નાસ્તીકો પણ આવા ઈશ્વરને સ્વીકારશે !

નાસ્તીકો પણ આવા ઈશ્વરને સ્વીકારશે !

રોહીત શાહ

આપણી ઈશ્વરની શોધ મુર્તી સુધી પહોંચીને સમાપ્ત થઈ ગઈ છે. મુર્તી મળી એટલે ઈશ્વર મળી ગયો હોય એમ રાજી–રાજી થઈને આપણે તેની આળપમ્પાળ કરવા મંડી પડીએ છીએ.

શીયાળામાં ઈશ્વરને ઠંડી ન લાગે એ માટે મુર્તીને ઉનનાં કપડાં પહેરાવાય છે. ઉનાળામાં ઈશ્વર પરસેવે રેબઝેબ ન થઈ જાય એ માટે તેને એસીમાં રાખવાના પ્રયોગો પણ થયા છે. ઈશ્વરની એક કલ્પના તે નીરંજન–નીરાકાર હોવાની છે. જો એ સાચી કલ્પના હોય તો ઈશ્વરને ઠંડી–ગરમી ન લાગે, ભુખ પણ ન લાગે. આ છપ્પન ભોગ અને નૈવેદ્ય અને પ્રસાદ બધું બકવાસ બની જાય.

જો ઈશ્વર સમગ્ર સૃષ્ટીમાં સર્જક અને કર્તા–હર્તા હોય, સમર્થ હોય તો તેને આપણા તરફથી ભોગસામગ્રી કે ભેટસામગ્રી મેળવવાની શી ગરજ હોય? ચુન્દડી કે ચાદર ન ચઢાવીએ, શ્રીફળ ન વધેરીએ તો તે આપણું કામ ન કરે એવું કેમ? ઈશ્વર વીશે આપણે જે કલ્પનાઓ કરી છે તેને અનુરુપ આપણો વ્યવહાર નથી થતો. માણસ આ બાબતે ગુમરાહ થયો હોય એમ લાગે છે.

ગરબડીયા ગામના બાવાએ ઈશ્વર વીશે સાવ જ વાહીયાત અને ભ્રામક તસવીર આપણી સમક્ષ પેદા કરી છે. ઈશ્વર એટલે જાણે કે સોટી લઈને આપને પનીશમેન્ટ કરવા બેઠેલી કોઈ ક્રુર વ્યક્તી ન હોય! ઈશ્વર એટલે આપણી ભેટ–સોગાદોથી રાજી થઈને આપણા પર કૃપા વરસાવનાર ભ્રષ્ટ સરકારી અધીકારી ન હોય! આપણી નાની–નાની ભુલો માટે વારમ્વાર કોપાયમાન થઈ ઉઠનારો કોઈ રાક્ષસ હોય એવું ઈશ્વરનું ચીત્ર આપણી સામે મુકવામાં આવ્યું છે.

ઈશ્વર આવો હોય ખરો? અને ખરેખર જ ઈશ્વર જો તેવો જ હોય તો આપણને તેની શી ગરજ હોય? આપણે તેની ભક્તી કરવાની કે તેના ગુણ ગાવાની આવશ્યક્તા ખરી? ઈશ્વરને નામે આપણને સૌને સદીઓથી ડરાવવાનો ઉદ્યમ આપણા કહેવાતા ધર્મગુરુઓ કરતા રહ્યા છે.

અમે નાના હતા ત્યારે ખેતરમાં ફરવા જતા હતા. ખેતરમાં મને ‘ચાડીયો’ જોવાની બહુ મજા પડતી. આજેય ક્યારેક ખેતરમાં ચાડીયો જોઉં છું ત્યારે મારા ભીતરમાં બાળપણનો રોમાંચ છલકાઈ ઉઠે છે. આ ચાડીયો એટલે શું? ખેતરમાં પાક (ફસલ)ને પશુ–પંખીઓ નુકસાન ન પહોંચાડે એ હેતુથી આડી–ઉભી લાકડીનો ક્રૉસ બનાવીને એને પુરુષનાં કપડાં પહેરાવેલાં હોય. પશુ–પંખીઓને દુરથી ત્યાં કોઈ માણસ ઉભો હોય એવો વહેમ પડે અને ચણ ચણવા કે ઘાસ ચરવા અન્દર ઘુસી ન જાય. ક્યારેક ચાડીયાને માથે હૅટ પણ ગોઠવેલી હોય. ક્યારેક ચાડીયો લાકડી ઉગામીને ઉભેલો હોય. એમાં કલાત્મકતા હોવી અનીવાર્ય નહોતી. એનો હેતુ તો ભય અને ભ્રમ પેદા કરવાનો જ હતો. ક્યારેક મને લાગે છે કે આપણા ધર્મગુરુઓએ આપણને ડરાવવા માટે, આપણામાં ભય અને ભ્રમ પ્રગટાવવા માટે ઈશ્વરના નામનો ચાડીયો આપણી સામે મુકી દીધો છે!

ઈશ્વર વીશેની મારી વ્યાખ્યા સાવ સરળ અને સર્વસ્વીકૃત છે. જો કોઈ નાસ્તીક વ્યક્તી પણ આ વ્યાખ્યા સાંભળે તો એને સ્વીકારવા તૈયાર થશે. આપણને આફતમાં રાહત આપે, સંકટમાં સહાયક બને અને છતાંય વળતરની કે બદલાની જરાય અપેક્ષા ન રાખે, પોતે જે કંઈ મહાન પુણ્યકાર્ય કર્યું એની ક્યાંય બડાશ ન મારે – પ્રદર્શન ન કરે તે ઈશ્વર. ભલે પછી તે સ્વજન–મીત્ર રુપે હોય કે અજાણી વ્યક્તી સ્વરુપે હોય!

મને તેવો ઈશ્વર નથી જોઈતો, જે મારી ભુલો માટે મને પનીશમેન્ટ કરે. મને તો તેવો ઈશ્વર જોઈએ છે, જે મારી કોઈ પણ ભુલ ગમે ત્યારે માફ કરીને મને ભરપુર વહાલ કરે. મારી પાસેથી દાન–દક્ષીણા, પ્રસાદ, ભોગ, ભેટ કંઈ જ ન માગે. કશીય અપેક્ષા વગર મારા ઉપર કૃપા અને કરુણા વરસાવે તેને હું ઈશ્વર કહેવા–માનવા તૈયાર છું.

આપણને રીબાવે, તડપાવે, પનીશમેન્ટ કરે, સુખો ભોગવવા ન દે, આપણને સુખો ભોગવતા જોઈને ભડકી ઉઠે, આપણી પાસે ટાંટીયાતોડ જાત્રાઓ કરાવે, દુધમાં નાહવાનું જેને ગમે, ગરીબ ભક્ત પાસેથીય છપ્પન ભોગની અપેક્ષા રાખે, કીમતી ઝાકઝમાળ અને ઘંટારવના પ્રદુષણથી જે પ્રસન્ન થતો હોય તેવો ઈશ્વર તો માત્ર કલ્પના જ છે. સાચો ઈશ્વર તો નક્કી આપણી આસપાસમાં આપણને કોઈ તકલીફ ન પડે અને કદાચ તકલીફ પડે તો સ્નેહથી સહાય કરવાની પ્રતીક્ષામાં ઉભેલો હશે. મીત્રો–સ્વજનોનું આવું ઈશ્વરી સ્વરુપ સમજાય તો નો પ્રૉબ્લેમ.

રોહીત શાહ

લેખકસમ્પર્ક : 

શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 ઈ–મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના સાંધ્ય–દૈનીક ‘મીડ–ડે’ (શનીવાર સ્પેશ્યલ, 11 જાન્યુઆરી, 2014ની)માં પ્રગટ થયેલી એમની  લોકપ્રીય કટાર ‘નો પ્રૉબ્લેમ’માંથી.. લેખકશ્રીના અને ‘મીડ–ડે’ ના સૌજન્યથી સાભાર…

25 Comments

  1. હિન્દુ ધર્મ = શીયાળામાં ઈશ્વરને ઠંડી ન લાગે એ માટે મુર્તીને ઉનનાં કપડાં પહેરાવાય છે.
    મુસ્લિમ ધર્મ = અંદરવાળાને ઠંડી ન લાગે એ માટે બારે માસ દરગાહ / મઝાર / કબર પર ચાદર ચઢાવવા માં આવે છે. (બહાર ભલે દરિદ્રો ઠંડી થી ઠુઠવાઈ રહ્યા હોય)
    ગાંડપણમાં કેટલું સામ્ય છે? કોણ વધે ગાંડપણમાં ?

    Liked by 1 person

  2. “આપણને આફતમાં રાહત આપે, સંકટમાં સહાયક બને અને છતાંય વળતરની કે બદલાની જરાય અપેક્ષા ન રાખે, પોતે જે કંઈ મહાન પુણ્યકાર્ય કર્યું એની ક્યાંય બડાશ ન મારે – પ્રદર્શન ન કરે તે ઈશ્વર. ભલે પછી તે સ્વજન–મીત્ર રુપે હોય કે અજાણી વ્યક્તી સ્વરુપે હોય!”

    આવા માણસને નરસીંહ મહેતા ‘વૈશ્ણવજન’ કહે છે.

    Liked by 2 people

  3. સરસ લેખ. આપણે ઈશ્વરને પણ વ્યાપારી બનાવી દીધો છે. આપણે અમુક વસ્તુ, ભેંટ સોગાદ આપીશું ઍટલે ઍ આપણને આપણી મુરાદ (ઈચ્છા) પુરી કરશે!! ઈશ્વર પણ હવે તો શાણો બની ગયો છે. નિમ્ન લીખીત વાંચો.
    ઍક ભક્તની પૂજા પ્રાર્થનાથી ખુશ થઈ ભગવાન ઍનિ સામે પ્રકટ થઈ પૂછ્યું. “હે ભક્ત, તારી ભક્તીથી હું ખૂબ ખુશ થયો છું. માગ કાય પણ ઍક મન્નત (ઈચ્છા) હું પુરી કરીશ.
    ભક્તે ઘડીક ભર વિચાર કરી કહ્યું, “જો ઍવુ હોય તો મને ફરીથી કુંવારો બનાવી દે.”
    ભગવાને ઍની વાત સાંભળ્યા પછિ કહ્યું, “મેં તને મન્નત માંગવા કીધેલુ જન્નત માગવા નહીં.”
    દરિદ્ર નારાયણની સેવા નથી કરવી અને પત્થરને પૂજવું છે.
    ઍક અખાને ઍવી ટેવ,
    પત્થર દેખી પૂજે દેવ.
    કાસીમ અબ્બાસ ભાઈની વાત સાથે સંપૂર્ણ સહમત.
    Firoz Khan
    Toronto, Canada.

    Liked by 2 people

  4. અહિં અેક્ષ્પેક્ટેશન શીવાય બીજું કાંઇ દેખાતુ નથી….મારો ભગવાન મને આવો જોઇઅે…..જે….કરે….કરે….આવું ના કરે……આશા…….

    નો કોમેંન્ટસ્…………..

    અમૃત હઝારી.

    Liked by 1 person

  5. મને તેવો ઈશ્વર નથી જોઈતો, જે મારી ભુલો માટે મને પનીશમેન્ટ કરે. મને તો તેવો ઈશ્વર જોઈએ છે, જે મારી કોઈ પણ ભુલ ગમે ત્યારે માફ કરીને મને ભરપુર વહાલ કરે.
    ——
    સગો બાપ પણ આમ ના કરે !!!

    Like

  6. Khub saras lekh aabhar rohit bhai ane govind bhai banne.sathej firoz khan ane kasim abbas ni comment sathe 100% sahmat. sathej gujarati bhajan ni kadi yaad aavi gai.BE PHOOL CHADHAVYE MURTI PAR EM MALE NAHI SASTAMA, ISHVAR PADYO NATHI RASTAMA. KRUSHNA NI PASE JAVU HOI TO THAVU PADE SUDAMA, ISHVAR PADYO NATHI RASTAMA.

    Liked by 1 person

  7. Reblogged this on and commented:
    ખૂબ જ સુંદર લેખ ! આપણે જાને ઈશ્વર પણ કહેવાતા સાધુ-સંતો-ગુરૂઓ વગેરે જેવો ભ્રષ્ટ હોય તેમ માની લઈ લાંચ સ્વરૂપે કંઈ ને કંઈ આપવાની માનતાઓ રાખ્યા કરીએ છીએ, ત્યારે આ લેખ સામાન્ય લોકોની આંખ ઉઘાડનારો બની રહેવો જોઈએ ! આભાર ગોવિંદ ભાઈ તથા રોહિત ભાઈ ! મારાં બ્લોગ ઉપર રીબ્લોગ કરું છું.

    Liked by 1 person

    1. વહાલા અરવીન્દભાઈ,
      લેખકમીત્ર શ્રી. રોહીત શાહનો લેખ ‘નાસ્તીકો પણ આવા ઈશ્વરને સ્વીકારશે!’ને આપશ્રીના બ્લોગ પર ‘શેર’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  8. યુગ યુગથી આ સવાલ માનવજાતિને મુંઝવતો રહ્યો છે ને માનવસમાજને નાના નાના વાડામાં વિભાજિત કરતો રહ્યો છે. આ સવાલને લઇને અનેક યુધ્ધો ને રક્તપાત થયા છે.એ ક્રુસેડ હોય, જેહાદ હોય કે કોમી હુલ્લડ હોય કે દેખીતા રક્તપાત વિના ય ધર્મને નામે કાવાદાવા ને પ્રપંચ રમાતા હોય. ખરેખર ધર્મના કે એના કહેવાતા ભગવાનને નામે જે અધર્મ આચરાય છે એ જોઇને ખરેખર ભગવાન અલ્લાહ કે ઇશુ જેકોઇ હોય એણે પ્રગટ થવુ જોઇએ. જો એ સાચે જ મંદિર,મસ્દિજ કે ચર્ચમાં હોય તો. મારુ એમ માનવુ છે કે દરેક મનુષ્યમાં દૈવી ને દાનવી વૃતિઓ હોય જ છે. માનવમન જ કુરુક્ષેત્ર છે. રાક્ષસને શીંગડા નથી હોતા. ઓફીસમાં કામના સમયે પોતાના કામ માટે આવેલા લોકોની લાચારીનો લાભ લેનાર ને મદદ કરવાને બદલે આરામ ફરમાવનાર કર્મચારી કોઇ ચોરથી કમ નથી. તો લાંચીયા અધિકારીઓ, કામચોર કર્મચારીઓ, શાળામાં બાળકોને ભણાવવાને બદલે ટયુશનમાં ધકેલનાર શિક્ષક, બધા ચોર છે. ગરીબ દર્દીને માત્ર પૈસાને અભાવે સારવાર માટે ઇન્કાર કરનાર ડોક્ટર કે લાયક વિદ્યાર્થીને માત્ર પૈસાને અભાવે પ્રવેશ ન આપનાર બધા જ એક યા બીજા સ્વરુપે રાક્ષસીવૃતિના પ્રતિક છે. ફરજને સમયે ઉંઘતો કર્મચારી કુંભકર્ણનુ પ્રતિક છે. એ જ રીતે માણસ લાલચ, લોભ,મદ, આઆસુરી વૃતિઓને વશ થઇજાય. તો એ વગર શીંગડે રાક્ષસ ને એ જો આ વૃતિઓ પર અંકુશ રાખી ને આ વૃતિ પર વિજય મેળવે તોએ દેવ. એ રીતે આપણે બધા જ દેવ ને દાનવ છીએ.જેને આપણે ભગવાન માનીએ છીએ એ ખરેખર આપણા જેવા સામાન્ય માણસે આવા દુર્ગુણો પર મેળવેલી વિજયગાથા જ છે. કૃષ્ણે અનેક રાક્ષસને હણ્યા એમ કહેવાને બદલે એણે ઇર્ષા, લોભ, મોહ, અભિમાન, વગેરે નબળાઇ પર વિજય મેળવ્યો,એમ સમજીએ તો એમને સમજવા સહેલા પડે. ગાંધીજીની વાત લો.એણે ધાર્યુ હોત તો તખ્ત એના હાથમાં હતું.શું અગ્રેજોએ એમને લાલચ નહિ આપી હોય?પણ એ વાણીયા હોવા છતા અમીચંદના વારસ નહોતા બન્યા. અરે એણે ધાર્યુ હોત તો પોતાના છોકરાઓને વગદાર સ્થાને ગોઠવી શક્યા હોત. પણ એ ધૃતરાષ્ત્રવૃતિને પરાજિત કરીને મહામાનવ બન્યા. નેહવે એ મહામાનવના રાહને અનુસરવાને બદલે જે પથ આપણે હજારો વરસોથી લેતા આવ્યા છીએ એ જ એના મંદિરો બાંધીને પુજા કરવા માંડો, એની કથા સાંભળો, એના ફોટા કોર્ટકચેરીમાં લટકાવી દો. એ એના બલિદાનનુ મુલ્ય. બરકત વિરાણીએ સાચુ જ કહ્યુ છે કે મંદિર ઉઘાડા ને ભગવાનને મોઢે તાળા. હવે તો સમજો કે ત્યા કોઇ શિલ્પીએ બનાવેલુ ને પૈસાથી ખરીદાયેલુ પુતળુ જ છે. એ જ.
    -વિમળા હિરપારા

    Liked by 2 people

  9. માનવી ઈશ્વર પ્રત્યે આસ્થા રાખે છે કારણ કે એ માનવીના કોઈ પણ કાર્યનો પ્રતિકાર નથી કરતો. એટલે માનવીનો અહમ ઘવાવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો. ધ્યાન કેન્દ્રીત કરવું એ ખાવાના ખેલ નથી. એટલે કદાચ ઈશ્વરની કલ્પના થઈ હશે. બાકી ઈશ્વરથી ડરીને ચાલનાર માનવી એ ચાડિયાથી ડરીને દૂર રહેતા પક્ષી જ છે.

    Liked by 1 person

  10. રોહિતભાઈનો લેખ અને વિમળાબેનની કોમેન્ટ ઘણી ગમી. જે વહેમ-મુક્તિ અને ધર્મના કારણે જ કુરિવાજોને વળગી રહેવામાંથી દૂર થવાની જાગૃતિ માટે સરસ છે. મેં મારા બ્લોગ માં લખેલી મારી મુંઝવણ અને સમજની વાત અહિ રજુ કરું છું. કદાચ એ આ લેખને અનુરૂપ ન પણ હોય તો ક્ષમા યાચના.
    ઈશ્વર?
    મને મારા ઓછા IQ વાળા બ્રેઇનમાં જે ન સમજાય તે બનાવનાર GOD છે. એમ માની લઉં છું. મારા અજ્ઞાન માટે મને જરાએ અફસોસ નથી. બસ ગમે તે એકાદ પથ્થર સામે હાથ જોડી ઉભો રહી જાઉં છું. Reflection of unconscious mind. રાતે નરી આંખે દેખાતા આકાશની પેલે પર એક નહિ અગણીત ગેલેક્ષીઓ છે, વિજ્ઞાનમાં શીખ્યો છું. ગુગલથી જાણ્યું છે. કલ્પી લઉં છું; પણ જરાયે સમજાતું નથી. કદાચ ઈશ્વર એના કેન્દ્રમાં જ હશે એવી કલ્પના કરી બેસું છું.
    આમતો આખી જિંદગી મેં સ્પેક્ટ્રોગ્રાફીમાં કાઢી. ઈલેક્ટ્રોનના એનર્જી લેવલના કૂદકા ભૂસ્કા પણ નોંધ્યા. મને તો ફરતા ઈલેક્ટ્રોનમાં પણ ઈશ્વર દેખાયા. કામ કરતાં ઈશ્વરની એક માનસ મૂર્તિ બનાવી કાઢી. અને કુદરતી વેવ્વ્ઝ તેની તરંગ લંબાઈ, પથ્થર કે ધાતુ પણ વેવ્વ્ઝ ફેંકે છે અને સ્વીકારે છે, આપણા હાથમાંના રમકડા ફોન ના તરંગો સેટેલાઈટથી વિશ્વના ધારેલા ફોનમાં સેકંડમાં પહોંચી જાય છે. આખરે તો આપણે ઈશ્વર સર્જનની પેરેલલ જ દોડી રહ્યા છે એવી મારી અબુધ માન્યતા છે.
    અને પિતાના વિર્યના એક બુંદમાંના અનેકમાંથી એક ચોક્કસ ડિ.એન.એ. વાળો માનવ સર્જાયો, Oh my God!! જેમ જેમ વિજ્ઞાન જાણતો થયો તેમ તેમ ન સમજાય એવો ઈશ્વર મગજમાં ભમતો થયો. नते रूपं, नचाकारो, ગુગલે તો ઘણી જ માહિતિ આપી પણ જ્યાં જ્યાં ન સમજાઈ ત્યાં ત્યાં આ અલ્પ બુદ્ધિએ ઈશ્વરને બેસાડી દીધો. સાયન્ટિસ્ટોએ મને આસ્તિક બનાવી દીધો.
    ધણા બધા ડોન ક્વિક્ઝોટ્સ આજે વિન્ડમિલ નામના ઈશ્વરરૂપી રાક્ષસ સાથે લડી રહ્યા છે. મંદિર અને તેમાના ભગવાન તો સંસ્કૃતિ છે. દર પેઢીએ તે બદલાતી જ રહેશે. પણ મારા મિત્રો જે ઈશ્વર સાથે લડી રહ્યા છે તે મારા ભગવાન નથી હોં. મારા ઈશ્વરને હું જ ન ઓળખી શક્યો ત્યાં તમને તો કેવી રીતે સમજાવું? તમે તો મારા ઈશ્વરને ક્યાંથી જ ઓળખો? મારા મિત્રો કેટલાક મિત્રો કુરિવાજો સામે જ લડે છે. સારી વાત છે. હું પણ એમની સાથે જ છું. કુરિવાજો ધર્મ સાથે જોડાઈ જાય ને ધર્મ ઈશ્વર સાથે જોડાઈ જાય અને સુપર જ્ઞાનીઓ ઘરડે ઘડપણ વિશ્વ સુધારણાં લાગી જાય ત્યારે મને પણ એ છીછરા પાણીમાં ઝબઝબીયા કરવાનું મન થઈ જાય.
    એક ઝબકારોઃ ગુરુ બનવાનું યે વ્યસન હોય?

    Liked by 1 person

  11. Good & simplified explanation .Good article.Ishvar is intelligent creation of our ancestors for protection,security ,shelter & threaten. Good comparison with Chadia.But I don’t understand from God favour when you don’t tolerate punishment!

    Liked by 1 person

  12. ઈશ્વરના ડરને કારણે નીતીવાન જીવન જીવતી વ્યક્તીઓ ખરેખર તો ડરપોક છે. સોનાનો ઢોળ ચઢાવેલું પીત્તળ એ સોનું નથી.

    Liked by 2 people

  13. જડબેસલાક સમજમાં આવે તેવો અતિ વાસ્તવિક વિચારો સાથેનો સુંદર લેખ. ચાડીયાનો દાખલો કાબીલેદાદ !!!! જેના સદર્ભમાં. ” મ.ગઝનીને સોમનાથનિ મૂર્તિ અને મંદિર ૧૭ વાર તોડફોડ કરી લુટવામાં એ મૂર્તિને – ચાડીયાનું જ સ્વરૂપ માનેલું કહી શકાય, જો ધર્માન્ધો સમજે કે માને તો.????”

    Liked by 1 person

  14. Liked the article. ઈશ્વરના નામનો ચાડીયો આપણી સામે મુકી દીધો છે! How well we got manipulated. Thanks.

    Liked by 1 person

  15. OSHO has nicely clarified the concept of God, According to him, things that are explained or known are falling in the domain of Science. And the things which are unknown are named as God. With advent of Science the areas of science
    increases and that of God an unknown region shrinks. It is a spiritual definition.
    Most of the people believe in God as an interventionist Doctor. A kind helper.
    This is nothing but a selfish stupid belief.
    Kirit Joshi

    Like

Leave a comment