written at the age of career stability. What he has written about re-birth is undoubtedly true but each age is having particular kind of pros and cons. Spirituality is some what about which no one can provide assurity as it has destroy our culture or not because this assumption is similar to that of providing description of a person sitting on SATURN. In my view Indian youth needs Authentic guidance about spiritual path,about how to discover it and most importantly hypothetical analysis about spirituality is there or not. Recently we have observed international yoga day and whole world has celebrated it with full of joy but what I have analyzed is that as per written materials yoga has it’s root originated in India but what we got on 21 June that all about benefits of yoga. No one taught us why yoga? Science of yoga? India needs conceptual and reason oriented projects to yield particular kind of results.

    Liked by 1 person

    1. To Aumchhaya:
      I like your comparison of spirituality with a “description of a person sitting on Saturn.” Also, I agree with you when you say that “India needs conceptual and reason oriented projects”. Good idea.
      The big problem is that we do learn a little bit of superficial science; but we have not yet developed a real scientific mindset. Why? Because we teach fantastic stories to our children right from birth. So they are trained in Non-Reason. They never develop Reason. In fact, they cannot even understand the difference between Reason / Rationality on one hand and Magic / Miracle on the other hand. Thanks for sharing your ideas.
      —-Subodh Shah —NJ, USA.

      Liked by 2 people

      1. True…that’s why I have written that whatever happens it happens for a particular reason that must be a basement of our practical learning… I am totally agree with you..

        Liked by 1 person

  5. અધ્યાત્મનું આક્રમણ ખાળવું આપણા દેશમાં અશક્ય છે. એ અતીશય નફાકારક ઉદ્યોગ બન્યો છે.Kadvu satya chhe aa….Chhatany Rationalists na nana tamtamta diva thoda to thoda nav vicharako ne rah chindhe chhe,e beshak bahu motu karya chhe.aadhyatmna jala saf karva,Aa jyot prjvalit rahevi joie.

    Liked by 1 person

  6. “આજે, ‘અધ્યાત્મ–દ્વારા’ મુક્તી નહીં; પણ ‘અધ્યાત્મ–માંથી’ મુક્તીની જરુર છે. અધ્યાત્મના અતીરેકમાંથી છુટવાની જરુર છે.” બહુ સાચી વાત કહી.
    અને આ પણ એટલી જ સાચી પરિસ્થિતિ છે કે:
    “અધ્યાત્મનું આક્રમણ ખાળવું આપણા દેશમાં અશક્ય છે. એ અતીશય નફાકારક ઉદ્યોગ બન્યો છે.Kadvu satya chhe aa….Chhatany Rationalists na nana tamtamta diva thoda to thoda nav vicharako ne rah chindhe chhe,e beshak bahu motu karya chhe.aadhyatmna jala saf karva,Aa jyot prjvalit rahevi joie.”

    બહુ સરસ લેખ.

    Liked by 1 person

  7. ખુબ સરસ અને અત્યંત મહત્વની વાતો કહી છે. એકે એક શબ્દ સચોટ છે. નમુના રુપ થોડા: આપણે પરલોક ઉપર બધું લક્ષ કેન્દ્રીત કર્યું એનું પરીણામ શું આવ્યું ? આ દુનીયા આપણને ના ગમી એટલે આપણે તે ગુમાવી, બીજાઓએ તે જીતી લીધી. આપણે સ્પર્ધામાં ઉતરવાની જ ના પાડી દીધી ! પછી એને જીતવાની તો વાત જ ક્યાં ? તો પછી, આપણા પછાતપણા માટે પસ્તાવો કરવાનું કારણ ના જ હોય.
    આપણું સ્વકેન્દ્રીત વર્તન સ્વવીનાશક બનીને આજે જાહેરમાં સર્વ સ્થાને દેખાય છે.
    આજે, ‘અધ્યાત્મ–દ્વારા’ મુક્તી નહીં; પણ ‘અધ્યાત્મ–માંથી’ મુક્તીની જરુર છે. 

    Liked by 1 person

  8. Khub saras desh ne ane khas karine yuva varg ne aadhyatmikta mathi chhodavava ni jarur chhe shree dinesh panchal no lekh school ma ek vishay rationalism no farajyat hovo joiye darek shabdo sathe sampurna sahmat ane abhivyakti parivarna vanchakona abhipray pan gamya.

    Liked by 1 person

  9. Ours is Escapist philosophy. You can gather thosands of people to attend Satsang, Waez, Pravarchans, Yatras, etc. We take pride in such activities and feel that we have attained higher level. Ask the same people to clean the mess on the ground or road left by such activities and you would’nt see a single person there including the Guru or Maulana or Sant. You see the photographs of such gathering in papers claiming success but don’t see the mess and inconvenience it created for hundreds of thousands.

    Liked by 2 people

  10. “આજુબાજુ લોકો ભુખે મરતા હોય ત્યારે પોતાના જ આત્માના મોક્ષનું ધ્યાન ધરવું એ મોટું પાપ છે.”
    “આપણે યુદ્ધો પાણીપતના મેદાનપર નહીં; બલકે ગંગાના પવીત્ર ઘાટ ઉપર હાર્યા છીએ.”
    “આપણા પોતાના અન્તીમ લક્ષ્યના જ આપણે ભક્ષ્ય બન્યા.”
    “‘અધ્યાત્મ–દ્વારા’ મુક્તી નહીં; પણ ‘અધ્યાત્મ–માંથી’ મુક્તીની જરુર છે.”

    આવા તો અનેક વાક્યો આ લેખમાં છે કે જેમને શિલાલેખ પર કોતરીને ખૂણે ખૂણે મુકવા જેવા છે.

    Liked by 1 person

  11. સામાન્ય રીતે જન્મ થી મળેલો ધમઁ જો તમે ન પાળો તો તમારી ગણતરી વંઠી ગયેલ વ્યકિત ( નાસ્તિક ) તરીકેની કરવા માં આવે છે તે રીતે હું વંઠી ગયેલ (?) જણ છું. છેલ્લા લગભગ 5 વષઁ થી નિયમિત રીતે અભિવ્યક્તિ નું આચમન કરું છું જે મને મારી વિચારસરણી માં ટકી રહેવાનું બળ પૂરૂ પાડે છે.વધારા માં મારી સહધમઁચારિણિ તથા ડમઁટોલોજીસટ પુત્રી નો મારા વિચારોનું સમથઁન કરતો અભિગમ પણ મારા વિચારો ને મક્કમ મનોબળ પુરું પાઙે છે.સમય નો તકાજો છે કે આ પ્રકાર ના લેખ દરેક વિચારશીલ વયકતિ સુધી પહોંચે.
    1/11/15, સુરત

    Liked by 1 person

    1. “જન્મથી મળેલ ધર્મ” એટલે શું? કદાચ પુનર્જન્મનો વિચાર (concept) સાચો હોય તો મારો આત્મા અગાઉના કોઈ જન્મે મુસ્લિમ, ઈસાઈ, બૌધ્ધ, પારસી કે બીજો કોઈ ધર્મમાં જન્મેલો હોઈ શકે. તો પછી મારા આત્માનો ધર્મ કયો? મારે અત્યારના શરીરનો જ ધર્મ શા માટે પાળવો જોઈએ? ઇશાવાસ્ય ઉપનિષદ કહે છે “ન કર્મ લિપ્યતે નરે” અર્થાત કર્મ આત્માને ચોંટતુ નથી. તે જ પ્રમાણે “ન ધર્મ લિપ્યતે નરે” એટલે કે ધર્મ આત્માને ચોંટતો નથી એમ ના કહી શકાય?

      Liked by 1 person

  12. Very good idea, Rashmi Bhai. Here, you have pointed out one of the glaring inconsistencies in the belief of Re-birth. It is against common sense itself.

    There are several such inconsistencies in our popular ancient philosophies. So we keep accepting them without thinking, because these ideas are put in our brains ever since we were children and they are repeated daily later on.

    It will be a valuable contribution to the advance of our society if intellectuals like you will write (and other Blogs will publish) such things. Please keep pointing out the obvious lack of common sense in our routinely accepted ideas. — — Subodh Shah — NJ

    Liked by 1 person

  13. I fully agree with Hafiz Naviwala’s views and comments and observation about our people. We are 00000 without 1.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Liked by 1 person

  14. આખો લેખ મને ગમ્યો. કોઈ ખાસ અવતરણોનો ઉલ્લેખ કરવાની જરૂર જોતો નથી કારણ કે, અગાઉના મહાનુભાવોએ એ ક્વોટ કર્યા જ છે. આ લેખમાં વ્યક્ત કરેલા વિચારો બૃહદ સમાજ સુધી લઈ જવા આવશ્યક છે, માત્ર અભિપ્રાય લખી ને બેસી રહેવાથી અર્થ ન સરે. અધ્યાત્મના નામે એટલો તો કચરો આપણા ભાવિક લોકોના મગજમાં ઠાંસવામાં આવતો રહ્યો છે કે, અધ્યાત્મની કેટલીક ઉપયોગિતા ઉપર પણ સંશય થવા માંડે, એટલું જ નહીં ઘૃણા થવા માંડે. કહેવાતા ગુરુઓ પર ગુસ્સો આવે અને ભક્તજનોની દયા આવે.
    જે સાચા અધ્યાત્મપ્રેમી અને સાચા અર્થમાં જિજ્ઞાસુઓ છે તેમના સુધી આ વિચારો પહોંચવા જરૂરી છે. મારા અભિપ્રાય મુજબ રેશનાલિસ્ટો માટે આ કામ કપરું છે કારણ કે, તેમની નાસ્તિકતાની હઠને કારણે જે લોકો સુધી આ મનનીય વિચારો પહોંચાડવાના છે તેમની વચ્ચે એક અંતર ઊભું થઈ ગયેલું છે. તેઓ વાત કરવા જશે તો રિફ્લેકટ થશે એટલે ઈશ્વરવાદી લોકોમાં જે વિવેકી સજજનો છે તેમની એ પવિત્ર ફરજ બને છે કે તેમના મિત્ર વર્તુળમાં બની શકે તેટલા વધુ લોકો સમક્ષ આ વિચારો વહેંચે. મારે કોઈને ખાત્રી આપવાની જરૂર નથી કે હું કેટલા લોકો સુધી આ વિચાર પહોંચાડીશ, પણ સ્વાભાવિક રીતે શરૂઆત મારાથી જ કરવા જઈ રહ્યો છું.
    પરભુભાઈ એસ. મિસ્ત્રી
    નવસારી

    Liked by 1 person

    1. To Shri Parbhubhai Mistry:
      Thanks for a great idea. You are an original thinker. You said:
      “ઈશ્વરવાદી લોકોમાં જે વિવેકી સજજનો છે તેમની એ ફરજ છે કે તેમના મિત્ર વર્તુળમાં બની શકે તેટલા વધુ લોકો સમક્ષ આ વિચારો વહેંચે. Please do help our Hindu society. There are lakhs of good persons among us who continue to stick to harmful ancient ideas— simply because nobody presents to them other modern alternatives to consider. If they only start thinking, our society will become great one day. Thank you again. —Subodh Shah –NJ, USA.

      Liked by 1 person

    2. પ્લેસીબો એવી ગોળીઓ હોય છે જે રોગ મટાડતી પણ નથી કે વધારતી પણ નથી છતાં તેની માનસિક અસરથી કેટલાક દર્દીઓ રાહત અનુભવે છે. આનાથી કશું નુકશાન થતું નથી. ઈશ્વર તો આવો પ્લેસીબો છે. તેનાથી તેના ભક્તને કશી હાની ના પહોંચતી હોય તો તેની સામે કોઈને પણ વાંધો ના હોવો જોઈએ. દવાને નામે રોગીઓને કે ઈશ્વરને નામે ભક્તોને છેતરતા હોય તે બધાને ઉઘાડા પાડવા સામે પણ વાંધો ના હોવો જોઈએ.

      Liked by 2 people

  15. મને તો આપના રેશનલ વિચારો ખુબ ગમે છે. ઘણીવાર, લોકો આટલી લાંબી ઇ-મેઇલ ન વાંચતા હોય એમ સમજીને, હું મારી રીતે એને ટૂંકાવીને , આપના નામ અને કોન્ટેક્ટની વિગતો સહિત, ઇ-મેઇલ દ્વારા મારા મિત્રોને મોકલું છું. ઉત્તમભાઇને, વિનોદ પટેલને, ગોવિન્દભાઇને અને પ્રવિણકાંત શાસ્ત્રીજીને એની જાણ પણ કરૂં છું. આજે આવા જ સાહિત્યની જરૂર છે. પણ આપણો અંધશ્રધ્ધાળુ સમાજ ક્યાં જાગે છે ? આજે ય, પલ્લીમાં લાખ્ખો રૂ પિયાના ઘીની રેલમછેલ થાય જ છે ને ?

    નવીન બેન્કર ( હ્યુસ્ટન)

    Liked by 1 person

  16. ​માનનીય નવીનભાઈએ પલ્લી નો પ્રસંગ ટાંક્યો તેજ હું મારા પ્રતીભાવોમાં લખવાનો હતો , એક કોઈ ગરીબ બાઈ રસ્તા ઉપર ઢોળેલું ઘી, એક ડબલા દ્વારા ઉસેડી રહી હોય તેવો ફોટો જોયો અને ખુદ ઉપર ખફા થઇ ગયો કે આટ -આટલાં કહેવાતા ગુરુઓ ,બાપુઓ, મહંતો, સાધુ-મહાત્માઓમાંથી કોઈ એવું નથી કે જે જાહેર માં આવીને અનો વીરોધ કરે ? ​મારી યુવાનીનાં દીવસો માં સવારે સાડા ત્રણ વાગે ઉઠીને અમદાવાદથી ડાકોર પુનમ ભરવા જતો વારસો સુધી ગયો , સામાન્યતઃ અગીયારસે જતો પરંતુ એક વાર પુનમના દીવસે જવાનું થયું અનર ત્યાં જે ધર્માન્ધ ધક્કા મુક્કી જોઈ અને તેમાં અનેક નાના બાળકો અને બહેનોની શર્મનાક સ્તીથી જોઈ તે દીવસ અને આજની ઘડી….અફસોસ થાય છે. વ્યવસાયે ફોટોગ્રાફર હોવાથી અનેક બાપુઓ, મહંતોની લીલાઓ નજદીકથી નીહાળી છે અને એસાઇનમેન્ટ અડધેથી છોડી દીધા છે….આ મારો ઉકળાટ જાહેરમાં પ્રથમ વાર વ્યક્ત કર્યો છે. આપ સૌ આ બ્લોગ દ્વારા અંધશ્રદ્ધાળુઓની આંખ ઉઘડવાનું કઠીન કાર્ય કરી રહ્યા છો અભીનંદન..

    Liked by 1 person

  17. પૂજા પાઠનો પ્રતાપ જોયો તમે?? મંગલ યાન રોકેટ ઉડાડવામાં આવ્યું હતું તે પહેલાં તેની પૂજા કરવામાં આવી હતી. તેને કારણે જ તે પોતાના નિઘ્ચીત સ્થાને પહોંચ્યું. જો પૂજા ન થઈ હોત તો ફેલ જાત. મંગલ દેવ કી જય.

    Liked by 1 person

    1. Dear Harnishbhai,
      When you were in the hospital recently, I prayed three times a day (to Mataji so and so) for at least a week for your quick recovery. I also performed Pooja of your doctors, and took some Baadhaaa too. Before I could offer bribes by way of Yagna to the twin gods —Ashvini Kumar Brothers— you are home ! See the power of prayer?
      A request to you : Please don’t fall sick and give so much trouble again to me and to my gods too ! — Thanks. —Subodh —

      Like

  18. રેશનાલિસ્ટોને મારી એક નમ્ર વિનંતી છે કે ભાવિક ભક્તોને તમે એક પેશન્ટ તરીકે સમજો. એ પીડિત વ્યક્તિ છે અને એને સારવારની જરૂર છે; મહેણાં ટોણાંની નહિ. કશેકથી પણ સમજણ ન મળી હોત તો કદાચ, તમે પણ હજી આ જ વર્ગમાં ગણાતા હોત. એમની મજાક કે ઠેકડી ન ઉડાડો. એમ કરવું જરા પણ શોભાસ્પદ નથી. તમારી ભૂમિકા ડોક્ટરની છે. ઠપકો આપવાથી, મશ્કરી કરવાથી કે અકળામણ વ્યક્ત કરવાથી દર્દ આોછું થતું નથી. દરદી તમારા દવાખાનામાંથી ભાગી જશે. પેશન્ટ તમારી દવા સ્વીકારવા તૈયાર થાય તે માટે એ સમજી શકે એવી એની ભાષામાં વાત કરો. ઉપચારની સ્ટ્રેટેજી બદલો અને પેશન્ટ અમલમાં મૂકી શકે તે રીતે યોગ્ય અનુપાનમાં આપો. રેનાલિઝમના કોઈ ઈન્જેક્શનો નથી આવતા કે ગમે તેને આપી દો અને દવા તાત્કાલિક લોહીમાં ફરતી થઈ જાય. જૂના હઠીલા અથવા વારસાગત રોગો લાંબી સારવાર માંગે છે. આપણી પાસે એટલી ધીરજ નથી એટલે પરિણામ ન આવતાં ચીડ ઉભરી આવે છે. અંધશ્રદ્ધા અને કુરિવાજોનો ભોગ બનેલા કરોડો ભાઈબેનોની દુર્દશા દૂર કરવી હોય તો એમના બનીને એમની વચ્ચે જવું પડે. એમની જોડે સંબંધ ઊભો કરવો પડે, એમાં સાતત્ય જાળવવું પડે. આપણા નિસ્વાર્થ પ્રેમની લાગણી સમજાશે તો જરૂરથી તેઓ વાત માને. આપણે નાસ્તિકતાને કારણે એમની સાથે અંતર ઊભું કરી દીધેલું છે તેથી તેમના હિતની વાત પણ વાંચવા- સાંભળવા તૈયાર નથી. નાસ્તિકતાને મનમાં રાખો. અંતર ઓછું કરવું હોય તો કેટલીક બાબતો પર સંયમ રાખવો જરૂરી છે. સંબંધો ઊભા કરવા અને ટકાવવા એ ખાવાનો ખેલ નથી એ તો આપ સૌ સુપેરે સમજો જ છો. મારી આ વાત કડવી લાગવાનો સંભવ છે, સલાહ સાંભળવાનું કોઈને ગમતું નથી. હું તો મારો અનુભવ વહેંચું છું. વિવિધ વિચારસરણીવાળા લોકોના સમુદાયોમાં ગયો છું, તેમની ખૂબી અને ખામીઓથી પરિચિત થયો છું. શરુઆતમાં મૌન રહીને સહિષ્ણુતાથી તેમની દલીલો સાંભળી છે અને ક્યાંકથી પ્રવેશવાની બારી મળે તે શોધવાની પ્રતીક્ષા કર્યા બાદ તેમના લેવલ પ્રમાણે જીવનોપયોગી વાતો મૂકી છે. આટલું કર્યા પછી પણ પરિણામની ચિતા કરવા જઈએ તો નિરાશા ય સાંપડે! રિઝલ્ટની કોઈ ગેરંટી નહિ. ક્રાંતિનો આ માર્ગ અત્યંત વિકટ છે. તડ ને ફડ કશું પરિણામ આવતું નથી. ચાહે એટલા લેખો લખો, ભાષણો કરો, કથા પ્રવચનો ગોઠવો, સંખ્યાબંધ પુસ્તકો પ્રગટ કરો કે કાયદો બનાવો એનાથી કશું વળવાનું નથી. માણસ માને તો પ્રેમથી માને, બાકી કાયદા અને ઉપદેશને તો એ ગજવામાં ઘાલીને ફરે છે. આ મારું અવલોકન છે.

    Liked by 2 people

    1. Khub saras vichardhara rationalist aavaj hova joiye toj aapna vicharo loko apnavase ek udaharan takike RAMANA PATHAK aaju baju ma ke maholla ma katha hoi to tya javu prasad aarti levu sameni aamantran aapnar vyaktina man khatar nahike bhagvan ne khatar ane aapna gharma aapne katha karavvi ke nahi te aapna par aadhar rakhe eva vichar hata RAMANPATHAK na ane aava hova joiye rationalist. Rationalist jo zanooni hoi to pachhi dharmazanoon kone kahevu..
      Parbhubhai aap navsarima kya raho chho hu pan navsarimaj hato india aavvanu thase tyare malvu chhe vandho nahoi to sarnamu aapso.

      Liked by 1 person

      1. શ્રી પી.એમ.પટેલ સાહેબ,
        નોકરી ચાલુ હતી ત્યાં સુધી અમે સૂરત રહેતા હતા. નિવૃત્ત થયા પછી મકાન બાંધીને રામનગર સોસાયટી, ગ્રીડ રોડ, કબીલપોર,નવસારી મુકામે રહીએ છીએ. મારું મૂળ ગામ તો કુંભારફળિયા, સાતેમ પાસે આવેલું છે. નવસારીથી મેં ગ્રેજ્યુએશન પૂરું કરેલું. પ્રજાપતિ આશ્રમમાં રહેતો હતો. બની શકે કે આપણી વચ્ચે જૂના ઘણા બધા સંપર્કો નીકળી આવે.

        Liked by 1 person

    2. પરભુભાઈની કોમેંટ ગમી. One of the best so far.
      આપનું સરનામું મને મોકલી આપો તો મારી તાજેતરની બે પુસ્તિકાઓ તમને મોકલી આપું. તમને ગમશે.

      Liked by 1 person

  19. You have rightly written “રિઝલ્ટની કોઈ ગેરંટી નહિ.” This is because વાસ્તવિક જીવનમાં પ્રયત્ન અને પરિણામ વચ્ચે કોઈ એવું જડબેસલાક ગણિત કે ભાવપત્રક નથી હોતું કે જેથી કર્મ કરતાં પહેલા ફળનો અંદાજ બાંધી શકીએ.

    Also, I just posted the following comment above. I repeat it here for the readers’ convenience.

    પ્લેસીબો એવી ગોળીઓ હોય છે જે રોગ મટાડતી પણ નથી કે વધારતી પણ નથી છતાં તેની માનસિક અસરથી કેટલાક દર્દીઓ રાહત અનુભવે છે. આનાથી કશું નુકશાન થતું નથી. ઈશ્વર તો આવો પ્લેસીબો છે. તેનાથી તેના ભક્તને કશી હાની ના પહોંચતી હોય તો તેની સામે કોઈને પણ વાંધો ના હોવો જોઈએ. દવાને નામે રોગીઓને કે ઈશ્વરને નામે ભક્તોને છેતરતા હોય તે બધાને ઉઘાડા પાડવા સામે પણ વાંધો ના હોવો જોઈએ.

    Liked by 1 person

Leave a comment