દુ:ખ નીવારણના ભ્રામક ઉપાયો
–નાથુભાઈ ડોડીયા
ભાગ –બે
23 સપ્ટેમ્બર, 2016ના રોજ દુ:ખ નીવારણના 15 ઉપાયો રજુ કર્યા હતા,
https://govindmaru.wordpress.com/2016/09/23/nathubhai-dodiya-4/
તે પુર્ણ થાય છે. તા. 9/10/2016ના રોજ તેની ‘ઈ.બુક’નો લોકાર્પણ થયે સૌને મોકલીશ.
…હવે આગળ વાંચો…
(16) ગ્રહોની વીપરીત અસરમાંથી મુક્ત થવા લોકો બ્રાહ્મણ પાસે પૈસા આપીને મન્ત્રજાપ કરાવે છે. ધર્મશાસ્ત્રમાં મન્ત્રનો અર્થ વીચારધારા અને જપનો અર્થ તે વીચારધારાનું ચીન્તન કરી તેનો જીવનમાં અમલ કરવાનો છે. પોપટ રટણની જેમ મન્ત્રજાપ કરવાથી મનની એકાગ્રતા અને શાન્તી જપ કરનારને થાય છે; પણ તે માટે પૈસા આપનારને આ લાભ મળતો નથી. આથી નાણાંને જોરે બીજા પાસે જાપ કરાવવાથી દુ:ખ કેવી રીતે દુર થઈ શકે ? તે વીવેકબુદ્ધી ધરાવનારાએ વીચારવું જોઈએ.
(17) સમાચારપત્રોમાં રાશીવાર ભવીષ્યવાણીઓ પ્રસીદ્ધ કરવામાં આવે છે. રામ અને રાવણ તથા કૃષ્ણ અને કંસની એક જ રાશી હતી. તેમ છતાં ઈતીહાસની એક જ ક્ષણે એકનો વીજય અને બીજાનો પરાજય થયો. લવ અને કુશ જોડકા ભાઈઓ હતા, આથી તેમની એક જ રાશી હોવી જોઈએ; પણ તેઓનાં નામ ક્રમશ: મેષ અને મીથુન રાશીનાં છે. આ જ સીદ્ધ કરે છે કે રામાયણકાળમાં રાશી આધારીત નામો રાખવાની પરીપાટી ન હતી. જુદાં જુદાં સમાચારપત્રો કે સામયીકોમાં પ્રસીદ્ધ થતા એક જ સમયના રાશીવાર ભવીષ્યનું તુલનાત્મક અધ્યયન કરવામાં આવે તો, તેમાં સ્પષ્ટપણે વીરોધાભાસ જણાશે. તા. 26મી જાન્યુઆરી, 2001ના રોજ ભુજ–કચ્છમાં થયેલા ધરતીકમ્પમાં મૃત્યુ પામેલા, ઈજાગ્રસ્તો કે મકાન–રોજગારી ગુમાવનાર વ્યક્તીઓની યાદીનું અવલોકન કરશો તો તેમાં બારેય રાશીઓની વ્યક્તીઓ જોવામાં આવશે.
(18) લોકસભાની ચુંટણી પહેલાં શ્રી. નરસીંહરાવ કે શ્રી. દેવગોવડા ભારતના વડાપ્રધાન બનશે એવી રાજકીય આગાહી કોઈ રાજકીય જ્યોતીષે કરી ન હતી; કારણ કે તેઓ લોકસભાની ચુંટણીમાં ઉભા ન હતા તથા વડા પ્રધાનના દાવેદાર ઉમેદવારમાં તેમના નામની ગણતરી જ ન હતી ! આમ છતાં તેઓ ભારતના વડાપ્રધાન થયા હતા.
(19) હસ્તરેખામાં પતી અને પત્નીની સન્તાનરેખા એક જ સરખી હોવી જોઈએ. પત્નીના હાથમાં ચાર સન્તાન અને પતીના હાથમાં ત્રણ કે પાંચ સન્તાનની રેખા હોય તો તેનો અર્થ શો ? સમાજમાં કંઈ બધા મનુષ્યો વ્યભીચારી નથી.
(20) આજકાલ તો કુટુમ્બનીયોજન દ્વારા સન્તાનોની સંખ્યા અંગેની ભવીષ્યવાણી નીષ્ફળ બનાવવી સહજ થઈ ગઈ છે.
(21) ચુંટણીમાં બધા જ ઉમેદવારો શ્રેષ્ઠ મુહુર્ત જોઈને જ પોતાની ઉમેદવારી નોંધાવે છે; પણ ચુંટણીમાં એક જ ઉમેદવાર જીતે છે અને બાકીના બધા પરાજીત થાય છે !
(22) ફલીત જ્યોતીષ પ્રમાણે એવી માન્યતા છે કે મુળ નક્ષત્રમાં જન્મેલું બાળક, કુળનું નીકન્દન કાઢી નાખે છે. રામચરીતમાનસના રચયીતા ગોસ્વામી તુલસીદાસજીનો જન્મ મુળ નક્ષત્રમાં થયો હતો. તેઓએ પોતાના કુળનું નામ દીપાવ્યું કે ડુબાડ્યું ?
(23) વાસ્તુશાસ્ત્ર મુજબ ધન્ધો કે ઘરમાં નીષ્ફળતા કે હાની માટે ઓરડાની દીવાલ, પ્રવેશદ્વાર, દાદર કે રસોડાની દીશાઓને જવાબદાર માનવામાં આવે છે અને તેમાંથી મુક્તી મેળવવા હજારો રુપીયા ખર્ચ કરી તેની દીશા ફેરવાવી, પુજા–વીધી કરાવવામાં આવે છે. નવા મકાન કે કારખાના નીર્માણ વખતે વાસ્તુશાસ્ત્રીની સલાહ લઈને દીવાલ, દાદર, પ્રવેશદ્વાર કે રસોડાની દીશાઓ નક્કી કરવામાં આવે છે. આ સન્દર્ભમાં જણાવવાનું કે ઋગ્વેદના સાતમા મંડળના 54 અને 55 તથા અથર્વવેદના નવમા મંડળના સાતમા સુક્તમાં ભવનનીર્માણ અંગેનો ઉપદેશ છે. દયાનન્દ સરસ્વતીએ સંસ્કારવીધીમાં ગૃહનીર્માણ અને ગૃહપ્રવેશ વીધીમાં વેદ અને પારસ્કર ગુહ્યસુત્રોના મન્ત્રો ઉદ્ ધૃત કરીને પ્રવેશદ્વાર, બારી–બારણાંની દીશાઓ તથા જુદી જુદી કામગીરી માટે જુદા જુદા ઓરડાઓ રાખવા અંગે, હવાની અવરજવર અને સુર્યપ્રકાશને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન આપવામાં આવેલું, જેથી ભવનની મજબુતાઈ અને ગૃહસ્થીઓની તન્દુરસ્તી સારી રીતે જળવાય. બીજું, મનુષ્યનાં સુખ–દુ:ખનો આધાર તેમનું કર્મ છે, મકાનની દીવાલ, પ્રવેશદ્વાર કે રસોડાની દીશા નહીં.
(24) કેટલાક અધીકારીઓ બદલી, બઢતી કે તપાસની કાર્યવાહીમાંથી નીર્દોષ બચવા જ્યોતીષના શરણે જાય છે. તેઓની સુચના મુજબ પોતાના ટેબલ–ખુરશીની દીશામાં પરીવર્તન કરે છે. વહીવટી દૃષ્ટીએ મુલાકાતીઓ સામેથી પ્રવેશ કરે તે શ્રેષ્ઠ બેઠકવ્યવસ્થા છે. આમ છતાં કોઈવાર અધીકારીઓ જ્યોતીષીની સલાહ મુજબ પીઠ પાછળથી મુલાકાતીઓ પ્રવેશે એવી બેઠકવ્યવસ્થા રાખે છે. ખરેખર તો વહીવટની સફળતાનો આધાર કાર્યક્ષમતા અને નીષ્પક્ષતા છે, ટેબલ–ખુરશીની દીશા નહીં.
(25) અજ્ઞાની લોકો વૈદકશાસ્ત્ર અને પદાર્થવીજ્ઞાનના સત્ય જ્ઞાનના અભાવે સન્નીપાત, જ્વર, વગેરે શારીરીક અને ઉન્માદ જેવા માનસરોગોને ભુત–પ્રેતની અસર માની તેના નીવારણ માટે ભુવા–તાન્ત્રીકના શરણે જાય છે. ખરેખર તો આ દુનીયામાં ભુત–પ્રેત નામની યોની જ અસ્તીત્વમાં નથી ! જીવાત્મા પોતાનાં કર્મ મુજબ પુનર્જન્મ કે મુક્તી તરત જ મેળવતો હોવાથી તેને ભટકવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થીત થતો નથી.
(26) મનુષ્ય રોગ દુર કરવા, દેવામાંથી મુક્ત થવા, રોજગારી બદલી કે બઢતી મેળવવા, ચોરાયેલી કે ખોવાયેલી વસ્તુઓ પરત મેળવવા, સગપણ–લગ્ન જલદી થાય વગેરે માટે વીવીધ પ્રકારની બાધા–માનતાઓ–વ્રત રાખે છે અથવા મન્ત્રેલું પાણી, ભસ્મ, માંદળીયાંનો ઉપયોગ કરે છે. આ સન્દર્ભમાં રામાયણ આપણને આદર્શ માર્ગદર્શન આપે છે. શ્રીરામે સ્વયંવરમાં સીતાને પ્રાપ્ત કરવા કે સીતાજીને શોધવા પુરુષાર્થ કરેલો; પણ કોઈ બાધા–માનતા કે વ્રત રાખેલાં નહોતાં તથા કોઈ જ્યોતીષીનો સમ્પર્ક પણ સાધેલો નહીં. બીજું, લક્ષ્મણની મુર્છા દુર કરવા મન્ત્રેલું પાણી, માંદળીયાં કે બાધા–માનતા–વ્રત રાખવાને બદલે વૈદ્યરાજને બોલાવી તેની સારવાર કરી હતી.
(27) આપણે લગ્ન વગેરે શુભપ્રસંગો મુહુર્ત જોવડાવીને રાખીએ છીએ. લગ્નની મોસમમાં ઉત્તમ મુહુર્તના દીવસે ગાડી–બસમાં અતીભીડ, વાડી, ગોરમહારાજ કે રસોયાની અછત વગેરેનો અનુભવ કરીએ છીએ. ખરેખર તો મુહુર્ત સમયના માપનું એક સાધન છે. એક દીવસમાં 30 મુહુર્ત આવે છે. એટલે એક મુહુર્તનો સમય 48 મીનીટનો છે. શુક્રનીતીમાં રાજાની દીનચર્યાના વર્ણનમાં મુહુર્તનો, સમયના એક માપ તરીકે ઉલ્લેખ છે. કાળ(સમય) જડ, નીષ્ક્રીય અને નીત્ય છે. તે અનન્ત, અનાદી સર્વત્ર અને સર્વદા એક સમાન જ રહે છે. કોઈ કાર્યની સફળતા કે નીષ્ફળતા માટે તે નીમીત્ત નથી. નીતીકારોએ સ્પષ્ટ ઘોષણા કરી છે – ‘શુભસ્ય શીઘ્રમ્’ (શુભકાર્ય તરત કરો) અને ‘આલસ્યાદમૃતં વીષમ્’ (ઢીલ કરવામાં અમૃત પણ ઝેર બને છે).
(28) પીતૃઓના ઉદ્ધાર માટે લાખ–બે લાખ રુપીયાનો ખર્ચ કરી ભાગવત સપ્તાહ બેસાડવામાં આવે છે અને તેમાં સગા–સમ્બન્ધી, મીત્રોને આમન્ત્રણ આપવામાં આવે છે. ઈશ્વરી ન્યાયવ્યવસ્થા અને કર્મના સીદ્ધાન્ત મુજબ, મૃત્યુ પામેલા દરેક પીતૃઓ એટલે કે વડીલોને, તેમના કર્મ મુજબ પુનર્જન્મ કે મુક્તી તરત જ મળે છે. આથી ભાગવત સપ્તાહ દ્વારા મૃત્યુ પામેલ પીતૃઓનો ઉદ્ધાર કેવી રીતે સંભવીત થઈ શકે ? આવી જ રીતે પૈસાના જોરે મુક્તી મળતી હોય તો ધનવાનોના પીતૃઓ સ્વર્ગમાં જાય અને ગરીબોના પીતૃઓ નરકમાં અટવાયા કરે !
(29) યુવાન પુત્રનું અવસાન થાય તો તેના ઉદ્ધાર માટે અને તે વડીલોને નડતરરુપ ન થાય એ હેતુથી લીલ પરણાવવાની વીધી કરવામાં આવે છે. આ લીલમાં ગાય–વાછરડાને પરણાવવાની વીધી કરવામાં આવે છે. આ વીધીનો મુખ્ય હેતુ અવસાન પામેલા પુત્રની લગ્નની અભીલાષા પુરી કરવાનો છે, જેથી તેના આત્માની તૃપ્તી થાય. કર્મના સીદ્ધાન્ત સાથે આ વીધી સુસંગત નથી; કારણ કે મૃત્યુ પામેલા યુવાનને તો તેના કર્મ મુજબ બીજો જન્મ મળી ગયો છે. બીજું, મા–બાપના ભવીષ્યના આધાર સ્તમ્ભે આ દુનીયામાંથી વીદાય લીધી હોય તે સમયે લીલ પરણાવવાની વીધી દ્વારા તેની ઉપર બીજો આર્થીક બોજો નાખવો કેટલો વાજબી છે ? ત્રીજું, ઘણી વખત અવસાન પામેલા યુવકની ઈચ્છા ઉચ્ચ અભ્યાસની હોય, લગ્નની નહીં; તેને માટે ગાય–વાછરડાનાં લગ્નના નાટકને બદલે અભ્યાસનું નાટક વધુ વાજબી છે. ચોથું, ગાય અને વાછરડાનો સમ્બન્ધ મા–દીકરાનો છે જે સમાજમાં સૌથી પવીત્ર સમ્બન્ધ છે; તેને પરણાવવાનું નાટક કેટલું ઉચીત છે ?
(30) ઘણી વખત પીતૃઓની અતૃપ્તી કે નડતરને દુ:ખનું કારણ માનવામાં આવે છે અને તેના નીવારણ માટે નારાયણબલીનો વીધી કરવામાં આવે છે. છોરું કછોરું થાય; પણ માવતર કમાવતર ન થાય. જે પીતૃઓ અગાઉ અવસાન પામ્યા છે, તે પોતાના કર્મ અને ઈશ્વરી ન્યાયવ્યવસ્થા મુજબ બીજો જન્મ કે મુક્તી પામ્યા હશે જ. આથી તેઓ પોતાનાં સન્તાનને નડતરરુપ થાય તે વાત ધર્મશાસ્ત્ર કે તર્કના આધારે સંભવીત નથી. મહર્ષી દયાનન્દ સરસ્વતીએ જન્મપત્રીકા, ભુત–પ્રેત, મુહુર્ત વગેરે અન્ધશ્રદ્ધા અંગે સત્યાર્થ પ્રકાશના બીજા અને અગીયારમાં સમુલ્લાસમાં સ્પષ્ટ માર્ગદર્શન આપેલ છે, જેનું જીજ્ઞાસુઓએ અધ્યયન કરવું.
નાના નાના મચ્છરો કરતાં જંગલી વાઘ–સીંહ ભયંકર પ્રાણીઓ છે અને મનુષ્યો તેનાથી વધુ ડરે છે. પણ વાઘ–સીંહથી મરનારની સંખ્યા નહીંવત્ હોય છે; જ્યારે નાનકડા મચ્છરોથી ફેલાતા મલેરીયાથી વધુ મનુષ્યો મૃત્યુને ભેટે છે. આવી જ રીતે ફલીત જ્યોતીષ, પીતૃદોષ, ભુત–પ્રેત વગેરે નાનકડી અન્ધશ્રદ્ધા જણાય છે; પણ ઉંડાણપુર્વક ચીન્તન–મનન કરીશું તો સમજાશે કે આ અન્ધશ્રદ્ધા શારીરીક, આર્થીક, સામાજીક કે રાષ્ટ્રીય રીતે વ્યક્તી અને સમાજને અતીનુકસાનકર્તા છે. આજે તો આ અન્ધશ્રદ્ધાને વૈજ્ઞાનીકતાનો ઓપ આપી એનો બચાવ કરવામાં આવે છે ! આશ્ચર્ય તો એ વાતનું છે કે મોટા ભાગના ધર્માચાર્યો અને ધર્મધુરન્ધરો આ ફલીત જ્યોતીષ, પીતૃદોષ કે ભુત–પ્રેતની અન્ધશ્રદ્ધા નીવારણ માટે કોઈ વીશેષ પ્રયત્ન જ કરતા નથી !
છેલ્લે, શીક્ષીત અને આર્થીક રીતે સમૃદ્ધ મીત્રોને વીનન્તી છે કે, પોતાની શક્તી મુજબ ઉપર્યુક્ત અન્ધશ્રદ્ધા નીવારણ માટે પ્રયત્ન કરે.
આ નાનકડી પુસ્તીકા પ્રકાશનનો કૉપી રાઈટ જનતા જનાર્દનને આપવામાં પણ આવે છે. કોઈપણ વ્યક્તી કે સંસ્થા આ પુસ્તીકાને છપાવી કે ઝેરોક્ષ કરાવી તેનું વીતરણ કરી શકે છે.
–નાથુભાઈ ડોડીયા
સાચા, નીષ્ઠાવન્ત આર્યસમાજી શ્રી. નાથુભાઈ ડોડીયાએ સમાજસુધારા તથા ધર્મસુધારાના ક્રાન્તીકારી કાર્ય અન્તર્ગત 66 જેટલાં પુસ્તકોની 6,66,000 પ્રત પ્રકાશીત કરી છે. આ ‘દુ:ખ નીવારણના ભ્રામક ઉપાયો’ (સુધારેલું સંસ્કરણ : ફેબ્રુઆરી, 2016, પૃષ્ઠસંખ્યા : 16, મુલ્ય : એકસો પ્રતના 200/-) નામે આ નાનકડી પુસ્તીકાની 1,00,000 પ્રત પ્રકાશીત કરી છે. તેઓના આ પુરુષાર્થ બદલ અઢળક અભીનન્દન…
પ્રચાર–પ્રસાર અર્થે ‘અભીવ્યક્તી’ને ‘દુ:ખ નીવારણના ભ્રામક ઉપાયો’ પુસ્તીકાઓ ભેટ મોકલવા માટે આભાર. આ જ પુસ્તીકાનાં પાન 16થી 30 ઉપરથી ઉપરોક્ત 15 મુદ્દાઓ લેખકશ્રી અને પ્રકાશકશ્રી (આર્યસમાજ, નવા ડેરા, ભરુચ – 392 001)ના સૌજન્યથી સાભાર…
લેખક–સંપર્ક : શ્રી. નાથુભાઈ કેશવલાલ ડોડીયા, ‘સીદ્ધાર્થ’, મન્દીરવાળી ગલીમાં, જ્યોતીનગર, ગોદાવરી પાર્ક પાસે, મક્તમપુર–ઝાડેશ્વર રોડ, ભરુચ – 392 001 ફોન : (02642) 225671 સેલફોન : 99988 07256
‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’ વીશે :
રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ ‘લેક્સિકોન’ http://www.gujaratilexicon.com/ebooks/ પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે.
નવી દૃષ્ટીનવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત સાવધાની રાખીશ..
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હા. સોસાયટી, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, એરુ ચાર રસ્તા, પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 30/09/2016
ગોવિંદભાઇ,
આ લેખની હેન્ડબીલ કોપી કાઢીને દરેક શાળામાં વિદ્યાર્થીઓને વાંચવા આપીને પછી ચર્ચા કરાવો…..૫૦ વરસો ઉપરનાઓને પણ આપો…સાથે સાથે સિનિયરોને ચર્ચામાં જોડો….સ્ત્રીઓને તો ખાસ……..અેકવાર સ્ત્રીઓ સમજી જશે તો સમાજ જીતી જશે……સ્ત્રીઓને સમજાવવું રહ્યું……..ભણેલી કે અભણ સ્ત્રી…..સૌને સમજાવવનું મહાન કાર્ય જો સફળતા પૂર્વક પાર પડે તો…જગ જીત્યારે લોલ…..
શ્રી નાથુભાઇને સલામ. ગોવિંદભાઇને અભિનંદન.
અમૃત હઝારી
LikeLiked by 1 person
“શ્રી નાથુભાઇને સલામ. ગોવિંદભાઇને અભિનંદન”.
સાથે શ્રી અમૃત હઝારીનો આભાર.
LikeLiked by 2 people
Dear Govindbhai
Thank you for part II
Praful Thar
LikeLiked by 1 person
પ્રિય ગોવિંદભાઇ અને નાથુભાઈ ડોડીયાને ઘણા બધા ધન્યવાદ બહુ ઉત્તમ કાર્ય તમે કરી રહ્યા છો . મને હું જરાક સમજણો થયો ત્યારથી મારામાંથી અંધશ્રદ્ધા ભાગી ગઈ છે . મારુ સરનામ એટલેકે અટક જોશી છે . મારા નાના દીકરાની અટક બદલાવી નાખીને અમારા ગોત્રની અટક રાખી દીધી ભારદ્વાજ
LikeLiked by 1 person
Reblogged this on .
LikeLiked by 1 person
‘દુ:ખ નીવારણના ભ્રામક ઉપાયો (ભાગ–બે)’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ..
LikeLiked by 1 person
એક પ્રસંગ મિત્રો માટે લખું છું. કેટલાક સ્નેહીઓને કદાચ ન પણ ગમે પણ મને ગમે છે. અને કદાચ મારા જેવા મિત્રોને પણ ગમશે આવા અનુભવોને લીધે હું ખુશ છું. અને મને વૃદ્ધવસ્થાનો ભાર લાગતો નથી. ટે.ને.સી મારા પૌત્ર ડેવિડ સાથે રહેવા આવ્યા પછી હું કાળા અખરોટના ફળોની ઓકના ડોડવાની માળાઓ બનાવું છું, આવી માળા બનાવેલો પહેરેલો ફોટો આપે આતાવાણીમાં જોયો હશે. એક ભાઈ જેના ડોકમાં માળા હોય છે. આ ભાઈ ગણતરી કરીને પ્રભુના નામની માળા ફેરવે છે. જયારે નવરા હોય ત્યારે મેં આ ભક્ત જનને મેં બનાવેલી માળા બતાવી. ત્યારે તેઓ બોલ્યા કે આવા ખોટી મહેનતના ધંધા કરવા કરતાં પ્રભુનો જાપ કરતા હો તો કંઈકે કાયાનું કલ્યાણ થાય. મેં તમને કીધું તમે મને માળા ફેરાવવામાંથી તમારો કિંમતી સમય લઇ મને સલાહ આપી તે બદલ હું તમારો આભાર માનું છું; પણ તમારી સલાહ હું નથી માનવાનો.. મેં આ સલાહ આપનાર ભાઈને મારા બનાવેલા કાવ્યની એક કડી સંભળાવી भक्ति एक दिन काम आएगी बात अच्छी बतलाई परवश होके मरते देखे भक्ति न काममे आई. મારાથી એકાદ વર્ષ નાની ઉંમરના ભક્તજન સતત માળા ફેરવતા છેલ્લે છેલ્લે એ કોઈને ઓળખી પણ નોતા શકતા. એમના પરિવારના લોકો એમના હાથમાં માળા આપતા હતા. તે માળા હાથમાંથી સરી પડતી હતી. એટલે એમની કાળજી રાખનારા એમના હાથમાં ગૌમુખી ખોસી દેતા હતા. જેમ મદારી વાંદરાના માથામાં ટોપી ખોસે એમ. હવે એ ભક્ત સ્વર્ગમાં જતા રહયા છે…!
LikeLiked by 1 person
પ્રિય ગોવિંદભાઇ અને નાથુભાઈ ડોડીયાને ઘણા બધા ધન્યવાદ..
for sending part 2 also..
sure will circulate more and more
and as suggestive ladies also should be trained
LikeLiked by 1 person
પ્રશંશા કોને નથી ગમતી ? ભગવાનને પણ તેની કોઈ પ્રશંશા કરે તો ગમતી હોય છે એવું આપણે માનીએ છી એ તો મારા જેવાને કેમ ન ગમે ?
મેં એક માળા ફેરવનાર ભાઈને મેં મારાં વખાણ કરશે એ હેતુથી ખજૂરના ઠળીયા માંથી મેં બનાવેલી માળા બતાવી એ ભાઈ કહે આવી માળા ફેરવવાથી ભગવાન પ્રસન્ન નો થાય , મેંતેમને કીધું .
, તમે સારિજાતના લાકડાની બનાવેલી માળા ફેરવો છો . તમને ભગવાન કેટલી વાર પ્રસન્ન થયા
એ ભાઈ જવાબ દીધા , વગર આ ઘા ખસી ગયા .
એક ભાઈ મને ફલી માર્કેટ જેવી જગ્યાએ ભેગા થયા . આ જગ્યાએ મેં મારી અમેરિકન મિત્ર પીતરીને આવવાનું કીધેલું . એટલે એ પણ આવેલી એ બધે ઠેકાણે ફરતી હતી . ઓલા ભાઈએ મને ચુઈંગમ ખાવા આપી મેં તમને કીધું . મને ચુઈંગમ ખાવી નથી ગમતી . તે ભાઈ બોલ્યા આતો તમારું મોઢું દુર્ગંધ મારે છે એટલે આપું છું . ખરેખર તે દિવસે મારા ડેનટિશ પાસે દાંત સાફ કરાવેલા હું એટલું મારો ગુસ્સો પરાણે દબાવીને બોલ્યો તમારું નાક બહુ તેજ છે .એટલું બોલી હું આઘો જતો રહ્યો . અને દૂર આંટા મારતી પીતરીને મળ્યો અને મેં તેને કીધું કે થોડીવારે તું મારી પાસે આવજે અને મને કિસ કરજે। હું ઓલા ભાઈ પાસે ઉભો છું . હું તે ભાઈ સાથે વાતોએ વળગ્યો આ વખતે પણ તે ભાઈ બોલ્યા . ચુઈંગમ ખાઈલો તમારું મોઢું ખુબ ગંધાય છે .એટલામાં પિતરી આવી અને મને મારા હોઠ ઉપર કિસ કરી . મેં પેલા ભાઈને કીધું આ અમેરિકન છોકરીયુને મારું મોઢું નો ગંધણું અને તમને મારા મોઢામાં દુર્ગંધ આવી આ તમે મને બીજી વખત હલકો ચિતરવાની વાત કરી હવે જો બોલ્યા તો તમને મોટી મુશીબતનો સામનો કરવો પડશે , આ તો તમે મારા મિત્ર છો એટલે ચેતવણી આપી બીજો કોઈ હોતતો એનું ડાચું ભાંગી નાખ્યું હોત આ ભાઈ ઉઠીને ભાગીજ ગયા .
LikeLiked by 1 person
મારા થોડા વક્રવિચારો.
લગ્ન અને મરણ વખતે જે જે ક્રિયા કર્મો થાય છે તે શું બધા શ્રધ્ધા , અંધશ્રધ્ધાને કારણે જ થાય છે?
જરા વિચારો એ માત્ર ટ્રેડિશન તરીકે જ ચાલ્યા કરે છે. “રિવાજોકી દુનિયામે” જેવો ઘાટ છે.
પહેલાં પણ કહ્યું હતું તેમ હું પણ જ્યોતિષ કે વાસ્તુશાસ્ત્રમાં માનતો નથી.
માત્ર ડેસ્પરેટ કે ડિપ્રેસ મણસો જ જોશીઓ પાસે જતા હોય છે. જો એ માન્યતાઓ બીજી વ્યક્તિ માટે નુકશાન કરતાં ન હોય તો આપણે ટેં ટેં કરવાની શી જરૂર. કરવા દો. અમારા અમેરિકામાં જે ટીવી પ્રોગ્રામો ચાલે છે તે પ્રેમજ્યોતિષને કારણે જ ચાલે છે. એ બિઝનેશ છે. લોકજરૂરિયાત વગર ધંધાઓ ચાલતા નથી. આ બધી વાતો ને બિઝનેશનું નામ આપ્યા વગર સમાજે ધંધા તરીકે સ્વીકારી લીધું છે. જે વર્તમાન પત્ર તમારો રેશનાલિઝમનો લેખ છાપશે તે જ વર્તમાન પત્ર દૈનિક, સાપ્તાહિક કે માસિક રાશીફળ અને ધાર્મિક જાહેરાતો પણ છાપશે જ. મંદિરો પણ ધંધો જ છે. યાત્રાઓ પણ ધંધો છે. લગ્ન મરણના રિવાજો પણ ધંધો જ છે. લગ્નમાં મહેદી, બેન્ડ, રિશેપ્શન, ડીજે અને એમ સી. એ પણ ઘંધો જ છે.
આપણે જ્યારે ગુરુ બની જઈએ ત્યારે આપણે પણ “નવરાના ધંધા” જ કરીએ છીએ.
સાંભળ્યા પ્રમાણે ભારતમાં જાતજાતની ટીવી ચેનલો પર ધાર્મિક વિચારોની ચેનલો, ધંધાકિય ધોરણે ચાલે છે. કોઈક “રેશનલ યાત્રા” જેવી ચેનલ ચાલે છે ખરી? ચાલો શરૂ કરીયે.!!!!!!
મારા મિત્ર અમૃતભાઈએ હેન્ડબીલ છપાવીને સ્કુલમાં વહેંચવાની વાત કરી તે મને ગમી. પ્રિન્ટિંગ પ્રેસ વાળાઓને તો ફાયદો થશે જ.
એક વાત વિચારવા જેવી છે. અભિવ્યક્તિની વિચારધારામાં જોડાયલા બધા જ પચાસની ઉપરના છે. એમની નજર સામે એમનો પુરાણો સમય અને સમાજ છે. આજે એ જ વડિલો પોતાના ઘરમાં જ નજર નાંખશે તો તરત જ સમજાશે કે પોતાના સંતાનો કે ગ્રાન્ડચિલ્ડ્રન તમારા લેખો વાંચ્યા વગર જ રેશનાલિસ્ટ થૈ ચૂક્યા છે. સમાજ સુધારણાનો વહેતો પ્રવાહ જોવા સમજવાની દૃષ્ટિ સિનિયરોએ જ ગુમાવી દીધી છે. સમજવા જેવી વાત તો એ છે કે ધર્મ પણ ધંધો જ છે. માન્યતાઓનો વેપાર છે. એ તો ચાલતો જ રહેશે, ચાલ્તો જ રહેશે. ધંધાની રીત રસમો બદલાશે. પણ ધર્મનો ધંધો ચાલતો જ રહેશે.
અંતમાં વ્હાલા ગોવિંદભાઇ અને નાથુભાઈ ડોડીયાને મારા irrational વિચારોની મુક્ત અભિવ્યક્તિ કરવા દેવા બદલ આભાર અને ધન્યવાદ..
LikeLiked by 1 person
જીવાત્મા પોતાનાં કર્મ મુજબ પુનર્જન્મ કે મુક્તી તરત જ મેળવતો હોવાથી તેને ભટકવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થીત થતો નથી.
મુહુર્ત સમયના માપનું એક સાધન છે. એક દીવસમાં 30 મુહુર્ત આવે છે. એટલે એક મુહુર્તનો સમય 48 મીનીટનો છે.
ઈશ્વરી ન્યાયવ્યવસ્થા અને કર્મના સીદ્ધાન્ત મુજબ, મૃત્યુ પામેલા દરેક પીતૃઓ એટલે કે વડીલોને, તેમના કર્મ મુજબ પુનર્જન્મ કે મુક્તી તરત જ મળે છે.
જે પીતૃઓ અગાઉ અવસાન પામ્યા છે, તે પોતાના કર્મ અને ઈશ્વરી ન્યાયવ્યવસ્થા મુજબ બીજો જન્મ કે મુક્તી પામ્યા હશે જ.
ફલીત જ્યોતીષ, પીતૃદોષ, ભુત–પ્રેત વગેરે નાનકડી અન્ધશ્રદ્ધા જણાય છે
આ વાક્યો અંધશ્રધ્ધાને પોષનારા વાક્યો છે, જે લેખકે ઉપરોક્ત લેખમાં પ્રયોજ્યા છે. એ વાક્યોમાં જે કંઇ લખ્યુ છે તે તદ્દ્ન અસત્ય છે, હંબગ છે અને તૂત છે. અંધશ્રધ્ધા ક્યારેય નાનકડી ના હોય.
આભાર ગોવિંદભાઇનો….
@ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
રોહિત દરજી” કર્મ” ,હિંમતનગર
LikeLiked by 1 person
સ્નેહી પ્રવિણભાઇ,
સૂંદર અને અેપ્લીકેબલ લોજીક તમે દાખલાઓ સાથે સાબિત કરી દીઘું. સિક્કાની બે બાજુ કરતાં વઘુ બાજુઓ હોય છે તે મેં સ્વિકારી લીઘું. છતાં જીવનનો જાગતો દાખલો જે યુવા કે બાળકો માટે ટાંક્યો છે તે અમેરિકામાં થોડા અેવા પ્રમાણમાં આવતો જાય છે. છોકરાંઓ રેશનલ બનતા જાય છે. પરંતુ હજી પણ તેઓને તહેવારોની ઉજવણીઓમાં જુઓ…કદાચ બીજા હેતુ (?) લઇને પણ જતાં હોય તે પણ બને…( સિક્કાની અેક બીજી બાજુ.)….
ભારતમાં વાતાવરણ રેશનલ થઇ રહ્યુ છે તે હજી પણ કહેવા કરતાં કહું કે નવી જનરેશન વઘુ ઘાર્મિક…કે ઘરમમાં માનતા હોય તવાં કરમો કરતાં થયા છે….જીવનમાં પોતે જે ટોળીમાં ભાગ લઇ રહ્યો છે તે અેક ઇનડીરેક્ટલી વેપારનો ભાગ છે તે સમજતો નથી હોતો….અે તો ટોળાશાહીમાં મહાલતો હોય છે. મહોલ્લે મહોલ્લે મંદિરો બની રહ્યા છે…..( અહિં વુડબ્રિજ ટાઉનશીપ કે ન્યુ જર્સીમાં નજર દોડાવો…કેટલાં મંદિરો છે અને બને છે…અને ભક્તોની સંખ્યા ગણો…મઝા આવશે.)
રેટ ઓફ કન્વ્રઝન ઇઝ વેરી વેરી સ્લો…અમેરિકામાં….સુંદર દાખલો સાઉથ ઇન્ડીયનોનો છે..બીજો સ્વામીનારાયણનો છે….પછી હવેલીવાળાઓનો છે…ગણયા ગણાય નહિ અને વિણયા વિણાય નહિ…) આજના જન્મેલાની બઘી જ વિઘિ …નામ સાથે…કુંડળી સાથે….કરવામાં આવે છે..(.મોટા ટકાવાળી રીતે…) તમારું અેક વાક્ય સો ટકા અને ઉપર બે પૈસા સાચુ છે અને તે છે…આ બઘુ જ અેક (સાચા) વેપારના રુપમાં કરવામાં આવે છે…અને તે પણ હરણની ખાલ પહેરેલા શિયાળ દ્વ્રારા……બાકી કોને વેપારમાં ખોટ ખાવાની ગમે ?…વેપાર તો વઘતો જ સારો……કહેવત છે કે………મરો….પણ બ્રાહ્મણનું તરભાણુ ભરો. વેપાર મહાન છે….વેપારને કોઇ મરણ નથી…તે અજર…અમર છે…અને અમે તેને અમર રાખીશું……
મારા વિચારોની અેક બીજી બાજુ…..
અમૃત હઝારી.
LikeLiked by 1 person
પ્રિય ગોવિંદભાઇ
તમે મારુ લખાણ કોમેન્ટના ખાનામાં મૂક્યું એ મને ગમ્યું .કેટલાક મંદિરોમાં મૂર્તિને જમાડતાં પહેલાં ગીત ગાવામાં આવે છે . એને થાળ બોલ્યો કહેવાય , આ થાળ ગીતમાં ભોજન સામગ્રીઓની પ્રશંશા હોય છે . અને આરીતે મૂર્તિને લલચાવવામાં આવે છે . એક ઠેકાણે મેં જોયું તો પૂજારી ભોજનની વાનગીઓની ભરેલી થાળી લઇ મૂર્તિ આગળ ધરે એક મેમાન જે બહારથી આવેલો હતો . કૈંક આગળ પડતો હશે . એ મેમાન જ્યારે પૂજારી જે ભગવાનની મૂર્તિ આગળ થાળ ધરે તે ભગવાનનું નામ દઈને બોલે કૃષ્ણ ભગવાન જમો રામ ભગવાન જમો . મહાદેવ ભગવાન જમો આમ દરેક મૂર્તિઓના નામ દઈને બોલે
એક ઠેકાણે એક મહાન ભગત મૂર્તિને સ્ત્રીઓ મેકઅપ કરે એવી રીતે મેકઅપ કરે આટલેથી પૂર્ણ નથી . પછી મૂર્તિની સામે અરીસો ધરે કે જેથી ભગવાન જોઈ શકે કે મેકઅપ બરાબર છેકે કેમ .
LikeLiked by 1 person
Liked.
LikeLiked by 1 person
પ્રિય ગોવિંદ ભાઈ મારુ
નાથુ ભાઈ ડોડીયાની વાત ગમી .
દેવ પૂજન . મહેમાનોનું સ્વાગત કરવું સંતાનો ઉત્પન્ન કરવાં આવાં કામો જાતે કરવાનાં હોય છે . આ કામ કોઈ પાસે નો કરાવાય ,
LikeLiked by 1 person
પ્રિય ગોવિંદ ભાઈ
થોડા દિવસ માટે હું કોમ્પ્યુટર ને વેકેશન ગાળવા મોકલીશ આતા
LikeLiked by 1 person
તાજી જ સત્યઘટના !! વાચો વિચારો સમજો, આવી ભ્રામક ક્રિયાકાંડથી બચવું હોય તો બચો.
ભોપાલ દુર્ઘટના બની એ ગાળામાં, કેટ કેટલા ક્રીયાકાંડી ભીખ મંગા બ્રાહ્મણોએ કે પંડાઓએ ૨૦૦૦ થી વધુ લગ્નોના શુભ દિવસો અને શુભ મૂહુર્તો કાઢી આપેલા . એ આધારે ક્ન્કોન્ત્રીઓ અને આમન્ત્રનો રવાના થઇ ગયેલા . પરંતુ આ સુભમૂહુર્તો એવી દુર્ઘટનામાં ફેરવાયા કે એ શહેર અને આજુબાજુના કેટલાયે મોટા વિસ્તારના નાના મોટા તમામ વહેવારો જડબેસલાક સદતર અઠવાડિયાંઔ સુધી ઠપ થઈ જતા . આ બધા જ લગ્નો મોકૂફ કરવા પડેલા .
….. અને આવી જ દુર્ઘટના પંજાબ હરિયાણા બંધનું એલાન થયેલું ત્યરે પણ બનેલી.
કોઇપણ ભણેલા કે અભણ ને કે કોમન સેન્સ ધરાવનારને પ્રશ્ન થવો જ જોઈએ કે ????
૨૦૦૦ લગ્નોના શુભ મુહુર્ત કાઢી આપનાર અંદાજે ૬૦૦- ૭૦૦ ક્રીયાકંડી બ્રાહ્મણો માંથી કોઈ એક પણ ભીખ મંગો આ દુર્ઘટનાની કડી, સંકેત કે ધાર્મિક સૂઝ કેમ ના મેળવી શકેલો ????
LikeLiked by 1 person