દરેક માણસ પાસે સદ્‌કર્મોનો રેશનકાર્ડ હોવો જોઈએ!

16

દરેક માણસ પાસે સદ્‌કર્મોનો રેશનકાર્ડ હોવો જોઈએ!

– દીનેશ પાંચાલ

ગીતામાં શ્રી કૃષ્‍ણે કર્મ અને ધર્મનો મર્મ સમજાવતાં કહ્યું છે– ‘જેવા કર્મ કરશો તેવા ફળ પામશો!’ એમ કહીને તેમણે સુખી જીન્દગી માટે સદ્‌કર્મોની આવશ્‍યક્‍તા ઉપર ભાર મુક્‍યો છે.  કુરાનમાં શ્રી મહમદ પયગમ્બર સાહેબે  કહ્યું છે– ‘તમારા ઘરની ચારે દીશામાં દસ દસ ઘરવાળા તમારા પાડોશીઓ છે. તેઓ ભુખ્‍યા હશે ને તમે જમશો તો તે પાપ ગણાશે. બીજા ધર્મોના અનુયાયીઓ પ્રત્‍યે સદ્‌વ્‍યવહાર રાખવો. અન્‍ય ધર્મો સાથે જબરજસ્‍તી ન કરવી. (કુરનાઃ સુરે બકરહઃ 256) આપણા બહુધા ધર્મોમાં આવા કીમતી ઉપદેશો રહેલા છે; પરન્તુ આપણે અખરોટની મીંજ ત્‍યજી દઈ તેના ફોતરા ખાવા ની ભુલ કરીએ છીએ. કેવળ કર્મકાંડોને આપણે ધર્મ સમજી બેઠા છીએ અને ધર્મના ઉપયોગી મર્મને વીસારી બેઠા છીએ.

હમણાં એક ધાર્મીક માણસની વાત જાણવા મળી. એ વ્‍યક્‍તી વર્ષમાં સત્‍યનારાયણની ચાર કથા કરાવે. વર્ષમાં બાર સાધુસંતોને જમાડે. અને પ્રતીવર્ષ ધાર્મીક પ્રવાસનું આયોજન કરે; પણ એની ઘરડી માતાના ચશ્‍માની તુટેલી ફ્રેમ બદલાવવાનો એની પાસે સમય નથી. ચશ્‍મા પડી ન જાય તે માટે માતા એક હાથે ચશ્‍મા પકડી રાખે છે. જો હું ભગવાન હોંઉ તો એવા માણસોને સ્‍વપ્‍નમાં આવી કહું– પ્રથમ તમારા માતા પીતાની સેવા કર… પછી મારી ભક્‍તી કર!’

કેટલાંક સુખો વૈશ્વીક હોય છે. ધનવાનો પણ એ સુખના એકલા માલીક બની શકતા નથી. સુરજના પ્રકાશનું ખાનગીકરણ થઈ શકે ખરું? દુનીયાભરના હવા પાણીને માલેતુજારો પોતાના ગોડાઉનમાં ભરી લઈ શકે ખરાં? કુદરતી સુખોની પ્રકૃતી તળાવ જેવી બંધીયાર નહીં સમુદ્ર જેવી વીશાળ હોય છે. સુખ જે શરતે આપણી વચ્‍ચે ટકી શકતું હોય તે શરતે તેનું લાલન પાલન કરવું જોઈએ. એ માટે સુખની બધી શરતોનો બુદ્ધીપુર્વક અભ્‍યાસ કરવો અનીવાર્ય છે.

ઠંડી લાગે તો માણસ ધાબળો ઓઢે છે. ગરમી લાગે તો પંખો ચલાવે છે. ધાબળો અને પંખો એ માનવ સર્જીત સુવીધાઓ છે. પણ તે સાધનોને કદી કુદરતની કૃપા ગણાવી શકાય નહીં. માણસની બુદ્ધી એ કુદરતની સાચી કૃપા છે. બુદ્ધીના શસ્‍ત્ર દ્વારા માનવીએ દુનીયામાં સુખનું સામ્રાજ્‍ય સ્‍થાપ્‍યું છે. અજીબો ગરીબ વીકાસ સાધ્‍યો છે. 

માનવીના દીમાગમાં ઝળહળતા બુદ્ધીના બલ્‍બ ઝાંખા થશે તે ક્ષણથી એની સુખ શાંતી તરફની ગતી મંદ પડવા લાગશે. માણસ બુદ્ધીને બદલે કહેવાતા ધર્મને શરણે ગયો ત્‍યારથી તેની દશા પથ ભુલ્‍યા પથીક જેવી થઈ ગઈ છે. કંઈક એવું સમજાય છે કે માણસે પોતાની ઈશ્વરભક્‍તીમાં થોડું મોડીફીકેશન લાવવાની જરુર છે. પોતાની તમામ શ્રદ્ધા, ભક્‍તી કે ધર્મને તેણે માનવતા સાથે જોડવા પડશે. ઈશ્વરની સ્‍થુળ ભક્‍તી કે કર્મકાંડોમાં રચ્‍યા પચ્‍યા રહેવાને બદલે સદ્‌કર્મોને સાચી પ્રભુભક્‍તી ગણવી પડશે. થોડાંક કરવા જેવા પરીવર્તનો કંઈક આવા હોઈ શકે.

સમાજના દરેક લગ્ન ટાણે એક રક્‍તદાનનો કેમ્‍પ યોજાવો જોઈએ. વરકન્‍યા સહીત પ્રત્‍યેક જાનૈયાઓએ ચક્ષુદાનની પ્રતીજ્ઞા લેવી જોઈએ. બધી જ્ઞાતીના લોકોએ પોતાના સમાજના વીકાસ અર્થે ચીંતનશાળાનું આયોજન કરવું જોઈએ. જેમાં નીયમીત વીદ્વાનોના પ્રવચનો કે ગોષ્‍ઠી થવી જોઈએ. એમ થવાથી લોકોને વીચારવાની ટેવ પડી શકે. તેઓ સમાજની સમસ્‍યા અંગે વીચારતાં થાય. તેમનો બૌદ્ધીક વીકાસ થઈ શકે. દહેજ, વાંકડો, પહેરામણી, જનોઈ, મોસાળું જેવાં તમામ કુરીવાજો પર ખુલ્લા મને ચર્ચા વીચારણા થવી જોઈએ. અને બને તો તેને તીલાંજલી આપવી જોઈએ. એક ભાગવદ્‌ સપ્‍તાહમાં બેસવા કરતાં ‘વાંકડા વીરોધી મંચમાં હાજરી આપવી એ સાચી ધાર્મીક્‍તા ગણાવી જોઈએ. યાદ રહે એક રામકથા કરતાં એક ચક્ષુદાન કેમ્‍પ સમાજને વધુ ઉપયોગી છે. એથી રામકથા સાથે ચક્ષુદાન કે રક્‍તદાન જેવા માનવઉપયોગી સદ્‌કર્મોને  જોડી દેવા જોઈએ. 

આરતી ઉતારવાના કે કથામાં બેસવાના અમુક તમુક રુપીયા આપવાની પ્રથા આપણે જોતાં આવ્‍યા છીએ. એ કુરીવાજને સદ્‌કર્મ બનાવી શકાય તે માટે પ્રત્‍યેક ધાર્મીક તહેવાર ટાણે એવો નીયમ બનાવવો રહ્યો કે જેઓ ગરીબ વીદ્યાર્થીઓના શીક્ષણ માટે હમ્મેશાં પોતાની આવકનો અમુક હીસ્‍સો ખર્ચશે તેને જ મન્દીરમાં પ્રવેશ મળશે. અથવા તેને જ આરતી કરવા દેવામાં આવશે. (આ નીયમથી બે ફાયદા થશે. જેમને ઈશ્વર પ્રત્‍યે સાચી શ્રદ્ધા હશે તેઓ ગમે તેવા આકરા નીયમોનું પાલન કરીને ય સદ્‌કર્મો કરશે. અને જેમની શ્રદ્ધા ઓછી હશે તેમની મન્દીરમાં નીરર્થક ગીરદી અટકશે.) પ્રત્‍યેક શ્રાવણ માસમાં મન્દીરોમાં શ્રદ્ધાળુઓના મેળા રહે છે. બહેનો વ્રત, ઉપવાસ, ભજન– કીર્તન, પુજા–પાઠ વગેરેમાં ગળાડુબ રહે છે. બહેનોએ આ બધી પ્રવૃત્તી કરતાં વાંકડા, દહેજ જેવા સ્‍ત્રી શોષણના અનીષ્ટોને નાબુદ કરવા નક્કર પ્રવૃત્તીઓ હાથ ધરવી જોઈએ. પુરુષોના અત્‍યાચારો સામે વૈચારીક ક્રાંતી દ્વારા સ્‍ત્રી જાગૃતી લાવવા શીક્ષીત બહેનોએ આગળ આવવું જોઈએ.

પ્રત્‍યેક ધર્મ યા કોમના માણસો સમાજના દુઃખી માણસોને મદદ કરે  એ તેની સાચી ભક્‍તી ગણાવી જોઈએ. પોતાની જ્ઞાતીનો એક પણ માણસ દુઃખી ના હોય એ બાબત જ્ઞાતીની સાચી પ્રતીષ્‍ઠા ગણાવી જોઈએ. જ્ઞાતી તરફથી મન્દીરો બાંધવાને બદલે શાળા, કૉલેજ, અનાથાશ્રમ, છાત્રાલય, ઘરડાઘર, દવાખાના, હૉસ્‍પીટલો વગેરેની ભેટ સમાજને આપવી જોઈએ. (શાળાઓ બાંધવાથી પ્રતીવર્ષ ઉદ્‌ભવતો પ્રવેશવંચીત વીદ્યાર્થીઓનો પ્રશ્ન હલ થઈ શકે.)

કંટ્રોલના રેશનકાર્ડની જેમ દરેક નાગરીક પાસે પોતાની આસ્‍તીક્‍તાની સાબીતી માટે સદ્‌કર્મોનો રેશનકાર્ડ હોવો જોઈએ. એ રેશનકાર્ડમાં તેના બધાં સદ્‌કર્મો નોંધાયેલા હોવા જોઈએ. એવા રેશનકાર્ડનું મુલ્‍ય પરદેશના ગ્રીનકાર્ડ કરતાંય અધીક હોવું જોઈએ. આવો રેશનકાર્ડ પ્રાપ્‍ત કરવા માટે કેવળ પ્રભુભક્‍તી નહીં, સાચા અર્થમાં નક્કર માનવસેવા કરેલી હોવી જોઈએ. એ રેશનકાર્ડ પ્રાપ્‍તીના નીયમો અતી ચુસ્‍ત હોવા જોઈએ. એ ચકાસણીમાં ખુદ મોરારીબાપુ ય નાપાસ થાય તો તેમને કાર્ડ પ્રાપ્‍ત ન થઈ શકે એવી કડક જોગવાઈ હોવી જોઈએ. યાદ રહે ધર્મ ક્‍યારેય નાબુદ થઈ શકવાનો નથી. એ સંજોગોમાં લોકોની ધાર્મીક ભાવનાને માનવતાના કામો સાથે જોડવાથી સમાજને ફાયદો થઈ શકશે.

માણસની પ્રભુભક્‍તીને સદ્‌કર્મો સાથે જોડવાની વાતને આપણાં મન્દીરો ખુબ સારી રીતે અપનાવી શકે એમ છે. આવું એક પુનીત કાર્ય બીલીમોરા સ્‍થીત જલારામ મન્દીરે અપનાવ્‍યું છે. આ મન્દીરે ‘જલારામ માનવસેવા ટ્રસ્‍ટ‘ના બેનર હેઠળ જે સુંદર કાર્યો કર્યા છે તે અન્‍ય મન્દીરોએ કે ધાર્મીક ટ્રસ્‍ટો માટે પ્રેરણાદાયી છે. એ કામોની યાદી પર એક નજર નાખીએ :

        – જલારામ મન્દીર તરફથી બીલીમોરાના રેલ્‍વે સ્‍ટેશનના પ્‍લેટફોર્મ પર નીયમીત ઠંડા પાણીની જલારામ જલધારા ચાલે છે. જેથી પ્રવાસીઓને ઠંડુ પાણી મળી શકે છે.

        – ગરીબ અને મધ્‍યમ વર્ગના દરદીઓને મફત દવા, લોહી, ઈંજેક્‍શનો, ફળો વગેરે આપવામાં આવે છે.

        – એ સીવાય અપંગ નીરાધાર માણસોને મફત ડૉક્‍ટરી સહાય આપવામાં આવે છે.

      – ગરીબ અને મધ્‍યમ વર્ગના વીદ્યાર્થીઓને સ્‍કૉલરશીપ, પાઠયપુસ્‍તકો વગેરે વીનામુલ્‍યે આપવામાં આવે છે.

       – નીરાધાર અપંગોને વીના મુલ્‍યે ટ્રાઈસીકલોની વહેચણી કરવામાં આવે છે.

        – અતીવૃષ્ટી, અનાવૃષ્ટી, વાવાઝોડું, કે ભુકમ્પ જેવાં કુદરતી પ્રકોપમાં દરેક પ્રકારની સેવા કરવા માટે  ‘જલારામ ટ્રસ્‍ટ’ સરકારી દફતરે નોંધાયેલું છે. ટ્રસ્‍ટ તરફથી મોતીયાના ઑપરેશનનો કેમ્‍પ પણ વીના મુલ્‍યે રાખવામાં આવે છે.

        – ગરીબ લોકોના બાળકોની ફી, પાઠયપુસ્‍તકો, તેમજ અન્‍ય જરુરી સગવડો માટે ટ્રસ્‍ટ વીના મુલ્‍યે તમામ સહકાર સુવીધા આપે છે. આજપર્યંત અનેક માનવસેવાના કાર્યો માટે ‘જલારામ ટ્રસ્‍ટે‘ ખાસ્‍સી એવી મોટી રકમ ખર્ચી છે.

નવસારીનું આશાપુરી મન્દીર પણ ગરીબ દરદીઓને કાર્ડીયોગ્રામ સહીતના અનેક મેડીકલ રીપોર્ટ વીના મુલ્‍યે કાઢી આપે છે. એ સીવાય જરુરતમન્દોને મફત દવા, ભોજન, કપડાં વગેરેની પણ સહાય કરે છે.

તાત્‍પર્ય એટલું જ કે પુજા–પાઠ જેવાં સ્‍થુળ કર્મકાંડોને માનવસેવા જોડે સાંકળીને દેશનાં દરેક મન્દીર, મસ્‍જીદો કે ગીરજાઘરો આ રીતે માનવસેવાના ટ્રસ્‍ટ બની રહે એવો સમય પાકી ગયો છે. શ્રદ્ધાળુઓ આખું વર્ષ માળા ફેરવે છે; પણ માળામાં જેટલાં મણકા હોય તેટલા સદ્‌કર્મો એક વર્ષમાં કરવાની ટેક રાખે તો ભગવાનના અવતર્યા વીનાય આ સૃષ્‍ટીનો ઉદ્ધાર થઈ શકે. દેશનો પ્રત્‍યેક નાગરીક એક વર્ષમાં કેવળ એક જ સદ્‌કર્મ કરવાની પ્રતીજ્ઞા લે તો એક વર્ષમાં પુરા સો કરોડ સદ્‌કર્મો થઈ શકે! ધર્મની આનાથી સુંદર ફલશ્રુતી અન્‍ય કઈ હોઈ શકે? સરકાર અને ધર્મસંપ્રદાયો પણ ના કરી શકે એવાં સુંદર કામો આવા આયોજનથી થઈ શકે.

– દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395 003 ફોન : 0261–2591449 .મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ 16મો લેખ, પુસ્તકનાં પાન 57થી 60 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 ગુજરાત સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 01–01–2018

10 Comments

  1. સ્વચ્છતા જળવાય તે માટે આપણા દેશમાં ધાર્મીક સ્થળોએ અને ઘરમાં પગરખાં પહેરીને દાખલ થવાની મનાઈ છે. બુધ્ધીપુર્વકના આ રીવાજનું ચુસ્તપણે પાલન થાય તે માટે લોકોને સમઝણ આપવાને બદલે ક્રીયાકાન્ડીઓ એમ સમઝાવે છે કે પગરખાં પહેરીને ભગવાનના દર્શન કરીએ તો પાપ લાગે.
    અમદાવાદમાં રસ્તા ઉપર આવેલા પ્રખ્યાત બાલાહનુમાનના દર્શન કરનારાઓ પણ રસ્તા ઉપર બુટ ઉતારી, પરસેવાવાળા મોજા સાથે ગન્દકીવાળા રસ્તા ઉપર ઉભા રહી દર્શન કરે છે ! આવી અસ્વચ્છ ધાર્મીકતાને પાછી ‘સંસ્કાર’ના નામે બીરદાવવામાં આવે છે. શું ધાર્મીકતા એટલે વીવેકશુન્યતા?

    Liked by 2 people

  2. ‘સદ્‌કર્મોનો રેશનકાર્ડ’ નહીં; પરંતુ ‘આધારકાર્ડ’ રાખો…

    Liked by 1 person

  3. કુરાન માં ૨:૨૫૬ માં ધર્મ માં જબરજસ્‍તી ન કરવા વિષે કહેલ છે. પાડોશીઑ સાથે સદ્‌વ્‍યવહાર વિષે કુરાન માં ૪:૩૬ માં કહેલ છે કે જાણીતા કે અજાણ્યા પાડોશીઑ સાથે સદવાર્તાવ કરો.

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  4. Reblogged this on and commented:
    સરસ લેખ. મારાં બ્લોગ ઉપર રી બ્લોગ કરું છું. ધન્યવાદ, ગોવિંદભાઈ !

    Liked by 1 person

    1. વહાલા અરવીન્દભાઈ,
      ‘દરેક માણસ પાસે સદ્‌કર્મોનો રેશનકાર્ડ હોવો જોઈએ!’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  5. very true. ALL religious places & activities must be correlated with activities of humanities useful to the society. Like the example given in the article, Jalaram Satsang Mandal, Pune & Chotila are doing activities such as free food,for students, of ‘GYHANESHWAR;I, Free medical service to village people thru. their stationery & travelling clinics in nearby villages, conducting blood donation & eye camps, free operation of cataract patients in cooperation with a local hospital of Poona Blind Men’s Assn. etc.. THESE ARE VERY GOOD ACTIVITIES FOR THE SOCIETY.
    Many more religious organisations have now started such activities which is a welcome change. –

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s