દેતે હૈં ભગવાન(!) કો ધોખા, ઈન્સાં કો કયા છોડેંગે!

દેતે હૈં ભગવાન(!) કો ધોખા,
ઈન્સાં કો કયા છોડેંગે!

–રમેશ સવાણી

તારીખ 10 ઓક્ટોબર, 1999ને મંગળવાર. સમય સવારના આઠ. ‘સુરતથી મીનાવાડા’ સ્પેશીયલ બસમાં લોકો ભક્તી રસમાં ડુબેલાં હતા. માતાજીના ગીતો ગવાતા હતા. સૌ માતાજીના દર્શન માટે જઈ રહ્યા હતા.

વચ્ચે એક હોટલ ઉપર બસ ઊભી રહી. સૌ ફ્રેશ થયા. હોટલની બાજુમાં કેસેટની દુકાન હતી. ત્યાં મીનાવાડાના માતાજીની કેસેટ વાગતી હતી. કેટલાંક લોકોએ કેસેટ ખરીદી. બસના ડ્રાઈવર શાંતીલાલે કહ્યું : “ખોબા જેવડા ગામમાં ટોળેટોળાં એકઠાં થાય છે. માતાજીની ઉમ્મર ચૌદ વર્ષની છે; પરન્તુ પરચા ગજબ છે! આરતી વેળાએ માતાજી હવામાં બે ફુટ ઊંચા થાય છે! કાદવમાં ફસાયેલી ભેંસોને માતાજીએ બહાર કાઢી આપી હતી! માતાજીએ પોતાના ખેતરમાં વાંસ અને પતરાથી પોતાનું સ્થાનક બનાવ્યું છે. રોજે પચ્ચીસથી પચાસ હજાર શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. ટ્રેકટર, મેટાડોર, લકઝરી બસ, રીક્ષા વગેરે વાહનો મુકવાની જગ્યા હોતી નથી! માતાજીની એક ઝલક મેળવવા ધક્કા–મુક્કી થાય છે. સ્થાનકે લાઈટની પુરતી સુવીધા ન હોવાથી કેટલાય લોકો વીખુટા પડી જાય છે. ચારે બાજુ હાટડીઓના કારણે મેળા જેવો માહોલ જોવા મળે છે! દરેક હાટડી–વાળાઓ માતાજીની કૃપાથી સદ્ધર થઈ ગયા છે! તમે નહીં માનો, પરન્તુ એક વખત હું માતાજીના દર્શને ગયો. માતાજીએ મને મુઠ્ઠી વાળવાનું કહ્યું. હું મુઠ્ઠીવાળીને દસ મીનીટ બેઠો. મુઠ્ઠી ખોલી તો હથેળી લાલ થઈ ગઈ! માતાજીએ કહ્યું હથેળીમાં શેષનાગના દર્શન થાય છે? મેં કહ્યું કે દેખાય છે! માતાજી ચમત્કાર કરે છે!”

સૌ ડ્રાઈવરને તાકી રહ્યા. બસ મીનાવાડા પહોંચી. ત્યાં બીજા ડ્રાઈવર્સ પણ શેષનાગના દર્શનની વાત કરતા હતા! માનવ મહેરામણ ઉમટ્યો હતો. માતાજીના દર્શન કરવા કઈ રીતે, તે પ્રશ્ન હતો. શ્રદ્ધાળુઓ ભીંસાઈ રહ્યા હતા. માતાજીના દર્શનની તાલાવેલી, શ્રદ્ધાળુઓને બેબાકળા બનાવતી હતી. સ્વયંસેવકો વ્યવસ્થા જાળવવા માટે આડેધડ ડંડા મારતા હતા. સૌને માતાજી તરફ જવું હતું; પરન્તુ સ્વયંસેવકો શ્રદ્ધાળુઓને ઉલટી દીશામાં ધકેલી રહ્યા હતા.

સુરતની સત્યશોધક સભાના કાર્યકર સીદ્ધાર્થ દેગામી(સેલફોન : 94268 06446), મધુભાઈ કાકડીયા(સેલફોન : 98255 32234), ગુણવંત ચૌધરી(સેલફોન : 98251 46374), જયસુખ કોઠીયા અને પરેશ લાઠીયા(સેલફોન : 9825770975) માતાજીને મળવા ઉતાવળા થતા હતા પણ મેળ પડતો ન હતો.ગુજરાતમુમ્બઈ રૅશનાલીસ્ટ એસોસીએશન, અમદાવાદના કાર્યકર પીયુષ ચૌહાણ–ઍડવોકેટ(સેલફોન : 94260 48351), સુનીલ ગુપ્તા(સેલફોન : 95740 68156), લંકેશ ચક્રવર્તી(સેલફોન : 94263 75381), સુરેશ પરીખ(હાલ વીદેશમાં) અને ગીરીશ ચાવડા(સેલફોન : 99985 34646) પણ માતાજીને મળવા આતુર હતા! આ બધાં માતાજીનું પગેરું શોધવા મીનાવાડા આવ્યાં હતાં! માતાજીની મુલાકાત કઈ રીતે કરવી, તે પ્રશ્ન હતો.

મધુભાઈએ કહ્યું : પીયુષભાઈ! એક યુક્તી છે! ટોળા ઉપર ડંડા વીંઝતા સ્વયંસેવકના કાનમાં ફુંક મારો કે અમે બધાં મુમ્બઈથી આવીએ છીએ! અમારા શેઠ મોટા ઉદ્યોગપતી છે અને માતાજીના ભક્ત છે. આવતી પુનમે દર્શન કરવા આવશે. અમને શેઠે મોકલ્યા છે. માતાજીને કોઈ ચીજવસ્તુની જરુર હોય તો જાણી લાવો, એવો હુકમ અમારા શેઠે કર્યો છે! માતાજીની મુલાકાત ગોઠવી આપો!”

પીયુષભાઈએ સ્વયંસેવકના કાનમાં ફુંક મારી. સ્વયંસેવક તરત જ માતાજી પાસે ગયો. પન્દર મીનીટ પછી તેણે પરત આવીને કહ્યું : “ પીયુષભાઈ, ચાલો માતાજી બોલાવે છે!”

સૌ માતાજી પાસે પહોંચ્યા. આશીર્વાદ લીધાં. શ્રદ્ધાળુઓ રુપીયાનો વરસાદ વસાવતા હતા. થોડીવાર થાય એટલે માતાજીના સગાંઓ રુપીયાનો ઢગલો બે હાથે ભેગો કરીને સલામત જગ્યાએ મુકી આવતા હતા. ક્યારેક માતાજી પણ ભાખોડીયાભેર રુપીયા વીણવા મંડી પડતા હતા! નારીયેળ અને ચુંદડીનો મોટો ઢગલો થયો હતો.

મધુભાઈએ કહ્યું : “માતાજી! અમે મુમ્બઈથી આવીએ છીએ!”

“મધુભાઈ, તમને સૌને અહીં મોકલવા માટે મેં જ તમારા શેઠને સ્વપ્નમાં જઈને કહ્યું હતું! તમારા શેઠને કહેજો કે અમારે અહીં ભવ્ય મન્દીરનું નીર્માણ કરવું છે! શ્રદ્ધાળુઓ માટે ધર્મશાળા અને ભોજનશાળા ઊભી કરવી છે! લાઈટની વ્યવસ્થા અને પાણી માટે બૉર કરાવવો છે!”

“માતાજી! અમારા શેઠ આ બધું કરાવી દેશે! અમારી ઈચ્છા એક પરચો જોવાની છે!”

“મધુભાઈ, જમણા હાથની મુઠ્ઠી વાળો. ભીંસ આપો. પાંચ મીનીટ પછી તમારી મુઠ્ઠીમાં શેષનાગ દેખાશે!”

મધુભાઈએ પાંચ મીનીટ પછી પોતાની મુઠ્ઠી ખોલી કહ્યું : “માતાજી! મારી મુઠ્ઠીમાં શેષનાગ તો ઠીક, સાપોલીયું પણ દેખાતું નથી!”

“મધુભાઈ, શ્રદ્ધા હોય તો દેખાય!”

માતાજી! ચમત્કાર કે પરચો નાનો કે મોટો દેખાડે તેને અમદાવાદના ‘ગુજરાતમુમ્બઈ રૅશનાલીસ્ટ એસોસીએશ’ને રુપીયા ચોસઠ લાખનું ઈનામ જાહેર કર્યું છે! પરચો બતાવો અને ચોસઠ લાખ મેળવી લો!”

“મધુભાઈ, કોઈના કહેવાથી ચમત્કાર કરાય નહીં!”

“માતાજી! ચોસઠ લાખ માટે નહીં; પણ અમો શ્રદ્ધાળુઓને પરચો દેખાડો!”

“સાત મંગળવાર આવો! પરચો દેખાશે!”

માતાજી!, તમે શા માટે ઢોંગ કરો છો? તમારામાં કોઈ દીવ્ય શક્તી નથી કે પરચા–શક્તી નથી!”

“મધુભાઈ, તમે શું બકો છો? માતાજીનું અપમાન કરો છો? થોડા દીવસ પહેલાં એક અખબારમાં મીનાવાડાના માતાજી અંગે લેખ પ્રગટ થયેલો. તમે નહીં માનો, પણ એ લેખકના ખુબ હોશીયાર સંતાનનું મરણ થઈ ગયું! લેખ પ્રગટ કરનાર અખબારનું પ્રીન્ટીંગ મશીન બંધ પડી ગયું! મશીનની મરામત કરાવી તો એક કરોડનો ખર્ચ થયો!”

માતાજી! એવું કશું બન્યું નથી! એ બધાં જુઠ્ઠાણાં છે! માતાજી તમારી માથે જે મુગટ છે, તે તમોને દીવ્યશક્તીએ આપેલો નથી. પુંઠા ઉપર રંગીન કાગળો ચોંટાડીને મુગટ બનાવેલો છે. બહુરુપી પહેરે તેવો મુગટ દીવ્યશક્તી ન આપે! દીવ્યશક્તીનો મુગટ તો સોનાનો હોય, ડાયમંડનો હોય! તમે આરતી કરો છો ત્યારે તમારા ગળામાં નાગદેવ હોય છે, આરતી વેળાએ તમારા વાળ લાંબાટુંકા થાય છે, આરતી વખતે તમારા પગ બે ફુટ અધ્ધર થઈ જાય છે, દીવ્યશક્તીએ તમને ત્રીશુળ, શ્રીફળ અને ચુંદડીની ભેટ આપી છે, આ બધાં ગપ્પાં છે! તમે ત્રીકાળ જ્ઞાની છો, એ દાવો બીલકુલ પોલો છો! તમે માતાજીની ભુમીકા ભજવો છો; પણ અમે કોણ છીએ તેની તમને કોઈ જાણકારી પણ નથી! ભોળા લોકોને છેતરવાનું બંધ કરો!”

“તમે કોણ છો? હું નારાજ થઈશ તો તમે સૌ અહીં જ સળગીને મરી જશો!”

માતાજી! અમે સુરતની સત્યશોધક સભા’ના કાર્યકરો છીએ. અમારી સાથે ગુજરાતમુમ્બઈ રૅશનાલીસ્ટ એસોસીએશ’, અમદાવાદના કાર્યકરો પણ છે. અમારું કામ ઢોંગીઓને ખુલ્લા પાડવાનું છે! તમારા કહેવાથી અમે સળગી જવાના નથી. અમે જાણીએ છીએ કે તમારાથી સળીના બે ટુકડાં થઈ શકે તેમ નથી!”

“હું કોઈને આમન્ત્રણ આપતી નથી. શ્રદ્ધા હોય તે આવે! અહીં હજારો માણસો આવે છે, તે બધાના દુઃખ દુર થાય છે. ફાયદો થાય છે, તેથી સૌ આવે છે, તે બધા ખોટા અને તમે સાચા? અમે સમાજસેવા કરીએ છીએ!”

“માતાજી! લોકો કામકાજ છોડીને અહીં દર્શને આવે છે! માનતા માને છે! ખોટા વીશ્વાસમાં રહે છે કે માનતાવાળું કામ માતાજીની કૃપાથી થઈ જશે! માનતાવાળી માનસીકતાને કારણે લોકોની દુર્દશા થાય છે! સમાજની અધોગતી થાય છે! તરકટ કરનારાને ઘી–કેળાં અને મોજમઝા! ધતીંગ કરનારા સમાજસેવા કરી શકે નહીં! દેતે હૈ ભગવાન કો ધોખા, ઈનસાં કો ક્યા છોડેંગે!

સત્યશોધક ટીમ સુરત પરત જઈ રહી હતી ત્યારે બસના ડ્રાઈવરે પુછ્યું : “મધુભાઈ, આજે હથેળીમાં શેષનાગના દર્શન થયા! હું ધન્ય બની ગયો! તમને દર્શન થયા કે નહીં?”

મધુભાઈ ડ્રાઈવરને તાકી રહ્યા!

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’(26, એપ્રીલ, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile : 99099 26267  e.Mail : rjsavani@gmail.com

15 Comments

  1. આજના પ્રગતિશીલ યુગ ઍટલે કે ૨૧મી સદીમાં પણ આવા ધતીન્ગો થઈ રહ્યા છે, તેનું કારણ પ્રજા માં અંધવીશ્વાસ અને ધર્મના નામે અંધશ્રદ્ધા જ છે. આ ધતીન્ગો કેવળ હિન્દુ ધર્મ સુધી જ મર્યાદિત નથી, પરંતુ મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મમાં પણ જોવા મળે છે. કેનેડાના ખ્રિસ્તીઓના ઍક દેવળની વર્તમાનપત્રની જાહેરાતમાં પણ આવાજ ધતીન્ગની જાહેરાત દર અઠવાડીયે પ્રગટ થતી રહે છે. જાહેરાતનો હેતુ: અંધશ્રદ્ધાળુઑ પાસેથી વધુમાં વધુ “ડોનેશન” ઓકાવી શકાય.

    મુસ્લીમ ધર્મમાં પણ ઍવા લેભાગુ પીર, મોલાવી, ધર્મગુરુ જોવા મળે છે, જેમની આવી ગેરમાર્ગે દોરાવનારી કટારો દર અઠવાડીઍ વર્તમાનપત્રમાં પ્રગટ થતી રહે છે, જે તેઑ જાહેરાતના ભાવે પ્રગટ કરાવે છે.

    આ સર્વે લેભાગુઑ અંધશ્રદ્ધાળુઑ પાસેથી ચમત્કાર ના નામે કેવળ પૈસા કઢાવવા માટે આવા ધતીન્ગો કરી રહ્યા છે.

    ઝૂકતી હે દુનીયા, ઝૂકાને વાલા ચાહીયે.

    કાસીમ અબ્બાાસ

    Liked by 3 people

  2. 4 Attachments in support of my comments of today.

    Thanks.

    Qasim Abbas

    Canada

    =========================================

    ________________________________

    Like

  3. Govindbhai,

    Apna adda (Gujarati) page par aa lekh mukyo che. charcha ni sharuaat pan thaee gayee che. Mulakat lesho.

    Firozbhai.

    Liked by 1 person

    1. વહાલા ખાનસાહેબ,
      મારા ‘અભીવ્યક્તી’ બ્લોગનો લેખ ‘દેતે હૈં ભગવાન(!) કો ધોખા, ઈન્સાં કો કયા છોડેંગે!’ ને ‘अपना adda’ પર જનજાગૃતી અને ચર્ચા અર્થે શેર કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  4. આજ નો માનવી ભગવાન શું છે, કિયા છે, કોણ છે એ બધું બાજુ મૂકી પૈસો મારો પરમેશ્વર ના નામે એમના ભગવાન ને પથ્થરો માં જડી દીધા છે ..અને પછી પોતે જ ભગવાન બની બેઠો છે….
    ગઈ કાલે જ મેં મારા થ્રેર્ડ્સ માં લખિયું હતું કે અળસિયાંને ફેણ આવી ……. અને ફેનિયા દર માં ડર ના મારે છુપાઈ ને બેઠા… જે લોકો આ બાબત માં કઈ કરી શકે છે તે લોકો ડરના માર્યા મોં છુપાવે છે…..

    Liked by 1 person

  5. ગોવીંદભાઈ, પૈસા માટે આ પ્રકારની છેતરપીંડી કરનાર પોતે કોઈ ભગવાનમાં માનતાં હોય એમ મને તો લાગતું નથી, કેમ કે ભગવાનમાં માનતાં હોય તો આવી છેતરપીંડીનું પરીણામ એ લોકોની જ માન્યતા અનુસાર નર્કમાં જઈને ભોગવવું પડે. જો કે ખરેખર સ્વર્ગ કે નર્ક જેવું કશું નથી. એ બધી માન્યતા છે, જેમ ભગવાનની માન્યતા છે તેમ જ. પણ લોકોની મુઢતાને લીધે આવા લોકોનો ધંધો ચાલતો રહે છે.

    Liked by 1 person

  6. Thanks to ‘સત્યશોધક સભા’ના કાર્યકરો. WE need more like this in every village, and cities of India.

    Liked by 1 person

  7. પ્રભુમા શ્રદ્ધાં હોવી જોઇયે.. અંધશ્રદ્ધા ના હોવી જોઇયે. કર્મનું ફળ મળે…હાથ જોડીને બેસી રહેવાથી કે પ્રભુ ..માતાજી મારૂ દુઃખ દૂર કરશે…તેવી ખોટી આશા ફળવાની નથી..આપણો દેશ તો શું પણ બ્રિટન જેવા વિકષિત દેશમાં પણ આટલી જ અંધશ્રદ્ધા લોકોમાં પ્રવર્તી રહી છે.. સુંદર લેખ….. ગોવિંદભાઇ….. આભાર…
    ગિરીશ દવે.
    બરોડા.

    Liked by 1 person

  8. Khub saras shree Raman pathak lakhe chhe tem shraddha ej andhshraddha banne ma fakt vakya rachna noj farak mathana val jetli barik sarhad rekha hoi chhe banne vachche je kyare olangi gaya teno khyal aavto nathi .
    SHRADDHA EJ ANDHSHRADDHA,
    SHANKA EJ VIGNYAN.

    Liked by 1 person

  9. આટલી બધી હૈયા વરાળ? દુનિયામાં અનેક ધંધાઓ ચાલે છે તેમાં ધર્મને નામે ચાલતો આ પણ એક ધંધો જ છે. દરેક બિઝનેસની એક ચોક્કસ ખાસિયત હોય છે. ચોક્કસ વર્ગને જ એમાં રસ પણ હોય છે. તો ચાલવા દોને!!! પૈસો પણ એક કે બીજી રીતે ફરતો રહેવો જોઈએ. એક ગજવામાંથી બીજા ગજવામાં જવો જ જોઈએ. હા હા હા. જોકે આવા કોઈ લબાડીને મારી એક પણ પેની પહોંચી નથી. મોટાભાગના પ્રતિભાવ આપનાર મિત્રો પરદેશમાં જ છે એમને તો કોઈજ માતા સ્પર્શતા નથી. પણ સારી વાત છે એટલે લેખ અને લેખકને અમે ટેલો આપી વખાણીયે છીએ. અમે રહિ ના જવા જોઈએ.

    Liked by 1 person

  10. મેં વાંચેલું જ હું મિત્રોને વંચાવું છું.
    ૧. ‘ ઘણી કરી શોઘ મેં શ્લોક અને સ્તુતિમાં….
    આખરે ઇશ્વર દેખાયો મને સહાનુભૂતિમાં…‘
    ૨. ‘ ઇન્સાન સે મિલના તુજે આયા નહિ હૈ ‘સાહિલ‘,
    ભગવાન સે મિલને કી આરઝૂ પે હંસી આતી હૈ.‘
    ૩. ‘ માટી કા અેક નાગ બનાકે,
    પૂજે લોગ લુગાયા !
    જિંદા નાગ જબ ઘરમેં નિકલે,
    લે લાઠી ઘમકાયા !!
    જિંદા બાપ કોઇ ના પૂજે
    મરે બાદ પુજવાયા !
    મુઠ્ઠી ભર ચાવલ લેકે,
    કૌવે કો બાપ બનાયા !!.
    ૪. નરસિહ મહેતા કહી ગયા…‘ અે સહુ પ્રપંચ પેટ ભરવા તણા…..‘
    ૫. કબીરવાણી….‘ પત્થર પૂજે પ્રભુ મીલે, તો મેં પૂજું પહાડ,
    તા તે ચક્કી ભલી, પીસ ખાય સંસાર. ‘
    ઘણા ઘણા મહાન આત્માઓ સમજાવી સમજાવીને પ્રભુઘામ પહોંચી ગયા પરંતુ આ અંઘશ્રઘ્ઘાળુઓ ૨૧મી સદીમાં વઘતા જ જાય છે…અને તે મુરખોની મુરખાઇનો લાભ લેનારા ઉસ્તાદો પણ ઓછા નથી…
    ..કારણોનો ઉંડો અભ્યાસ કદાચ અંઘશ્રઘ્ઘા માટે અમુક કારણોને‘ કારણભૂત‘ ગણે પણ ખરા…..ગરીબાઇ….મોટામાં મોટું કારણ બને છે. જેને નસીબનો માર કહીઅે છીઅે તે પણ……અને ????????????????
    ‘ બિચારા‘ ઓ ભાન ભૂલીને પોતાનું જીવન બરબાદ કરતાં હોય છે……..જો પૈસાવાળો અંઘશ્રઘ્ઘા તરફ વળે તો તે સ્વાર્થ , લોભ ……ના મોહે ‘ બિચારો‘ બનવા જાય છે. કારણો શોઘીને ઘૂતારાને ખૂલ્લા પાડો તે બરાબર છે…પરંતું કારણો જાણીને કારણોનું નિવારણ…સોલ્યુશન પણ અંઘશ્રઘ્ઘાને દૂર કરવા મદદરુપ થાય.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  11. આજે આપણી આસપાસ આવા ધુતારાઓનો રાફડો ફાટ્યો છે. રોજ એક નવો ગુરુ તૈયાર થાય છે. કારણ કે આ કામ એક્દમ સહેલુ છે. માન અને મની મળે છે. મહેનત કરવી પડતી નથી. છેતરનારા અને છેતરાઇ જનારા લાખો છે. રેશનાલીસ્ટો કેટલા છે? પોલખોલ કાર્યક્રમો વધવા જોઇએ. માતાજી-ગુરુજીની હવા કાઢી નાખવા રેશનાલીસ્ટોનુ મજબુત સંગઠન જરુરી છે. આવો આપણે સૌ તેવા સંગઠન સાથે જોડાઇને સમાજને શુધ્ધ કરીએ.
    અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    રોહિત દરજી ” કર્મ” , હિંમતનગર જિ.સાબરકાંઠા

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s