‘મારામાં વીશ્વાસ નથી, પીરદાદામાં છે!’

–રમેશ સવાણી

 “મેનકા! મારી પ્રીય ડાર્લીંગ! તારા રુપનો નશો માદક છે, મધમધતો છે. ચમેલીનાં ફુલ જેવી સુગન્ધ તારી ઉંચી, પાતળી પણ ભરાવદાર કાયામાંથી વહેતી રહે છે! દાડમના દાણા એક લાઈનમાં ગોઠવાઈ ગયા હોય તેવા તારા દાંત! તારા મોહક હોઠ મને વધુ તરસ્યો બનાવે છે! તારી અણીયાળી આંખો મારા હૃદયને વીહવળ બનાવી મુકે છે! રુપ નીતરતો તારો ચહેરો મને નશામાં ડુબાડી દે છે! તારા કારણે મારા જીવનમાં ઉજાસ ફેલાઈ ગયો છે!”

“મનોજ! તું બહુ નમણો છો. તું હસે છે ત્યારે તારો ચહેરો ખીલી ઉઠે છે!”

“મેનકા! ભગવાને તને રુપ આપવામાં કંઈ બાકી રાખ્યું નથી. હું કેટલો ભાગ્યશાળી છું. તારા રુપને હું કાયમ પીતો રહીશ!”

“મનોજ! હું તારા માટે જ છું!”

“મેનકા! મારા મનમાં એક મુંઝવણ છે!”

“બોલ! શું મુંઝવણ છે?”

“મારા મનમાં શંકા ઉભી થઈ રહી છે!”

“મનોજ! બોલ. તારા મનમાં કઈ શંકા છે? “

“મેનકા! તારું આવું રુપ! તારી પાછળ યુવાનો ગાંડા થયા હશે! કેટલાં છોકરા તને ચાહતા હતા?”

“મનોજ! એની ખબર મને કઈ રીતે હોય? એ તો ગાંડા થનારને જ ખબર હોય!”

“તારું રુપ જોતા, તારી પાછળ છોકરા ગાંડા ન થાય, તે હું માની શકું નહીં!”

“મનોજ! મને એટલી જ ખબર છે કે હું કોઈ છોકરા પાછળ ગાંડી થઈ ન હતી!”

“સાચું કહે છે?”

“હા, મનોજ! તારા સમ, હું સાચું કહું છું!”

“મેનકા! આ પીરદાદાની દરગાહ છે. પીરદાદાની સાક્ષીમાં તું બોલ કે હું કોઈ છોકરા પાછળ ગાંડી થઈ ન હતી!”

“મનોજ! તું શું બોલે છે! તને મારામાં વીશ્વાસ નથી, પીરદાદામાં છે! તું સાવ ગામડીયો છો!”

મેનકા (ઉમ્મર : 22) અને મનોજના (ઉમ્મર : 25) લગ્ન, સાત દીવસ પહેલા જ થયા હતા. મેનકા મહેસાણામાં મોટી થયેલ અને મનોજ ચૌધરી પાટણ પાસેના બાલીસણા ગામનો હતો. બન્નેએ સ્નાતક સુધી અભ્યાસ કર્યો હતો. બાલીસણા ગામની બાજુમાં પીરદાદાની દરગાહ છે. આજુ–બાજુ સુન્દર બગીચો છે. તાજા લગ્ન થયા હોય તેવા પતી–પત્ની પીરદાદાના દર્શને અચુક આવે. પીરદાદાના આશીર્વાદ મળે એટલે જીવન બગીચા જેવું બની જાય!

બે મહીના, બે દીવસની જેમ વીતી ગયા. ત્રીજા મહીનાની શરુઆતમાં મેનકાના ચહેરા ઉપરથી ઉમંગ દેખાતો બન્ધ થઈ ગયો! મેનકાએ ખાવાનું છોડી દીધું. એની ઉંઘ હરામ થઈ ગઈ. એનો રુપથી નીતરતો ચહેરો ચીંતાગ્રસ્ત થઈ ગયો. એનું હાસ્ય ખોવાઈ ગયું. મનોજ મુંઝાયો. મેનકાને લઈ ડૉક્ટર પાસે ગયો. પણ મેનકાનું દર્દ પકડાયું નહીં.

એક દીવસ મનોજે છાપામાં જયોતીષની જાહેરખબર વાંચી. મુઠ, ચોટ, વશીકરણ અને અસાધ્ય રોગના સ્પેશીયાલીસ્ટનો પાટણની હૉટલમાં કેમ્પ હતો. જાહેરખબરમાં એપૉઈન્ટમેન્ટ લઈને જ મળવાની સુચના હતી. મનોજે ફોન કરી એપૉઈન્ટમેન્ટ નક્કી કરી.

તારીખ 29 ડીસેમ્બર, 1993. બુધવાર. સાંજના ચાર વાગ્યે મનોજ મેનકાને લઈ પાટણ જયોતીષી રામદેવબાબા પાસે પહોંચ્યો. મનોજે કહ્યું : “બાબાજી! મારી પત્ની મેનકાના ચહેરા ઉપરથી તરવરાટ કયાં જતો રહ્યો છે? શું થયું છે મેનકાને?”

“મનોજભાઈ! મેનકા ઉપર સાડા સાતીની પનોતી બેઠી છે! અઢી અઢી વર્ષની ત્રણ પનોતી છે! પનોતી લોઢાના પાયે બેઠી છે!”

“બાબાજી! કોઈ ઉપાય?”

“શની રીઝે તો પનોતીની પીડાથી બચી શકાય! જો શનીની ઉપેક્ષા કરશો તો દુઃખી દુઃખી થઈ જશો! શનીની પુજા તથા હનુમાનજીની પુજા કરવી પડશે. બે હજાર રુપીયા ખર્ચ થશે.”

“બાબાજી! ખર્ચ ભલે થાય! પણ શની ગ્રહનું નડતર દુર કરો.”

શનીનું નડતર દુર કરવાની વીધી કરાવી છતાં મેનકાની સ્થીતીમાં કોઈ ફેર પડ્યો નહીં. તે વધુ ઉદાસ રહેવા લાગી.

મનોજે ચોઘડીયું જોઈ, બીજા જયોતીષી કામદેવ બાબાનો સમ્પર્ક કર્યો. મનોજે મેનકાની મુંઝવણ વર્ણવી. કામદેવ બાબાએ કહ્યું : “મનોજભાઈ! રાશી દોષ ચાલે છે. મેનકાબહેનને એટલા માટે જ મુશ્કેલી છે! રાશી દોષ ટાળવા વીધી કરવી પડશે. બે હજાર રુપીયાનો ખર્ચ થશે.”

“બાબાજી! દોષ ટળી જતો હોય તો ભલે ખર્ચ થાય.”

મનોજ અને મેનકા ઘરે પરત આવ્યા ત્યારે મેનકાએ કહ્યું : “મનોજ! તું સાવ ગામડીયો છો! મારી અને તારી રાશી એક જ છે! રાશી મુજબ આપણું જીવન હોતું નથી! રામ–રાવણ, કૃષ્ણ–કંસ, ભીમ–ભીષ્મ, મોહનદાસ ગાંધી–મહમદ અલી ઝીણા વચ્ચે જમીન આસમાનનો ફરક છે! રાશી તુત છે. શની, મંગળ વગેરે ગ્રહો માણસને નડતાં નથી કે મદદ કરતા નથી! આ ચાલબાજી છે! મને આવી બાબતોમાં રસ નથી!”

મનોજની મુંઝવણ ઉગ્ર બની. મેનકા ફરી હસતી થાય તે માટે દોરાધાગા, માદળીયાનો આશરો લીધો પણ મેનકાની સ્થીતી વધુ ખરાબ થતી ગઈ.

પાટણની એક દરગાહના મુંજાવર ચમત્કારીક છે, એવી વાત સાંભળી મનોજ મેનકાને લઈ મુંજાવર પાસે પહોંચ્યો. મુંજાવરે મેનકાનું નીરીક્ષણ કર્યું અને કહ્યું : “મનોજભાઈ! મેનકાને સારું થઈ જશે. ફરી હસતી થઈ જશે! પરન્તુ તમારે અને મેનકાએ મારામાં વીશ્વાસ મુક્વો પડશે!”

“મુંજાવરજી! મને તો તમારામાં બહુ વીશ્વાસ છે; પણ મેનકા થોડી ખંચકાય છે!”

મુંજાવરે મેનકાને કહ્યું : “મેનકાબહેન, તમે મારામાં વીશ્વાસ મુકશો જ! એક ચમત્કાર દેખાડું છું! જુઓ, મારી પાસે પાટી છે તમે જે ધારશો તે આ પાટીમાં લખાઈ જશે! તમારા મગજમાં શું ચાલી રહ્યું છે તે હું જાણી શકું છું! મેનકાબહેન! તમે મનમાં નક્કી કરજો. સુર્ય કે ચન્દ્ર! બેમાંથી એક શબ્દ ધારી લો.”

“મુંજાવરજી! મેં એક શબ્દ ધારી લીધો છે!”

મુંજાવરે પાટી ઉપર મોરપીંછની સાવરણી ફેરવી. મંત્રોચ્ચાર કર્યા. પછી કહ્યું : “મેનકાબહેન! બોલો. તમે કયો શબ્દ ધાર્યો હતો?”

“ચન્દ્ર!”

મુંજાવરે પાટી હળવેથી ઉંચી કરી. તેમાં શબ્દ લખાયેલો હતો :  ચન્દ્ર!

મનોજ મુંજાવરના પગે પડી ગયો. તેને મુંજાવરમાં અલૌકીક શક્તી દેખાણી! મેનકા મુંજાવરને આશ્વર્યથી તાકી રહી!

મુંજાવરે ફરી પાટીમાં કંઈક લખ્યું, અને પાટી ઉંધી મુકી. પાટી ઉપર મોરપીંછની સાવરણી ફેરવી, પછી કહ્યું : “ મેનકાબહેન! તમે નાળીયેર કે સોપારી એ બે શબ્દમાંથી એક શબ્દને, મનમાં ધારી લો!”

“મુંજાવરજી! મેં એક શબ્દ નક્કી કરી લીધો છે!”

“મેનકાબહેન! બોલો તમે કયો શબ્દ ધાર્યો હતો?”

“સોપારી!”

મુંજાવરે પાટી હળવેથી ઉંચી કરી. તેમાં શબ્દ લખાયેલો હતો : સોપારી!

મનોજે કહ્યું : “ મુંજાવરજી! તમે તો મહાન છો! ચમત્કારીક છો! મેનકાને તેનું હાસ્ય પાછું આપો!”

મેનકા મુંજારવને શંકાની નજરે તાકી રહી હતી. મુંજાવરે મેનકાના માથા ઉપર ચાંદીનો પંજો ફેરવ્યો. મેનકા બેહોશ થઈ ઢળી પડી!

મેનકા હોશમાં આવી ત્યારે ઘરમાં હતી. પરીવારજનોના ચહેરા ઉપર ચીંતા હતી. મનોજ બાજુમાં બેઠો હતો, તેણે કહ્યું : “મેનકા! મુંજાવરે કેવો ચમત્કાર કર્યો! તારા મનમાં શું હતું તે અગાઉથી તેણે જાણી લીધું અને પાટીમાં લખી નાખ્યું!”

“મનોજ! એમાં કોઈ ચમત્કાર ન હતો! તરકીબ હતી! ચાલાકી હતી! મુંજાવર પાટીમાં પહેલેથી જ બે શબ્દો લખતો. પછી બે શબ્દો પૈકી એક શબ્દને ધારવાનું કહેતો. હું જે શબ્દો બોલું તે શબ્દ રહેવા દઈ, બીજો શબ્દ પાટી હળવેથી ઉંચી કરતો ત્યારે તે ભુંસી નાખતો હતો.! મનોજ! તું સાવ ગામડીયો છો!”

મેનકાની આ વાત પરીવારજનોને ગમી નહીં. થોડા દીવસ પછી, મેનકાની સ્થીતી વધુ ખરાબ થઈ ગઈ. એક દીવસ સવારે ઉઠી ત્યારે તેના ચહેરા ઉપર નખ વાગવાના નીશાન હતા! બીજા દીવસે એનો ચહેરો લોહીવાળો હતો અને પાંચ નખ વાગવાના નીશાન હતા! વળી તેની છાતી પાસે અને સાથળ વચ્ચે કપડાં ફાટેલાં હતા! રોજ સવારે આ દૃશ્ય જોવા મળતું. મેનકા સતત રડ્યા કરતી. મેનકાને તેના માતા–પીતા પીયર તેડી ગયા.

પીયરમાં પણ રોજ મેનકાને ચહેરા ઉપર નખ વાગવાનું અને તેના કપડાં ફાટવાનું ચાલું રહ્યું! મેનકાને દાતાર ડુંગરની દરગાહે લઈ ગયા. સારંગપુર હનુમાનજી મન્દીરે દર્શન કરાવ્યા. ઉનાવા દરગાહે દેખાડી પણ કોઈ ફેર ન પડ્યો. મેનકાએ રડવાનું ચાલુ રાખ્યું!

અખબારમાં આ ઘટના પ્રગટ થઈ : મેનકાની પાછળ પીરનો પંજો પડ્યો છે. રાત્રે દીવાલમાંથી નીકળી મેનકાના ચહેરા ઉપર નખ મારે છે અને છાતી પાસે તથા સાથળ વચ્ચે કપડાં ફાડી નાંખે છે!

ચમત્કાર ચકાસણી કેન્દ્ર, પાલીતાણાના અગ્રણી ચતુરભાઈ ચૌહાણે (ઉમ્મર : 48) આ ઘટના જાણી. પગેરું મેળવવા ચતુરભાઈ, પત્ની પુષ્પાદેવી સાથે મેનકાનાં માતા–પીતાને મળ્યા. તેમણે કહ્યું : ‘‘ચતુરભાઈ, પીરનો પંજો રોજે રોજ મેનકાને હેરાન કરે છે!’’

રાતે પુષ્પાદેવી મેનકા સાથે સુતા. મેનકાના બન્ને હાથ પલંગ સાથે બાંધી દીધા. સવારે જોયું તો તેના ચહેરા ઉપર નખના નીશાન ન હતા કે કપડાં ફાટેલાં ન હતા! મેનકાને પાટણના મનોચીકીત્સક ડૉ. ગોવીન્દ પટેલની પાસે લઈ ગયા. ડૉક્ટરે કહ્યું : “આ દૃષ્ટીભ્રમનો કીસ્સો છે! ઉજાગરા અને ઉપવાસના કારણે કે કોઈ આઘાતના કારણે મેનકાના મગજનું વ્યવસ્થાતન્ત્ર ખોરવાઈ ગયું છે. માનસીક રોગથી પીડાતી વ્યક્તી પોતે જ પોતાને મારે અને બીજા કોઈ મારે છે, તેમ માની રડે છે!”

ચતુરભાઈએ પુછ્યું : “મેનકા! તને કોઈ આઘાત લાગ્યો છે?”

સાહેબ! મનોજ સાવ ગામડીયો છે! એ મારા રુપ પાછળ ઘેલો હતો. એને શંકા ગઈ કે મારા રુપ પાછળ ઘણા છોકરા ગાંડા થયા હશે! મેં મનોજને કહ્યું કે હું કોઈ છોકરા પાછળ ગાંડી થઈ ન હતી. મનોજનો સતત આગ્રહ હતો હું પીરદાદાની સાક્ષીમાં કહું કે હું કોઈ છોકરા પાછળ ગાંડી થઈ ન હતી! મનોજને મારામાં વીશ્વાસ ન હતો, પીરદાદામાં વીશ્વાસ હતો! સાહેબ! આ આઘાત હું સહન ન કરી શકી!

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’(12, ઓક્ટોબર, 2016)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી ઈ.મેઈલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 08–06–2018

8 Comments

  1. પીરદાદા, મુજાવાર, જયોતીષી, બાબા વગેરે ના ધતીન્ગો વર્ષો થી ચાલી રહ્યા છે, અને જ્યાં સુધી અન્ધ્શ્ર્ધાળુઑ નું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી આ ધતીન્ગો ચાલ્યા કરશે, અને અન્ધ્શ્ર્ધાળુઑ ના પૈસે આ પાખન્ડીઑ નું ઘી કેળા ખાવાનું કાર્ય પણ ચાલતું રહેશે.

    આ માટે પ્રજા માં જાગ્રતિ ની સખત જરૂરત છે

    Liked by 1 person

  2. It is a very nice article for us. Rational thinking and understanding in life is required.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Liked by 1 person

    1. વહાલા વલીભાઈ,
      આપના બ્લોગ પર ‘મારામાં વીશ્વાસ નથી, પીરદાદામાં છે!’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  3. મિત્રો,
    આ સત્ય ઘટના જેવા કેટલાઅે કિસ્સા આપણે ‘અભિવ્યક્તિ‘ના વાચકો, સમીક્ષકો વાંચતાં રહીઅે છીઅે. આપણે તો જાગૃત છીએ. આ અંધવિશ્વાસને આપણે સૌ જાણીઅે છીઅે.
    જરુરત છે તેઓને જાગૃત કરવાની કે જેઓ અંઘવિશ્વાસમાં ડૂબેલાં છે.
    તેને માટે સામાજીક કાર્યકરોની જરુરત છે. બાળકોને બાળપણથી શાળાઓમાં શીખ આપવાની જરુરત છે. જે કરવાનું છે તે થોડા જાગૃત કાર્યકર્તાઓ કરે છે. ખૂબ મોટા પાયે આ અનિષ્ટોને દૂર કરવાનું અને લોકોને જ્ઞાન આપવાનું કામ હાથ ઉપર લેવાની જરુરત છે.
    શાળાઓના અભ્યાસક્રમમાં બાળકોને શીખવવાનું કર્મ હાથ ઉપર લેવાની જરુરત છે. જ્યોતિષો, બાબાઓ, જેવાને સમાજમાંથી દૂર કરનાર સ્વયંસેવકોની જરુરત છે.
    પાણી વલોવ્યા કરવાથી કાંઇ નથી મળવાનું.
    લોકોનું ભલું કરવાના વચનો આપીને તેમનું બુરુ કરનારાઓને સમાજમાંથી દૂર કરવાની જરુરત છે. જે ભારતમાં અશક્ય છે.
    અેવું ઘણી વાર સાંભળ્યુ હતું કે ભારતને કોઇ ચલાવતું નથી…તે તો પોતાની જાતે જ ચાલે છે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  4. પહેલી વાત કે બાલિસાના માં કોઈ ચૌધરી રહેતા નથી ના તો કોઈ મજાર છે..

    કાલ્પનિક વાતો લખો તો સ્પષ્ટતા કરી ને લખો…

    Like

    1. કોઈ પણ અખબારમાં નામ–ઠામ હમ્મેશાં કાલ્પનીક જ હોય છે. લેખકશ્રી રમેશભાઈ સવાણી સાહેબ (નીવૃત્ત આઈ.પી.એસ.)ની ‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થયેલ રૅશનલ કટાર ‘પગેરું’માં પણ નામ–ઠામ કાલ્પનીક છે. તમારા પ્રતીભાવમાં પણ નામ કાલ્પનીક જ છે ને?

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s