છેલ્લાં ત્રીસ વર્ષમાં ધર્મનો રાજકીય પરીબળ તરીકેનો ઉદ્‌ભવ માનવજાતને ખતમ કરી શકે તેમ છે

છેલ્લાં ત્રીસ વર્ષમાં ધર્મનો

રાજકીય પરીબળ તરીકેનો

ઉદ્‌ભવ માનવજાતને ખતમ કરી શકે તેમ છે

– ધવલ મહેતા

રાજકારણમાં ધર્મસત્તા :

ધર્મ એક રાજકીય પરીબળ તરીકે જગતમાં છેલ્લાં ત્રીસ વર્ષથી ઉભરી રહ્યો છે. તે જગત માટે વીનાશક સાબીત થઈ શકે તેમ છે. અમેરીકા, ભારત અને મોટા ભાગના મુસ્લીમ દેશોમાં તેમ બની રહ્યું છે. દુનીયાના દરેક ધર્મની મર્યાદા એ છે કે તેના અનુયાયીઓ એમ માને છે કે તેમનો ધર્મ દુનીયાનો શ્રેષ્ઠ ધર્મ છે, તેઓ જે માન્યતાઓ ધરાવે છે તે જ આખરી સત્ય છે અને ઈશ્વર પર તેમનો એકલાનો અધીકાર છે. તેમના મતે જે ગીતામાં, વેદોમાં, બાઈબલમાં, કુરાનમાં કે અવેસ્તામાં કે ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં કે અન્ય ધર્મગ્રંથોમાં લખ્યું છે તે ભગવાનનો કે ભગવાનના પયગમ્બરનો સંદેશો છે. દરેક ધર્મ જયારે એમ માને કે સત્ય માત્ર તેની પાસે છે અને અન્ય ધર્મો પાસે સત્ય નથી કે અર્ધસત્ય છે; તેમાંથી સંઘર્ષ થાય જ. આમ અસહીષ્ણુતા દરેક ધર્મમાં અંતર્ગત (ઈન-બીલ્ટ) છે. વળી જુદા જુદા ધર્મના અનુયાયીઓ પાસે (કે તેમની સરકારો પાસે) જગતનો નાશ કરે તેવાં અણુ શસ્ત્રો આવી ગયાં છે; એટલે ધર્મની બાબત માનવજાત માટે ગંભીર બની ગઈ છે. ધર્મમાં શ્રદ્ધા રાખવી એ અનીવાર્ય છે અને આ શ્રદ્ધા માટે કોઈ સાબીતીની જરુર નથી. ધાર્મીક શ્રદ્ધાને સૌ કોઈએ સ્વીકારવી અને તેને પડકાર ના ફેંકવો આ માન્યતા જગતમાં હીંસા ફેલાવે છે – અલબત્ત, જગતમાં હીંસા અને સંઘર્ષ માટે ધર્મ સીવાયનાં (દા.ત., આર્થીક) બીજાં અનેક કારણો પણ છે; પરંતુ તેની અહીં ચર્ચા કરી નથી.

મધ્યમમાર્ગી (મોડરેટ) ધાર્મીકો પણ ભયજનક :

સામ હેરીસ તેમના ‘The End of Faith’ નામના પુસ્તકમાં કહે છે કે : આજના જગતમાં ધાર્મીક ઝનુનીઓ ઉપરાન્ત ધર્મમાં માનનારા સહીષ્ણુ ગણાતા ધાર્મીકો પણ વીનાશક ભુમીકા ભજવી રહ્યા છે. તેઓ આત્યન્તીક નથી; છતાં તેઓ ભયજનક છે. કારણ કે તેમણે ધાર્મીક શ્રદ્ધાને માન્યતા (લેજીટીમસી) આપીને એવી આબોહવા ઉભી કરી છે. જેથી ધાર્મીક હીંસા અને ધાર્મીક પુસ્તકનાં લખાણો સામે લડવાનું મુશ્કેલ બની ગયું છે. તેઓ છુપા દુશ્મનો છે.

ધાર્મીક માન્યતા ભ્રમણાજનક :

વીશાળ બહુમતી ધરાવતા ઉદારમતવાદીઓ પોતે (અન્ધ)શ્રદ્ધાયુકત હોવાથી આતંકવાદીઓને પડકારી શકતા નથી.

જગતના તમામ ધાર્મીકો એમ માને છે કે આ સૃષ્ટીના સર્જક તેમની પ્રાર્થના સાંભળે છે અને તેનો લાભદાયક પ્રતીભાવ પણ આપે છે.

આ માન્યતા જો જગતના કરોડો લોકો ધરાવતા ના હોત તો તે માન્યતા પાગલપણાનો કે ભ્રમણાનો એક પ્રકાર ગણાત. પરન્તુ કરોડો લોકો પુજા અને પ્રાર્થનામાં શ્રદ્ધા ધરાવતા હોવાથી તેને સાચી માનવામાં આવે છે. એકલદોકલ માનવી આવી માન્યતાઓ ધરાવતો હોય (પૃથ્વી શેષનાગ પર ઉભી છે) તો કદાચ પાગલ ગણાય. ધાર્મીક માન્યતાઓને ચકાસી શકાતી નથી. તે પુરાવા આધારીત હોતી નથી તે તેની એક મોટી મર્યાદા છે. ન્યુટનનો ગુરુત્વાકર્ષણનો સીદ્ધાન્ત કે આઈનસ્ટાઈનની થીયરી ઓફ રીલેટીવીટી, તેની સાબીતીને આધારે સાચી મનાય છે, કોઈ સાધુ સન્તના કથનને આધારે નહીં.

આજનો યુગધર્મ :

વીનોબાજી ‘આજના યુગની ધર્મભાવ’ના નામની પુસ્તીકામાં કોઈપણ પુરાવા વીના, માત્ર (અન્ધ)શ્રદ્ધાને આધારે નીચેનાં વીધાનો કરે છે. તેમના શબ્દોમાં : ‘બાકી દરેક જણ આત્માની અનુભુતી તો કરી જ શકે છે અને આત્મા કરતાં વધારે સારી ઈશ્વરની નીશાની આપણે માટે હોઈ ન શકે. આપણા દેહમાં દેહથી ભીન્ન અને સાક્ષીરુપે આત્મા છે તેના પરથી સૃષ્ટીમાં પરમાત્મા છે તે સીદ્ધ થશે. પીંડ અને બ્રહ્માંડની એકતાનો અનુભવ આપણે ડગલે ને પગલે કરીએ છીએ. જે પીંડમાં છે તે બ્રહ્માંડમાં છે. ‘યથા પીંડે તથા બ્રહ્માંડે’. અહીં મારી પાસે આંખ છે તો સૃષ્ટીમાં સુર્ય છે. મારામાં પ્રાણ છે તો સૃષ્ટીમાં વાયુ છે. આ રીતે બીંબરુપ બ્રહ્માંડમાં જે તત્ત્વ છે તેના પ્રતીબીંબરુપ શરીરમાં અને પીંડમાં છે. પીંડમાં આત્મતત્ત્વ છે તે પ્રતીબીંબરુપ સૃષ્ટીમાંય કોઈ તત્ત્વ હોવું જોઈએ અને તેને પરમ તત્ત્વ કહે છે.’

વીજ્ઞાન અને લૉજીકની દૃષ્ટીએ ઉપરનું દરેક વીધાન જો બહુ જ ઉદારતા દાખવીએ તો તેને કાલ્પનીક (સ્પેક્યુલેટીવ) ગણી શકાય. ‘મારામાં જે ચેતના છે તેવી જ બ્રહ્માંડમાં ચેતના છે જેને ઈશ્વર કહેવાય’ આવા વીધાનની વીશ્વસનીયતા (ક્રેડીબીલીટી) લગભગ શુન્ય ગણાય. ગંભીર ફીલોસોફીકલ ચર્ચામાં ભાષાકીય ચાતુરી (લીજીવીસ્ટીક) કે યુકતીઓ ના ચાલે. ‘આત્મા કરતાં વધારે સારી ઈશ્વરની નીશાની આપણે માટે હોઈ ના શકે’ તે વીધાન શ્રદ્ધાજન્ય છે; પરન્તુ તેની અનુભવજન્ય (એમ્પીરીકલ) સાબીતી નથી. જે વીધાનમાં આધ્યાત્મીક શબ્દ હોય અને આવો એક શબ્દ પણ હોય જેનો અર્થ સ્પષ્ટ ના હોય, સંદેહાત્મક હોય, તો તે વીધાનને અર્થહીન (મીનીંગલેસ) ગણવું. આ દલીલ વીનોબાજીનાં શ્રદ્ધાજન્ય વીધાનોને પણ લાગુ પડે છે. આવાં વીધાનો પર માનવ સમાજની નૈતીક (એથીકલ) સીસ્ટમ ઉભી ના કરાય.

નૈતીકતાના ઘડતરમાં ધર્મ ના ચાલે :

ધર્મને આધારે જે ધાર્મીક નૈતીકતા (રીલીજીઅલ એથીકસ)નું ધોરણ ઉભુ થયું તેણે માનવજાતનું (ખાસ કરીને સ્ત્રીઓ, દલીતો અને મુળ નીવાસીઓનું) દમન કર્યું છે. આને બદલે ધર્મનીરપેક્ષનીતી (સેક્યુલર એથીક્સ) ફ્રેંચ ક્રાન્તીનાં મુલ્યો – લીર્બટી, ઈક્વોલીટી અને ફ્રેટર્નીટી પર ઉભુ થયું છે. તેને હજુ બહુ સમય થયો નથી; પરંતુ પશ્ચીમ જગતમાં ઉદારમતવાદી, સમાજવાદી અને સમાજવાદ (માર્કીસ્ટ) વીચારસરણીઓ પાછળ ફ્રેંચ ક્રાન્તી તથા અમેરીકન ક્રાન્તીનાં મુલ્યો હતાં. તેમાં જાતીવાદ કે વૈદીક બ્રાહ્મણીઝમ નથી કે તેમાં ઈસ્લામીક શરીયતના નીયમો પણ સામેલ કરવામાં આવ્યા ન હતા. આ નવા વાદો સેક્યુલર એથીકલની દીશાનાં પગલાં છે – ભલે તેમાં બહુ મોટી સફળતા મળી નથી; પણ દીશા સાચી છે. ધાર્મીક માન્યતાઓનો એપીસ્ટેમીક એટલે કે જ્ઞાનને લગતો પાયો નબળો હોવાથી અજ્ઞાનને આધારે નૈતીકતા ના ઘડી શકાય; પણ વીજ્ઞાનને આધારે ઘડી શકાય.

અહીં એક બાબત યાદ રાખવી જરુરી છે. વીનોબા સહીત ભારતના અને જગતમાં મોટાભાગના ધાર્મીક ચીન્તકો એમ માને છે કે નૈતીકતાનો આધાર ધર્મ છે. ધર્મને કારણે માણસ ખરાબ કૃત્યો કરતો અટકે છે, હીંસાને ત્યાગે છે અને અન્ય વ્યક્તીઓને મદદ કરે છે. પરંતુ એકબીજાને મદદ કરવી, કુટુમ્બ ઉભું કરવું અને સન્તાનોને ઉછેરવાં, મીત્રોની સહાય લેવી અને તેમને સહાય કરવી, ભાઈભાંડુઓને પ્રેમ કરવો, પરોપકાર વગેરે માનવતા, જેનેટીક વારસામાં પ્રોગ્રામ્ડ છે. તે વીના માનવજાત ટકી શકી જ ન હોત. દા.ત., ભ્રાતૃભાવના વીના માણસ ગ્રુપ્સ જ ઉભાં ના કરી શકે અને ગ્રુપ્સ કે જુથો ઉભાં કર્યા વીના માનવજાત નાશ પામત. ટુંકમાં, એકબીજાને મદદ કરવી, પ્રેમ દાખવવો, દુઃખી લોકો માટેની અનુકંપા અને સહાનુભુતી દાખવવી તે કોઈ ધર્મનો ઈજારો નથી. ધર્મ તો બહુ પાછળથી આવ્યો. તે પહેલાં ઉપરના ગુણોને કારણે જ માનવજાત ટકી રહી. આવી નૈતીકતાના પાયામાં ધર્મ ના રહે તો પૃથ્વી કે માનવસમાજ રસાતાળ થઈ જશે તેમ માનવાની જરુર નથી. ઉલટાની માનવજાત જેના પરોપકારવૃત્તી અને પરસ્પર સહાય પ્રોગ્રામ્ડ છે તે સેક્યુલર સમાજમાં વધુ સુખી થાય તેવો સંભવ છે. નજીકના ભુતકાળમાં ધર્મસંસ્થાએ લોકોને ત્રાસ આપનારા રાજયકર્તાઓમાંથી ઉગાર્યા પણ છે. પોલૅન્ડમાં સામ્યવાદના લોખંડી શાસન સામે ત્યાંના કેથોલીક ચર્ચે અવાજ ઉપાડ્યો હતો. દુષ્ટ અમેરીકાએ ઈરાનના ત્રાસવાદી શાહને ગાદી પર બેસાડી દીધો હતો તેને દુર કરવા ખોમીની અને તેની મુસ્લીમ સંસ્થાઓએ મદદ કરી હતી.

પરન્તુ સામાન્ય રીતે ધર્મ અને ધાર્મીક સંસ્થાઓ સમાજમાં જે હીતધારકો છે અને શોષણકર્તા છે તેમને જ બહુધા મદદ કરતી હોય છે.

ધર્મનીરપેક્ષ માનવવાદીઓએ ઈસ્લામ સામે પડકાર ફેંક્યો છે અને તેના જવાબ રુપે જગતના મુસ્લીમોના એક નાનકડા વર્ગે જેહાદનો મન્ત્ર ફુંક્યો છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે ઈસ્લામમાં માનનારો અતી વીશાળ વર્ગ ‘મોડરેટ’ એટલે કે ઉદારમતવાદી છે. બહુ જ નાનો વર્ગ કે નાનાં નાનાં જુથો જ આતંકવાદી છે અને તેઓ જગતને ભયમાં મુકી રહ્યાં છે. વળી જેમ હીન્દુ ધર્મનો માનવજાતના ઈતીહાસમાં મોટો ફાળો છે (વીજ્ઞાન કળા, આર્કીટેક્ચર, સંગીત વગેરેમાં) તેવો જ ઈસ્લામનો જગતમાં ફાળો છે. પરંતુ ઈસ્લામ અને ખ્રીસ્તી ધર્મ પોતાના પ્રસારમાં માને છે તે ભુલવું ના જોઈએ. વળી, પાકીસ્તાન અને સાઉદી અરેબીયામાં જે લોકો ઈસ્લામની નીન્દા કરે તેને માટે મોતની સજા છે અને બન્ને ધર્મો પોતાનાં પુસ્તકોને ભગવાનનો અવાજ ગણે છે. હીન્દુ ધર્મમાં કોઈ એક આધારભુત (સ્ટેન્ડર્ડ) સર્વમાન્ય ધાર્મીક ગ્રંથ નહીં હોવાથી હીન્દુ ધર્મ વધારે લવચીક (ફ્લેક્સીબલ) રહ્યો છે.

ભાષાચાતુરી :

ઉપર્યુક્ત પુસ્તકમાં વીનોબા લખે છે, ‘હું કહીશ કે આ જ છે આજના યુગનો ધર્મસંદેશ. હવે એવું નહીં ચાલે કે આપણે ભગવાનને મન્દીરમાં પુરી રાખીએ અને બાકીની આખી દુનીયાને ઈશ્વરશુન્ય સમજીએ. આપણે તો હવે એવું કરવાનું છે કે દરેકે દરેક મનુષ્યના હૃદયમાં જે ભગવાન છે તેની ઉપાસના કરવાની છે અને ગામ આખાને મન્દીર બનાવવાનું છે’ આ કટાર લેખકને દરેકે દરેક મનુષ્યના હૃદયમાં ઈશ્વર દેખાતો નથી. તેમાં તો દરેકે દરેક મનુષ્યના હૃદયમાં ઈશ્વર હોય કે ના હોય; પરંતુ તેમને તો શીક્ષણ, રોજગાર, આરોગ્ય અને સુખસગવડવાળું દીર્ધ જીવન મળે તેની ખેવના છે. તે માટે વીજ્ઞાન અને ટૅકનોલૉજી જોઈએ. તેમને મન ફ્રેંચ ક્રાન્તીના આદર્શો (લીબર્ટી, ઈક્વોલીટી, ફ્રેટર્નીટી) ધાર્મીક આદર્શો કરતાં વધુ મહત્ત્વના જણાય છે. તેથી તેઓ ઈશ્વરશુન્ય સૃષ્ટીને ઈશ્વરથી ભરી દેવા માંગતા નથી. કોઈપણ સેક્યુલર વીચારધારામાં ઈશ્વર કે ધર્મ કે સમ્પ્રદાયનો પ્રવેશ થાય તો તેનાથી અનીષ્ટ થયા વીના રહેતું નથી. રાજકારણમાં કે વીચારસરણીમાં ધર્મ બીલકુલ ના જોઈએ તેવું આ લેખક માને છે. વળી ધાર્મીક ઉદારમતવાદીઓ પણ સર્વધર્મ સહીષ્ણુતાના નામે શ્રદ્ધાજન્ય માન્યતા ધરાવીને આતંકવાદ માટે અનુકુળ આબોહવા ઉભી કરે છે.

ઉપસંહાર :

કોઈની પણ ધાર્મીક લાગણી દુભાવ્યા વીના અને કોઈપણ ધર્મની પ્રત્યક્ષ ટીકા કર્યા વીના એવું પ્રતીપાદન કરવાનો પ્રયત્ન આ લેખમાં થયો છે કે રાજકારણમાં ધર્મના પ્રવેશે ધીમે ધીમે આતંકવાદને જન્મ આપ્યો છે. આતંકવાદીઓના હાથમાં અણુશસ્ત્રો આવી જાય તો તેમના ધાર્મીક ઝનુનને કારણે તેઓ પૃથ્વીનો નાશ કરી શકે તેમ છે. વળી ધાર્મીક વીધાનોને શ્રદ્ધાપુર્વક સાચાં માની લેવાને બદલે તેના પુરાવા છે કે નહીં, તેનો આગ્રહ રાખવો જોઈએ. જે વીધાનો અટકળવાળાં હોય તેના પર શાણો સમાજ નૈતીક સીસ્ટમ રચી શકે નહીં. વળી વીનોબાની જેમ એવું ના માનવું કે માનવીની નૈતીકતાનો પાયો ધર્મ છે. તે આનુવંશીક (જેનેટીક) છે. ઉલટાનું સેક્યુલર પાયા પર રચાયેલી નૈતીકતા લોકો માટે વધુ કલ્યાણકારી હોવાનો સંભવ છે. તે માટે ઈશ્વર અને ધર્મ અપ્રસ્તુત (ઈર્રેલેવન્ટ) છે.

– ધવલ મહેતા

મહેમદાવાદથી પ્રકાશીત થતું  રૅશનલ માસીક માનવવાદ (જુલાઈ, 2014)નો આ લેખ માનવવાદના તંત્રીશ્રી તેમ  લેખકશ્રીની પરવાનગી અને સૌજન્યથી સાભાર…

લેખકસંપર્ક :

પ્રા. ધવલ મહેતા, બી-13, કોણાર્ક – કરીશ્મા એપાર્ટમેન્ટ, રેણુકા હૉલ સામે, વસ્ત્રાપુર, અમદાવાદ380 015 ફોન નંબર : 079 2675 4549 ઈમેઈલ : dhawalanjali48@yahoo.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી વેબસાઈટ ‘અક્ષરનાદ’ ના ‘ઈ–પુસ્તકો’ વીભાગ ( http://aksharnaad.com/downloads ) પર તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ ‘લેક્સિકોન’ના ‘GL eBooks’ વીભાગ ( http://www.gujaratilexicon.com/ebooks/ ) પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. રસ ધરાવતા વાચકમીત્રોને આ બન્ને વેબસાઈટ પરથી ‘અભીવ્યક્તી’ની ‘ઈ.બુક્સ’ ડાઉનલોડ કરવાની સગવડનો લાભ લેવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 ‘રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ એપાર્ટમેન્ટ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી.  પોસ્ટ :  એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ : 15/01/2016

 

14 Comments

  1. “જેથી ધાર્મીક હીંસા અને ધાર્મીક પુસ્તકનાં લખાણો સામે લડવાનું મુશ્કેલ બની ગયું છે. તેઓ છુપા દુશ્મનો છે.” સાચું છે. અંગ્રેજીમાં કહે છે, “With friends like this, who needs enemies?” મિત્રો આવા હોય તો દુશ્મનો કોને જોઈએ?

    “દુષ્ટ અમેરીકાએ ઈરાનના ત્રાસવાદી શાહને ગાદી પર બેસાડી દીધો હતો તેને દુર કરવા ખોમીની અને તેની મુસ્લીમ સંસ્થાઓએ મદદ કરી હતી.” પરિણામ સારું આવ્યું?

    ધર્મ એટલે પૂજા પ્રાર્થના જ નથી. સામ્યવાદ પણ એક પ્રકારનો ધર્મ બની ગયો હતો. હવે મૂડીવાદ અને મુક્તવ્યાપારવાદ પણ ધર્મ બનવા માંડ્યા છે.

    વિજ્ઞાન અને તર્ક (લોજીક) પણ દોષમુક્ત નથી. ડહાપણ વિનાનું વિજ્ઞાન કેવું ભયાવહ થાય છે તેનો નમુનો તો આઈનસ્ટાઇનની થીયરીનો દુરુપયોગ છે. તર્ક્શાસ્ત્રીઓ ચોખ્ખી ચટ બાબતોમાં પણ દલીલો કરીને મતભેદ ઉભા કરે છે. માનવો તો પગ તળે રેલો આવે ત્યારે બીજું બધું ભૂલીને સ્વાર્થને જ મહત્વ આપે છે.

    Liked by 2 people

    1. માનવો તો પગ તળે રેલો આવે ત્યારે બીજું બધું ભૂલીને સ્વાર્થને જ મહત્વ આપે છે Ekdum Sachi vaat.

      Liked by 1 person

  2. Human has forgotten why they are Human.They think they are Hindu or Muslim or Christian…. first then Human. Because of this, problem is going to be continue forever. The day Human realize why they are human, problem will be solved itself. It will not be surprise to me if new religion will come out called ‘SCIENCE’

    Liked by 1 person

  3. ધવલ મહેતા , આપને લાખ લાખ અભિનંદન. ધર્મ,ઇશ્વર,ભગવાન,દેવ,આત્મા વિગેરે … વિગેરે…આપણી માનવજાતે શોધેલા શબ્દો પાછળ સૌ પાગલ છે. ચાઇનીઝ તુક્કલ ઉડાડતા ના આવડે તો જ આગ લાગી શકે છે.બાકી, વૈજ્ઞાનિક સિધ્ધાંત મુજબ તે ઉંચે જાય છે અને હોલવાઇ ગયા પછી જ નીચે પડે છે. આગ લાગવાનો કોઇ જ પ્રશ્ન નથી. છતાં તેની પર પ્રતિબંધ મુકવાનો વિચાર અગરબત્તી બનાવનારા અને સળગાવનારાને જ આવ્યો હશે!!!!! ચિનવાળાને ક્યારેય ના આવે. વિજ્ઞાન અઘરુ લાગે છે એટલે લોકોને જલ્દી સમજાતુ નથી, જ્યારે પુરાવા વગરની કથા કથિત વાતો લોકોના માનસમાં જલ્દીથી ઘર કરી જાય છે. મારા એક સંબધિ સાયંસ ટીચરને પણ માતાજી આવે છે, હોમ-હવન જુવે એટલે હાકોટા પાડવા માંડે છે. મેરા ભારત મહાન !!!!! હું એ મિત્રના હાકોટા બંધ કરાવવા જાઉં તો અમારે દુશ્મની થાય. બસ ,આવી જ રીતે ધર્મને નામે અજ્ઞાનયાત્રા ચાલી છે, કોઇક તો વિજ્ઞાનયાત્રા માટે વિચારો?
    ધવલ મહેતા સાહેબની જેમ,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    ” અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી”
    @ રોહિત દરજી”કર્મ”, હિંમતનગર

    Liked by 1 person

  4. મિત્રો,
    ઘવલ મહેતાજીઅે સુંદર અેનાલીસીસ કરીને હિંસા અને તેના જુદા જુદા સ્તરના જુદા જુદા પરિણામો વિષે હાલની દુનિયાની પરિસ્થિતિ મુલવી છે.
    મારા વિચારો.
    પહેલાં આપણે દુનિયા અને દુનિયામાં અેક્ઝીસ્ટન્ટ ઘર્મો વિષે જાણીઅે.
    દુનિયામાં ફોલોઅર્સની સંખ્યાના પ્રમાણથી મોટા લગભગ ૧૪ જેટલાં ઘર્મો આજે હયાત છે….(આશરો) ૨૦૧૩ની સાલ સુઘીની માહિતિ…વીકીપીડીયાના આઘારે: રેફરન્સના આંકડાઓ જ આપ્યા છે. Religious and Population.
    ૧. ક્રિશ્ચીયન. ૨.૨ બીલીયન. ૨. મૂસ્લિમ. ૧.૬ બીલીયન. ૩. ઇરીલીજીયસ અને અેથેયીસ્ટ. ૧.૫ બીલીયન. ૪. હીંદુ. ૧.૦ બીલીયન. ૫. બૂઘ્ઘિસ્ટ. ૩૭૬ મીલીયન. ૬. તાઓઇસ્ટ અને કોનફ્યુસીયસીસ્ટ. ૩૯૪ મીલીયન. ૭. અેથનીક અને ઇન્ડી જીનીયસ. ૩૦૦ મીલીયન. ૮. આફ્રિકન અને ઇન્ડીજીનીયસ. ૧૦૦ મીલીયન. ૯. શીખીઝમ. ૨૩ મીલીયન. ૧૦. જુડાઇઝઝમ. ૧૪ મીલીયન. ૧૧. સ્પિરિટીઝમ. ૧૫ મીલીયન. ૧૨. બહાઇઝ. ૭ મીલીયન. ૧૩. જૈનીઝમ. ૪.૨ મીલીયન અને ઝોરાષ્ટરિયન્સ. ૨.૬ મીલીયન.

    The main subject here in this article is ” War & Peace.” છે અેમ કહી શકાય.
    આજ સુઘીનો માનવીનો ઇતિહાસ, જ્યાં સુઘી આપણી પાસે હકીકતો છે, ત્યાં સુઘીમાં રાજ હોય કે ઘર્મ હોય, કોઇપણ જગ્યાઅે ‘ સત્તા‘ જ અેક પરીબળ રહેલું નજરે ચઢે છે. છેલ્લા ૩૦ વરસોમાં વકરેલો માહોલ આપણે પોતે અનુભવી રહ્યા છે પરંતુ ઇતિહાસ કહે છે કે દુનિયાનો ઇતિહાસ ફક્ત‘ હિંસા‘ થી જ ભરેલો છે……..માનવના માનવી તરીકેના જન્મના દિવસથી જ હિંસા હજરાજૂર છે. ઘર્મે આ ફિલ્ડમાં મોડેથી પ્રવેશ કરેલો કહેવાય…જ્યારથી ઘર્મને નામે અેક કોઇ ગ્રુપ જીવવા માંડયુ….કદાચ ૫૦૦૦ વરસો પહેલાની આસપાસ. જ્યારથી ‘સત્તા‘અે મગજમાં ઘમાચકરી ચલાવવા માંડી ત્યારથી ૩ વિભાગો કહી શકાય…..
    ૧. બન્ને હાથમાં ગીતા કે મહાભારત કે રામાયણ લઇને અહિસાનો ફિલોસોફીથી ભરેલો ઉપદેશ અને લડાઇઓ લડવાનું છોડવું નહિની વાતો…..
    ૨. અે હાથમાં પ્રેમનો અને મદદનો સંદેશો અને બીજા હાથમાં બાઇબલ…..
    ૩. અેક હાથમાં કુરાન અને બીજા હાથમાં તલવાર…….
    માનવતા, જે કહે છે કે જીયો અૌર જીને દો…..શોઘવું પડે.
    ફીલોસોફરોની વાતો ફક્ત થીયરીમાં શોભે…પ્રેક્ટીકલ જીવનમાં નહિ.
    હિંદુઓ માટે સ્વામી સચ્ચિદાનંદજીનું પુસ્તક અઘોગતિનું મૂળ, વર્ણવ્યવસ્થા‘ વાંચીને વિચારીને સત્ય કબુલ કરવા જેવું સત્ય ંે. દરેક ઘર્મમાં આંતરીક વિખવાદો પણ હિંસાનું જ સ્વરુપ હોય છે.
    ટૂંકમાં ગાંઘીજી આઝાદી અહિંસાના હથીયારથી લાવ્યા તે પણ અેક ચર્ચાનો વિષય બની રહે છે.
    હિંસા યુનિવર્સલ છે. હાલમાં ઘર્મની છત્રીની નીચે જે કાંઇ વકરી રહ્યુ છે તે દુનિયાને વિનાશને પંથે લઇ જઇ રહ્યુ છે અને તેમાં રાજકારણ અને રાજકારણીઓનો મોટો ભાગ છે. સામાન્ય માણસે પરિણામો જ ભોગવવાના રહે છે. તેઓ લાચાર બની રહે છે.
    ખૂબ ચર્ચા કરી શકાય તેમ છે પરંતુ અેક વાત નક્કિ કે માણસ પોતે પોતાનો નાશ નોતરી રહ્યો છે તે સનાતન સત્ય છે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  5. These are great thoughts by a great intellectual of Gujarat. Congratulations to Shri Dhaval Mehta. May I add a little, please?
    Religion is a big social institution with huge consequences. Why should we not discuss and criticize it, if we find it harmful? We routinely discuss and criticize government, community, trade unions, professions, and other such societal organizations without any hesitation.
    The practical costs and benefits of all religions have changed a lot during the past several centuries. We must find them out and evaluate them properly. In ancient times, it was quite different. Faith was the only way to try to know the truth in those days. Now we have other and better means of knowledge for our use —-like modern science and advanced logic. Why not use them?
    Thanks. —Subodh Shah , NJ, USA.

    Liked by 1 person

  6. 1)”ન્યુટનનો ગુરુત્વાકર્ષણનો સીદ્ધાન્ત કે આઈનસ્ટાઈનની થીયરી ઓફ રીલેટીવીટી, તેની સાબીતીને આધારે સાચી મનાય છે, કોઈ સાધુ સન્તના કથનને આધારે નહીં.”
    2)”મધ્યમમાર્ગી (મોડરેટ) ધાર્મીકો પણ ભયજનક ”
    સચોટ વિશ્લેષણભર્યો સંમ્પૂર્ણ લેખ:

    Liked by 2 people

  7. પ્રિય ગોવિંદ ભાઈ મારુ
    સૌ પ્રથમ આવા સરસ લેખો પીરસવા બદલ તમને હું ધન્યવાદ આપું છું . ગોવિંદ ભાઈ . હું શ્રી ધવલ મહેતા , શ્રી રોહિત દરજી , શ્રી અમૃત હઝારી , વિમળા ગોહિલ વગેરે મિત્રોની વાતો સાથે સંમત છું . મને ઇસુ ખ્રિસ્ત થી આશરે 600 વરસ પહેલા ભારતમાં થઇ ગએલા બૃહસ્પતિની વાતોગમી છે. મેં મારા બ્લોગ “આતાવાણી “નાં મથાળે દેવ નાગરી લીપી અને ઉર્દુ ભાષામાં થોડુક કથન લખ્યું છે . તેની બુક નું નામ ચાર્વાક દર્શન હતું જે . ધર્મ જ્નુંની લોકોએ બાળી નાખ્યું છે . પણ કેટલાક શ્લોકો બચી ગયા છે જેમનો , એક શ્લોક આ પ્રમાણે છે જે બે રીતે લખાણો છે .यावत जीवित सुखम जीवेत रुणम् कृत्वा घृतं पिबैत
    भस्मी भूतस्य देहस्य पूणर गमनं कुत:
    यावत जीवित सुखम जीवित नास्ति मृत्युरगोचर :
    भस्मी भूतस्य देहस्य पुनरागमन: कुत :

    Liked by 1 person

  8. ..
    ..

    धर्मनी वात आवे एटले हीन्दुओ कहे अमारो धर्म प्रथम, जुनो, वगेरे वगेरे. वेद, उपनीसद के
    एनो नीचोड गीता अहा हा… अहा हा….

    दया आवे एवुं छे. आत्मा, कर्म, पुनःजन्म अने शुं ने शुं लखेल छे.

    हीन्दुओनी मुर्तीपुजानी गेलछाथी (हीन्दु एटले हीन्दु, बौद्ध, जैन बधा समजवा) ईश्लामनो उदय थयो. अने कमाल तो जुओ एओ पाछा हीन्दुओना अनुयायीनी जेम ज करवा लग्या. जेमके कबर उपर चादर बीछाववी.

    शुं खावुं, केम खावुं, क्या हाथे खावुं (ए पण फरजीयात), कांदा, बटाटा, लसण, जन्म, लग्न, मरण अने मडदाने केम नवडाववुं, शुं सभळाववुं (मडदाने), हलाल के लोही वगरनुं फक्त अने फक्त घास खाता प्राणीओनुं लोही वगरनुं मांस, गाय के दुक्करनुं मांस केम खावुं अथवा हीन्दुओमां गायने मांस राखेल छे एवी अफवा फेलाय तोय मारी नाखवुं आ बधुं धर्ममां आवे. वीधवा पुनःलग्न करे तो मारी नाखवुं अने एना माटे अंग्रेजो हीन्दुओ माटे कायदा बनावे.

    हीन्दुओमां राम नामनी व्यकतीनो उल्लेख ठेक ठेकाणे आवे. जेम के राम नाम सत्य है, लग्न वखते राम सीतानी जोडी, जेरामजी, गांधी समाधी उपर हे राम, मरण वखते अमे चाल्या अमारे गाम बधाने राम राम.

    आ रामनी गेलछाए में पण साचुं खोटुं वाल्मीकी राम जाणे लखवानुं शरुं कर्युं.

    हीन्दुओना जनुनी टोळाए 1992मां बाबरी मस्जीदना ढांचाने तोडी राजकरणमां प्रवेश कर्यो अने जेवी सफळता देखाणीं के ए जग्याए राम मंदीरनी चडवळ शरु थई.

    कमाल तो जुओ भारतीय काश्मीर के पाकीस्तानी काश्मीरना चडवडीयाओए पण पोतानी चडवडमां आ बाबरीना ढांचा के राम मंदीरनो वचमां समावेश करी नाख्यो.

    पोतानो धर्म श्रेष्ठ अने बंदुकनी गोळी, बोम्ब, मानव बोम्ब, वगेरे साधनोथी हत्या करवानु शरु थयुं.

    भारतमां ईंदीरा गांधी, राजीव गांधी तथा पाकीस्तानमां झुलफीकार अली भुत्तो अने बेनझीर भुत्तोनुं मरण पण आ धर्मना नामे ज समजवुं..

    कोने खबर गीता अने कुरानमां लखेल छे एनी पहेलां शुं हतुं?

    धवलभाई महेताए मथाळुं आपेल छे अने पोस्टमां जणांवेल छे के राजकरणमां धर्मनी सेळभेळ मानवजातने खतम करशे ए चोक्कस छे.

    भारतमां सोमनाथ मंदीरना नीर्माणमां गांधी, पटेल, मुनशी, संसद, वगेरे जे रस लीधो ए राजकीय परीबळ समजवुं. आपणे एना फळ चाखीए छीए…देशना बंधारणमां कलम 48 पण एनो भाग ज समजवो…

    Liked by 3 people

  9. राजकीय नेता घर्मणि बाबतमा रस लये एवो न होवो जोइए .इ भले घरमा बेसिन भले आरआरहाना कर्याकरे पण जाहेरमा धार्मिक बबटमा जरय रस लेवो न जोइए .

    Liked by 2 people

  10. मार्कस ना जनाव्या मुजब विचारों ना हथियारो विचारज होइ शके ।पन अहि धर्म तो विरोध ने डामि देवो ने जेहाद,कुर्जड,धर्म युद्ध,करवाज तेेयार होइ तेमनि पासे अहिंसा नि अपेक्षा ज खोटी।

    Liked by 1 person

Leave a comment