માણસ નામે મ્‍યુઝીયમ….!

  1. ૩૦

માણસ નામે મ્‍યુઝીયમ….!

– દીનેશ પાંચાલ

એક મીત્રે કહ્યું– ‘અમારા મહોલ્લામાં મન્દીરનો એક પુજારી રહે છે. બસ ઉભી રખાવતો હોય એમ અધીકારપુર્વક તે હાથ બતાવીને મારું સ્‍કુટર ઉભું રખાવે છે. મારી સમ્મતી વીના જ તે પાછલી સીટ પર બેસી જાય છે અને ઉતર્યા પછી આભાર વ્‍યક્‍ત કરવાને બદલે સીટી બસમાંથી ઉતર્યો હોય એ રીતે ઝડપથી રસ્‍તે પડે છે. એ માણસ ચાળીશ વર્ષથી ભગવાનની સેવા કરે છે; પરન્તુ વ્‍યવહારમાં કેવો અવીવેકી છે તે જોઈ વીચાર આવે છે કે શીષ્ટાચાર વીનાની ખોખલી ધાર્મીક્‍તાથી પ્રભુને દુઃખ થતું હોય કે ન હોય માણસને જરુર થાય છે!

મીત્રની વેદના વીચારણીય છે. આપણી પ્રજામાં આદર્શ માનવવ્‍યવહારની સમજ ચીંતાજનક રીતે ઓછી છે. માણસ દેવળમાં કેવું વર્તે છે તે કરતાં દુનીયામાં કેવું વર્તે છે તે પરથી દેશની સંસ્‍કૃતીનું માપ નીકળે છે. વીદેશોમાં ગુંડો ય ‘સોરી’, ‘થેંક્‍યુ’ કે ‘મે આઈ હેલ્‍પ યુ?’ જેવા શીષ્ટાચારયુક્‍ત શબ્‍દો બોલતો હોય છે. આપણે તોછડા વ્‍યવહારની અને જાડી બુદ્ધીની પ્રજા છીએ. આપણી કાયમી દોટ મન્દીર તરફ હોય છે. પ્રભુભક્‍તીમાં આપણે એટલો સમય વીતાવીએ છીએ કે જીવનમાં શીખવા જેવું ઘણું ચુકી ગયા છીએ.

ફ્રેંચ દાર્શનીક વોલ્‍તેયરે કહ્યું છે, ‘આ દુનીયા વીચીત્રતાનું મ્‍યુઝીયમ છે. તેમાં માણસ સૌથી વધુ ધ્‍યાનાકર્ષક પીસ છે!’ આ વોલ્‍તેયરસાહેબ ગુજરાતીઓના પરીચયમાં આવ્‍યા હોત તો એવા નીષ્‍કર્ષ પર આવ્‍યા હોત કે માણસ પોતે જ દુનીયાભરની વીચીત્રતાઓનું મ્‍યુઝીયમ છે. એ મ્‍યુઝીયમના કેટલાંક નમુનાઓ આ રહ્યાં :

(1) ગુજરાતનો એક ખ્‍યાતનામ કવી જમતી વખતે દાળ અથવા કઢીનો એવો જોરદાર સડાકો બોલાવે છે કે ઉંઘમાં પડેલી વ્‍યક્‍તી પણ ઝબકીને જાગી જાય.

(2) ઓ.એન.જી.સીમાં કામ કરતો એક કર્મચારી ઘરમાં પોતાના પરીવાર સાથેની વાતચીત પણ એવા ઉંચા સાદે કરે છે કે આખા મહોલ્લાએ ફરજીયાત તેમની કુટુમ્બચર્યા સાંભળવી પડે છે.

(3) અમારી પડખેના ગામનો એક મુખી મળશ્‍કે ઉઠીને દાતણ કર્યા પછી ઉલ કાઢતી વેળા એવો વીચીત્ર અવાજ કાઢે છે કે અસરગ્રસ્‍ત લોકોની મીઠી નીંદર છીન્‍નભીન્‍ન થઈ જાય છે.

(4) અમારા એક પરીચીત (પ્રાથમીક શાળાના આચાર્ય) બે વાર ચાલુ ગાડીએ ઉતરવા જતાં પટકાયા છે; છતાં એ કોઈ જીવલેણ અકસ્‍માતની પ્રતીક્ષામાં હોય તેમ હજી પોતાની આદત પર અટલ છે.

આ યાદી હજી લાંબી થઈ શકે; પરન્તુ એક અન્તીમ ઉદાહરણ જોઈ આગળ વધીએ. એક વાચકમીત્ર તેમના પત્રના મથાળે ‘નમઃ શાંતાજય તેજસે’ એવું ધાર્મીક સુત્ર અચુક લખે છે (દરેક પત્રમાં ફરીયાદ કરે છે ‘તમે પત્રનો જવાબ કેમ નથી આપતા?’); પરન્તુ તેમનું પુરું સરનામુ, પીનકોડ, ફોનનમ્બર વગેરે કશું લખતાં નથી. તેમને પ્રત્‍યુત્તર શી રીતે આપવો? (ડાયરીના કોણ જાણે કયા ખુણામાં એમનું સરનામુ લખાયેલું હોય કે ન પણ હોય…) અમારા એક સ્‍નેહી વળી પત્રના મથાળે ‘ઓરુમ્‌… જય જલારામ… શ્રીરામ’ એવું તેવું લખે છે પણ તારીખ નથી લખતા.

આપણે આવું કેમ કરીએ છીએ?

જીવનની નાની નાની બાબતોમાં આપણે કેવી રીતે વર્તીએ છીએ તેનો આધાર આપણું શીક્ષણ, આપણું ઘડતર, આપણાં સંસ્‍કાર અને આપણી આંતરસુઝ પર રહેલો છે. આપણે ત્‍યાં બહુધા લોકો બુદ્ધીદારીદ્રયથી પીડાય છે. શીસ્‍ત, સંસ્‍કાર, સમજદારી, સૌજન્ય વગેરે બાબતોમાં આપણી છબી ખાસ સન્તોષકારક નથી.

અમારા બેંકમેનેજરને એક વીચીત્ર અનુભવ થયેલો. એમના એક પરીચીતને ત્‍યાં એમણે વહેલી સવારે કોઈનો ટેલીફોનીક સંદેશો કહેવા જવાનું થયું. ગૃહીણીએ એમને સ્‍ટીલના પ્‍યાલામાં પાણી આપ્‍યું. એમણે મોઢે માંડ્યું કે તુરત એમનું મો કટાણું થઈ ગયું. એમના મોમાંથી પ્રશ્ન સરી પડ્યો, ‘ગઈ કાલે રાત્રે તમારે ત્‍યાં નોનવેજ રંધાયું હતું?’ પેલા બહેને સહેજ સંકોચાઈને હા કહી એટલે એ જરા વધુ ગુસ્‍સે થઈ બોલી ઉઠ્યા, ‘દીવાલો પર હારબન્ધ ભગવાનના ફોટા લગાડ્યા છે. રોજ સવારે બધા માળા અને દીવા દીવેટ કરો છો પણ જરા એટલું તો શીખો કે ઘરે આવનારને ગંધાતા ગ્‍લાસમાં પાણી ના અપાય! એક માળા ઓછી કરો તો ચાલશે પણ વાસણ ચોખ્‍ખાં રાખો સમજ્‍યાં?’ ને એ વડીલ પોતે કયો સંદેશો આપવા આવ્‍યા હતા તે ભુલીને કડવા મને ઘરે ચાલ્‍યા ગયા. પેલી ગૃહીણીને શીખામણ આપી શકાય એવો એમનો સમ્બન્ધ હતો તેથી તેઓ ગુસ્‍સો કરી શક્‍યા. તેમને સ્‍થાને કોઈ અજાણ્‍યો માણસ હોત તો તેણે ગંધાતા પાણી ભેગો ગુસ્‍સાનો ઘુંટડોય  ગળી જવો પડ્યો હોત.

ઘણાના ઘરોમાં વાસણોની સ્‍વચ્‍છતા કામવાળીની મુનસફી પર છોડી દેવાતી હોય છે. મહેમાનો સમક્ષ ઘરનું ખરાબ ચીત્ર રજુ ના થાય તે જોવાનું કામ ખાસ તો ગૃહીણીઓનું હોય છે. (સૌ પ્રથમ તો વહેલી સવારે ઘરે આવનારને પાણી ના આપો તો કશું ખોટું નથી. આમેય આપણે ત્‍યાં પાણીની સમસ્‍યા વર્ષોથી ચાલે છે. મહેમાન માંડ એકાદ બે ઘુંટ પાણી પીને ગ્‍લાસ પાછો આપે છે. બાકીનું પાણી આપણે ઢોળી નાંખતા હોઈએ છીએ.) મહેમાનોનું જલપાનથી સ્‍વાગત કરવાની આપણી સાંસ્‍કૃતીક પ્રણાલી છે. એથી પાણી આપો તો એવી સભ્‍યતાપુર્વક આપો કે ન પીવું હોય તોય ઘુટડો પી લેવાનું ગમે. જેમ કે રસોડામાં રોજ વપરાતા સ્‍ટીલના ચાલુ વપરાશના પ્‍યાલામાં આપવાને બદલે સુંદર ટ્રેમાં, કાચના સ્‍વચ્‍છ ગ્‍લાસમાં પાણી પેશ કરો તો આગંતુકને ઉત્તમ મહેમાનગતી માણ્‍યાની આનન્દજનક અનુભુતી થાય. જે પાણીમાં ઘરની સભ્‍યતા ભળી હોય તે પાણીની મીઠાશ કંઈક ઓર હોય છે!

વાત નોનવેજની નીકળી છે તો એક બે બીજા મ્‍યુઝીયમની મુલાકાત લઈએ. કો– ઑપરેટીવ બેંકમાં કામ કરતા એક ચુસ્‍ત ધાર્મીક માણસને હું ઓળખું છું જેણે એક સીક્કો (રબર સ્‍ટેમ્‍પ) બનાવ્‍યો છે. તેમાં લખ્‍યું છે– ‘માંસ, મચ્‍છી, દારુ ત્‍યજો સવાર સાંજ પ્રભુને ભજો…!’ એ સ્‍ટેમ્‍પ તે દરેક ચલણી નોટો પર મારી પોતાના ધાર્મીક વીચારોનો પ્રચાર કરે છે. વાત આટલી જ હોત તો ઠીક પણ એ વ્‍યક્‍તીના ઉપરી અધીકારી કહે છે : ‘એ એક નમ્બરનો દમ્ભી અને કામચોર માણસ છે. વખત મળે તો રામનામની ચોપડી લખવા બેસી જાય છે પરન્તુ વીનન્તી કરીએ તોય ચઢેલું કામ કરવાનું કોઈને કોઈ રીતે ટાળે છે એથી નાછુટકે અમારે લોડ ખેંચવો પડે છે!’

માણસના અબૌદ્ધીક આચરણનો એક વધુ નમુનો જોઈએ. એક ઍપાર્ટમેન્‍ટના પાંચમા માળેથી એક છોકરો નીચે ગ્રાઉન્‍ડ ફલોર પર રહેતા માણસને કહી ગયો– ‘તમને મારા પપ્‍પા અર્જન્‍ટ બોલાવે છે!’ પેલા ભાઈને દમ અને વાનો વ્‍યાધી હતો. છતાં ‘અર્જન્‍ટ’ શબ્‍દને મહત્‍વ આપી ધીમે ધીમે પાંચ દાદર ચઢી ઉપર ગયા અને પુછ્યું તો કહે, ‘ખાસ કામ નથી… પાંચસો રુપીયા ઉછીના જોઈએ છે. બાબાને નોકરી મળી ગઈ છે… સત્‍યનારાયણની કથા માની હતી તે કરાવવી છે!’ પેલી ઘરડી વ્‍યક્‍તીએ સમ્બન્ધની શરમે પૈસા માટે હા કહી પણ મનોમન એ સમસમી રહ્યાં કે ઉછીના પૈસા માટે મારા જેવા દમીયલ માણસને પાંચ દાદર ચઢાવવાને બદલે એ જાતે ન આવી શક્‍યા હોત? અથવા ફોન કર્યો હોત કે બાબા જોડે ચીઠ્ઠી મોકલી શક્‍યા હોત. એટલેથી જ ના પત્‍યું. ઉતરવા જતા હતા ત્‍યાં વળી પેલા ભાઈની પત્‍નીએ એમના હાથમાં શેક કરવાની કોથળી પકડાવતાં કહ્યું– ‘જરા ત્રીજે માળે ચંપાબેનને આ કોથળી આપી દેજોને… એકાદ મહીનાથી અમારે ત્‍યાં પડી છે. લાવ્‍યા હતા તે આપવાનું ભુલી ગયા છીએ. તેઓ શોધતાં હશે…!’

બાલ્‍યકાળની કંઈક આવી જ ઘટનાનું સ્‍મરણ થાય છે. અમારા પાડોશમાં રહેતી એક સ્‍ત્રી ઘણીવાર રાવ કરતી, ‘ફલાણી બાઈ સત્‍યનારાયણનો શીરો શેકવા મારી પીત્તળની તપેલી લઈ ગઈ છે. મહીનો થયો તોય હજી આપી નથી ગઈ… હું જાતે લેવા જઈશ ત્‍યારે જ આપશે!’

માનો યા ના માનો પણ જીવનવ્‍યવહારની આવી નાની નાની બાબતો (લીટલ કર્ટસીઝ) માટે આપણે ધર્મ કરતાં શીક્ષણ (ઘડતર)પર વીશેષ આધાર રાખવો પડે છે. આપણે કથા ભલે કરાવીએ; પણ કોઈને વ્‍યથા થાય એવું આચરણ ના કરીએ. માંસ–મચ્‍છી–દારુ–તાડી છોડો એવો પ્રચાર કરતા કોઈ આસ્‍તીક કામચોર કરતાં દારુ પીને તનતોડ મહેનત કરતા નાસ્‍તીક કર્મચારી પ્રત્‍યે મને વધુ માન છે. ભગવાનની મુર્તીને રોજ ગંગાજળમાં નવડાવીને શુધ્‍ધ રાખતાં એક કાકાનું મેલું દાંટ ધોતીયું જોઈને હું વીચારી રહું છું– ભગવાન જેવી પરમ શુધ્‍ધ, નોનવોશેબલ ચીજને નાહક ધો ધો કરવાને બદલે માણસ પોતાની જાતને જ સ્‍વચ્‍છ રાખતો હોય તો ભગવાનનેય તે જરુર ગમે! હું ભગવાન હોંઉં તો દરેક પુજારીને સ્‍વપ્‍નમાં દર્શન દઈને વૉર્નીંગ આપી દઉં– દોસ્‍ત, અડધો કલાક મારું મન્દીર મોડું ખોલીશ તો હું તારી સામે કોઈ ડીસીપ્‍લીનરી એક્‍શન નહીં લઉં; પણ રોજ તારે દાઢી કરવાનું ફરજીયાત છે! સત્‍સંગ છોડી કોઈની સ્‍મશાનયાત્રામાં જનાર કે ભગવાનની આરતી છોડી એમ્બ્યુલન્‍સ માટે દોડી જનાર માણસને હું સાચો ધાર્મીક ગણું! સુવર્ણકાર ઘરેણા પર બારીક નકશીકામ કરી તેને છેવટની સુંદરતા બક્ષે છે તે રીતે માણસ પણ આદર્શ માનવવ્‍યવહાર અને શીષ્ટાચાર વડે આદર્શ નાગરીક બની શકે છે. યકીન માનજો મીથ્‍યા ધર્મઝનુનને કારણે જે દેશમાં મન્દીર મસ્‍જીદ તુટવાં લાગ્‍યાં છે તે દેશને આદર્શ નાગરીકની જરુર પહેલાં ક્‍યારેય નહોતી એટલી આજે છે!

– દીનેશ પાંચાલ

લેખકમીત્ર શ્રી. દીનેશ પાંચાલનું મુલ્યવાન રૅશનલ પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલીની વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત  395 001 ફોન : (0261) 259 7882/ 259 2563 ઈમેલ : sahityasangamnjk@gmail.com પાનાં : 126, મુલ્ય : રુપીયા 90/-)માંનો આ 30મો લેખ, પુસ્તકનાં પાન 102થી 105 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ .મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 09/04/2018

25 Comments

  1. ‘માણસ નામે મ્યુઝીયમ’ એ શિર્ષક હેઠળ દીનેશભાઈ પાંચાલનો લેખ ખરેખર હ્રદયસ્પર્શી છે. કેનેડામાં બસમાંથી ઊતરતી વખતે પેસેન્જર ડ્રાઇવરને Thank You કહીને ઊતરે છે. અને તે પણ પ્રત્યુત્તરમાં Have A Nice Day કહે છે.

    Liked by 3 people

  2. શ્રી ગોવિંદભાઈ,
    તમે મારા પુસ્તક “ચાલો, આ રીતે વિચારીએ”નો ત્રીશમો લેખ આજે સરસ રીતે રજૂ કર્યો તે બદલ તમારો હાર્દિક આભાર!
    હવે માત્ર છ લેખ બાકી રહ્યાં છે.
    મજામાં હશો.
    –દિનેશ પાંચાલ

    Liked by 2 people

  3. સદ્દગુણ, સદાચાર, સંસ્કાર, સદ્દવર્તાવ તથા આદરપુર્વક અને નમ્રતાપુર્વક વર્તાવ ઍ મનુષ્ય ના આભુષણો કહેવાય છે. આ વિષે મુસ્લિમ ધર્મશાસ્ત્ર માં ઘણા આદેશો આપવામાં આવેલ છે.

    કાસીમ અબ્બાસ

    Liked by 2 people

  4. અમારી સોસાયટીના કેટલાક ધનીક અને આસ્તીક ‘સભ્યોની’ અસભ્યતા જણાવવાની લાલચ રોકી શકતો નથી. They have money to burn. ઘણાં પૈસા હોવાને કારણે લગભગ દરેક શનીવારે કોઈકને કોઈકને ત્યાં ધુમધડાકા મ્યુઝીક સાથે રાત્રે ત્રણ વાગ્યા સુધી પાર્ટી ચાલતી હોય છે. દીવાળી દરમીયાન રાત્રે 11 થી 2 સુધી થોડી થોડી વારે ઍટમ બૉમ્બના ધડાકા અથવા 10,000 ટેટાની લુમ ઉંઘવા દેતી નથી. સોસાયટીના રસ્તામાં કરેલા બમ્પ તેમની 25 લાખની મોટરની ઝડપ ઉપર નીયન્ત્રણ રાખવા અસમર્થ છે. આપણી મુશ્કેલી એ છે કે વાતાનુકુલ મૉલમાં સન્સ્કારના ડબ્બા વેચાતા નથી.

    Liked by 2 people

  5. Whole heartedly agree with the author and learned commentators above. Hypocracy and Ill mannerism are in our genes. Very sorry to say but I don’t see any cure of this disease.

    Liked by 2 people

  6. I don’t like to judge anyone, either about the anecdotes above or in real life. However, I have learnt that there are many people who are hypocrites: good at giving advice but won’t follow themselves. Why do they do it? The only answer I have is lack of Education, Bad habit, Ignorance or too Arrogant.
    So much work needs to be done, oh dear!
    A lot of people go to their Places of Worship and instead of offering prayers, what do they do? Gossip and more gossip!
    Some people have two brains: one to use and one to loose!

    Good attitude, Common-sense and Empathy should be the Building blocks in everyone’s lives.
    Yes, manners! We do teach manners to our children but at the same time some people don’t follow themselves and that’s why there is so much confusion amongst young people. It’s like a disease, spreading everywhere.
    Last year when I visited India, I said ‘Please, Thank you and Excuse me’ out of habit. People just laughed at me and told me not to say such words! I was totally taken aback.

    Finally, I have a rule: don’t do unto others if you don’t like it, simple.
    We are all responsible to our own Conscience, aren’t we?

    Well done to Dineshbhai and Govindbhai for bringing this matter into the open.
    Until next time…
    Take care!
    Urmila

    Liked by 2 people

  7. Very good responses, the one from Urmila ji is the type of response I completely endorse and agree with all others as well. Our own conscience and our own behaviour is our own responsibiilty. Day by day, we see the way in which the people are behaving in their personal and public lives and one thinks as to whether most of those have something called ‘conscience’ or not. Shri Dineshbhai Panchal talks about ‘ideal human being’ – it is difficult to find a normal – not ideal – but straightforward and simple (and therefore may be ideal) human being in normal day to day life Sir. Very relevant article amongst many being shared on ABHIVYAKTI and therefore, I read these ones very regularly. Thank you.

    Liked by 1 person

  8. કયાંક વાંચ્યું હતું કે ભારતમાં દરેક કિલોમીટરના અંતરે એક મંદિર આવેલું છે. આ મંદિરોમાં દંભી-ભોટભક્તિ કરવાના બદલે true humanbeing કે શિસ્તના પાઠ ભણાવવા જોઈએ પણ પોતાના વ્યવહારથી બીજાઓને શું તકલીફ પડે છે એ ન વિચારનાર પ્રજા ભણશે?
    કયારે?
    કોણ ભણાવશે???

    Liked by 1 person

  9. સુજ્ઞ દિનેશભાઇ,તથા ગોવિંદભાઇ,માણસ નામે મ્યુઝીયમ લેખ વાંચ્યો. એટલા પુરતી તમારી વાત સાચી છે કે આપણે અમુક વખતે સામી વ્યકિતની અગવડસગવડ કે આભાર વ્યકત કરવાનોમ વિવેક ચુકી જઇએ છીએ. અંગ્રેજીમાં જેને કહેવાય કે take for granted. અથવા આમાં તમે શું નવાઇ કરી? પાડોશીને ત્યા બાળકોને રમવા મોકલીને રખડવા ઉપડી જતી માતાઓ મનમાંએવુ સમજે કે છોકરા તો એની મેળે રમે છે.એમાં જે તે બેનને શું વાંધો હોય? અથવા પોતાના છોકરા બીજાને ઘેર બધુ અવ્યવસ્થિત ગંદુ કરે કે હાથે કબાટ કે ફ્રિજ ખોલીને ખાવાપીવાની ચીજ લઇ લે એમાં એવી બહેનો પોતાના સંતાનોની ચાલાકી પર ગર્વ લેછે. આવી તો ઘણી સામાજિક બાબતો છે કે જ્યા આપણે આભાર વ્યક્ત કરવાનું ચુકી જઇએ છીએ. બસમાં કે રેલ્વેમાં જગ્યા કરી આપનાર ને આપણે માટે ઉભા રહેવાની સજા ભૌગવનાર ને સાચા સ્મિતથી આભાર માનવાનૂ પણ ભુલી જવાય છે.આમાં આ જ વૃતિ કે શું નવાઇ કરી? લાંબા સમયથી ચાલી આવતી વિવેકશુન્યતાનું પરિણામ કે લોકો આવા ભલાઇના કામ કરતા અચકાય છે. કયારેક તો ઘરમ કરતા ઘાડ પડે ને સાંભળનાર કહે કે તમને કોણે પાણો મુક્યો તો! બીજી તરફ આ સોરી ને થેક્યુ જેવા સારા શબ્દોના અતિરેકે એનું મુલ્ય ઓછુ કરી નાખ્યું છે. આ શબ્દો ચલણી સિક્કા જેવા બની ગયા છે. કેમ કે ‘સોરી’ કહેનારના મોં પર દિલગીરી દેખાતી નથી કે થેક્યુ કહેનાર કયારેક કહેવા ખાતર કહેતો હોય એમ લાગે. જેમ કોઇ માણસ એકબીજાને મળે તો કેમછો, મજામાં ?તો મજામાં કહેવું પડે. પછી ભલે તમે આસીયુમાં હો.બીજુ દરેક સમાજમાં માણસ સહજ દુર્ગુણ ને નિર્બળતા હોવાની. માણસ સમાજમાં રહે છે. એટલે સામાજિક દબાણ કામ કરી જાય છે. ખાસ કરીને આપણા સમાજમાં જ્યા માણસને ગળે
    ‘આબરુ” નામનું ઘંટીનું પડ એવું વળગેલુ હોય છે કેજેને માટે માણસ પોતાના હાથે જ કહેવાતી આબરુ બચાવવા દિકરા
    દિકરીને વધેરી નાખતા અચકાતો નથી. માણસ માત્ર નકાબ પહેરે છે. સ્વયમશિસ્ત લોકો કે પ્રજા બહુ ઓછી છે. લોકો કાં
    ધર્મ કે કાયદા એટલે કે સજા અને સત્તાથી સીધા ચાલે છે. આ દેશમાં પણ કારની રાઇડ માંગીને કારના માલિકને લુંટી લેવા થીમાંડી હત્યા સુધીના બનાવો બનતા હોય છે. ભલે કવચિત હોય પણ માણસની ભલી લાગણીને દ્વિધામાં તો મુકી દે. માણસનો માણસ પરથી ભરોંસો ઉઠી જાય એના જેવી કમનસીબી શું હોઇ શકે?

    Liked by 1 person

  10. “આપણે જાડી બુદ્ધીની પ્રજા છીએ.” — — Very true.

    “પ્રભુભક્‍તીમાં આપણે એટલો સમય વીતાવીએ છીએ કે જીવનમાં શીખવા જેવું ઘણું ચુકી ગયા છીએ.” — That is exactly the reason why we have become like that.

    Dear Dineshbhai, Congrats for a courageous article ! — Subodh Shah , USA.

    Liked by 1 person

  11. આટલું બધું સારું લખાય છે પણ લોકોમાં સુધારો આવતો દેખાતો નથી.
    અભિનંદન

    Liked by 1 person

  12. અને, હવે મારી કોમેન્ટ. છેલ્લી કોમેન્ટ કહે છે તેમ —-આટલું બધું સારું લખાય છે પણ લોકોમાં સુધારો આવતો દેખાતો નથી.—— ક્યાંથી આવે? સંસ્કારો અને શિસ્તને સમજવામાં ક્યાંક ભૂલ કરી રહ્યા છીએ. નાનપણથી જ શીખવાડાય છે, ઓ ઇશ્વર ભજીએ તને મોટુ છે તુજ નામ….પરંતુ વિવેક ક્યારેય શીખવાડાય છે ખરો? વિવેક વગરના વૈશાખનંદનો આપણી ઉપર ધૂળ ઉડાડવાનુ કામ કરે છે. જેમ લેખકશ્રીએ કેટલાક ઉદાહરણો ટાંક્યા છે તેવા અનેક લોકો નથી દેખાડતા શુધ્ધિ કે નથી દેખાડતા બુધ્ધિ. એવાઓને ઘણીવાર અક્કલના ઓથમીર કે બુધ્ધિના બારદાન કહેવામાં આવતા હોય છે. આપણી આસપાસ ખૂબ જ કાદવ કીચડ નકલી ધાર્મિક્તાએ વેર્યો છે. અને એટલે જ તો ગુલાબના બદલે કમળના ફૂલ માટે પ્રજા ભરમાઇ છે. સુગંધિત ગુલાબના ફૂલની ફોરમની જેઓને ગતાગમ નથી તેવા લોકોનુ સ્વાગત એવા હારથી કરવામાં આવે છે. માત્ર, વિરોધાભાસવાળી ઘટનાઓના આપણે સૌ રેશનાલીસ્ટો સાક્ષી બનીએ છીએ.
    બાકી, જીવનવ્‍યવહારની નાની નાની બાબતો (લીટલ કર્ટસીઝ) માટે આપણે ધર્મ કરતાં શીક્ષણ (ઘડતર)પર વીશેષ આધાર રાખવો પડે છે.—-આ વાત લેખકશ્રીની સો ટકા સાચી વાત છે.
    શરૂઆત મારાથી અને તમારાથી કરવી પડશે. નહીંતર મ્યુઝીયમની યાદીમાં આપણુ નામ આવી જશે.
    ગોવિંદભાઇ તમે મથ્યા કરો એવુ નહીં , અમે સૌ વિવેકબુધ્ધિને વિસ્તારીશુ.
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    રોહિત દરજી”કર્મ”,હિંમતનગર મો.9426727698

    Liked by 1 person

    1. વહાલા અરવીન્દભાઈ,
      ‘માણસ નામે મ્‍યુઝીયમ….!’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      –ગો. મારુ

      Like

  13. I would venture to claim that we Indians as a race have no civility or a sense or accountability for common good. Many a times, I have observed that Indians have a dual personalty. One while in the company of westerners when they act temporarily like civilized human beings and while when in an all-Indian environment, they are totally uncivilized which I submit, is shamefully true is their predictable behavior. This was reflected upon almost 600 years ago by Shakespeare in As You Like It, All the world’s a stage,. And all the men and women merely players;. They have their exits and their entrances;. And one man in his time plays many parts. Unfortunately in case of Indians, most can be accused of playing the same part of anti-social actors while in company of other Indians, with a uncivilized behavior resulting in rampant corruption, and communities and public places overflowing with filth. Unfortunately there is nothing new in this, everyone is responsible, either by not doing something about it or by tolerating it and providing a mere lip-service, for as long as one cares to remember.

    Like

  14. આ લેખમાં આપણી સંસ્કૃતિના મ્‍યુઝીયમના નમુનાઓ જોયા બાદ એવું જરૂર લાગે કે અહીં પરદેશમાં રોજ ઊઠીને જીવાતી જિંદગીમાં શિષ્ટતા, સભ્યતા, નમ્રતા, વિનયિતા વધારે જોવામાં આવે છે.

    Liked by 1 person

    1. વહાલા અતુલભાઈ,
      ‘માણસ નામે મ્યુઝીયમ….!’ લેખને ‘RKD-रंग कसुंबल डायरो’ બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      –ગો. મારુ

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s