હા, ચુનો– તમાકુ ખાવાથી આધાશીશી મટી જાય છે…!

24

હા, ચુનો– તમાકુ ખાવાથી આધાશીશી મટી જાય છે…!

                           દીનેશ પાંચાલ

 ‘હું બીટ મારીને કહું છું કે ચુનો તમાકુ ખાવાથી આધાશીશી મટી જાય છે!’ કોઈ વ્‍યસની માણસ આવું કહે તો આપણે હસી કાઢીએ; પણ એક વીજ્ઞાનનો શીક્ષક આવું કહે તો આપણને તમ્‍મર આવી જાય. બચુભાઈએ કહ્યું– ‘માસ્‍તર, થોડી બુદ્ધીની શરમ રાખો. કાલે ઉઠીને તમે કહેશો તમાકુ ખાવાથી કેન્‍સર મટી જાય છે તો અમારે માની લેવુ?’

શીક્ષક હથેળીમાં ચુનો તમાકુ રગળતા હતા. તે હોઠોમાં ગોઠવીને બોલ્‍યા– ‘ન જ માનવું જોઈએ; પણ સોમાંથી નવ્‍વાણુ જણના કેન્‍સર તમાકુ ખાવાથી મટી જતા હોય તો શા માટે ન માનવું? મને વર્ષોથી આધાશીશીની તકલીફ હતી. ઘણા લોકોએ સલાહ આપી– ‘ચુનો તમાકુ ચાલુ કરો… મટી જશે!’ અજમાયશ ખાતર ચાલુ કર્યું અને ખરેખર આધાશીશી મટી ગઈ! આ શંભુભાઈનેય આધાશીશીની તકલીફ હતી. એમણેય ચુનો ચાલુ કર્યો અને આધાશીશી ગાયબ! પુછી લોને તમારી સામે જ બેઠા છે…!’

અમે બધા વીચારમાં પડી ગયા. એ શીક્ષક મીત્ર જુઠુ બોલે એવા નહોતા; પણ બુદ્ધી એ વાત માનવા સાફ ઈન્‍કાર કરતી હતી. ચુનો તમાકુથી આધાશીશી મટે એ વાત અમોને એવી લાગતી હતી જાણે કોઈ કહેતું હોય– ‘ઝેર પીવાથી અમર થઈ જવાય!’ મોડા મોડા અમે એ વાતનું રહસ્‍ય શોધી કાઢ્યું. આ લેખ વાંચી કોઈ આધાશીશીનો દરદી ચુનો તમાકુ ચાલુ ન કરી દે તે માટે એ રહસ્‍ય જણાવી દઉં! અહીં મામલો આખો એક્‍યુપ્રેસરનો છે. એક્‍યુપ્રેસરનો ચાર્ટ જોશો તો તેમાં હથેળીમાં છવ્‍વીશ નમ્બરનો પોઈંટ બતાવવામાં આવ્‍યો છે. હથેળીનો આ પોઈન્‍ટ દીવસમાં ઘણીવાર દબાવવાથી લોહીના દબાણ પર તેની એવી અસર થાય છે જે વડે આધાશીશી, મુત્રાશય અને પથરીના દર્દો મટી શકે છે. અર્થાત્‌ એ શીક્ષક મીત્રની આધાશીશી ચુનો તમાકુ ખાવાથી નહીં; પણ હથેળી મધ્‍યેનો ભાગ દબાવાથી મટી શકી હતી!

અમારા બચુભાઈએ આ રહસ્‍ય પેલા શીક્ષક મીત્રને સમજાવ્‍યું અને કહ્યું– ‘હવે હથેળીમાં ચુનો તમાકુને બદલે ચણાના દાણા રગડશો તોય તમારી આધાશીશી કાબુમાં રહેશે સમજ્‍યાં!’ શીક્ષક મીત્રે થોડા દીવસ પછી કહ્યું– ‘મજા નથી આવતી. ચુના તમાકુની એવી ટેવ પડી ગઈ છે કે હવે તે ખાધા વીના માથુ દુઃખે છે!’ વાત સાચી છે. જો મજા ચુનેમેં હૈ વો ચનેમેં કહાં?

જીવનની ઘણી ઘટનાઓમાં એવા રહસ્‍યો છુપાયા હોય છે કે બુદ્ધીશાળી લોકોનેય તેના સાચા કારણની જાણ થઈ શકતી નથી. ક્‍યારેક તો એવી બાબતો સાવ સામાન્‍ય અને ઘરેલુ હોય છે. એવી બીજી એક નાનકડી ગેરસમજ જોઈએ. અલકેશના આંગણામાં આંબાનું બહુ મોટું ઝાડ હતું. અલકેશ એ આંબો કાપી નાંખવા તૈયાર થયો. કેરી આવતી નહોતી એ કારણ નહોતું; પણ અલકેશનું માનવું હતું કે આંબાને કારણે એટલો પવન આવે છે કે ટીવી એન્‍ટેના વારંવાર એક તરફ ઝુકી જાય છે.

બચુભાઈએ એને સમજાવ્‍યો. ‘આંબાને કારણે પવન વાય છે એમ માનવામાં તારી ભુલ થાય છે. જેમ ઈલેકટ્રીક પંખો પવન ઉત્‍પન્‍ન કરતો નથી, માત્ર હવાને ધકેલે છે. તે રીતે વૃક્ષની ડાળીઓ પણ પવન પેદા કરતી નથી. પવન હવાના અસમાન દબાણને કારણે ઉદ્‌ભવે છે. પવનને કારણે વૃક્ષની ડાળીઓ હાલે છે એથી લોકો એમ માની લે છે કે વૃક્ષને કારણે  પવન આવે છે. વૃક્ષ કેવળ છાંયડો આપી શકે છે– પવન નહીં. તું આંબો કાપી નાખશે તોય પવન ચાલુ રહેશે!’

સાપનું ઝેર ઉતારી આપતા બ્‍લેકસ્‍ટોન વીશે પણ એવી જ ગેરસમજ પ્રવર્તે છે. સાપનું ઝેર એન્‍ટીવેનમ (ઝેર મારણના) ઈંજેક્‍શન સીવાય અન્‍ય કશાથી ઉતરતું નથી; પણ ઘણીવાર બીનઝેરી સાપ કરડ્યો હોય તેવા સંજોગોમાં વ્‍યક્‍તીને ઝેર ચઢ્યું નથી હોતું. કાળો પથ્‍થર સર્પદંશ પર મુકવાથી માણસ બેઠો થઈ જાય છે. એથી એવી ગેરસમજ ઉદ્‌ભવે છે કે પથ્‍થરથી ઝેર ઉતરી ગયું!

માનવજીવન આવા ઘણા રહસ્‍યોથી ભરેલું છે. જે દેખાય છે તે હોતું નથી. હોય છે તે દેખાતું નથી. કોઈના આંગણામાં ઉભેલી મારુતીકાર જોઈ આપણે માની લઈએ છીએ કે માણસ કેટલો સુખી છે! પણ મારુતીકાર માણસની આર્થીક સમૃદ્ધીની સાબીતી હોય શકે– માનસીક શાંતીની નહીં! શક્‍ય છે મારુતીવાળાને રાત્રે ઉંઘની ટીકડી લીધા વીના ઉંઘ ના આવતી હોય અને ફુટપાથ પર સુનારાઓની એક જ પડખે સવાર થઈ જતી હોય!

આપણે સૌ એ નીહાળીએ છીએ કે લોકોના વધ્‍યાં ઘટયાં ધાન ખાઈને જીવતા ભીખારીના છોકરાં પથ્‍થર જેવાં મજબુત હોય છે અને રોજ ફળોના જ્‍યુસ પીતા અમીરોના દીકરાઓ સાવ માયકાંગલા! કારણ ગમે તે હોય પણ એટલું નક્કી કે સુખ ક્‍યારેક એરકન્‍ડીશન્‍ડ બંગલા કરતાં ઝુંપડામાં વધુ માત્રામાં હોય છે!

વડાપ્રધાનની પત્‍ની સ્‍વમુખે કહે કે તે દુઃખી છે તો આપણે તે ઝટ સ્‍વીકારી શકીએ નહીં! મહાન લેખક ટૉલ્‍સટૉયની પત્‍ની દુઃખી હતી એ સત્‍ય પુસ્‍તકમાં વાંચીએ છીએ ત્‍યારે સાચુ માનવાનું મન થતું નથી. જીવનભર અહીંસામાં માનતા ગાંધીજીએ પણ કસ્‍તુરબાને રીબાવ્‍યા હતા. એક ત્રાજવામાં ટાટા–બીરલાની પત્‍નીના ગળાનો કીમતી હાર મુકો અને બીજા ત્રાજવામાં કોઈ દાતણ વેચનારીના વાળમાં ખોસેલું ગલગોટાનું ફુલ મુકો. જો ગલગોટાવાળું પલ્લું નમી જાય તો મને આશ્ચર્ય નહીં થાય. સુખ, શાંતી, સમૃદ્ધી એ બધાં સંસારના અટપટા અને સાપેક્ષ દાખલાઓ છે. રકમ એક જ હોય છે પણ જવાબ જુદા… અને છતાં બધાં દાખલાઓ સાચા!

એકવાર એક દુઃખી રાજાને કોઈએ ઉપાય બતાવ્‍યો. સૌથી વધુ સુખી માણસનું ખમીશ પહેરો તો અવશ્‍ય સુખી થઈ શકો. રાજાએ શોધ ચલાવી તો એવો સુખી માણસ મળ્‍યો ખરો; પણ તેની પાસે ખમીશ જ નહોતું! આનો અર્થ એવો નથી કે સુખ ખમીશ ન હોવાની સ્‍થીતીમાં છુપાયું છે; પણ સુખનું પોત પ્રેમ જેવું છે. તેની અનુભુતી થઈ શકે છે. તેને શબ્‍દોમાં સાબીત કરવાનું અઘરું છે. ઘણા સુખ ખરજવા જેવાં હોય છે. ઘણીવાર ખજવાળમાંથી ય એક પ્રકારનો આનન્દ મળતો હોય છે. બહુ મોટા માણસને ત્‍યાં સતત લોકોની આવન જાવન ચાલુ રહેતી હોય છે. એવા માણસને જમવાની ય ફુરસદ નથી હોતી; પણ જે દીવસે તેને ત્‍યાં એકેય માણસ ના આવે તે દીવસે તેને ચેન પડતું નથી. દુઃખને ય તેના પોતીકા સુખ હોય છે.

એક ગુરુના અન્તીમ સમયે તેણે પોતાના ચેલાઓને કહ્યું– ‘મારો બીજો અવતાર ડુક્કરના પેટે થવાનો છે. ફલાણા સ્‍થળે એક ડુક્કરનું બચ્‍ચું મળ ખાતુ તમને દેખાશે. તમે સમજી જજો કે તે હું જ છુ!’ ગુરુ મૃત્‍યુ પામ્‍યા. તેમના અન્તીમ વીધાન મુજબ ચેલાઓને તે સ્‍થળે એક સફેદ ડુક્કરનું બચ્‍ચું દેખાયું. એક ચેલો પથ્‍થર ઉપાડતાં બોલ્‍યો– ‘આ ગન્દવાડમાંથી આપણે ગુરુદેવને મુક્‍તી અપાવીએ!’ ત્‍યાં પેલું ડુક્કરનું બચ્‍ચું બોલી ઉઠ્યું– ‘નહીં નહીં… મને મારશો નહીં, તમને આ ગન્દવાડ લાગે છે, પણ મને અહીં અત્‍યન્ત સુખ મળે છે!’

તો વાત એમ છે મીત્રો! ગન્દવાડ પણ સાચો અને એમાંથી મળતું સુખ પણ સાચુ! લાખ વાતની એક વાત એટલી જ, માણસ જે સ્‍થીતીમાં જે લાગણી અનુભવે તે જ તેને માટે સાચુ સુખ, બીજા બધાં ફાંફા! પેલી પ્રચલીત રમુજમાં કહ્યું છે તેમ, એક સ્‍ત્રી એક કવીને બહુ ચાહતી હતી; પણ કવીએ તેની જોડે લગ્ન ન કર્યા તેથી તે દુઃખની મારી પાગલ થઈ ગઈ. તેણે નીસાસો નાખી કવી પત્‍નીને કહ્યું, ‘તું કેટલી સુખી છે… તું એને મેળવી શકી!’ પત્‍નીએ એનાથી ય મોટો નીસાસો નાખી કહ્યું– ‘તું કેટલી સુખી છે કે એનાથી બચી ગઈ!’ સુખ એટલે બીજું કાંઈ નહીં એક જ પાત્ર માટેની બે સ્‍ત્રીઓની ભીન્‍ન ભીન્‍ન અનુભુતી! રકમ એક જ પણ જવાબ જુદા, અને વળી બન્‍ને સાચા. હવે કહો જોઉં તમે સુખી છો કે દુઃખી…?

                           દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/–)માંનો 24મો લેખ, પુસ્તકનાં પાન 82થી 84 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 સેલફોન : 94281 60508 .મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 26–02–2018

8 Comments

  1. ઍક જગતનું સુખ હોય છે, જેને માયાજાળ પણ કહી શકાય. ઍક આંતરિક સુખ હોય છે, જેનો સંબધ આત્મા સાથે હોય છે.

    ખરું સુખ તે છે, જેથી આત્મા સંતોષ પામે.

    ઍ વાત સો ટકા સત્ય છે કે:

    સુખ ક્‍યારેક એરકન્‍ડીશન્‍ડ બંગલા કરતાં ઝુંપડામાં વધુ માત્રામાં હોય છે!

    કાસીમ અબ્બાસ

    Liked by 2 people

  2. સુજ્ઞ દિનેશભાઇ, તથા ગોવિંદભાઇ, તમારા લેખથી એટલો ખ્યાલ આવે કે આપણે વિચારવામાં કેટલા આળસુ છીએ. જુઓ કે ગંગાનુ પાણી પવિત્ર ગણાય છે. સાચુ કારણ એ છે કે એ હિમાલયના ખડકોના એવા ભાગમાંથી પસાર થાય છે ને એ ધાતુઓ એના પાણીમાં ભળે છે. જે માણસના આરોગ્ય માટે ઉપકારક છે. એવુ કોઇ સંશોધન આપણે ત્યા થવાની શક્યતા નહિ પણ ગંગાઅવતરણની કથા જોઇએ એટલી. ભગીરથે પોતાના પિત્રુઓના ઉધ્ધાર માટે તપ કર્યુ ને શંકરને રીઝવીને ગંગાને ધરતી પર લાવ્યા. કેટલુ સહેલુ?કોણ ભગીરથ કે શંકરને પુછવા જવાના> અરે ગંગાને ય કોણ પુછવાનુ કે તારા પાણીમાં આ મડદા તરતા મુકીએ તો એનો ઉધ્ધાર થઇ જાશે કે કેમ? એ જરીતે તુલસી પવિત્ર. ખરુ કારણ એનો રસાયણિક ગુણ. પણ આપણે તો શાલીગ્રામ જોડે એને પરણાવીને એને દેવી બનાવી દીધી. હવે દરવરસે એના વિવાહ કરવાના ને પુજા કરવાની. પણ એનુ સાચુ મહત્વ કોણ જાણે?એવી રીતે ગાય. એના દુધમાં અમુક પોષક ને રોગપ્રતિકારક ગુણને લઇને એનુ મહત્વ. પણ આપણે તોએને મા બનાવીને પુજા કરી પણ એની જાળવણી કરવામાં નિષ્ફળ નીવડ્યા. એવી તો અનેક વનસ્પતિ, પ્રાણીઓ ને સ્થળો છે જેનુ ભૌગોલિક વાતાવરણ માણસને સાજો કે માંદો માનસિક કે શારિરીક રીતે અસર કરી શકે છે. એટલે જ કોઇ પણ સ્થળનુ પાકૃતિક સૌંદર્યમાં કોઇને ભગવાનના મંદિર બનાવવાનુ મન થાય તો કોઇ એમાં મનોરંજન ને સ્કેટીંગ કે બરફની હેરત ભર્યા ખેલના મેદાન બનાવે. જેવી જેની દ્રષ્ટિ.

    Liked by 2 people

    1. “દુઃખને ય તેના પોતીકા સુખ હોય છે.”
      ખુબ કહી.
      ગંગોત્રી અને તેની આસપાસના ખડકોમાં રેડીયો એક્ટિવિટી છે. તેને લીધે જંતુઓ નાશ પામે છે. તેથી લોટી કે શીશીમાં ભરેલું ગંગાજળ બગડતું નથી.

      Like

  3. સાંભળેલું અેક વાક્ય…સુઘારીને…..‘ મન અને તન ચંગા તો કથરોટમેં ગંગા ‘
    વિજ્ઞાનને સમજવા વિના વિજ્ઞાનનો ટીચર બાળકોને કયે રસ્તે લઇ જવાનો ? તે પોતે જ અભણ જેવો છે. તેના જેવા કેટલાં હશે…કોણ કોને સુઘારશે?
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  4. Dineshbhai,
    has explained with all nice example Sukh.. which is different for different personalities.. and scientifically explained about Accupressure- Shaligram and similarly other this is useful and thought provoking.
    Thanks to you and Govind bhai

    Liked by 2 people

  5. સુખ એ વેદના છે, એ સુખ વધી જાય તો દુઃખ થાય.
    જે વાનગીમાં સુખ મળે, એ વાનગી ખૂબ ખવડાય ખવડાય કરે તો શું થાય ? એટલે એ સુખ વેદના છે. અને દુઃખેય વેદના છે.
    આ સુખ-દુઃખ કહે છે તે ખરેખર સુખ-દુઃખ નથી પણ શાતા-અશાતા છે,
    અમારા અનુભવની આ વાત પણ મનન કરવા જેવી છે. Mr Goenka found the way out of his miseries experienced in his early life. Born in Mandalay, Myanmar, in a business family of Indian origin, he became one of Myanmar’s ranking business leaders, with offices in many countries. By age 30, he was elected president of the Yangon (formerly Rangoon) Chamber of Commerce and head of many social, educational and cultural organizations.
    Mr Goenka had outstanding success, but not inner peace. Instead, stress brought on crippling MIGRAINE headaches, which the world’s best doctors were helpless to treat, except with addictive and debilitating drugs. Besides, Mr Goenka said, he was a very short-tempered, egoistic, person making himself and others around him miserable.
    It was at this point that Mr. Goenka met and was inspired by a unique personality in post-war Myanmar: Sayagyi U Ba Khin, the first Accountant-General of independent Myanmar. U Ba Khin also taught Vipassana and worked to spread its practice in public life
    While Vipassana is firmly rooted in the true teachings of the Buddha, Mr Goenka emphasizes that it is not a religion and involves no dogma, rites, rituals, and no conversion. “The only conversion involved in Vipassana is from misery to happiness, from bondage to liberation,” he told an applauding audience at the World Peace Summit at the United Nations, New York, in 2000.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s