અજીબ દાસ્તાં હૈ યે, કહાં શુરુ કહાં ખતમ!
– રમેશ સવાણી
રેખા (ઉમ્મર : 24) સ્વરુપવાન, હસમુખી અને તન્દુરસ્ત હતી. તેનો પતી રામજી (ઉમ્મર : 25) રેખાને બહુ ચાહતો હતો. બન્ને અમદાવાદના દરીયાપુર, વાડીગામ વીસ્તારમાં રહેતાં હતાં. રામજી દરજીકામ કરતો. રેખાનું આ બીજું લગ્ન હતું. રામજીનું પણ આ બીજું લગ્ન હતું. પ્રથમ પત્નીને દસ હજાર રુપીયા આપી રામજીએ છુટાછેડા લીધા હતા.
રામજીને એક બહેન હતી. તેનું નામ મંજુ. તે પ્રથમ લગ્ન પછી વીધવા થયેલી. મંજુનું બીજું લગ્ન અડાલજમાં રહેતા મગનલાલ સાથે થયું હતું.
રેખા અને રામજીના લગ્ન બીજી ફેબ્રુઆરી, 1982નાં રોજ થયા હતા, પરન્તુ છ મહીના પછી રેખા અને રામજી ઉપર આફત આવી પડી!
રેખા સવારે ઉઠી. રામજી ઘસઘસાટ ઉંઘતો હતો. રેખાએ ઓશીકા નીચે જોયું તો એ ચીસ પાડી ઉઠી. રામજીની ઉંઘ ઉડી ગઈ. રામજીએ કહ્યું : “ડાર્લીંગ! શું થયું?”
“જુઓ, મારા ઓશીકા નીચે કાળા દોરા છે, અડદના દાણા છે! ચીઠ્ઠી છે. ચીઠ્ઠીમાં લખ્યું છે. રેખા! તું મરી જવાની છો!”
“રેખા! કોઈ કાવતરાખોરે મેલીવીધા કરી છે! કોઈ મેલા માણસે, મેલી મુરાદ માટે આવું કર્યું હશે! રેખા! તું ગભરાઈ ન જા. ચીંતા ન કર. આપણે ભુવા પાસે જઈને મેલા માણસને પાઠ ભણાવીશું! હમણાં તું કોઈને આ વાત કરતી નહીં.”
બીજા દીવસે રેખાએ ઉઠીને ઓશીકા નીચે જોયું. એની આંખો ફાટી ગઈ. ચોખાના દાણા અને કંકુ પડ્યું હતું! ચીઠ્ઠી પણ હતી. ચીઠ્ઠીમાં લખ્યું હતું : રેખા! તું જીવતી રહેવાની નથી!
રેખા અને રામજી ભુવા પાસે પહોંચ્યાં. ભુવાએ જારના દાણા હાથમાં લીધા. ત્રણ–ચાર ફુંક મારી. માતાજીના નામ લીધાં અને દાણા પટમાં ફેંકાયા. દાણાની ગણતરી કરી. ભુવાએ જાહેર કર્યું : “રેખાબેન! ‘મ’અક્ષરથી નામ શરુ થાય છે, એનું આ કરતુત છે. ‘મ’વાળો માણસ મેલી મુરાદ ધરાવે છે. એનો ડોળો તમારા રુપ ઉપર છે! ચેતજો!”
રેખાએ પુછ્યું : “ભુવાજી! ‘મ’અક્ષરનો માણસ એટલે?”
“મગનલાલ! માણેકલાલ! મનસુખ!”
રામજીને કહ્યું : “રેખા! મગનલાલે મેલીવીદ્યા કરી હોય તેવું લાગે છે!”
“પણ એ શા માટે આવું કરે? એ તો તમારી બહેન મંજુના પતી છે! મગનલાલને હું પણ સારી રીતે ઓળખું છું. એ સાદા અને સરળ માણસ છે!”
“રેખા! સાદા–સરળ માણસો જ ઉંડા અને અઘરા હોય છે. પેટમેલા હોય છે!”
રેખાએ ભુવાજીને પુછ્યું : “ભુવાજી! તમને શું લાગે છે?”
ભુવાજી ફીલ્મી ગીતોનો રસીયો હતો. તેણે કહ્યું : “અજીબ દાસ્તાં હૈ યે, કહાં શુરુ કહાં ખતમ, યે મંઝીલે હૈ કૌન સી, ન વો સમજ શકે ન હમ!”
“એટલે તમે કંઈ જાણી–જણાવી શક્તા નથી? ભુવાજી! તો દાણા શા માટે જુઓ છો?”
“રેખાબેન! ભુવો કોઈ ચમત્કાર કરતો નથી! અમે તો માની લીધેલા રોગોની સારવાર કરીએ છીએ. રોગ ખોટો હોય તો સાચી દવા ન ચાલે! દવા પણ ખોટી જ હોવી જોઈએ! આ કામ અમે કરીએ છીએ!”
“એટલે અમારી સમસ્યા ખોટી છે, એમ તમે કહેવા માંગો છો?”
“ના, રેખાબેન ના! તમારી સમસ્યા સાચી છે. સમસ્યાનું સર્જન કરનાર ખોટો છે! એની વીધી હું કરી આપીશ. તમે ચીંતા ન કરો!”
રેખા અને રામજી ઘેર આવ્યાં. રેખાના હૈયામાં ડર ઘુસી ગયો હતો. રેખાએ કેટલાંક માતાજીઓને યાદ કર્યા. માનતાઓ માની, ઉપવાસ શરુ કર્યા પણ પરીણામ ન મળ્યું! ત્રણ મહીના પછી રેખાના ઓશીકા હેઠળથી કાળાવાળ અને ભભુતી નીકળી! ચીઠ્ઠી પણ હતી. તેમાં લખ્યું હતું : રેખા! તું છટકી શકવાની નથી!
રેખા હવે વીચારતી થઈ કે મગનલાલ જ આ કાવતરું કરતો હોવો જોઈએ. રેખાનું મન ભારે થઈ ગયું. મગનલાલ પ્રત્યે અણગમો થવા લાગ્યો. રેખાએ રામજીને કહ્યું : “આ મગનલાલ મેલો લાગે છે!”
“ડાર્લીંગ! મારું પણ એવું જ અનુમાન છે! ચીંતા ન કર. ભુવાજી ઉપાય કરશે!”
બીજા અગીયાર મહીના થયા. એક દીવસ રેખાના ઓશીકા હેઠળથી અડદના દાણા અને કંકુ મળી આવ્યું! ચીઠ્ઠી પણ હતી. તેમાં લખ્યું હતું : રેખા! તારું મૃત્યુ નક્કી છે! તમારા ઘરમાં નાની બેગ છે તે ખોલીને જો. પૈસા ગુમ હશે!
રેખા અને રામજીએ તરત જ બેગ ખોલી. બેગમાંથી પૈસા ગુમ હતા! બન્ને ભુવા પાસે પહોંચ્યાં. રેખાએ કહ્યું : “ભુવાજી! અજીબ દાસ્તાં હૈ યે! કંઈક વીધી કરો!”
ભુવાજીએ આંખો બન્ધ કરી. મન્ત્રોચ્ચાર કર્યા. ધુપ કર્યા. શરીરમાં ધ્રુજારી ભરી. પછી કહ્યું : “રેખાબેન! વીધી અઘરી છે! કરશો ને?”
“ભુવાજી! મને મારું મૃત્યુ સામે દેખાય છે! હું ભયભીત થઈ ગઈ છું. હું ઉંઘી શક્તી નથી! સ્વપ્નાઓ ભયંકર આવે છે! મારું જીવવું હરામ થઈ ગયું છે. તમે જે કહેશો તે કરવા હું તૈયાર છું!”
“રેખાબેન! તમે અને રામજી બન્ને કાળી ચૌદશના દીવસે ઘર છોડી દેજો. નહીં તો તમારા બન્નેના મૃત્યુ થશે! તે દીવસે બહાર જતા રહેજો અને આખો દીવસ તમારે બન્નેને દીગમ્બર અવસ્થામાં રહેવું પડશે!”
ભુવાજીની સલાહ મુજબ કાળી ચૌદશના દીવસે રેખા અને રામજી ડાકોર ગયા. ધર્મશાળામાં રોકાયા. આખો દીવસ વસ્ત્રવીહીન દશામાં બન્ને રહ્યા; પણ ત્યાં ચમત્કાર થયો. રેખાના ઓશીકા હેઠળથી અડદના દાણા નીકળ્યા અને ચીઠ્ઠી મળી : ચીઠ્ઠીમાં લખ્યું હતું : રેખા! હવે તું થોડાં દીવસ જ જીવવાની છો!
રેખા અને રામજી અમદાવાદ પરત આવ્યા. બન્ને દીલ્હી ચકલાની બેંક ઓફ બરોડામાં ગયા. લોકર ખોલીને જોયું તો દાગીના ગુમ! રામજીએ કહ્યું : “ડાર્લીંગ! મગનલાલ આપણી પાછળ પડ્યો છે! આ કેવી મેલીવીધા! લોકરમાંથી દાગીના પણ ઉઠાવી ગયાં!”
બન્ને તરત જ દરીયાપુર પોલીસ સ્ટેશને પહોંચ્યાં. મગનલાલના કરતુતો અંગે અરજી આપી. પોલીસ મુંઝાણી. પોલીસે કહ્યું : “અજીબ દાસ્તાં હૈ યે!”
વળતા દીવસે સવારે રેખાએ ઉઠીને ઓશીકા નીચે જોયું તો ચીઠ્ઠી પડી હતી. ચીઠ્ઠીમાં લખ્યું હતું : “રેખા! તેં પોલીસને અરજી આપી છે, પણ મને કશુંય થવાનું નથી!”
હવે રેખાને પાક્કી ખાતરી થઈ ગઈ કે આ કામ મગનલાલનું જ છે! પણ રેખાને એ સમજાતું ન હતું કે મનગલાલ આવા તુત કેમ કરે છે? શું હેતુ છે એનો? વળી મગનલાલ કોના મારફતે ઓશીકા નીચે આ બધી વસ્તુઓ મુકાવે છે? આ મેલીવીદ્યા કરનાર કોણ છે?
આવી સ્થીતીમાં બીજા ત્રણ વર્ષ પસાર થઈ ગયા. તારીખ 19 ડીસેમ્બર, 1985ના રોજ આ કીસ્સો એક અખબારમાં ચમક્યો!
‘ચમત્કાર ચકાસણી કેન્દ્ર’, પાલીતાણાના ચતુરભાઈ ચૌહાણે (ફોન : 98982 16029) આખો કીસ્સો વાંચ્યો અને અમદાવાદ પહોંચ્યા. તેમની સાથે હતા, ‘માનસ પ્રદુષણ નીવારણ કેન્દ્ર’, જોરાવરનગરના જમનાદાસ કોટેચા અને અનીરુધ્ધ શુકલ.
ચતુરભાઈએ કહ્યું : “રેખાબેન! અમે મેલીવીદ્યા કરનારને સીધો કરવા માંગીએ છીએ. એને ખુલ્લો કરવા ઈચ્છીએ છીએ!”
“ચતુરભાઈ! અમારી પણ એવી જ તમન્ના છે!”
“રેખાબેન! તમારા ઓશીકા નીચે જે ચીઠ્ઠીઓ મુકવામાં આવી છે, એ અમને બતાવશો?”
“હા, હા, કેમ નહીં?” રામજીએ સાચવીને મુકેલી બધી ચીઠ્ઠીઓ રજુ કરી.
ચતુરભાઈએ દરેક ચીઠ્ઠી તપાસી. દરેકમાં અક્ષર સરખા હતા. ચીઠ્ઠીનો કાગળ સરખો જ હતો.
રેખાએ કહ્યું : “ચતુરભાઈ! હું ત્રાસી ગઈ છું. આવી રંજાડથી! આપઘાત કરવાના વીચારો આવે છે! મારા પીતા અને પતીની આબરુની બીકે નથી કરતી! મારા પતી મને બહુ ચાહે છે, એટલે જીવું છું!”
ચતુરભાઈએ રામજીને પુછ્યું : “તમારી બેગમાંથી કેટલી વખત પૈસા ગુમ થઈ ગયા હશે?”
“દસ બાર વખત!”
“કોઈ ચોક્કસ બેગમાંથી જ પૈસા ગુમ થતા હતા?”
“હા, ચતુરભાઈ! આ નાની બેગમાં હું પૈસા રાખતો. ઓશીકા નીચેથી નીકળેલી ચીઠ્ઠીઓ પણ તેમાં રાખતો હતો.”
“રામજીભાઈ! આ નાની બેગ કેમ ગુમ ન થઈ?”
રામજી પાસે એનો જવાબ ન હતો. રેખાએ કહ્યું : “ચતુરભાઈ! તમારો સવાલ આંખ ઉઘાડનારો છે!”
“રેખાબેન! તમારા ઘરમાં જ મેલીવીધા થાય છે તેવું નથી. તમે ડાકોર ગયા ત્યાં પણ તમારા ઓશીકા નીચેથી.”
“ચતુરભાઈ! હું અને મારા પતી સાથે રહીએ તે કોઈ જોઈ શક્તું નથી! ઈર્ષાથી બળે છે!” આવો ઈર્ષાળુ કોણ હશે?”
“રેખાબેન! એની જાણ તમારા પતીને છે!”
“એ કેવી રીતે બને?”
“જુઓ રેખાબેન! એ માટે અમારે રામજી ભાઈની એકાંતમાં પુછપરછ કરવી પડે! તમે થોડો સમય મન્દીરે દર્શન કરવા જતા રહો. બરાબર દર્શન કરજો!” ચમત્કાર થશે તેની ખાત્રી આપું છું!”
રેખા તરત જ મન્દીરે દર્શન કરવા રવાના થઈ.
ચતુરભાઈએ પુછ્યું : “રામજીભાઈ! સાચું બોલવું છે કે આ ચીઠ્ઠીઓ એફ.એસ.એલ.માં તપાસ માટે મોકલાવું? કોના હસ્તાક્ષર છે, એની તપાસ થશે! ડાબા હાથના અને જમણા હાથના લખાણના નમુના લેવાશે. ભાંડો ફુટશે!”
“ચતુરભાઈ! તમે રેખાને ન કહો તો સાચી વાત કરું!”
“રામજીભાઈ! એટલા માટે તો અમે રેખાબેનને મન્દીરે મોકલી છે!”
“ચતુરભાઈ! ઓશીકા નીચે અડદના દાણા, ચોખાના દાણા, કંકુ, દોરાધાગા અને ચીઠ્ઠી હું જ મુકતો હતો! પૈસા હું જ વાપરી નાખતો હતો!”
“કેમ?”
“મને શક હતો કે રેખાને મગનલાલ પ્રત્યે કુણી લાગણી છે! રેખા, મગનલાલને દીલથી નફરત કરતી રહે, તે માટે મેં આ તુત કરેલું!”
થોડીવાર પછી રેખા મન્દીરેથી પાછી ફરી, પુછ્યું : “ચતુરભાઈ શું થયું? ઉકેલ આવી ગયો? કોણ છે એ પેટમેલો?”
“રેખાબેન! અજીબ દાસ્તાં હૈં યે, કહાં શુરુ કહાં ખતમ! પરન્તુ હવે પછી તમારા ઓશીકા નીચેથી કોઈ વસ્તુ કે ચીઠ્ઠી નહીં નીકળે, તેની ખાતરી આપું છું!”
–રમેશ સવાણી
‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’ (27, જુલાઈ, 2016)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, I.G.P.
10–Jatin Banglo, B/h–Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile: 99099 26267 e.Mail: rjsavani@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 09–02–2018
અહીં ગુજરાતી ની બે કહેવતો પૂરે પૂરી લાગુ પડે છે:
“જ્યારે રક્ષક જ ભક્ષક બને તો ફરિયાદ કોને કરવી?”
“જ્યારે વાડ જ ચીભડા ગળવા લાગે તો ફરિયાદ કોને કરવી?”
કાસીમ અબ્બાસ
LikeLiked by 1 person
હા હા હા હા હા……ચતુર ભાઈ નો જવાબ નથી
LikeLiked by 1 person
Really interesting detective story..what a human psychology !!!
LikeLiked by 1 person
આ મારા જ વિચાર છે અને મારે માટે જ છે.
ઠાકર સાહેબે જે લખ્યુ છે તે જ….સરસ ડીટેક્ટીવ સ્ટોરી છે.
આવી વાતોના ભાંડાં ફોડનાર કેમ અેક કે બે છુટા છવાયા છે ?
સુરતમાં અેક સંસ્થા છે. બીજે પણ છે.
????????????????????????????????
અમૃત હઝારી.
LikeLiked by 1 person
thanking you ,Maru sheb,the illiteracy is the mother of unhappiness!see the
daily news papers,this baba and that baba will do your 100%work?who is
giving the air to this types cases?news paper editors ,giving the advertise
regarding any news ,we are not responsible for the truth about the news!
the reader may please cheaue and use the advertisement?why we not to stop
to all news papers?
LikeLike
“અજીબ દાસ્તાં હૈ યે!”
પેટમેલો પતિ જ પત્ની માટે દુશ્મન બન્યો એ કેવું કહેવાય !
LikeLiked by 1 person
સુજ્ઞ શ્રી રમેશભાઇ, મારા સમજવા પ્રમાણે આપણે ત્યા કોઇ વસ્તુને વૈજ્ઞાનીક રીતે વિચારવાની પ્રથમથી જ ટેવ નથી. એટલે માનસીક અસ્થિર કે હતાશ માણસને માનસશાસ્ત્રીની જરુર હોય એને બદલે ભુવાને ત્યા લઇ જવાય ને તરત વળગાડ ને મેલી વિદ્યા ને નડતરનુ નિદાન થાય. ખાસ કરીને બહેનો જેને નાની ઉંમરમા સાસરે મોકલી દેવાતી. સાવ અજાણ્યા લોકો ને વાતાવરણ ને પાછુ બચપણથી જ સાસુ ને સાસરીનો એવો હાંઉ ઉભો કરી દેવામાં આવ્યો હોય કે છોકરી એ જ દ્રષ્ટિથી જ સાસરી ને સાસુને પુર્વગૃહથી જોતી થઇ જાય. પણ બોલી ના શકે ને મુંઝાય ને પછી આ માનસિક યાતના વળગાડ રુપે બહાર આવે. ખરેખર એક સમયમાં ઘરના લોકોને ડરાવવાનુ આ એક સાધન હતુ.
LikeLiked by 1 person
જેમ વધુ કાયદા ધરાવતું રાષ્ટ્રનું તંત્ર જટિલ હોય છે તેમ અંધશ્રદ્ધા વધુ તેમ સમાજ વધુ દુ:ખી
જુદા જુદા પ્રદેશની અંધશ્રદ્ધા જુદી જુદી. અમેરિકાના દેશવાસીની અંધશ઼્રદ્ધા પણ અનોખી જોવા મળી છે આમ અંધશ્રદ્ધા અપરંપાર છેઉકેલ માટે સમગ્રપણે સાચી કેળવણી જરુરી છે
LikeLiked by 1 person