17
અમરનાથનો એ નગ્ન બાવો..!
–દીનેશ પાંચાલ
એક શહેરમાં વીજ્ઞાન શીબીર યોજાઈ હતી. એમાં એક રૅશનાલીસ્ટમીત્ર ચમત્કારો શી રીતે બને છે તેની ટ્રીક શીખવી રહ્યા હતા. વીજ્ઞાનની અવનવી તરકીબો શીખી રહેલા બાળકોને જોઈને એક વડીલ બોલ્યા : ‘આ બાળકો ઉગમણા આકાશના તારાઓ છે. આવતી કાલનો સમાજ એમનાથી ભરેલો હશે. એઓ ગળથુથીમાંથી જ વૈજ્ઞાનીક અભીગમ કેળવે તે જરુરી છે. જુની પેઢીના લોકો વારંવાર ચમત્કારોથી છેતરાતા આવ્યા છે. ભવીષ્યમાં આ બાળકોને ચમત્કાર દ્વારા કોઈ છેતરી શકશે નહીં. એ બાળકો ગમે તેવા પછાત ઈલાકાના હશે તો પણ નારીયેળમાંથી ચુંદડી નીકળતી જોઈને અંજાઈ જશે નહીં. એકમાંથી ડબલ કરી આપતા ગઠીયાઓ એમની સામે ફાવી શકશે નહીં. વીના અગ્નીએ આગ પેટાવતા ધુતારાઓના પણ આ બાળકો કાન આમળી શકશે!’
એ શીબીરમાં બીજા મીત્ર પણ મળી ગયા. તેમણે એક અનુભવ સમ્ભળાવ્યો : ‘એકવાર અમે અમરનાથ ગયા હતા. ત્યાં એક બહુ ઉંડી ગુફામાં નગ્ન બાવા સાથે મુલાકાત થઈ. બાવાએ થોડી મીનીટો માટે આંખો ખોલી કહ્યું : ‘બોલ બચ્ચા, ક્યા ખ્વાહીશ હૈ? કુછ ઈચ્છા હૈ તો બોલો!’ અમે કહ્યું : ‘કોઈ ઈચ્છા નહીં હૈ… હમ તો સીર્ફ દેખને આયે હૈં!’
‘દેખને હી આયે હો તો ફીર દેખો…’ કહી એમણે એક સાધનમાં પાણી ભર્યું અને પોતાનું લીંગ તેમાં બોળ્યું. થોડી જ વારમાં અન્દરનું બધું પાણી શોષાઈ ગયું. એ જોઈ આશ્ચર્ય તો થયું, પણ મન જરા જુદા વીચારે ચઢી ગયું. એ બાવાએ કંઈક એવી અપેક્ષા રાખી હશે કે એ ચમત્કારથી આશ્ચર્ય વીભોર થઈ હું એના ચરણોમાં આળોટી પડીશ; પણ તેમ કરવાને બદલે અમે બાબાને પ્રશ્ન પુછ્યો : ‘બાબા, એક બાત બતાઓ… કુદરતને પાની પીનેકે લીયે હમકો પહેલે સે હી મુહ દીયા હુઆ હૈ તો ઈસ તરહ લીંગસે પાની પીનેસે ક્યા ફાયદા?’
બાવો ગુસ્સે થઈ બોલી ઉઠ્યો : ‘મુર્ખ…! યે મેરી 25 સાલ કી સાધના કા ફલ હૈ ઔર તુમ્હે ઈસમેં કોઈ ફાયદા નજર નહીં આતા…?’ અમે કહ્યું : ‘બતાઓ તો સહી ક્યા ફાયદા હૈ…? મુંહસે પાની પીને કી બજાય આપ લીંગસે પાની પીતે હૈ… જ્યાદા સે જ્યાદા યે આશ્ચર્ય કી બાત હો સકતી હૈ, લેકીન ઈસસે આખીર ફાયદા ક્યા હૈ?’ અમે થોડી વધુ દલીલો કરી તો બાવાનો પ્રકોપ વધુ પ્રજ્વલીત થઈ ઉઠ્યો. અમારે ત્યાંથી ભાગી છુટવું પડ્યું.
એ મીત્રને સ્થાને અમે હોત તો બાવાને પ્રશ્ન કર્યો હોત : ‘વર્ષો સુધી પ્રેકટીશ કરો તો તમે હાથને બદલે પગથી ખાઈ શકો અથવા નાકથી પાણી પી શકો. સરકસના જૉકરની જેમ ડોલ ભરીને પાણી પીધા પછી તે બધું પાછું કાઢી પણ શકો; પરન્તુ તેમ થવાથી સરવાળે માણસજાતને ફાયદો શો થાય?
વીચાર આવે છે માણસ પચ્ચીસ સાલ સુધી એકાંતમાં સાધના કરે તો કંઈક એવી સીદ્ધી કેમ ન હાંસલ કરે કે તે હવામાં પક્ષીની જેમ ઉડી શકે. કોઈને સ્પર્શ કરતાં જ તેનો અસાધ્ય રોગ મટી જાય… અરે! હાથ લગાડોને પથ્થર સોનુ થઈ જાય. એવું કંઈક થાય તો આ દેશનું દારીદ્રય ટળે. બાકી આવી અર્થહીન ઉપલબ્ધીઓ માટે પચ્ચીશ શું પાંચસો વર્ષ ગુમાવો તો ય માણસ જાતનો કોઈ શુક્કરવાર વળતો નથી.
સૌ પ્રથમવાર અમે નારીયેળમાંથી ચુંદડી, ફોટામાંથી ભસ્મ કે હાથમાંથી કંકુ કાઢતા લોકોની વાત સાંભળેલી ત્યારે તે પાછળની ટ્રીક અમે જાણતા નહોતો; પણ પહેલો પ્રશ્ન એ થયેલો : નારીયેળમાંથી ચુંદડી કાઢવાથી શો દહાડો વળે? કાઢી શકો તો નારીયેળમાંથી ઘઉં, ચોખા ને જુવાર કાઢો… તો ભુખનું દુઃખ દુર થઈ શકે. વીચાર આવે છે અગ્ની વીના આગ પેટાવતા લોકોથી પ્રભાવીત થઈ જવાને બદલે તેમને કોઈ એમ કેમ નથી પુછતું : દોસ્ત, પ્રાચીન યુગમાં આદી માનવો બે પથ્થરો કે બે લાકડા ઘસીને અગ્ની પેટાવી શકતા હતા. હવે આ એકવીશમી સદીમાં કરો તો કોઈ એવો કરીશ્મો કરો કે ફુંક મારો ને ગમે તેટલી મોટી આગની જ્વાળા હોલવાઈ શકે. અથવા પેટ્રોલ વીના સ્કુટર દોડી શકે. અરે! બીજું કાંઈ નહીં તો અનાજ વીના પેટની આગ ઠારી શકાય એવી કોઈ જડીબુટી શોધો! એમ થઈ શકે તો ભુખથી ટળવળતા લાખો લોકોના આશીર્વાદ મળે! બાકી હાથમાંથી કંકુ કે ફોટામાંથી ભસ્મ કાઢવાથી ક્યાં કોઈનું ભલુ થઈ શક્યું છે? અમારા બચુભાઈ કહે છે : ‘એ ભસ્મ કે કંકુથી કેન્સર મટી જાય તો સૌથી પહેલો હું એ બાવાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું…!’
(બન્ધુ ત્રીપુટીમાંના એક જૈનમુનીએ કહેલું : ‘અમારા ધર્મમાં લોકો ચાલ ચાલ બહુ કરે છે; પણ ચાલવાથી જો મોક્ષ મળતો હોય તો આપણાં કરતાં બળદને પહેલા મોક્ષ મળે!’)
સમજો તો સાવ સરળ વાત છે. માણસ ચમત્કારને નમસ્કાર કરે છે. આપણને સાચા ચમત્કારોમાં ક્યારેય રસ પડતો નથી. એકના ડબલ શું હજારો થઈ શકે છે. ખેતરના એક બીજમાંથી ઉગતા હજારો દાણાની જ વાત નથી, જીવનમાં સખત મહેનત કરીને માણસ એકમાંથી લાખો બનાવી શકે છે. મહેનત કરો તો એવું કયું ક્ષેત્ર છે જ્યાં એકના ડબલ નથી થઈ શકતાં? નારીયેળમાંથી ચુંદડી શું ચુંદડી પહેરનારીય નીકળી શકે છે. જાણવું છે કેવી રીતે? અમને બરાબર યાદ છે થોડા વર્ષો પુર્વે ટીવીના કાર્યક્રમમાં કર્ણાટકના એક યુવાન કલાકારનો ઈન્ટરવ્યુ રજુ થયો હતો. નારીયેળની કાચલી અને રેસામાંથી એ ભાતભાતના રમકડાં અને જીવન જરુરીયાતની ચીજ વસ્તુઓ બનાવતો હતો. એ માટે એને દેશ પરદેશના અસંખ્ય ઍવોર્ડ મળ્યા હતા. એ માણસ એમાંથી એટલું કમાયો કે એણે ઘર જ નહીં ઘરવાળીય વસાવી હતી. બોલો કાંઈ કહેવું છે…?
ચમત્કારો આજે પણ થાય છે!
–દીનેશ પાંચાલ
લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ‘ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ : sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ 9મો લેખ, પુસ્તકનાં પાન 35થી 37 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..
લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત(ભારત) સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 08–01–2018
As per sir Darvin,s law,the mankind bringing the change in his /her life
style? we honour and prayed to the naked Jain yatiji?to bare the nature at
one position is the greatest pick of worshiping? can we do so?Shri writer
always giving the light on the dark but see other side to ,save the readers
time and power too!
LikeLike
સરસ, એક નવા ચમત્કાર માટેની યુક્તિ મળી. આપણી પાસે આ પ્રયોગ કરવાનું પાત્ર છે. આભાર ગોવિંદભાઇ, દિનેશભાઈ.
LikeLiked by 1 person
બાવાઑઍ, બાબાઑઍ, પૂજારીઑઍ, મોલવીઑઍ કે પાસ્ટરોઍ ક્યારે પણ માનવજાત કે માનવતા ના ભલા માટે કશું પણ નથી કરી બતાવ્યું. ચમત્કારો માં પેટ નથી ભરાતું. હા, તેઓનું પેટ જરૂર ભરાય છે. આ રીતે અન્ધ્શ્રદ્ધાળુઑ ની અન્ધ્શ્રદ્ધા દ્રારા અને તેઓના પૈસા થકી આવા લેભાગુઓનું પેટ ભરાતું રહે છે.
પ્રજા માં જાગૃતિ ની જરૂરત છે, જેથી આવા લેભાગુઓ પ્રજાને છેતરી ના શકે.
કાસીમ અબ્બાસ
LikeLiked by 1 person
શ્રી દિનેશભાઇ તથા ગોવિંદભાઇ, આ બાબત વિચારીએ તો આમાં એકલા સાધુબાબાઓનો વાંક નથી. એક હાથે તાળી ન પડે.લોકોને ચુંટણી જીતવાથી માંડી ચટણી સુધી દરેક બાબતમાં જો માત્ર આશીષથી કામ પતી જતુ હોય તો મહેનત કરવાની જરાય તૈયારી નથી. આમાં થોડુ ધાર્મિક પાસુ પણ ગણાવી શકાય. સૃષ્ટિની શરુઆત જુઓ તો બ્રહ્માએ હજારો વરસ તપ કરી વિષ્ણુને રીઝવ્યા ને દુનિયાની શરુઆત થઇ. એ જ પ્રમાણે બધા દેવોએ પ્રધાનમંડળમાં સ્થાન લેવા જે તે દેવોની કૃપા પામવા કોઇએ ઉંધા માથે તો કોઇએ એક પગે ઉભા રહીને દેહદમન કરીને પદ પ્રાપ્ત કર્યુ. ટુંકમાં કાંઇ પામવા મહેનત કે મગજ ચલાવવાને બદલે કોઇ દેવતા કે એના એજન્ટ સામે ભુખહડતાલ પર ઉતરી જાવ કે લાંચ કાઇક ધરો એટલે આપણુ કામ પુરુ. આ તપ ને વરદાનની વાતો બચપણથી આપણે સાંભળતા આવ્યા છીએ. એટલે કયારેક સ્વેચ્છાએ તો કયારેક મજબુરીથી આ રાહ પસંદ કરીએ છીએ. આજનો માહોલ જ જુઓ કે આ ચુંટણી આવે ત્યારે બધા ઉમેદવારો કે એના સહાયકો જેતે દેવને પંસદ કરી એને રીઝવવા મંડી પડે. કારણ એને જનતા કરતા જનાર્દનમાં વધારે ભરોસો છે. તો સામાન્ય માણસને જ્યારે કયાય ન્યાય ન મળે ત્યારે એ આવા કહેવાતા ચમત્કારિક બાબાને શરણે જાય છે.દુઃખની વાત તો એછે કે આવા પાંખડીઓની પોલ ખુલ્યા પછી ય લોકોની આંખ ખુલતી નથી.
LikeLiked by 1 person
આપની રેશનલ વિચારસરણી સારી અને સાચી છે. પરંતુ ફ્ક્ત દાખલા આપવા થી શું ફેર પડશે? જુની પેઢી તો પોતાની માન્યતા ને આધારે જીવી ગયી નવી પેઢીને ને તાર્કિક બનાવવા માટે વિચારવાની જરૂર છે.
LikeLiked by 1 person
ચમત્કારો આજે પણ થાય છે!
ચમત્કાર થાય છે, પળે પળે. જેમ કે પાણી. બીજા બધા પદાર્થો જો ઠરી જાય તો ભારે થઇ જાય અને ડૂબે. કેવળ પાણી જ એવી વસ્તુ છે કે જે ઠરવાથી (બરફ બનવાથી) હલકી બને છે અને તરે છે. આને વિજ્ઞાનમાં પાણીનું અપવાદરૂપ વિસ્તરણ (anomalous expansion of water) કહે છે. પાણીના આ ગુણધર્મને લીધે જળચરો તળાવો, સરોવરો અને સમુદ્રો ઠરી જાય ત્યારે સપાટી પરના બરફની નીચે જીવતા રહી શકે છે, નહીં તો ઠરેલા બરફમાં દટાઈ મરે.
આપણા શરીરની રક્ત પરિભ્રમણ રચના પણ એક ચમત્કાર છે. શરીરની બધી રક્તવાહિનીઓમાં લોહી પહોંચાડવા માટે જો પંપ બનાવવો હોય તો તે આપણા શરીર કરતા પણ મોટો પંપ જોઈએ. પણ તે કામ મુઠ્ઠી જેવડું આપણું હૃદય કરી શકે છે તેનું કારણ લોહીનો ચમત્કારિક ગુણધર્મ છે જેનાથી તે વહેતું હોય ત્યારે ઘણું પાતળું થઇ જાય છે પણ વહેતું બંધ થાય ત્યારે ઘટ્ટ બની જાય છે.
LikeLiked by 1 person
Very true – such tricks has no. More valuable than awesome & entertainment.
LikeLiked by 1 person
અભણતા અને અજ્ઞાનતા મૂળ કારણ છે. પછી બીજા સ્ટેજે,અંઘશ્રઘ્ઘા, અભણતા અને અજ્ઞાનતાના બાળક રુપે જીવનમાં આવે છે. અને પછી તેના પરિણામો. આ પરિણામો ભોગવનારની આંખ જ્યાં સુઘી ખૂલે નહિ ત્યાં સુઘી તે લુટાતો રહે છે.
જ્યારે આંખ ખુલી અેમ કહેવાય ત્યારે તે સવાલો પુછતો થાય છે….કેમ ? કેવી રીતે ? શા માટે ? કોને માટે ? વિગેરે…..અને તેના સવાલોના જવાબો સાબિતિ સાથે ના મળે ત્યાં સુઘી તે પેલા ‘ ચમત્કાર‘ ને માનશે નહિ.
ાાઆપેલા વચન કોઇ દેવગણે પાળ્યા છે ? આ વચનો કોણે સાંભળેલાં. કોઇ સાબિતિ છે ?
પહેલો સવાલ. દરેક માનવી કે પ્રાણિ પોતાની જીંદગી પોતે બનાવે છે અને પોતે જ બગાડે છે. મંદિરમાં બેઠેલી પેલી મુર્તિ બચાવવા નથી આવતી કે કોઇને બચાવવા આવી નથી….સાબિતિ આપીને જેને નામ રોશન કરવું હોય તે તેમ કરી શકે છે.
મંદિરમાં પેલા નાગાબાવાના લીંગ જેવાં લાખો લીંગો દૂઘથી ઘોવાય છે….તેને સ્નાન કરાવાય છે..તે દૂઘ નથી પીતાં.( લીગ પાણી પીઅે તો દૂઘ કેમ નહિ ? દૂઘ તો શક્તિવર્ઘક છે. )..આ લીગોને ઘોવા માટે વપરાયેલું દૂઘ કેટલાં ગરીબ બાળકોના પેટની અગ્નિ ઠારે તેની ગણત્રી કોઇઅે કરી છે ? સ્ત્રીઓ પણ સાડીનો કછોટો મારી લીગની પૂજા કરે છે…શા માટે…જવાબ મળશે…શ્રઘ્ઘા….૨૧મી સદી અને લીંગને દૂઘથી ઘોવાની શ્રઘ્ઘ્ા ???????????????????????????????????????શ્રઘ્ઘા નહિ….અભણતા અને અજ્ઞાનતા અને તે બેનું બાળક….અંઘશ્રઘ્ઘા.
૨૧મી સદીમાં જીવતાં આપણે નાગા બાવાઓના ……….ચમત્કારો ઉપર ચર્ચા કરીઅે છીઅે કારણ કે આપણી વચ્ચે આજે પણ નાગા બાવાઓ જેવી વ્યક્તિઓ પોતાના રોટલાં સેકે છે. તેનો અર્થ અે થયો કે આજે પણ આપણી વચ્ચે અભણ અને અજ્ઞાનીઓ જીવી રહ્યા છે.
મોક્ષની વાત. બળેલો દેહ કે જમીનમાં દટાયેલો દેહ ….પહેલાની બળેલી રાખ અને બીજાનું શરીર….‘ માટી સે આયા ઓર માટીમે મીલ જાયેગા‘ શીવાય બીજું કોઇ ઘર કોઇઅે જોયુ નથી. કોઇઅે જોયુ હોય તો સાબિતિ સાથે મને પણ ત્યાં લઇ જાય.
ગઇકાલે ગોલ્ડન ગ્લોબ અેવોર્ડમાં જગપ્રસિઘ્ઘ ઓપરા વિનફ્રેઅે અેક વાત કહી….સત્ય અેક અેવી મહાન શક્તિ છે જેને કોઇ મહાત કરી શકે નહિ….ગાંઘીજીઅે પોતાની આત્મકથાનું નામ આપેલું…‘ મારા સત્યના પ્રયોગો…‘
સત્ય જાણતા હોઇઅે પછી પણ પોતાની જાતને છેતરનારાઓ પણ આપણી વચ્ચે …શાહમૃગની જીંદગી જીવતાં હોય છે.
સાઘુઓ, કથાકારો, ઘર્માઘિકારો…જો પોતાની જાતને સાચી રીતે …ઇનટરોસ્પેક્ટ ( આત્મદર્શન ) કરશે …સાચી રીતે ત્યારે સમાજમાં સુખ આવશે.
અભણતા અને અજ્ઞાનતા દૂર કરવાના પગલાં ભરવા અેજ ઉકેલ છે.
અમૃત હઝારી.
* આ મારા વિચારો છે. મારે માટે જ છે. ચર્ચા…અહિ અભિવ્યક્તિ ઉપર લખાણમાં જ કરવાં વિનંતિ છે.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 2 people
khabar nathi aa bavaomaathi hindustan kyare chhutashe ?
LikeLiked by 1 person
એક જૈનમુનીએ કહેલું : ‘અમારા ધર્મમાં લોકો ચાલ ચાલ બહુ કરે છે; પણ ચાલવાથી જો મોક્ષ મળતો હોય તો આપણાં કરતાં બળદને પહેલા મોક્ષ મળે!
કેટલી સાચી વાત કહી દીધી આ જૈન મુનીએ ! આખા લેખનો સાર આ વાક્યોમાં આવી ગયો !
LikeLiked by 1 person
Super
LikeLiked by 1 person