નાગાબાપુનો ચમત્કાર

નાગાબાપુનો ચમત્કાર

– રમેશ સવાણી

“રુડી! તું રોજે નાગાબાપુની ઝુંપડીએ કેમ જાય છે?”

“તમને વાંધો છે? મને ત્યાં શાંતી મળે છે!”

“ઘરમાં શાંતી નથી મળતી?”

“ના!”

“હું કહું છું કે તારે બાપુની ઝુંપડીએ જવાનું નથી, સમજી?”

“ઘરમાં મને સુનું સુનું લાગે છે. લગ્ન થયાને પાંચ વર્ષ થયાં. પગલીનો પાડનાર નથી. છોકરા હોય તો ઘરમાં ગમે! નાગાબાપુએ સણોસરાના એક બહેનને આશીર્વાદ આપ્યા હતા, એને જોડીયા બે છોકરા થયા! હું તો બાપુની ઝુંપડીએ રોજ જવાની!”

રુડીની ઉમ્મર પાંત્રીસ વર્ષની હતી. પતી સાથે તે પાંચ વરસથી રહેતી હતી. ગામમાં કાનજીભાઈની વાડી હાઈવે ટચ હતી. આ વાડીના એક ખુણે નાગાબાપુ ઝુંપડી બાંધીને બે વર્ષથી રહેતા હતા. એની ઉમ્મર પચાસ વર્ષની હતી. તાલુકાના ગામડાઓમાં નાગાબાપુની સુવાસ ફેલાયેલી હતી! 1971માં પાકીસ્તાન અને બાંગ્લાદેશની લડાઈ વખતે નાગાબાપુ નાગાલેન્ડમાં હતા. ત્યાં યોગસાધના કરી, તેથી તારીખ 16 ડીસેમ્બર, 1971, નેવું હજાર પાકીસ્તાની સૈનીકોને, બાંગ્લાદેશમાં ભારતીય સૈન્ય સમક્ષ સરેન્ડર થવું પડયું હતું! નાગાબાપુ આ વાત સૌને વારંવાર કહેતા હતા. લોકો નાગાબાપુને અહોભાવથી તાકી રહેતા!

રુડી બાપુ માટે દુધ લઈને કાયમ ઝુંપડીએ જતી. કાનજીભાઈની 14 વર્ષની દીકરી સમજુ પણ બપોરે અને સાંજે ટીફીન લઈને ઝુંપડીએ જતી. બાપુની ઝુંપડીએ સેવા–ચાકરી માટે ભોળા ભક્તજનોની લાઈન લાગતી! નાગાબાપુ હવામાં હાથ વીંઝતા અને ખાલી હથેળીમાંથી કંકુ ખરતું! ક્યારેક ભભુતી ખરતી! દીવસે–દીવસે નાગાબાપુના ભક્તજનોની સંખ્યા, કુદકે ને ભુસકે વધતી જતી હતી! નાગાબાપુ માત્ર લંગોટી પહેરતા. આ ત્યાગભાવનાને કારણે નાગાબાપુ લોકોમાં પ્રીય થઈ ગયા હતા!

દરમીયાન એક દીવસ નાગાબાપુ ઝુંપડીએથી નીકળી રોડ ઉપર જતા હતા, ત્યાં રાજકોટ તરફથી એક જીપ સડસડાટ આવી, તેમને ટક્કર મારી પછાડી દીધા. બાપુના જમણા પગે ફેકચર થયું. બાપુએ ડૉકટર પાસે સારવાર લીધી, પગે પાટો બંધાવ્યો. પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો.

જીપ કો–ઓપરેટીવ બેંકની હતી અને તેમાં બ્રાન્ચ મેનેજર સુધીરભાઈ હતા.

બાપુના પગે પાટો આવ્યો એટલે રુડી સાથે રણછોડ ભરવાડ પણ બાપુની ખબર કાઢવા ઝુંપડીએ ગયો. રણછોડે પુછયું : “બાપુ! પગ ભાંગવાનું કારણ?”

“બન્દર! અકસ્માત!” બાપુ પુરુષને બન્દર અને મહીલાને બન્દરીયા કહીને જ બોલાવતા હતા! બાપુ હીંદીમાં બોલતા અને ગુજરાતી સમજતા હતા.

“તમે ચમત્કારીક છો. જીપ ટક્કર મારશે, એની ખબર તમને કેમ ન પડી? તમારો પગ કેમ ભાંગ્યો? તમે રુડીને ડૉક્ટર પાસે જવાનીના પાડો છો, અને તમે ડૉક્ટર પાસે સારવાર કેમ કરાવી?”

કરશભાઈએ કહ્યું : “બાપુ! તમારી યોગસાધનાને કારણે નેવું હજાર પાકીસ્તાની સૈનીકો ભારતને શરણે આવ્યા! તમારો પગ ભાંગનાર જીપચાલક અને બ્રાન્ચ મેનેજર સુધીરભાઈને તમે જવા કેમ દીધા? અકસ્માતવાળી જગ્યાએ એને પછાડી કેમ ન દીધા?”

“બાપુ! તમે ચમત્કાર કરો!” રણછોડ અને બીજા ભક્તોએ હઠ પકડી.

બાપુએ એક કુકડો મંગાવ્યો, પછી કહ્યું : “દેખો. યહ ચમત્કાર! મૈંને કુકડે પે મારણવીદ્યા કીયા હૈ, કુકડે કા પંખ કાટુંગા તો મેનેજર કા હાથ કટ જાયેગા! કુકડે કા પૈર કાટુંગા તો ઉસકા પૈર કટ જાયેગા! કુકડા મરેગા તો મેનેજર નરક મેં જાયેગા!”

ભક્તજનો હચમચી ગયા! રણછોડે કહ્યું : “બાપુ! કુકડાને છોડી મુકો. મેનેજર બ્રાહ્મણ છે. બ્રાહ્મણની હત્યા થાય એવું અમે ઈચ્છતા નથી!”

રુડીએ પણ કુકડાને છોડી મુકવા બાપુને વીનન્તી કરી; પણ બાપુ મક્કમ હતા. વાત મેનેજર સુધી પહોંચી. તેમની ઉંઘ હરામ થઈ ગઈ. વાત ફરતી ફરતી ગાંધીનગર મુખ્યમન્ત્રી સુધી પહોંચી. મેનેજરને બચાવી લેવા નેતાઓ નાગાબાપુની ઝુંપડીએ પહોંચ્યા. બાપુને સમજાવ્યા. બાપુએ કહ્યું : “નેતાજી! મેનેજર કો દંડ ભોગના હી હોગા! અગર વો હમે પચાસ હજાર રુપીયા દે, તો હમ કુકડે કો છોડકર મારણવીધી વાપસ લેતા હૈ!”

મેનેજર પાસે પચાસ હજાર રુપીયા ન હતા. બીજી કોઈ રીતે બાપુ માને તેમ ન હતા. મેનેજર ખુબ જ ગભરાઈ ગયા. માળા જપવા લાગ્યા! અન્ત નજીક હોવાથી ધાર્મીક વીધી શક્ય હોય તેટલી કરી લેવાની કામગીરીમાં તે ગુંથાઈ ગયા!

પાલીતાણામાં ચતુરભાઈ ચૌહાણ ચમત્કાર ચકાસણી કેન્દ્ર ચલાવતા હતા, તેના ધ્યાને આ ઘટના આવી. ચતુરભાઈએ તરત જ મેનેજરનું પગેરું મેળવ્યું. તેમને મળીને કહ્યું, “સાહેબ! તમે ચીંતા છોડો. તમારે કંઈ જ કરવાની જરુર નથી!”

“કેમ?”

“જુઓ. હું તમારા માટે મરવા તૈયાર છું! હું નાગાબાપુની મારણવીદ્યા મારી ઉપર લેવા તૈયાર છું!”

મેનેજરનો જીવ હેઠો બેઠો. એને પરમ શાંતી થઈ. એનામાં થોડી હીમ્મત પ્રગટી!

ચતુરભાઈ નાગાબાપુની ઝુંપડીએ પહોંચ્યા, કહ્યું : “બાપુ! મૈં પત્રકાર હું. અમદાવાદ સે આયા હું.”

“તુમારા નામ?”

“બાપુ! મેરા નામ ચતુર હૈ. બાપુ! મુઝે કોઈ ચમત્કાર દીખાઓ!”

“ચતુરજી! તુમ ચમત્કાર નહીં દેખ પાઓગે. તેરી ચમડી ફટેગી! ખુન બહેગા! જીસ કી મૈંને સાધના કીયા હૈ, વહ ભુત સાકાર હોગા! તેરી જીન્દગી ખતરે મેં પડ જાયેગી!”

“બાપુ! મુઝે ચમત્કાર દેખના હૈ. ભલે મેરી જાન ચલી જાય!”

“અચ્છા. રાત કો ઢાઈ બજે મેરી ઝુંપડી મેં આના!”

“બાપુ! મૈં  ચમત્કાર દેખે બીના મૈં યહા સે જાના નહીં ચાહતા હું.”

નાગાબાપુનો પીત્તો ગયો! રુડીબેન અને સમજુ બેઠાં હતાં છતા બાપુ ભયંકર ગાળો બોલવા લાગ્યા. ભક્તજનોએ બાપુને આજીજી કરી : “બાપુ! શાંત થાવ! ચતુરભાઈને એકાદ ચમત્કાર બતાવી દો એટલે તે અહીંથી જતા રહેશે!’’

ચતુરભાઈએ કહ્યું : “બાપુ! મેરા ચમત્કાર દેખના હૈ?”

“દીખાઓ!”

ચતુરભાઈએ હવામાં હાથ ફેરવ્યા પછી જમણા હાથની મુઠ્ઠીમાં ફુંક મારી અને મુઠ્ઠી ખુલ્લી કરી ત્યાં હથેલીમાંથી કંકુ ખર્યું! ભક્તજનો ચતુરભાઈને તાકી રહ્યા! ચતુરભાઈએ કહ્યું : “ભક્તજનો મોટો ચમત્કાર એક અઠવાડીયામાં તમને જોવા મળશે!”

ચતુરભાઈસોનગઢ, આંબલા, સણોસરા, ઈશ્વરીયા વગેરે ગામોમાં ચમત્કારથી ચેતો કાર્યક્રમ હેઠળ ચમત્કારનો પર્દાફાશ કરી જબરજસ્ત જાગૃતી કેળવી! સાતમા દીવસે ચમત્કાર થયો! નાગાબાપુ ઝુંપડીમાંથી અદૃશ્ય થઈ ગયા! ચતુરભાઈના કહેવાથી રુડીબેને સારવાર કરાવી અને વર્ષ પછી તે એક પુત્રની માતા બની!

ચમત્કાર વીના નમસ્કાર નથી,

પરન્તુ ચમત્કાર એટલે શું?

આપણા સમાજમાં વર્ષો જુની કહેવત છે, ચમત્કાર વીના નમસ્કાર નહીં! એનો ભાવાર્થ એવો છે કે જ્યાં સુધી શક્તીનો પરચો ન બતાવીએ ત્યાં સુધી સામેવાળો આપણી શક્તીને માન આપતો નથી. આપણે એના શબ્દોને પકડી લીધા હોય એમ દરેક વાતે ચમત્કારની આશા અને આગ્રહ રાખીએ છીએ. આપણને ન સમજાય એ રીતે કશુંક થાય તો એને આપણે ચમત્કાર માની લઈએ છીએ. સ્ટેજ પર શો કરનારા જાદુગરો હાથચાલાકી કરવામાં નીષ્ણાત બની જાય છે. પછી આપણી નજર સામે આપણે માની કે સમજી ન શકીએ એવા ખેલ કરી બતાવે છે. એ લોકો પ્રમાણીક હોય છે એટલે કહેતા રહે છે કે આમાં કોઈ ચમત્કાર નથી, માત્ર હાથચાલાકી છે. તમારી નજર ન પકડી શકે એવી ઝડપથી અને કરામતથી અમે કામ કરી લઈએ છીએ.

આપણી આંખ માત્ર 15 ટકા દૃશ્ય જુએ છે. એટલે જ્યાં ધ્યાન હોય એટલું 15 ટકા દૃશ્ય બરાબર દેખાય છે. બાકીનું દૃશ્ય આપણું મગજ કલ્પનાથી ભરી આપે છે. એટલે આપણને ઝડપથી ચાલાકીપુર્વક કરેલું કામ દેખાતું નથી. માત્ર પરીણામ જોવા મળે છે. એને જાદુ કહીએ તો વીજ્ઞાન છે અને ચમત્કાર કહીએ તો તે અન્ધશ્રદ્ધા છે. હા, શ્રદ્ધામાં માત્ર એક જ વીવેકભાન રાખવું જોઈએ કે સમગ્ર માનવજાતીના કલ્યાણની વાત ન હોય ત્યાં સુધી કહેવાતા ભગવાનના કોઈ અવતારે પણ ચમત્કાર નથી કર્યા. તો કોઈ કાળા માથાનો માણસ નાની નાની વાતે ચમત્કાર શી રીતે કરી શકે?

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’(30, નવેમ્બર, 2016)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile : 99099 26267  e.Mail : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે બપોરે 2.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

 

5 Comments

  1. નાગાબાપુ કહેવાથી સમગ્ર નાગાબાવા પર આરોપ લગાવ્યો ગણાય દરેકને એક ન્યાયે ન તોળી શકાય.
    પાખંડીનબાબાને લઈને સાચા બદનામ થશે
    સમાજને જાગૃત કરવાના પ્રયાસને આવકાર

    Liked by 1 person

  2. સરસ. મને ચતુરભાઇ ગમી ગયા. નાગાલેન્ડથી આવેલા અેટલે પેલા બાપુ નાગાબાવા તરીકે ઓળખાતા. મને પહેલાં પહેલાં અેવો વિચાર આવેલો કે તેઓ કદાચ દિગમ્બર હોય ! હવે મૂળ વાત ઉપર આવીઅે. નાગાબાવા તો અેક ઢૂંઢો હજાર મીલે અને દૂર ઢૂંઢો તો પાસ મીલે…..નાગાબાવા તો લાખોની સંખ્યામાં ભારતમાં ચમત્કારો બતાવી રહ્યા છે. તેઓ જો લાખોની સંખ્યામાં હોઇ શકે તો ચતુરભાઇ જેવા કેમ નહિ ? સવાલ નાગાબાવાનો કે તેના ચમત્કારોનો (?) નથી…..સવાલ આપણી પાસે લાખો ચતુરભાઇઓ કેમ નથી. અેક ચતુરભાઇ બીજા સો કે પાંચસો ચતુરો કેમ બનાવી શકતા નથી ? શાળાઓમાં ચતુરભાઇ કરે તેવા જ્ઞાનનો અેક ક્લાસ કેમ નથી રાખતા ? આપણે ઉકેલ શોઘીે છીઅે. સવાલ તો બઘાને ખબર છે. ગુજરાત ગવર્નમેંટમા મુખ્યપ્રઘાન દરેક શાળામાં ચતુરભાઇ જેવાને માટે અેટલીસ્ટ અઠવાડીે અેક ક્લાસ કેમ નહિ ચાલુ કરે ? લોકોઅે આ વિષયે જલ્દી પગલાં ભરવાં જોઇઅે. અભિવ્યક્તિ પણ પહેલ કરી શકે કારણ કે અભિવ્યક્તિનો આ મર્મ છે….દેશમાંથી અંઘશ્રઘ્ઘાને દૂર કરવી.
    ાાઅાભાર.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  3. the human S ARE NEXT TO GOD!THE FAITH IS THE FOUNDATION OF THE EARTH! THE
    SATYAM SHIVAM SUNDARAM IS THE HOLY HIGHWAY! THE ILLITERACY IS THE CANCER OF
    THE EARTH!THE MASS MAKING MORE MISTAKES?THE FREE PRASAD IS OUR
    GREEDINESS?THE EVERY VILLAGE AND TOWN HAVING A TEMPLES AND GOORUJI?do as
    the gooruji said<do not react as the gooruji done!OUR BALKDAS BAPUJI IN
    CHOTILAS REGION GIVING A GREAT LESSON TO ALL!OUR NEWS PAPERS ARE THE
    ADVERTISER OF THIS TYPE OF BAPU,S MAGIC?THE TRUTH IS ALONE A GREAT MAGIC!

    29 સપ્ટેમ્બર, 2017 06:32 AM પર, અભીવ્યક્તી એ
    લખ્યું

    > ગોવીન્દ મારુ posted: “(તસવીર સૌજન્ય : સંદેશ દૈનીક) નાગાબાપુનો ચમત્કાર –
    > રમેશ સવાણી “રુડી! તું રોજે નાગાબાપુની ઝુંપડીએ કેમ જાય છે?” “તમને વાંધો છે?
    > મને ત્યાં શાંતી મળે છે!” “ઘરમાં શાંતી નથી મળતી?” “ના!” “હું કહું છું કે
    > તારે બાપુની ઝુંપડીએ જવાનું નથી, સમજી?” “ઘરમાં મન”
    >

    Like

  4. માનનીય ચતુરભાઇ તથા ગોવિંદભાઇ અને તમારી સત્યશોધક ટીમ, અમૃતભાઇની આ વિષય પરની કોમેન્ટ સાથે હું સંમત છું આગલી પેઢી હવે જેના મુળીયા પાકી ગયા છે એ જાણવા છતા ય પોતાની વિચારશ્રેણી નહિ બદલી શકે. પાકા ઘડે કાંઠા ન ચડે એમ જ. હવે આપણે આપણૂ ધ્યાન ઉગતી પેઢી પર જ રાખવાનુ રહેશે. એક માન્યતા કે રિવાજને બદલતા એક પેઢી જેટલો સમય લાગે છે. હવે તો સ્કુલોમાં બાળપણથી જ આવા વિચારો કે માન્યતા વિષે જાગૃતિ ફેલાવવામાં આવે તો એ જ પ્રજા આગળ જતા આવા રિવાજો સામે બંડ ઉઠાવશે. અભ્યાસક્રમમાં આવો વિષય દાખલ કરી શકાય. બીજુ આ ચમત્કાર માનનારા જ આવા બાવા કે બાબાને જન્મ આપે છે ને પોષે છે. કારણ એવા લોકોને વગર મહેનતે બધુ રાતોરાત જોઇએ છે. બાકી એટલુ તો કોઇ વિચારે કે આ બાવા કે મંહતો જેના આશિષથી લોકોના દુઃખ દર્દ ભાગી જાય એને એના પોતાના ઇલાજ માટે ડોક્ટરને શરણે શું કામ દોડવુ પડે? બીજી એક વાત. આપણા દેશમાં નેવુ ટકા માબાપને પોતાના સંતાનોને ડોકટર બનાવવાની ઇચ્છા હોય છે. હવે આવા સાધુબાવા જ બધા રોગોના ઇલાજ કરી શકતા હોય તો તમારા ડોકટર સંતાનોને ત્યા કોણ જશે? ને આટલા મેડીકલના ખર્ચા ને મહેનત પછી વળતર ના મળે તો બાવા થવુ વધારે સસ્તુ પડે! કમાવા જવાની કડાકુટ જ નહિ. સારો ને સસ્તો ધંધો. બિમાર સાજો થાય તો જશ ને નથાય તો નસીબ કે ભગવાનની ઇચ્છા. બરાબરને

    Liked by 1 person

Leave a comment