સુખોપચાર

28

સુખોપચાર

–દીનેશ પાંચાલ

ઘણા વેપારીઓ રોજ સવારે ગલ્લામાં અગરબત્તી ફેરવે છે. કહેવાતા સન્ત મહાત્‍માઓ પાછળ હજારો રુપીયા વેડફી દે છે; પરન્તુ પોતાના ગરીબ નોકરોને કસી કસીને પગાર આપે છે. એક સરકારી અધીકારી જે શ્રદ્ધાથી મન્દીરમાં પ્રદક્ષીણા ફરે છે તેટલી નીષ્‍ઠાથી ઑફીસમાં ટેબલ નીચેથી દક્ષીણા લે છે. માણસને દક્ષીણા વીનાય ન ચાલે અને પ્રદક્ષીણા વીનાય ન ચાલે! આ દેશનું એક સ્‍થાયી દુઃખ એ છે કે અહીં ધર્મ અને અધર્મ, ગાડીના પાટાની જેમ સમાન્‍તરપણે આગળ વધે છે. જ્‍યાં પુજા અને પ્રમાણીકતા વચ્‍ચે બાર ગાઉનું છેટું હોય ત્‍યાં ભગવાન પણ લાચાર બની જાય છે! છતાં માણસે પોતાને મળેલી બુદ્ધીશક્‍તી વડે દુનીયામાં સુખનું સામ્રાજ્‍ય સ્‍થાપવાની કોશીષ કરી છે.

માણસના પેટમાં દર્દ ઉપડ્યું હોય તો ભગવાનની માળા ફેરવવાથી તે દુર થઈ શકતું નથી. માણસને સાપ કરડ્યો હોય તો શાંતીયજ્ઞ કરાવવાથી ઝેર ઉતરતું નથી. ડૉક્‍ટર પાસે જવું પડે છે. માણસના દુઃખદર્દોના મુળ શેમાં રહેલા છે તથા તેનો ઉપાય શો છે એ પ્રશ્ન વર્તમાન યુગનો પ્રાણ પ્રશ્ન છે.

માનવીય દુઃખોના હજારો મુળીયા સેંકડો ક્ષેત્રોમાં વહેંચાયેલા છે. જેવા માણસ તેવા દુઃખ! ભાંગીતુટી ઝુંપડીમાં રહેતા માણસને મુશળધાર વરસાદ તુટી પડે તેનું દુઃખ હોય છે. ખેડુતને વરસાદ ન પડે તેનું દુઃખ હોય છે. ધનવાનને વરસાદની કોઈ ચીંતા હોતી નથી. તેને શૅરના ભાવ ગગડી ન જાય તેની ચીંતા હોય છે. દુનીયાનો દરેક માણસ દુઃખી છે. દરેકના દુઃખ જુદા જુદા વીષયના હોય છે. એક ગુંડો સો ખુન કરીને જેલમાં બેઠો છે. બીજો સજ્જન માણસ રાતદીવસ પ્રભુભક્‍તીમાં ડુબેલો રહે છે. કલ્‍પના કરો દુશ્‍મનો બોમ્‍બ નાંખે તો સ્‍થીતી શું થાય? ગુંડો અને સજ્જન બન્‍ને મૃત્‍યુ પામે છે. સજ્જન માણસ તેની ભક્‍તીને કારણે બચી જતો નથી. આવું કેમ? એ બન્‍નેના કર્મોમાં આભ જમીનનો તફાવત હોવા છતાં બન્‍નેનો અંજામ એક સરખો કેમ આવે છે? એ કયું તત્ત્‍વ છે જે કીડી અને હાથી બન્‍નેને સરખી રીતે કચડી નાંખે છે? સમગ્ર માણસ જાતની સુખ શાંતી અને સલામતીનો ઉપાય શેમાં રહેલો છે એ વીચારવાનું માણસ માટે હવે જરુરી બન્‍યું છે.

કંઈક એવું સમજાય છે માનવ વસતીમાંથી પ્રથમ બોમ્‍બ હઠાવવો પડશે. ઈશ્વર કે ખુદા તે હઠાવવા આવવાના નથી. ઈશ્વરે આપેલી બુદ્ધીથી માણસે જ તે કામ પાર પાડવાનું છે. એક ઉદાહરણ જોઈએ. એક ખેડુતે શાકભાજીની વાડી બનાવી. તેમાં મબલખ શાકભાજી ઉગી; પણ ગાય ભેંશ જેવા જાનવર તેની વાડીમાં ઘુસી બધું સફાચટ કરી દેતા હતાં. પાક બચી જાય તે માટે ખેડુત રોજ પ્રભુને પ્રાર્થના કરે; પરન્તુ એની લીલી વાડી પર પ્રભુની કૃપા થતી નહોતી. એક દીવસ એને ત્‍યાં એક સન્ત પધાર્યા. તેણે બધી વાત જાણ્‍યા બાદ ખેડુતની મુર્ખતા પર હસતા કહ્યું: ‘ભલા માણસ તું મહેનત કરી શાકભાજી પકવે છે; પણ તેના રક્ષણ માટે બુદ્ધી દોડાવતો નથી. તારે સૌ પ્રથમ વાડીની ફરતે કાંટાની મજબુત વાડ કરવી જોઈએ. જેથી તારી મહેનતનું ફળ બીજા ઝુંટવી ના જાય… યાદ રાખ, માણસને ભગવાને પ્રાણીઓની સરખામણીમાં એક વધારાની કીમતી ચીજ આપી છે. તે છે બુદ્ધી! બુદ્ધી આપ્‍યા બાદ ભગવાનની જવાબદારી પુરી થઈ છે. બુદ્ધી દ્વારા વાડીને રક્ષણ આપવાની જવાબદારી તારી છે. તું તે જવાબદારી પણ ઈશ્વરને માથે નાંખે છે તે ઉચીત નથી.’

આ દષ્ટાંતકથાનું સ્‍મરણ એટલા માટે થયું કે એમાં માનવીના બહુધા સુખોની જડીબુટ્ટી સમાયેલી છે. આ પૃથ્‍વીલોકમાં સુખી થવા માટે કેટલીક પ્રાથમીક વ્‍યવસ્‍થાની જરુર છે. કેટલીક આચારસંહીતા અને શીસ્‍તની જરુર છે. તે પ્રાથમીક નીયમોનું પાલન નહીં થાય તો અહીં સો ખુનવાળા કેદીનો અને સોવાર માળા ફેરવતા ભક્‍તોનો અંજામ સરખો આવી શકે છે.

પ્રભુભક્‍તી એ માણસની કેવળ માનસીક જરુરીયાત છે. માણસ પ્રભુને ભજે તે જરુરી હોય તો પણ માણસના સુખ શાંતી અને સલામતી માટે એ એક માત્ર ઉપાય નથી. અમારા બચુભાઈ કહે છેઃ ‘માણસના હાથનું હાડકું ખસી ગયું હોય તો તેને હાડવૈદ્ય પાસે લઈ જવો પડે. તેને ગીતાનો કોઈ અધ્‍યાય વાંચી સમ્ભળાવવાથી હાડકું એની મેળે બેસી જતું નથી.

તાત્‍પર્ય એટલું જ કે સુખી થવાની ઘણી શરતો છે. ઘણા નીયમો છે. ઘણી આકરી કસોટીઓ છે; પણ વીવેકબુદ્ધી તે સૌમાં મોખરે છે. એમ કહો કે સુખી થવા માટે આ દુનીયાની યુનીવર્સીટીમાં વીશાળ કદનો આખો અભ્‍યાસક્રમ છે. કેટલાંક કીસ્‍સામાં તે એવો જટીલ અને ગુંચવાડાભરેલો છે કે માણસની બુદ્ધીની કસોટી થયા વીના રહેતી નથી. એથી વીવેકબુદ્ધી એ આખા અભ્‍યાસક્રમનો મુખ્‍ય અને મહત્‍વનો વીષય ગણાય છે.

એક ઉદાહરણ જોઈએ. ગુજરાતમાં છેલ્લા પન્દરેક વર્ષોમાં મોટા પ્રમાણમાં કાપડની મીલો બન્ધ થઈ ગઈ છે. મીલો બન્ધ થવાના ઘણાં કારણો હશે પણ નીષ્‍ણાંતોના મત મુજબ એક મહત્‍વનું કારણ એ બહાર આવ્‍યું છે કે મુમ્બઈમાં વીદેશોથી સ્‍ટીમરો ભરી તૈયાર કપડાં પુષ્‍કળ પ્રમાણમાં આવે છે. દરેક શહેરોમાં રવીવારીય બજારોમાં એ સાવ સસ્‍તા ભાવે વેચાય છે.  સ્‍ટોરમાંથી કાપડ ખરીદીને પેન્‍ટ સીવડાવો તો તે ચારસો પાંચસોથીય વધારે કીમ્મતનું થઈ શકે; પરન્તુ રવીવારીય બજારમાં મળતું વીદેશી પેન્‍ટ કેવળ ચાળીશ પચાસ રુપીયામાં મળે છે. પચાસ રુપીયામાં આખું શર્ટ તૈયાર મળે છે. સ્‍થીતી એ થઈ છે કે ઑફીસોમાં કામ કરતાં સારા પગારધારકોય હવે રવીવારીય વસ્‍ત્રો વાપરતાં થઈ ગયા છે. ગુજરાતના દરેક શહેરોમાં આ સસ્‍તા વીદેશી વસ્‍ત્રોનું ધુમ વેચાણ થાય છે. રવીવારીય બજાર ગરીબો માટેની સુવર્ણનગરી બની ગઈ છે. ગરીબો હવે સ્‍ટોરના મોંઘા કપડાં ખરીદતાં નથી. મીલોનું કાપડ નથી વેચાતું તે માટે આ સ્‍થીતી પણ મહત્‍વનું કારણ છે.

અહીં વ્‍યવસ્‍થાતન્ત્ર માટે મહત્‍વનો પ્રશ્ન એ ઉભો થાય છે કે આવા સંજોગોમાં શું કરવું? વીદેશોથી આવતો આ માલ બન્ધ કરવો કે ચાલુ રાખવો? જો બન્ધ કરી દેવામાં આવે તો એ સસ્‍તા વસ્‍ત્રો સાથે જેમનું હીત સંકળાયેલું છે એવા લાખો ગરીબોને સસ્‍તા વસ્‍ત્રોથી વંચીત રહેવું પડે. અને ચાલુ રાખવામાં આવે તો દેશની અનેક મીલો પર એની સીધી અસર થાય છે. ગાંધીજીએ વર્ષો પુર્વે વીદેશી વસ્‍તુઓની જાહેરમાં હોળી કરી હતી. આપણે ફરીથી ભુતકાળમાં જઈને ગાંધીજીનો દૃષ્‍ટીકોણ સમજવાનો પ્રયત્‍ન કરવો પડે. આમ ઘણાં પ્રશ્નો એવાં પેચીદા છે જે વીવેકબુદ્ધીની કસોટી કરે એવા છે. માણસ કેવળ ભક્‍તી કર્યા કરવાને બદલે આધુનીક જમાનાની સમસ્‍યાઓનો વીવેકબુદ્ધીથી વીચાર કરશે તો તેને પોતાના દુઃખના મુળીયા ક્‍યાં ક્‍યાં પડેલા છે તે સમજાશે. ત્‍યારબાદ તેના ઉપાયની દીશામાં પગલાં ભરી શકાશે. બુદ્ધીશક્‍તી સુખની અનીવાર્ય શરત છે.  

– દીનેશ પાંચાલ

લેખકમીત્ર શ્રી. દીનેશ પાંચાલનું મુલ્યવાન રૅશનલ પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલીની વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત  395 001 ફોન : (0261) 259 7882/ 259 2563 ઈમેલ : sahityasangamnjk@gmail.com પાનાં : 126, મુલ્ય : રુપીયા 90/-)માંનો આ 28મો લેખ, પુસ્તકનાં પાન 96થી 98 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

અક્ષરાંકન : ગોવીન્દ મારુ .મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 26/03/2018

11 Comments

  1. thanking you all readers,jay mataji,The way of happiness is to give up,ten tavkten bhoojitha?the blind is the happiest on the earth?the compression of life styles and lack of knowledge towards the subject is the way of happiness,give to the mass more the knowledge about the truth?follow the nature for happy future,save water,trees,food animals for happiness!

    Like

  2. The every moment of life is precious?the only one bad brisk is reason to
    fallen for whole wall?the writers are the father of untruth?give the
    knowledge of truth to the mass,if we not closing of our eyes the running
    dart will gone in our eyes?who is not making mistakes?the willfully making
    the mistakes are the unforgivable sin in the kingdom of nature,we
    celebrating the festivals for the statues?The mass making more mistakes!
    save water,trees,animals food for happy future!

    Like

  3. ઘણા વેપારીઓ રોજ સવારે ગલ્લામાં અગરબત્તી ફેરવે છે. કહેવાતા સન્ત મહાત્‍માઓ પાછળ હજારો રુપીયા વેડફી દે છે; પરન્તુ પોતાના ગરીબ નોકરોને કસી કસીને પગાર આપે છે. સૌ સૌ નો શ્રદ્ધાનો વિષય છે. હાલના જમાનામાં ઘણી કમ્પનીઓ .નોકરોને સારો પગાર આપે છે.ઘરની જેમ રાખે છે.રિલાયન્સ તાતા ગ્રુપ,વિપ્રોના અઝીઝ પ્રેમજીનો દાખલો લ્યો. શું ત્યાના કામગારો દુખી છે? ઘણા લોકો સવારના ભગવાનનાં ગોખલામાં દીવા કરીને આખા ઘરમાં અગરબત્તી ફેરવે છે. મહાવીર સ્વામીએ કહ્યું છે કે શ્રદ્ધા પરમ દુલ્લહા. એટલે કે શ્રદ્ધા પરમ દુર્લભ છે.

    Like

  4. શ્રીમાન દીનેશ પાંચાલ લખે છે:

    “માણસ કેવળ ભક્‍તી કર્યા કરવાને બદલે આધુનીક જમાનાની સમસ્‍યાઓનો વીવેકબુદ્ધીથી વીચાર કરશે તો તેને પોતાના દુઃખના મુળીયા ક્‍યાં ક્‍યાં પડેલા છે તે સમજાશે.”

    પરમેશ્વરે માનવજાત ને બુધ્ધિ આપેલ છે, જેનો ઉપયોગ કરી ને તે પોતાનું જીવન આદર્શ રૂપ અને શ્રેષ્ઠરૂપ બનાવી શકે છે. મુસ્લિમ ધર્મશાસ્ત્ર માઁ ઘણી જગ્યાઍ કહેવા માં આવેલ છે કે મનુષ્યને પોતાની બુધ્ધિ નો ઉપયોગ જરૂર કરવો જોઈઍ જેથી તે પોતાના જીવન માં સફળ થઈ શકે.

    શ્રીમાન દીનેશ પાંચાલ લખે છે:

    “એક સરકારી અધીકારી જે શ્રદ્ધાથી મન્દીરમાં પ્રદક્ષીણા ફરે છે તેટલી નીષ્‍ઠાથી ઑફીસમાં ટેબલ નીચેથી દક્ષીણા લે છે.”

    કરમ ની કઠણાઈ ઍ છે કે આ કળીયુગ માં મનુષ્ય “ધર્મ” અને “ધંધા” એ બંને ને જુદી દષ્ટિ ઍ જુઍ છે, અને ધર્મ ને અનુસરવાની સાથે કાળા ધંધાઓ પણ કરે છે.

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  5. કેટલાક દુખો કુદરતી હોય છે, કેટલાક સમાજરચનાને કારણે ઉભા થતાં હોય છે, જ્યારે કેટલાક મનની દુર્બળતાને કારણે ઉભા થતાં હોય છે.
    કાંટો વાગે તે કુદરતી દુખ છે, વીધવાને એક વર્શ સુધી ખુણો પાળવો પડે તે સમાજરચનાને કારણે ઉભું થયેલું દુખ છે, જ્યારે પડોશીને ત્યાં આપણે ખરીદી ન શકીએ એટલી મોંઘી મોટર આવે ત્યારે થતું દુખ મનની દુર્બળતાને કારણે થાય છે.
    કુદરતી દુખ સહન કર્યા સીવાય ઉપાય નથી. સમાજને કારણે ઉભું થતું દુખ સહન ન કરવું હોય તો સમાજ સાથે લડવું પડે. મનની દુર્બળતાને કારણે ઉભા થતાં દુખને નીવારવા માટે મન સાથે લડવું પડે.

    Liked by 1 person

  6. ઇશ્વર સાથેનો આપણો સંબંધ ભાગીદારી પેઢી જેવો હોવો જોઈએ. બધી નહિ તો ઘણી ભાગીદારીમાં એક ભાગીદાર નિષ્ક્રિય અથવા અલ્પક્રિય હોય છે, અને બીજો સક્રિય ભાગીદાર વહીવટનો બધો ભાર સંભળાતો હોય છે. ઈશ્વરને બિચારાને તો આપણા જેવા અસંખ્ય ભાગીદારો હોય તેથી તે કાંઈ સક્રિય ના બની શકે, આપણે પોતે જ તે જવાબદારી સ્વીકારવી પડે. ક્યારેક જ તેની સલાહ કે મદદ વગર ના જ ચાલે તેવું હોય ત્યારે તેને તસ્દી આપવાની હોય.

    Like

  7. સુજ્ઞ દિનેશભાઇ, તમારી વાત સાચી. માણસ ને પશું વચ્ચેની મુળભુત જરુરિયાત સરખી જ છે. વધારામાં જે છે એ કે માણસને સારાનરસાની પરખ માટે વિવેકબુધ્ધિ આપી છે. આનો ઉપયોગ વ્યકિગત કે નાના સમુહના લાભ માટે કરવાનો કે સમષ્ટિ માટે.એ માણસના વિવેકબુધ્ધિ પર આધાર રાખે છે. સંકુચિત દ્રષ્ટિ જ વ્યકિગત સ્તરે કે વૈશ્ર્વિક સ્તરે વિનિપાત નોતરે છે. માણસની બીજી ખાસિયત કે બુધ્ધિનો ઉપયોગ એ જરુરી કામ નકરવાના બહાના તરીકે પણ કરી શકે ને દ્રઢ મનોબળથી અનેક અગવડ વેઠીનેય સફળ થાય. જુઓ સ્ટીવ હોકીન્સ. એની પાસે સુઇ રહેવા બધા જ વજુદ હતા, તો બીજી તરફ સાજા સમા માણસો કામ નકરવાના અનેક કારણો બતાવે. એમાં ય થોડો ઘણો ભગત હોય તો ભગવાનને જ હુંડી લખીને બેસી જાય ને મંજીરા વગાડ્યા કરે. આવા લોકો ભગવાનને વેઠિયો બનાવી દે. બીજી વાત આ પરિવર્તનશીલ જગતમાં એક નવા ધંધાનો ઉદય થાય ને બીજાનો અસ્ત થાય. પ્લાસ્ટિકના ને ધાતુંના વાસણ આવ્યા ને કુંભારના તાવડી ને માટલા ગયા. તૈયાર કપડા આવ્યા ને દરજીના સંચા ને કાપડની દુકાનો ધીમી પડી.ડોક્ટરની ઓફીસો ખુલી ને વૈદ્ય ખાટલામાં સુઇ ગયા. આજના ટેકનોલોજીના સમયમાં તો આજે થયેલી શોધ બીજઅ દિવસે જુની થઇ જાય છે. દુનિયા એટલી ઝડપથી બદલાય છે કે એની સાથે તાલ મિલાવવા પગમાં પૈડા પહેરીને દોડવુ પડે. એવી એક વાત કરીએ તો તમે હજારો માઇલો દુરથી તમારા ઘરની અંદર થતી હિલચાલ જોઇ શકો. તમારા દરવાજે કોઇ અજાણ્યુ બેલ મારે તો બારણા પરના કેમેરા વડે જ્યા હો ત્યા ફોનમાં રીંગ આવે ને જે તે વ્યકિત જોડે વાત કરી શકો!
    આ ભગવાનની કૃપા નથી પણ કોઇના ભેજાની કમાલ છે. હા,પંચ મહાભુત કે પકૃતિનું સંચાલન એ જરુર કરે પણ વાતે વાતે એને પુકારવો ને હેરાન કરવો એ તો વયસ્ક માણસ પોતાની નહાવા ધોવા કે પ્રાથમિક જરુરીયાત માટે ય માબાપને
    બુમો પાડે એના જેવુ લાગે. નહિ?

    Liked by 1 person

  8. આપ મૂયે વિનાસ્વર્ગે ના જવાય.
    ખૂદી કો કર બુલંદ ઇતના કે હર તહરીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે કે બોલ તેરી રઝા ક્યા હૈ.
    ખૂદી કો કર બુલંદ…..અને તારા બઘા પ્રશ્નોનો નિકાલ આવી જશે.
    The best way to predict future is to create yourself.
    જબ આપકે હાથ હૈ તકદીર કી કિતાબ, ક્યા ક્યા લીખા કરેંગે યે આપ સાચીયે.
    Yesterday I was clever, so I wanted to change the world. Today I am wise, so I am changing myself.
    આ બઘી વાતો તો સદ્ વિચારોના પાને પાને લખાયેલા છે. તે તે પુસ્તકોની સુંદરતા કાયમ રાખવા માટે.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a comment