પરમેશ્વર જોડે પંજો લડાવતો માણસ

10

પરમેશ્વર જોડે પંજો લડાવતો માણસ

                                – દીનેશ પાંચાલ

દુનીયાનું સૌથી હીંસક પ્રાણી કયું?

દુનીયાનું સૌથી લુચ્‍ચું પ્રાણી કયું?

દુનીયાનું સૌથી સુંદર અને બુદ્ધીશાળી પ્રાણી કયું? માનો યા ના માનો પણ આ ત્રણે પ્રશ્નોનો જવાબ એક જ છે માણસ! આ પૃથ્‍વીલોકમાં હેવાનીયત અને ઈન્‍સાનીયતના બધાં ઍવોર્ડ માણસે અંકે કરી લીધાં છે. માણસ સાડા પાંચ ફુટનો જટીલ કુટપ્રશ્ન છે, અને માણસ જ એ કુટપ્રશ્નોનો જવાબ છે. (બચુભાઈના મત મુજબ માણસ આ દુનીયાનો મેનેજીંગ ડીરેક્‍ટર છે. માણસે અવનવી શોધખોળો દ્વારા જે કુનેહથી દરેક કુદરતી રહસ્‍યોની બાંધી મુઠી ખોલવા માંડી છે તે નીહાળી મને હીન્‍દી ફીલ્‍મના વીલનનું સ્‍મરણ થાય છે. એ વીલન પ્રારંભમાં તેના માલીકના દરેક ધંધાકીય રહસ્‍યો જાણી લે છે. પછી ચાલાકી પુર્વક માલીક પાસેથી તેની સમગ્ર મીલકત પડાવી લે છે. માણસે પણ કુદરત જોડે એવી દગાબાજી કરી હોય એવો વહેમ પડે છે.)

અલબત્‌ જીવન અને મૃત્‍યુ જેવી કેટલીક મહત્‍વની મેઈન સ્‍વીચો હજી કુદરતે પોતાના હસ્‍તક રાખી છે. જો કે એમ કહેવું ય સમ્પુર્ણ સાચું નથી. જન્‍મની ચાવી માનવીએ કુદરતના જુડામાંથી સેરવી લઈ કુટુંબનીયોજનની ખીંટીએ લટકાવી દીધી છે. આ પૃથ્‍વીલોકમાં મૃત્‍યુની અસલના કોઈ જુલ્‍મખોર જાગીરદાર જેવી દાદાગીરી હતી. પરન્તુ ‘પેસમેકર’ (કૃત્રીમ હૃદય)ની શોધ પછી હવે માણસે મૃત્‍યુના ગઢમાં ય ગાબડું પાડી દીધું છે. એટલેથી જ એ અટક્‍યો હોત તો ધુળ નાખી; પણ એણે કહેવાતા ભગવાનનેય મન્દીરની જેલમાં એવો પુરી દીધો છે કે બીચારો પેરોલ પર પણ છુટી શકતો નથી. અને એથી જ મૃત્‍યુ બાદ ભગવાન પોતાના ગુનાનો શો ફેંસલો કરશે તે વાતની માણસને ચીંતા સતાવે છે. પણ માણસ જેનું નામ… મૃત્‍યુ બાદ ભગવાનને લાંચ આપી કેવી રીતે ફોડી કાઢવો તે ઉપાય પણ એણે વીચારી રાખ્‍યો છે. આ રહ્યો એ ઉપાય

‘લે ચલ છુપાકે કફનમેં બોતલ

કબ્રપે બેઠકે પીયા કરેંગે…

ઔર જબ ખુદા કરેગા ગુનાહોંકા ફેંસલા…

તો દો દો જામ ઉસે ભી દીયા કરેંગે…!’

ક્‍યારેક માણસ એવો દુષ્ટ બની રહે છે કે એને માથે હથોડો ઝીંકવાનું મન થાય છે. ક્‍યારેક એ એટલા સારા કામો કરે છે કે ગદ્‌ગદ્‌ બની વીચારી રહીએ છીએ– ભગવાન તે વળી આનાથી જુદો કેવોક હોતો હશે? ટુંકમાં માણસ જ મધર ટેરેસા અને માણસ જ મેમણ બ્રધર્સ…! સમુદ્રમંથનમાંથી નીકળેલું ઝેર એટલે માણસ…! અને શંકરની જટામાંથી પ્રગટતી પ્રેમની ગંગોત્રી એટલે માણસ…! માણસ નામનું કોડીયું, પુરુષાર્થનું તેલ અને બુદ્ધીની જ્‍યોત આ ત્રણેના ત્રીવેણી સંગમથી દુનીયાનો ચોક પ્રગતીના પ્રકાશથી ઝળહળી ઉઠયો છે. માની લીધેલા ભગવાનને ખોટું ના લાગે તે માટે માણસ કહેતો ફરે છે ઈશ્વરની ઈચ્‍છા વીના એક પાંદડુંય હાલતું નથી; પણ બીજી તરફ એણે જ્ઞાન વીજ્ઞાનના અને ટૅક્‍નોલોજીના વીકાસ વડે દુનીયામાં એવું ચક્રવર્તી સામ્રાજ્‍ય સ્‍થાપ્‍યું છે કે એ(માણસ)ની ઈચ્‍છા વીના એક પાંદડુંય ઉગી શકતું નથી.

ધુળમાં ગબડી પડેલું બાળક ધુળ ખંખેરીને બેઠું થઈ જાય એમ વીક્રમ સર્જક ભુકંપમાંથીય માણસ ઝડપથી બેઠો થઈ ગયો છે. અભુતપુર્વ જળસંકટ હોય, કારમો દુષ્‍કાળ હોય કે ભયંકર રોગચાળો હોય… માણસને હવે મચ્‍છરની જેમ મસળી નાખવાનું સહેલું રહ્યું નથી. ભલું થજો માણસનું કે એણે કુદરતરુપી ઉંટના ઢેકા પર બુદ્ધીપુર્વકના કાંઠા કર્યા છે. પુનરોક્‍તીનો ભય વહોરીનેય કહું કે માણસને સો વર્ષનું આયુષ્‍ય આપીને કુદરતે 42 વર્ષે જ એને આંખે આંધળો બનાવી દીધો. માણસે ચશ્‍મા ના શોધ્‍યા હોત તો અડધી દુનીયા હાથમાં લાકડી લઈ સુરદાસ બની ઘુમતી હોત. બે વર્ષની બેબીની બન્‍ને આંખોમાં મોતીયો હોય એવું નજરે જોઈએ ત્‍યારે વીચાર આવે છે આ તે ઈશ્વર છે કે આતંકવાદી? (માણસની આંખનો મોતીયો કાઢી આપતો ડૉક્‍ટર એટલે મારે મન કુદરતે રચેલી અન્ધાપાની જેલમાંથી માણસને જામીન પર છોડાવતો ફરીસ્‍તો?)

કુદરતે માણસને બહેરો બનાવ્‍યો તો માણસે ઈયરફોન બનાવ્‍યું. કુદરતે માણસને લંગડો બનાવ્‍યો તો માણસે કૃત્રીમ પગ બનાવ્‍યો. દેહની નાની મોટી બીમારીથી માંડી હૃદય અને મગજ જેવાં નાજુક અવયવોના ઑપરેશનો કરવાની ત્રેવડ હાંસલ કરીને માણસે માણસની લાજ રાખી છે. કુદરત ડાળે ડાળે ચાલે તો માણસ પાંદડે પાંદડે ચાલ્‍યો! કલ્‍પના કરી જુઓ પેટમાં ઍપેન્‍ડીક્‍સનો દુઃખાવો ઉપડ્યો હોય તે ટાણે રામનામના મંજીરા વગાડવાથી દુઃખાવો દુર થઈ શકે ખરો? માણસે શસ્‍ત્રક્રીયાની શોધ કરવાને બદલે જીવનભર પ્રભુભજન જ કર્યા કર્યું હોત તો વધેરાતાં બકરા જેવી ચીસો પાડતા માણસને શી રીતે દર્દમુક્‍ત કરી શકાયો હોત? કુદરત આડી ફાટે અને સ્‍ત્રીનાં ગર્ભમાં બાળક આડું થઈ જાય અથવા કોઈ કારણસર બાળક નોર્મલ રીતે ન અવતરી શકે ત્‍યારે શું કરી શકાય? સીઝેરીયન ઑપરેશનની શોધ નહોતી થઈ તે જમાનામાં એવી સ્‍ત્રીઓએ તો એડી રગડી રગડીને મરવું જ પડતું હશેને?

અમારા બચુભાઈ અને કહેવાતા ભગવાન વચ્‍ચે કૉંગ્રેસ અને ભાજપ જેવું ચાલે છે. તેઓ ભગવાન વીશે બહુધા હળવાશમાં તો ક્‍યારેક ગમ્ભીરપણે વાતો કરતા રહે છે. તેઓ કહે છે ‘લાખ વાર કબુલ કે માણસને એ બધી શોધખોળ કરવાની બુદ્ધી ભગવાને આપી છે પણ કોઈ મને એ સમજાવો કે ભગવાનની એ કેવી વીચીત્ર નીતી કે પહેલાં તે સ્‍ત્રીના પેટમાં બાળકને આડું કરી દે છે અને પછી માણસને સીઝેરીયન કરવાની બુદ્ધી આપે છે. એ મહાશયનું ટીખળ તો જુઓ પ્રથમ માણસને દાઢનો દુઃખાવો આપે છે પછી શાનમાં સમજાવે છે ‘હવે લવીંગનું તેલ ઘસ અને ફટકડીના કોગળા કર!’ એમ સમજો કે ચોરને એ ચોરી કરવા ઉશ્‍કેરે છે અને શાહુકારને એ જાગતા રહેવાની સલાહ આપે છે. સાચું કહું મને ચશ્‍માની શોધથી એટલો આનન્દ થતો નથી, જેટલું  દુઃખ 45 વર્ષે માણસની આંખ નબળી થઈ જાય તે વાતથી થાય છે!’

હમણાં ડૉક્‍ટર મીત્રે એક વીચીત્ર કીસ્‍સો કહી સંભળાવ્‍યો. એમની પાસે લગભગ વ્‍યંઢળ પ્રકારનો એક દરદી આવ્‍યો. એ ભયંકર જાતીય આવેગથી પીડાતો હતો. જે શક્‍ય નહોતું તેની તીવ્ર તલબ જાગી હતી. એમ સમજો કે જેનું ગર્ભાશય કાઢી નાંખવામાં આવ્‍યું હોય એવી સ્‍ત્રીને માતૃત્‍વ ધારણ કરવાની ઈચ્‍છા જન્‍મે તેવો ઘાટ થયો હતો. પગ વીનાના પુરુષને કુદરતે પર્વત ચઢવા ઉશ્‍કેર્યો હતો. ફાંટાબાજ કુદરતનું આ કેવું કરુણ ટીખળ? બચુભાઈ કહે છેઃ ‘કુદરત માણસને ક્‍યારેક એવી હાસ્‍યાસ્‍પદ સ્‍થીતીમાં મુકી દે છે માનો કોઈ વ્‍યક્‍તીને જુલાબની દશબાર ગોળીઓ ખવડાવી દીધા પછી તેના જાજરુમાં પાણીનો પુરવઠો બંધ કરી દેવામાં આવે!’

જરા વીચારો, ભગવાનની એ કેવી મેન્‍યુફેક્‍ચરીંગ ડીફેક્‍ટ કે એણે માણસને પુરાં સો વર્ષનું આયુષ્‍ય આપ્‍યું હોય અને બેતાલીશ વર્ષે જ આંખે બેતાલા આવી જાય! ઍરોપ્‍લેનની ટાંકીમાં એક જ લીટર પેટ્રોલ સમાઈ શકે એવી ટુંકી બુદ્ધીની વ્‍યવસ્‍થા કરનાર એન્‍જીનીયરને આપણે કહીએ તો શું કહીએ? માણસ કોઈ વાહન બનાવે છે ત્‍યારે તેના વારંવારના પરીક્ષણ બાદ તેને અદ્યતન અને સંપુર્ણ ક્ષતીરહીત બનાવીને રોડ પર દોડતું કરે છે; પણ ઉપરવાળા એન્‍જીનીયરે માણસની ડીઝાઈન એવી નબળી ઘડી છે કે પચાસ સાંઠ વર્ષે જ તે પેટ્રોલ વીનાના સ્‍કુટરની જેમ ડચકા ખાવા લાગે છે. ભગવાન જેવો ભગવાન થઈ આવી નબળી ક્‍વૉલીટીનો માલ પૃથ્‍વીલોકમાં સપ્‍લાય કરે એમાં ભલે એના ધંધાને ખોટ ના જતી હોય, પણ જેઓ એનો ભોગ બને છે તેનું જીવન તો સો ટકા બરબાદ થાય છે. નબળી આંખવાળા, નબળા હૃદયવાળા કે નબળા મગજવાળા કેટલાંય કમનસીબ માણસો કુદરત સામે ગ્રાહક સુરક્ષા ધારામાં જઈ શકતાં નથી. મૃત્‍યુલોકની અદાલતમાં ઈશ્વર અપરાધી ઠરે તોય પ્રશ્ન એ છે કે એને કયે સરનામે સમન્‍સ મોકલવો? શી રીતે એની ધરપકડ કરવી? આરોપી સદીઓથી ફરાર છે…!!

– દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ 10મો લેખ, પુસ્તકનાં પાન 38થી 40 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત. સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 27–11–2017

 

14 Comments

  1. દુનીયાનું સૌથી આંધળુ પ્રાણી કયું? જવાબ એક જ છે માણસ.

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  2. સરસ લેખ. હેડીંગ છે…‘ પરમેશ્વર જોડે પંજો લડાવતો માણસ. અેટલે કે પરમેશ્વરનું અસ્તિત્વ સ્વિકારીને જ આપણે આગળ વઘી રહ્યા છીઅે. અભિવ્યક્તિ પરમ ઇશ્વરનું અસ્તિત્વ કબુલે છે ખરું ? અને તે પણ ભગવાન (?) સાથે પંજા લડાવતો ?

    છેલ્લો પેરેગ્રાફ કહે છે…‘ જરા વિચાર કરો, ભગવાનની અે કેવી મેન્યુફેક્ચરીંગ ડીફેક્ટ કે અેણે માણસને પુરા સો. વરસનું આયુષ્ય આપ્યુ હોય અને બેતાલીસ વરસે જ બેતાલા આવી જાય.! અેરોપ્લેનની ટાંકીમાં અેક જ લીટર પેટરોલ સમાઇ શકે અેવી ટુંકી બુઘ્ઘિની વ્યવસ્થા કરનાર અેન્જીનીયરને આપણે કહીઅે તો શું કહીઅે ?……..જો ભગવાનને માનતા હો તો ડીફેક્ટ સાથે જન્મેલો બાળક ટુંકી બુઘ્ઘ્િના ભગવાને મોકલેલો છે તેમ મનવુ પડે. (?).

    વાત અેવી છે કે બાળક જન્મે ત્ારથી જ સર્ટીફીકેટ લખાવીને નથી લાવતો કે તને બેતાળીસમે વરસે જ બેટાલા આવશે…તથાસ્તુ….માણસે શોઘ કરી છે કે માલન્યુટરીશન બાળકના જીવનમાં આવતાં રોગોનું મુખ્ય કારણ હોય છે. બેટાલાને સારા ખોરાકની માવજતથી દૂર રાળી શકાય છે. અરોપ્લેન બનાવવાવાળા અેન્જીનીયરને, બેટાલા આપીને મોકલતા ભગવાન સાથે શરખાવો છો ?

    માણસે શોઘ કરી છે કે જીનેટીક કોડમાં ડીફેક્ટ આવે તો જે ડીફેક્ટ છે તેને લગતી ખામી આવે. અેક બાજુ લેખક માણસની શોઘોના વખાણ કરે છે અને બીજી બાજુ તે માણસને ટૂંકી બુઘ્ઘિનો અેન્જીનીયર કહે છે.

    ભાઇ, આજ સુઘી જે કાંઇ નોલેજ આપણને મળ્યુ છે તે બઘુ જ માણસે શોઘેલું જ્ઞાન છે. હજી ઘણું અેવું જ્ઞાન છે જેને માટે આપણે અજ્ઞાની છીઅે. પૃથ્વિ તેની ઉપરનું પાણી, જીવની ઉત્પત્તિ માટે જોઇતી આબોહવા…પૃથ્વિના પડોમાંની ઘાતુઓ…વિ…વિ…ના સંમિશ્રણ થકી જીવ બનેલો હતો તે પણ માણસ જાણે છે. અેક કોષી જીવમાંથી માણસ બનવા શુઘીની પ્રક્રિયા વિશે પણ માણસે શોઘો કરી છે. હજી ઘણી સીક્રેટસ છે જે માણસ જાણવાની કોશીશ કરી રહ્યો છે. લેબમાં ઘેંટું પણ બનાવેલું છે. ઠંડા કરેલાં સ્પર્મ , અેગ્સમાંથી વરસો પછી જીવને જન્મ આપી શકે છે.

    બુઘ્ઘિ..મગજ..મગજના જુદા જુદા ભાગોના કરમોનું પણ નોલેજ માણસને છે…..મગજના રોગોને પણ માણસ ઓળખે છે. જેને ભગવાને કોઇ સર્ટીફીકેટ સાથે જન્મ નથી આપેલો હોતો. તે માણસની પોતાની જીવન જીવવાની રીતો થકી થાય છે. સુગરનાં રોગ વિના જન્મેલો માણસ…જો વઘુ ‘ ખાંડ‘ ખાતો રહે તો તેને ડાયાબિટીસ થવાનો. માણસ પોતે ડાયાબીટીસ કેમ કરી દૂર રાખવો તે રીતે જીવીને કરી શકે છે.

    ભગવાન કે પરમેશ્વર ની અેન્ટીટી શોઘવાની રીસર્ચ પણ તે કરી રહ્યો છે. જ્યારે તે પરમેશ્વરની હયાતી શોઘી કાઢશે ત્યારે તે કબુલ કરી લેશે. આજ સિઘીની દરેક રીસર્ચ તેણે સત્યતાના પ્રયોગો કરી સત્ય શોઘીને કબુલ કરેલું છે તેનાં ફળો માણસ ભોગવી રહ્યો છે….સારા કરમોમાં કે ખરાબ કરમોમાં….પ્રમ માટે કે લડાઇ માટે.

    Albert Einstein said, ” Blind belief in authority is the greatest enemy of TRUTH. ”

    ( Who is the ” Authority” ? )

    Amrut Hazari..

    Liked by 1 person

  3. Ishvare buddhi j ene ena problems sol ve karava aapi chhe.Jara vichar karo ke problems j na hoy to jivan ketluuu niras thai jay!…Ne samay kapvo ketketlo kathin thai jat !

    Like

  4. ભાઈ અમૃતની કૉમેન્ટ સાથે હું સંમત છું. બેતાલાં માટે કુદરત જવાબદાર નથી, જેને બેતાલાં આવે છે તે જવાબદાર હોય છે. અને હા, બધાંને જ બેતાલાં આવે છે એવું નથી. ભુલ તો માણસની છે – એના કુદરતી આહારમાં કરેલા ફેરફારોને કારણે અનેક પ્રકારની સમસ્યા એણે એના સ્વાસ્થ્ય માટે પેદા કરી છે. આ લેખ સાથે બધી રીતે તો સંમત થઈ શકાય એમ નથી.

    Liked by 1 person

  5. મિત્રો,
    મારા ભેજામાં અેક વિચાર આવ્યો. મુરખ વિચાર કહેવાય કદાચ ! પરંતું તે વિજ્ઞાન, તેની શોઘો અને ઘાર્મિક વાતો સાથે ગાઢો નાતો ઘરાવે છે. કોઇના દિલને દિભાવવા આ વાત નથી લખતો. પરંતું વિજ્ઞાનને સમજવા માટે લખું છું. જે કોઇને ના ગમે તેઓની પહેલેથી જ માફી માંગી લઉ છું.
    ગુગલમાં જઇને આ વાતને શોઘવાની કોશીશ કરવા વિનંતિ છે.
    Enter to find : Human evolution & facial features, 2000 years ago.
    Then enter : Human evolution & facial features, 4000 years ago.

    You will find series of photos and details of research and research results.
    હિન્દુ ઘાર્મિક પુસ્તકો પણ કદાચ ૪૦૦૦ વરસો પુરાણા કે ૨૦૦૦ વરસો પુરાણા હોવા જોઇઅે.
    આ પુસ્તકોમાં બતાવવામાં આવેલા દેવો, રાજાઓ કે સામાન્ય લોકોના મૌખિક ફીચરો…હેન્ડસમ બતાવાય છે.
    સાચુ…ખોટું… જેમની જેવી શ્રઘ્ઘા.
    વિજ્ઞાન સાથે આપણો જીવન મરણનો નાતો જોડાયેલો છે. વિજ્ઞાને કરેલી શોઘોના ઉપયોગથી આજે ૨૦૧૭ માં આપણુ જીવન આપણે રોજે જાણીઅે માણીઅે છીઅે…..

    Liked by 1 person

    1. વહાલા વલીભાઈ,
      આપના બ્લોગ પર ‘પરમેશ્વર જોડે પંજો લડાવતો માણસ’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  6. *‘લે ચલ છુપાકે કફનમેં બોતલ* *કબ્રપે બેઠકે પીયા કરેંગે…* *ઔર જબ ખુદા કરેગા
    ગુનાહોંકા ફેંસલા…* *તો દો દો જામ ઉસે ભી દીયા કરેંગે…!’*
    અથવા સત્યનારાયણની કથા કરાવીશું એટલે બધી ભૂલો અને અપરાધો માફ થઇ જશે.
    “ઈશ્વરની ઈચ્‍છા વીના એક પાંદડુંય હાલતું નથી; પણ બીજી તરફ એણે જ્ઞાન
    વીજ્ઞાનના અને ટૅક્‍નોલોજીના વીકાસ વડે દુનીયામાં એવું ચક્રવર્તી સામ્રાજ્‍ય
    સ્‍થાપ્‍યું છે કે એ(*માણસ*)ની ઈચ્‍છા વીના એક પાંદડુંય ઉગી શકતું નથી.” ખુબ
    સરસ અવલોકન! જરા જુદી રીતે વિચારીએ. ઈશ્વર કાંઈ બધા પાંદડાઓને હલાવી કે
    સ્થિર ના રાખે, પણ તેણે બનાવેલા વૈજ્ઞાનિક નિયમો વિના પાંદડાઓ હાલી ના શકે.
    (ભારતીય) પાર્લામેન્ટ કે (અમેરિકાની) કોંગ્રેસ કાયદા પસાર કરે પણ રાષ્ટ્રપતિ
    કે પ્રેસિડેન્ટની ઈચ્છા ના હોય તો સહી ના કરે અને કાયદો અમલમાં ન આવે. તેવી
    રીતે વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ પણ ઈશ્વરે તેની સ્વેચ્છાએ બનાવેલા વૈજ્ઞાનિક નિયમો
    અનુસાર જ થઇ શકે છે. (દા.ત. પાણીમાં ડૂબે એવો બરફ બનાવી શકાતો નથી.) તે
    અર્થમાં કહી શકાય કે “ઈશ્વરની ઈચ્‍છા વીના એક પાંદડુંય હાલતું નથી”. ડોક્ટરોએ
    ઘણા રોગો દુનિયાભરમાંથી નાબૂદ કર્યા તે સિદ્ધિ અને બીજી બધી વૈજ્ઞાનિક સિદ્ધિઓ
    બિરદાવવી જ જોઈએ, પરંતુ એટલું સમજીએ કે તે સફળતાઓ ઈશ્વરે બનાવેલા નિયમોની
    બારીકીઓ સમજીને તેનો યથેચ્છ અને યથોચિત ઉપયોગ કરીને જ મેળવેલી હોય છે.
    વિજ્ઞાન બધું સમજાવી શકે છે. હવે તો માબાપના તેમના સંતાનો માટેના પ્રેમ પણ
    ઉત્ક્રાંતિના સિદ્ધાંતના આધારે સમજાવાય છે. પણ ડોસા-ડોસીઓનો પૌત્રો-પૌત્રીઓ
    માટેનો પ્રેમ કોણે સર્જ્યો અને શા માટે? જવાબ છે?
    આરોપી ફરાર છે, પણ છે ખરો. પુરાવાનો અભાવ એ અભાવનો પુરાવો નથી. તેના અપરાધના
    દાર્શનિક પુરાવા મળવાની કોઈ જ શક્યતા નથી તો પણ સાંયોગિક પુરાવાને આધારે તે
    દોષિત પુરવાર થયો છે. તે માફિયા સરદારોની જેમ જાતે કશું કરતો નથી પણ બીજાઓ
    પાસે કરાવે છે. જેવો છે તેવો પણ માથે પડેલા પતિ કે પત્નીની જેમ પડ્યું પાનું
    નિભાવવું જ રહ્યું.

    Liked by 1 person

  7. સરસ….
    .મારા મિત્ર…ઊંઘી ખોપરીજી,
    દરેકને શ્રઘ્ઘા ( પોઝીટીવ )સાથે જીવન જીવવાનું હોય છે. અને તે‘ શ્રઘ્ઘા‘ મને મંજુર છે.
    માણસ તો કુદરતે બનાવેલાં નિયમોને શોઘીને તેના ઉપયોગ કે દુરુપયોગ કરે છે. માણસનું કામ ….સંશોઘન કરવાનું છે…..કુદરતમાં જે છે અને માણસને તે પ્રશ્ન લાગે તો તેની ઉપર સંશોઘન કરે.
    જેને હું કુદરત કહું છું તેને બીજા ‘ ઇશ્વર ‘ કહે તો તે પણ મને મંજૂર છે.
    હેલ્ઘી ડીશ્કશન આપણને વઘુ જ્ઞાન આપે છે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  8. સુજ્ઞ દિનેશભાઇ, તમારા આ લેખમાં તમે ભગવાનને આરોપી ગણાવો છો. એ બરાબર નથી લાગતુ. હુ એટલુ તો માનુ છુ કે આ વિરાટ દુનિયાનુ કોઇ સંચાલક બળ તો છે જ. પણ એ માત્ર સાક્ષીભાવે બધુ જોયા કરે છે. એ માત્ર ન્યાય કરે છે. બાકી તો દરેક માનવને વિવેકબુધ્ધિ તો મળેલી જ છે. જન્મ લેવો કદાચ આપણા હાથમાં નથી પણ કેમ જીવવુ એ તો આપણા હાથમાં છે. આપણા શરીરની સંભાળ લેવી એ આપણી જવાબદારી. માબાપ પણ સંતાનો મોટા થાય એટલે એટલે એનુ જીવન એને સોંપી દે. આપણા આપણી ઇન્દ્રીયોને પોષણ ન આપીએ કે વધારે બોજો આપીએ તો પરિણામ આવે એને માટે ભગવાનને દોષ કેમ દેવાય?મોડી રાતોના િબનજરુરી ઉજાગરા, સુર્યના તાપમાં આંખનુ રક્ષણ ન કરવુ કે
    અયોગ્ય ખોરાગને કારણે આંખ બગડે તો કોનો વાંક? માત્ર સ્વાદને ખાતર તળેલ, તીખો, ને ધરમાં પણ સમજને અભાવે રાંધવાની રસમને કારણે પૌષ્ટિક તત્વોનો નાશ થયેલો સત્વહીન ખોરાક એમાં ભગવાન કયા આડો આવે? માનો કે શો રુમમાંથી કાર ખરીદીને બહાર આવો. પછી કોઇ પણ કારણસર કુતુહલ કે લોભથી પૈસા બચાવવા પેત્રોલને બદલે પાણીથી કાર ચલાવવા અખતરો કરોતો એમાં કારના ઉત્પાદકનો શુ ં વાંક કે તમારી કાર બગડી જાય? તમે દુધને બદલે દારુ પીવો ને બદામને બદલે માવો કે કેફી પદાર્થો લોને તમારી હોજરી બગડે તો કોણ જવાબદાર?કહેવત છે કે ‘બ્રાહ્મણ
    ફેરા ફેરવી દે પણ સંસાર ન ચલાવી દે’. બીજુ મૃત્યુના અનેક પ્રકારો માણસે પોતે જ શોધ્યા છે. આત્મહત્યાથી લઇને મારામારી, ખુન, હત્યા, અકસ્માત, યુધ્ધ. આ માટેના સાધનો શોધનાર પણ માણસ ને અનેકવિધ જીવન બચાવનાર દવાઓ ને સુખસગવડના સાધનો શોધનાર પણ માણસ. એવુ લાગે માણસ જ દેવ છે ને માણસ જ દાનવ છે. પણ માણસને પોતાના દુઃખ ને પોતાની અણઆવડત છુપાવવા કોઇ બહાનુ કે હોળીનુ નાળીયેર જોઇએ એટલે બધો વાંક ભગવાન પર ઢોળી દો. મને તો લાગે છે કે એટલે જ એ સંતાઇ ગયો છે માણસોના આવા બહાનાથી ત્રાસીને.

    Like

    1. ઈશ્વરને ‘આરોપી’ કહ્યો તો ખરો પણ આરોપ શાનો છે તે જાણવું જોઈએ. આરોપ છે સમગ્ર સૃષ્ટિનું સર્જન અને સંચાલન કરવાનો. તેની સજા તરીકે બિચારાને બધા માનવોની અરજીઓ સાંભળવી પડે છે.

      ઈશ્વર કાંઈ બધા કામ જાતે ના કરે. જરા જુદી રીતે સમજીએ.

      લોકશાહી તંત્રમાં સંવિધાન સૌથી મહત્વનું હોય છે. તેની મર્યાદામાં રહીને જ ધારાસભાઓ કાયદાઓ પસાર કરી શકે. તે કાયદાઓને અનુરૂપ જ નિયમો બનાવવામાં આવે. અને તે નિયમો હેઠળ સરકારી અધિકારીઓને તેમના હોદ્દાની રૂએ મુનસફી સત્તા (discretionary powers) પણ આપવામાં આવે છે. તે વાપરીને તેઓ નિર્ણયો લઇ શકતા હોય છે. સરકારી આદેશોના પરિપત્રો પર રાજ્યપાલશ્રી કે મંત્રીઓ સહી નથી કરતા. સચિવાલયના અધિકૃત કર્મચારી સહી કરે છે પણ તેની ઉપર લખાણ હોય છે “By order and in the name of the Governor of Gujarat (ગુજરાતના રાજ્યપાલશ્રીના આદેશથી તેમના વતી)”. રાજ્યપાલશ્રી કાંઈ બધા આદેશો જાતે આપતા નથી. સત્તાનો દુરુપયોગ કરનારા અધિકારીને તે બદલ સજા પણ કરી શકાય છે.

      નાગરિક તરીકે આપણે ઉપરની વ્યવસ્થાનો અમલ કરીએ છીએ. માનવી તરીકે આપણું સંવિધાન માનવધર્મ છે. આપણે પોતે ગમે તે ધર્મ પાળતા હોઈએ તો પણ તેના નિયમો માનવધર્મને અનુરૂપ જ હોવા જોઈએ. આપણને તો ઘણી મુનસફી સત્તા (વિવેકબુદ્ધિ) મળી છે. તેનો સદુપયોગ જ કરવો જોઈએ.

      Liked by 1 person

  9. ભગવાનને મૂરખ બનાવે એટલો ચતુર માણસ છે કોઈની વાડ પરથી પૂછ્યા વગર ફૂલો લઈ ભગવાનને રીઝવે છે બળેલું ઘી ે દીવામાં વાપરી ભગવાનને બનાવે છે આમ અનેકરીતે ભગવાને બનાવે પણ લાચાર ભગવાન કંઈ કહેતો નથી ……કેવી મઝા માણસને કેવી આત્મપ્રવંચના !

    Liked by 1 person

Leave a comment