ઈલા હવે રડતી નથી..!

02

ઈલા હવે રડતી નથી..!

– દીનેશ પાંચાલ

આંખ રડે અને હૃદય રડે એ બે વચ્ચે ખાસ્સો  ફરક હોય છે. માણસ કાંદા કાપે ત્યારે આંખ રડે છે; પણ ઘરમાં કાંદા ખરીદવાના ય પૈસા ના હોય ત્યારે હૃદય રડે છે. હમણાં હૃદયના રુદનના સાક્ષી બનવાનું થયું. વાત ઈલા અને અરુણની છે. નામ કાલ્પનીક છે પણ ઘટના સાચી છે. એમની જીન્દગીની વાત એક લઘુકથા જેટલી ટુંકી છે. સંસાર છોડી સાધુ બની જતાં માણસોની આપણને નવાઈ નથી પણ આ કીસ્સો જરા જુદો છે. બન્નેને પ્રેમ થયો. વડીલોની સમ્મતીથી બન્ને પરણ્યા. દાંપત્યના મધુર દાયકા દરમીયાન બે મજાના બાળકો થયા. બીજાં સાતેક વર્ષ એવાંજ આનન્દમાં વીતી ગયા. સંસારમાં ક્યાંય કોઈ દુઃખ નહોતું. બધું ઠીકઠાક ચાલતું હતું; પણ સત્તરમે વર્ષે અરુણને કોણ જાણે શાથી સાધુ બનવાનું ઘેલુ લાગ્યું. એક દીવસ એણે પત્નીને કહ્યું, ‘આપણું સહજીવન પુરું થયું. હું સંસાર ત્યાગી સાધુ બનવા માગું છું. તું રજા આપ…!’ ને પત્નીએ રજા આપી.

આ– ‘તું રજા આપ’ અને ‘પત્નીએ રજા આપી’ એ બે વાક્ય વચ્ચે અહીં માત્ર એક સેન્ટીમીટરની જગ્યા છે; પણ એમના અસલી જીવનમાં પુરા છ મહીનાનું રડારોળભર્યું અન્તર હતું. છ મહીનાની એકધારી સમજાવટ, વીનન્તી, આજીજી, કાકલુદી, આક્રન્દ વગેરે પછી પણ અરુણ એકનો બે ના થયો ત્યારે ઈલાએ ના છુટકે રજા આપવી પડી. અરુણ ધામધુમીપુર્વક સાધુ બન્યો. કહે છે ઈલા ત્યારબાદ કદી રડી નથી. અરુણને પ્રણામ કરી એણે વીદાય આપી. છોકરાઓ પાસે હાથ જોડાવ્યા.

અરુણના ગયા પછી ઈલાને ઘણી તકલીફ પડી. અરુણ પાસે ખાસ મીલકત હતી નહીં. બલકે થોડું દેવું હતું. પરણીને આવી ત્યારે ઈલા પાસે પાંચ આંકડાના પગારવાળી સુંદર નોકરી હતી. લગ્ન બાદ અરુણે તે પણ છોડાવી દીધી હતી. લગ્ન પુર્વે ઈલા રંગભુમીની નમ્બર વન અભીનેત્રી રહી હતી. બેસ્ટ એક્ટીંગના કોથળો ભરીને શીલ્ડ જીતી હતી; પણ લગ્ન બાદ અરુણે કહ્યું : ‘આ નાટક ચેટક છોડી દે. એમાં આપણી શોભા નથી!’ ઈલાએ તે પણ છોડવું પડ્યું. પોપટ ઉડી જતાં પુર્વે મેનાની બન્ને પાંખો કાપી ગયો હતો. ઈલાને પોતાના કરતાં છોકરાંઓના ભવીષ્યની મોટી ચીંતા હતી; પરન્તુ દુઃખોના દરીયા વચ્ચે પણ ઈલા ભારે સંઘર્ષ કરીને કાંઠે પહોંચી શકી.

ઈલા હવે રડતી નથી. તેણે આછી પાતળી નોકરી શોધી કાઢી છે. ઘરમાં ફ્રીઝ છે. ટીવી છે. સમાજની નજરમાં ઈલા સાધનસમ્પન્ન છે; પણ અમને તે પરવલ્લીની કપાઈ ગયેલી પુંછડીની જેમ તરફડતી દેખાય છે. એક દીવસ અમે એને પુછ્યું, ‘અરુણની યાદ આવે છે ખરી? તે અત્યારે ક્યાં છે?’ ઈલાએ ડુંસકા જેવા ટુંકા વાક્યમાં કહ્યું : ‘એ ખુબ પ્રેમાળ હતો… યાદ તો આવે જ…! અત્યારે ક્યાં હશે કોણ જાણે…; પણ દીલમાં તો છે જ.’ અમે પુછ્યું : ‘પણ એકાએક એનું એવું હૃદયપરીવર્તન શી રીતે થયું?’ ઈલાએ કહ્યું : ‘એકાએક કશું થયું નહોતું. બેએક વર્ષથી એ ધર્મ તરફ ખુબ ઢળ્યો હતો. હમ્મેશાં ઋષીમુનીઓના સમ્પર્કમાં રહેતો હતો. ધન્ધો બન્ધ રાખીને કથાઓ સાંભળવા જતો. ધર્મપુસ્તકો અને સત્સંગ, એ બેના અતી સહવાસથી એનું ચીત્ત ભમી ગયું હતું. મારું માનવું છે કે ધર્મ દ્વારા ઉપદેશાતી સંસારત્યાગની વાતોથી માણસ બગડી જાય છે. પતીને તેના સ્વજનોથી અલગ કરી દે એવા ધર્મમાં હવે મારી શ્રદ્ધા રહી નથી!’

ઈલા હવે બાળકો ખાતર જીવે છે. તે જીવી જશે. ઘણીવાર લાશ પણ (જીન્દગીના કોલ્ડ સ્ટોરેજમાં) લાંબુ જીવે છે. ઈલાની આંખોમાં આંસુ નથી. આંસુઓ વચ્ચે ઈલા ગોઠવાઈ ગઈ છે. પ્રશ્ન થાય છે એના જીવનની એવી સ્થીતી માટે કોણ જવાબદાર­– એનો પતી કે ધર્મ? કંઈક એવું સમજાય છે કે ધર્મએ જ્યારે જ્યારે જીવનવીરોધી ઉપદેશો આપી માણસને જીવનવીમુખ કરવાની કોશીષ કરી છે ત્યારે ધર્મ દ્વારા સમાજની બહું મોટી કુસેવા થઈ છે. એક પરણીત વ્યક્તીનો સાચો ધર્મ તેના પરીવારનું રક્ષણ કરવાનો હોય છે. મોક્ષના મોહમાં તે ધર્મગુરુઓનો ચઢાવ્યો સંસાર છોડી દેતો હોય તો તેનાથી મોટો અધર્મ બીજો એકે નથી. માણસને ન પરણવાની છુટ હોઈ શકે પણ પછી સંસાર છોડીને ભાગી છુટવાની છુટ કદી કોઈ ધર્મે આપવી જોઈએ નહીં. ટીકીટ લીધા પછી માણસ ગાડીમાં ના બેસે તે ગુનો નથી પણ 100 કી.મી.ની ઝડપે દોડતી ટ્રેનમાંથી ભુસકો મારે એ પાગલપણું કહેવાય.

ધર્મ મોક્ષ કે ઈશ્વરપ્રાપ્તીને નામે માણસના પલાયનવાદને પંપાળે છે. પ્રભુભક્તી  સંસારમાં રહીને ય કરી શકાય છે. આપણા મોટા ભાગના પ્રાચીન ઋષીમુનીઓ પરણેલા હતાં; પણ અહીં ભુલ એ થાય છે કે માણસ પ્રેમ કરે… પરણે… બાળકો પણ પેદા કરે  અને પછી સૌને છોડીને સાધુ બની જાય એ ઠંડે કલેજે કરાયેલા ખુન જેવો કાતીલ ગુનો છે. કોઈ ભગવાને કદી એવું કહ્યું નથી કે સંસાર છોડીને સાધુ થઈ જાઓ. સાધુ થનારાઓને મોક્ષ મળતો હશે કે નહીં તે ભગવાન જાણે પણ જીવનમાં અધવચ્ચે જેમને નીરાધાર છોડી દેવામાં આવે છે એમને તો પછી જીવતાં જીવત નર્કથી ય બદતર યાતના વેઠવી પડે છે.

દારુમાં ખુવાર થઈ જનારને આખો સમાજ ધીક્કારે છે; પરન્તુ ધર્મમાં ખુવાર થઈ જનારનો જયજયકાર થાય છે. દારુડીયાને સજા થાય છે; પણ સ્વજનોનો  ઠુકરાવી જેઓ સંસાર છોડી જાય છે તેમનો ધર્મ તરફથી જયજયકાર થાય છે. હયાત પતીએ વીધવા સમુ જીવન ગુજારતી પત્ની કરતાં દારુડીયાની પત્ની વધુ સુખી ગણાય. કેમકે દારુડીયો રાત્રે ઘરે તો આવે છે. સાધુ પોતે બેઘર થઈને તેના સ્વજનોને પણ બેઘર કરતો જાય છે. દારુના નશાનો એક મોટો ફાયદો એ છે કે તે ઉતરી જાય છે. ધર્મનો નશો ઉતરતો નથી.

ઈલા– અરુણની ઘટના સમાજ સામે કેટલાંક પ્રશ્નો ઉભાં કરે છે. પરણ્યા પછી સન્યાસ લેવાની વાતને જેઓ ધર્મના નામે બીરદાવે છે તેમને ઈલા વતી અમે થોડાં પ્રશ્નો પુછીએ છીએ :

પ્રશ્ન (1) : માણસ પોતાની સાંસારીક જવાબદારીઓ છોડીને દુનીયામાં અહીંતહીં ભટકતો રહે એવા ધર્મનો સરવાળે માનવજાતને શો ફાયદો થાય છે?  (દુનીયાના સૌ સંસારીઓએ એ માર્ગે ચાલ્યા હોત તો દુનીયાનો જે વીકાસ થયો છે તે થઈ શક્યો હોત ખરો? દુનીયાના બધાં વીજ્ઞાનીઓ સાધુ થઈ ગયા હોત તો આટલી શોધો થઈ છે તે થઈ હોત ખરી?)

પ્રશ્ન (2) : પત્નીને છોડી જતો માણસ સંભવતઃ ધર્મના વૈચારીક ઝનુનથી પોતાની જાતીય જરુરીયાત પર કાબુ રાખી શકે પણ તેની જુવાન પત્નીનું શું? તેની માનસીક જરુરીયાતનું શું? પતીને વૈરાગ્ય જન્મે તે ભેગી જ પત્નીની જાતીય જરુરીયાત આપોઆપ બન્ધ થઈ જાય એવું બની શકે ખરું?  એવી પત્નીએ કયા અપરાધની સજારુપે સંયમની સજા વેઠવી પડે છે? આવી સ્ત્રીઓનો પગ ક્યાંક લપસ્યો તો સમાજ તેને ક્ષમા કરશે ખરો?

પ્રશ્ન (3) : પીતાનો આધાર ગુમાવી ચુકેલા બાળકોનો જરુરી વીકાસ ના થઈ શકે અથવા તેઓ ગુનાની અન્ધારી દુનીયામાં ધકેલાઈ જાય તો એની જવાબદારી કોની?

પ્રશ્ન (4) : લગ્નવેળા બ્રાહ્મણો સપ્તપદીના શ્લોક બોલે છે. તેનો અર્થ એ થાય છે કે પતી માત્ર પત્નીના ભરણપોષણ માટે જ નથી હોતો. એના સમગ્ર જીવનના સુખદુઃખનો સાથી હોય છે. પત્ની તેનું સમગ્ર જીવન પતીને સમર્પીત કરી દે છે. એવી પત્ની પાસેથી તેનો પતી છીનવાઈ જાય છે તે માટે જવાબદાર કોણ? કોઈ પતી પોતાની પત્નીનું ભરણપોષણ ન કરતો હોય તેવા સંજોગોમાં કોર્ટ તેને ભરણપોષણનો ખર્ચ ચુકવવાનો હુકમ કરે છે. સાધુ બની જતા માણસ પર પત્ની એવો કેસ કરે તો કાયદો સાધુને સજા કરશે ખરો?

ઈલાની વ્યથાનો સાચો અન્દાજ પામવા માટે પરકાયા પ્રવેશની વીદ્યા વડે તેના જલતા જીગરમાં પ્રવેશ કરીએ તો જ તેની ભીતરી તારાજીના સાચા આંકડા પ્રાપ્ત થઈ શકે. કહે છે પતીઓથી દુર ફેંકાયેલી વીરહી નારીઓના આંસુઓનો હીસાબ તેના ઓશીકા પાસે હોય છે. છતે ધણીએ વૈધવ્ય ભોગવતી ઈલાની વ્યથા જાણવાના ઉપાયરુપે ઈલાના ઓશીકાનો ઈન્ટરવ્યુ લઈ શકાય; પરન્તુ કદાચ ઓશીકું ય કહી દેશે : ‘ઈલા હવે રડતી નથી! રુદન ઈલાના અસ્તીત્વમાં ઓગળી ગયું છે!’ 

– દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ‘ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત 395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/–)માંનો આ દ્વીતીય લેખ, પુસ્તકનાં પાન 11થી 15 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત(ભારત) સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે બપોરે 2.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

19 Comments

  1. જે સીધ્ધાન્તો માણસને નીશ્ઠુર બનાવતા હોય તે સીધ્ધાન્તો માનવજાત માટે ખતરનાક છે. લાગણી ઉપર કાબુ રાખવો અને લાગણી મુરઝાવી દેવી એ બે જુદી બાબતો છે. લાગણી ઉપર કાબુ રાખનાર ‘સ્થીતપ્રગ્ન’ છે જ્યારે લાગણીને મુરઝાવી દેનાર ‘જડ’ છે. એકમાં સમઝણ અને બીજામાં અણસમઝ હોય છે.

    Liked by 1 person

  2. ઈલા કોઈ સજ્જન સાથે ફરી પરણે તો ? અરૂણને પણ એનું સ્વાતંત્ર્ય છે.
    ન.મો. પણ અરૂણ જેવા જ ને? !

    Like

    1. હા એ રસ્તો જરૂર ઇલ્લા અપનાવી શકે પરંતુ એની પાસે બે છોકરા નો બોજ નાખી ને અરુણ એ એનું બાયલાપણું બતાવી દીધું એનું શું?
      હું હમેશા માનું છું અને કહું પણ છું કે દરેક માનવજાતને જિંદગી ભર એક સાથી હોવો જરૂરી છે. પરંતુ આનો ખોખલો સમાજ આ વાત ફક્ત પુરુષ ને જ પ્રદાન કરે છે સ્ત્રી ને નહિ…. અને એ એક દુઃખદ વાત છે

      Liked by 1 person

  3. માનનીય દિનેશભાઇ અને ગોવિંદભાઇ, તમારી આ રજુઆત ખરેખર મનનીય છે. વિગતથી વાત કરીએ તો દરેક સંસારી જીવ ચાર ઋણ લઇને જન્મે છે. માબાપ કે જે એને આ દુનિયામાં લાવે છે. ભરણપોષણ કરે છે. પ્રાથમિક જરુરિયાત ને સામાજિક નિયમો શીખવીને સમાજમાન્ય સભ્ય બનાવે છે. એટલે પોતાના અસ્તિત્વ માટે એ માબાપનો ઋણી. કાળક્રમે ગુરુકુળ, વિદ્યાપીઠ કે સ્કુલમાં જાય. ગુરુ એને જીવનલક્ષી જ્ઞાન સાથે આજીવિકા રળવાના રાહ બતાવે, નીતિનિયમો શીખવે. એક સારો નાગરીક બનાવે એટલે એ ગુરુનો ઋણી. યોગ્ય ઉંમરે ઘરસંસાર વસાવે, સમાજનો ઉત્પાદક સભ્ય બને, નવી પેઢી તૈયાર કરે, માબાપને પરિવારનુ રક્ષણપોષણ કરે, એ પછી સમાજનુ ઋણ. એક કહેવત છે એક બાળકને સમાજ માન્ય સભ્ય બનાવવામાં આખા સમાજનો ફાળો હોય છે. એટલે એ સમાજનો પણ ઋણી. એ નિવૃતિના સમયમાં સમાજઉપયોગી પ્રવૃતિઓ, જયા જરુર પડે ને માગવામાં આવે ત્યારે પોતાના અનુભવનો લાભ આપવાનો. એ પછી પોતાની જાત તરફ. સન્યાસ લેવો કે તીર્થયાત્રા કરવી, પ્રભુભજન કરવુ, એંકાતમાં જતુ રહેવુ એ એમની ઇચ્છા ને અધિકાર. પણ જે લોકો કોઇની શેહમાં આવી, સંસાર વસાવી, સંસાર માણી લીધા પછી ‘આ ખીર ખાટી છે’ કહીને ભાગી જનારા પલાયનવાદિ છે. એમનો કોઇ દિવસ મોક્ષ થતો નથી. કેમ કે માણસ બધાને છેતરે પણ પોતાના આત્માનહિ. વૈરાગ્ય વસ્ત્રોમાં નહિ મનમાં હોય છે. એટલે તો સંસારીને ય ચડે એવા ભોગવિલાસ ને કામલીલા આવા કહેવાતા વૈરાગી આચરતા હોય છે. બીજુ સમાજના ઉત્પાદક સભ્ય થવાને સમયે એમાથી છટકી જનારા સમાજવ્યવસ્થા ખોરવી નાખે છે. આપણુ જીવન બરાબર ટકાવી રાખવા દરેક સભ્યની પ્રમાણિક મહેનત જરુરી છે. આપણા ભાણામાં આવતા દુધ, દહી, શાકભાજી, ફળ, આપણા કપડા, બધામાં અનેક અદ્રશ્ય વ્યકિતઓનો ફાળો હોય છે. ધારો કે રાતોરાત બધા પશુપાલકો કે ખેડુતો બાવા થાય તો? એનાથીય વધારે તો આવા મોક્ષવાછું પાછા એના ભરણપોષણ માટે આવવાના તો સંસારીને આંગણે! સંસારી માથે એના મોક્ષનો કરિયાવર!. અરે ભાઇ, તમને જો સંસાર અસાર લાગતો હોય તો જરુર પડે પાછા સંસારમાં શું કામ દોડ્યા આવો છો?જાવ, જંગલ કે કોઇ એકાંત જગ્યાએ તમારુ અભ્યારણ બનાવી લો. ધાસ ને ઝાડના મુળીયા ખાવ ને માંદા પડો તો અહી આસીયુમાં આવવાને બદલે જેવી ભગવાનની કે તમારા ગુરુની ઇચ્છા માની ભોગવી લો. તમારો વૈરાગ્ય તમારો મોક્ષ તમને મુબારક. પણ એનો બોજો સમાજના ઉત્પાદક સભ્યો પર ન નાખો, એ પણ એક સમાજસેવા જ ગણાશે.

    Liked by 1 person

  4. દરેક ધર્મ – હિન્દુ, ખ્રિસ્તી, ઈસ્લામ વગેરે અનુસાર, પત્નીના ભરણ પોષણની પુરી જવાબદારી પતિ પર છે. મુસ્લિમ ધર્મશાસ્ત્ર નો શ્લોક ૪:૩૪ પણ ઍમ જ કહે છે. તે માટે ઈસ્લામ ધર્મમાં પત્ની તથા બાળકોના ભરણ પોષણનો બંદોબસ્ત કર્યા વિના હજ યાત્રા માટે જવાની પણ મનાઈ છે.
    જ્યારે પુરુષ તેની અર્ધાંગીનીને પત્ની તરીકે સ્વીકારે છે, ત્યારથી પત્નીના છેલ્લા શ્વાસ સુધી પત્ની તથા બાળકોના ભરણ પોષણની પુરી જવાબદારી પતિ પર જ હોય છે.
    મુસ્લિમોમાં પણ ઘણીવાર ઍ જોવામાં આવ્યું છે કે અરુણ જેવા અમુક અર્ધ-ધર્મ ઝનુનીઑ, “તબલીગ” ઍટલે કે ધર્મના પ્રચાર કાજે પત્ની તથા બાળકોના ભરણ પોષણનો બંદોબસ્ત કર્યા વિના ઘરને છોડીને ૪૦ દિવસ માટે મુસાફરી ઍ નીકળી જાય છે.
    આવા બનાવોની જવાબદારી ધર્મ ઝનુની ધર્મગુરૂઓની છે, જેઓ ભોળા અંધશ્રદ્ધાળુઑનું “બ્રેન વૉશ” કરીને તેમને સંસાર ત્યાગની પ્રેરણા આપે છે.
    દરેક ધર્મ “દીન અને દુનિયા”, ઍટલે કે “ધર્મ અને જગત જીવન”, ઍ બંનેને સમતોલ રાખવાની શિખમણ આપે છે.
    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  5. સાધુ બન્યા વગર પણ તે સત્યનું સંશોધન કરી શક્યો હોત..

    Liked by 1 person

  6. “દારુના નશાનો એક મોટો ફાયદો એ છે કે તે ઉતરી જાય છે. ધર્મનો નશો ઉતરતો નથી.”
    ખુબ કહી.

    Liked by 2 people

  7. જ્યારથી કરન્સી ચલણમાં ઓવી ત્યારથી માણસ વેપારી બની ગયો. અને ઘર્મને વેપારનું રુપ આપ્યું. આપણે હિંદુઓની જ વાત કરીઅે છીઅે. આ સાચી વાત હિંદુ અથવા જૈન ઘર્મની છે અેમ કહી શકાય. વેપારીઓ આજે પણ…મોહ…માયા…સંસાર…અસાર…..ક્રોઘ…માયા….મોહત્યાગ…સંસારત્યાગ…મોક્ષ….સ્વર્ગ…નર્ક….અને બીજા ઘણા શબ્દોનો ઉપયોગ કરીને…..મુરખોને ઉલ્લુ બનાવે છે. હજારોની સંખ્યામાં લોકોને અેક જગ્યાઅે અેકથા કરે છે. ઉલ્લુ બનાવવાવાળો મોક્ષ પામી ગયો ખરો ? આજે દુનિયામાં હકીકતમાં શું ચાલી રહ્યુ છે તેની ઉપર વિચારીઅે છીઅે. ઘર્મગ્રંથોની વાત ભૂલી જઇઅે. અહિં તો ઉલ્લુ બનાવવાવાળા પણ છે અને ઉલ્લુ બનવાવાળા પણ રેડી છે. બાર્ટર સીસ્ટમમાં લોકો પોતાની જવાબદારી વઘુ સમજતાં હતાં અેવું મારું માનવું છે….બાર્ટર અેટલે…વસ્તુ વિનિમય અથવાઅદલા બદલી કરવી. દુનિયામાં ઘરમોઅે જે રીતે નામ ‘ઘર્મ‘નો જેટલો દુરુપયોગ કર્યો છે તેનો કોઇ અંદાજ નથી…હજી પણ તે ક્રિયા વઘુ વેગે ચાલુ જ છે. આ અેક મનોવિજ્ઞાનનો પ્રશ્ન છે. પોચા કે કાચા મનનો માણસ ઉલ્લુ જલ્દી બને છે. ઘરમનો પ્રશ્ન નથી. સાચો તો અેક જ ઘર્મ હોય…અને તે છે માનવ ઘર્મ. વેપારીઓને આ મંજુર નથી. દુનિયાના દાખલાઓ જણાવે છે કે દરેક જાણીતા ઘર્મોમાં, ગૃહસ્થી અને સન્યાસમાં અેક વસ્તુ કોમન છે….અને તે છે સંસારીનું જીવન જીવવું. અરુણ અને ઇલા બન્ને હ્યુમન સાયકોલોજીના પ્રશ્નો છે. અરુણ મોટો પેશંટ છે. ઇલા જો આજના જમાનાની સ્ત્રી હોય તો તે પોતાનું જીવન અને બાળકોનું જીવન નવપલ્લવિત કરી શકી હોત. મન ચાહે તો રસ્તા ઘણા છે. ઘરમ તો અેક વેપાર છે…તે શીવાય બીજું કાંઇ નહિ.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  8. ખૂબ જ ઉચિત પ્રશ્ન ઊઠાવ્યો છે. સુરેશભાઈએ લખ્યું છે, ન.મો. પણ અરૂણ જેવા જ. હું આની સાથે સહમત નથી. ન.મો. એ રીતસરના કાયદા પ્રમાણે છૂટાછેડાની પ્રક્રીયા અપનાવવી જોઈતી હતી. જે માણસ આટલો મોટો કાયદાનો ભંગ કરે છે, એ માણસ આજે દેશનો કાયદા ઘડનાર અને કાયદાનો રક્ષક કેવી રીતે હોઈ શકે?

    Liked by 1 person

  9. યાદ આવ્યુ. ગયે મહિને સુરત તરફ અેક જૈન કપલ ત્રણ વરસની છોકરીને મુકીને સન્યાસ લીઘો અને તેઓ લક્ષાઘિપતિ હતાં. સન્યાસ પણ વાજતે ગાજતે….ફરી કહું છું…કપલે સાથે રન્યાસ લીઘો અેક ત્રણ વરસની છોકરીને મુકીને.ઇલા તો ભૂતકાળમાં પાંચ અાંકડાનો પગાર કમાતી હતી. જો તેનામાં કોન્ફીડન્સ હોત તો તે અરુણને પહેલાં ડીવોર્સ આપતે અને નોકરી શોઘતે…તેનામાં શક્તિ તો હતી જ. અરુણ તેને ડીવોર્સ અાપવા વુના સન્યાસ લઇ લે તો પછી ? બઘા જ સરખાં. રડવાને અને અરુણની નામર્દાનગીને કોઇ સંબંઘ ના હોવો જોઇઅે. ૨૧મી સદીમાં જીવતી ભણેલી ગણેલી વ્યક્તિ અને રડે ? પોતાની ફરજો ઉંચા મસ્તકે નિભાવે. ન.મો શિવાય દુનિયામાં ઘણા અેવાં છે જે હંમેશા કાયદાનો ભંગ કરીને જ જીવતા હોય છે……..અાપણે અાપણા બે પાત્રોની જ વાત કરીઅે. બન્ને માનસિક…સાયકીક પેશંતો છે….અરુણની નામર્દાનગીને અને ઇલાના રડવાને કોઇ સંબંઘ હોવો ના જોઇઅે..જો ઇલા મનની મજબુત હોય તો……આપણે જો ૨૧મી સદીમાં પણ જો ૧૯મી સદીમાં જીવતાં હોઇઅે તેવી વર્તણુક કરીઅે તો પછી પરિણામ રડવાનું જ આવે. રીઅાલીટીમાં જીવીઅે……..દરેક વ્યક્તિની પોતાની જવાબદારી પોતાની સેફટી સાચવવાની હોય છે. દરેક વ્યક્તિ પોતાની જીંદગીમાં ઝાંકીને જૂઅે….રોજીંદા જીવનમાં ……અરુણ તો નામર્દ હતો જ પરંતું ઇલા પણ પોતાનામાં પોતાનો વિશ્વાસ ગુમાવીને બેઠેલી હોશીયાર અને અેક વખત પાંચ આંકડામાં કમાતી, નાટકોમાં અગ્ર રહેનારી સ્ત્રી…..તું જ તારા ભાવિનો ઘડનાર છે……છોકરાં પણ નાના જ છે. પછી તો વાચકોને અજાણેલાં કારણો હોય તો પછી વઘુ ચર્ચા નકામી……

    અમૃત હઝારી.

    Liked by 1 person

  10. The to come tears in the eyes is the natural reaction of the body!when to
    cutting the onion,to put in the eyes drop in the eyes also tears tears
    will come out,the heart are teared is not seen?to store excess in any
    direction,to see the mass poor,to sea the cows drinking the dirty water and
    earring the dirty food thorn by by our holy mahtams on the sand,the real
    tears will come in holy souls!
    2 ઑક્ટોબર, 2017 02:09 PM પર, અભીવ્યક્તી એ
    લખ્યું
    > ગોવીન્દ મારુ posted: “02 ઈલા હવે રડતી નથી..! – દીનેશ પાંચાલ આંખ રડે અને
    > હૃદય રડે એ બે વચ્ચે ખાસ્સો ફરક હોય છે. માણસ કાંદા કાપે ત્યારે આંખ રડે છે;
    > પણ ઘરમાં કાંદા ખરીદવાના ય પૈસા ના હોય ત્યારે હૃદય રડે છે. હમણાં હૃદયના
    > રુદનના સાક્ષી બનવાનું થયું. વાત ઈલા અને અરુણની છે. નામ”
    >

    Liked by 1 person

  11. બીલકુલ તટસ્થતાથી વીચારજો તમે બુદ્ધ વીશે શું માનો છે?

    Liked by 1 person

    1. બુદ્ધનું જીવન જાણી લેજો બુદ્ધને રાજકીય કારણથી પરિવ્રાજક બનવું પડેલું પેલા બીમાર, વૃદ્ધ અને મૃત્યુ પામેલને જોવાથી સાધુ બનવું એ ખોટી વાત છે બુદ્ધ પલાયનવાદી નહોતા અતિ કઠીન સંઘર્ષ કરેલો છે

      Liked by 1 person

    1. વહાલા અરવીન્દભાઈ,
      ‘ઈલા હવે રડતી નથી..!’ લેખ આપશ્રીના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..

      Like

  12. ઈલા જેવી વ્યથિત અને વિના વાકે તરછોડાયેલી મહિલાઓને હિમ્મત અને પીઠ બળ મળે તેવી હ્રદય દ્રાવક સત્ય ઘટના કે જેની રજૂઆત પણ સુંદર !!!!

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s