ભ્રમના ભરોસે

ભ્રમના ભરોસે

–બી. એમ. દવે

સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે ભ્રમ એટલે શું? મારી દૃષ્ટીએ ભ્રમ કે ભ્રમણા એટલે પોતાની રીતે માની લીધેલું સત્ય. આવું સત્ય અનુકુળ અર્થઘટન ઉપર આધારીત હોઈ શકે અથવા રુઢીગત માન્યતા પર આધારીત પણ હોઈ શકે. આવી રીતે માની લીધેલા સત્યને કોઈ પ્રમાણભુત, તાર્કીક, બૌદ્ધીક કે વૈજ્ઞાનીક ટેકો નથી હોતો, પણ આવું માની લીધેલું સત્ય ગળચટ્ટું અવશ્ય હોય છે. આવા માની લીધેલા સત્યને કસોટીની એરણ પર ન ચડાવવાનો અભીગમ અપનાવવામાં આવે છે, કારણ કે માની લીધેલું સત્ય ખોટું સાબીત થવાની દહેશત હોય છે અને તેથી આવા ભ્રમમાં રાચવાની ખુશી કે આનન્દ છીનવાઈ જવાની બીકે તેને યથાવત્ રાખવાનું વલણ જોવા મળે છે અને તેથી એમ કહી શકાય કે આવા ભ્રમના ભરોસે જીવવાનું પસન્દ કરનાર વર્ગ બહુ મોટો છે.

થોડાં ઉદાહરણોની મદદથી મારા વીચારોને વધુ સ્પષ્ટ કરવાની કોશીશ કરું છું. સરેરાશ વ્યક્તીમાં એક એવી માન્યતા અથવા કહો કે ભ્રમ હોય છે કે આપણને કોઈ શારીરીક તકલીફ ન જણાતી હોય તો કોઈ રોગ શરીરમાં નથી તેમ દૃઢપણે માની શકાય. કોઈ રોગનાં લક્ષણો ન દેખાતાં હોય તેવી વ્યક્તી સમ્પુર્ણપણે તન્દુરસ્ત છે તેવી માન્યતા પ્રવર્તે છે. વાસ્તવમાં આ એક મોટો ભ્રમ છે, જેનો ભોગ ઘણી વ્યક્તીઓ અવારનવાર બને છે અને જીવ ગુમાવે છે. હકીકતમાં સમ્પુર્ણ તબીબી તપાસ અને લૅબોરેટરીમાં પરીક્ષણ કરાવ્યા પછી તબીબી દૃષ્ટીએ ફલીત થાય કે ખરેખર કોઈ રોગ શરીરમાં નથી ત્યારે જ માની શકાય કે વ્યક્તી સમ્પુર્ણપણે તન્દુરસ્ત છે. કોઈ રોગનાં કોઈ બાહ્ય લક્ષણો દેખાતાં ન હોવા છતાં વ્યક્તી કોઈ ગમ્ભીર રોગથી પીડાતી હોય તેવું સમ્ભવી શકે છે. એવા ઘણા કીસસાઓ મેં જોયા છે, જેમાં વ્યક્તી સમ્પુર્ણપણે તન્દુરસ્ત દેખાતી હોય અને કોઈ રોગનાં કોઈ બાહ્ય લક્ષણો ન જણાતાં હોવા છતાં તબીબી પરીક્ષણમાં આ વ્યક્તી કોઈ ગમ્ભીર રોગથી પીડાતી હોવાનું નીદાન થાય.

મારા એક નજીકના મીત્રમાં મને ડાયાબીટીસનાં લક્ષણો જેવાં કે તરસ વધુ લાગવી, વારંવાર પેશાબ થવો, ભુખ વધુ લાગવી, પગનાં તળીયા બળવાં અને હોઠ સુકાવા વગેરે માલુમ પડયાં. મેં લોહીની તપાસ કરાવી લોહીમાં શુગરનું પ્રમાણ જાણવા સલાહ આપી, પણ મીત્રે ઈન્કાર કરતાં કહ્યું : ‘‘મને નખમાંય રોગ નથી અને કોઈ શારીરીક તકલીફ નથી, તો શા માટે સામે ચાલીને સુતા સર્પ જગાડવા? લોહીની તપાસ કરાવીએ અને ડાયાબીટીસ નીકળે તો જીવીએ ત્યાં સુધી દવાઓ લેવાની. અને કડક પરેજી પાળવાની અને આખી જીન્દગી ડાયાબીટીસનું ટેન્શન લઈને ફરવાનું. તેના કરતાં કાંઈ છે જ નહીં તેમ માની રાજી રહેવું સારું.’’

મારા મીત્રની આવી માનસીકતા શું સુચવે છે? મોટા ભાગની વ્યક્તીઓ પોતાનું શરીરનું લૅબોરેટરી–પરીક્ષણ કરાવવાનું ઈરાદાપુર્વક ટાળે છે. બીજા શબ્દોમાં કહીએ તો તબીબી પરીક્ષણ કરાવ્યા પછી પોતે સમ્પુર્ણપણે તન્દુરસ્ત છે તેવું પાકું કરવાને બદલે કાંઈ થતું નથી, એટલે પોતાને કોઈ રોગ નથી તેવા ભ્રમમાં રહેવાનું પસન્દ કરે છે, કારણ કે આવું માનનાર વ્યક્તીને ઉંડેઉંડે વહેમ હોય છે કે તપાસ કરાવ્યા પછી કંઈક નીકળે અને પોતે તન્દુરસ્ત હોવાનો ભ્રમ ભાંગી જાય તો? અર્થાત્ વગર પરીક્ષણે તન્દુરસ્ત હોવાના ભ્રમમાં રાચવાનું વધુ પસન્દ કરાય છે.

કેટલાંક ડાયાબીટીસના દર્દીઓ ગળ્યું ખાવા ઉપર નીયન્ત્રણ રાખી શકતાં નથી અને ગળ્યું ખાવા માટે ધમપછાડા કરતાં રહે છે. મારા એક પરીચીત ખાંડના બદલે બધી જગ્યાએ ગોળનો ઉપયોગ છુટથી કરે છે અને માને છે કે ડાયાબીટીસના દર્દીને ખાંડ ન ખવાય, પણ ગોળ ખાવામાં વાંધો નહીં. મેં તેમને સમજાવ્યા : ‘ગળપણને લાગેવળગે છે ત્યાં સુધી ડાયાબીટીસના દર્દી માટે ખાંડ અને ગોળ બન્ને નુકસાનકારક છે.’ તો મને દલીલ કરતાં કહે છે : ‘‘મને ફલાણા ડૉક્ટરે આવી છુટ આપી છે.’’ મેં તેમનો ભ્રમ દુર કરવા મારા એક ડૉક્ટર–મીત્ર પાસે લઈ જઈ સેકન્ડ ઑપીનીયન મેળવી ગેરસમજ દુર કરવા સમજાવ્યા, પણ તેઓ તૈયાર ન થયા અને કહેવા લાગ્યા : ‘‘એક વખત મરવાનું છે જ ને? તો પછી ભુખ્યા રહીને મરવા કરતાં ખાઈને મરવું શું ખોટું?’’

આ કીસ્સામાં સ્પષ્ટ રીતે સાબીત થાય છે કે આ ભાઈ ગળ્યું ખાવાનું બન્ધ ન થઈ જાય એ બીકે પોતાના ભ્રમના ભરોસે રહેવા માગે છે અને ભ્રમ ન ભાંગી જાય તેની પણ કાળજી રાખે છે. રોજીન્દા જીવનમાં વારંવાર વપરાતો શબ્દપ્રયોગ ‘જોયું જશે હવે’ આ પ્રકારની માનસીકતા છતી કરે છે.

વાચકમીત્રો! આવો, હવે થોડા કલ્પનાના ઘોડા દોડાવીએ.

સામાન્ય રીતે દરેક વ્યક્તીને લાંબું જીવવાની ઈચ્છા હોય છે; પરન્તુ આપણે આપણું આયુષ્ય કેટલું છે તે જાણતા નથી, પણ લાંબુ જીવવા મળે તેવી અદમ્ય ઝંખના હોય છે અને પોતાનું આયુષ્ય લાંબું હશે તેમ માનીને જ દરેક વ્યક્તી જીવતી હોય છે. હવે ધારો કે માણસ ઈચ્છે તો અધીકૃત રીતે પોતાના મૃત્યુની તારીખ જાણી શકે તેવી અનુકુળતા થાય તો કેટલી વ્યક્તીઓ મૃત્યુની તારીખ જાણવા ઈચ્છે? મારી ધારણા મુજબ લોખંડી મનોબળવાળી અપવાદરુપ વ્યક્તીઓ જ આવી કોશીશ કરી શકે, કારણ કે પોતાને લાંબુ આયુષ્ય ભોગવવા મળશે તેવો ભ્રમ કે રહસ્ય અકબન્ધ રહે તેવું જ બધા ઈચ્છતા હોય છે.

પોતાના મૃત્યુની તારીખ જાણ્યા પછી તદ્દન ટુંકું આયુષ્ય હોવાની અને નજીકના ભવીષ્યમાં મૃત્યુ થવાની શક્યતા પણ રહેલી હોય છે અને જો આવી જાણ થઈ જાય તો લાંબું આયુષ્ય ભોગવવા માટે સેવેલો ભ્રમ ભાંગી જાય. આમ, આ ઉદાહરણ પણ એ હકીકત પ્રતીપાદીત કરે છે કે લગભગ દરેક વ્યક્તીને પોતાને અનુકુળ એવા ભ્રમના ભરોસે જ જીવવાનું ગમતું હોય છે.

જ્યોતીષી કે તાન્ત્રીક પાસે ઘણા અન્ધશ્રદ્ધાળુઓ પોતાનું ભવીષ્ય જોવરાવવા જતા હોય છે; પણ મુળભુત રીતે તેમનો ઈરાદો આવી પડેલાં દુ:ખો કે પ્રતીકુળતાઓમાંથી છુટકારો મેળવવાનો જ હોય છે. જ્યોતીષી, ભુવા કે તાન્ત્રીક ફક્ત ભવીષ્ય જોઈને અટકી જતા હોય તો કોઈ તેમની પાસે જાય નહીં; પરન્તુ આ લોકોએ ભ્રમની જાળ ફેલાવી હોય છે કે તેઓ કોઈ વીધી દ્વારા દુ:ખોનું નીવારણ કરશે અને તેથી જ લોકો હોંશેહોંશે છેતરાવા જતા હોય છે. કહેવાનું તાત્પર્ય એ કે ભવીષ્ય જાણવાનું જોખમ કોઈ લેવા ઈચ્છે નહીં.

ગામડાનો એક ખેડુત પોતાના ખેતરમાં દરરોજ રાતવાસો કરે. ખુલ્લામાં ખાટલો ઢાળીને સુઈ જાય. આવી જ રીતે એક રાતે તે સુઈ ગયેલો અને સાપ આવી ચડ્યો અને ખાટલા પર ચડી ગયો. ખેડુત ભરઉંઘમાં હોઈ તેને ખ્યાલ ન હતો કે તેની સાથે સાપ પણ ખાટલામાં હાજર છે. ઉંઘમાં મજબુત બાંધાના ખેડુતે પડખું ફેરવતાં સાપ નીચે દબાઈ અને કચડાઈ ગયો અને છેવટે મરી ગયો. ખેડુતને ઉંઘમાં ભ્રમ થયો; પણ તેણે વીંટો વળી ગયેલ પોતાનું ફાળીયું હશે તેમ માની લીધું અને સવાર સુધી મરેલા સાપ ઉપર સુઈ રહ્યો.

સવારે આંખ ખુલી તો પથારીમાં ચુંથાઈ ગયેલો અને મરી ગયેલો સાપ જોયો અને તે ભડકી ગયો, પથારીમાંથી કુદકો મારીને ઉભો થઈ ગયો અને પરસેવે રેબઝેબ થઈ ગયો કે સાપ કરડ્યો હોત તો? આ ખેડુત સાપના બદલે વીંટો વળી ગયેલ પોતાનું ફાળીયું હોવાના ભ્રમમાં આખી રાત સાપ ઉપર સુઈ રહ્યો. જો રાત્રે જ ઉંઘમાંથી જાગી ગયો હોત અને ભ્રમ ભાંગી ગયો હોત તો આ ખેડુત જેવી રીતે સાપ ઉપર આખી રાત સુઈ શક્યો તેવી રીતે સુઈ શક્યો હોત?

એક સુખી–સમ્પન્ન ભાઈને સાદી બીડી પીવાનું વ્યસન હતું. પોતાની વૈભવી કારમાં બેઠાં–બેઠાં તેમને બીડી પીતા જોઈ એક અપરીચીત વ્યક્તીને આશ્ચર્ય થયું અને તેનાથી અનાયાસે જ પુછાઈ ગયું : ‘‘તમારું સ્ટેટસ જોતાં તમારા હાથમાં બીડી શોભતી નથી. તમારા હાથમાં મોંઘી સીગરેટ હોવી જોઈએ.’’ બીડી પીનાર ભાઈએ પ્રત્યુત્તરમાં આઘાત લાગે તેવો ખુલાસો કરતાં કહ્યું : ‘‘સીગરેટ પીવાથી ફેફસાંનું કૅન્સર થવાની શક્યતા વધી જાય છે અને બીડીમાં દેશી તમાકુ હોવાથી કૅન્સર થતું નથી.’’ આ કીસ્સામાં પણ આવી અવૈજ્ઞાનીક માન્યતા શું સુચવે છે? બીડી પીવાથી કૅન્સર ન થાય તેવા ભ્રમ હેઠળ વ્યસન ચાલુ રાખવું છે. બીડી કે સીગરેટની તમાકુમાં રહેલ નીકોટીન ધુમાડાસ્વરુપે ફેફસાંમાં જાય, એટલે કૅન્સર થવાની શક્યતા રહે, પણ આ ભાઈએ પોતાના મનને ફોસલાવવા ભ્રમ ઉભો કરી પોતે સુરક્ષીત હોવાનો આનન્દ માણવાનું પસન્દ કર્યું.

આવી જ રીતે તમાકુયુક્ત ગુટકા કરતાં 135નો માવો ઓછું નુકસાન કરે છે અને મોઢાનું કૅન્સર થવાની શક્યતા ઓછી છે તેવા ભ્રમમાં રાચનાર વર્ગ બહુ મોટો છે. આવા ભ્રમની આડશમાં વ્યસન ચાલુ રાખવાનો અભીગમ ધરાવનાર મીત્રો પણ આવી દલીલ કરે છે : ‘જે લોકોને વ્યસન નથી તેમને પણ કૅન્સર થાય છે, એટલે વ્યસન છોડી દઈએ તો કૅન્સર ન જ થાય તેની ગૅરંટી છે કોઈ?’

અલબત્ત, આવી દલીલ કરનારને એ પણ ખબર હોય જ છે કે વ્યસન ન હોય તેવી વ્યક્તીને કૅન્સર થવાની શક્યતાની ટકાવારી 5થી 10 ટકા જેટલી જ હોય છે, જ્યારે વ્યસનીઓના કીસ્સામાં આ ટકાવારી 80થી 90 ટકા જેટલી હોય છે. કહેવાનો મતલબ એ કે મોટા ભાગે દરેક વ્યક્તીને પોતાના પંપાળેલા ભ્રમ હેઠળ જીવવામાં મજા આવે છે અને સુરક્ષા અનુભવાય છે અને તેથી જ આવા ભ્રમના ભરોસે તે વ્યક્તી નીજાનન્દ માણતી રહે છે; પણ તેના કારણે કે પરીણામે વાસ્તવીકતા બદલાઈ જતી નથી અને ક્યારેક ને ક્યારેક ભ્રમની ભેંસ પાડો જણીને ઉભી જ રહે છે.

        –બી. એમ. દવે

જેલ ખાતાની દીર્ઘકાલીન સેવાઓ દરમીયાન કાજળની કોટડીમાં રહીને લેખક શ્રી. બી. એમ. દવેનું સતત વાચન, મનન તથા જેલ ખાતાનાં સ્વાનુભવોનાં પરીપાકરુપે વીચારોનું વલોણું શરુ થયું. ગહન અભ્યાસ, ચીન્તન–મનન કરીને લખેલું પુસ્તક ભ્રમ ભાંગ્યા પછી…’ (પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લી., લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કૉર્પોરેશન સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : (0281) 223 2460/ 223 4602 વેબસાઈટ :  https://pravinprakashan.com  ઈમેલ : pravinprakashan@yahoo.com  પાનાં : 64, મુલ્ય : રુ. 65/-)માંનો આ પ્રથમ લેખ, પુસ્તકનાં પાન 09થી 13 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : 

શ્રી. બી. એમ. દવે, પાલનપુર – 385001 સેલફોન : 94278 48224

20 Comments

  1. Friends,
    Wish you all ,Happy holidays, Merry Christmas and Happy New Year..2017…

    અેક સમય અેવો હતો કે જ્યારે ભારતમાં અેક અેવી માન્યતા ચાલતી હતી કે અમેરિકા અેટલે સ્વર્ગભૂમિ. કોઇના ઘરે કામ કરવાવાળી પણ કારમાં જાય…. પૈસા જ પૈસા…. આ અેક ભ્રમની દશા અને તેમાં રાચતો માણસ ‘ ભ્રમિત‘ માણસ. રીયાલીટી તેની માન્યતાથી કાંઇક જુદી જ હોય. હકીકતમાં ખૂબ મહેનત અને માનસિક ભાર હેઠળ જીવવાનું અમેરિકામાં છે.
    Illusion is the English word & the meaning explained, says…” something that deceives by producing a false or misleading impression of reality.” It is ” concept of sensation & perception.” ” A thing that is or is likely to be wrongly perceived or interpreted by senses.”
    મારા વિચારો….‘ સત્ય જાણતા હોઇઅે અથવા સત્ય બહાર પડી જશે તેની બીક ની સામે, પોતાની જાતને છેતરીને જીવવું અેટલે ભ્રમમાં જીવવું… ભ્રમિત થઇને જીવવું…‘
    ભ્રમિત અેટલે… Deluded….. આ આખો વિષય સાયકોલોજીનો છે.
    ખૂબ સરસ નિબંઘ દવે સાહેબે લખ્યો છે. સમાજને આવા લેખોની જરુરત છે જે તેમના ભ્રમો ભાંગે અને વિચાર કરવાનું શીખવે. સાચા, ખોટાને પરખવાનું શીખવે. આ પરખ ત્યારે જ આવે કે જ્યારે જે દુનિયામાં તેઓ જીવી રહ્યા છે તેનો તેમને પુરે પુરો ખ્યાલ હોય… તેનું પુરે પુરું નોલેજ કે જ્ઞાન હોય. વિજ્ઞાને કરેલી પ્રગતિના પરિણામોને તો તેઓ રોજીંદા વહેવારમાં વાપરે છે પરંતું તે જ્ઞાન કેવી રીતે મેળવાયું તેનું જ્ઞાન પણ તેઓને હોવું જરુરી છે. અપડેટેડ નોલેજ જો હશે તો જરુરથી ભ્રમ નહિ હોય અને ભ્રમિત નહિ હોય…. અજ્ઞાન જ દરેક મીસકન્સેપ્ટનું મૂળ છે.
    અપડેટેડ નોલેજ… જ્ઞાન… જીવનના ઘણા પ્રશ્નોના ઉકેલ લાવી આપી શકે છે.
    પરંતુ હવનમાં અેક હાડકું નડે છે અને તે… ભણેલાઓ પણ અંઘશ્રઘ્ઘાના શીકાર હોય અને તે કબુલ કરવા માનતા ના હોય…. ભણેલા હોય પરંતું ગણેલા ના હોય…. ભ્રમિત હોય….
    ભ્રમમાં જીવતો પોતાનો વિનાશ પોતે જ બોલાવતો હોય છે..નોતરતો હોય છે…. તે સનાતન સત્ય છે.
    દવે સાહેબ અને ગોવિંદભાઇને અભિનંદન અને તેમનો આભાર… આ નિબંઘ અભિવ્યક્ત કરવા માટે.
    અમૃત હઝારી.

    Liked by 3 people

  2. કેટલાક ભ્રમ ફાયદાકારક પણ હોય છે. સીનેમામાં પડદા ઉપર એક સેકન્ડમાં 24 ચીત્રો પડે છે. દરેક ચીત્ર આગળના ચીત્ર કરતાં થોડું જુદું પણ તદ્દન સ્થીર હોય છે. આમ છતાં હલન-ચલનનો ભાસ થાય છે. આ ભ્રમ ફાયદાકારક છે. માળા ફેરવતા ભક્તને પણ જો શાન્તીનો અનુભવ થતો હોય તો તે ‘ભ્રમ’ પણ તેને માટે ફાયદાકારક છે.
    રોગ જાણવાની અનીચ્છા એ ભ્રમ નથી પણ બીકને કારણે ઉભી થયેલી પલાયનવૃત્તી છે.

    Liked by 1 person

  3. ખુબ સરસ લેખ. હાર્દીક ધન્યવાદ ભાઈ શ્રી. બી.એમ. દવેને તથા આભાર ગોવીંદભાઈ આપનો આ સુંદર લેખ વાંચવાની તક પુરી પાડવા માટે.

    Liked by 1 person

  4. ખુબ સરસ અને વાસ્તવલક્ષી લેખ. આપણને બધાને ક્યાંક ને ક્યાંક તો લાગૂ પડે જ છે.
    અભિનંદન.
    નવીન બેન્કર

    Liked by 1 person

  5. भ्रम भी लावारिस बच्चे की तरह होते है पालता नही कोई पल जाते है !!

    Liked by 1 person

  6. શ્રી બી એમ દવે નો હું ઘણો આભાર માનું છું તેના સરસ લેખ બદલ અને આવા મને ખુબ ગમે એવા લેખો પીરસવા બદલ શ્રી ગોવિંદ ભાઈ મારૂનો પણ હું ઘણો આભાર માનું છું .
    મને એક વાત કરવાની ઈચ્છા થઇ આવી , જે હું લખું છું . હું 95 વર્ષ અને 8 મહિનાની ઉંમર ભોગવી ચુકેલી વ્યક્તિ છું . દસ મહિના પહેલાં સિમેન્ટ કોંક્રેટ ઉપર પડી જવાના કારણે મારુ hip નું હાડકું ભાંગી ગયું . જે થી મારે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું .અહીં મારું ડોક્ટરે ઓપરેશન કર્યું અને બનાવટી હાડકી ખોસી દીધું . આ પછી હું વોકરની મદદથી ચાલતો થઇ ગયો . આ પહેલાં મેં નવી જમીન ખોદીને શાકભાજી વાવેલી ( હું અમેરિકામાં 47 વર્ષથી રહું છું , ) મને કેટલીક વખત વાસી ખોરાક કે એવું કશુંક ખાવાથી મને ઝાડા ઉલ્ટી થઇ જાય આ વખતે હું સખત અશક્ત થઇ ગયો હોઉં છું . પણ પછી અર્ધી કલાકમાં પૂર્વવત થઇ જાઉં છું . મેં મારા સગા સબંધીઓને કહી રાખ્યું છે કે મારી આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ગભરાય જઈને મને હોસ્પિટલ ભેગો ન કરવો . હું નિયમિત સિનિયર સેન્ટરમાં જાઉં છું . એક વખત મને બેચેની વર્તાવા લાગી એવા કોઈક ખોરાક ખાવાના કારણે . હું એકલોજ ઘરમાં રહું છું . મારા દિકરાઓ વગેરે સ્નેહીઓ થી હું બે હજાર માઈલ જેટલો દૂર રહું છું . મને બેચેની વર્તાતી હતી . તે છતાં ઘરે આરામ કરવા કરતાં સેન્ટરમાં જાઉં તો લોકોને મળવાથી મારી બેચેની દૂર થઇ જશે . એવા વિચારથી હું સેન્ટરમાં ગયો . નાસ્તો કર્યો . અને પછી લોકો સાથે વાતો ચિતો કરી . થોડી વારમાં મને ઝાડા ઉલ્ટી થયા . મેં લાગતા વળગતા અધિકારીઓને કહ્યું . મને થોડોક આરામ કરવા દ્યો , મારા કપડાં બદલાવી નાખો અથવા મને મારા ઘર ભે ગો કરો . આ લોકો શા માટે આવી જવાબદારી લ્યે ન કરે નારાયણ અને મને કશું થઇ જાય તો એ લોકોને પોતાની નોકરી ગુમાવવી પડે , એટલે મને એમ્બ્યુલન્સ મગાવી તાત્કાલિક હોસ્પિટલ ભેગો કર્યો . એમ્બ્યુલન્સમાં હતો ત્યારે મને ઠીક થવા લાગ્યું હતું . મને એમ્બ્યુલન્સ વાળા ઘડી ઘડી પૂછતાં હતા , કે તમે હાલ ક્યાં છો એની તમને ખબર છે / મેં કીધું હું બિલકુલ સ્વસ્થ છું મને જો ઘર ભેગો કરવામાં આવે તો હું જાતે સ્નાન કરીને કપડા બદલી શકું એમ છું . પણ એ લોકોની ડ્યુટી મને હોસ્પિટલ ભેગો કરવાની છે . હોસ્પિટલમાં ડોક્ટરોએ મને હાર્ટ એટેક આવ્યો છે એવું નિદાન કર્યું . અને ઓપરેશન કર્યું . જોકે ઓપન હાર્ટ સર્જરી નહીં . ડોક્ટરોને ઓપરેશન કરવા ના ઘણા પૈસા મળતા હોય છે . આવાં ખોટા ઓપરેશન થતા હોય છે , એવું છાપામાં ઘણી વખત આવતું હોય છે . અને આવા કારણો સાર ,
    હું ડોક્ટરથી , દવાથી , અને હોસ્પિટલથી દૂર રહેવાનું પસંદ કરું છું . આ એકજ દાખલો નથી . એક વખત મને મારા પેટના દુ :ખાવાના કારણે મારો પૌત્ર ( તે વખતે પૌત્ર મારે ઘરે હતો ) મારી ઈચ્છા ન હોવા છતાં મને હોસ્પિટલ ભેગો કર્યો . મને ડોક્ટરોએ કીધું તમારા પેટમાં સ્પેશિયલ કેમેરો ઘાલી તપાસ કરવી પડશે અને આ માટે તમને બેભાન કરવા પડશે મને બેભાન કર્યો . ડોક્ટર કે જે સ્ત્રી હતી . . એણે મારા પૌત્રને કીધું કે તારા દાદાનું ઓપરેશન કરવું પડશે અને આ માટે પરમિશન લેવી પડે કેમકે દાદા બેભાન છે એટલે તે પરમિશન ન આપી શકે . અને તું પૌત્ર છે . એટલે તું પણ પરમિશન ન આપી શકે તારો બાપ આપી શકે . મારો દીકરો બે હજાર માઈલ દૂર દીકરાને ફોન કર્યો , અને ડોક્ટરે કીધું કે જો તારા બાપનું ઓપરેશન નહીં કરવામાં આવે તો તે દસ મિનિટમાં મૃત્યુ પામશે દીકરે ઓપરેશન કરવાની હા પાડી અને ડોકટરે ઓપરેશન કર્યું 12 દિવસ , હોસ્પિટલમાં રહ્યા પછી ઘરે આવ્યો . એક મહિના પછી ડોક્ટરે મને પોતાની ઓફિસે ફરી તપાસ કરવા માટે બોલાવ્યો . હું ગયો , મને તપાસ્યો બધું બરાબર છે . એમ કીધું અને એક મહિના પછી ફરી આવવાનું કીધું . મેં કીધું તારાં લગ્ન થઇ ગયાં છે . ?
    મારો આવો વિચિત્ર સવાલ સાંભળી ડોક્ટર હસી પડી , પણ નર્સ બોલી લગ્ન કરવાનો વિચાર થઇ થઇ જાય છે કે શું ? મેં મારા મનમાં કીધું આવી જીવતા માણસના કાળજા વાઢી નાખે એવી કરાફાટ બાયડી સાથે લગ્ન કરવા માટે મારો દિ માઠો નથી બેઠો ? પછી મેં જાહેરમાં કીધું કે . મેં લગ્ન બાબત એટલા માટે કીધું કે જો એ મને કંકોત્રી લખે તો હું લગ્નમાં આવું બાકી ડોક્ટર તરીકે હું એને મળવા માગતો નથી . મારો ભ્રમ ગણો કે જે ગણો એ .
    खुदा बचाए हकिमोसे वकीलोसे हमे
    बचा दे और बे वफाओँकी जफाओँसे हमे .

    Liked by 1 person

  7. મિત્રો,
    ગઇકાલે રાતે ચાણક્યસૂત્ર નામની બુક વાંચતો હતો. સંપાદક : રમેશ દેસાઇ. ચાણક્ય.,..કૌટિલ્ય..વિષ્ણુગુપ્ત , વાત્સયાયન, મલ્લનાગ, દ્રમિલ, પક્ષિલસ્વામી, અંગલ જેવા જુદા જુદા નામોથી પ્રસિઘ્ઘ આ ચાણકપૂત્રના લગભગ ૫૦૦ જેટલાં સૂત્રોમા મને અેક સૂત્ર આપણા આજના વિષયને લગતું લાગ્યું. શેર કરવાનો મોહ ટાળી ન શક્યો…..

    યાવચ્છત્રોશિચંન્દ્ર પશ્યતિ
    તાબદ્ઘસ્તેન વા સ્કન્ઘેન વાવાહ્ય :

    ‘ શત્રુની દુર્બળતાનો તાગ મળે ત્યાં સુઘી અેને મિત્રતાના ભ્રમમાં રાખો.‘

    વિગતે : વ્યક્તિમાં અેવી કેટલીક કમજોરીઓ હોય છે, જેનાથી અેને સરળતાથી ખતમ કરી શકાય છે. આથી, જ્યાં સુઘી શત્રુની દુર્બળતાઓનો તાગ ના મળે ત્યાં સુઘી અેના પ્રત્યે પ્રેમ, આદર દર્શાવી, અેને મિત્રતાના ભ્રમમાં રાખવો જોઇઅે.

    આ ચાણક્યનું પોલીટીક્સ કહે છે….શત્રુ, જે નથી ( મિત્રતા), તે ( મિત્રતા) , છે અેવા ભ્રમમાં જીવીને પોતાનો જીવ ગુમાવે છે.

    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  8. ભીષ્મ પિતામહ જ્યારે બાણ શૈયા ઉપર હતા ત્યારે યુધિષ્ઠિરને એના પ્રશ્નના જવાબમાં કીધેલું કે જ્યાં સુધી તમે શત્રુને મારી નાખીને જમીન દોસ્ત ન કરી શકો એમ હો ત્યાં સુધી તેને છંછેડો નહીં; કે ધમકી આપો નહીં. અને શત્રુને મારી નાખ્યા પછી પણ જરાય ડમફાશ મારવી નહીં. ઉલટું એની સ્મશાન યાત્રામાં જવું અને રોવું; પણ અને તેના કુટુંબીજનોને આશ્વાસન પણ આપવું.

    Liked by 1 person

  9. અેક હસવાની વાત યાદ આવી…..‘હમારા તુમારે પે ભરોસા થા ઘણા… ઓર ભરોસાની ભેસને પાડા જણા.’ભ્રમ…….

    અમૃત હઝારી.

    Liked by 1 person

  10. પ્રિય અમૃત ભાઈ હઝારી
    તમારું ચાણક્ય સૂત્ર મને ગમ્યું . એવા બીજા સૂત્રો મને મોકલવાની કૃપા કરજો મને આવું બહુ ગમે છે . તમારો હું આભાર માનું છું ,

    Liked by 1 person

  11. Vital organs like heart, kidney, liver, brain has large reserve capacity and therefore patient only gets the symptoms when they are about 70% damaged, and unfortunately at that stage disease is too advance and difficult to cure or control, hence need for regular check up….
    Bipin Desai
    M. D.

    Liked by 1 person

  12. અરે વાહ, મને લેખમાં તો મજા આવી જ પણ એના કરતાં યે વધારે મજા તો મળેલા પ્રતિભાવોમાં આવી.
    ડાયાબીાટિઝ? આતો મારો પ્રિય દોસ્ત અને મનભાવન વર્ડ છે. છેલ્લા ૩૨ વર્ષથી અમે એકબીજાને રમાડ્યા કરીએ છીએ. અરે! હાર્ટ કિડની અને રેટીનોપેથીનું પણ એવું જ. છતાંયે મસ્તાન થઈને જીવું છું.

    હવે ભ્રમની વાત. ભ્રમની સાથે જે નથી તેની કલ્પના ઉમેરો, લાઈફ સ્પાયસી બનશે. ફેન્ટસીનું પણ એક સુખ હોય છે. એ સુખને માણનાર આનંદથી જીવે છે. અને એમના આનંદથી રેશનાલિસ્ટ ગુરુઓને પરસેવો થાય છે. માન્યતાઓની પણ એક અનોખી દુનિયા હોય છે.

    માત્ર એ ભ્રમ સ્વ સર્જીત હોવો જોઈએ. તો જ એમાં જીવવાનો આનંદ આવે. પારકાએ ભ્રમિત કરીને પિવડાવેલો ભ્રમ ના હોવો જોઈએ.
    આ રેશનાલિસ્ટ વિચારધારાનો સરસ બ્લોગ છે. આત્મા પરમાત્મા, સ્વર્ગ, નર્ક, પાપ, પૂણ્ય. એ સર્વ ભ્રમ છે.
    વાત ૧૦૦% નહિ ૧૦૦૦% સાચી છે. એમ છતાં માત્ર હિન્દુ ધર્મવાળા જ નહિ પણ જૂદા જૂદા ધર્મવાળા સત્ય સમજવા છતાં એ ભ્રમના કમ્ફર્ટ ઝોનમાં જીવે છે. જો એમના ભ્રમનો આનંદ અન્યને નુકશાન ન કરતો હોય તો અન્યોએ એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે હું લોકોના ભ્રમ ભાંગવા જ જન્મ્યો છું.

    ચાલો એક ભ્રમની કલ્પના કરીએ. મને કલ્પના કરવાનો રોગ છે.
    આપણો સૂર્ય એક તારો અબજો તારાઓની એક આકાશ ગંગા. આવી અબજો આકાશગંગાઓ. અને એ પણ ચોક્કસરીતે ફરી રહી છે. આતો બધું વૈજ્ઞાનિકોએ શોધ્યું છે અને એમણે કહ્યું તે મેં વગર દલીલે માની લીધું છે, મેં કાંઈ જાતે જોયું નથી. ફાઈન. હવે એ વૈજ્ઞાનિક સત્યમાં હું એક મારી કલ્પના ઉમેરીદઉ. એ અબજો ગેલેક્ષીઓના ભ્રમણની વચ્ચે, બંસરી લઈને કનૈયો ઉભો છે. ભાઈ તમને શું નુકશાન છે. આનું નામ છે ભ્રમનો આનંદ.

    લેખ કરતાં પ્રતિભાવ લાંબો ન થવો જોઈએ. અહિ જ અટકું છું.
    ગોવિંદભાઈને અનુરોધ કે કોઈક વાર ISIS વાળા ને કેવીરીતે સુધારવા તેના આર્ટિકલ શોધીને મૂકોને! સાલાઓનો ત્રાસ ભારે છે.

    Liked by 1 person

  13. સાચાને બદલે સારાને સાચું માની બેસવાની આ વૃત્તિને મનોવિજ્ઞાનની પરિભાષામાં ” બચાવ પ્રયુક્તિ તરીકે (Defense mechanism) ઓળખવામાં આવેછે. આ પ્રકારની શાહમૃગ વૃત્તિમાં વ્યક્તિ વાસ્તવિકતા અને સત્યની અવગણના કરીને પોતાની ગમતી રીતે પરિસ્થિતિનું અર્થઘટન કરી લેછે.

    Liked by 1 person

  14. ગુરુ ગોતવા આતાએ બહુ ફાંફાં માર્યાં
    મનના ગુરુએ ભ્રમણાઓ ભાંગીરે
    સદ્ગુરુ એને નો મલ્યા રે જી…..ઈ

    Liked by 1 person

  15. સત્યના પ્રકાશથી ભાંગતા ભ્રમના જાળાં દુઃખનો અનુભવ કરાવે છે કારણ કે તેના મૂળ મનમાં ઊંડા ઊતરી ચૂક્યા હોય છે. વળી દુઃખ કરતાં ય દુઃખની કલ્પના(ભ્રમ) વધુ દુઃખ આપે છે. જન્મ અને મૃત્યુ બંને કષ્ટદાયક હોવા છતાં મૃત્યુ અંગેના ભ્રામક વિચારોને કારણે આપણે મૃત્યુથી વધુ ગભરાઈએ છીએ. ભ્રમથી મળતું સુખ કાયમી નથી હોતું તે હકિકત જાણતા હોવા છતાં આપણે સુખના તલસાટને કારણે ક્ષણિક સુખ માટે જાણીજોઈને ભ્રમમાં રાચવાનું પસંદ કરીએ છીએ. કેટલીકવાર તો આપણો ભ્રમ તોડનારાથી આપણે દૂર રહેવાનું પસંદ કરીએ છીએ. રખેને આ ક્ષણભર મળેલ સુખ છીનવાઈ જાય !

    Liked by 1 person

Leave a comment