સાચું શ્રાદ્ધ આ રહ્યું…!

 

સાચું શ્રાદ્ધ આ રહ્યું…!

(જીવતી માનું શ્રાદ્ધ કરતો દીકરો)

આ લખાય છે ત્યારે શ્રાદ્ધનું પર્વ ચાલે છે. હીન્‍દુઓ ગાય કાગડાને ‘વાસ’ નાખીને મૃત સ્‍વજનોને ભોજન જમાડે છે. પન્તુ સમાજમાં ઝીણવટથી અવલોકન કરશો તો જોઈ શકાશે કે દશમાંથી નવ ઘરોમાં વૃદ્ધો અનેક હાલાકી ભોગવી ભીની આંખે અને દુભાતા દીલે જીવતા હોય છે. કોઈએ તે અંગે વ્‍યંગમાં  લખ્‍યું  છે : ‘જીંદે બાપકો રોટી ન દઈયો… મરે બાદ પછતઈયો… મુઠીભર ચાવલ લેકે છપરે પર… કૌવે કો બાપ બનાઈયો!’ હમણા એક મીત્ર મીઠાઈની દુકાને મળી ગયા. એમણે કહ્યું : ‘આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે છે એથી તે લેવા આવ્‍યો છું!’ અમારા આશ્ચર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો અમે એમની માને શાકમાર્કેટમાં મળ્‍યા હતા. અમે કાંઈ બોલીએ તે પહેલાં ખુદ માતાજી હાથમાં થેલી લઈને ત્‍યાં આવી પહોંચ્‍યા. તેમને જોઈ અમે પુછયું, ‘ભલા માણસ, આ શી મજાક માંડી છે? માજી તો આ રહ્યાં તારી બાજુમાં..!’ મીત્રે માતાના ખભા પર હાથ મુક્‍યો અને હસીને કહ્યું : ‘જુઓ સાંભળો…, માના મર્યા બાદ ગાય– કાગડાને વાસમાં લાડુ મુકવાને બદલે હું જીવતાં જીવત જ એમના ભાણામાં લાડુ મુકીને એમને તૃપ્‍ત કરું છું. મારુ માનવું છે કે માબાપની હયાતીમાં જ તેમને સર્વ વાતે સુખી કરવા એ જ સાચું શ્રાદ્ધ ગણાય! માને સોસીયો બહુ ભાવે છે. હું એમને માટે સોસીયો હંમેશા ફ્રીઝમાં રાખું છુ. એમને ખાજલી, સફેદ જાંબુ, સુતરફેણી વગેરે બહુ ભાવે છે. તે બધું જ હું એમને ખવડાવું છું. શ્રદ્ધાળુઓ મન્દીરે જઈ અગરબત્તી સળગાવે છે. હું મન્દીરે જતો નથી; પણ માના સુવાના ઓરડામાં કાચબાછાપ અગરબત્તી સળગાવી આપું છું. સવારે મા ગીતા વાંચવા બેસે ત્‍યારે માના ચશ્‍મા જાતે સાફ કરી આપું છું. મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મુર્તી સાફ કરવા કરતાં ઘરડી માના ચશ્‍મા સાફ કરવાથી વધુ પુણ્‍ય મળે છે.’

મીત્રની વાત શ્રદ્ધાળુઓને કઠે એવી છે પણ વાતમાં વજુદ છે. આપણે વડીલોના મૃત્‍યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ. જ્ઞાતીને લાડુ અને દુધપાકનું જમણ જમાડીએ છીએ. રીવાજ ખાતર ભલે તેમ કરવું પડતું, પણ ગાય– કાગડાને ખવડાવેલું કદી ઉપર પહોંચતું નથી. અમેરીકા અને જાપાનમાં પણ સ્‍વર્ગ માટેની કોઈ ‘ટીફીનસેવા’ હજી શરુ થઈ નથી. માવતરને જીવતાજીવત જ બધાં સુખો આપીએ તે ઉત્તમ શ્રાદ્ધ ગણાય.

એક સત્‍ય સમજી લેવા જેવું છે. દીકરાઓ ગમે તેટલા શાણા, સમજુ અને પ્રેમાળ હોય તો પણ જુવાનીમાં એમને ઘડપણની પીડાનો ખ્‍યાલ આવી શકતો નથી. આંખે દેખાતું બંધ થયા પછી જ અન્ધાપાની લાચારી સમજાય છે. કાને સમ્ભળાતું બન્ધ થાય પછી જ એ દુઃખની સાચી પીડા જાણી શકાય છે. એ સંજોગોમાં વૃદ્ધોને પૈસા કરતાં પ્રેમની અને ટીકા કરતાં ટેકાની વધુ જરુર પડે છે. કેટલાંક યુવાનો પત્‍ની અને સન્તાનોની કાળજી લે છે તેટલી ઘરડા માબાપોની નથી લેતાં. અમે એક કુટુમ્બને ઓળખીએ છીએ, જેમાં દીકરો વહુ જમવા બેસે ત્‍યારે માને થાળી બનાવી આપીને તેને દુર અલગ બેસાડે છે. એક દીવસ તેના ગુરુ એ જોઈ ગયા. તેણે દુઃખપુર્વક કહ્યું; ‘ભાઈ, જે માએ તને દુઃખમાં પણ કદી છાતીએથી અળગો નહોતો કર્યો, બલકે તને મોમાંથી કોળીયો કાઢીને ખવડાવ્‍યો હતો તે માને આમ અલગ ના બેસાડ..!  તમારી જનેતાને તમારા વચ્‍ચે બેસાડીને પ્રેમથી ભોજન જમાડશો તો ભગવાન અને મા બન્‍ને રાજી થશે. હું તો કહીશ એટલું કર્યા પછી તારે મન્દીરમાં જઈને ઘંટ વગાડવાનીકે પ્રદક્ષીણા ફરવાની પણ જરુર ના રહેશે!’

સમાજના મોટાભાગના વૃદ્ધો અનેક પ્રકારની અવહેલના ઝીલતા (હોઠ ભીડીને) જીવ્‍યે જાય છે. દીકરાઓ તેમને પાશેર ખમણ ખવડાવતાં નથી અને મર્યા બાદ હજારો રુપીયા ખર્ચીને જ્ઞાતીને જમાડે છે. બ્રાહ્મણોને દાન આપે છે. તીર્થસ્‍થળોએ જઈ શ્રાધ્‍ધ કરે છે. આ બધાં નીરર્થક ક્રીયાકાંડો છે. જુની પેઢીના લોકોની એ જર્જરીત મનોદશામાં કોઈ પરીવર્તન આવી શકવાનું નથી પરન્તુ આજના યુવાનોએ એવા ખોખલા રીવાજોને તીલાંજલી આપવી જોઈએ.

સન્તો કહે છે, ‘નાનપણમાં આપણે ચાલી નહોતા શકતા ત્‍યારે માબાપ આપણી આંગળી ઝાલતા. હવે તેઓ ચાલી નથી શકતા ત્‍યારે આપણે તેમનો હાથ ઝાલવો જોઈએ. ઘરડા માબાપને તીર્થયાત્રા કરવા ન લઈ જાઓ તો ચાલશે, તેમનો હાથ ઝાલીને સંડાસ સુધી દોરી જશો તો એમાં અડસઠ તીર્થનું પુણ્‍ય સમાઈ જાય છે. કહે છે માબાપ બે વખત રડે છે. એક દીકરી ઘર છોડે ત્‍યારે… અને બીજું દીકરા તરછોડે ત્‍યારે… પણ માએ તો જીન્દગીભર રડવાનું જ હોય છે. છોકરાં નાના હોય અને જમે નહીં એટલે મા રડે અને એ છોકરાં મોટા થઈને જમાડે નહીં ત્‍યારે મા રડે છે. આજના સંજોગની એ વીચીત્ર વીડમ્‍બના છે કે જે બાળકને માએ બોલતાં શીખવ્‍યું હોય એ દીકરો  મોટો થઈને માને ‘ચુપ’ રહેવાનું કહે છે.

માતૃપ્રેમ વીશે આપણાં લોકકવીઓએ ઘણું લખ્‍યું છે. કવી ધરમશીએ કહ્યું છેઃ ‘પહેલાં રે માતા… પછી રે પીતા… પછી લેવું પ્રભુનું નામ… મારે નથી જાવું તીરથધામ…!’ પણ હવે સમય અને સમાજ બન્‍ને બદલાયાં છે. લોકોના વાણી, વર્તન અને જીવનશૈલી પર પશ્ચીમની અસર થઈ છે. જે મા દીકરાને ગર્ભમાં રાખે છે તે માને દીકરા ઘરમાં રાખવા માંગતા નથી. અમારા બચુભાઈ કહે  છેઃ ‘આણંદના ગોટા આણંદમાં જ મળે– અમદાવાદ સ્‍ટેશને મળતાં નથી. તેમ જુવાનીના સ્‍ટેશન પર ઘડપણના દુઃખોનો અન્દાજ આવી શકતો નથી. નર્કની પીડા કેવી હોય છે તે આપણે જાણતા નથી; પરન્તુ નર્કની ભયાનક્‍તાથી બચવા આપણે નીયમીત ભગવાનની ભક્‍તી કરીએ છીએ, તેમ ઘડપણની યાતનાનો ખ્‍યાલ ભલે જુવાનીમાં ન આવી શકે પણ તે દુઃખોની કલ્‍પના કરીને આપણે વૃદ્ધોને પ્રેમથી સમ્ભાળવા જોઈએ. સંસારના દરેક દીકરાએ વીચારવું જોઈએ કે આપણા એવા સંસ્‍કાર આપણા સન્તોનોને મળશે તો આપણું ઘડપણ પણ સુધરી જશે. દોસ્‍તો, વૃદ્ધાવસ્‍થા  મનુષ્‍યજીવનની અનીવાર્ય આપત્તી છે તેથી તે ખાસ આદર અને સહાનુભુતીને પાત્ર છે. કેમકે ઘડપણ જીન્દગીનું અન્તીમ જકાતનાકુ છે. જીવનભરના તમામ કર્મોના હીસાબની ત્‍યાં ચુકવણી કરીને માણસ અનન્તની યાત્રાએ ઉપડી જાય છે. એથી પ્રત્‍યેક દીકરાએ માબાપની પુરી કાળજી લેવી જોઈએ. લોકકવી ભીખુદાન ગઢવી લખે છે : ‘અન્તવેળા જેના માબાપ ના ઠર્યા… સાત જનમ તેના બુરા ઠર્યા…!’

ગુલાબદાન ગઢવી શું કહે છે તે પણ અન્તે સાંભળી લઈએ :

ગરીબ માની ઝુંપડીમાં ‘ગુલાબદાન’ કોઈ ‘દી સાંકડ નહોતી થાતી

આજે પાંચ પુત્રોના પાંચ બંગલામાં એક માવડી નથી સચવાતી..!

તો શરમ, મરજાદ અને સંસ્‍કૃતી ક્‍યાં ગઈ જે ગૌરવ આપણું ગણાતી..?

આલીશાન બંગલામાં પોષાય આલ્‍સેશીયન.. એક માવડી નથી પોસાતી..!

– દીનેશ પાંચાલ

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 ગુજરાત(ભારત) સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે બપોરે 2.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

 

16 Comments

  1. મંદીર ની બહાર ભૂખ્યા દરિદ્રો ની અવગણના કરી ને પથ્થરની મૂર્તિ પર દૂધ ની નદીઓ છલકાવવી
    તથા
    દરગાહો કે મઝારો ની બહાર ઠંડી માં ઠુઠવાતા દરિદ્ર બાળકો ની અવગણના કરીને પાણા ની કબરો પર ચાદરો ના ઢગલા ચઢાવવા

    ઍ આ ઍકવીસ મી સદી માં પણ ચાલી રહ્યું છે.

    ઍ ક્રુત્ય કરવાવાળઑ ઍ સમજવું જોઈ ઍ કે “માનવતા ઍ જ સૌ થી મોટો ધર્મ છે.

    “No religion is greater than Humanity.”

    કાસીમ અબ્બાસ, કેનેડા

    Liked by 1 person

  2. Ek vat jarur kahish k tame dikarao ne sudharva mate atlu badhu lakhyu…
    Pan tamne ek sawal puchu k marriage pela koi pan dikro ena ma bap ne chhodto nathi marriage pachi j kem chode che ???
    Thodu ena vishe pan lakho k dikri o a sasre kai rite revu..

    Liked by 1 person

  3. It is a good article. I fully agree with Qasim Abbas’s views. Thee is nothing greater than humanity. We all should respect and help our parents.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Liked by 1 person

  4. Reblogged this on and commented:
    ખૂબ સરસ લેખ ! દિનેશભાઈ તથા ગોવિંદભાઈ ધન્ય્વાદ ! મારાં બ્લોગ ઉપર રીબ્લોગ કરું છું. આભાર !

    Liked by 1 person

    1. વહાલા અરવીન્દભાઈ,
      ‘સાચું શ્રાદ્ધ આ રહ્યું…!’ લેખને આપશ્રીના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  5. દીનેશ પાંચાલનો લેખ મનનીય છે. સરસ અને સચ્ચાઇ ભરેલો છે. ગમ્યો. છેલ્લા પેરેગ્રાફમાં તેઓ કહે છે કે…સંસારના દરેક દિકરાઅે વિચારવા જેવું છે કે………..
    હકીકતમાં ફક્ત દિકરાને સંબોઘવા કરતાં દિકરા અને વહુઅે અેમ લખવું જોઇઅે. તે વહુને પણ માતા..પિતા હોય જ છે અને તેને ભાઇ પણ હોવો જ જોઇઅે……હકિકતમાં મેજોરીટી ઘરોમાં મા , બાપ અને પૂત્ર વચચેના જે સંબંઘો હોય છે તેમાં મોટું પરિવર્તન પૂત્રના લગ્ન બાદ અને વહુનાં ઘરમાં આવ્યા બદ જ થતું હોય છે….લગ્ન બાદ મા..બાપ બિચારા બની જતાં હોય છે. આ પરિસ્થિતિને જન્મ આપવા માટે પૂત્રને વઘારે કસુરવાર કહું છું કેમતે પોતાની પત્નિને સમજાવી શક્તો નથી ? આપણે શ્રાઘ્ઘના વિષયે વાત કરીઅે છીઅે અેટલે ફક્ત હિન્દુઓને માટે જ લખીઅે છીઅે. હજારો વિચારકો..(સાચા…વેપારી નહિ..)..શ્રાઘ્ઘને અેક વેપાર જ કહી ગયા છે…અને કહે છે…..જ્યાં સુઘી મા, બાપને જીવતા જીવત દુ:ખ દેવાનિ વાત છે ત્યાં સુઘી આ સીલસીલો તો નરસિહ મહેતાને પણ લાગેલો…તેમનું અેક કાવ્ય………..
    ઘડપણ કોણે મોકલ્યુ ? જાણયુ જોબન રહે સૌ કાળ,
    ઉંબરા તો ડુંગર થયા રે, પાદર થયા પરદેશ ;
    ગોળી તો ગંગા થઇ રે, અંગે ઉજળા થયા છે કેશ…ઘડપણ….
    નહોતું જોઇતું તે શીદ અાવિયું રે, ન્હોતી જોઇ તારી વાટ,
    ઘરમાંથી હળવા થયાં રે, ખૂણે ઢાળો અેની ખાટ……ઘડપણ…..
    ………………………………………………………………..
    ………………………………………………………………….
    દીકરા તો જૂજવા થયા રે, વહુઅરો દે છે ગાળ;
    દીકરિઓને જમાઇ લઇ ગયા રે, હવે ઘડપણના શા હાલ ?
    નવ નાડીઓ જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ;
    બૈંરા, છોકરાં, ફટ ફટ કરે રે, બાળક દે છે ગાળ…..ઘડપણ….
    ……………………………………………………………….
    ………………………………………………………………..
    અેવું નકટ છે આ વૃઘ્ઘ્પણું રે, મૂકી દો અહંકાર;
    ઘરમનાં સત્ય વચન થકી રે, મહેતો નરસૈંયો ઊતર્યો ભવપાર…..ઘડપણ……..
    સૈફ પાલનપુરીઅે કહેલું……
    જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી હતી,
    બહુ જ પાના જોઇ શક્યો, ઘણા અંગત નામો હતાં.
    કવિ સાજીદ સૈયદ કહે છે કે…..( છેલલી કડીમાં….)
    સાત જન્મોની સઘળી પૂંજી લગાવી દઉં
    તોઅે મારી માવડી મારીલેણદાર નીકળે…….
    હિતેન આનંદપરા….
    અને હાલરડે સપનાની સેર
    રાતભર જાગી જાગીને કરી
    ઇશ્વર સાથે જીભા જોડી,
    માં, મને કેમ ખબર મોડી પડી ?
    ઉમાશંકર જોશી….
    બાળકને જોઇને જેરીઝે, રીઝે બાળક જોઇ જેને,
    વત્સલમૂરત સ્નેહલ સૂરત, હૃદય હૃદયનાં વંદન તેને.
    દેવાંગ જોષી…..
    છેલ્લી કડી….‘ કંઇ પણ નથી વિશેષ ‘દેવ‘ માં કરતાં આ જટીલ જગમાં
    ઇશ્વ્રર પણ અવતર્યા તે તત્વ પામવા, રામકૃષ્ણ બની રઘુકઘળ યાદવમાં.‘
    અને……શ્રઘ્ઘાને નીચોવી, મરડી…વાંકી ચૂકી કરીને શ્રાઘ્ઘમાં ફેરવીને વેપાર શરુ થયો જે આજનાં ભણેલાં ગણેલાંની અકકલ મારી બેઠો છે…..
    મુસ્લીમોને, ખ્રિસ્તિઓને…શું શ્રાઘ્ઘ નહિ કરવા માટે સજા થતી હશે?
    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. વહાલા ખાનસાહેબ,
      ‘સાચું શ્રાદ્ધ આ રહ્યું…!’ લેખને ‘अपना adda’ પર જનજાગૃતી અને ચર્ચા અર્થે શેર કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  6. સુંદર લેખ છે દિનેશભાઇ !. દરેક સંતાને પોતાના માં-બાપ ને સારી રીતે રાખવા જોઈએ દરેક સંતાને એ સમજવું જોઈએ કે કાલે હું પણ કોઈનો બાપ કે માં બનવાનો જ છું. બાળક દિવસ ના ચોવીસ કલાક માંથી મેક્સિમમ સમય પોતાના ઘર માં જ વિતાવે છે આથી બહાર કરતા ઘર માંથી વધુ શીખે છે. જો તમો તમારા માં-બાપ ને સારી રીતે રાખતા હશો તો તમારું સંતાન પણ તમને સારી રીતે રાખશે.
    ” પેલી વાત છે ને કે વહુ પિતાની સાસુ ને માટી ની તૂટેલી ઠીબ માં જમવાનું આપે છે જે જોઈ ને તેનો છોકરો તેને પૂછે છે કે માં, દાદી ને કેમ આમાં જમવાનું આપે છે ત્યારે માં પોતાના દીકરા ને સમજાવે છે કે માણસ ઘરડું થાય ને એટલે આમાં જ જમવું પડે એટલે બાળક ના માનસ પર આ વાત અંકાઈ ગઈ. એક દિવસ બાળક ને રમતા રમતા શેરી માંથી આવી જ માટી ના માટલા ની ઠીબ મળી તો ઘેર લઇ આવ્યો અને માં ને કહેવા લાગ્યો જો માં, હું તારા માટે શું લાવ્યો? તું સાંભળીને મૂકી દે તો ઘરડી થઈશ ત્યારે મારે નવી લાવવી નહિ પડે!”

    સંતાનો એજ શીખે જે આચરણ તેના માં-બાપ તેની હાજરી માં એકબીજા સાથે કે અન્ય લોકો સાથે કરવા માં આવતું હોય છે. એટલે માણસે બીજા ના વર્તન કે આચરણ માં સુધારા માટેના પ્રયત્નો કરવા કે અન્ય પાસે થી આવી અપેક્ષા રાખવા કરતા જે પોતે પોતાના સંતાનો કે અન્ય પાસેથી અપેક્ષા રાખતો હોય તેનું આચરણ એણે પોતે અન્ય સાથે કરવું જોઈએ. કારણકે ” આ જગત એ પડઘા સ્વરૂપ છે. જેમ ખુલ્લી વાવ માં કે પહાડી માં તમે જેવું ઉચ્ચારણ જેટલી તીવ્રતા થી કરો એવો જ પડઘો તમને સાંભળવા મળશે અને જેટલી તીવ્રતા થી બોલ્યા હશો એટલો વધુ વખાર પડઘો સંભળાશે.. જો તમે સારું સારું બોલ્યા હશો તો સારું સારું વધુ વખત સંભળાશે અને જો અપશબ્દો બોલ્યા હશો તો એવું વધુ વખત સંભળાશે. તમારે જેવું સાંભળવું હોય તેવું બોલો,”

    એવી જ રીતે તમને તમારા સંતાનો થી જેવા વર્તન અને આચરણ ની અપેક્ષા હોય તે પ્રમાણે નું વર્તન કે આચરણ તમે તમારા સંતાનો ની હાજરી માં તમારા માં-બાપ તેમજ વડીલો સાથે રાખશો તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આપણી સાથે પણ તેવું જ વર્તન તેઓ રાખશે.
    “This world has its own echo-system. Whatever you give to other the same will come back to you. If you gives the best you have, the best will come back to you & If you gives the worst you have, the worst will come back to you. Choice is your what you want?

    Liked by 1 person

  7. મારા મત મુજબ આ લેખનું સ્થાન ગોવિંદભાઇ મારૂના રેશનલ બ્લોગને બદલે કોઇ કથાકારના બ્લોગમાં જરૂરી છે. સારાય લેખનો સાર ઇરેશનલ હીદુ રૂઢીરિવાજોને થીંગડા મારીને બચાવી લેવાનો છે. જેનું કોઇકાળે રેશનલ બ્લોગમાં સ્થાન ન હોવું જોઇએ. હિંદુ સંયુક્ત કુટુંબ પ્રથા એ કૃષીસંસ્કૃતી આધારીત સમાજ વ્યવસ્થાને ટકાવી રાખવામા માટે પેદા કરવામાં આવેલી છે..જે કાળગ્રસ્ત થઇ ગઇ છે. તે ઓકસીજન પર જિવે છે. જેેને દીનેશભાઇ અને ગૌવીંદભાઇ પોતાના વીચારોને અને બ્લોગ મારફતે જીવતદાન આપવાની કોશીશ કરે છે . જે બંધ થવું જોઇએ. અથવા બ્લોગનું નામ હીદુંપુનર્ઉધ્ધારવારી બ્લોગ રાખવું જોઇએ. રેશનલીઝમ ક્યારે સામુહીક પ્રથાની તરેફણમાં હોઇ શકે જ નહી. ૨૧મીસદીના વૃધ્ધો કે વડીલોએ પોતાનો ગૌરવભેર જીવવાનો સ્વતંત્ર માર્ગ શોધી કાઢયો છે. અને તેઓએ પોતાના બાળકોને ગૌરવભેર સ્વતંત્રરીતે નવો માળો કેવીરીતે બાંધવો તે પણ શીખવાડી દીધું છે. મહેરબાની કરીને આ સડિગયેલીસમાજ વ્યવસ્થાનાે થીંગડા મારીને બચાવશો તો પણ બચવાની નથી. એટલો તો રેશનલી તમે બે તોસમજી જાવ. અને આવા લખાણો બંધ કરી દો. અથવા ચાલુ જ રાખવા હોય તો તેનું નામ બદલી નાંખો. તમને તેની જમાત તો મળી રહેશે.

    Like

  8. One of the best message of the year Govindbhai! Specially fir new generation. That’s why we say: MA BAPNI PATLYMA BHAGWANNO VAS.
    kIndly please keep sending excellent messages like these, if only few start apply then it will be best Puniya fir you. JSK.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s