ધુણે ત્યારે બીજી ભાષા બોલે!!

ધુણે ત્યારે બીજી ભાષા બોલે!!

–રમેશ સવાણી

પાલીતાણા નજીક ઘેટી ગામે જટાશંકર ત્રીવેદી રહેતા હતા. તે હેડ કોન્સ્ટેબલ હતા. પરીવારમાં પત્ની ઉષા, દીકરી કીરણ (ઉમ્મર : 22), દીકરા ભરત અને સુરેશ હતા. બન્ને દીકરા કીરણથી મોટા હતા, બન્ને જૈન ધર્મશાળામાં મુનીમ તરીકે નોકરી કરતા હતા. કીરણ હોંશીયાર અને સ્વરુપવાન હતી!

પરીવાર સુખી હતો પણ એક ઘટનાના કારણે પરીવાર ચીંતામાં મુકાઈ ગયો.

કીરણે એકાએક ધુણવાનું શરુ કર્યું! ધુણે ત્યારે વીચીત્ર ભાષા, કોઈને ન સમજાય તેવું, બોલતી હતી! જટાશંકર અને ઉષાબેનની ઉંઘ ઉડી ગઈ! બન્ને ભાઈઓ ભુવા તાંત્રીકો પાસે ગયા. દોરાધાગા અને માદળીયા લાવી કીરણને બાંધ્યા પણ ફેર પડયો નહીં.

પરીવારજનો કીરણને સારંગપુર હનુમાનજીના મન્દીરે લઈ ગયા. કાળો દોરો બાંધ્યો! બે–ચાર દીવસ કીરણ શાંત રહી; પણ અઠવાડીયા પછી કીરણનું શરીર ધ્રુજવા લાગ્યું. શરીર ધ્રુજે ત્યારે કીરણ વીચીત્ર ભાષા બોલતી હતી! કીરણનું આવું વર્તન કોઈને સમજાતું ન હતું.

ભરત અને સુરેશને જાણવા મળ્યું કે અમરેલીમાં ગેબનશા નામના ફકીર છે, તે આવા કેસને સાજા કરી દે છે!

બીજા અઠવાડીયે ભરત અને સુરેશ કીરણને લઈને અમરેલી ગેબનશા ફકીર પાસે પહોંચ્યા. ભરતે કહ્યું : “ફકીરજી! મારી બહેન કીરણને શું થયું છે? કોઈએ મેલીવીધા કરી છે? કોઈની નજર પડી છે?”

ફકીર ગેબનશાએ ગુગળનો ધુપ કર્યો. મન્ત્રોચ્ચાર કર્યા. મોરપીંછની સાવરણી કીરણના શરીર ઉપર ફેરવી. ફકીરે લીલા રંગના મોટા કપડાંથી કીરણનું શરીર ઢાંકી દીધું. ફકીરે પુછ્યું : “બોલ તું કોણ છે?”

“ફકીરજી! હું કીરણ છું!”

“તારા શરીરમાં કોણ આવે છે?”

“મારા શરીરમાં કોઈ આવતું નથી!”

“તું ખોટું કેમ બોલે છે?”

“ફકીરજી! હું ખોટું બોલું છું, એમ તમે કયા આધારે કહો છો?”

“કીરણ! હું ફકીર છું. હું બધું જાણું છું!”

“ફકીરજી! તમે કશુંય જાણતા નથી! તમે ઢોંગ કરો છો!”

“આ છોકરીને બોલવાનું ભાન છે કે નહીં?” ફકીર ગેબનશા, ભરત અને સુરેશ ઉપર ગુસ્સે થઈ ગયા!

ભરતે કહ્યું : “ફકીરજી! કીરણને બોલવાનું ભાન નથી રહ્યું એટલે તો તમારી પાસે એને લાવ્યા છીએ! ગુસ્સો ન કરો. ઈલાજ કરો!”

ફકીરે એલ્યુમીનીયમનો દસ પૈસાનો સીક્કો કીરણની હથેળીમાં મુક્યો અને કહ્યું : “સીક્કાને મુઠ્ઠીમાં છુપાવી દે! જો સીક્કો બે મીનીટમાં ગરમ થાય તો તારામાં જીનાત છે, એવું નક્કી થશે! જો સીક્કો ઠંડો પડવા લાગે તો તારામાં ભુત છે, એવું નક્કી થશે!”

ફકીરે મન્ત્રોચ્ચાર શરુ કર્યા. ગુગળના ધુપમાં વધારો કર્યો. મોટેથી બુમો પાડી. મોરપીંછની સાવરણી કીરણના માથા ઉપર ફેરવી. અચાનક કીરણે બુમ પાડી : “આ સીક્કો બહુ ગરમ થઈ ગયો છે!”

કીરણે સીક્કો ફેંકી દીધો. ફકીર ગેબનશાએ નીદાન કર્યું : “કીરણની પાછળ જીનાત છે! સાવચેતી રાખવી પડશે!”

ભરતે કહ્યું : “ફકીરજી! જીનાત કીરણને હેરાન ન કરે એ માટે કંઈક કરો!”

“ગીરનાર ઉપર જઈને વીધી કરવી પડશે! જીનાત સ્પાયડરમેન જેવો છે! એનું કામ જ ચોંટવાનું છે. કીરણ દેખાવડી છે, એટલે ખતરો વધુ છે! પણ તમે ચીંતા ન કરો. મારી ઉપર બધું છોડી દો! દસ હજાર રુપીયાનો ખર્ચ થશે. જીનાત પાકીસ્તાન નાસી જશે!”

“ફકીરજી! અગીયાર હજાર રુપીયા લઈ લો! પણ કીરણને જીનાત સ્પર્શી ન શકે, તેવી વીધી કરો!”

કીરણ અને તેના બન્ને ભાઈઓ ઘરે આવ્યા. થોડા દીવસ ઘરમાં શાંતી રહી. કીરણનું ખાવા–પીવાનું  ઓછું થઈ ગયું! એના વજનમાં સાત–આઠ કીલોનો ઘટાડો થઈ ગયો! એનો ચહેરો કરમાયેલો રહેતો હતો. જટાશંકર અને ઉષાબેનને ચીંતા કોરી ખાતી હતી. બન્ને ધાર્મીક અને આધ્યાત્મીક સાહીત્ય વાંચતા. અગોચર કીસ્સાઓ વાંચતા. કીરણને સારું થઈ જાય તે માટે ઠેરઠેર જતા. કીરણને સાથે લઈ જતા. ઉંઝા પાસે ઉનાવા પીર મીરાં દાતાર છે, ત્યાં કીરણને દેખાડી પણ ફેર ન પડયો. છેવટે ગીરનાર ઉપર દાતાર દરગાહે કીરણને લઈ ગયા.

મુંજાવરે કીરણને  પુછયું : “શું થાય છે તને?”

“મુંજાવરજી! મને કશુંય થતું નથી. મારી વેદના કોઈ સમજી શક્તું નથી!”

“શું છે તારી વેદના?”

“મારી વેદના તમને કહેવાનો કોઈ અર્થ નથી!”

જટાશંકરે કહ્યું : “મુંજાવરજી! કીરણનાં શરીરમાં જીનાત છે, એ જવાબ આપી રહ્યો છે!”

મુંજાવરે ગુગળનો ધુપ કર્યો. કીરણની ચારે બાજુ ધુપ ફેરવ્યો. કીરણ બેહોશ થઈ ઢળી પડી અને વીચીત્ર ભાષામાં કંઈક બોલાવા લાગી!

મુંજાવરે કહ્યું : “જટાશંકર! કીરણ જે ભાષા બોલે છે તે કુરાનની પાક આયતો છે!

“મુંજાવરજી! કીરણ બ્રાહ્મણની દીકરી છે અને કુરાનની આયાતો બોલે! નક્કી જીનાતનું આ કામ છે! કીરણે ક્યારેય કુરાન જોયું પણ નથી કે વાંચ્યું પણ નથી! એને અરબી કે ઉર્દુ ભાષા પણ આવડતી નથી!”

“જટાશંકર! તમારી આ દીકરી કુરાનની પાક આયાતો બોલે છે, તે હકીક્ત છે!”

“પણ એવું કઈ રીતે બને? “

“જટાશંકર! કીરણ પુર્વજન્મમાં મૌલવી હતી!”

જટાશંકર અને ઉષાબેનનું વીચારતન્ત્ર ખોરવાઈ ગયું. બન્ને કીરણને તાકી રહ્યા. કીરણ નીચે જોઈને મુંજાવરની વાતો સાંભળતી હતી. ભરત અને સુરેશ પણ મુંઝવણમાં મુકાઈ ગયા.

ભરત અને સુરેશ, કીરણને પાલીતાણાના ડૉકટર લાલાણી પાસે લઈ ગયા. ડૉકટરે કીરણને તપાસીને કહ્યું : “કીરણને કશું જ નથી થયું!”

“સાહેબ! કીરણ કુરાનની આયાતો બોલે છે, એનું કારણ શું? પુર્વજન્મમાં એ મુસ્લીમ હતી?”

 ભરતભાઈ! તમારા પ્રશ્નનો જવાબ હું આપી શકું તેમ નથી!”

“પણ ડૉક્ટર સાહેબ! કુરાનની આયાતો બોલવાનું કારણ જીનાત છે?’’

“આ પ્રશ્નનો જવાબ પણ હું આપી શકું તેમ નથી! તબીબીશાસ્ત્રમાં આવું કંઈ આવતું નથી!”

“ડૉક્ટર સાહેબ! કીરણ પુર્વજન્મમાં પુરુષ હોય અને આ જન્મમાં મહીલા, એવું કઈ રીતે બને?”

“ભરતભાઈ! તમારા પ્રશ્નોના જવાબ મારી પાસે નથી. મારી સલાહ છે કે તમે કીરણને મનોચીકીત્સક–સાયકીયેટ્રીસ્ટ(માનસીક રોગોના ડૉક્ટર) પાસે લઈ જાવ.”

સાહેબ! કીરણને મનોચીકીત્સક પાસે લઈ જવામાં જોખમ છે!”

“શું જોખમ છે?”

“કીરણની સગાઈ તુટી જાય! વેવાઈને ખબર પડે કે…..!!!”

ભરતભાઈ! કોઈને ખબર ન પડે, એવું તમે ઈચ્છો છો?”

“બરાબર સાહેબ!”

“જુઓ. પાલીતાણામાં ચમત્કાર ચકાસણી કેન્દ્રછે. શ્રી. ચતુરભાઈ ચૌહાણ(સેલફોન : 98982 16029) ચલાવે છે. કીરણનાં શરીરમાં પ્રવેશી ગયેલું જીનાત એ કાઢી શકશે! એમને મળો.”

તારીખ 29 ડીસેમ્બર, 1990ને શનીવાર. પરીવારજનો કીરણને લઈને શ્રી. ચતુરભાઈ ચૌહાણ (ઉમ્મર : 45) પાસે પહોંચ્યા. જટાશંકરે કહ્યું : “સાહેબ! અમે હેરાન પરેશાન થઈ ગયા છીએ! કોઈ ઉપાય બતાવો!”

ચતુરભાઈકીરણનું નીરીક્ષણ કર્યું. એનો ચહેરો વાંચ્યો અને કહ્યું : “કીરણને વળગાડ વળગ્યો હોય તેવું લાગતું નથી!”

“સાહેબ! કીરણ ગીતાના શ્લોક બોલે તે સમજાય, પણ કુરાનની પાક આયાતો!”

“જટાશંકરભાઈ! કીરણને પુરતા આરામ અને ખોરાકની જરુર છે. એનું શરીર દુબળું થઈ ગયું છે. આવી સ્થીતીમાં મગજમાં અવ્યવસ્થા સર્જાય. અજાગૃત મગજ જાગૃત થાય અને અજાગૃત મગજની સંઘરેલી જુની વાતો બહાર આવે! ચીત્તભ્રમ–સીઝોફેનીયા થાય! આ સ્થીતીમાં તેના મનમાં અને વર્તનમાં ઉન્માદ જોવા મળે. ગાંડપણનાં લક્ષણો જોવા મળે. આવી વ્યક્તી હતાશ થઈ જાય, ભાંગી પડે. છીન્નભીન્ન થઈ જાય! માનસીક ભ્રમણાઓ થાય. ભ્રમણાઓ આભાસ સર્જે. વ્યક્તીના સંસ્કાર અનુસાર ભુત દેખાય! માતાજી દેખાય! પણ કીરણનો કીસ્સો જુદો જ છે!”

“કઈ રીતે જુદો છે?” ઉષાબેને પુછયું.

“તમે સૌ પરીવારજનો થોડો સમય બહાર બેસો. હું કીરણની પુછપરછ કરવા ઈચ્છું છું.”

પરીવારજનો બહાર જઈને બેઠાં. ચતુરભાઈએ પુછયું : “કીરણ! તું વીસ વર્ષની હતી ત્યારે શું કરતી હતી? “

“કોલેજમાં ભણતી હતી.”

“તું છ–સાત વર્ષની હતી ત્યારે શું કરતી હતી?”

સાહેબ! ત્યારે મારા પપ્પા ભાવનગર પોલીસ ખાતામાં નોકરી કરતાં હતાં. અમે પોલીસ લાઈનમાં રહેતા હતા. અમારા કવાર્ટરની બાજુમાં હસનચાચા રહેતા હતા. તેમનો દીકરો નુરો મારી ઉંમ્મરનો હતો. એ રુપાળો હતો. સુંદર કપડાં પહેરે. માથે ટોપી પહેરે. સવારમાં કુરાન વાંચે. હું એને સાંભળું અને અમુક યાદ રહી જતું હતું! નુરો ઉર્દુ વાંચે તે બોલી શકું; પણ લખી કે વાંચી શકતી નથી!

“પછી શું થયું?”

“સાહેબ! મારા પપ્પાની બદલી પાલીતાણા થઈ ગઈ.”

“કીરણ! તું આ ઉમ્મરે કુરાનની આયાતો કેમ બોલે છે?”

“ સાહેબ! એવું કેમ થાય છે, એની મને ખબર નથી! પણ ઘરમાં સૌને વળગાડ વળગ્યો છે!”

“કીરણ! તું શું કહેવા માંગે છે?”

સાહેબ! હું સાચું કહું છું. મારી ઈચ્છા ન હતી છતાં મારી સગાઈ ગામડાના છોકરા સાથે કરી છે! મારે ગામડામાં જવું નથી, મારે શહેરમાં જ રહેવું છે! પરન્તુ મારી વાત કોઈએ માની નહીં. મેં ખાવા–પીવાનું ઓછું કરી નાખ્યું. ક્યારેક હું સાનભાન ગુમાવી દેતી. કદાચ એવી સ્થીતીમાં મારા અજાગૃત મનમાંથી કુરાનની આયાતો નીકળતી હશે! સાહેબ! મને ગામડામાં પરણાવવાનો વળગાડ પરીવારજનોને વળગ્યો છે, તેમાંથી મને છોડાવો!

(આવી છેતરામણ થઈ હોય તો, પુરતા પુરાવા સાથે, ચતુરભાઈ ચૌહાણ (સેલફોન : 98982 16029) ચમત્કાર ચકાસણી કેન્દ્ર, ચાંદખેડા, અમદાવાદ – 382 424 (વય નીવૃત્તીથી નીવૃત થઈને તેઓ અમદાવાદમાં સ્થાઈ થયા છે.)  તેમ જ મારા ‘અભીવ્યક્તી  બ્લોગના https://govindmaru.wordpress.com/cck/ પેજ પર ગુજરાત રાજ્યના 12 ચમત્કાર ચકાસણી કેન્દ્રો’ અને તેના કાર્યકરોના સેલફોન નમ્બર આપવામાં આવ્યા છે તેઓનો સમ્પર્ક કરવા જણાવાય છે.  …ગો. મારુ)

–રમેશ સવાણી

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile : 99099 26267  e.Mail : rjsavani@gmail.com

શ્રી. ચતુરભાઈ ચૌહાણ ગામડે ગામડે અને શહેરોની લાયન્સ ક્લબ, જેસીઝ ક્લબ અને સામાજીક સંસ્થાઓ, જ્ઞાતી મંડળો, મહીલા મંડળો અને સ્કુલ–કૉલેજોમાં જઈ વહેમ–અન્ધશ્રદ્ધા નીવારણના નીદર્શન–કાર્યક્મો કરે છે. તેઓ રૅશનાલીસ્ટ ચળવળના પાયાના કાર્યકર છે. તેઓનું પુસ્તક ચમત્કારથી ચેતો અથવા બે કરોડ જીતો (પ્રકાશક અને સંકલનકર્તા : પીયુષ જાદુગર, એડવોકેટ, 4/એ, અચલ રેસીડેન્સી–2, કીર્તીધામ જૈન મન્દીર પાછળ, ચાંદખેડા, અમદાવાદ – 382 424. સેલફોન : 94260 48351 મુખ્ય વીતરક : શ્રી. નાથુભાઈ ડોડીયા, મન્ત્રી, આર્યસમાજ, નવાડેરા, ભરુચ – 392 001. સેલફોન : 99988 07256 પાનાં : 90, મુલ્ય : રુપીયા 20/-)માંનો આ પ્રથમ લેખ, પુસ્તકનાં પાન 11થી 15 ઉપરથી, તેમ જ આ લેખ તારીખ 01, નવેમ્બર, 2016ના રોજ ‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી લેખક શ્રી. રમેશ સવાણી, I.G.P.ની રૅશનલ કટાર ‘પગેરું’માં પણ પ્રગટ થયો હતો. ‘સંદેશ’ દૈનીકના તેમ જ ચમત્કારથી ચેતો અથવા બે કરોડ જીતોના પ્રકાશકશ્રીઓ અને લેખકશ્રીના સૌજન્યથી સાભાર..

16 Comments

  1. It is a very nice article. The parents and other siblings should understand her.

    Thanks for this article.

    Pradeep H. Desai

    USA

    Liked by 1 person

  2. હાર્દિક અભિનંદન, રમેશ સવાણીને. પ્રેઝન્ટેશન અેટલું તો અસરકારક અને સાંસરું ઉતરી જાય તેવું. અંઘશ્રઘ્ઘાનો આ કેસ નથી. જોહુકમીનો કેસ છે. બાળકની ઇચ્છાને કોઇ.. ( આ ઘટના બની હશે ત્યારે આજથી કદાચ ૪૦ થી ૫૦ વરસો પહેલાની આ વાત હશે.) સાંભળતું નહિ. મા બાપ જુની રહેણી કરણીને પગલે વગર વિચારે ખાસ કરીને દિકરીનું ભાવિ પોતાની મરજી મુજબ નક્કિ કરી દેતા અને કહેતા કે દિકરી નું ભાવિ મા બાપ શિવાય કોણ સારી રીતે ઘડી શકે ? મા બાપ સરમુખત્યારનો રોલ ભજવતા. કિરણનું નસીબ સારું કે તેના નિદાનમાં આઘુનિક સાયકોલોજીના વિષયે મદદ કરી. સમાજની બીક…..વેવિશાળ તુટવાની બીક,…ઇજ્જત જવાની બીક…આ બઘું તે સમયના ભણેલાં ગણેલા બ્રાહ્મણ કુટુંબોમાં પણ ઘર કરીને બેસેલી રહેતી. હિન્દુ સમાજની જ હાલે તો વાતો કરીઅે. બીજી ન્યાતોમાં પણ આવું થતું હશે પણ તેનો વિચાર અહિ આજે નહિ કરીઅે. હિન્દુ અને બ્રાહ્મણ કુટુંબ…ભણેલાં ગણેલાં કુટુંબીઓ……?????? વિજ્ઞાન અને તેની પ્રગતિ સમાજને કેટલી મદદરુપ થાય છે તે સમજવાનું ચીલાચાલુ જીવન જીવવાવાળા આજે પણ સમજવા તૈયાર નથી. આઇ ફોન વાપરશે….વિમાનમાં મુસાફરી કરશે….વોશીંગ મશીન વાપરશે….કાર ચલાવશે પણ તે કાર દરરોજ મંદીરે જશે અને જ્યોતિષને દ્વારે જશે….મા બાપે બાળકોને માટે સમય ફાળવીને દરરોજ તેમની સાભે મિત્રભાવે તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવું જોઇઅે. …ખાસ કરીને ‘ ટીન‘ઉમરની થાય તે પછી…..પુત્રને પણ તેજ રીતે મિત્રભાવે પાસે બેસાડીને તેમના પ્રશ્નો સમજવા જોઇઅે……કિરણ નસીબવાળી હતી કે તેને સાયકોથેરેપીસ્ટની સેવા મળી ગઇ……આવા ઘણા ઘણા દાખલાઓ સમાજ સમક્ષ લાવવા જરુરી છે.
    અભિનંદન.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. ઑછામાં ઓછૂ આવા બનાવો માં હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મમાં થોડુંક સામ્ય છે, કે આવા બનાવોમાં પીર, ફકીર, મૉલ્વી, મુલ્લા, વગેરે ને પણ જીન્નાત નજર આવે છે, અને પછી તેમને ઘી કેળા થઈ જાય છે, કારણકે આ કહેવાતા જીન્નાતને ભગાવવા માટે તેઓ મોટી રકમ અંધશ્રધ્ધાળુઓ પાસેથી પડાવે છે.

    લાગે છે કે જીન્નાતો પણ આ યૂગમાં કામે લાગી ગયા છે.

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  4. વળગાડ પરીવારજનોને વળગ્યો છે, તેમાંથી મને છોડાવો!
    આ લેખ/વાર્તાનુ આ વાક્ય તેનો સારાંશ છે. સવાલ એ થાય છે કે વળગાડ કોને નથી વળગ્યો? પીર, ફકીર, મૉલ્વી, મુલ્લા કે ભૂવા,જાગરીયા,જોગટા, માડી, માતાજી, ગુરુ વિ. વિ. વળગાડ પેદા કરનારા કે વળગાડ ઉભો કરનારા છે. સંતાનોની કે સ્વજનોની માનસિક બિમારીમાં આવા લેભાગુ તત્વો બીમારીને વધારે છે. ક્યારેય એવા ધુતારાઓને ત્યાં જવુ જોઇએ નહીં. પૈસા અને પ્રિય સ્વજન બંને બગડશે. જ્યારે પણ કોઇ વ્યક્તિ અસાધારણ વર્તણૂંક કરતી દેખાય ત્યારે તેનામાં ભૂત જોવાની આદત ખોટી છે. ભૂત ક્યારેય હોય જ નહીં.
    જેમ સ્વપ્નમાં ગાઇ શકો છો, સ્વપ્નમાં ન આવડતી ભાષામાં ભાષણ આપી શકો છો, સ્વપ્નમાં સંસ્કૃતના શ્લોક બોલી શકો છો તેમ ક્યારેક જાગૃત અવસ્થામાં તેવુ કરી શકતા નથી. ભાઇ, મનની સ્થિતિ માણસનુ માનસિક સ્વાસ્થ્ય બતાવે છે. એક ભાઇ એવા છે, જ્યારે પણ મને મળે ત્યારે હું જેને ઓળખતો હોય તેવી વ્યક્તિના મરણના સમાચાર આપ્યા વિના ન રહે. તેમને કોઇ નવી બીના ન દેખાય. મરણ વિષે એ એટલા સેંસીટીવ છે કે બીજી કોઇ વાત જ તેમના મોઢે ન આવે. જેને આપણે હસતા હસતા કહેતા હોઇએ છીએ કે ભાઇની પીન ચોંટી ગઇ છે. આવી પીન ચોંટી જવાની માનસિક બીમારી જ કહી શકાય. મનોબળ મજબૂત હોય તે હંમેશા નોર્મલ દેખાય. રેશનાલીસ્ટ જ નોર્મલ દેખાય.રેશનાલીસ્ટ થવા ગોવિંદભાઇનો અભીવ્યક્તી બ્લોગ જ કાફી છે. વાંચ્યા કરો, બસ , વાંચ્યા જ કરો. બાકી, જાગરીયા તો આપણી રાહ જોઇને જ બેઠા છે. ધૂણાવશે અને ધતીંગમાં જોડાવશે. માનસિક બીમારી માટે મનોચિકિત્સક સિવાય કોઇની પાસે જવુ જોઇએ નહીં. અને મુદ્દાની વાત- કોઇનુ પણ માનસિક સ્વાસ્થ્ય બગડે તેવુ વાતાવરણ કે પરિસ્થિતિ પેદા કરવી જોઇએ નહીં. પ્યારભરી ભાષા અને સહાનુભૂતિપૂર્વક વર્તન કરવાથી ભૂત બનતુ અટકાવી શકાય છે. અંધશ્રધ્ધા માનસિક બીમારીને બળ આપે છે.
    બાકી વાર્તાની કીરણ સાજી જ હતી. રોજ સવારે ઉઘડતા સૂરજના કીરણના જેવી જ…લેખક રમેશ સવાણીને અભિનંદન સુંદર આલેખન માટે, ,,,,,,,,,,
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    રોહિત દરજી ” કર્મ ” , હિંમતનગર મો. 94267 27698

    Liked by 2 people

  5. સરસ લેખ. અને ભાઈ રોહિત દરજીએ ઉપર કહ્યું છે તેમ ગોવીંદભાઈના ‘અભીવ્યક્તી’ બ્લોગના લેખો વાંચી વાંચીને જ મને પણ રેશનાલીઝમ વીશે ઘણી જાણકારી મળી. કહેવું જોઈએ કે મારી આંખો કંઈક અંશે ખુલી. હાર્દીક આભાર ગોવીંદભાઈ.

    Liked by 1 person

  6. Dear Govindbhai,

    Apna Adda FB page check karsho. Vaachakona pratibhavni sharuaat thai gai che.

    Firozbhai

    ________________________________

    Liked by 1 person

    1. વહાલા ખાનસાહેબ,
      ‘ધુણે ત્યારે બીજી ભાષા બોલે!!’ લેખને ‘अपना adda’ પર જનજાગૃતી અને ચર્ચા અર્થે શેર કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Liked by 1 person

  7. This is a red signal for parents.They should understand their kids.And above incident is the result of dictatorship of parents and this could have been easily avoided.Thanks,ultimately they approached right person at right time.

    Liked by 1 person

  8. During young age we were informed by those who did not believe this ‘dhunavanu’ that the women folk at that time who could not open their mouth before seniors OR had to cover their head all through were taking opportunity — especially during festivals like navaratri or during ‘Puja’ in the family, — of useing the occasion for ‘dunava’ and speak out their mind by talking good or bad things for seniors or other family members.
    Later on during studying psychiatry came to know the scientific reason for such behaviour as the case given in the article.
    The society / samaj has to wake up and understand to help such cases. —
    Navin Nagrecha , a Senior Citizen of 80 years

    Liked by 1 person

  9. અંધશ્રદ્ધાનો દાખલો ખૂબ સુંદર રજૂ કર્યો….તમે જો ઝીણવટથી જોશો તો જોજો આ ફક્ત સ્ત્રીઓમાં જ બને છે !!!! કેમ આવું !!! કારણ ખુબજ સીધું છે કે હિન્દુસ્તાનમાં છોકરીઓને જ ખૂબ જાપ્તા હેઠળ રાખવામાં આવે છે. અને તેની સામે પુરુષ બિન્દાસ્ત કેળવાય છે. આ ભેદભાવની નીતી ધરમુલમાં જવાબદાર છે. આમાં પુરુસ અને સ્ત્રીના સંબન્ધમાં સ્ત્રી ભારેપગે થાય છે . તે જ બદનામ થાય છે. નહીં કે એને આ પરિસ્થિતિમાં લાવનાર પુરુષ !!!! આ પરિસ્થિતિ સ્ત્રીના માં-બાપે અને સ્ત્રી એ જ વેઠવાની હોઈ છે….પુરુસ બિન્દાસ્ત બીજી છોકરીને ભોગવશે…સ્ત્રી એ જ લાચારી પરિવાર સહિત ભોગવવાની…તેથી જ આ રોગ સ્ત્રીને જ લાગે છે….આવા કિસ્સામાં સમાજ પણ એટલો જ જવાબદાર છે…આ ગંભીર સમસ્યા છે…આ માટે જાગૃતિ લાવવી અત્યંત જરૂરી અને મહત્વની છે….

    Liked by 1 person

  10. સરસ લેખ પણ લોકોને અક્કલ અાવતી નથી એનું મૂળ કારણ અંધશ્રધ્ધા છે જેનો કોઇ ઉપાય નથી

    Liked by 1 person

Leave a comment