રૅશનાલીઝમના પ્રચાર–પ્રસારમાં સોશીયલ મીડીયાનું મહત્ત્વ

રૅશનાલીઝમના પ્રચાર–પ્રસારમાં સોશીયલ મીડીયાનું મહત્ત્વ

–ગોવીન્દ મારુ

ગુજરાત–મુમ્બઈ રૅશનાલીસ્ટ એસોશીએશન’ના પદાધીકારીઓ અને અત્રે ઉપસ્થીત સર્વ વીવેકપંથી મીત્રો,

આપ સૌને નમસ્કાર..  

 

(‘રૅશનાલીઝમના પ્રચાર–પ્રસારમાં સોશીયલ મીડીયાનું મહત્ત્વ’ વીષય પર ગુજરાત વીદ્યાપીઠઅમદાવાદ ખાતે ગોવીન્દ મારુનું  વક્તવ્ય : તારીખ 25 માર્ચ, 2018)

 

14 ફેબ્રુઆરીએ અમદાવાદ ખાતે પાખંડ અને આવાઝ આ બે યુ–ટ્યુબ વીડીયોનો સફળ લોકાર્પણ થયું. અજ્ઞાનના અન્ધારામાં જ્ઞાનનો દીવડો પ્રગટાવવા જેવી આ વીરલ ઘટના ઘટી હતી. તે બદલ હ્યુમેનીસ્ટ રૅશનાલીસ્ટ સોસાયટી, ગોધરા તથા ગુજરાત–મુમ્બઈ રૅશનાલીસ્ટ એસોસીએશનના કાર્યકરોને અઢળક અભીનન્દન… મારા ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર અન્ધશ્રદ્ધા અને માનસીક પ્રદુષણ ફેલાવતી ઘટનાઓનો પર્દાફાશ કરતા વીડીયો માટે એક નવું પેજ શરું કર્યું છે. આ પેજ પર પાખંડ અને ‘આવાઝ આ બન્ને યુ–ટ્યુબ વીડીયો મુકવામાં આવ્યા છે.

મેં લખેલું નાટક વીવેકનીષ્ઠાથી જીવનવીકાસ ગત 16મી માર્ચને શુક્રવારે મારા ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકવામાં આવ્યું હતું. સત્યશોધક સભા, સુરત, હ્યુમેનીસ્ટ રૅશનાલીસ્ટ સોસાયટી, ગોધરા અને ગુજરાત–મુમ્બઈ રૅશનાલીસ્ટ એસોશીએશન દ્વારા આ નાટકનો વીડીયો બનાવાય અને રસ ધરાવતા મીત્રો તેને રંગમંચ પર ભજવશે, તો રૅશનાલીઝમનો દીવડો વધુ પ્રજ્વલીત થશે તેવું મારું માનવું છે.

આમ, તો આ કાર્યક્રમમાં પ્રવચન આપવા જેટલી મારી કોઈ પાત્રતા કે હેસીયત નથી; પણ દસ વર્ષથી ઈન્ટરનેટ પર દેશ–વીદેશના અસંખ્ય વાચકમીત્રોમાં, મારા ‘અભીવ્યક્તી’ બ્લૉગે જે લોકચાહના પ્રાપ્ત કરી છે, તેનો આપ સૌને પરીચય કરાવવા, માનનીય બીપીનભાઈ શ્રોફના આગ્રહને વશ થઈને, આ આમન્ત્રણ મેં સ્વીકાર્યું છે.

મીત્રો! મારા નીવૃત્તીકાળને રૅશનાલીઝમને સમર્પીત કરીને સક્રીય જીવન જીવવાનું મેં નક્કી કર્યું. તે અંગે અમેરીકા સ્થીત મારા મોટા દીકરા પવનને મેં પ્રસ્તાવ રજુ કર્યો હતો. તેણે તો મારી નોકરી દરમીયાન જ 2008માં મને નવું લેપટૉપ લઈ આપ્યું. તેણે મને બ્લૉગ પણ બનાવી આપ્યો. તે બ્લૉગમાં કામ કરવા અંગેની ટૅક્નીકલ જાણકારી પણ આપી. સુરતના નીવૃત્ત આચાર્ય, ગઝલકાર અને મારા મીત્ર સુનીલ શાહે મારા બ્લૉગનું ‘અભીવ્યક્તી’ એવું નામકરણ કર્યું. હું કંઈ ભાષાનો માણસ નથી. મારી જોડણીયે કાચી. ગુજરાતીના શીક્ષકો અને પ્રાધ્યાપકોની જોડણી પણ ખોટી પડતી હોય છે. જોડણીની મોટા ભાગની ભુલો બબ્બે ‘ઈ–ઉ’ની જ હોય છે! જ્યારે ‘ઈ–ઉ’ હ્રસ્વ લખો કે દીર્ઘ, શબ્દાર્થ સમજવામાં કશો ફરક થતો નથી; તો પછી શાળાનાં બાળકો પર જોડણીનો આ જુલમ શા માટે કરવામાં આવે છે? બાળકો પર જોડણી અંગે થતા જુલમથી વ્યથીત થઈને, હું ‘ઉંઝાજોડણી’નો સમર્થક થયો. મને કહેતા ગર્વ થાય છે કે આપણાં છપાતાં સર્વ રૅશનલ સામયીકોએ ‘ઉંઝાજોડણી’ સ્વીકારી છે. તેથી મેં પણ મારા રૅશનલ બ્લૉગ ‘અભીવ્યક્તી’ માટે તે જોડણી સ્વીકારી. તેર વરસથી ચાલતી ‘સન્ડે ઈ.મહેફીલ’ પણ ‘ઉંઝાજોડણી’માં જ ચાલે છે. તેના સમ્પાદક અને મારા બ્લૉગના સંવર્ધક માનનીય ઉત્તમભાઈ ગજ્જરના માર્ગદર્શન હેઠળ આ ‘રૅશનલજોડણી’માં મેં અક્ષરાંકન શરુ કર્યું. શરુઆતમાં થોડી ટીકા–ટીપ્પણીઓ થઈ; પરન્તુ હું મક્કમ અને અડીખમ રહ્યો. હવે વાચકમીત્રોની આંખો આનાથી ટેવાઈ ગઈ છે. ત્યારબાદ તો લાખો મુલાકાતીઓએ રૅશનલવીચારો અને રૅશનલજોડણીને વરેલા મારા ‘અભીવ્યક્તી’ બ્લૉગને આવકાર્યો એ નાનીસુની વાત નથી. આમ એનાથી મને બે બાબતનો સન્તોષ થયો : ઉંઝાજોડણી મારફતે રૅશનલવીચારોની વહેંચણી’.

મારે નમ્રભાવે કહેવું છે કે સમગ્ર ભારતમાં જ નહીં; વૈશ્વીકસ્તરે ગુજરાતી ભાષામાં એકમાત્ર ‘અભીવ્યક્તી’ બ્લૉગ જ સમ્પુર્ણપણે માત્ર ને માત્ર રૅશનાલીઝમનો પ્રચાર અને પ્રસાર કરે છે. એમાંય હું બહારગામ હોઉં, વીદેશમાં હોઉં કે અમારા બેમાંથી કોઈ એક માંદગીમાં હોય; તો પણ મારો બ્લૉગ કમીટમેન્ટ સાથે–પુરી સમર્પીતતાથી, રૅશનાલીઝમનો અવીરત પ્રચાર અને પ્રસાર કરે છે. જોવાની વાત એ છે કે આ બ્લૉગ નાસ્તીકો કરતાં આસ્તીકોમાં વધુ વંચાય છે! મારે આસ્તીક–નાસ્તીકનો વીવાદીત પરમ્પરાગત ઢાંચો તોડી, રૅશનલ વીચારધારાને ઠીક રીતે સમજીને અપનાવે, એવા યુવાનોને તૈયાર કરવા છે. આ યુવાનો પોતાનાં સંતાનોનું વૈચારીક ઘડતર કરી, તેમની પછીની પેઢીમાં પણ રૅશનાલીઝમની આગેકુચ કરશે. મને જણાવતાં આનન્દ થાય છે કે, ‘અભીવ્યક્તી’ની સામગ્રી વાંચી સેંકડો યુવાનો તેના સમર્થક અને ચાહક બન્યા છે. માણસના મનને, આધુનીક્તાના પરીપ્રેક્ષ્યમાં અપડેટ કરવાનું કામ બહુ અઘરું; પણ જરુરી છે. આ બહુ સુક્ષ્મ પ્રક્રીયા છે, જેના લાભો લાંબે ગાળે જ મળી શકશે.

આજપર્યંત 4,62,000થી વધુ મુલાકાતીઓએ ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લીધી છે. વીશ્વના 64 દેશોમાં ‘અભીવ્યક્તી’ બ્લૉગ વંચાય છે. મને વધારે ખુશી એ વાતની થાય છે કે, ભાઈઓ જેટલી જ બહેનો પણ મારા બ્લૉગના લેખની રાહ જોતી હોય છે. ‘અભીવ્યક્તી’ બ્લૉગને 15,000 પ્રતીભાવો પ્રાપ્ત થયા છે. પ્રતીભાવો આપવામાં બહેનો પાછળ નથી. વાચકમીત્રોમાં જોઈએ તો, હીન્દુ ધર્મ સીવાયના અન્ય ધર્મના વાચકમીત્રો પણ, મારા બ્લૉગને રસપુર્વક વાંચે છે અને તેમના પોતાના ધર્મમાં રહેલી અન્ધશ્રદ્ધાની વાતો પણ, તેમના પ્રતીભાવોમાં વ્યક્ત કરે છે. મારી વેબસાઈટ પર 224, ઈમેલ દ્વારા 684 અને ફેસબુક તથા ટ્વીટર જેવા સોશીયલ મીડીયાના 946, મળી કુલ 1854 વાચકમીત્રો સ્વેચ્છાએ, મારા બ્લૉગના નોંધાયેલા અને નીયમીત વાચકો છે. એક ડઝનથી વધુ બ્લૉગરમીત્રો એવા છે કે, તેમના પોતાના બ્લૉગ પર, મારા બ્લૉગમાં પ્રકાશીત થયેલા લેખોને, અવારનવાર રી–બ્લોગીંગ–પુન:પ્રકાશીત કરે છે. તો ગુગલ+, ટ્વીટર, ફેસબુક, વૉટ્સએપ, ટેલીગ્રામ, ઈનસ્ટાગ્રામના અગણીત મીત્રો પણ તેમના ગ્રુપમાં, તેમની ટેગલાઈન પર, મારા બ્લૉગના લેખો શેર કરે છે; તેમ જ તેના પર ચર્ચા પણ કરે છે.

 

(ડાબેથી સર્વશ્રી પીયુષ જાદુગર, ડૉ. સુજાત વલી, બીપીન શ્રોફ, અને ગોવીન્દ મારુ)

 

‘અભીવ્યક્તી’ બ્લૉગ પર અત્યાર સુધીમાં 6,25,160 રૅશનલશબ્દોમાં 91 લેખકોના, 538 લેખો, મેં રજુ કર્યા છે. તેમાં બહેનો પાછળ નથી. 12 લેખીકાઓ, 33 લેખો આપીને, સ્ત્રી સશક્તીકરણનો ઉત્તમ દાખલો પુરો પાડ્યો છે. મારા ચર્ચાપત્રી મીત્રોને કેમ ભુલાય? બ્લૉગની શરુઆતના સમયમાં, મારા સહીત, સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં છપાયેલા 70 રૅશનલ ચર્ચાપત્રો પણ ‘અભીવ્યક્તી’ પર પોસ્ટ કર્યા છે. મારા નીવૃત્ત થયાનાં પાંચ વરસમાં મણી મારુ પ્રકાશન’(‘મણી મારાં પત્નીનું નામ છે)ના નેજા હેઠળ, પ્રા. રમણભાઈ પાઠક, દીનેશભાઈ પાંચાલ, ડૉ. શશીકાન્ત શાહસાહેબ, મુરજીભાઈ ગડા, એન. વી. ચાવડા, વલ્લભભાઈ ઈટાલીયા, નાથુભાઈ ડોડીયા, રોહીતભાઈ શાહ, બી. એમ. દવે, રમેશભાઈ સવાણીસાહેબ અને બહેન કામીની સંઘવી મળી 11 લેખકોના 4,55,083 શબ્દો, મેં જાતેપોતે ટાઈપ કરીને 20 ઈબુક્સ બનાવી છે. આ 20 ઈબુક્સ મફત વહેંચવાનો મેં આનન્દ મેળવ્યો છે. એમાં સર્વશ્રી પ્રા. રમણભાઈ પાઠકની ચાર ઈ.બુક્સ, દીનેશભાઈ પાંચાલની ત્રણ ઈ.બુક્સ, અને ડૉ. શશીકાન્ત શાહસાહેબની પાંચ ઈ.બુક્સ ખાસ છે.

તો બીજી બાજુ, બધાં નહીં; પણ કેટલાક બાવાઓ, બાપુઓ, ગુરુઓ, સ્વામીઓ, સાધુઓ, મૌલવીઓ, મુજાવરો કે ભુવાઓ અને કેટલાક ધ.ધુ.પ.પુ.ઓ – અન્ધશ્રદ્ધા અને માનસીક પ્રદુષણ ફેલાવે છે. આમજનતાને ઠગે છે. આવી 14 સત્યઘટનાઓ આધારીત આદરણીય રમેશભાઈ સવાણીસાહેબની નાનકડી અને રુપકડી સચીત્ર ઈ.બુક હાલ તૈયાર કરી છે. તે ઈ.બુક સર્વશ્રેષ્ઠ હોવાનું સર્ટીફીકેટ મારા ફ્રેન્ડ, ફીલોસોફર અને ગાઈડ માનનીય ઉત્તમભાઈ ગજ્જરે આપ્યું છે. એટલું જ નહીં; ઈ.મેલ દ્વારા તેમણે પોતાના સમ્પર્કોમાં હજારો વાચકોને આ ઈ.બુક છુટથી વહેંચી છે.

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી, ભાઈ જીજ્ઞેશ અધ્યારુની અનોખી વેબસાઈટ અક્ષરનાદ; ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય ભાષાસેવક હૃદયસ્થ રતીલાલ ચંદરયાની લેક્સિકોનવેબસાઈટ અને વીશ્વભરની વીવીધ ભાષાઓમાં 25 મીલીયનથી વધુ પુસ્તકો અને મેગેઝીનો ધરાવતી ‘ISSUU’ વેબસાઈટ પર પણ, ‘મણી મારુ પ્રકાશન’ની 20 .બુક્સમુકવામાં આવી છે. ત્યાંથી એ ઈ.બુક્સ મફત ડાઉનલોડ કરવાની સુવીધા છે. ‘રૅશનાલીઝમના પ્રચાર–પ્રસારની ઝુમ્બેસની આ ગૌરવપ્રદ ઘટના છે..

હાલ દર સોમવારે ‘ચાલો, આ રીતે વીચારીએ’ પુસ્તકની લેખમાળા રજુ થઈ રહી છે. તેના લેખકમીત્ર દીનેશ પાંચાલ કહે છે કે, ‘હું ત્રીસ વર્ષથી અખબારોમાં કૉલમ લખું છું; પણ મને ‘અભીવ્યક્તી’ દ્વારા દેશવીદેશમાં જેટલી પ્રસીદ્ધી મળી છે તેટલી અખબારો દ્વારા નથી મળી. મારા પર વીદેશમાંથી અનેક રૅશનલવાચકોના ફોન આવે છે. તેઓ મારા લેખોની સરાહના કરીને રૅશનાલીઝમ પર ભાષણ કરવા મને વીદેશ આવવાનું આમન્ત્રણ પણ આપે છે. ગોવીન્દભાઈએ મને ઈન્ટરનેટના આકાશમાં, ‘અભીવ્યક્તી’ના એરોપ્લેનમાં બેસાડીને, દેશવીદેશોમાં ઘુમતો કરીને, મારા વીચારોનાં ફુડપેકેટ્સ વહેંચ્યાં છે. રૅશનલ વીચારોનો આવો પ્રચાર અને પ્રસાર હજી સુધી કોઈ છાપું પણ કરી શક્યું નથી!’

 

(શ્રોતાગણ)

 

તાજેતરમાં પ્રકાશીત થયેલી 20મી ઈ.બુક ‘દેતે હૈં ભગવાન કો ધોખા’ના લેખક આદરણીય રમેશભાઈ સવાણીસાહેબ તો પોતાની ઈ.બુકની પ્રસ્તાવનામાં લખે છે કે :નવસારીના રૅશનાલીસ્ટ ગોવીન્દ મારુએ પોતાના બ્લૉગ ‘અભીવ્યક્તી’ મારફતે, દેશ–પરદેશના વીશાળ વાચકવર્ગ સાથે મને જોડીને જે આનન્દ આપ્યો છે, તે વર્ણવી શકાય તેમ નથી. ગોવીન્દભાઈના ‘અભીવ્યક્તી’ બ્લૉગ મારફતે ‘સંદેશ’માં પ્રકાશીત થતી મારી ‘પગેરું’ કૉલમને જાણે ‘પાંખ’ મળી ને તે લોકજાગૃતીનું માધ્યમ બની એનો મને ઉંડો સન્તોષ છે.’

છેલ્લા’ 10 વર્ષથી ‘અભીવ્યક્તી’ બ્લૉગ દ્વારા સમાજમાં વ્યાપ્ત વહેમ, અન્ધશ્રદ્ધા સામે લોકજાગૃતીના વીચારો વહેંચવા બદલ તથા ‘મણી મારુ પ્રકાશન’ના નેજા હેઠળ ઉત્તમ પુસ્તકોની ઈ.બુક્સના નીર્માણનું કાર્ય સુપેરે બજાવવા બદલ મને અને છેલ્લાં 13 વરસથી વીશ્વના હજારો વાચકોને દર સપ્તાહે (અને હવે પન્દર દીવસે), જીવનપોષક અને સત્ત્વશીલ સાહીત્યની લહાણી કરનાર, ‘સન્ડે ઈ.મહેફીલ’ના સમ્પાદક માનનીય ઉત્તમભાઈ ગજ્જરનું ‘ધોળકીયા ફાઉન્ડેશન’ સંચાલીત ‘હરીકૃષ્ણ કૉમ્યુનીટી સેન્ટર’, સુરત દ્વારા, અમારા કાર્યની કદરરુપે, અમારું બન્નેનું વીશીષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

મીત્રો, ગેરસમજ ન થાય એટલે કહું કે, મેં આ બધી માહીતી મારી પ્રશંસા, જાતવખાણ કે આપબડાઈ હાંકવા માટે હરગીઝ નથી રજુ કરી; પણ હું આપ સૌનું ધ્યાન દોરવા માંગું છું કે, આવા બ્લૉગ, ઈ.મહેફીલ કે સોશીયલ મીડીયા મારફતે પણ, દેશ–વીદેશ સર્વત્ર અને તે પણ અસરકારક રીતે, રૅશનાલીઝમનો પ્રચાર અને પ્રસાર થઈ શકે છે. છપાતાં સામયીકોનું તો આ ક્ષેત્રે મોટું પ્રદાન છે જ; પણ બ્લૉગ, ઈન્ટરનેટ કે સોશીયલ મીડીયાના માધ્યમથી રૅશનાલીઝમનું ભવીષ્ય ઈલેક્ટ્રોનીક ગતીએ ખુબ જ ઉજ્જવળ છે.

અન્ધશ્રદ્ધા દૃઢ કરવાનું કામ અખબારો કરે છે. રાશી–ભવીષ્ય, તન્ત્ર–મન્ત્ર, અગોચર વીશ્વની ઘટનાઓ, દોરા–ધાગા, મુઠ–ચોટની જાહેરખબરો વાચકોને ગેરમાર્ગે દોરે છે. ફીલ્મ કે ટીવી સીરીયલોમાં મન્ત્ર–તન્ત્ર, શ્રાપ અને પુર્વજન્મની ઘટનાઓ દર્શાવાય છે. વાસ્તુશાસ્ત્ર, અને જ્યોતીષ જેવી અનેક અતાર્કીક બાબતો દર્શાવાય છે. દર્શકોને લાગે છે કે પોતાના વીકાસ માટે પરીશ્રમ કરવાની કોઈ જરુર નથી; પરન્તુ જ્યોતીષીઓની સલાહ મુજબ તેઓને નડતા ગ્રહની વીંટી પહેરવાથી વીકાસ થઈ જશે. પ્રીન્ટ મીડીયા કે ઈલેક્ટ્રોનીક મીડીયા એકબીજાની હરીફાઈમાં આવું બધું રજુ કરીને અન્ધશ્રદ્ધા ફેલાવે છે. વાચકો કે દર્શકોની ડીમાન્ડ છે; એટલે આપવું પડે, એવી સુફીયાણી દલીલ તેઓ કરે છે. અખબારોનું સર્ક્યુલેશન અને ટીવી સીરીયલોની ટેલીવીઝન રેટીંગ પૉઈન્ટ (TRP) વધારવા માટે, અન્ધશ્રદ્ધાના આવા ડોઝ ચાલુ રખાય છે.

આવી સ્થીતીમાં અન્ધશ્રદ્ધાનો સામનો કરવાનું કામ, એકમાત્ર સોશીયલ મીડીયા જ કરી શકે છે. કારણ કે, સોશીયલ મીડીયાને સર્ક્યુલેશન કે TRPની ચીંતા નથી. સોશીયલ મીડીયામાં હરીફાઈ નથી. ત્યાં સાચી વાત, રૅશનલ વીચાર વ્યક્ત કરવાની મોકળાશ છે, કોઈ પ્રતીબન્ધ નથી. સોશીયલ મીડીયા ઉપર પણ અન્ધશ્રદ્ધાયુક્ત વીચારો રજુ થાય છે; પરન્તુ તેની સામે વીરોધ પ્રદર્શીત કરવાની છુટ છે. આવી તક અખબાર, મેગેઝીન, ફીલ્મ કે ટીવીમાં શક્ય નથી. ત્યાં બધું એકતરફી છે. જ્યારે સોશીયલ મીડીયામાં કશુંય એકતરફી નથી. સોશીયલ મીડીયા પર ‘અભીવ્યક્તીની આઝાદી’ છે.

આ કારણોસર સોશીયલ મીડીયામાં રૅશનાલીઝમનો સૌથી સરળ અને વધુ પ્રચાર–પ્રસાર શક્ય છે. સોશીયલ મીડીયાની એ ખાસીયત છે કે ત્યાં ટુ–વે કૉમ્યુનીકેશન છે, એકતરફી કૉમ્યુનીકેશન નથી. સામેની વ્યક્તીને તર્ક તેમ જ દલીલો દ્વારા તમે સાચી સમજ આપી શકો છો. ‘ડીસલાઈક’ને ‘લાઈક’માં પલટાવી શકાય છે. ‘કૉમેન્ટ’ અનેશેર’ કરી શકાય છે. રૅશનાલીઝમના પ્રચાર–પ્રસાર માટે ‘ચર્ચા’ આવશ્યક છે. ચર્ચા દ્વારા જ વાચક જોડાય છે. ઈ–ચર્ચાના કારણે જ રૅશનાલીઝમનું પ્રસ્થાન અને ગતી શક્ય બને છે. જે કામ અખબાર, મેગેઝીન, ફીલ્મ, ટીવી ન કરી શકે તે કામ ઈ.મેલ, વૉટ્સએપ, ટેલીગ્રામ, ઈન્સ્ટાગ્રામ, બ્લૉગ, ફેસબુક, ટ્વીટર, યુ–ટ્યુબ, ગુગલ+ જેવા સોશીયલ મીડીયા કરી શકે છે. સોશીયલ મીડીયા વ્યક્તીઓ, સમુદાયો વચ્ચે સહભાગી થવાનું માધ્યમ છે.

સોશીયલ મીડીયાની બીજી મહત્ત્વની ખાસીયત એ છે કે તે અતી ઝડપી છે–વીજળી કરતાંયે વેગીલી, અને અતી વ્યાપક છે. તેને કારણે રૅશનલ વીચારોનાં બીજ સહેલાઈથી વાવી શકાય છે. મીડીયા જગત ઉપર આજે સોશીયલ મીડીયાનું રાજ ચાલે છે. લોકજાગૃતીનું સૌથી સબળ માધ્યમ, સોશીયલ મીડીયા છે. સોશીયલ મીડીયાએ ‘વ્યક્તી’ને વાચા આપી છે. વીચારો અને રૅશનાલીઝમનો ફેલાવો કર્યો છે. સૌથી મોટી વાત એ છે કે અહીં કોઈની સત્તા નથી. રાજસત્તા નહીં, ધર્મસત્તા નહીં, જુથ સત્તા નહીં. અખબાર–ટીવીના જેવા માલીકોની સત્તા નહીં, વીચારોની મુક્ત રજુઆત! કોઈ રોકટોક નહીં, કોઈ સેન્સરશીપ નહીં, કોઈ અંકુશ નહીં, માત્રને માત્ર સ્વઅંકુશ. સોશીયલ મીડીયાએ જ્ઞાતી, જાતી, ધર્મ, વંશ, વીસ્તાર, રાજ્ય, દેશ–વીદેશના સીમાડા ભુંસી નાખ્યા છે. સોશીયલ મીડીયા બધા માટે સુલભ છે. ઈન્ટરનેટનો ખર્ચ પણ મામુલી અને આખું વીશ્વ પણ આપણું! આ કારણોસર સોશીયલ મીડીયા થકી રૅશનાલીઝમનો વધુ પ્રસાર શક્ય બન્યો છે તેનો આપણે લાભ લેવો જ રહ્યો.

મારા દસ વર્ષના અનુભવના આધારે હું અત્રે બે વાતો કહીશ. પહેલી એ કે ધાર્મીક ગણાવાતા ક્રીયાકાંડોથી કંટાળેલા લોકો, હવે ધીમેધીમે રૅશનાલીઝમને આવકારી રહ્યા છે. અને બીજી એ કે ઈન્ટરનેટ વીશ્વભરમાં ખુણે ખુણે પહોંચી શક્યું છે. તેથી ઈન્ટરનેટ અને સોશીયલ મીડીયા એના પ્રસારનું સૌથી શક્તીશાળી માધ્યમ બની ગયું છે. ‘અભીવ્યક્તી’ના બ્લૉગર તરીકે કહું કે,  સોશીયલ મીડીયાના માધ્યમથી, કોઈની પણ શેહશરમ રાખ્યા વીના કે, કોઈ પણ પ્રકારની કાપકુપ કર્યા વીના, રૅશનલ વીચારોને રજુ કરવાની શક્તી તમે ધરાવી શકો છો.

મીત્રો, નાતજાત કે ધર્મકોમના ભેદભાવથી પર રહીને, માનવધર્મને વરેલી વીચારસરણી રેશનાલીઝમનો પ્રચાર–પ્રસાર કરવા માટે, સોશીયલ મીડીયાનો સદ્ઉપયોગ કરીને બહુજન સમાજમાં સુખના વાતાવરણનું સર્જન કરી શકાય છે. આવો, આપણે સૌ સાથે મળીને આ મંચ પર તેની પ્રતીજ્ઞા લઈએ.

છેલ્લે, સુરતની અમારી ‘સત્યશોધક સભા’એ પોતાની વેબસાઈટ ‘સત્યાન્વેષણ ડૉટ કૉમ’ બનાવી છે. ત્યાં ‘સત્યાન્વેષણ’ના અંકો અપલોડ થાય છે. એ જ રીતે રૅશનાલીસ્ટ બીપીનભાઈ શ્રોફ પણ તેઓના બ્લોગ પર ‘વૈશ્વીક માનવવાદ’ના અંકો અપલોડ કરે છે. આ ‘નેટપ્રવૃત્તી’ની પણ નોંધ લેવી ઘટે. તે માટે ‘સત્યાન્વેષણ’ના સમ્પાદક પ્રા. સુર્યકાન્ત શાહસાહેબ તથા ‘વૈશ્વીક માનવવાદ’ના સમ્પાદક બીપીનભાઈ શ્રોફને હાર્દીક અભીનન્દન.

 તે સાથે હાલ વર્ધાસ્થીત ડૉ. જી. એન. વણકરસાહેબને યાદ કરીએ. તેમણે આપણાં એકેએક રૅશનલ સામયીકોના અલગ બ્લૉગ બનાવ્યા છે. આટલી વ્યસ્તતા અને દુરી છતાં, ત્યાં રહ્યે અંકો અપલોડ કરવાની સફળ કામગીરી તેઓ બજાવી રહ્યા છે. તે ‘નેટપ્રવૃત્તી’ની વીશષત: નોંધ લઈ, આપ સૌ વતી તેમનો આભાર વ્યક્ત કરું છું.

 

(શ્રોતાગણ)

 

કેટલાક રૅશનાલીસ્ટમીત્રો સોશીયલ મીડીયા પર રૅશનલવીચારો વહેંચે છે એટલું જ નહીં. તેના પર ચર્ચા પણ કરે છે. આ સર્વમીત્રોને દીલી અભીનન્દન.

કામ એટલું મોટું છે કે ‘અભીવ્યક્તી’ જેવા કેવળ રૅશનાલીઝમને વરેલા એક નહીં; સેંકડો બ્લૉગ હોવા ઘટે. જો કોઈ ઉત્સાહીને એવો બ્લૉગ શરુ કરવો હોય, તો બધી મદદ કરવાની મારી પુર્ણ તૈયારી છે. મારો અનુભવ છે કે, મારા બ્લૉગ પર પ્રસીદ્ધ કરવા માટે રૅશનલ લેખો, મને પુરતા પ્રમાણમાં મળી રહે છે.

રૅશનાલીઝમના પ્રચારપ્રસાર અંગેના મારા અનુભવોને આપ સૌએ શાન્તીથી સાંભળ્યા એટલે એરુનવસારીથી ગુજરાત વીદ્યાપીઠઅમદાવાદ સુધીની મારી યાત્રા લેખે લાગી છે. મને આમન્ત્રણ આપવા બદલ આયોજકોનો આભાર.

અન્તમાં રેશનાલીઝમ માટે હું એટલું જ કહીશ કે, અન્ધશ્રદ્ધાળુઓના આ દેશમાં, રૅશનાલીસ્ટોની વસતી ખુબ જ ઓછી છે. માઈક્રોસ્કોપીક માઈનોરીટીમાં છે એમ કહું તો તે ખોટું નથી. વળી રેશનાલીઝમનો માર્ગ પણ ઘણો કપરો છે. એમ સમજો કે કીડીએ હીમાલયની ટોચ પર પહોંચવાનું છે. રૅશનાલીઝમના પ્રચારપ્રસારમાં અનેક પ્રકારના અવરોધો આવતા હોય છે; કેમ કે લોકોની પરમ્પરાગત અન્ધશ્રદ્ધાને નીર્મુળ કરીને, તેને રૅશનાલીઝમ પ્રમાણે અપડેટ કરવાનું કામ ઘણું અઘરું છે એ ખરું; પણ અશક્ય નથી.

ટુંકમાં, ગાલીબની પંક્તીમાં થોડો ફેરફાર કરીને એમ કહી શકાય કે :

યે રૅશનાલીઝમ નહીં આસાં; બસ ઈતના સમજ લીજીયે…

યે કાંટોભરા શહર હૈ ઔર નંગે પેર જાના હૈ…!

મને સૌએ શાન્તીથી સાંભળ્યો તે માટે ફરીથી સૌનો આભાર… ખુબ ખુબ ધન્યવાદ…!!

­–ગોવીન્દ મારુ

વક્તા–સમ્પર્ક : ગોવીન્દ મારુ, 405, સરગમ કો – ઓ હાઉસીંગ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, પોસ્ટ : એરુ એગ્રીકલ્ચર કોલેજ – 396 450. વીજલપોર. જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ–મેઈલ : govindmaru@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર ઈ–મેઈલ : uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 30–04–2018

18 Comments

  1. રૅશનાલીઝમના પ્રચાર–પ્રસારમાં સોશીયલ મીડીયાનું મહત્ત્વ તો છે જ, પરંતુ આ જ સોશીયલ મીડીયા અંધશ્રદ્ધા ના પ્રચાર માં પણ બહુજ આગળ છે તેનુ શું? અંધશ્રદ્ધા ને ફેલાવવા માટે પાખન્ડી ધર્મગુરૂઓ સોશીયલ મીડીયા નો ઉપયોગ કરી ને પોતાના ધંધાને વિકસાવે છે.

    આ વિષે મેં કેનેડાના સમાયીક માં ઉર્દૂ માં ઍક લેખ લખેલ છે, જેનું શીર્ષક આ છે:

    “ આધુનીક યુગ માં મુસ્લીમો ને ગેરમાર્ગે ( અંધશ્રદ્ધા ના માર્ગે ) દોરાવવા માટે ની પદ્ધતિ ! “.

    કાસીમ અબ્બાસ

    Liked by 2 people

  2. ” આધુનીક યુગ માં મુસ્લીમો ને ગેરમાર્ગે દોરાવવા માટે ની પદ્ધતિ !. ”

    ઉર્દૂ ના આ લેખ માં મેં આ પાખન્ડી ધર્મગુરૂઓ અંધશ્રદ્ધા ને ફેલાવવા માટે કેવી કેવી તરકીબો અજમાવે છે તે વિષે લખેલ છે.

    કાસીમ અબ્બાસ

    Liked by 2 people

  3. સ્નેહી ગોવિંદભાઈ,
    ગુજરાત-મુંબઈ રેશનાલીસ્ટ એસોશીએશનમાં આપે આપેલ પ્રવચનનો ચિતાર વાંચી ઘણી જ ખુશી થઈ. ખરેખર આપ કાંટો ભરે શહરમેં નંગે પાવ વિહાર કરી રેશનાલીઝમના પંથને સમતલ બનાવી રહ્યા છો. અંધ શ્રદ્ધાનો સાગર અતિ વિશાળ છે તેમાં હંમેશ ડૂબેલા રહેનારાઓને જાગ્રૂત કરવાનું અભિયાન અતિ વિકટ છે. પણ તેથી હાર માનીને બેસી ન રહેવાય એવા આપના અભિગમને પ્રસંશાના શબ્દો યે ઓછા પડે. આવનારી પેઢી પર બદલાવ આવશે જ એ આશા સાથે આપને અભિનંદન.
    ધનેશ ભાવસાર (કેનેડા)

    Liked by 2 people

  4. कासिमभाईनी वात साची.
    सोशियल मीडिया एक साधन छे;
    तेनो दुरुपयोग करनारा होवाना !
    रसोडानी छरीथी मर्डर करनारा छे.
    तेम छतां-
    1. अहीं विरोध करवानी सुविधा छे.
    2. आ विरोध जुदी जुदी रीते बीजा लोको सुधी
    पहोंचाडी शकाय छे.
    3. आ माटे कोई खर्च थतो नथी.
    4. तेनी पहोंच विश्वव्यापी छे अने झडपी छे.
    5. तेनाथी ‘जडता’ करता ‘जागृति’ अनेक घणी
    थाय छे; जेनुं ‘अभिव्यक्ति’ उदाहरण छे.

    -रमेश सवाणी

    Liked by 3 people

  5. ૨૧મી સદીમાં વ્યક્તી અને તેથી સમાજ પરીર્વતન માટેનું કોઇ સાધન હોય તો તે સોસીઅલ મીડીયા છે. આ સાધનનો સંદેશ છે કે પ્રચાર–પ્રસારના નવા સાધનનો ઉપયોગ કરીને વધુ શીક્ષીત બનો. જાગૃત બનો. તે તમારો વીશ્વસંપર્કનો માર્ગ સરળ બનાવી આપશે. ગોવીંદભાઇનો ‘અભીવ્યક્તી ‘ બ્લોગ એક માનવી સ્વપ્રયત્નોથી કેવી ક્રાંતી લાવી શકે છે તેનો સુંદર નમુનો છે. અભીનંદન. ગોવીંદભાઇ.

    Liked by 2 people

  6. સોશિયલ મીડિયા તથા ટીવી ઉપર આવતી દરેક ખબર કે જાહેરાત સાચી હોય એવી કદાપી માનવું નહિ.. તેમજ ઈન્ટરનેટ ઉપર દવાની જાહેરાતથી વાકેફ રહેવું. ડોક્ટર ની સલાહ વગર કોઈ પણ દવા આપમેળે લેવી નહિ આવું મારું નમ્ર સુચન છે. શ્રી ગોવિંદભાઈનો લેખ અતિ સુંદર. તેમને ધન્યવાદ.

    Liked by 3 people

  7. ગોવિંદભાઇ,
    હાર્દિક અભિનંદન.

    સોશીયાલીઝમ અેટલે બુદ્ઘિવાદ.

    અભિવ્યક્તિ લેખોની શરુઆતમાં શરુઆતમાં ગૌતમ બુદ્ઘે તેમના સંદેશામાં જે કહેલું છે તે બુદ્ઘિવાદ છે.

    દુનિયાની કોઇપણ વાત સમજ્યા વિચારવા વગર માની લેવી તે, સોશીયાલીઝમ..કે ગુજરાતીમાં બુદ્ઘિવાદ નથી.

    બદ્ઘિવાદ વિજ્ઞાનનું પ્રથમ ચરણ છે. જીવનની સફળતાનું રહસ્ય છે.

    વિજ્ઞાની પ્રયોગ કરીને, સાબિત કરીને જ પોતે માને છે અને દુનિયાને આપે છે જેથી દુનિયાનું ભલુ વઘારે થાય છે…..નુકશાન ઓછું.

    ગૌતમ બુદ્ઘના આ સંદેશા વિના અભિવ્યક્તિ અઘુરી હશે. હંમેશા તે શિરતાજ બની રહેવો જોઇઅે.

    તમે સભા સંબોઘન સરસ કર્યુ હતું.
    અભિવ્યક્તિ નો ઇતિહાસ પણ સરસ સમજાવ્યો. બીજા રસ ઘરાવતાં ભાઇ બહેનોને પણ તે સંઘાષણમાં નિમંત્રણ મળી ગયુ હતું.
    હાર્દિક અભિનંદન.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  8. Respected Govindbhai,

    After 45 years in USA at the end of last year I retired from 40plus years of banking career. Coincidentally at the same time I ran across your articles and have been following them. It’s music to my ear. For years I firmly believed there is a significant exploitation under the cover of religion, Vastu, astrology and tradition. You have inspired me to be more vocal thru social media in this regard. I will do my utmost to make a positive difference in the society, albeit it is a hurculean task.

    For lack of my proficiency in Gujarati, kindly let me know a Gujarati/Hindi word for rationalism.

    Needless to say I am firm believer in your mission. Looking forward to constructive engagement.

    Narendra Patel
    Texas, USA
    281-686-6055

    Liked by 1 person

    1. વહાલા નરેન્દ્રભાઈ,

      ‘રૅશનાલીઝમ’ અંગે પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)એ લખ્યું છે :

      રૅશનાલીઝમનો પાયો માણસની ‘બુદ્ધી’ (ઈન્ટેલીજન્સ) નહીં; પણ ‘વીવેકબુદ્ધી’ (રીઝન) છે. માટે જ ઓક્સફર્ડ ડીક્શનરી પણ બરાબર આવો જ અર્થ આપે છે: Theory that reason is the foundation of certainty is knowledge અર્થાત્ ‘જ્ઞાનની પ્રાપ્તીનો પાયો વીવેકબુદ્ધી છે એવો સીદ્ધાન્ત તે રૅશનાલીઝમ.’

      સોર્સ : https://govindmaru.wordpress.com/2015/02/06/raman-pathak-33/

      ધન્યવાદ…

      –ગો. મારુ

      Liked by 1 person

  9. “રેશનાલીઝમના પ્રચાર – પ્રસારમાં સોશીયલ મીડીયાનું મહત્વ” વિષે આપનું વક્તવ્ય વાંચ્યું.
    આપાના અથાક -અવિરત પ્રયત્નો તેમજ સાથે જોડાયેલ અન્ય માહનુભાવોનો સહકાર સકારાત્મ્ક
    અભિગમ ઉભો કરશે એ આશાસહ અભિનંદન.

    Liked by 2 people

    1. રેશનલ ના હોય તેવા ઘણા વયસ્કોને કોમ્પ્યુટર આવડતું નથી હોતું. પરંતુ તેઓ
      ટેબ્લેટ પર વાનગી, ગુજરાતી નાટકો વગેરે જોતા હોય છે. તેમને માટે એવું કોઈ
      application બનાવી શકાય કે જેની મદદથી તેઓ ટેબલેટ પર અભીવ્યક્તી વાંચી શકે?

      Liked by 2 people

  10. As you told in your lecture, I am also not a man of language or literature so I am not able to express my comments in the words. But whatever you have initiated, it will create a concrete output in long run. I wish you all the best for your creative social activity.

    Liked by 2 people

    1. Congratulations to Govindbhai. Gujarat needs many more committed and courageous people like you.
      Please continue the good work. —Thanks. — Subodh Shah —

      Liked by 2 people

  11. મારો એવો અનુભવ છે કે જેમ ધર્મમાં માનનારા ઝનુની લોકો હોય છે, તેમ રૅશનાલીઝમમાં માનનારા પણ ઝનુની લોકો હોય છે. તેમને ગીતાની શાણી વાતની પણ સુગ હોય છે. રૅશનાલીઝમનો પ્રચાર અને પ્રસાર સોશીયલ મીડીયાને કારણે જ શક્ય બનશે કારણ કે તેમાં લેખકના વીચારોમાં પોતાની માન્યતા પ્રમાણે કાપકુપ કે ‘ચેડાં’ કરનાર કોઈ તન્ત્રી હોતો નથી.

    Liked by 2 people

    1. મુદ્દાની વાત લખી આપે. ધર્મ હોય કે રેશનાલીઝમ, છે તો માનવહિત માટે ને? તેમાં ઉગ્રતા ના હોવી જોઈએ.

      Liked by 2 people

Leave a comment