ભુત, ભુવાને ડાકલાં!

ભુત, ભુવાને ડાકલાં!

–રમેશ સવાણી

“પુષ્પા દેવી! આજે મેં ભુત જોયું!”

“તમે તો કહો છો કે ભુત, પ્રેત, પલીત, ડાકણ, ચુડેલ, ઝંડ, ઝોડ જેવું કંઈ હોતું નથી!”

“પુષ્પાદેવી! કદાચ ચીત્તભ્રમ (સીઝોફેનીયા) હોય!”

“તમે જે ભુત જોયું તેનું વર્ણન તો કરો. કેવું હતું એ?”

“એ ભુત પન્દરેક ફુટ ઉંચું હતું! તેનો આકર માણસ જેવો હતો. ભુત મોઢું ખોલે ત્યારે આગનો ગોળો નીકળે! થોડીવાર આગ દેખાય અને પછી અલોપ થઈ જાય! વારંવાર આવું દેખાતું હતું. ભુત નજીક આવે છતાં ચાલવાનો અવાજ ન સમ્ભળાય! ડાકલાંને બદલે નાનીનાની ઘુઘરીઓનો અવાજ આવે! હું ડરી ગયો. થોડીવાર રસ્તાની બાજુમાં આંકડાની પાછળ છુપાઈ ગયો. ભુત પસાર થઈ ગયું. અન્ધારું હતું એટલે ભુત બરાબર દેખાયું નહીં!”

“ભુત રાત્રે જ કેમ દેખાય છે? દીવસે કેમ નહીં? ભુત અને અન્ધકારને કોઈ સમ્બન્ધ છે?”

પુષ્પાદેવી! તમારો પ્રશ્ન સવા લાખનો છે! ચીત્તભ્રમ, દૃષ્ટીભ્રમના કારણે કદાચ મને ભુત દેખાયું હોય! વાસ્તવમાં ભુત હોય જ નહીં, એવું પણ બને! આવતી કાલે વહેલી સવારે ચાલવા જઈશ ત્યારે ખાતરી કરીશ કે ભુત છે કે નહીં?”

“મને એ કહો કે તમને જે ભુત દેખાયું તે સ્થળે શું છે? પીપળો છે? સ્મશાન છે?”

“પુષ્પાદેવી! રોડની એક બાજુ સ્મશાન છે અને બીજી બાજુ કબ્રસ્તાન છે!”

“બરાબર છે, ત્યાં ભુત જોવા મળે જ! ત્યાં ભુત જોવા માટે આપણું મગજ તૈયાર થઈ જાય છે! કોઈને મન્દીરમાં ભુત દેખાતું નથી! કેમકે ત્યાં ભુત જોવા આપણું મગજ તૈયાર થતું જ નથી! તમે કલ્પનાનું ભુત જોઈને આવ્યા છો! તમારા ચહેરા ઉપરથી પરસેવો નીતરે છે એને લુંછી નાખો. મનમાંથી ડર કાઢી નાખો! ભુવા ખોટા છે, તેવું તમે જાહેર કાર્યક્રમોમાં કહો છો, અને તમે પોતે જ ભુવા જેવી વાતો કરો છો!”

ચતુરભાઈ ચૌહાણ (ઉમ્મર : 24) સમસમી ગયા. પત્ની પુષ્પદેવીનાં શબ્દો ‘ભુવા જેવી વાત કરો છો’ ચતુરભાઈને ખટક્યા! પાલીતાણા ટેલીફોન વીભાગમાં ચતુરભાઈ જોડાયા તેને છ મહીના થયા હતા. શીક્ષક સોસાયટી પાછળ ભાડાના મકાનમાં રહેતા હતા. ચતુરભાઈ વીસ કીલોમીટર તેજ ચાલની સ્પર્ધામાં ભાગ લેતા. તેજ ચાલ તેમનો માનીતો શોખ. તેજ ચાલની પ્રેકીટસ માટે રોજ વહેલી સવારે ઉઠી પાલીતાણાથી રતનપુર તરફના રોડ ઉપર ચાલવા જતા. ચતુરભાઈ(સેલફોન : 98982 16029) રૅશનાલીસ્ટ હતા. અન્ધશ્રદ્ધામાં બીલકુલ માનતા ન હતા. ચમત્કારમાં માનતા નહીં. તેઓ દૃઢ પણે માનતા કે ચમત્કાર ઈશ્વર પણ ન કરી શકે! ચમત્કાર કરનાર પાખંડી જ હોય છે!

બીજા દીવસે વહેલી સવારે ઉઠીને, ચતુરભાઈ ચાલવા ગયા. શીયાળાની ઠંડી હતી. પરત આવ્યા ત્યારે તે પરસેવાથી રેબઝેબ હતા. પુષ્પાદેવીએ પુછ્યું : “શું થયું? તમારા ચહેરા ઉપર ગભરાટ કેમ છે?”

“પુષ્પાદેવી! ખરેખર ચમત્કાર થયો! આજે મેં ફરી ભુત જોયું!”

“કેવું હતું ભુત!”

“કાલે જોયું હતું એવું જ! મોઢામાંથી આગના ગોળા નીકળતા હતા! નજીક આવે તો પણ એના પગનો સહેજ પણ અવાજ ન સંભળાય!”

“ભુત, રૅશનાલીસ્ટની પરીક્ષા કરી રહ્યું છે!”

“પુષ્પાદેવી! એવું જ લાગે છે!”

“તમારો ગભરાટ જોતા તમને ભુવા પાસે લઈ જવા પડશે!”

પુષ્પાદેવી! ભુત, ભુવા ને ડાકલાં, એ તો તુતે તુત! વળગે છે વસુંધા વીશે, ભોળા જનને ભુત!

“તમને ભુત વળગ્યું છે?”

“ના!”

“તો શા માટે ગભરાવ છો? આટલો પરસેવો કેમ વળે છે?”

“પુષ્પાદેવી! હું માણસ છું! ડર તો લાગે ને! કુદરતે જ આપણા મગજમાં બીકનું તત્ત્વ મુક્યું છે, એટલા માટે જ આપણે આગમાં કુદી પડતા નથી, રેલવેના પાટા ઉપર સુતા નથી, દસમા માળેથી કુદકો મારતા નથી! સ્ટીમર ઉપરથી દરીયામાં છલાંગ લગાવતા નથી! કાયદાથી આપણે ડરીએ છીએ. ડર તો રચનાત્મક છે!”

“વધુ પડતો ડર ક્યારેક છાતીનું પાટીયું પણ બેસાડી દે! તેજ ચાલની પ્રેકીટસ કાલથી બન્ધ! જો ચાલવા જવું જ હોય તો રતનપરવાળા રોડે નહીં, શેત્રુંજી ડેમવાળા રોડે જાવ!”

“પુષ્પદેવી! મને ડર લાગે છે; પણ હું ડરપોક નથી! ગઈકાલે ભુત જોયું હતું; છતાં આજે એ જગ્યાએ જ ગયો! આવતી કાલે પણ હું રતનપરવાળા રોડ ઉપર જ ચાલવા જવાનો છું!”

“મને કોઈ વાંધો નથી; પરન્તુ કલાક સુધી તમારો પરસેવો સુકાતો નથી!”

ત્રીજા દીવસે, તારીખ 29 ડીસેમ્બર, 1968ને રવીવારના રોજ હીમ્મત એકઠી કરી ચતુરભાઈ વહેલી સવારે રતનપરવાળા રોડે ચાલવા નીકળ્યા. રોડની એક બાજુ સ્મશાન અને બીજી બાજુ કબ્રસ્તાન! પવનના સુસવાટા ચાલુ હતા. ઠંડી હતી. અન્ધારું હતું.

ચતુરભાઈના મનમાં વીચારો ઉમટ્યા : “ભુત, પ્રેત, માતાજી, ઈશ્વર વગેરે કલ્પનાની જરુરીયાત માણસને કેમ પડી? ઈશ્વરની કલ્પના માણસની દુર્બળતા અને તેના બૌધ્ધીક વીકાસમાંથી ઉત્પન્ન થઈ છે! દુર્બળતાની સાથે કલ્પના કે તર્ક કરવાની શક્તી માણસમાં ન હોત તો તેને ઈશ્વરની કલ્પના સુઝી ન હોત. પશુપક્ષી દુર્બળ છે, તોય તેમનામાં ઈશ્વર વીશેની કલ્પના નથી. મનુષ્ય ઉપર આવી પડનારા દુઃખ, સંકટ, મુશ્કેલીઓ અને આપત્તીના નીવારણ માટે, તેની સુરક્ષા માટે, તેમ જ તેમની કામના, ઈચ્છા વગેરેની પુર્તી માટે અને સુખની સ્થીરતા માટે તેને કોઈ ને કોઈ દીવ્ય અને મહાન શક્તી વીશેની શ્રદ્ધાનો આધાર લેવો પડે છે. દાર્શનીકો, તત્ત્વજ્ઞો, વીચારકો, ચીકીત્સકો કે નાસ્તીકો ઈશ્વર નથી તેમ સીધ્ધ કરી બતાવે તોય જ્યાં સુધી મનુષ્ય જે સ્થીતીમાં છે ત્યાં સુધી કોઈ ને કોઈ સ્વરુપમાં તેને ઈશ્વરવીષયક કલ્પનાની જરુર પડશે. જીવનના દરેક દુઃખનો નાશ કરવાનો ઉપાય માણસના હાથમાં નથી, સુખ કાયમ ટકવાનો આધાર માણસના પુરુષાર્થ ઉપર નથી; પણ પોતાના કાબુમાં નહીં એવા બહારના અનેક બાહ્ય સંજોગો ઉપર છે, એમ માણસને લાગે છે, ત્યાં સુધી માણસને કોઈપણ મહાન આલમ્બનની જરુર લાગ્યા કરશે! જે લોકો સુખદુઃખની પાર ગયા હોય, જે દરેક બાબતમાં પોતાના સામર્થ્ય ઉપર આધાર રાખવા જેટલા સમર્થ બન્યા હોય, એવા થોડાને છોડી દઈએ તો બાકી આખા મનુષ્ય સમાજને ઈશ્વરવીષયક કલ્પનાની જરુર છે! સાવ અજ્ઞાનીથી લઈને વીદ્વાન સુધી, રંકથી માંડીને ધનીક સુધી, બધાને ઈશ્વરભાવનાની જરુર છે!”

ચતુરભાઈનો વીચારપ્રવાહ અટક્યો. તેણે આંખો ચોળી. માથું આમ તેમ કર્યું. પોતે સ્વપ્નમાં નથી ને, તેની ખાતરી કરી. સામેથી પન્દર ફુટ ઉંચો કાળોકાળો માનવ આકાર આવી રહ્યો હતો. તે મોઢું ખોલે ત્યારે આગનો ગોળો નીકળતો હતો. તેના પગનો અવાજ આવતો ન હતો. ડાકલાંની જગ્યાએ ઘુઘરીઓ રણકતી હતી! એ આકાર નજીકને નજીક આવી રહ્યો હતો. આગનો ગોળો થોડીવાર દેખાય અને પછી અલોપ થઈ જતો હતો! ચતુરભાઈ ભયથી ગભરાયા. કડકડતી ઠંડીમાં પરસેવો છુટી ગયો. સામે ભુત છે જ એ નક્કી થયું. ભુત, પ્રેમ, જીનાત દૃષ્ટીભ્રમ નથી, તેની ખાતરી થઈ!

ચતુરભાઈએ હાથમાં પથ્થર લઈ, રોડની બાજુમાં આંકડા પાછળ છુપાઈ ગયા. ભય લાગતો હતો; પણ ભુતને નજીકથી જોવાની, અને તેનું પગેરું મેળવવાની ઈચ્છા પણ હતી! આ સ્થીતીમાં ઈશ્વરવીષયક કલ્પનાની કેવી જરુરીયાત છે, તેનો ચતુરભાઈને ખ્યાલ આવ્યો!

કાળો અને ઉંચો માનવ આકાર નજીક આવી રહ્યો હતો. ચતુરભાઈએ થોડીવાર ભયથી આંખો બંધ કરી દીધી. ભુત પોતાનું ગળું દબાવી દેશે, એ ભયને કારણે તેણે આંખો ખોલી. જોયું તો ઉંટ ઉપર કાળો ધાબળો ઓઢીને એક ખેડુત ચલમ પીતોપીતો જઈ રહ્યો હતો! ચતુરભાઈને આખી સ્થીતી સમજાઈ ગઈ. ચલમનો ભડકો દેખાતો હતો અને ઉંટના પગના તળીયે ગાદી હોવાથી ચાલવાનો અવાજ આવતો ન હતો. ઉંટના પગે ઘુઘરીઓ હતી તે રણકતી હતી!

“ભઈલા! તેં તો ભારે કરી!” ચતુરભાઈ બોલી ઉઠ્યા.

એ સમયે ઉંટ ઉપર બેઠેલો ખેડુત નીચે પટકાયો અને એનો અવાજ ફાટી ગયો : “ઓહ માડી રે! ભુત! બચાવો!”

ઉંટ ઉપર ચલમનો અગ્ની પડતા ઉંટ ભાગ્યું. ખેડુતને થયું, ઉંટને પણ ભુત દેખાયું છે! ખેડુતે ફરી બુમ પાડી : “ઓહ માડી રે! માતાજી બચાવો!”

ચતુરભાઈએ ખેડુતને કહ્યું : “ભઈલા! હું ભુત નથી! હું તો ચાલવા નીકળ્યો છું. તને ઉંટ ઉપર જોઈને મને ત્રણ દીવસથી પરસેવો વળી જતો હતો! કપડાં ખંખેરી ઉભો થઈ જા!”

ખેડુતે પરસેવો લુંછ્યો અને કહ્યું : “આપણે એકબીજાને ભુત સમજી બેઠા! બન્ને પરસેવાથી રેબઝેબ થઈ ગયા! તમે સારું કર્યું કે ખુલાસો કર્યો. તમારો આભાર માનું તેટલો ઓછો! તમે ખુલાસો ન કર્યો હોત તો ભુત, ભુવા અને ડાકલાં પાછળ હું ખુવાર થઈ જાત! કેટલીય બીમારી ભોગવત અને દસ વર્ષની કમાણી ખર્ચી નાખત!”

ચતુરભાઈ ઘેર પહોંચ્યા ત્યારે પુષ્પાદેવીએ પુછ્યું : “આજે તમારા ચહેરા ઉપર પરસેવો કેમ નથી? તમે ખુશ છો, એનું કારણ?”

“પુષ્પાદેવી! મેં ભુતનું પગેરું મેળવી લીધું! એક ખેડુતને આજે ભુતના વળગાડમાંથી છોડાવ્યો?”

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’ (14, સપ્ટેમ્બર, 2016)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, 10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile : 99099 26267  e.Mail : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   –મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 12–01–2018

 

8 Comments

  1. ઈશ્વર વિષયક વિચારો બહુ ગમ્યા અને છેલ્લે હસવું પણ ખૂબ આવ્યું આવી બાબતો માં મોટાભાગે આવો દૃષ્ટી ભ્રમ જ હોય છે

    Liked by 1 person

  2. rameshbhai has interwoven this story so nicely with giving views of God creation by human beaing..and at last given Pageru of bhut- on unta – khedut with chilam
    grt thx

    Liked by 1 person

  3. કંઈક આને મળતો અનુભવ મને વર્ષો પહેલાં કદાચ 1965-66ના અરસામાં દેશમાં થયેલો. બે ગામ વચ્ચે ખારપાટની જમીન , દુર એ બે ગામોની વચ્ચે ક્યાંક અગ્નીનો ભડકો અને એની આસપાસ ગોળ ગોળ કોઈ મનુષ્યાકૃતી નૃત્ય કરતી દેખાય. દરરોજ મળસ્કે લગભગ એક જ સમયે આ જોવામાં આવતું હતું. વધુ અંતરને કારણે કોણ હશે તે કળી શકાતું ન હતું. આબેહુબ ભુત જ હોય એવું લાગતું હતું. હું તે સમયે પણ ભુતમાં માનતો નહીં, આથી શું હશે તે જાણવા સતત એ સમયે કેટલાક દીવસ જવાનું ચાલુ રાખ્યું. એક દીવસ ખ્યાલ આવ્યો કે કોઈ સાઈકલ પર દુરના રસ્તા પર જતું હતું. અંધારાને લીધે તથા અંતર વધુ હોવાના કારણે રસ્તો ત્યાં હશે એનો ખ્યાલ આવતો ન હતો. સાઈકલનો ડાયનેમો અગ્નીની જ્વાળા જેવો લાગતો હતો અને ફરતું પેડલ અગ્નીની આસપાસ કોઈ નૃત્ય કરતું હોય એવો ભાસ પેદા કરતું હતું.

    Liked by 1 person

  4. ભયભંજક વ્રુત્તિ, હિમ્મત અને આત્મવિશ્વાસ ભૂતની કલ્પનાને ભૂતકાળ બનાવી શકે છે.

    Liked by 1 person

  5. ગુજરાતી ની ઍક કહેવત છે: “મંચ્છા ભુત અને શંકા ડાકાણ”.

    પાખંડી ભુવાઓના કહેવા અનુસાર હિંદુઓમાં “ભુત” વળગે છે, તેમ પાખંડી મુલ્લાઓ, બાબાઓ, પીરો વગેરે ના કહેવા અનુસાર મુસ્લિમોને “જિન્નાત” વળગે છે, અને તે જ અનુસાર ખ્રિસ્તીઓમાં “ઘોસ્ટ” જ વળગતું હશે. આ છે અન્ધ્શ્રદ્ધાળુઑ પાસેથી નાણા કઢાવવાનો નુસ્ખો, જેમાં. આવા પાખંડીઑને ઘીકેળા થાય છે.

    પ્રશ્ન ઍ ઉભો થાય છે કે બીજા ધર્મો જેવા કે જૈન, પારસી, શીખ, બુદ્ધ, યહુદી ધર્મમાં કોણ વળગતું હશે? કોઈ વાંચક આ વિષે પ્રકાશ પાડશે ?

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

Leave a comment