મરણોત્તર કલ્પનાવીહાર અને હાનીકારક ક્રીયાકાંડ

 

મરણોત્તર કલ્પનાવીહાર અને
હાનીકારક ક્રીયાકાંડ

–વલ્લભ ઈટાલીયા

મૃત્યુ પછી શું? કદાચ કદીયે ન જાણી શકાય એવા પ્રશ્ને માણસને હજારો વર્ષથી અજબગજબનો કલ્પનાવીહાર કરાવ્યો છે. પૃથ્વી પર માનવી જ એકમાત્ર એવું પ્રાણી છે, જે વર્તમાન જીન્દગી પછીનો મરણોત્તર ભાવીનો વીચાર કરે છે. માણસ દુ:ખી છે; કારણ કે તે આ લોકની ઓછી; પરલોકની ચીન્તામાં વધુ વ્યસ્ત રહે છે. માણસને પોતાની વર્તમાન જીન્દગી નરક જેવી હાલતમાં ગુજરે તે મંજુર છે; પરન્તુ મૃત્યુ પછીની જીન્દગીને તો સ્વર્ગમાં જ માણવી છે!

હીન્દુઓ સ્વજનના મૃત્યુ પાછળ દહાડો–પાણીઢોળ કરે છે, તેમાં અનેક ચીજ–વસ્તુઓ બ્રાહ્મણોને દાનમાં આપે છે. પલંગ, પાગરણ, વસ્ત્રો, જોડાં, ખાવા–પીવાની સામગ્રી, વરસાદથી બચવા છત્રી, અન્ધારે ભાળવા માટે ફાનસ (કહેવાતા સ્વર્ગમાં હજુ વીજળીની શોધ કે વ્યવસ્થા થઈ લાગતી નથી!) વગેરે ચીજ–વસ્તુઓ મરનારની પાછળ બ્રાહ્મણને એટલા માટે દાનમાં આપવામાં આવે છે કે, તે વસ્તુઓ, મરનારને સ્વર્ગમાં પ્રાપ્ત થાય!

કહેવાય છે કે, પરલોકમાં ‘વૈતરણી’ નામની વીશાળ નદી તરવાની ફરજીયાત હોય છે. જો આપણે બ્રાહ્મણને દાનમાં ગાય આપી હોય, તો જ એ નદી તરવાની વેળાએ ગાય આપણને મળે અને એનું પુંછડું પકડીને આપણે વૈતરણી તરી શકીએ! (ધનીક માણસો બ્રાહ્મણને ગાયના બદલે હેલીકૉપ્ટર દાનમાં આપી શકે ખરાં? એમ બને તો વૈતરણી પાર કરવામાં વધારે સરળતા રહે!) જો અહીં ભુમીનું દાન કર્યું હોય તો જ પરલોકમાં આપણને ભુમી મળે!

ઈસ્લામ, ખ્રીસ્તી અને યહુદી ધર્મમાં કયામતના દીને જીવને જન્નત(સ્વર્ગ) કે જહન્નુમ(નર્ક)માં ક્યાં નાખવો તેનો ઈશ્વર ઈન્સાફ કરે છે, એવી માન્યતા છે. તપસ્યાના માધ્યમથી જીવો મોક્ષ મેળવે છે અને જનમ–જનમના ફેરા ટળે છે, એવું જૈનો માને છે. ‘કરેલું કર્મ ભોગવવું પડે છે’ એવો સીદ્ધાન્ત લગભગ દરેક ધર્મોમાં છે. બૌદ્ધ ધર્મ પણ કર્મફળવાદી છે.

જો માણસના કર્મ પ્રમાણે જ એને ફળ મળતું હોય, ચીત્રગુપ્તના ચોપડે તેનાં પાપ–પુણ્ય જમા–ઉધાર લખાઈ જ જતાં હોય અને એ પ્રમાણે જ ન્યાય નક્કી થતો હોય; તો પછી સ્વજનના મૃત્યુ પાછળ તેને સ્વર્ગ અપાવવા આપણે કર્મકાંડો શા માટે કરીએ છીએ? શું મરણોત્તર કર્મકાંડ કે પંડીત–પુરોહીતો ભગવાનના ન્યાયમાંય પરીવર્તન લાવે એટલા બધા શક્તીશાળી છે? જો મરણોત્તર કર્મકાંડથી પાપ ધોવાઈને મોક્ષ જ મળી જતો હોય, તો એ સીદ્ધાન્ત તો ભયંકર જોખમકારક ગણાય! કારણ કે પછી તો જીવનમાં માણસ ટેસથી ભરપુર પાપ કરે, એટલા માટે કે મરણોત્તર ક્રીયાથી એનાં એ પાપ ધોવાઈ જ જવાનાં છે ને? પછી તો સ્વર્ગ કે મોક્ષ નક્કી જ!

અઢી હજારથીય વધુ વર્ષો પુર્વે ઋષી ચાર્વાકે કહ્યું, ‘સ્વર્ગ નથી, મોક્ષ જેવું કંઈ જ નથી; કારણ કે આત્મા જ નથી અને પરલોક પણ નથી. કર્મકાંડની કોઈ પણ ક્રીયાનું કશું ફળ મળતું જ નથી’.

કયામત અંગેના મુસ્લીમોના અને ખ્રીસ્તીઓના વીચારો અને પુનર્ભવ–પુર્વભવ અંગેના હીન્દુઓ, બૌદ્ધો, શીખો, જૈનોના વીચારો, જીવનની મરણ પછીની વ્યવસ્થા અંગે જુદા જુદા છે અને બધા ધર્મોને પોતાના વીચારો જ સાચા લાગે છે. દરેક ધર્મમાં જુદી જુદી માન્યતાઓ પ્રવર્તતી હોવાથી, એક સાથે એ બધું જ સાચું કદી પણ હોઈ શકે ખરું?

પુનર્જન્મ વીષયક પણ લોકમાનસમાં ખુબ ગુંચવાડો પ્રવર્તે છે. જો જીવનો તત્કાળ કે એક માન્યતા મુજબ 13 દીવસ બાદ (બારમાના દીવસ પછી) અન્ય પ્રાણીરુપે પુનર્જન્મ જ થતો હોય તો સ્વર્ગ–નરકની પ્રાપ્તીનો પ્રશ્ન જ ક્યાં રહે છે? અને જો પુણ્યશાળી સ્વર્ગમાં અને પાપી નરકમાં વસે, એમ માનીએ તો પુનર્જન્મનું શું? આવા બધા ગરબડ–ગોટાળાનું કારણ એ છે આ બધી કોરી કલ્પનાઓનો વીહારમાત્ર છે. બધા ધર્મોએ એક મત થઈ, કોઈ એક જ વ્યવસ્થા દર્શાવી નથી એ જ સીદ્ધ કરે છે કે, આ બધું કપોળકલ્પીત છે.

જ્યાં આત્મા છે કે નહીં – એ જ નક્કી નથી; ત્યાં પુનર્જન્મ શું અને મોક્ષ વળી શું? વીજ્ઞાને પણ આટલી મહાન–સુક્ષ્મ શોધો કર્યા છતાં, આત્મા શોધ્યો નથી; કારણ કે દેહથી અલગ આત્મા જેવું કંઈ છે જ નહીં. ચાર્વાકે ખુબ જ વૈજ્ઞાનીક વાત કહી છે : પંચમહાભુતોના સંયોજનથી જ ચૈતન્ય પ્રગટે છે, આત્મા જેવી કોઈ અલગ કે સ્વતન્ત્ર વસ્તુ જ નથી. પંચમહાભુતોનું સંયોજન ખોરવાતાં ચૈતન્ય આપોઆપ નષ્ટ થાય છે. જેમ : દીપક(કે મીણબત્તી) હોલવાઈ જતાં, પ્રકાશ કે જ્યોત નાશ પામે છે તેમ.’ માટે જ ચાર્વાક આગળ કહે છે કે ‘શ્રાદ્ધ, તર્પણ વગેરે ક્રીયાકાંડો તો બ્રાહ્મણોએ કરેલી પૈસા પડાવવાની ધુર્ત યોજનાઓ જ છે.’

શ્રાદ્ધ, તર્પણ, પીંડદાન, બ્રહ્મભોજન કે કાગડાને વાશ નાખવાથી તે આત્માને પહોંચે એવી માન્યતા છે. તો પ્રશ્ન એ થાય કે શું આત્માએ પણ દેહની માફક આવો બધો આહાર–ખોરાક ખાવો જોઈએ? અને શું આપણા બધા જ પુર્વજો કાગડા જ થાય છે? શું બધા જ પુર્વજો સાપ કે કાગડા બની પાછા પૃથ્વી પર જ આટા–ફેરા મારે છે? હવાફેર કરવા સ્વર્ગમાં કે નરકમાં કોઈ રોકતા નથી? થોડોક જ વીચાર કરતા આ બધી જ માન્યતાઓ પરસ્પર ટકરાય છે; કારણ કે એ સત્યથી છેટી છે.

મૃત માણસની પાછળ કર્મકાંડમાં, હોમહવનમાં કે લાડવા ખવડાવવામાં નાણાં વેડફીએ તેના બદલે શીક્ષણ, સ્વાસ્થ્ય કે સમાજહીતમાં નાણાંનો ઉપયોગ કરીએ તો સ્વર્ગ માટે માણસે મૃત્યુ સુધી રાહ જોવી પડે એમ નથી. જે દીવસે ‘સ્વર્ગ આકાશમાં ક્યાંય નથી’ આટલી અમથી સમજણ માણસમાં આવશે ત્યારે પૃથ્વી પર જ સ્વર્ગનું નીર્માણ નક્કી!

ગ્રહોની નડતર, પુનર્જન્મ, પુર્વજન્મ, પાછલા જન્મોના કર્મોનાં સારાં–નબળાં ફળ, પ્રારબ્ધ, નસીબ – આ બધું માણસે પોતાની જવાબદારીમાંથી છટકવા માટે ઉઘાડેલી છટકબારીઓ છે. આપણા નબળા પુરુષાર્થના બચાવ માટેના, આ બધાં મનઘડંત અવલમ્બનો છે.

ગાંધીજી જેવા મહાત્માએ પોતાના જીવનમાં કદી કોઈનું બુરું નથી કર્યું; છતાં તેમનું ખુન થયું. તો શું એ માટે ગાંધીજીના પુર્વજન્મનાં કર્મો જવાબદાર હતા? અને જો ગાંધીજીએ પાછલા જન્મમાં પાપ કર્મો કર્યા હોય તો પછી આ જન્મમાં તેઓ એક મહાન માણસ – ‘વીશ્વવીભુતી’ – કેમ બની શક્યા? રવીશંકર મહારાજે આખી જીન્દગી જનસેવામાં જ ગાળી; છતાં એક દાયકા સુધી પથારીવશ, અસહાય હાલતમાં રીબાયા. શું એ એમના પુર્વજન્મનાં પાપને કારણે એમ બન્યું? પુર્વજન્મમાં તેમણે પાપ કર્યું હતું તો પછી ખુબ મોટી ઉમ્મર થઈ ત્યાં સુધી ખુબ જ તન્દુરસ્ત, પરોપકારી અને ઋષી જેવું સન્માનીત જીવનનું પ્રારબ્ધ તેમને કેમ મળ્યું? દુનીયામાં લાખો યુવતીઓ શારીરીક શોષણ અને બળત્કારનો ભોગ બને છે, શું તે બધી પુર્વજન્મનાં ફળ ભોગવી રહી છે? ધરતીકમ્પ, પુર જેવી કુદરતી હોનારતોમાં અને યુદ્ધમાં, હજારો–લાખો સ્ત્રી–પુરુષો, બાળકો, પશુઓ અને જીવજન્તુઓ માર્યાં જાય છે. શું એ બધાંએ એક સરખાં પાપ કર્યાં હોય છે? કશ્મીરમાં નીર્દોષ નાગરીકો ત્રાસવાદનો ભોગ બની રહ્યાં છે, તો શું એ બધાં પુર્વજન્મનાં ફળ ભોગવી રહ્યાં છે? અને જો તેઓ પુર્વજન્મનાં પાપ ભોગવી રહ્યાં હોય તો; એ ઈશ્વરી ન્યાયવ્યવસ્થામાં ખલેલરુપ એવું આ પોલીસતન્ત્ર, લશ્કર તેમના રક્ષણ માટે કેમ ગોઠવવામાં આવ્યું છે? એક તાજો જ દાખલો : હાલ જ સુરતના નાગજીભાઈ ધોળકીયા નામક હીરા દલાલનું અપહરણ કરી, તેમની પાસેથી દોઢેક કરોડના હીરા લુંટી, તેમનું ખુન કરી નંખાયું. માની લઈએ કે નાગજીભાઈને તેમનાં પુર્વજન્મનાં કર્મનું ફળ મળ્યું; પણ તેમના જતાં, તેમનાં પત્ની અને માસુમ બાળકો અકાળે નીરાધાર–અનાથ બન્યાં, તેને માટે કોનાં પુર્વજન્મનાં કર્મોને જવાબદાર લેખીશું? છે કોઈ સમાધાનકારી નક્કર જવાબ?

મીત્રો, માણસના જીવન દરમીયાનના કર્મનાં ફળ સમજાય તેમ છે કે, વધારે પડતું ખાવાથી પેટમાં દુ:ખે, બહુ ઉજાગરા કરવાથી માંદા પડી જવાય, વાહન બેકાળજીથી ચલાવીએ તો અકસ્માતનો ભોગ બનીએ, બેદરકારીથી શાક સમારીએ તો ચપ્પુ વાગે અને લોહી નીકળે, પાણીનો વેડફાટ કરીએ તો પાણી વગર ટળવળીએ, ભણવામાં ધ્યાન ન અપાય તો નાપાસ થવાય, આ બધાં કર્મોનાં ફળ સમજી શકાય છે; પરન્તુ પુર્વજન્મ કે જે આપણને યાદ જ નથી તેવા કર્મોનું ફળ આટલું મોડું? અને તેય બીજા જન્મમાં! તર્કમાં બેસતું નથી. દુનીયાના મહાન ગણાતા વીચારકો, દાર્શનીકો અને તત્ત્વચીન્તકોના વીચારોમાં પણ આ વીષય અંગે વીરોધાભાસ જોવા મળે છે; કારણ કે મૃત્યુ પછી શું? એ વીષય પર ગમે તેટલા મોટા ગજાના તત્ત્વચીન્તકને પણ આખરે તો કલ્પના પર જ આધાર રાખવો પડે છે.

મારી સમજ પ્રમાણે વ્યક્તી સુખી કે દુ:ખી થાય છે તેમાં પુર્વજન્મના કર્મો નહીં; પરન્તુ મોટાભાગે માણસ પોતે જ અથવા ધર્મ, સમાજ કે તેની આસપાસનાં પરીબળો જ જવાબદાર હોય છે. મુખ્યત્વે તો માણસની ક્ષમતા, યોગ્યતા કે અયોગ્યતા, સમય–કસમયનાં સાચા કે ખોટા નીર્ણયો જ સુખ–દુ:ખ માટે કારણભુત હોય છે.

પહેલાના વખત કરતાં આજે બાળમૃત્યુ દર ઘણો ઘટી ગયો છે. વીચારી જુઓ, શું આધુનીક ચીકીત્સાવીજ્ઞાનના કારણે આ શક્ય બન્યું છે કે પુર્વજન્મના કર્મોનાં કારણે? પહેલા માણસનું સરેરાશ આયુષ્ય માંડ 35 વર્ષ હતું. આજે લગભગ 65 વર્ષ થવા આવ્યું છે. શું તે પુર્વજન્મના કર્મોથી કે પછી અદ્યતન મેડીકલ સાયન્સના કારણે શક્ય બન્યું છે? પહેલાના જમાનામાં વીધવા બનેલી સ્ત્રીઓએ જીવનભર અપમાનીત અને કલંકીત જીવન જીવવું પડતું હતું. આજે વીધવાવીવાહ થઈ શકે છે. વીધવા સ્ત્રીઓ પણ પુનર્લગ્ન કરી અન્ય સ્ત્રીઓની માફક પોતાનું જીવન સુખરુપ ગાળી અને માણી શકે છે. શું આ પુર્વજન્મનાં કર્મોના કારણે શક્ય બન્યું છે કે પછી સમાજસુધારાના કારણે?

મૃત શરીરને ગૅસચેમ્બરમાં નહીં; પણ લાકડા વડે અગ્નીસંસ્કાર આપવાથી મોક્ષ મળે તેવા આદીમ વીચારો આજે વીજ્ઞાન યુગમાં પણ હયાત છે. મૃત્યુ પછી કાણ–ખરખરાના રીવાજોએ પણ હાનીકારક સ્વરુપ ધારણ કરી લીધું છે. ખરખરો કરવા માટે ઉમટી પડેલા લોકટોળાંઓ શોકાતુર પરીવારની ‘ખબર જ લઈ નાખે’ છે! શોકમગ્ન પરીવારને દીવસો સુધી શોકમાં જ ડુબેલા રાખવાની જાણે ઝુમ્બેશ! સૌરાષ્ટ્રમાં તો માથે ફાળીયાં નાંખી સાચું–ખોટું રડતાં–રડતાં ટોળેટોળાં શોકાતુર પરીવારના ઘરે ઉમટી પડે અને દુ:ખી પરીવારને દીવસમાં પચાસ વખત સાચુકલું જ રડાવે! ક્યારેક તો ખરખરે જતું ટ્રેકટર કે ટેમ્પો ઉંધો પડે અને ખરેખર વળી પાંચ–દસ બીજા મરે!

મરણોત્તર કર્મકાંડમાં સેંકડો વર્ષોથી લોકોનું શોષણ થઈ રહ્યું છે. આ સ્થીતી કેવળ માનવસર્જીત છે અને એટલી જ અસહ્ય પણ છે. મૃત્યુ પછીની ચીન્તા કરવા કરતાં; આપણે આપણા વર્તમાનને સુધારવાની ચીન્તા કરીએ તો બધી જ સમસ્યાઓનો ઉકેલ હાથવેંતમાં જ છે. સાચી દીશામાં થયેલા વીચારો અને તેનું આચરણ માણસને સાચા પંથે લઈ જઈ શકે. જગતમાં પ્રત્યેક સુધારા પાછળ ‘વીચારબીજ’ જ જવાબદાર રહ્યું છે.

માત્ર ચક્ષુહીનતા જ નહીં; વીચારહીનતા પણ માણસના જીવનમાં અન્ધાપાનું સર્જન કરે છે.

..પ્રસાદ..

માણસે પુર્વભવનાં કર્મનું ફળ નહીં;
પરન્તુ પોતે કરવાનાં કર્મો ન કર્યાનું અને
ન કરવાનાં કર્મો કર્યાનું ફળ ભોગવવું પડે છે.

–વલ્લભ ઈટાલીયા

લેખકસમ્પર્ક :

શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, 74–બી, હંસ સોસાયટી, વરાછા રોડ, સુરત – 395 006, મોબાઈલ : 98258 85900,  ઈ–મેલ :  vallabhitaliya@gmail.com

સુરતના ‘લોકસમર્થન’(જે હવે બંધ થયું છે) દૈનીકમાં શ્રી. વલ્લભભાઈ ઈટાલીયાની કટાર ‘વીચારયાત્રા’ પ્રગટ થતી હતી. તેમાંથી લેખકશ્રીના સૌજન્યથી સાભાર….

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 16–06–2017

47 Comments

  1. It is 100% true but people do not understand and believe whatever they are told. I am very thankful to author for such a nice article.

    Thanks,
    Pradeep H. Desai

    USA

    Liked by 2 people

  2. મુસ્લિમોનો અત્યારે ઉપવાસનો રમઝાન મહીનો ચાલી રહ્યો છે. આ મહીનો મુલ્લાઓ, મોલવીઓ તથા બીજા તકસાધુઑ માટે સોનાની ખાણ સમાન હોય છે. આ મુલ્લાઓ ભોળા અન્ધ્શ્રદ્ધાળુઑ પાસેથી વધુ ને વધુ પૈસા ઓકાવવા માટે તેમને કહે છે (અને જાહેરાતોમાં પણ છપાવે છે) કે “જો તમે મસ્જીદ માટે પૈસા આપશો તો અલ્લાહ તમારા માટે જન્નત (સ્વર્ગ)માં મકાનો બાંધશે.”

    આ અનુસાર આ અન્ધ્શ્રદ્ધાળુઑ ગમે તેવા મોટા મોટા પાપો કર્યે જાય છે, અને મૃત્યુ પછી જન્નત (સ્વર્ગ)ની આશા સાથે જ આ જગતથી વિદાય લે છે.

    મૃત્યુ પછી આ અન્ધ્શ્રદ્ધાળુઑનું સ્થાન ક્યાં હશે, જન્નત (સ્વર્ગ)માં કે જહન્નમ (નર્ક)માં? આ મુલ્લાઓ ઍનો ખુલાસો નથી કરતા.

    અન્ધ્શ્રદ્ધાળુઑના મકાનો જન્નત (સ્વર્ગ)માં અને અન્ધ્શ્રદ્ધાળુઑ પોતે જહન્નમ (નર્ક)માં !!!

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  3. સૌને પોતાના કરેલા કાર્યોના ફળ ભોગવવાં જ પડે છે તેવું ઈશ્વરવાદીઓ ઢોલ પીટીને કહેતા હોય છે.
    જ્યારે હીન્દુસ્તાન અને પાકીસ્તાનના ભાગલા પડ્યા ત્યારે કેટલીએ સ્ત્રીઓ ઉપર અત્યાચાર થયો. માની લઈએ કે તેમણે ગયા જન્મનાં કરેલાં કાર્યોની શીક્શા થઈ તો શું શીક્શા કરવાની ઈશ્વરી રીત આવી છે?

    Liked by 1 person

  4. માત્ર ચક્ષુહીનતા જ નહીં; વીચારહીનતા પણ માણસના જીવનમાં અન્ધાપાનું સર્જન કરે છે.
    .
    માણસે પુર્વભવનાં કર્મનું ફળ નહીં;
    પરન્તુ પોતે કરવાનાં કર્મો ન કર્યાનું અને
    ન કરવાનાં કર્મો કર્યાનું ફળ ભોગવવું પડે છે.
    –વલ્લભ ઈટાલીયા

    બિલકુલ સત્ય વાત … વિચારવા જેવી.

    Liked by 1 person

  5. Such preachings could have been given to people to induce to do good acts. Something like incentives. & according to me the brahmines started to sell the tickets in ” black market” to enter heaven . We can get railway reservations & cinema tickets by paying extra to anti socials.

    Liked by 1 person

  6. ગાલીબ કહી ગયેલાં…..
    જરુરત તોડ દેતી હૈ
    ઇન્સાં કે ગરુર કો ગાલીબ,
    ન હોતી કોઇ મજબુરી
    તો હર બંદા ખુદા હોતા.
    બીજા અજાણ જ્ઞાની કહી ગયેલાં,
    ઘણી કરી શોઘ મેં શ્લોક અને સ્તુતિમાં…..પણ
    આખરે ઇશ્વર દેખાયો મને સહાનુભૂતિમાં…..
    સાહિલ કહી ગયેલાં
    ઇન્સાન સે મિલના તુજે આયા નહિ હૈ ‘ સાહિલ ‘,
    ભગવાન સે મિલને કી આરઝૂ પે હંસી આતી હૈ.
    કબીરે કહેલું કે,
    નાહિ મંદિર, ના હિ કાબા કૈલાસ રે….
    મો કો કહાં ઢૂંઢે રે બંદે, મો તો તેરે પાસ હૈ.
    કવિ જનક દેસાઇ…કહે છે…
    આભ લગ લાવ્યો નમન, કર માન્ય તું,
    તુંય કર સાબિત પ્રભુત્વ: ઊતરીને…..
    કબીરને પાછા વાંચીઅે…
    ૧. પત્થર પૂજે પ્રભુ મીલે, તો મેં પૂજું પહાડ,
    તા તે ચક્કી ભલી, પીસ ખાય સંસાર.
    ૨. પહા કૈરા પૂતલા, કરિ પૂજૈ કરતાર,
    ઇન્હી ભરોસે જો રહે, તે બૂડે કાલી ઘાર.
    ૩. પાથર હી કા દેહરા, પાથર કા હી દેવ !
    પૂજનહાર આંઘરા, ક્યો કરિ માનૈ સેવ.
    ૪. મૂરતિ ઘરિ ઘંઘા રચા, પાહન કા જગદીશ,
    મોલ લિયા બોલે નહી, ખોટા બિસ્વા બીસ.
    બાબા સાહેબ આંબેડકરે કહેલું કે, ‘ મંદિરમાં બૈઠા ભગવાન ખુદ અપના દિપક નહિ જલા સકતાં વો તુમ્હારી જીંદગીમેં કૈસે દિયા જલાયેગા ?‘
    શા માટે આપણે બઘા જે નથી તેના મોહમાં જે હાથમાં છે તે જવનને પણ વેડફી રહ્યા છીઅે ?
    સદીઓથી જે પથ્થર ઉપર પાણી સાબિત થયું છે તેને નવા નવાં શબ્દોમાં ફરી ફરીને લખીઅે છીઅે અને વાંચીને ગારબેજના કેનમાં ફેંકીઅે છીઅૈ ?

    અમૃત હઝારી.

    Liked by 2 people

  7. Sav sachi vat kahi. Pahelato punrjanmni kalpanaj vahiyat lage, kone joyo chhe punrjanm? Ke tena mate aa badhu karvu pade. Aam to badha em kaheta hoy chheke marelanu na levay, na khavay to teni pachhal thati uttarkriyaonu shu prayojan, e badhu bhahmanone kevi rite khape chhe?? Emne jivan-nirvah mate ane mafatma mali jay evi vyavstha mate shashtroni rachana kari nakhiane lokoma bhay utpann karine lokone lootavanoj karsone? Samaj nathi padtike buddhishali ganata manvanu manas kyare paltashe?

    Liked by 1 person

  8. ખુબ સરસ આર્ટીકલ. કમનસીબી કે વીશાળ માનવસમુદાય એ સમજવાને તૈયાર નથી, અને માને છે કે બહુમતી લોકો કંઈ ખોટા થોડા જ હોય? આ બાબતમાં તો અજ્ઞાનીઓની બહુમતી છે, આથી છેતરનારાઓના ધંધા ચાલતા રહે છે, (અને હા, ઘણુંખરું આ છેતરનારા તો જાણતા હોય છે કે એ લોકો બધાને છેતરી રહ્યા છે.) કોણ જાણે ક્યાં સુધી એ ચાલતા રહેશે અને છેતરાનારા છેતરાતા રહેશે!!

    Liked by 1 person

  9. Very nice & true.It must be implemented those who are beleiving in it, without waiting for others.i thing this is the right way of change.

    Liked by 1 person

  10. આપણી સજીવ અને નિર્જીવ ના ભેદની માન્યતાઓ ખોટી છે. જો અદ્વૈતવાદને સ્વિકારીએ (અને તેને સ્વિકારવો જ પડે કારણ કે તે યુનીફાઈડ ફીલ્ડ થીએરીનું ભારતીય વર્સન છે). જેમ અમિબા કાળાંતરે અનેક પગથીયાં ચડી મનુષ્ય થયો તેમ મૂળભૂત તત્ત્વ જેને તમે સુપર સ્ટ્રીંગ કહો કે સુપર પાર્ટીકલ કહો, તે કાળાંતરે અનેક રીતે જોડાઈને પરમાણુ અને અણુ બન્યા. અને પૃથ્વિના વાતાવરની અનુકુળતાને લીધે કાર્બન બેઝ વાળા કોંપ્લેક્સ મોલેક્યુલ બન્યા. તેમની ઉત્કાંતિ થઈ જેને આપણે સજીવ કહીએ છીએ. વાસ્તવમાં બધું જ સજીવ છે. મૂળભૂત સજીવ સુપર સ્ટ્રીંગ છે. તે મલ્ટીપલ જોડાણો દ્વારા બધું બનાવે છે. પૂર્વ જન્મ કે પૂનર્જન્મ જેવું કશું હોતું નથી. સ્વર્ગ કે નર્ક જેવું કશું હોતું નથી. મનુષ્ય તેના સંતાનો દ્વારા અમર છે. આ વાત વેદમાં કહેલી છે. તેને આ રીતે સમજી શકાય કે જેમ આંબો તેની કેરીઓ દ્વારા અમર છે તેમ મનુષ્ય તેના સંતાનો દ્વારા અમર છે.
    અસ્તિત્વની અનુભૂતિ એ સજીવપણું નથી. સ્વપ્ન વગરની નિદ્રામાં આપણને અસ્તિત્વ અને કાળની અનુભૂતિ થતી નથી છતાં આપણું અસ્તિત્વ તો હોય છે. મરી ગયા પહેલાં અને પછી આપણું “હું તત્વ” કે જે એક મોલેક્યુલમાં આપણા બ્રહ્મરંધ્રમાં ક્યાંક ડીએનએ તરીકે હોય છે, પણ આપણું મગજ વિઘટિત અને અથવા નિસ્ક્રીય (અને શરીર પણ) થતું હોવાથી અસ્તિત્વની અનુભૂતિ થતી નથી.
    પણ મોટા ભાગના માણસો માટે શરીર અને આત્મા એક જ છે તે સ્વિકારવું અશક્ય હોય છે. આમાં મહાપુરુષોનો પણ સમાવેશ થઈ જાય છે.

    Like

  11. સુંદર લેખ ગોવિંદ ભાઈ ! આજ વિષય ઉપરના બે લેખો ” મૃત્યુ અને કુ રિવાજો ” તથા ” મૃત્યુ અને કર્મ કાંડ ” મારાં બ્લોગ ઉપર થોડા સમય પહેલાં મૂકેલ છે. જે વાચક મિત્રોને રસ હોય તે વાંચે અને મને પ્રતિભાવ મોક્લશે તો ખૂબ જ આનંદ થશે. આ લેખ પણ મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરું છું. શ્રી વલ્લભભાઈ તથા આપનો આભાર !

    Liked by 1 person

  12. વહાલા અરવીન્દભાઈ,
    ‘મરણોત્તર કલ્પનાવીહાર અને હાનીકારક ક્રીયાકાંડ’ લેખને આપશ્રીના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો. મારુ

    Like

  13. Khub saras lekh vallabh bhai.
    aabhar govind bhai.
    Marnottar karma kand nahi darek karma kando avichari aboddhik jemke janoi, Lagna, maran, ke pachhi vastu, havan, yagno. Janma thi lai ne mrutyu sudhi karma kand ni koij aavasyakta nathi jarur chhe fakt karma ni parantu darek dharma na pakhandi lokoe lokone karma vimukh banavi ne karmakandi banavi khas karini hinduo ne ane muslimo ne khrusti dharma ma karmakand jova malto nathi.

    Liked by 1 person

  14. બ્રાહ્મણ છું ઍટલે નિવૃત્તી પછી આ જ ધંધો કરવાનો પ્લાન કરતો હતો, પન સાલું ગોવિંદભાઈની દોસ્તીને કારણે કોઈ બકરા મળે એવું લાગતાં એ વિચાર માંડી વાળવો પડ્યો. બાકી ખરેખર તો હું પણ જાણું જ છું કે સ્વર્ગ નર્ક જેવું કશું જ નથી. એમાં બહુ લાંબા ટૂકા લેક્ચર આપવાના ના હોય. પણ આ તો યારો સેન્ટિમેન્ટલ બિઝનેશની વાત છે. તમારા બધાના વિરોધને લીધે હું મની મેકિંગ ધંધામાં નથી પડ્યો.
    હવે મારી પોતાની વાત. કસમસે, બીલકૂલ સાચ્ચી વાત. મેં મારા છોકરાને કહી દીધું છે કે જ્યારે મારો ફટાકો ફૂટી જાય ત્યારે કોઈ પણ ધાર્મિક વિધી કરવી જ નહિ. પણ….પણ હું દર વર્ષે મારે ત્યાં મ્યુઝિકનો પ્રોગ્રામ ગોઠવું છું. એક કેળવાયલું પણ એમેચ્યોર ગ્રુપ “બંદિશ્સ્” પોતાને ખર્ચે પ્રોગ્રામ કરે છે અને મળતી રકમ ૧૦૦% ચેરિટીમાં જાય છે. બધા કલાકારોનો પોતપોતાનો સફળ પ્રોફેશન છે કોઈ ડોકટત તો કોઈ એનજીનિયર તો કોઈ કોલેજ પ્રોફેશર. શોખને કારણે ગાય છે અને શોખને ચેરિટીમાં વહાવે છે. આ બંદાને પણ સંગીત તો ગમે. બસ અમુક ડોનેશન સાથે મારું બારમુ તેરમુ નહિ પણ ખાણીપીણીના (નો આલ્કોહોલ) જલસા સંગીત સાથે માણવા. હું ભૂત થઈને આવીને સંગીત માણીશ. બોલો હું અંધ શ્રધ્ધાળુ ખરો જ ને? બીજી એક વાત….અભિવ્યક્તિમાં પહેલા હું અમૃત હજારીની કોમેન્ટ વાંચું છું અને ત્યાર પછી મૂળ લેખ વાંચું છું. ગોવિંદભાઈ એક નિષ્ઠાથી સતત સરસ કામ કરી રહ્યા છે. ધન્યવાદ.

    Liked by 1 person

    1. એક વાતની ખાતરી આપ સર્વે ને આપું કે ગોવિંદભાઇ ગમે એટલા લેખ અહીંયા પીરસે યા ના પીરસે…. પરંતુ આ શાસ્ત્રી સાહેબ જેને હું છેલ્લા ૪-૫ વર્ષ થી વાંચું છું એ આ જન્મમાં નિવૃત થયા બાદ આ ધન્ધો નહિ કરે…..
      શાસ્ત્રી સાહેબ ભલે તમે બ્રાહ્મણ રહ્યા …પરંતુ તમારા વિચાર આવા ખોટા ધંધા નહિ કરવા દે…. guaranty with 1000000% confidence.

      Liked by 1 person

      1. તમે પણ મારું બ્રેઈન, રેશનાલિસ્ટ બ્રાન્ડના વોશિંગ મશીન માં નાંખીને ધોલાઈ કરો છો. યાર અમેરિકામાં ટેક્ષ ફ્રી ઈન્કમ છે. એમાં ક્યાં લોકોને લૂટવાની વાત છે. બસ થોડા સ્લોક બોલવાના આરતી ઉતરાવવાની અને જે કોઈને જે આપવું હોય તે આપે. ડીજેના જેવુ જ એન્ટરટેઇન્મેન્ટ.
        તમારો કોન્ફિડન્ટ સાચો છે. હું હવે યજમાનવ્ર્ત્તિ નહિ કરું.
        મારો એકજ વિરોધ,,,,,જો પૂજા પાઠને પણ એક માત્ર ધંધાની દૃષ્ટિએ જ મુલવીએ તો આજે હજારો નહિ લાખ્ખો ધંધાઓ ચાલે છે. બસ સ્પોર્ટમેન્ટશીપ રાખી એને પણ એક ધંધા તરીકે સ્વીકારી લેવો જોઈએ.
        અભિવ્યક્તિનો ધ્યેય સરસ છે. સહેજે ૫૦૦-૧૦૦૦ મિત્રો વાંચતા હશે, પણ એ વાચકો તો એના એ જ. એઓ તો સુધરેલા જ છે, અને એઓ તો બધી વાત જાણે જ છે. સત્યનારાયણ કથાની જેમ જ રેશનાલિસ્ટ મિત્રો લિંબુ મરચા અને બ્રાહ્મણ કે ભૂત બાવાની વાતથી વધુ આગળ ચર્ચા કરતાં જણાતા નથી. એટલે….જ મને કેટલાક લેખકોની દયા આવે છે. મારા જેવા અનેક મિત્રો પરદેશમાં છે અને એમના પરિવારમાંથી ખોટા રીતરિવાજને તિલાંજલી અપાઈ ચૂકી હોય છે. વડિલ મિત્ર ઉત્તમભાઈ મારા સ્નેહી છે. હું આદરણીય રમણભાઈ પાઠકને પણ મળ્યો છું. ગોવિંદભાઈ ગમે તે ટીકાઓ સામે પણ સ્વસ્થ અને સૈજન્યશીલ રહેતા મિત્ર છે. અમૃત હજારી અને ભુપેન્દ્રસિહ રાઓલ બાપુ તો જાણે ઘરના જ માણસ. દરેક માણનવી પોતાના કંફરટ ઝોનમાં પોતાના આચાર વિચાર સાથે જીવતા હોય છે. એટલે જ હું વિચાર સ્વાતંત્રમાં માનું છું.
        પોતે જ સાચા અને વિશ્વએ પોતાની રીતે જ વિચારવું એ જક્કી મનોદશા સાથે ગુરુપદ ધારણ કરવું મને યોગ્ય લાગતું નથી. જ્યાં સૂધી એક વ્યક્તિની માન્યતા બીજાને હાની કર્તા ન હોય ત્યાં સૂધી કરવા દેવી જોઈએ.

        Liked by 2 people

    2. તો મોટાભાઈ… શું મારે પણ.. પાછલી જતી ઝીંદગી માં.. ઉમર ને લીધે કામ ના મળે તો.. મંદિર માં કે પાઠ કથા કે વરુણી માં નહી જવાનું?? તો મારું ઘર કેમ ચાલશે?? ત્યાં તો સરકાર સીનીયર સિટીજન ને મદદ & ડોલર આપે છે.. પણ અહીં અમારે ..?? પછી..? ગમે તેટલું ગળુંફાડીને બોલો.. પણ. મંદિરો વધતા જ જાય છે.. & કથાકારો પણ.. બાબાઓ ભાઈઓ… શ્રી શ્રીઓ.. બાપુઓ પણ.. દરેક ધર્મ માં. પછી…??

      Like

      1. વ્હાલા ભગવતિભાઈ,
        હું કે બીજા કોઈપણ કહે, કંઈપણ કહે, કોઈ પણ અસંગો કે ગીલ્ટ ફિલિંગ રાખ્યા વગર આપની જરૂરિયાત મુજબ, જીવનના સંજોગો મુજબ જે યોગ્ય લાગે તે કર્મ કર્યા કરજો. તમારા જીવન માટે હું કે મારા મિત્રો ચેક મોકલવાના નથી.
        અમને કેટલાક બડફાઓને તો ધર્મ અને સંસકૃતિ વચ્ચેની પાતળી આછી રેખા દેખાતી જ નથી. અમને તો ઘર બેઠાના જગતગુરુ બનવાનો એક મહારોગ લાગ્યો છે. બસ અમારી વાત સાંભળીને અમારા વખાણ કરે એ અમને ગમે જ છે.

        મારા દાદા કાશી ભણવા ગયા હતા. એમના કોઈ યજમાન નહિ. સુરતની આમલીરાનમાં સ્થપાયલી નવી પાઠશાળા સુર્યપુરસંસ્કૃત પાઠશાળામાં કર્મકાંડાચાર્ય તરીકે અધ્યાપનનું કાર્ય કર્યું. બે દીકરાઓ, મારા પિતાશ્રી અને કાકા શિક્ષક થયા. દાદાને સુરત પાઠશાળામાં નોકરી તો મળી પણ રહેવાને નિવાસ સ્થાન ન હતું. સુરત શાહપોર વિસ્તારમાં શ્રીમાળી બ્રાહ્મણના કૂળદેવી લક્ષ્મિમાતાના મંદિરમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. આમ મારે માટે તો મંદિર અને કર્મમકાંડ અમારા અસ્તિત્વ માટેનો એક ભાવાત્મક વ્યવસાય છે તે હું ખુબ સારી રીતે જાણું છું.

        શ્રી રમણભાઈ અને સરોજબહેનના કોર્ટ લગ્ન વીશે હું જાણું છું. અભિવ્યક્તિના લેખકો અને વાચકોને જરા પૂછીતો જૂઓ કે તેમના અને તેમના મા-બાપના લગ્ન પ્રસંગે કોઈ બ્રાહ્મણને વિધી માટે બોલાવ્યા હતા ખરાં?
        બસ ભગવતિભાઈ, સારા માઠા પ્રંસંગે આપને સામેથી બોલાવે તો વ્યવસાય તરીકે નિઃસંકોચ જજો. યજમાન મુઠ્ઠી વાળી જે દક્ષિણા આપે તે સ્વીકારજો. યજમાનને આશીર્વાદ નહિ પણ શુભેચ્છા પાઠવશો. બેન્ડવાજા વાગે છે. ડીજે નચાવે છે. એ એમનો ધંધો કરે છે. તમે મંત્ર ભણો છો. વર કન્યા સમજવાના નથી. એમને પડી પણ નથી. બસ તમે બે ત્રણ કલાક તમારું ગળું ફાડો છો અને તમારા જીવનનો સમય વેચો છો અને દામ મેળવો છો. તમારા જીવન જીવવા માટે. તમે કશું જ ખોટું નથી કરતાં. લગ્નહોય કે મૃત્યુ. બોલાવે તેને ત્યાં જ જજો. મ્રુત્યુ પછીના ક્રિયાકાંડમાં તો હું પણ નથી માનતો. પણ જ્યાં સૂધી માનનારાઓ અને શ્વેચ્છાથી વિધી કરાવનારા આપને બોલાવતા હો તો જરૂરથી જજો. બસ આજીવીકા માટેની આ પ્રવૃત્તિ છે.
        હું અને મારા મિત્રો તો અન્ય વયવસાયમાં ધરાઈને બેઠેલા વિશ્વસુધારકો છીએ. જ્યાં સુધી હિન્દુધર્મનો સદંતર નાશ નથાય ત્યાં સુધી એક પ્રવૃત્તિ તરીકે યજમાન વ્રૂત્તિ ચાલુ રાખજો. ભરણ પોષણ થઈ જશે. કમનસીબે અમે બ્રાહ્મણોને લુચ્ચા લફંગા ઢોંગી બાવા ભૂવાની સાથે જોડી દીધા છે.
        સમયે સમયે ધર્મ અને ક્રિયાકાંડ માટેની સામાજીક દૃષ્ટિ બદલાતી જાય છે. નવી પેઠીને સુધારવા સલાહની જરૂર નથી.સ્વયં બદલાતા જાય છે. આ વૈશ્વક પ્રક્રિયા છે. માત્ર હિન્દુધર્મ માટે જ નહિ પણ બધા જ ધર્મમાં પરિવર્તન આવી રહ્યું છે. આજે આ ચર્ચામાં ભાગલેતા મિત્રો પોતાની અડધા ઉપરનું જીવન જીવી ચૂક્યા છીએ. પીઠ ફેરવો. ગયલા સમયનું પોસ્ટમોર્ટમ કરવાને બદલે આવતા સમય પર ટેલિસ્કોપ લગાવો. સમજાશે કે સમાજ તમારા પ્રયત્ન વગર જ બદલાતો જાય છે.

        Like

      2. મોટાભાઈ.. લગ્ન બાબતે તો.. મેં પણ… હજુ સુધી મારી પત્ની ના જન્માક્ષર નથી જોયા. લગભગ ૨૭ વર્ષ થયી ગયા અમને. હા તે તેના થોકબંધ સર્ટીફીકેટ સાથે તે પણ લાવી છે ખરી.!!! અન અમે મારા બંને જમાતા ના પણ.. જન્માંક્ષાર નથી જોયા. હા તેઓ એ મારી લાડકીઓ ના જોયા છે ખરા.

        Liked by 1 person

    3. પ્રવીણભાઈ.. હવે મારે શું કેહવું?? તમે જે જવાબ આપ્યો પણ. ત્યાં રીપ્લાય ની સગવડતા નો’તી એટલે અહીં પાછું.. તમારો આભાર માનવા લખું છું. કદાચ તમને મારો અભિપ્રાય ના ગમ્યો હશે..? પણ… હવે વડીલો ની આગળ.. દલીલ.. કરવી એ યોગ્ય નથી. જય હિન્દ!! & જય મહાદેવ. (પણ હા. હમણા મને એક વાત યાદ આવી. ચમત્કાર કે યોગાનુયોગ ગણો.. પણ એક વાર ગાંધીજી ના આશ્રમ માં.. અનાજ ખૂટી ગયેલું.. સવારના તો ચાલી રહ્યું પણ પછી…? તો કોકે બાપુના કાન પર અ વાત નાખી તો બાપુએ કહ્યું થઇ રેહશે. આપણે ભજન કરો.. અને.. સાંજના એક ગાડું ભરીને કોઈ શોધતું શોધતું આશ્રમે આવ્યું.. આં મેં ખુદ વાંચેલો પ્રસંગ છે. તો??)

      Like

  15. ખુબ જ સુંદર વાસ્તવિક વિચાર સાથેનો લેખ. વાચનારાઓ ફક્ત વાચનભૂખ સંતોશવા કે ટાઈમપાસ કરવાને બદલે અનુસરે તો કેવું રૂડું કે જેથી સ્વર્ગ નો જીવતા જીવત જ અહેસાસ થાય. પરંતુ ધર્મના ઓથે અંધશ્રધ્ધાળુઓ, ઢોગી ધુતારા અને પાંખડી ભીખમંગા ક્રીયાકાંડી પંડિતો, પન્દાઓ બ્રાહ્મણનિ ભ્રામક પકડ કે ચુગાલમાંથી બહાર નીકળવાના જ નથી..

    Liked by 1 person

  16. મેં મારી ટિપ્પણી ઓ માં આગળ પણ આ બાબત માં કહીંયુ છે અને આજે ફરી એક વાર આજ વાત કહું…

    જીવાત્મા જયારે દેહ નો તીયાગ કરે એટલે સમજી લેવું કે એ ચાલી ગયો. અને પાછળ ફરી નથી જો તો અને જોવાનો પણ નથી….. અને તમને એમ લાગે કે જોઈ છે તો તમે એને ઓળખી શકવા ના નથી. દા.ત. તમારા પૂર્વજ દેહ છોડી ને ગયા અને પછી એમને એક કુતરા નો દેહ મળે ..જયારે એ કુતરા સ્વરૂપી તમારી સામે આવશે તો એ તમારે માટે એક કૂતરું જ છે…. તમે એમ નથી કેહવા ના કે આ તો મારા પૂર્વજ છે…..

    જે કાંઈ ક્રિયાકાંડ ના નામે ઢોંગ થાય છે એની પાછળ નું મુખ્ય રહસ્ય એ છે કે આવી પ્રવૃત્તિ થી તમે તમારા મન ને થોડું રાહત આપી શકો જેથી તમને તમારા ગયેલા નું દુઃખ નો અનુભવ માં રાહત થાય…. પરંતુ આ વાત નો લાભ લેવા માં કોઈ એ પાછું નથી રાખીયું…. જીયા જીયા તક મળી તીયા તીયા આ ના નામે ધન્ધો બનાવી લોકો ને અંધશ્રધા માં ખોસી દીધા……

    અને આજ કારણ થી હું શ્રાદ્ધ માં પણ નથી માનતો અને મારા પૂર્વજો નું કોઈ શ્રાદ્ધ નથી કરતો…..

    Liked by 1 person

  17. ફરી કોઈ બડાઈની વાત નથી. અમારી ભક્ત જ્ઞાતી કબીર પૂજક છે. વર્ષોથી જન્મથી માંડીને મરણ સુધીના રીતરિવાજોમાં બ્રાહમણોનિ ક્રીયાકાંડી ધુતારી વિધિને કોઈ જ સ્થાન નથી. શુભ કે અશુભ પ્રસંગો ભજન કીર્તનથી જ ઉકેલાય છે. આજ સુધી ન તો અમારા મૃત પૂર્વજોએ ફરિયાદ કરી કે કોઈ પાછા આવ્યા .
    મોત્સેતુંન્ગા=સ્તાલીન-હિટલર -કીમ ઈલ્સીનગ -ઈડીઅમીન-કિગ લીઓ -મેગીત્સેહેલીએ -ઇન્વર પાસા- હીદેકીતાજાઓ જેવાએ લાખ્ખો કરોડ ની માનવ હત્યા કરેલી જે કોઈ કલ્પના નથી!!!
    એ સૌ માટે સર્વેનું સદા હિત કરનારા , કરુણાસાગર, વિશ્વપિતા અને પાલનહારે ચિત્રગુપ્તનિ રાહબરી હેઠળ , કેવા નર્ક – જહ્ન્ન્મ કે હેલની વ્યવસ્થા કરી હશે ? અને કેટલા લાખ યોનીમાં એવા હત્યારાઓને ભટકાવશે.?
    છે કોઈ મહા પરમ જ્ઞાની પાસે આનો ઠોસ, જડબેસલાક , બિનતાર્કિક પુરાવા સાથે જવાબ ???

    Liked by 1 person

  18. સરસ. પ્રવિણભાઇ, તમારો પ્રેમ અને દોસ્તી ગમે છે.
    ભારત અને હિન્દુઓ….મરણોત્તર કર્મો કરે છે.
    બને તો ગરીબોને માટે હોસ્પિતલ બાંઘો.. પેલાં મંદિરો બાંઘીને મોટાઇ મારનારાઓ જો ગરીબોને માટે હોસ્પિટલો બાંઘે. પોતાના દેવનું નાનું મંદિર હોસ્પિટલના દાખલ થવાના દરવાજે બાંઘે. જે સમજદાર બ્રાહ્મણો છે તેઓ બીજા કર્મકાંડ કરાવનાર બ્રાહ્મણોને સમજાવે કે સાચું શું છે…અને લોકોને જાગૃત કરે. અંઘશ્રઘ્ઘા દૂર કરવાનું અેટલું મુશ્કેલ કામ નથી. બ્રાહ્મણો જો સાથ આપે…કે જેઓ કર્મકાંડ કરાવે છે. મંદિરો બાંઘે પરંતુ હોસ્પિટલના રુપે બાંઘે…લોકસેવા અેજ પ્રભુસેવા છે તેવું સમજીને, સમજાવીને નવી દુનિયા બનાવવામાં નીંવ કી ઇટ બને……..
    હોસ્પિટલની સાથે દર્દીના સગા વ્હાલાઓને માટે ઉતરવા, રહેવાની સગવડ વાળી રહેઠાણની વ્યવસ્થા…નાના ચાર્જથી અાપી શકાય, તે કરે……
    મિત્રો તમે તમારા વિચારો પણ દર્શાવિ શકો છો.
    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. તમારી વાત સાથે સમમમત છું પરંતુ આ તો તમે પોતાના પેટ પર લાત મારવા ની વાત કરી…. જે બ્રાહ્મણ પોતાની રોજી-રોટી આવા ઢાંઢા થી કરે એ કેવી રીતે તમારી વાત સાથે હા જી હા કરે?

      શાસ્ત્રી સાબ માં મને એવું લાગે કે ઉપ્પર વારો ભૂલ થી ઘર ભૂલી બેઠેલો …..

      Like

  19. ચાર્વાક આગળ કહે છે કે ‘શ્રાદ્ધ, તર્પણ વગેરે ક્રીયાકાંડો તો બ્રાહ્મણોએ કરેલી પૈસા પડાવવાની ધુર્ત યોજનાઓ જ છે.’
    લેખમાંંનુ આ વાક્ય સૌથી સારુ લાગ્યુ. ચાર્વાક કહે છે એટલે હવે મારે પણ બ્રાહ્મણોના વિરુધ્ધમાં કહેવાની છૂટ . બ્રાહ્મણો કે જેઓ કર્મકાંડ્ની વિધિ/ક્રિયાઓ કરે/કરાવે છે તેવા બ્રાહ્મણો જો રેશનાલીસ્ટ થઇ જાય તો એક મોટો વર્ગ સુધરી જાય. હે! ભૂદેવ!!!!! તમારા ધંધા બંધ કરો- છેતરવાના. લોકોને સાચી દિશામાં માનવા દો. વિધિઓ ભૂલી જાવ. સારી જગ્યાએ મહેનત કરીને કમાઓ. સારુ ભણો અને ભણાવો.
    રોગનુ મૂળ વિધિઓ કરાવનારા બ્રાહ્મણો જ છે. હડતાળ પર ઉતરી જાઓ. જૂઓ તો ખરા કેવી મજા આવે છે.
    સ્વર્ગની કલ્પના પણ આવા લેભાગુ કહેવાતા વિદ્વાન પંડીતોએ જ કરી હોવી જોઇએ!!!! કારણ કે બ્રાહમણને ચાર વર્ગોમાં પહેલુ સ્થાન આપેલુ છે(એ પણ બ્રાહ્મણે જ આપ્યુ હશે). જેથી બ્રાહ્મણ દાન પર જ જીવે. શુ કામ બીજી મહેનત કરવાની!!!!
    મને લાગે છે કે કલ્પનાઓ પર શ્રધ્ધા રાખનાર પ્રત્યેક માનવી પોતાનુ જીવન બરબાદ કરી રહ્યો છે.
    મારા સાથી અભિવ્યક્તિ મિત્રવૃંદને કહેવાનુ મન થાય છે કે હું ક્યારેય કોઇ મૃત વ્યક્તિને સ્વર્ગવાસી કહેતો નથી કે તેના નામ આગળ સ્વ. લખતો નથી.
    આવી શરુઆતો આપણે જ કરવી પડશે ને!
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    રોહિત દરજી” કર્મ”, હિંમતનગર

    Liked by 1 person

    1. મુ. રોહિતભાઈ.. કર્મકાંડ માટે સાચું. સરસ. પણ…? બાકી… તમે કહ્યું કે સારી જગ્યા એ મહેનત કરીને કમાઈ એ.. તો…… હું & મારી ભાર્યા & મારી લાડ્કીઓ.. ગ્રેડજ્યુંએટ છે.. પણ… પ્રાઇવેટ જોબ છે.( લીમીટેડ સેલેરી) સારી નોકરી.. સરકારી કે બેંક માં.. તો… બધા ભારતીયો જાણે છે કે કોને ફાયદો છે કોને મળે તે.!! શું તમે ભણેલા ને સરકારી કે બેંક માં નોકરી અપાવી શકો?? ૧૯૮૩ થી મેં એમ્પ્લોયમેન્ટ માં ફોર્મ ભર્યું છે… આજ દી સુધી કોઈ કોલ લેટર નથી આવ્યો!!!!! ( અમે તો સારું ભણાવીએજ છીએ.. હજ્જારો રૂપિયા ખર્ચીને. કોક વાર લાખ સુધી પોહચી જાય. રકમ.. જે ડોકટરો વકીલો કે અન્યો લાખો રૂપિયા ખર્ચીને ભણે છે & પછી લોકો ને લુટે છે ત્યાં કેમ કોઈ બોલવા નથી જતું?? ત્યાં ચુપ..????? તેઓ સરે આમ દવા માં.. ઓપરેશનો માં.. & વકીલો પણ… લુટે જ છે ને?? અને દરજીઓ.. જે સીવણ કામ કરે છે તે..પણ.. કેટલા અધધ થાય એવી સિલાઈ ની રકમ વસુલે છે..!!! વાળંદો પણ..!!! માફ કરજો.. બધા જ વડીલો…સ્નેહીઓ પણ… આપણ ને નીચી બોરડી ઝૂડવાની… કોઠે પડી ગયેલી છે.!!!!!!! બીજા અન્યો જે સરે આમ લુટે છે & આપણે લુટાઈએ છીએ ત્યાં કેમ કોઈ વિરોધ કે તેને તે ધંધા બંધ કરવાનું નથી કેહતા?? બ્રાહ્મણો જ એકલા કેમ.. કથાકારો આશ્રમો બાબાઓ શ્રી શ્રીઓ બાપુઓ ને તેમના ધંધા બંધ કરવાનું કહોને!!!! અને હમણાં તો વિદેશો માં અત્યાધુનિક મંદિરો અબજો ખર્વો રૂપીયાના બનાવવાની હોડ લાગી છે તેનું હું????? & અમુક ધર્મો માં તો અગ્નિદાહ માટે પણ કરોડો નો બોલી બોલાઈ છે તો..???? અને.. ડાયરાઓ માં નોટો ની….?? તો??? તો?? ( માફ કરજો સર્વે .. પણ મને જે લાગ્યું તે મેં લખ્યું. હું કર્મકાંડ નથી કરતો મેં મારા મૃત્યુ પછી દેહદાન કર્યું છે.. & મારા શુક્લજી ને યથા યોગ્ય આપવાનું પણ રાખ્યું છે. પણ.. મૃત્યુ બાદ કોઈ શ્રદ્ધાંજલિ ની એડ નહી કે.. કોઈ ક્રિયા નહી.. હં. ફક્ત મહાદેવ ના & હું જ્યાં સેવા આપું છું તે માતાજી ના મંદિર માં પાઠ. જરૂર.. જેને લાગણી હશે તે મારા ઘરે ખરખરો કરવા આવશે. કોઈ નો ટાઈમ બગડવાની જરૂર નથી. મને મારા ઘરના ને આ વધુ પડતું લાગે છે પણ..હું નીશ્ચીયી જ છું..)

      Like

  20. મુ.ભગવતીભાઇ, આપની વેદના તદ્દન વ્યાજબી છે. આપની વ્યક્તિગત બાબતે સરકારી કે લોકશાહી સીસ્ટમ જવાબદાર હોઇ શકે. વાળંદો તો ભગવાન છે, ભગવાન. આપણા શરીરની સંભાળ ડાયરેક્ટ્લી લેનારા આ કારીગરોનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અને અમે તો સંસારની નગ્નતાને ઢાંકનારા.જન્મથી મૃત્યુ સુધી કચ્છાથી લઇને કફન સુધી જોડાયેલા દરજીભાઇઓ તો માનવતાને શોભાવે છે, સજાવે છે. મહેનત કરીને પેટીયુ રળનારા વર્ગની તો કોઇ વાત થાય તેમ જ નથી. પણ, નાગરવેલના પાન ઉપર સોપારી મૂકીને પૂજા કરાવનારા અને કરનારા બંને માટે આપ શુ કહેશો? સોપારી અને પાનને ભગવાન બનાવ્યા કરતા મુખવાસ બનાવવુ સારુ કે નહીં, ભગવતીભાઇ. ધર્મના નામે ચાલતા તમામ ધતીંગો અને તેમાં જોડાયેલા તમામ અબૂધજનો સમાજને ખોખલો કરી રહ્યા છે. મારે ઘેર વિધિવિધાન માટે કોઇપણ બ્રાહ્મણને પ્રવેશ નથી. બાબાઓ અને બાવાઓ તો ક્યારેય નહીંં આવી શકે.
    મુ. ભગવતીભાઇ આપનુ દિલ દુભાવશો નહીં. ગોવિંદભાઇ મારુની આ રેશનલ યાત્રામાં જોડાયા પછી વિચારોનુ વૃદાવન ખડુ થયુ હોય તેવુ નથી લાગતુ. આ લેખના લેખક શ્રીમાન વલ્લભભાઇ ઇટાલીયાને મેં એક વિડિયોમાં સાંભળ્યા છે. ખૂબજ ઉમદા વિચારોના એ માનવીને સલામ!
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    રોહિત દરજી” કર્મ”, હિંમતનગર

    Liked by 1 person

    1. મુ. રોહિતભાઈ. મારી એકલાની વ્યક્તિગત બાબત નથી આ.! ૮૫% લોકો ની આ વાત છે. કેટલા પ્રમાણ હાજર કરું?? અન્ય જાતિને મહત્વ આપીને & ખુરશી ટકાવી રાખવા આ ચલાવ્યાજ કરે છે. અને અન્ય વ્યવસાય વાળા પણ.. તેમની થતી મજુરી કરતા કેટલા ઘણા વધુ ભાવ લે છે.. એ સર્વવિદિત છે. ( પણ. દરેક ને પારકે ભાણે જ…?? )બ્રાહ્મણો પણ.. મેહનત કરે છે. લોકો ઘરે આવીને એમનેમ નથી આપી જતા. (એમાં પણ.. તમારા અને અન્ય ધંધા ની જેમ કોમ્પીટીશન આવી ગયી છે. બરાબર ફીટીંગ કે સ્ટાઈલ ના આપો તો ઘરાક બીજે જાય તેમ.. બ્રાહ્મણો ને પણ આમ જ છે.)યજ્ઞ કુંડની સામે કલાકો બેસી જુઓ..!! હા.. નાગરવેલ ના પાન. સોપારી.. એના કરતા બનાવેલી મુર્તીજ મુકવી જોઈએ. પણ.. આજના યજમાન પણ.. સગવડિયા થયી ગયા છે તો શું અમે એમજ જવા દિયે.?? હમણાજ અહીં રમેશભાઈ ઓઝા આવેલા હતા.. તો.. એક વ્યક્તિ એ કરોડો માં દાન આપ્યું..!!! અને હજુ મોરારિબાપુ પધારવાના છે…બોલો…!!! ગંગા કિનારે જાવ.. ધર્મશાળા કરતા આશ્રમો કેટલા હશે? અરે દરેક જગ્યાએ.. (અહીંજ મેં એક લેખ વાંચેલો.. તેઓ પણ બુદ્ધિજીવી ખુબજ ભણેલા વ્યક્તિ ને કોઈ સમાધાન માટે અથવા ઘરની વ્યક્તિ ની તકલીફ માટે અમારા જેવા કો’કે સલાહ આપેલી કે.. વહેલી સવારે લગભગ 5 થી 6 તમે ગાયત્રી મંત્ર ની સાથે ૧ કલાક ધ્યાન કરો.. પોઝીટીવ એનર્જી તમને મળશે જ. અને તેમને પોતાનો અનુભવ લખ્યો કે લોકો જે કહે તે પણ. મારું જીવન અને એનર્જી નો એહસાસ થયો તો શું માનવું??) હા મને પણ.. વિચારો નું આદાનપ્રદાન ગમે છે. ડિસ્કસ કરવી પણ.. અહીના કેટલા પ્રતિભાવો અને pdf ફાઈલો મેં સેવ કરી પછી પ્રિન્ટ કરીને અન્યોને આપી છે. હું ગાંઠનું ગોપીચંદન કરું છું.. ચાર્વાક દર્શન પણ વાંચ્યું. હું તે પણ ખરીદીશ.. જનકભાઈને મળવાનું ચુકી ગયો. માફ કરજો વડીલ કઈ માઠ‌‍ુ લાગ્યું હોય તો.

      Like

  21. Vallabhbhai, agreed in total with the contents of the article. It is possible for me to follow all you said and in fact, I have avoided all non-sense type formalities on demice​ of my parents. But to convince others is not easy, sometimes impossible! So called highly qualified professionals and others behave irrationally and to explain them uselessness of all these is nearly impossible. My ph.d brother in law and his ph.d wife did all post-death rituals on demice of my mother in law and I was helpless!

    Liked by 1 person

  22. स्वर्ग-नरक उपर नथी.
    अहीं छे.
    क्यां जवुं ते आपणा हाथमां छे.
    सरस रजूआत.
    -रमेश सवाणी

    Liked by 1 person

  23. રોહિતભાઈએ જણાવેલી હકીકતમાં પૂરુ તથ્ય છે. ક્રીયાકંડી પંડાઓ પંડિતો બ્રાહ્મણોએ સ્વેચ્છાએ અન્ય મહેનત મજુરીનું કામ કરી પેટીયું રળવાનું ગંભીરતાથી વિચારી અમલ કરતા શીખવું જોઇશે. બે તરફી વાત કામ ના આવે. એ લોકોએ જ પોકારી પોકારીને કહેવું જોઇશે કે ” આ બધું બિનજરૂરી,તરકટી અને નકામું છે. એ ન કરવાથી કોઈ ભવમાં જીવિત કે મૃત કોઈને (અમારા સિવાય) કોઈ નુકશાન થવાનું નથી.”
    હિન્દુસ્તાનમાં અંદાજે ૬૫થિ ૭૦ લાખ આવા ક્રીયાકાન્ડીઓ,સાધુઓ,બાવાઔ. કથાકારો. છે. જે કોઈ ઉત્પાદિત કામ કર્યા વિના મહેન્ત મજુરી કરનારા લોકોને ડરાવી ગભરાવી ભારરૂપ જીવન જીવે છે. એમાંના કેટલાક તો દેશવિદેશનિ ખર્ચાળ મુસાફરી કરી સુખસાહ્યબી અને મોજ મઝા કરે છે.

    Liked by 1 person

  24. लोको जानता होवा छता मरन पाछल करमकान्ड करे छे ।केमके समाजना डरथि जो समाज शु कहेशे ए विचार ज निकलि-जाय तो सुधारो अावि सके । बिजि वात अाज थि 50-60 वर्ष पहेला स्त्री ने बालविधवा योग जन्मकुंडली मा अावतो हवे केम नथि अावतो ???समाज सुधारो अने बालविवाह प्रतिबंध।

    Liked by 1 person

  25. કરસન ભક્ત યુ એસ એ , આભાર આપનો. વૈચારિક એકતા જોવા મળી. ભગવતીભાઇ, બ્રાહમણોની કર્મકાંંડો પાછળની મહેનત એ મહેનત નથી, લોકોને ઉલ્લુ બનાવવાની બનાવેલી પધ્ધતિ છે. બનનારા હશે ત્યાં સુધી બનાવનારાના ગોરખધંધા ચાલતા જ રહેશે. આ બધુ અટકાવવા દરેકે પોતાનાથી જ શરુઆત કરવી પડશે.
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    રોહિત દરજી” કર્મ ” , હિંમતનગર

    Liked by 1 person

  26. Nastik panth na mat par eklu tamaru vanchan lage chhe je charvak na j matra mat apine siddh kari rahya chho.thoda bija panth par pan vancho.tamari humanity ni vat sathe kadach tamara karta hu vadhare sammat chhu. Parantu tamne to e pan khabar na hase k pehla manav dharm na praneta kon hata.

    Like

  27. Science is exploring universe. ચાર્વાક said 2500 years ago about soul. People are still believing in hell, heaven and are doing various rituals after death. People’s minds have double standard. Many have learned to take advantage of that.
    Nice article. Thanks.

    Liked by 1 person

  28. એકદમ સાચો અને સરસ લેખ…
    ઉપરોક્ત લેખને સમર્થન આપતી એક રચના :

    ઘણાં કરે સવાલ કે આ જીંદગી પછી શું છે?
    હું પૂછું છું કે કહો, દિવાનગી પછી શું છે?

    જનાર શું ગયા પછી કદી ફરી પરત થયા?
    ખબર કશી ય કોને છે, રવાનગી પછી શું છે?

    Liked by 1 person

  29. ખુબ જ સુંદર અને સચોટ લેખ વાંચવા નો આનંદ થયો.આ માટે લેખકનો અને ગોવિંદભાઈ નો ખુબ ખુબ આભાર …

    Liked by 1 person

  30. માનનીય શ્રી વલ્લભભાઈ…. ઘણો જ સરસ લેખ…ઘણા બધા કુરિવાજો બંધ કરવા માટે આવા લેખો નો પ્રચાર ખુબ જરૂરી…
    સાથે લોકો માં જાગૃતિ આવે તે પણ જરુરી છે…મારા મત મુજબ આનો હલ શિક્ષણ જ હોઈ શકે….કારણકે સાક્ષરતા જ
    કોઈ વાત કે પ્રશ્નો નો ઉકેલ યોગ્ય રીતે લાવી શકે…….
    …..કઈ પણ હોય……ખુબ સરસ અને સાચોટ લેખ…

    Liked by 1 person

    1. ‘મરણોત્તર કલ્પનાવીહાર અને હાનીકારક ક્રીયાકાંડ’ લેખને ‘RKD-रंग कसुंबल डायरो’ બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..

      Like

Leave a comment