સ્વર્ગ આકાશમાં નહીં; ધરતી પર જ છે

Prof-Raman-Pathak-જન્મ : 30–07–1922            અવસાન : 12–૦3–2015

31-07_Fotor

સ્વર્ગ આકાશમાં નહીં; ધરતી પર જ છે

રમણ પાઠક (વાચસ્પતી)

ન સ્વર્ગો નાપવર્ગો વા નૈવાત્મા પારલૌકીક:

–ચાર્વાક

ધર્મ, જે સામાન્ય રીતે પ્રેમ, કરુણા, સહાનુભુતી, ભાતૃભાવ જેવા માનવીય ગુણો પ્રબોધે છે, એને બદલે જો તે નફરત, ઘૃણા, તીરસ્કાર અને વેર ફેલાવતો હોય તો, દરેકે સચેત થઈ જવું જોઈએ. હીન્દુ ધર્મમાં જ સ્વામી વીવેકાનન્દ, સ્વામીશ્રી દયાનન્દ સરસ્વતી, કબીર, ગૌતમ બુદ્ધ કે ઈશ્વરચન્દ્ર વીદ્યાસાગર જેવી વીભુતીઓ અને દાર્શનીકોએ કર્મકાંડ, મુર્તીપુજા આદીનું ખંડન કર્યું જ છે. અને માનવગૌરવની પ્રતીષ્ઠા કરી છે. આ દેશમાં ગરીબી, આર્થીક અસમાનતા, શોષણ, અનારોગ્ય, અન્ધશ્રદ્ધા, વહેમો અને રુઢીજડતા સદીઓથી પ્રવર્તમાન છે. આપણે જીવનનાં ઈતર ક્ષેત્રોમાં પરીવર્તનો સહેલાઈથી સ્વીકારી લીધાં છે. પરન્તુ ધર્મ કે ધર્મગ્રંથો દ્વારા અપાયેલાં ઉપદેશ – માન્યતાઓમાં પરીવર્તન કરવા આપણે લેશમાત્ર તૈયાર થતા નથી. વાસ્તવમાં, હજારો વર્ષ અગાઉ તત્કાલીન રાજકીય, સામાજીક કે ધાર્મીક પરીપ્રેક્ષ્યમાં લખાયેલા ગ્રંથો કે એની આચારસંહીતા વર્તમાન સંજોગોમાં કેટલા સુસંગત તથા ઉપયોગી ? એ પ્રશ્ન તપાસવાની તાતી જરુર છે.

–અશ્વીન ન. કારીયા (‘સ્વર્ગ–નરકની માન્યતાઓ’ પુસ્તકમાંથી)

આપણા પુર્વજ ઋષીમુનીઓ મહાજ્ઞાની હતા, અને આજના વીજ્ઞાનની તમામ સીદ્ધીઓ તથા શોધો હજારો વર્ષો પુર્વે તેઓ કરી જ ચુક્યા હતા, જેનો અણસાર અથવા આછા કે સુચીતાર્થરુપ પુરાવા આપણા ધર્મગ્રંથોમાંથી મળે જ છે.

–એવા એવા દાવા… કેટલાક પ્રાચીનતાપ્રેમી ધર્મનીષ્ઠો યા સાધુસંતો અને ધર્માચાર્યો કરે છે, ત્યારે મને એક વીચાર આવે છે કે મહાસાગરમાં બેચાર ઘડા પાણી ઉમેરવાથી લાભ જ શો ? હીન્દુ ધર્મ અર્થાત્ પ્રાચીન આર્યધર્મ મહાન છે, અતીમહાન છે જ. એના ધર્મગ્રંથો, વેદો કે ઉપનીષદો અને પુરાણોમાં જે ઉંચું અને ઉંડું ચીન્તન છે, માનવતાનો સદુપદેશ છે, જીવન વીશેની ભવ્ય કલ્પનાઓ છે, ‘દ્યૌ: શાંતી: અંતરીક્ષં શાંતી: વનસ્પતય: શાંતી, સર્વ શાંતી:’ અથવા તો ‘અત્રૈવ વીશ્વં ભવતી એકનીડમ્’ કે પછી ‘શુની ચ એવ, શ્વપાકે ચ પંડીતા: સમદર્શીન:’ – એવી એવી ભાવનાઓ, માનવસમાજ માટે અતીમુલ્યવાન તથા પ્રેરક એવા એવા સનાતન સદબોધ આ જ ધર્મે આપેલાં છે, જો કે એ જ ધર્મ વર્ણવ્યવસ્થા, ઉંચનીચના તીવ્ર ભેદભાવ તથા અસ્પૃશ્યતાય પ્રવર્તાવ્યાં છે, એ ધર્મશાસ્ત્રમાં વીજ્ઞાનનાં સત્યો ન હોય, તોય એથી શો ફરક પડે છે ? વર્તમાન માનવીની અપેક્ષાએ આપણા પુર્વજો ઘણા અજ્ઞાન હતા, ખાસ કરીને ભૌતીક વીજ્ઞાનોમાં, એ હકીકત સ્વીકારી લેવાથી, આપણા મહાન પુર્વજોનાં કાર્યોની કે એક ભવ્ય સંસ્કૃતી તથા સમાજની મહાનતામાં લેશમાત્ર ઉણપ આવતી નથી, એમ મારું નમ્રપણે માનવું છે.

દા.ત., માનવસર્જીત પ્રથમ ઉપગ્રહ ઋષી વીશ્વામીત્રે ચઢાવ્યો હતો, અથવા પ્રથમ પ્લાસ્ટીક સર્જરી ભગવાન શંકરે કરી, ગણપતીજીના ધડ પર હાથીનું માથું બેસાડી આપ્યું હતું – એવી એવી માન્યતાઓ સેવવી યા પ્રચારવી એ અનાવશ્યક એવો હાસ્યાસ્પદ પુરુષાર્થ છે. ગણપતીદેવની પ્લાસ્ટીક સર્જરી વીશે આપણા જાણીતા ગઝલકાર, હાસ્યકાર અને વીચારક શ્રી. રતીલાલ–અનીલે કટાક્ષમય વીવરણ આપ્યું છે: કોઈ અંગ કપાય યા અન્યનું જોડાણ થાય, ત્યારે બ્લડ ગ્રુપ માણસના લોહી સાથે બરાબર મળતું આવે, એવું ‘કોસ્મોપોલીટીન’ હોય છે કે નહીં, એ તો મને ખબર નથી… વળી હાથીના મસ્તકનાં અંગોપાંગો માનવભાષા કેવી રીતે બોલી શક્યાં હશે ? એય એક પ્રશ્ન છે. દેવોના વૈદ્ય અશ્વીનીકુમારે ચોક્કસ વીદ્યા જાણી લેવા માટે કોઈ ઋષીનું મસ્તક કાપીને એને ઘોડાનું માથું ચોટાડ્યું, એ પછી એ અશ્વ મસ્તક પેલી દીવ્ય વીદ્યા માનવવાણીમાં બોલી ગયું, તો પ્રશ્ન એ રહે છે કે કોઈ માનવેતર પ્રાણીના દા.ત., બકરાના ધડ પર માનવમસ્તક ફીટ કરી દેવામાં આવે તો શું થાય ? ઈત્યાદી.

સત્ય હકીકત તો એ જ કે આવી બધી વાતો સત્ય – આધારીત નહીં; પરન્તુ માનવમનની ધર્માભીમાની મનગમતી કલ્પનાલીલા જ છે. તે જ રીતે, આપણા પુર્વજોએ આવી કપોળકલ્પનાઓ કરી, એની પાછળનું મુખ્ય કારણ એ જ કે જીજ્ઞાસા તીવ્ર હતી, ઈચ્છાઓ, આવશ્યકતાઓ અને અનીવાર્યતાઓ પણ ઉત્કટ હતી; પરન્તુ સત્ય પામવું એટલું સરળ નહોતું. એટલે એ પુર્વપેઢીઓએ અવનવીન અને અદ્ભુત કલ્પનાઓમાં રાચીને સંતોષ લેવો રહે એ સ્વાભાવીક લેખાય. આપણા પુર્વજોના વીરાટ જ્ઞાનરાશી વીશે મેં અગાઉ આ વીભાગમાં લખ્યું જ છે; પરન્તુ જ્ઞાનનાં એ સર્વ ક્ષેત્રો ઐહીક તથા માનવસાધ્ય હતાં. નરી આંખે જોઈ શકાય એવાં અને ઈન્દ્રીયગોચર હતાં, તે કરતાં અનેક ગણાં વધુ તો ‘આધ્યાત્મીક હતાં, જે શંકાસ્પદ લેખાય.’ બીજી બાજુ, આજે છે એવાં અટપટાં અનેકવીધ વૈજ્ઞાનીક સાધનોના અભાવે, આપણા પુર્વજો કેટલાંક સુક્ષ્મતમ અથવા તો વીરાટ સત્યો પામી શકેલા નહીં, એ સમજી શકાય અને સ્વીકારી શકાય એવી હકીકત છે. દા.ત., બેક્ટેરીયા કે વાયરસ અથવા તો ક્વાસાર, પલ્સાર અને બ્લેક હૉલ જેવી વસ્તુઓ કે ઘટનાઓ પારખી શકવા તેઓ શક્તીમાન નહોતા. બીજી બાજુ, સાહીત્ય, ચીત્રકલા, સંગીત, નાટ્યકલા, નૃત્યકલા, યંત્રવીદ્યા, બાણવીદ્યા, આયુર્વેદ, ભાષાવીજ્ઞાન વગેરે… વગેરે અનેકાનેક વીદ્યાશાસ્ત્રો તેઓએ વીકસાવ્યાં હતાં. છતાં પાણી એ ઓક્સીજન અને હાઈડ્રોજનનું સંયોજન છે, અથવા તો E=mc2ના સમીકરણની તેઓને લેશમાત્ર જાણ નહોતી. અને એમાં કશી નાનમ માનવાને પણ કારણ નથી. માનવજીવનની વ્યવસ્થા અને એના ધ્યેયો સન્દર્ભે એ પુર્વજો કેટલીક ઉત્તમોત્તમ વીભાવનાઓ અવશ્ય સેવતા હતા; એય તેઓની મહાનતા જ છે. આટલી પ્રાસ્તાવીક ચર્ચા તો અત્રે મેં એટલા માટે કરી કે આ લેખમાં હું ડો. અશ્વીન કારીયા લીખીત ‘સ્વર્ગ–નરકની માન્યતાઓ’ – પુસ્તકનો કેટલોક રસપ્રદ પરીચય કરાવવા પ્રવૃત્ત થયો છું. પ્રારંભે જ કહી દઉં કે સ્વર્ગ અને નરક જેવાં સ્થાનો હોવાની કલ્પના લગભગ તમામ ધર્મોમાં પ્રવર્તમાન છે, આવી માન્યતા સદંતર નીરાધાર છે; પરન્તુ એવી કલ્પનાના મુળમાં માણસની એ તીવ્ર જીજ્ઞાસા રહેલી છે કે મૃત્યુ બાદ શું હશે ? ઉપરાંત, સારાં–નરસાં કર્મોનો બદલો જો આ સંસારમાં ન મળતો હોય તો પછી તે ક્યાં મળે અને શું મળે ? જવાબમાં, માનવીએ કલ્પના કરી કે સારાં કર્મોના, પુણ્યના બદલામાં સ્વર્ગ મળે, જ્યાં બધું જ ઉત્તમ, સુખમય અને આનન્દમય છે, દેવોનું એ નીવાસસ્થાન છે, જ્યાં દુ:ખ નથી, ભુખ નથી, ત્રાસ નથી. એથી ઉલટું ત્યાં આનન્દ–આનન્દ અને મોજમસ્તી છે, ઘી–દુધની નદીઓ વહે છે, અપ્સરાઓનાં નાચગાન ચાલે છે, સુરાપાન છે, મીષ્ટાન્ન છે વગેરે… વગેરે. બીજી બાજુ, પાપના બદલામાં જે નરકની સજા થાય છે, ત્યાં બધું સ્વર્ગથી ઉલટું જ છે : ત્રાસ છે, દમન છે, પીડા છે, મારફાડ છે, આગ અને ઉકળતા તેલની સજાઓ છે, માર્ગે મલીન અને ગંધાતી એવી લોહીપરુની નદી વૈતરણી છે, ત્યાં રાક્ષસો, પીશાચો, યમદુતો વગેરે અત્યન્ત ક્રુર તત્ત્વો જીવાત્માને ઘોર પીડા આપે છે ઈત્યાદી (પૃષ્ઠ–03).

ખગોળના સત્ય જ્ઞાનના અભાવે, આપણા પુર્વજોએ પૃથ્વીપીંડની ઉપર–નીચેના વીશ્વ વીશે કેવી કેવી કલ્પનાઓ દોડાવી છે એ જાણવું ખુબ–રસપ્રદ નીવડે તેવું છે. ડૉ. કારીયા લખે છે : ‘પ્રાચીન આર્ય–હીન્દુ ધર્મ મુજબ, પૃથ્વીની ઉપર તથા નીચે એમ સાત–સાત લોક છે, જેને અનુક્રમે સ્વર્ગલોક અને પાતાળલોક કહેવામાં આવે છે : સાત સ્વર્ગ: ભુર, ભુવ: સ્વ: મહ:, જન: તપ: અને સત્યલોક. જ્યારે નીચેનાં પાતાળો છે : અતલ, વીતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ… નરકનું ભૌગોલીક સ્થાન પાતાલની નીચે, ગર્ભોદક નામક પાણીની ઉપર આવેલું છે, જેનો વીસ્તાર ત્રીસ હજાર યોજનનો જણાવાય છે. પુરાણો અનુસાર નરકની સંખ્યા અઠ્ઠાવીસ છે.’ આ નરકોની પુરી યાદી માટે જીજ્ઞાસુએ મુળ પુસ્તક જોવું (પૃષ્ઠ–05).

આર્ય–હીન્દુ ધર્મની જેમ જ અન્ય ધર્મોમાં પણ સ્વર્ગ–નરકની કલ્પનાઓ છે જ; પરન્તુ એ પરસ્પરવીરોધી છે. બૌદ્ધધર્મના નરકના ભેદ દસ જ, જ્યારે ખ્રીસ્તી, પારસી– જરથોસ્તી અને ઈસ્લામમાં સ્વર્ગ–નરક વીશેના ખ્યાલો બીજા ધર્મના તદ્વીષયક ખ્યાલો સાથે પુરેપુરા મળતા આવતા નથી. હવે સત્યનો એ અફર નીયમ છે કે તે ‘એકમેવાદ્વીતીયમ્’ જ હોય. સત્યદર્શનમાં પરસ્પર વીરોધ સંભવી શકે નહીં. તદનુસાર સ્વર્ગ–નરકનો ખ્યાલ કેવળ કપોળકલ્પના જ સીદ્ધ થાય છે (પૃષ્ઠ–11).

આજે તો માનવસર્જીત અવકાશયાનોએ દુરસુદુરના બ્રહ્માંડનેય આંબવા માંડ્યું છે, જ્યારે શક્તીશાળી ટેલીસ્કોપોએ અબજોનાં અબજો જેટલાં તારાવીશ્વોની પ્રત્યક્ષ ભાળ મેળવી આપી છે. છતાં અદ્યાપી ક્યાંય સ્વર્ગલોક, દેવલોક, સત્યલોક અથવા રસાતાલ કે પાતાલ, રૌરવ યા વીરાસન જેવા નરકધામો કાંઈ કહેતા કાંઈ જોવા મળ્યું નથી, એવા કોઈ અસ્તીત્વનો અણસાર સુધ્ધાં પ્રાપ્ત થયો નથી. મતલબ કે એવાં કોઈ સ્થાનો છે નહીં, યા હતા પણ નહીં. એ સર્વ આપણા જીજ્ઞાસુ પુર્વજોની મનગમતી તેમ જ કાવ્યમય કલ્પનાઓ હતી, ઉપરાંત લોકને સન્માર્ગે પ્રેરવાનું સાધન પણ એ હતી.

જો કે શ્રી. યશવંત મહેતા લખે છે એ પણ એટલું જ સાચું છે કે, ‘અજ્ઞાનના એજન્ટ એવા વીવીધ ધર્મોએ આ ભ્રામક માન્યતાઓના પાયા પર કેવા કેવા ખ્યાલોની સૃષ્ટી રચી…! ધર્મવાળાઓ ચીંધે તેમ, એ લોકોની સમૃદ્ધી વધારતી ક્રીયાઓ કરો, તો ‘સ્વર્ગ’ મળે એવી લાલચ તેમ જ, જો એ લોકને ન રુચતી રીતે વર્તો અથવા એમનાં પેટ ના ભરો; તો ‘નરક’માં યાતના સહેવી પડે એવો ભય– આમ લાલચ અને ભય એ બે જ તમામ ધર્મોના પાયા છે.’  

ડૉ. કારીયાએ આ પુસ્તીકામાં આવી બધી માન્યતાઓનું મુળ સુપેરે શોધી આપ્યું છે. (શ્રી. યશવંત મહેતાએ પુસ્તકના છેલ્લા ટાઈટલ પર લખેલ ‘આવકાર્ય અભ્યાસ’માંથી સાભાર..) એ ઉપરાંત, પ્રાસ્તાવીક કથનમાં, શ્રી. રમેશ સવાણી તથા શ્રી. ઈન્દુકુમાર જાની લખે છે : આપણે ત્યાં તો ‘લોકાયતદર્શન’ના પ્રસીદ્ધ ‘આચાર્ય ચાર્વાક’ના જમાનાથી જ સ્વર્ગ અને નરકની માન્યતાનું ખંડન થતું જ રહ્યું છે… ન્યાયમુર્તી ચન્દ્રશેખર ધર્માધીકારીએ કહેલી એક વાત યાદ આવે છે કે, ‘જે સ્થળે કશીય મહેનત વગર બધી સુખસગવડો મળે, સુન્દર અપ્સરાઓ તહેનાતમાં હોય, તો એને તો હરામખોરોનો અડ્ડો જ કહેવો કે બીજું કાંઈ ?’ (પ્રકાશક : અશ્વીની આર્ટ પ્રા. લી., સેન્ટર પોઈન્ટ, બસ સ્ટેશન સામે, ગોધરા – 389001)

ભરતવાક્ય

… સ્વર્ગ નથી, ભગવાન નથી, આ ધરતી પર જ સ્વર્ગ છે, સજ્જન વ્યક્તી દેવતા છે, સત્સંગ સ્વર્ગ છે માટે આ ધરતીને જ સ્વર્ગ બનાવી લો ! આકાશમાં કોઈ સ્વર્ગ નથી. માણસ સાથે આદર અને પ્રેમપુર્વક વર્તાવ કરો, દરેકમાં દેવતાનું રુપ નીહાળો, તો સર્વ સ્થળ સ્વર્ગ જ પ્રતીત થશે.  –કબીર

રમણ પાઠક (વાચસ્પતી)

ગુજરાતમીત્ર દૈનીક, સુરતમાં વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી (હવે બંધ) એમની લોકપ્રીય કટાર રમણભ્રમણના લેખોમાંના જુદા જુદા મુદ્દાઓ વીશે, જુદા જુદા વીષયોનું સંકલન કરીને સુરતના મીત્ર, કવી–ગઝલકાર અને આચાર્ય શ્રી. સુનીલ શાહે ( sunilshah101@gmail.com ) વીવેક–વલ્લભ ગ્રંથ સાકાર કર્યો.  વીવેકવલ્લભના પ્રકરણ : 18માંથી સંપાદકશ્રીના સૌજન્યથી આ લેખ સાભાર… આ જ વીવેક–વલ્લભ ગ્રંથની ઈ.બુક અભીવ્યક્તીબ્લોગના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગમાંથી તેમ જ ‘અક્ષરનાદ’ અને  ‘લેક્સિકોન’ વેબસાઈટ પરડાઉનલોડ કરવાની સુવીધા છે. તેનો લાભ લેવા વીનન્તી. ..ગોવીન્દ મારુ..

લેખકસંપર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી હવે આપણી વચ્ચે નથી.

અભીવ્યક્તી.બુક્સ વીશે :

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત સાવધાની રાખીશ..

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હા. સોસાયટી, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, એરુ ચાર રસ્તા, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450  જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 30/07/2016

 

17 Comments

  1. આશરે 2600 વર્ષ પહેલા બૃહસ્પતિ અને લોકાયત નામના વિદ્વાનોએ ચાર્વાક દર્શન નામનું પુસ્તક લખ્યું જેમાં સ્વર્ગ નર્ક પુનર્જન્મ વગેરે કશુંજ નથી . એવું ઘણું લખ્યું પણ વિરોધીઓએ તે પસ્તકનો ઘણો ભાગ નાશ કર્યો અને બૃહસ્પતિને પણ મારી નાખ્યો . કેમકે સત્ય કોઈને રુચતું નથી ,

    Liked by 2 people

  2. પ્રિય ગોવિંદ ભાઈ મારુ
    તમે મને અભિવ્યક્તિ પરિવારથી નાત બહાર મુક્યો . કેમ ?

    Like

    1. વહાલા વડીલ,
      મને કશું સમજાયું નહીં..! તમે ‘અભીવ્યક્તી’ બ્લોગનું ઘરેણું છો. તમારા પ્રતીભાવમાંથી ઘણું જાણવા–શીખવા મળે છે; પછી તમને પરીવાર/નાત બહાર મુકવાનો સવાલ જ નથી…!

      Like

  3. … સ્વર્ગ નથી, ભગવાન નથી, આ ધરતી પર જ સ્વર્ગ છે, સજ્જન વ્યક્તી દેવતા છે, સત્સંગ સ્વર્ગ છે માટે આ ધરતીને જ સ્વર્ગ બનાવી લો ! આકાશમાં કોઈ સ્વર્ગ નથી. માણસ સાથે આદર અને પ્રેમપુર્વક વર્તાવ કરો, દરેકમાં દેવતાનું રુપ નીહાળો, તો સર્વ સ્થળ સ્વર્ગ જ પ્રતીત થશે. –કબીર
    લેખના આ છેલ્લા વાક્યો જ ગમ્યા. પરંતુ તેમાં પણ મારો વિરોધ છે. ભાઇ! આ વળી ” દેવતા” એ શું? નાના હતા ત્યારે સળગેલા કોલસાને દેવતા કહેતા હતા. હજુ પણ ગામડાઓમાં અગ્નિને દેવતા કહેવાય છે. દેવતાનુ રૂપ એટલે ” છેલ્લો દિવસ” . આપણા હાડકાના કોલસા થાય છે તે,,,,તે,,,,તે…તે.
    આનો અર્થ એ જ થાય કે માણસે મૃત્યુનો ભય રાખવાનો છે, નહીં કે ભગવાનનો.
    શાસ્ત્રોના નામે નકામા થોથા ફેંદવાથી કંઇ નહીં મળે. સ્વર્ગ,નર્ક,….એવા શબ્દો જોડણી કોશમાંથી કાઢવા પડશે. ચાલો, આ વાતને વાઇરલ કરીએ.
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    રોહિત કે. દરજી ” કર્મ” , હિંમતનગર

    Liked by 2 people

    1. I like your comment and agree with you. However, I believe that human should not be afraid of death….. Death is nothing but changing body. So why not look forward to change body just like we enjoy changing in to new cloths?

      In fact, (I strongly believe) Once human accept death as part of life, he/s will live their life. “Mrutiyu no bhai kaadhi naakho, tamne Jivan jivtaa aavdi jase” !!!

      Liked by 2 people

  4. પૂજ્ય રમણભાઇને અભિવ્યક્તિને પાને જોઇને અતિ આનંદ થયો. ગુજરાત દર્પણની સાહિત્યસભામાં તેમને પ્રત્યક્ષ મળીને સાંભળીને અને તેમની સાથે વાતો કરીને જે આનંદ અનુભવેલો તે તો અવર્ણનીય છે. તેમની આત્મકથાનું અવલોકન કરીને મેં અેક અનઘીકૃત ચેષ્ટા કરેલી તેવું કહેવાય પરંતુ ગુજરાત દર્પણના ‘ ગુજરાત દર્પણ જ્ઞાન પરબ‘ ના મારા વિભાગને માટે આ જરુરી હતું. શ્રી રમણભાઇને મારા અવલોકનની છપાયેલી કોપી, ગુજરાત દર્પણના તે અંક થકી આપી હતી. તેમાં જગ્યાને અભાવે થોડી કાપ કુપ કરાયેલી હતી. , માટે મારી હેન્ડરીટન આખી કોપી પણ આપી હતી તે જીવનભર યાદ રહેશે. શ્રી રમણભાઇના લેખને જ વાંચીને જીવનમાં ઉતારવાનો હોય…..તેટલો સબળ તે લેખ હોય છે…‘ વાચસ્પતિ‘ રહ્યાને !
    આ લેખને અંતે લેખક સંપર્ક માટે લખવામાં આવ્યો છે કે: અફસોસ….પ્રા. રમણ પાઠક, ‘વાચસ્પતિ‘ હવે અાપણી વચ્ચે નથી. હાં…શારિરીક હાજરી તેમની આપણી વચ્ચે નથી પરંતુ અેક માર્ગચિંઘક…મહાન વ્યક્તિ તેમના લખાણો થકી આપણી વચ્ચે હરેક મીનીટ…મિનીટ આપણી વચ્ચે હજરાજુર છે અને રહેશે. ગોવિંદભાઇઅે તેમનો આ લેખ છાપીને સુંદર મદદ વાચકોને કરી છે. તે જ રીતે તેમના બીજા લેખો પણ છાપીને જેમની પાસે ઇ. મેઇલની વ્યવસ્થા નથી તેમને મદદરુપ થવાય. ઇ. મેઇલની કૃતિ માટે પણ ગોવિદભાઇનો આભાર કારણ કે હવે તે અજરામર થઇ. પેપર નાશ પામે પરંતુ ઇ.મેઇલની સાચવણી અમર જ ગણી શકાય. આપણી આવતી પેઢીને માટે.
    આજ સુઘીના મારા અભ્યાસના નીચોડની વાત કહેવી હોય તો આ વહેવારમાં અંઘશ્રઘ્ઘા જીવી રહી છે તેનાં મૂળિયા ‘ વર્ણવ્યવસ્થા‘ અે રોપેલાં છે.
    સાહિલ…કહી ગયેલાં…‘ ઇન્સાન સે મિલના તુજે આયા નહિ હૈ ‘સાહિલ‘,
    ભગવાન સે મિલને કી આરઝું પે હંસી આતી હૈ.‘
    સંત કબિરનો ઉલ્લેખ થયો છે…તો તેમણે કહેલી થોડી વાતો……..
    (૧) પત્થર પૂજે પ્રભુ મીલે, તો મેં પૂજું પહાડ,
    તા તે ચક્કિ ભલી, પીસ ખાય સંસાર.
    (૨) પહાન કૈરા પૂતલા, કરિ પૂજૈ કરતાર,
    ઇન્હી ભરોસે જો રહે, તે બૂડે કાલી ઘાર.
    (૩) પાથર હી કા દેહરા, પાથર કા હી દેવ !
    પૂજનહાર આંઘરા, ક્યો કરિ માનૈ સેવ.
    (૪) પહાન ક્યાં પૂજીયે, તો નાહિ દેઇ જવાબ,
    અંઘા નર આશામુખી, યાહિ હોય ખરાબ.
    (૫) મૂરતિ ઘરિ ઘંઘા રચા, પાહન કા જગદીશ,
    મોલ લિયા બોલે નહિ, ખોટા બિસ્વા બીસ.

    આઘુનિક ‘વાચસ્પતિ ( ‘સ્વ….ના…ના…‘સ્વ‘ કેવી રીતે વાપરી શકાય ? ‘સ્વર્ગ અને ‘નર્ક‘ તો આપણી ડીક્શનરીમાં જ નથી.)
    શ્રી રમણભાઇને સત સત પ્રણામ.

    અમૃત હઝારી.
    ( અમૃત અને ઝેર…ફક્ત માનવ મનના ભાવોને વ્યક્ત કરતાં શબ્દો જ છે.)

    Liked by 4 people

  5. પ્રિય ગોવિંદ ભાઈ મારુ
    અભિવ્યક્તિ પરિવારમાં મેં ઘણાના ફોટા જોયા પણ એમાં મારો ફોટો મેં ન જોયો . એટલે મને થયું કે મને નાત બહાર મુક્યો .

    Like

  6. પ્રિય ગોવિંદ ભાઈ
    હવે મારો ફોટો દેખાયો .
    પ્રથમ મારી આંખે મને ભુલાવામાં નાખ્યો હશે . હું નજર બંધી કરીને જોનારની આંખને ભુલાવામાં નાખું છું એમ મારી આંખે મને ભુલાવામાં નાખ્યો એટલે મને ફોટો નહિ દેખાયો . હોય

    Liked by 1 person

    1. વહાલા વડીલ આતાજી,
      ‘અભીવ્યક્તી’ બ્લોગની જમણી બાજુએ ‘સભ્ય પદ’માં 1502 મીત્રોનો સંખ્યા દર્શાવે છે. જેની સામે ફક્ત 50 મીત્રોના જ ફોટા ફરતાં રહેતાં હોય છે. એટલે આ તો વેબસાઈટનો જ ચમત્કાર છે…! બીજું કશું નથી…!!

      Like

  7. પ્રિય અમૃત ભાઈ હજારી તમારી વાત મને ગમી મારી મા એક ગીત ગાતી .
    ચેતન જડને જાચવા બેઠું તું મને કૈક દે
    તારું બેહાડ્યું હું બેઠું તારી એક ફૂટી કે બે
    આવે નાગપાંચમ નાગદેવ પૂજે ગારાના નાગલા બનાવેજી
    જીવતો નાગ જો ઘરમાં નીકળે તો બંદૂક વાળાને તેડાવેજી

    Liked by 2 people

  8. Imagination vs Logic
    Spiritual vs Reality
    Blind-faith vs Science

    Yes, I do agree and still wonder how Elephant vital organ fit to Ganesh??

    My biggest question is How Gandhaari give birth to 101 child??? And what or how long they have been intercourse where she got pregnant with 101 fetus?

    Recently, someone put on Facebook stating that all of Kaurav were incubated like modern test tube baby. And claim that test tube baby science was invented by Gandhaari???

    For me ; every happy moment is my Swarg. Every sad moment or obstacle in my life is my Nark… I live through this fact through my life, until time to change body…

    Liked by 1 person

  9. પ્રિય પ્રજ્ઞા બેન
    વિજ્ઞાન કેટલું આગળ વધી રહ્યું છે . તે કલ્પનાતીત છે .અને આવા વિજ્ઞાન યુગમાં ઘણા લોકો આકાશમાં સ્વર્ગ નર્ક છે અને જુદા જુદા સંપ્ર દાયોના કેટલાય ધામો છે . મૃત્યુ પછી ફરીથી જન્મ થાય છે .એવું દૃઢપણે માને છે .

    Liked by 1 person

  10. પ્રિય ચોક્સી ભાઈ અમેરિકન ની ચલણી નોટમાં અમે પરમેશ્વરને માનીએ છીએ એ દેખાડવા માટે જેમ જેમ ભારતના જુદા જુદા સંપ્રદાયોમાં જુદા જુદા કપાળમાં તિલક કરવાના હોય છે .અને ડોકમાં માળા પહેરે છે .હાથમાં માળા જોઈ શકાય એમ રાખે છે .અને એપણ ફોટા પડાવતી વખતે તો ખાસ પોતાની હથેળીમાં લટકતી રાખે છે . એ ફક્ત અમે કેટલા ધાર્મિક છીએ એ દેખાડવા માટે

    Liked by 1 person

  11. ઇજિપ્તનો હાલનો પ્રધાન બહુ ધાર્મિક છે . એના કપાળમાં કાળાં ચાઠાં છે . કેમકે એ પાંચ વખત નમાજ પઢે છે .
    ક્રિશ્ચિયન ના કોક સંપ્રદાયમાં કોઈ તહેવારના દિવસે મસનો ચાંદલો કરવાનો હોય છે . આ ચાંદલો કર્યા પછી ભૂંસી નાખવાનો હોય છે . પણ કેટલાક આખો દિવસ ચાંદલો ભૂંસતા નથી હોતા .

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s