ગ્લૅમર અને અધ્યાત્મ હવે એક સરખાં જ

–રોહીત શાહ

ક્યારેક તો એવો વહેમ પડે છે કે ગ્લૅમરની દુનીયા હોય કે અધ્યાત્મની દુનીયા હોય, એમાં હવે જરાય છેટું રહ્યું નથી. બન્નેમાં ગરીબોને કોઈ સ્થાન નથી. બન્નેમાં કરોડોના કારોબાર ચાલે છે. ગ્લૅમરની દુનીયામાં સ્થાન મેળવવા અને સ્થાન પર ટકી રહેવા માટે મહીલા કલાકારોએ કાસ્ટીંગ–કાઉચનો શીકાર બનવું પડે છે. અધ્યાત્મજગતમાં મોક્ષપ્રાપ્તી માટે અથવા મનની શાંતી માટે મહીલાઓએ ‘ગુરુ’ને રાજી રાખવા તેમની હવસનો શીકાર બનવું પડે છે. ગ્લૅમરની દુનીયાના લોકોને રાજનેતાઓ સાથે ખાનગી નાતો હોય છે, અધ્યાત્મના ગુરુઓનેય પોતાના કાર્યક્રમોમાં રાજનેતાઓને સામે ચાલીને બોલાવવાની ચળ ઉપડેલી રહે છે.

એક સવાલનો જવાબ સાવ ઠંડા દીમાગથી વીચારો. આસારામ પાસે અત્યારે જેટલી કુલ સમ્પત્તી છે એટલી સમ્પત્તી કોઈ પણ પ્રામાણીક માણસ દર વર્ષે સરકારને ઈન્કમ–ટૅક્સ સહીતના તમામ ટૅક્સ ચુકવીને કેટલાં વરસમાં ભેગી કરી શકે? મોટા ભાગના લોકો કહેશે કે પ્રામાણીક રહીને વ્યક્તી એક ભવમાં આસારામ જેટલી સમ્પત્તી કદીયે ભેગી ન કરી શકે. એનો અર્થ એ જ થયો કે જેને લખલુટ સમ્પત્તી જોઈતી હોય, જેને ભરપુર મોજમસ્તી માણવી હોય તે સૌએ આવા ‘બાપુ’ઓનું અનુકરણ કરવું? અનાસક્તીના લેબલ હેઠળ કરોડોનો કારોબાર અને બ્રહ્મચર્યના બહાને વીકરાળ વ્યભીચાર! આપણી અન્ધશ્રદ્ધા આ બધું જોયા પછીયે લીજ્જત કેમ નથી થતી? આસારામના એક પણ ભક્તના ચહેરા પર લાજ–શરમ કે ગ્લાની હજીયે દેખાય છે? હજી બાપુ નીર્દોષ હોવાનું રટણ રટીને કેટલાંક ટોળાં તોફાનો કરે છે. ચોરી પર સીનાજોરી.

ગ્લૅમરની દુનીયા અને અધ્યાત્મની દુનીયા વચ્ચે હજી કેટલીક બાબતો કૉમન છે. આ બન્ને ક્ષેત્રની વ્યક્તી પાછળ લાખો–કરોડોનાં ટોળાં દોડતાં હોય છે, આંધળું અનુકરણ કરવા લોકો તલપાપડ રહેતા હોય છે. આ બન્ને ક્ષેત્રે થોડીક પ્રતીષ્ઠા પામી ચુકેલી વ્યક્તી કોઈ પણ ગુનો જાહેરમાં કરે તોય પોલીસ શક્ય હોય ત્યાં સુધી એનાથી દુર રહે છે. અદાલતોમાં તો આમેય ન્યાય માટે વરસો વીતી જ જાય છે ત્યારે આવી સેલીબ્રીટીના ગુનાઓનો ઈન્સાફ કરવાની અદાલતોને ઉતાવળ શાની હોય? પૈસા અને પ્રતીષ્ઠાના જોરે આ બે ક્ષેત્રની વ્યક્તીઓ સરકાર પર દબાણ લાવવાનાં કામ કરે છે, પોતાની ગુનાહીત અને ભ્રષ્ટ પ્રવૃત્તીઓને ઢાંકી રાખવા સરકારને મજબુર કરે છે. બન્ને ક્ષેત્રે બાહ્ય રુપ જુદું અને ભીતરનું સ્વરુપ જુદું હોય છે. બન્ને ક્ષેત્રે ચળકાટનો જ મહીમા છે. આ બધાં કામ કોઈ સજ્જન અને પ્રામાણીક વ્યક્તી કદીયે કરી શકે ખરી?

ગ્લૅમરની દુનીયા હોય કે અધ્યાત્મની દુનીયા હોય, બન્નેમાં પ્રામાણીકતા નકામી ચીજ બની ગઈ છે. એમાં ઝાકઝમાળ અને સૌની આંખોને આંજી નાખે એવી તકલાદી ભ્રમજાળ પેદા કરતાં આવડવું જોઈએ. કહેણી અને કરણી વચ્ચે ગમે એટલો વીરોધાભાસ હોય તોય એને છુપાવવાનો પ્રપંચ કરતાં આવડવું જોઈએ. કઈ વ્યક્તી કેટલી ઉપયોગી છે અને કઈ વ્યક્તીનો કઈ રીતે વધુમાં વધુ લાભ લઈ શકાય છે એનાં સમીકરણો માંડતાં આવડવું જોઈએ. વફાદાર લોકોને પગથીયું બનાવીને ઉપર ચડી જવાની ફાવટ હોવી જોઈએ અને ઉપર પહોંચ્યા પછી તે વફાદાર લોકોને ભુલી જવાની વીશેષ લાયકાત પણ કેળવવી પડે. ગ્લૅમરની અને અધ્યાત્મની દુનીયામાં સચ્ચાઈનો સેન્સેક્સ હવે તળીયે પહોંચ્યો છે. સચ્ચાઈના બદલામાં અહીં શેકેલા ચણા–મમરાય નથી મળતા. ‘સચ્ચે કા બોલબાલા, જુઠે કા મુંહ કાલા’ કહેવતનું અહીં શીષાર્સન થઈ ગયું છે. અહીં તો ‘જુઠે કા બોલબાલા અને સચ્ચાઈ કા મુંહ કાલા’નો ખેલ ચાલે છે. ગ્લૅમર અને અધ્યાત્મની દુનીયામાં ગુનાખોરીનું છુપું શાસન ધીરે–ધીરે એટલું મજબુત બની રહ્યું છે કે સાચા ગૃહસ્થો અને સાત્ત્વીક સાધુઓને અજમ્પો થાય છે.

ગ્લૅમરની દુનીયા આમ તો કલાની દુનીયા છે અને અધ્યાત્મની દુનીયા પણ આમ તો ઉર્ધ્વ જીવનમુલ્યોની દુનીયા છે. માણસને કલા વગર પણ નહીં ચાલે અને મુલ્યો વગર પણ નહીં જ ચાલે. જો કલા અને મુલ્યો ન હોય તો માણસનું જીવન પશુજીવનથી પણ બદતર બની જાય. પશુ–પંખીઓ પાસે કલા અને મુલ્યો નથી હોતાં એટલે એ કુદરતી રીતે ઘરેડબદ્ધ જીવ્યે જાય છે. એમની લાઈફ–સ્ટાઈલમાં કોઈ ચેન્જ આવતો નથી. સદીઓ પહેલાં ગધેડો જે રીતે ભુંકતો હતો અને કુતરો જે રીતે ભસતો હતો એ જ રીતે આજેય એ બન્ને ભુંકવા–ભસવાની ક્રીયા કરે છે. જે બળવાન હોય એનું જ સામ્રાજ્ય પશુ–પંખીના જગતમાં ચાલતું હોય છે; કારણ કે ત્યાં મુલ્યોની કોઈ જ વાત નથી.

માણસે કલા દ્વારા આનન્દનો અનુભવ પ્રગટાવ્યો અને મુલ્યો દ્વારા માનવીય વ્યવહારોને સુગન્ધીત બનાવ્યા. એકમેકનાં સુખ–દુ:ખમાં સહભાગી થવાની ભાવના આપણને કલા અને જીવનમુલ્યો પાસેથી મળી છે. જેની પાસે કલા હોય, જેની પાસે મુલ્યો હોય તેને બીરદાવવાની સજ્જતા આપણે વીકસાવી. આહાર (ભોજન), નીદ્રા (ઉંઘ), ભય (ડર) અને મૈથુન (સેક્સ) એ ચાર ચીજો અનીવાર્ય ખરી; પણ માણસે એટલાથી જ સન્તોષ ન માન્યો. તેણે એથી આગળ વધીને કલા અને મુલ્યો વીકસાવીને પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરી છે.

મહીલાઓએ છેતરાવાનું જ!

ગ્લૅમરની દુનીયા હોય કે અધ્યાત્મની દુનીયા હોય, બન્નેમાં મહીલાઓએ તો છેતરાવાનું જ છે અને શીકાર પણ બનવાનું જ છે. પોતાની નાનકડી લાલચ અને પોતાની ચપટીક અન્ધશ્રદ્ધા તેને હમ્મેશાં ત્રાસ આપે છે. જોકે કેટલીક લાલચુ અને બોલ્ડ મહીલાઓ એમ સમજે છે કે કંઈક મેળવવા માટે કશુંક તો ચુકવવું જ પડેને. પ્રસીદ્ધી, પૈસા અને પ્રભાવ મેળવવા માટે એવી મહીલાઓ પોતાના ચારીત્ર્યનો સ્વેચ્છાએ સોદો કરવા તૈયાર થઈ જતી હોય છે; પરન્તુ જ્યારે ધાર્યું નીશાન પાર ન પડે ત્યારે તે છેડતી અને બળાત્કારનાં ત્રાગાંય કરે છે. શૅરબજારમાં મુડી ડબલ કરવાની લાલચથી આપણે કોઈ મોટી કમ્પનીના શૅર ખરીદીએ અને પછી એ શૅરના ભાવ તળીયે બેસી જાય ત્યારે આપણે એની કમ્પનીએ આપણા પર બળાત્કાર કર્યો એવો કેસ કરી શકતા નથી. કોઈ સ્ત્રી ટૉપ પર પહોંચવા માટે, ગ્લૅમરની દુનીયામાં પ્રવેશવા માટે કોઈકની સાથે લુચ્ચાઈ સોદાબાજી કરીને એમાં નીષ્ફળ જાય ત્યારે એને બળાત્કાર કેમ કહેવાય?

વીશેષતા કેળવો કાં વળતર ચુકવો!

ગ્લૅમરની દુનીયા હોય કે અધ્યાત્મની દુનીયા હોય, ગરીબ લોકોએ તો પાછળ ઉભા રહીને જયજયકારના નારા જ ગજવવાના હોય છે. કહેવાતી સેલીબ્રીટીનાં નાઝ–નખરાં જોઈને રાજી થવાનું હોય છે. ગરીબો માટે – સામાન્ય લોકો માટે તો બસ એવા જયજયકાર એ જ વૈકુંઠ છે અને છીછરા રાજીપા એ જ મોક્ષ. જીવનભર કહેવાતા મોટા લોકોની ચરણચમ્પી કરતા રહો, તેમની આજ્ઞાઓ પાળતા રહો, તેમનાં જુઠાણાં અને જોહુકમીઓ વેઠતા રહો. આપણી ગરીબીની આ પનીશમેન્ટ નથી, આપણા અજ્ઞાનનું અને આપણી મુર્ખામીનું એ વળતર છે! કાં તો વીશેષતા કેળવો, કાં તો લાઈફ–ટાઈમ વળતર ચુકવતા રહો!

–રોહીત શાહ 

લેખકસમ્પર્ક : 

શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના મીડડે દૈનીકમાં પ્રગટ થયેલી એમની લોકપ્રીય કટાર બુધવારની બલીહારી (11 સપ્ટેમ્બર, 2013)માંથી.. લેખકશ્રીના અને મીડડેના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

પોસ્ટ કર્યા તારીખ : 29–06–2018

16 Comments

  1. “”ગ્લૅમરની દુનીયા હોય કે અધ્યાત્મની દુનીયા હોય, બન્નેમાં પ્રામાણીકતા નકામી ચીજ બની ગઈ છે.””

    અધ્યાત્મની દુનીયા વાસ્તવિકતા માં ઍક માયાજાળ છે, જેમાં અન્ધશ્રદ્ધાળુઑ સહેલાઈ થી ફસાઈ જાય છે.

    આધ્યાત્મિક નો દાવો કરનારાઓેઍ ક્યારે પણ આ જગતમાંથી ગરીબાઈ, ભૂખમરો, ગુનાહો, નિરાશા, યુદ્ધ વગેરે ને નાબૂદ કરવાના પ્રયત્નો કરેલ નથી. અને કરે પણ કયાંથી? ઍવી શક્તિ છે ક્યાં ઍ લોકો માં?

    આ અધ્યાત્મની માયાજાળ હિન્દુ, મુસ્લિમ તથા ખ્રિસ્તીઑમાં આ ઍકવીસમી સદીમા પણ ચાલી રહી છે, અને અન્ધશ્રદ્ધાળુઑના પૈસે આસારામ, રામરહીમ, પોપ, આગાખાન, મુફદ્દલ, કાદરી, નુરાની જેવા કહેવાતા ધર્મગુરૂઓ મોજ કરે છે.

    Liked by 3 people

  2. “ગ્લૅમરની દુનીયા હોય કે અધ્યાત્મની દુનીયા હોય, બન્નેમાં પ્રામાણીકતા નકામી ચીજ બની ગઈ છે. એમાં ઝાકઝમાળ અને સૌની આંખોને આંજી નાખે એવી તકલાદી ભ્રમજાળ પેદા કરતાં આવડવું જોઈએ. કહેણી અને કરણી વચ્ચે ગમે એટલો વીરોધાભાસ હોય તોય એને છુપાવવાનો પ્રપંચ કરતાં આવડવું જોઈએ. કઈ વ્યક્તી કેટલી ઉપયોગી છે અને કઈ વ્યક્તીનો કઈ રીતે વધુમાં વધુ લાભ લઈ શકાય છે એનાં સમીકરણો માંડતાં આવડવું જોઈએ. ”
    કેટલી સાતત્યપૂર્ણ અને હૃદય સ્પર્શી વાત લખી છે રોહિતભાઈ શાહએ અને એ અમારા સુધી પહોંચાડી છે ગોવિંદભાઇ મારુએ. હું એમની હૃદય પૂર્વક આભારી છું.

    Liked by 2 people

    1. વહાલા અતુલભાઈ,
      ‘ગ્લૅમર અને અધ્યાત્મ હવે એક સરખાં જ’ લેખને ‘RKD-रंग कसुंबल डायरो’ બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      –ગો. મારુ

      Liked by 2 people

  3. Ekdam sachu Rohitbhai ane Govindbhai banne no khub aabhar..
    Aaje deshma chor, gundao, police, bavao ane netao, badha ni milibhagat chale chhe ane tema garibo no maro chhe.

    Liked by 2 people

  4. અધ્યાત્મની દુનીયા- જરીક સુધારો તો ? અધ્યાત્મના વેપારની દુનીયા!
    ‘અધ્યાત્મ એટલે શું ?’ એ સમજવું હોય તો કહેજો . પણ રેશનાલિઝમના નવ્વા નક્કોર ધરમવાળાને એને માટે સમય જ ક્યાં છે?

    Liked by 2 people

  5. શ્રી રોહિતભાઈ,તથા શ્રી ગોવિંદભાઈ મારું, આપના આ આંખ ખોલનારા લેખ બદ્દલ ખુબ ખુબ ધન્યવાદ. આસારામ જેવા લંપટ અને મહિલાઓની ઈજ્જત લુટનાનારને આપના માનનીય પી.એમ મોદીજીને આ બધી વાતની ખબર પીનેપીન હતી. શા માટે મોદીજીએ ત્યારે એક્શન નાં લીધી.? આજના છાપામા વાચ્યુ કે મોદીજીએ પરદેશ ટ્રીપ માટે. ૩00 કરોડનો ખર્ચ કર્યો. કોઈક વ્યક્તિએ RTI મા અરજી કરી છે કે આટલો ખર્ચ કેમ કર્યો? જય જીનેન્દ્ર.

    Liked by 2 people

  6. ” વફાદાર લોકોને પગથીયું બનાવીને ઉપર ચડી જવાની ફાવટ હોવી જોઈએ અને ઉપર પહોંચ્યા પછી તે વફાદાર લોકોને ભુલી જવાની વીશેષ લાયકાત પણ કેળવવી પડે. ”
    “આપણી ગરીબીની આ પનીશમેન્ટ નથી, આપણા અજ્ઞાનનું અને આપણી મુર્ખામીનું એ વળતર છે! કાં તો વીશેષતા કેળવો, કાં તો લાઈફ–ટાઈમ વળતર ચુકવતા રહો!”
    all said is very true..thx Rohitbhai and Govind Bhai.

    Liked by 2 people

  7. Reblogged this on and commented:
    દેશમાં જે પરિસ્થિતિ પ્રવર્તી રહી છે તેમાં રાજકારણ અને રાજકારણીઓને ઉમેરી દો તો પૂર્ણ ચિત્ર ઉપસે !

    Liked by 2 people

    1. વહાલા અરવીન્દભાઈ,
      ‘ગ્લૅમર અને અધ્યાત્મ હવે એક સરખાં જ’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      –ગો. મારુ

      Liked by 1 person

  8. No need for a one more comment, as the article and comments by learned people are appropriate and to the point. We need more of these kind of articles, to raise the awareness of rationalism and reality. Many thanks.

    Liked by 2 people

  9. ખુબ સરસ રીતે કમ્પૅરિઝન કરી ને બે સાવ ઓપોઝ લગતી બાબતો ને સચોટ રીતે રજુ કરી

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s