આસ્તીકતાનું પ્રત્યારોપણ

1

આસ્તીકતાનું પ્રત્યારોપણ

–બી. એમ. દવે

કહેવાની જરુર નથી કે પૃથ્વી ઉપર જન્મે લેતું દરેક બાળક ધર્મ, સમ્પ્રદાય કે જાતીના લેબલ વગર અવતરે છે. અલબત્ત, આપણે તેને જન્મતાંની સાથે જ આવાં સ્ટીકર લગાડી દઈએ છીએ અને તે મુજબ તેની ઓળખ પ્રસ્થાપીત કરી દઈએ છીએ. હીન્દુ, મુસ્લીમ, ક્રીશ્ચીયન, શીખ કે ઈસાઈ બનાવી તે મુજબ નામકરણ કરીએ છીએ. લગભગ બાળકના નામ ઉપરથી જ આપણે તેને ધર્મ સાથે જોડી દઈએ છીએ. જો કુદરત કે ઈશ્વર કે અલ્લા કે ગૉડ આવું વર્ગીકરણ ઈચ્છતા હોત તો આવી કુદરતી વ્યવસ્થા જ ગોઠવાયેલી હોત; પણ આ કામ માણસે જાતે ઉપાડી લીધું છે. જેવી રીતે કોઈ ચીજવસ્તુનો ઉત્પાદક પોતાની બ્રાન્ડની છાપ તેના ઉત્પાદન ઉપર મારી દે છે, તેવી જ રીતે બાળકને જાતી અને ધર્મનું લેબલ લગાડીને જે–તે જાતી અને ધર્મનું બનાવી દેવામાં આવે છે, અર્થાત્ ગળથુથી જ ધર્મની પીવડાવવામાં આવે છે, જે આગળ જતાં દૃઢીભુત આસ્તીકતામાં પરીણમે છે.

બાળક સમજણું થાય ત્યારથી જે ધર્મનું લેબલ લગાવવામાં આવ્યું હોય તે ધર્મના સંસ્કાર પામતું રહે છે, ધર્મનું આચરણ જોતું અને શીખતું રહે છે. માબાપ પણ સતત પ્રયત્નશીલ હોય છે કે પોતાનું સંતાન પોતાના ધર્મનું ચુસ્ત રીતે પાલન કરે અને તેનું અનુયાયી બને. ધર્માચરણમાં ક્યાંય કચાશ ન રહી જાય તેની પુરતી તકેદારી સમગ્ર કુટુમ્બ રાખે છે અને પોતાનું બાળક પોતાના ધર્મના રંગે બરાબર રંગાઈ જાય તે માટે બધું કરી છુટે છે. આ બાબતમાં ક્યારેક તો અતીશયોક્તી થતી જોવા મળે છે અને કુમળા બાળક ઉપર ધર્મપાલનના નામે અત્યાચારની હદ સુધી અમુક માબાપ પહોંચી જાય છે અને છતાં ગૌરવ અનુભવતાં રહે છે.

બાળકના ઉછેર દરમીયાન સર્વ ધર્મસમભાવનાના પાઠ ભણાવવાને બદલે અપવાદોને બાદ કરતાં મોટા ભાગે પોતાનો ધર્મ જ સૌથી શ્રેષ્ઠ હોવા અંગેનું અફીણ પીવડાવવામાં આવે છે. બાળકના કુમળા માનસમાં ધાર્મીક અસહીષ્ણુતાનાં બીજ આ સમયે જ રોપાઈ જાય છે, જે કેટલાક કેસમાં કટ્ટરતાની હદ સુધી પહોંચી જાય છે. ચુસ્ત ધાર્મીક માબાપ પોતાના ધર્મનો એટલો પાકો રંગ બાળકો ઉપર ચડાવી દેવા ઈચ્છતાં હોય છે કે જીવનભર ઉતરે નહીં. માનવતાના પાઠ ભણાવવાને બદલે ધાર્મીક ક્રીયાકાંડોનો ઓવરડોઝ આપવામાં આવે છે. બાળકો બીચારાં સમજ્યા વીના આંધળું અનુકરણ કરવા લાગે છે અને માબાપની છાતી ફુલાતી જાય છે.

બાળકોને ધર્મ સમજાવવામાં નથી આવતો; પણ ઠોકી બેસાડવામાં આવે છે. બાળકો પોપટીયા રટણ દ્વારા પોતાના જાગૃત અને અજાગૃત મનમાં ધર્મનું પડ ચડાવી દે છે અને સ્વાભાવીક રીત જ તે મુજબનું વર્તન કરતું થઈ જાય છે. વાતાવરણ જ એવું ઉભું થયું હોય છે કે બાળકના મગજમાં ધર્મ વીશે કોઈ પ્રશ્ન જ પેદા થતો નથી. કદાચ કોઈ બાળકના મનમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો તેનું સમાધાન કરવામાં આવતું નથી અને તેને ચુપ કરી દેવામાં આવે છે. ધર્મની બાબતમાં સંશય રાખવાનાં કે તર્ક કરી અશ્રદ્ધા દાખવવાનાં કાલ્પનીક ભયસ્થાનો બતાવી બાળકનું મોં બન્ધ કરી દેવામાં આવે છે અને આ બધાના પરીણામસ્વરુપ બાળક લગભગ 99.99 ટકા ‘ધાર્મીક’ બની જાય છે અને જે–તે ધર્મની આસ્તીકતાનું આવરણ પોતાની ઉપર ચઢાવી લે છે.

બાળક જેમજેમ મોટું થતું જાય છે તેમતેમ વડીલોનું અનુકરણ કરીને તથા તેની ઉપર લાદવામાં આવેલ ધાર્મીકતા એટલે કે આસ્તીકતાના રંગે રંગાતું જાય છે અને એક નવી ઝેરોક્સ કૉપી બની જાય છે. વડીલોના આગ્રહ પણ ઑરીજનલને બદલે ઝેરોક્સનો વધુ હોય છે અને તેનું ગૌરવ પણ તેઓ અનુભવતાં હોય છે. આમ, આ રીતે રુઢીગત આસ્તીકતાનો વરખ ચડાવેલ સંતાન પોતાના પીતાની મીલકતના વારસદાર બને છે, તેવી જ રીતે આસ્તીકતા કે આધ્યાત્મીકતા પણ વારસામાં જ મળી જાય છે અને તેનું હસ્તાંતરણ પેઢી–દર–પેઢી થતું જ રહે છે.

બાળમનોવીજ્ઞાનીઓ દાવો કરે છે કે બાળક તેના જન્મ પછીનાં પ્રથમ પાંચ વર્ષમાં જેટલું શીખે છે તેટલું બાકીની આખી જીન્દગીમાં શીખી શકતું નથી. આ રીતે વીચારતાં પણ બાળકનાં શરુઆતનાં પાંચ વર્ષમાં જે પ્રકારનું ઘડતર કરવામાં આવે તેવી તેની માનસીકતા બન્ધાય છે.

મુળભુત રીતે ધર્મની સ્થાપના પાછળનો મુળભુત હેતુ દુનીયાની સમગ્ર પ્રજા વચ્ચે ભાઈચારો, સમ્પ, સહકાર, સદાચાર તથા પ્રેમની લાગણી દ્વારા ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવના જગાવવાનો છે; પરન્તુ ધર્મની સ્થાપનાના માધ્યમથી આ હેતુ સીદ્ધ થયો હોય તેમ જણાતું નથી. એમ કહેવું અસ્થાને નહીં ગણાય કે બાળકને ધર્મના સીદ્ધાંતોરુપી ગળથુથી પીવડાવવાને બદલે સહીષ્ણુતા, સચ્ચાઈ, નીતીમત્તા, સંસ્કારીતા, પ્રામાણીકતા, નીખાલસતા, નીર્મળતા, નીયમીતતા અને સ્વચ્છતા જેવા સદ્ગુણોરુપી ગળથુથી પીવડાવવાની પ્રથા અપનાવવામાં આવી હોત તો પરીણામ કદાચ જુદું હોત. કોરી સ્લેટ જેવા બાળકને આસ્તીકતાની ગળથુથી પીવડાવવાને બદલે માનવતાની ગળથુથી પીવડાવવાનો પાયો નખાયો હોત તો આજે સમાજનું ચીત્ર કાંઈક જુદું હોત!

એવું કહેવાય છે કે કુમળા છોડને જેમ વાળીએ તેમ વળે. માબાપ દ્વારા બાળકના ઉછેર દરમીયાન શરુઆતથી નીચે મુજબના સંસ્કારો સીંચવામાં આવે તો તેનાં મીઠાં ફળ બાળકને તથા સમગ્ર સમાજને ચાખવા મળે તેમાં કોઈ શંકા નથી.

  1. ધર્મશાસ્ત્રોની આજ્ઞાઓનું પાલન કરવાની સાથોસાથ આપણાં બંધારણ તથા કાયદા–કાનુનનું ચુસ્તપણે પાલન કરવાથી ઈશ્વર–અલ્લા–ગૉડ વધુ રાજી થશે.

  2. પરીક્ષામાં કોઈ પણ પ્રકારે ચોરી કે ખોટી રીતરસમ અપનાવવાથી ભગવાન નારાજ થશે.

  3. કોઈના આશીર્વાદ કે કોઈની દયા કે કૃપાથી ભણવામાં હોશીયાર થઈ શકાય નહીં કે ઉજ્જવળ કારકીર્દી બની શકે નહીં. સાચી દીશામાં સખત મહેનત કરવાથી જ ઈચ્છીત પરીણામ મળી શકે.

  4. તમને શીક્ષણ આપનાર શીક્ષક તમારા ધર્મગુરુ જેટલા જ સન્માનનીય છે.

  5. ધર્મશાસ્ત્રો અને કાયદા–કાનુનનું પાલન કર્યા વગરની ધાર્મીકતા એકડા વગરનાં મીંડાં જેવી છે. આચરણ વગરની ધાર્મીકતાનો કોઈ અર્થ નથી.

  6. ખાલી ક્રીયાકાંડ કરવાથી ઈશ્વર–અલ્લા કે ગૉડ રાજી થતા નથી. તેમને માનો અને તેમનું ન માનો તો તેઓ નારાજ થાય છે.

વડીલો દ્વારા બાળકોને ઉપરોક્ત સુચનાઓનું સીંચન કરવામાં આવે તો રુઢીચુસ્ત આસ્તીકતાને બદલે સ્થીતીસ્થાપક અને વ્યવહારય આસ્તીકતાનું સર્જન ભાવી પેઢી માટે થઈ શકે. રેડીમેડ આસ્તીકતા ખતરનાક સાબીત થઈ રહી છે. બાળકો પોતાની ઈચ્છા મુજબની અને સ્વીકાર્ય હોય તેવી આસ્તીકતાનું સ્વયં નીર્માણ કરી તેને અપનાવે તેવી સ્વતન્ત્રતા આપવાનો સમય હવે પાકી ગયો છે.

કેટલાંક ધર્માન્ધ માવતરો ધાર્મીક ક્રીયાકાંડ કરતી વખતે પોતાનાં અણસમજુ અને નીર્દોષ બાળકોને પણ ચોક્કસ વેશભુષામાં સજ્જ કરી, ધાર્મીક સ્થાનોએ પોતાની સાથે ફરજીયાત લઈ જાય છે અને તેનું ગૌરવ અનુભવે છે. આવાં દૃશ્યો મને જોવા મળે ત્યારે હસવું કે રડવું તે નક્કી થઈ શકતું નથી. અત્યાચારનો જ આ એક પ્રકાર ગણી શકાય. બાળક પોતે શું કરી રહ્યું છે તેની પણ તેને ખબર ન હોય તેવી ધાર્મીક ક્રીયામાં તેને પોતાનું અહમ્ સન્તોષવા જોતરવું કેટલું વાજબી ગણાય? આવાં દૃશ્યો ધાર્મીક સ્થાનોની આસપાસ આપ સહુએ જોયાં હશે. કુમળા બાળકોને ધાર્મીક બાબતો કંઠસ્થ કરાવી પોપટની જેમ બોલાવતાં અને મહેમાનો સમક્ષ તેનું પ્રદર્શન કરાવી છાતી ફુલાવતાં માવતરોને આપ સહુએ જોયાં હશે.

આવાં છીછરાં માવતરો એવું ગૌરવ લેતાં હોય છે કે આવા ધાર્મીક સંસ્કારો તો આપણા લોહીમાં છે. આપણા લોહીમાં પ્રામાણીકતા, સચ્ચાઈ, નીખાલસતા, નીતીમત્તા, શીસ્તપાલનવૃત્તી, સ્વચ્છતા વગેરે છે કે કેમ તેમ જ આપણાં બાળકોને આ બધા સદ્ગુણો વારસામાં મળશે કે કેમ તેની ચીંતા કેમ કરવામાં આવતી નથી? આ બધા સદ્ગુણો પોતાના બાળકમાં છે કે કેમ તે સુનીશ્ચીત કરવાને બદલે આસ્તીકતા અને ધાર્મીકતા છે કે કેમ તેની ઉપર જ બધું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. પરીણામ એ આવે છે કે આવી એકડા વગરનાં મીંડાં જેવી વારસામાં મળેલી આસ્તીકતા અને આધ્યાત્મીકતાના રવાડે ચડી બાળક આખી જીન્દગી ધાર્મીક હોવાના વહેમમાં રાચ્યા કરે છે.

આ તબક્કે એક નોંધવા જેવી બાબત એ છે કે કોઈ પણ ધર્મ કે જાતીનું બાળક જન્મતાંવેંત શ્વાસ લેવાનું આપોઆપ શરુ કરી દે છે. માણસજાત ઉપરાન્ત તમામ પશુ–પ્રાણીઓનાં બચ્ચાંઓને માનાં સ્તનમાંથી દુધ કેવી રીતે પીવું તે કુદરતી રીતે જ આવડી જાય છે. આવી જ રીતે બાળક બેસતાં, ચાલતાં, બોલતાં શીખી જાય છે. યુવાનવયે પહોંચતાં સેક્સની જરુરીયાત સંતોષતાં તેને આપોઆપ આવડી જાય છે. આ બધી જીવનલક્ષી ક્રીયાઓ સાહજીક રીતે થતી હોય તો પછી ધર્મ કે આસ્તીકતા ઠોકી બેસાડવાની જરુર કેમ રહે છે ? આસ્તીકતા કે આધ્યાત્મીકતા પણ કુદરતી ક્રીયાઓની જેમ સહજ રીતે જ ઉદ્ભવેલી હોવી જોઈએ. લાદવામાં આવેલી આસ્તીકતા અનેક અનર્થો સર્જે છે.

આસ્તીકતા કે ધાર્મીકતા જો કુદરતદત્ત હોય તો ઉપર દર્શાવેલ અન્ય જીવનલક્ષી ક્રીયાઓની જેમ આનુવંશીક રીતે બાળક પોતાની જાતે જ શીખી જાત; પણ તેમ થતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો આ બાબત અન્દરથી ઉગતી નથી; પણ બહારથી રોપવામાં આવે છે અને તેથી હું દૃઢપણે માનું છું કે આસ્તીકતા જન્મજાત નથી; પણ પ્રત્યાર્પીત (trans-planted ) છે. આસ્તીકતાના પ્રત્યારોપણથી જ દુનીયાના ધાર્મીક ટુકડા થઈ જવા પામ્યા છે અને તેનાં પરીણામ દુનીયા ભોગવતી રહી છે.

        –બી. એમ. દવે

જેલ ખાતાની દીર્ઘકાલીન સેવાઓ દરમીયાન કાજળની કોટડીમાં રહીને લેખક શ્રી. બી. એમ. દવેનું સતત વાચન, મનન તથા જેલ ખાતાનાં સ્વાનુભવોનાં પરીપાકરુપે વીચારોનું વલોણું શરુ થયું. ગહન અભ્યાસ, ચીન્તન–મનન કરીને લખેલું પુસ્તક આસ્તીકતાની પેલે પાર (પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લી., લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કૉર્પોરેશન સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : (0281) 223 2460/ 223 4602 વેબસાઈટ : https://pravinprakashan.com ઈમેલ : pravinprakashan@yahoo.com પાનાં : 48, મુલ્ય : રુપીયા 50/-)માંનો આ પ્રથમ લેખ, પુસ્તકનાં પાન 09થી 13 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : 

શ્રી. બી. એમ. દવે, પાલનપુર – 385001 સેલફોન : 94278 48224

23 Comments

  1. …અરે તું રંગાઈ જા ને રંગમાં … …….. છે તારા સન્ગ માં …તું રંગાઈ જાને રંગ માં… એક સુંદર ભજન ની કળી ….
    એકદમ સાચી વાત કહી…. આપણે જે છીએ એ એક ઝેરોક્ષમાંથી બનેલી કોપીમાંથી… બનેલી કોપીમાંથી… બનેલી કોપીમાંથી… બનેલી કોપી… ………………અગણિત કોપી …… અંત પરિણામ એ છે કે કોપી પરથી કોપી બનતા એની ક્વાલિટી ઓછી થતી જાય છે …… જે આપણે ધર્મના નામે સમજીયે છીએ અને જે આપણા ભેજામાં ઠોસેલું છે એ ઓરિજિનલ નથી. ટૂંક માં કહું તો એ ધર્મના નામે ધતિંગ ઠોસાયેલ છે ….
    અને એટલે જ ભજનની પંક્તિમાં લખાયું અને ગવાય છે કે …. ‘ઓળખનારા કયા છે આજે .. દંભ થી દુભાવું છું… હે માનવ વિશ્વાસ કરી લે …સમય બની સમજાવું છું ….’

    Liked by 1 person

  2. બે શક, સત્ય હકીકતોને આવરી લેતો જડબે સલાક કાબિલે દાદ અતિ સુંદર લેખ!!
    વાચનારાની સખ્યા મોટી પણ અમલ કરનારા ખુબ જુજ!!
    આવા લેખોનો ધોધ તો અન્ય લેખકો કે ચિંતકો દ્વારા વરસતો જ રહેવો જોઇએ.

    Liked by 1 person

  3. ધર્મનો સીધો સાધો અર્થ છે … ધર્મ એટલે ફરજ. તમે તમારી ફરજ પાળો તો તમે ધર્મ પાળ્યો એટલે તમે આસ્તિક છો એમ કહી શકાય.

    Liked by 1 person

  4. our gurus,teachers,& parents have to teach “how to live like a humanbeing” to the child . & this should be considered a real religion.

    Liked by 1 person

  5. દવે સાહેબની વાતો ઘણી સરસ છે. મને તો ઘણી જ ગમી. આપણા ડોસાડોસીઓએ જ આપણો ભવ બગાડ્યો. ચાલો આપણે સૌ જાગ્યા ત્યાંથી સવાર. બાળકને નામ નહી જેલના કેદી પ્રમાણે ખાસ નંબરથી જ ઓળખવાનું શરુ કરીયે. કેટલાયે ડોસાઓ બાળકોને શીખવે છે ચાલો, બે હાથ જોડી જે જે કરો. એવું તો શીખવાતું હશે? એમના કદીએ જાતી દર્શક નામ ન પાડો. ( મને અને દવે સાહેબને બધા બ્રાહ્મણ તરીકે ઓળખી કાઢે તે અમને રૂચતું જ નથી. શું થાય એ અમારા હાથની વાત થોડી હતી?)
    બાળકને કાંઈ પણ શીખવવું જ નહિ. એ તો એમની જાતે જાતે જ જે જે કરવા જેવું હોય એ શીખી જ લેશે. પાર્લામેન્ટમાં જાય કે જેલમાં જાય એવા સંસ્કારો પણ મા બાપ જ આપે છે તે પણ બંધ થવું જ જોઈએ. શીખવવા જેવું હોય તો બુઢ્ઢાઓ ને જ શીખવવું. બાકી કેટલા ટકા જુવાનિયાઓ આપણું વાંચવા સમજવા તૈયાર પણ છે? ઠીક છે આતો તાઈમ પાસ.

    Liked by 1 person

  6. Aastikata bhay na paya par takeli chhe.Etle dharmik sansthano to emani dukan chalaavava aa j shikshan aapvani..Ne sanskarna name vadilo pan e j pasand karavana.Jo koi ferfar shakya chhe e school na shikshan dwara j shakya chhe.Pan ene mate secular sarkar pan joie !!!

    Liked by 1 person

  7. Reblogged this on and commented:
    જો મારી યાદ શક્તિ દગો ના દેતી હોય તો આવા જ સંદર્ભ વાળુ ઓશોએ પણ કહ્યું છે કે વ્ય્કતિની જ્ઞાતિ કે કોમની ઓળખ માત્ર નામ ઉપરથી કહી શકાય તે પ્રકારના નામ બાલકોને આપવા બંધ કરવાથી આપોઆપ કોમ્વાદ અને જ્ઞાતિના વાડા નાબુદ થવા લાગશે

    Liked by 1 person

    1. વહાલા અરવીન્દભાઈ,
      લેખકમીત્ર શ્રી. બી. એમ. દવે નો લેખ ‘આસ્તીકતાનું પ્રત્યારોપણ’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  8. When we are young and unable to think well, our family and society teach us some kind of Culture. This Cultural training makes us a Hindu or Muslim or whatever else we become. So Religion comes from Nurture, not from Nature.

    Actually, we need Morality more than Religion. Morality should come from a better civic sense, not from fear of a King or a God.

    My hearty Congratulations to Shri Dave on his deep understanding and thinking on the above lines of a true Rational attitude in life. Thanks for a good article. —Subodh Shah —USA.

    Liked by 1 person

  9. આસ્તીકતાના પ્રત્યારોપણથી જ દુનીયાના ધાર્મીક ટુકડા થઈ જવા પામ્યા છે અને તેનાં પરીણામ દુનીયા ભોગવતી રહી છે.
    આ લેખના ઉપરોક્ત છેલ્લા વાક્યમાં જે કહ્યુ છે તેનો અર્થ એવો કરી શકાય કે આસ્તિક્તા કે ધાર્મિક્તા હોવી જ ના જોઇએ.
    હુ એમાં સંમત થઇ શકુ.
    માનવ જ જાતિ હોય અને માનવતા ધર્મ- બાકી બધુ ……………..xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
    ANDHSHRADHDHAANO VERI, MANAVTANO PRAHARI,

    ROHIT DARJI” KARM”, HIMATNAGAR

    Liked by 1 person

  10. Sanatan satya. Balpanma je sanskar dradh thai jay tej kayam rahe chhe. Dave sahebe je kahyu e mari poatani babatma banyu chhe. Nanpanthij pitashrie sanskar redya hata-nitimatta, pramanikatathi moto koi dharm nathi. Lagnbad 48 varsh sathe raheva chhata sasarina dharm-na rangno chhatoy mara par nathi chadi shakyo. Vadiloni agnyanu ullanghan na thay etale man khatar te, ana dharmnu poptiyu ratan karti, aaje kashu nathi karti. Albatt niti, pramanikatatij jivu chhu.

    Liked by 2 people

  11. મિત્રો,શ્રી દવેજીઅે વિચારો કરવાનો સુંદર લેખ આપ્યો છે. અભિનંદન. મારાં લગભગ ૫૦ જેટલાં સામાજીક લેખો, જે ‘તિરંગા‘ માસિક પેપરમાં ( પબ્લીશ્ડ ફ્રોમ ન્યુ જર્સી, યુ.અેસ.અે.)નું મુખ્ય પાત્ર…મારો માનસપૂત્ર,…માણેકલાલ છે. માણેકલાલનો જન્મ અને આગળની જીંદગીને આજના વિષય સાથે સંબંઘ છે. તરતના જન્મેલાં અેક બાળક (પુરુષ)ને કોઇ માં નઘણીયાતી સ્થિતિમાં માણેકચોકમાં મૂકી જાય છે. વહેલી સવારે ચાલવા નીકળતાં નજીકનાં આશ્રમના વડા સંત તે બાળકને જૂઅે છે. આજુબાજુ જોતાં જોતાં રાહ જોયા પછી પણ કોઇ ના મળ્યું ત્યારે સંતશ્રી તે બાળકને પોતાના આશ્રમમાં લઇ જાય છે. માણેકચોકમાંથી મળેલા બાળકનું નામ માણેકલાલ પાડવામાં આવે છે. વરસો પછી તે બાળક ન્યુ જર્સી , અમેરિકામાં પોતાનો સર્વઘર્મ આશ્રમ ખોલે છે. ત્યાં દરેક રંગના, ભાષાના બોલનારા, કોઇપણ દેશના કે કોઇપણ ઘર્મના પાળનારા ખુશીથી અેકબીજા સાથે હળીમળી શકે છે…..તેઓ પોતાના સંબોઘનમાં કહે છે કે હું નઘણિયાતો અેવો માણેકચોકમાં સંતશ્રીને મળ્યો તો તેમણે મારું નામ માણેકલાલ પાડયુ. પરંતુ હું જો કોઇ ઇસ્લામઘર્મીને મળ્યો હોત તો મને મહમદ નામ મળતે અને કોઇ ખ્રિસ્તિને મળ્યો હોત તો જ્યોર્જ કહેવાયો હોત. મારાં જન્મદાતા મા..બાપની તો કશી ખબર નથી….માટે જ આજે હું અેક માનવ છું અને માનવતા અે મારો ઘર્મ છે. તેમની સાથે સભામાં ભાગ લેતાં મિત્રો, પોતાના ઘરનાં કે પોતાના સગા સંબંઘીઓના ઘરનાં કે બીજા સળગતાં પ્રશ્નોની ખુલ્લી ચર્ચા કરે અને સર્વમાન્ય નિકાલને …સ્વીકારે. આ લેખો ખૂબ સ્વીકારાયા હતાં. આજના લેખને કદાચ આ મારા માનસપૂત્ર કોઇ રીતે રજૂ કરતા હોય તેવું મને લાગે છે. ‘અભિવ્યક્તિ‘ લેખોને રજૂ કરતો મુદ્રાલેખ કે જેને શીલાલેખ પણ કહી શકાય તે ‘બુઘ્ઘ‘નો સંદેશો છે.
    Same principles..are given by “Agnostic Witch. (An online note book) gives…..
    To believe or not to believe……..
    1. Do not believe in anything simply because you have heard it…..
    2. Do not believe simply because it has been handed down for many generations…
    3. Do not believe simply because it is spoken and rumored by many……
    4. Do not believe because it is written in holy scriptures…..
    5. Do not believe in anything merely on the authority of teachers, elders or wise men.
    Believe only after careful observations and analysis.
    When you find that it agrees with reason and is conductive to the good and benefit of everyone, then accept it and live up to it.

    આસ્તિક્તા અને નાસ્તિક્તા….આસ્તિક અને નાસ્તિક….. શ્રઘ્ઘાળુ અને અંઘશ્રઘ્ઘાળુ…….
    જ્યારે મારો જન્મ થયો ત્યારે હું કોણ છું તેની મને ખબર ન્હોતી. ઘરે મારી પરવરીશ કેવી થઇ તેવો હું બનતો ગયો….પ્રાયમરી શાળામાંથી માઘ્યમીક શાળામાં ગયો…હાયશ્કુલમાં ગયો…કોલેજમાં ગયો….ઘરની પરવરીશમાંથી જેમ જેમ હું છુટતો ગયો અને બહારની દુનિયામાં વઘુ મળતો …ભળતો ગયો તેમ તેમ મારાં વિચારો બદલાતા ગયા….નોકરીઅે મારા જીવનમાં ફેરફાર લાવી બતાવ્યો…લગ્નજીવને બીજા ફેરફારો રોપ્યા….છેલ્લાં ૨૦ વરસોથી વાંચન, ચર્ચા અને જીવનના અનુભવોઅે મને કહેવાતા ઘરમોથી દૂર અને માનવઘર્મમાં માનતો અને કાર્યરત બનાવ્યો છે….દરેકના જીવનમાં આવો સમય આવે જ છે જ્યારે તે પોતે પોતાની જાતનું અવલોકન કરી શકે છે…ન્યુત્રલ રહીને…..પોતાના જીવનમંત્રો બદલી શકે છે.
    જ્યારે જંગલો હતાં , પાષાણ યુગ હતો ત્યારે કોઇ પણ ઘર્મ ન હતો. આજે ઘર્મ જેને કહીઅે છીઅે તે વાડાબંઘિ તો નજીકના ભૂતકાળના સમયમાં માનવી દ્વારા બનાવેલી સંકુચીતતા છે.
    નરસિહ મહેતાના અેક ગીત …ભજનની છેલ્લી કડી કહે છે…..
    ‘ અે છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા, આતમરામ પરિબ્ર્હમ ન જોયો;
    ભણે નરસૈંયો તત્વદર્શન વિના, રત્નચિંતામણિ જન્મ ખોયો.‘
    આભાર,
    અમૃત હઝારી.

    Like

  12. સરસ પોસ્ટ. કેટલાક અવતરણો ખુબ ગમ્યા તેથી મારા બ્લોગ પરની પોસ્ટ ‘ધર્મ-વિજ્ઞાન-વિવેક’ પર સંદર્ભ સાથે ઉમેર્યા છે.
    આભાર

    Liked by 1 person

    1. વહાલા જગદીશભાઈ,
      લેખકમીત્ર શ્રી. બી. એમ. દવેનો લેખ ‘આસ્તીકતાનું પ્રત્યારોપણ’ના કેટલાક અવતરણો આપના બ્લોગ પરની પોસ્ટ ‘ધર્મ-વિજ્ઞાન-વિવેક’ પર સંદર્ભ સાથે ઉમેર્યા તે બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  13. ધર્મના નીષ્ણાંત કે ધર્મ ગુરુને બધી ખબર છે અને પોતે મુખ્ય કે મહાન છે એ માટે બીજા ધર્મને વખોડે છે કે નીચે પાડે છે કે બધા ધર્મ સમાન છે એમ બહાના કાઢી આપણને કહે છે.

    ધર્મ, જાતી, વગેરે લેબલમાં લોકો ફસાઈ ગયા છે. ભારતમાં આત્મા, પરમાત્મા, પુનજન્મ, નરક, મોક્ષની નરી કલ્પના કરી ઠેરઠેર પત્થરની પુજાને પ્રોત્સાહન આપેલ છે.

    Liked by 1 person

  14. આસ્તિકતાના પ્રત્યારોપણથી જ દુનિયાના ધાર્મિક ટુકડા થઈ જવા પામ્યા છે અને તેના પરિણામ દુનિયા ભોગવતી રહી છે
    ખુબ જ સુંદર લેખ ….

    Liked by 1 person

  15. સ્નેહિ અભિવ્યક્તિ મિત્રો,
    અભિવ્યક્તિ બ્લોગ ઉપર આપણે મળતા રહીઅે છીઅે. અેક બીજાના વિચારોની આપ લે કરતા રહીઅે છીઅે.. ઘર્મ, ઘાર્મિકતા, ક્રિયાકાંડ, પૂજા પાઠ , ઘર્મ અને દૈનિક જીંદગી, ઘર્મ અને વેપાર, શ્રઘ્ઘા અને અંશશ્રઘ્ઘા, મોક્ષ, તર્પણ, સ્વર્ગ અને નર્ક, ખરું, ખોટુ, સાચુ, જુઠુ, ઘર્માંઘતા, જુદા જુદા ઘર્મો અને તેમની વચ્ચેનો ખરા ખોટાનો જંગ……..વિ….વિ……
    દરેક વ્યક્તિ પોતાના જીવનને કેટલું પોતાના વિચારોમાં જીવે છે તે જોવાનું રહ્યુ છે. ઘાર્મિકતાના નામે સમાજ કેવો ચાલે છે તે જોવાનું રહ્યુ છે. શાંતિ, પ્રેમ, ભાઇચારો કેવી રીતે વઘે તે જોવાનું રહ્યુ….જુદા જુદા ઘર્મોને નામે સમાજ અેકરાગીતામાં નથી જીવતો. મરા જીવનના બે પ્રસંગો કહેવા છે.
    ૧. મારો નાનો દિકરો નામે મુકુર. અમેરિકાની પેન સ્ટેટ યુનિ.માં ભણતો હતો ત્યારે જેક્વેલીન નામની ખ્રિસ્તિ છોકરી સાથે પ્રેમ સંબંઘ બંઘયો. તે બન્નેઅે લગ્ન નક્કિ કર્યા. તેમની નોકરીના સ્થળે લગ્નમાં અમને બોલાવ્યા. ઓછામાં ઓછા મહેમાનો. લગ્નની વિઘિ માટે હિન્દુ કે ખ્રિસ્તિ ઘર્મના પ્રિસ્ટ નહિ. અેક કોર્ટના રીટાયર્ડ ન્યાયાઘીશને વિઘિ કરવા બોલાવેલા….અેક બીજાને લગ્નનો અર્થ સમજાવીને સોગંદ લેવડાવ્યા. અને લગ્ન કોર્ટમાં રજીસ્ટર કરાવી દીઘા. લગ્નમાં આપણા સમાજોમાં થતી અાપ લે નહિ. ખોટો કોઇ ખર્ચ નહિ. તેણે જીનેટીકલી ટરાન્સમીટેડ મારા વિચારો મારી જાણ બહાર પોતાના જીવનમાં ઉતાર્યા હતાં.

    તું હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા ઇન્સાન કી ઓલાદ હૈ ઇન્સાન બનેગા……

    ગઇકાલે મારા નજીકના મિત્રની અંતિમક્રિયા પતાવીને ઘરે આવ્યો. વિચારો ચાલતા હતાં. ભેગા થયેલાંઓમાં બઘા જ ઘર્મોના લોકો હતાં.

    મેં મારા વીલમાં અંતિમ ઘાર્મિક ક્રિયા નહિ કરવાનું લખ્યુ છે.

    હવે વિચારોમાં, ગઇકાલે , થોડો ફેરફાર કરવાનું વિચાર્યુ છે. મારા મરણબાદ સર્વઘર્મના પ્રિસ્ટને બોલાવીને તેમના ઘર્મમાં બે મીનીટની જે પ્રાર્થના મરણ સમયે કરતાં હોય તે કરાવવી…હિન્દુ, મુસ્લીમ, ખ્રિસ્તિ, જૈન, શીખ…..વિ…… વિ….અને કોઇ ભાષણ નહિ …..મેં મારું શરીર મેડીકલ કોલેજને શિક્ષણ માટે અાપવું અેવું લખ્યુ છે. ( પ્રિસ્ટ નહિ મળતા હોય તો તે તે ઘર્મના કોઇ ભાઇ કે બહેન બે શબ્દો બોલે.)

    સૌ વાચકો પોતાના વિચારોની આપ લે કરે તેવી મારી ઇચ્છા છે.

    અમૃત હઝારી.

    Liked by 1 person

  16. shri B.M.DAVE saheb na article ni badhi j vato satya che, parantu apna badha ni mansikta badlay to j ek nava dharmnirpeksha samaj nu nirman shakya che te sivay badhu j nakamu.
    thodi vyakti na vicharo badlay tenathi koi j pharak padto nathi. tame dharmnirpeksha drashti thi vicharo k acharan karo parantu jo te RECIPROCAL na thay to teno koi j arth nathi.
    koi pan navu karva no vichar bahya paribalo dwara dabavi deva mo ave che je me pratyaksha rite ghani var anubhavyu che.

    Liked by 1 person

    1. વહાલા રાજેશભાઈ,
      લેખકમીત્ર શ્રી. બી. એમ. દવે નો લેખ ‘ભ્રમના ભેદભરમ’ને આપશ્રીના બ્લોગ પર ‘શેર’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

Leave a comment