‘ત્વચાદાન’થી દાઝેલાને ‘જીવનદાન’

આપણા દેશમાં આપઘાતના પ્રયાસમાં દાઝી જવાના કે અકસ્માતમતાં દાઝવાના કીસ્સાનું પ્રમાણ  ઘણું ઉંચુ છે. જો શરીરના દાઝી ગયેલા ભાગ પર ‘સ્કીન બેંક’માં જમા થયેલી ત્વચાથી ‘સ્કીન ગ્રાફ્ટીંગ’ કરવામાં આવે તો તેને મૃત્યુના મુખમાંથી પાછી વાળી શકાય છે. તે માટે દરેક વ્યક્તીએ મૃત્યુ પછી પોતાની ચામડીનું દાન કરવું જોઈએ. ‘ત્વચાદાન’ એ દાઝેલા દરદીઓ માટે એક નવી જીન્દગીની ભેટ સમાન વરદાનરુપ છે.

ત્વચાદાન’થી દાઝેલાને ‘જીવનદા

  –ભાલચંદ્ર જાની

‘બેંક’, આ શબ્દ કાને પડે એટલે પૈસા જમા કરાવવા, ઉપાડવા, લોન લેવા કે પછી સેફ ડીપોઝીટ વોલ્ટમાં આપણી કીમતી જણસો રાખવા ઉપયોગમાં લેવાતી રાષ્ટ્રીયકૃત કે સહકારી બેંકોનું ચીત્ર આપણી નજર સમક્ષ ખડું થઈ જાય; પણ શું તમે જાણો છો કે મુમ્બઈમાં એક ‘સ્કીન બેંક’ પણ છે. ‘સ્કીન બેંક’માં ત્વચા ‘જમા’ કરાવી શકાય છે, જેનો ઉપયોગ દાઝી ગયેલા દરદીઓની સારવાર માટે કરવામાં આવે છે. મુમ્બઈના પુર્વ પરાં સાયનમાં આવેલી અને ‘સાયન હૉસ્પીટલ’ના ટુંકા નામે ઓળખાતી ‘લોકમાન્ય તીલક મહાનગરપાલીકા સર્વસાધારણ રુગણાલય’માં દેશની એકમાત્ર ‘સ્કીન બેંક’ છે, જ્યાં મૃતક વ્યક્તીના આપ્તજનો, તેમની વહાલસોયી મૃત વ્યક્તીની ત્વચાનું દાન કરીને દાઝેલી વ્યક્તીઓને ‘જીવનદાન’ આપી શકે છે.

સામાન્ય રીતે 60થી 80 ટકા કે તેનાથી વધારે ટકા દાઝેલી વ્યક્તીનું મૃત્યુ નીશ્ચીત હોય છે. લાખ પ્રયત્નો પછી પણ ડૉક્ટરો તેને બચાવી નથી શકતા; પરન્તુ જો આવી રીતે બળી ગયેલી વ્યક્તીના શરીરના દાઝી ગયેલા ભાગ પર ‘સ્કીન બેંક’માં જમા કરી રાખવામાં આવેલી ત્વચાથી, ‘સ્કીન ગ્રાફ્ટીંગ’ કરવામાં આવે તો તેને મૃત્યુના મુખમાંથી પાછી વાળી શકાય છે. સાયન હૉસ્પીટલમાં 60 ટકા કે 85 ટકા જેટલી દાઝી ગયેલી વ્યક્તીઓને પણ બચાવી લેવામાં આવી છે; પરન્તુ વીડમ્બણા એ છે કે આપણે ત્યાં ચક્ષુદાન માટે વત્તેઓછા અંશે પણ જાગૃતી આવી છે. જ્યારે ‘ત્વચાદાન’ વીશેની જાગૃતીનો સદંતર અભાવ છે. મરનાર વ્યક્તીની ‘ત્વચાદાન’ કરવામાં ન આવે તો  મૃત વ્યક્તીના શબ સાથે તેની ‘અણમોલ’ ત્વચા પણ અગ્નીને ભેટ ચડી જાય છે.

આપણને કદાચ એ પ્રશ્ન થાય કે આપણે મૃતક સ્વજનની ચામડીનું દાન કરીએ પછી તેના અંદરના અંગો ખુલ્લા ન થઈ જાય? આ પ્રશ્નના જવાબમાં સાયન હૉસ્પીટલની ‘સ્કીન બેંક’ના ઈનચાર્જ  ડૉક્ટર કહે છે કે, ‘મૃત વ્યક્તીના આખા શરીર પરથી નહીં, પણ માત્ર જાંઘ, સાથળ, પગ અને પીઠમાંથી જ ત્વચા લેવામાં આવે છે, અને તે પણ માત્ર ચામડીનું ઉપરનું પડ જ કાઢવામાં આવે છે, તેથી આંતરીક અંગો ખુલ્લા થવાની શક્યતા જ નથી રહેતી. આ ઉપરાન્ત મૃત વ્યક્તીની જાંઘ પર પાટાપીંડી કરીને તેનો દેહ સન્માનપુર્વક તેના આપ્તજનોને સોંપવામાં આવે છે.’

‘સ્કીન બેંક’માં સાચવી રાખવામાં આવેલી ચામડીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે અને તેનાથી બળી ગયેલી વ્યક્તીને કઈ રીતે ફાયદો થાય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં એક નીષ્ણાત જણાવે છે કે દાઝી ગયેલા દરદી પર સ્કીન ગ્રાફ્ટીંગ કરવામાં આવે છે, એટલે કે ‘સ્કીન બેંક’માં સાચવી રાખવામાં આવેલી ચામડી દાઝી ગયેલા ભાગ પર ચોંટાડી દેવામાં આવે છે. આમ કરવાથી દરદીના દાઝી ગયેલા અંગમાં ચેપ નથી લાગતો, લોહી વહેતું બન્ધ થઈ જાય છે, પ્રોટીન જળવાઈ રહે છે અને દુખાવામાં ઝડપી રાહત મળે છે. વળી પેચ કરેલી ત્વચા ચારથી છ અઠવાડીયામાં નીકળી જાય છે અને તેના સ્થાને દરદીની પોતાની નવી ત્વચા આવી જાય છે, તેથી ચામડી પર લગાવવામાં આવેલું પેચ દેખાતું નથી. આ રીતે અન્ય વ્યક્તીની ત્વચાને દાઝી ગયેલા દરદી પર ચોંટાડવામાં આવે તેને તબીબી ભાષામાં ‘હોમોગ્રાફ્ટ’ કહેવામાં આવે છે. તેજાબથી દાઝી ગયેલી વ્યક્તીમાં પણ આ પ્રક્રીયા જ લાગુ પડે છે.

થોડાં વર્ષો અગાઉ દાઝી ગયેલી વ્યક્તી બચી જાય તો પણ તેણે તેની બળી ગયેલી ચામડી સાથે જ આયખું કાઢવું પડતું. આવી વ્યક્તી સામે જોઈને લોકોને અરેરાટી થાય તે બહુ સ્વાભાવીક છે. હાથ, પગ કે ગળા પર દાઝી ગયેલી વ્યક્તી પોતાની બળી ગયેલી ચામડી વસ્ત્રો નીચે સંતાડવાનો પ્રયત્ન કરતી; પરન્તુ સાયન હૉસ્પીટલમાં 12 વર્ષ(આજે 18 વર્ષ) પુર્વે ‘સ્કીન બેંક’ ( http://www.ltmgh.com/frontview/inner.aspx?Mkey=ODYz&lKey=NA ) શરુ થયા પછી, દર વર્ષે 600/ જેટલા દરદીઓ પર હોમોગ્રાફ્ટ કરીને, તેમને બચાવી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેમની ચામડી પણ સામાન્ય બની ગઈ છે.  સાયન હૉસ્પીટલના ફાઉન્ડેશન – ડે એટલે કે 24 એપ્રીલ, 2000ના દીવસે  ‘સ્કીન બેંક’ શરુ કરવામાં આવી હતી. હૉસ્પીટલમાં નોખાં બનાવવામાં આવેલા વાતાનુકુલીત વીભાગમાં રાખવામાં આવેલા મોટા ફ્રીઝરમાં દાનમાં મળેલી અથવા એનેટોમી વીભાગમાંથી મેળવેલી મૃત વ્યક્તીની ત્વચાને સાચવી રાખવામાં આવે છે. ચામડીને જાળવી રાખવા માટે તેને ફોસ્ફેટ બફર સોલ્યુશન નામના પ્રીઝર્વેટીવમાં રાખવામાં આવે છે. આ પ્રીઝર્વેટીવમાં મુકેલી ત્વચાને માઈનસ 70 ડીગ્રી સેલ્સીયસ જેટલા નીચા તાપમાનમાં છ મહીના સુધી સાચવી શકાય છે, જો  છ મહીનાથી વધારે સમય સ્કીન સંગ્રહી રાખવી હોય તો  લીક્વીડ નાઈટ્રોજનમાં ત્રણ વર્ષ સુધી ત્વચા જાળવી શકાય છે. વીદેશમાં આ રીતે ‘સ્કીન બેંક’માં ત્રણ વર્ષ સુધી ચામડી સંગ્રહવામાં આવે છે; પરન્તુ આપણે ત્યાં ‘ત્વચાદાન’ વીશેની જાગૃતીનો સદંતર અભાવ હોવાથી માગ સામે પુરવઠો હમ્મેશાં ઓછો પડે છે. પરીણામે ‘સ્કીન બેંક’માં મુકી રાખેલી ત્વચાને છ મહીના સુધી પણ આજદીન પર્યંત સંગ્રહવાનો મોકો નથી મળ્યો.

તાજેતરમાં 60 ટકા દાઝી ગયેલી સત્યાવીસ વર્ષીય સલમા નામની મહીલાને સાયન હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવતા તેને નવજીવન મળ્યું હતું. તેના ઊંડા ઘા પર હોમોગ્રાફ્ટ કરીને તેને બચાવી લેવામાં ડૉક્ટરો સફળ થયા હતાં. જ્યારે નવું જીવન પામેલી સલમા હુસેન ડોક્ટરોનો આભાર માનતા થાકતી નથી. આ ઉપરાંત હવે તેને ‘ત્વચાદાન’નું મહત્ત્વ સમજાતાં, તે પણ લોકોને સ્કીન ડોનેશન કરવાની વીનન્તી કરી રહી છે. તે એટલે સુધી કહે છે કે દરેક વ્યક્તીએ મૃત્યુ પછી પોતાની ચામડીનું દાન કરવું જોઈએ.

યુરોપ અને અમેરીકામાં ‘ત્વચાદાન’ વીશે જેટલી જાગૃતી છે તેના પ્રમાણમાં આપણે ત્યાં તેનો સદંતર અભાવ છે. અમારી પાસે જે ચામડી સંગ્રહેલી હોય છે તેમાંની ઘણી ત્વચા તો એનેટોમી વીભાગમાંથી આવેલા મૃતદેહમાંથી કાઢવામાં આવી હોય છે. જો કે છેલ્લાં કેટલાંક  વર્ષોથી ‘સન્ડે ફ્રેન્ડ્સ’ ( https://www.facebook.com/sundayfriendsngo/ ) નામની એક સ્વયંસેવી સંસ્થા ‘ત્વચાદાન’ પ્રત્યે જાગૃતી ફેલાવવાના સફળ પ્રયત્નો કરી રહી છે.

જો કે મુમ્બઈ શહેરમાં ‘અંગદાન’ની સંખ્યાના નીરાશાજનક દર સામે ‘ત્વચાદાન’માં સારી સીદ્ધી હાંસલ થઈ છે. 2012માં 177 ત્વચા દાતાઓ સાથે છેલ્લાં છ વરસમાં લગભગ 300 ટકાનો સર્વોચ્ચ વધારો ‘ત્વચાદાન’માં નોંધાયો છે. આ સફળતાનો યશ ‘ચક્ષુદાન’ અને ‘ત્વચાદાન’ વચ્ચેના નુતન સમન્વયને આભારી છે.

2007 અને 2009ના બે વરસ દરમીયાન ‘ત્વચાદાન’ના વાર્ષીક આંકડામાં અનુક્રમે 46 અને 90 સહીત પ્રોત્સાહક સફળતા મળી હતી.

‘આનો શ્રેય ‘નેત્રદાન’ માટે કામ કરતી સંસ્થાઓને ફાળે જાય છે, કેમ કે તેમણે અનેક પરીવારોને આંખની સાથે ત્વચાનું પણ દાન કરવાનો મહીમા અને ઉપયોગીતા સમજાવ્યાં હતાં. થોડાંક વરસો પહેલાં અમને  મહીને  6થી 8ત્વચાદાતા’ઓ મળતાં હતાં; પરન્તુ હવે આવા દાતાઓની સંખ્યા દર મહીને લગભગ 20 જેટલી થઈ છે,’ એમ ઐરોલીમાં આવેલા ‘નેશનલ બર્ન્સ સેન્ટર’ ( http://www.skindonation.in/contact_us.html )ના મેડીકલ ડીરેક્ટરે કહ્યું હતું.

દેશની સૌ પ્રથમ અને સૌથી મોટી ‘સ્કીન–બેંક’ ધરાવતી મુમ્બઈની સાયન હૉસ્પીટલના પ્રોફેસર તથા સર્જરી વીભાગના વડા ડો. મીના કુમારે કહ્યું હતું કે અમને સૌથી વધુ ‘ત્વચાદાન’ મળે છે અને અમે સાર્વજનીક તેમજ ખાનગી હૉસ્પીટલોને ત્વચા પુરી પાડીએ છીએ. અમને કેવળ દાઝેલી ચામડી માટે નહીં, પરન્તુ અકસ્માત કે ઈજાના કારણે થતા મોટા જખમો રુઝવવા માટે પણ શરીરનાં અંગોની ત્વચાની જરુરત પડે છે.

ચારુસેટ, ચાંગા–આણંદ ખાતે ‘અંગદાનથી નવજીવનઈ.બુકના લોકાર્પણ પ્રસંગે ઈ.બુકના સમ્પાદક અને બ્લૉગર ગોવીન્દ મારુ

જો કે કૃત્રીમ ચામડીની કલ્પના પણ સાકાર થઈ છે; છતાં કુદરતી ત્વચા સૌથી સસ્તો વીકલ્પ છે, એમ આ તબીબે ઉમેર્યું હતું. શહેરના અનેક ડૉક્ટરોના મત મુજબ ત્વચાદાન’ એ દાઝેલા દરદીઓ માટે એક નવી જીન્દગીની ભેટ સમાન વરદાનરુપ છે. શહેરમાં દર વરસે નોંધાતા 2000થી વધુ દાઝવાના કીસ્સા જોતાં ત્વચાદાતાઓની સંખ્યા હજી વધવી જોઈએ.  એચ.આઈ.વી. જેવા ચેપી રોગોથી પીડાતી વ્યક્તીઓ સીવાય 18 વર્ષથી ઉપરની વયની કોઈપણ વ્યક્તી ‘ત્વચાદાન’ કરી શકે છે.

ત્વચાના અભાવે ડૉક્ટરોને કેળાં કે બટેટાની છાલથી કામ ચલાવવું પડે છે; પણ આ વર્ષની શરુઆતના છ માસમાં જ ત્વચા દાનમાં આવેલી જાગૃતીનું પરીણામ જોવા મળ્યું છે. આ સ્વયંસેવી સંસ્થાના કાર્યકરો ત્વચા દાનને પ્રોત્સાહીત કરવા માટે, જેણે ચામડીનું દાન કર્યું હોય તેની પ્રાર્થનાસભામાં જાય છે અને તેમના પરીવારજનોનો આભાર માને છે. સાથે તેમને એક સ્મૃતીચીન્હ પણ આપે છે. જ્યારે સાયન હૉસ્પીટલ તરફથી ‘ત્વચાદાન’ માટેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ સ્વંયસેવી સંસ્થામાં અત્યાર સુધી પોતાના મૃત્યુ પછી ચામડી ડોનેટ કરવાના સંદર્ભમાં 1500 જેટલા ડીકલેરેશન ફોર્મ ભરાઈ ગયા છે. ફોર્મ ભરનાર વ્યક્તીના પરીવારજનોની ઈચ્છા ન હોય અથવા તેઓ આ વાતથી અજાણ હોય તો મૃત વ્યક્તીની ચામડી મેળવવાનું શક્ય નથી બનતું. તેથી જ તેઓ કહે છે કે જેઓ મૃત્યુ પછી પોતાની સ્કીન ડોનેટ કરવા ઈચ્છતા હોય, તેમણે પોતાના કુટુમ્બીજનોને આ વાત કહી રાખવી જોઈએ.

(ડાબેથી) ડૉ. પ્રકાશ જે. પટેલ (ડોનેટ લાઈફ, આણંદ ચેપ્ટરના જોઈન્ટ ચેરમેન), શ્રી. કીરણ પટેલ અને શ્રી. નગીનભાઈ પટેલ (ચારુસેટના અનુક્રમે ઉપ–પ્રમુખ અને ટ્રસ્ટી), ઈ.બુકના સમ્પાદક ગોવીન્દ મારુ અને શ્રી. નીલેશ માંડલેવાલા (ડોનેટ લાઈફ, સુરતના સ્થાપક અને ચેરમેન)

ઘણીવાર મૃતકના આપ્તજનોને સમજ નથી પડતી કે ચામડીનું દાન શી રીતે કરવું. આના જવાબમાં  એક ડૉક્ટર  કહે છે કે, ‘અમને જો મૃતકના પરીવારજનો ફોન કરે તો અમારી ટુકડી તેમના ઘરે જઈને ત્વચા લઈ આવે છે, અને જો તેઓ ચાહે તો મૃતદેહને હૉસ્પીટલમાં પણ લાવી શકાય છે. આને માટે શોકની લાગણીમાં ડુબેલા આપ્તજનોને કાંઈ કરવાનું રહેતું નથી. તેઓ અમને ફોન કરે તો મૃતદેહ હૉસ્પીટલમાં લઈ જવાની અને ચામડી કાઢી લીધા પછી તરત મૃતદેહ પરત પહોંચાડવાની કામગીરી પણ અમે પોતે જ કરીએ છીએ. પીઠ અને જાંઘ જેવા જે હીસ્સામાંથી સ્કીન કાઢી લેવામાં આવે ત્યાં પાટાપીંડી કરી દેવાથી, તે ભાગ જોઈને ઘરના લોકોને અરેરાટી નથી થતી. આ રીતે એક મૃતકની ચામડી કાઢવાનો ખર્ચ લગભગ બે હજાર રુપીયા જેટલો આવે છે, જે અમે ભોગવીએ છીએ. આ ત્વચા વ્યક્તીના મૃત્યુ પછી ચોવીસ કલાકની અંદર કાઢી લેવી પડે છે.’

શું જીવીત વ્યક્તી પણ ત્વચાનું દાન કરી શકે ખરી?  એક તબીબ  કહે છે કે જીવીત વ્યક્તીની ત્વચા પણ લઈ શકાય; પરન્તુ કટોકટી ન હોય ત્યાં સુધી અમે જીવન્ત વ્યક્તીની ચામડી લેવાનું ટાળીએ છીએ. આનું કારણ આપતાં તેઓ કહે છે કે લાઈવ ડોનરને એનેસ્થેશીયા આપીને તેની જાંઘમાંથી ચામડી લેવામાં આવે છે. આને માટે ‘ત્વચાદાન’ કરનારે ચાર દીવસ હૉસ્પીટલમાં રહેવું પડે છે. સૌથી પહેલા તો જીવન્ત દાતાના લોહીની તપાસ કરીને તેને એચઆઈવી કે અન્ય કોઈ બીમારી છે કે નહીં તે જાણી લેવામાં આવે છે.

ડોનેટ લાઈફ, સુરતના ચેરમેન શ્રી. નીલેશ માંડલેવાલાએ મહેમાનો, ચારુસેટના પદાધીકારીઓ, પ્રીન્સીપાલશ્રીઓ,  ફેકલ્ટીસ અને વીદ્યાર્થીગણ પાસે ‘અંગદાન’ કરવાની પ્રતીજ્ઞા લેવડાવી

જો કે સાયન હૉસ્પીટલમાં અત્યાર સુધી માત્ર 15 જીવન્ત વ્યક્તીએ પોતાની ચામડીનું દાન કર્યું છે. આમાંના 12 દાતાઓ નાના બાળકોના માતા–પીતા હતા, તેમાં પણ માતાની સંખ્યા વધુ હતી. જ્યારે ત્રણ પત્નીએ પોતાના પતી માટે ત્વચાનું દાન કર્યું હતું. આપણા સમાજમાં પતીદેવે પત્ની માટે ચામડી ઉતરડાવી હોય એવો એકેય દાખલો નથી, વળી મહાનગરોમાં વીભક્ત કુટુમ્બમાં રહેતા પતી કે પત્ની એકબીજા માટે ચામડીનું દાન કરે તો તેમની તેમ જ તેમના બાળકોની સારસંભાળ લેવાવાળું કોઈ નથી રહેતું.

દેશભરમાં  સ્કીન બેંક ખુબ જ ઓછી હોવાનું કારણ આપતાં ડૉક્ટર કહે છે કે એક સ્કીન બેંક શરુ કરવા ઓછામાં ઓછા 30 લાખ રુપીયાના સાધનો વસાવવા પડે છે. આ ઉપરાંત તેને માટે જરુરી જગ્યા, સ્ટાફ, જાળવણીનો ખર્ચ વગેરે છોગામાં.

કુદરતી ત્વચાનો પુરવઠો પર્યાપ્ત માત્રામાં ન હોવાથી દુનીયાભરના તબીબો કૃત્રીમ ત્વચા વીકસાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. જેમાં  અત્યાર સુધી માત્ર અમેરીકા અને ચીનને સફળતા મળી છે.

ચારુસેટના પદાધીકારીઓ, પ્રીન્સીપાલશ્રીઓ, ફેકલ્ટીસ અને વીદ્યાર્થીગણે ‘અંગદાન’ને સમર્થન આપ્યું

હૉસ્પીટલમાં કોઈ દર્દીની હાની પામેલી ત્વચાની સારવાર કરનારા ડૉકટર રેફ્રીજરેટમાંથી કૃત્રીમ ત્વચાનો એક ટુકડો બહાર કાઢે અને દર્દીની નુકસાન પામેલી ત્વચાને સ્થાને ગોઠવી દે તેવી સારવારની કલ્પના કરી શકો છો?

 અત્યારે તો આવી કલ્પના જ થઈ શકે છે; પરન્તુ નજીકના ભવીષ્યમાં તે વાસ્તવીકતા બની શકે છે.

ચીનના વીજ્ઞાનીઓએ એવી કૃત્રીમ ત્વચા બનાવી છે જે ત્વચાનું પ્રત્યારોપણ કરાવવા માંગતા લોકો માટે ઘણી ઉપયોગી સાબીત થઈ શકે છે. ફોર્થ મીલીટરી મેડીકલ કૉલેજના ડીન યાને એક પ્રદર્શનમાં આવી કૃત્રીમ ત્વચાનું નીદર્શન કર્યું હતું. નીષ્ણાતોએ લોકોને દુધ જેવા સફેદ રંગની ઍડહેસીવ પટ્ટી બતાવી હતી જે ઉછેર માટેની તાસકમાં રાખવામાં આવી હતી અને તેનો વ્યાસ 20 સેન્ટીમીટર હતો.

ઈ.બુકના સમ્પાદક ગોવીન્દ મારુનું સ્વાગત ડોનેટ લાઈફ, આણંદના જો. ચેરમેન ડૉ. પ્રકાશ પટેલે કર્યું

આ પહેલાં દાઝી ગયેલાઓની સહાય માટે કૃત્રીમ ત્વચા બનાવવાની ટેકનોલૉજી દુનીયાના દેશોમાં ફક્ત અમેરીકા પાસે હતી. આ કૃત્રીમ ત્વચાના એપીડર્મીસ અને ડર્મીસ એમ બે પડ છે, તેનામાં સક્રીય કોષો છે અને તે મુળ માનવત્વચાની સાથે ઝડપથી વીકસે છે; કારણ કે રોગપ્રતીકારક શક્તી તેને અસર કરતી નથી.

ચીનના અન્ન અને ઔષધ વીભાગે નવી કૃત્રીમ ત્વચાના વીકાસ માટે પ્રમાણપત્રોને મંજુરી આપી છે. તેમ જાણવા મળ્યું હતું.

––––––––––––––––––––––––

અંગદાનથી નવજીવનઈ.બુક ડાઉનલોડ કરવાના બાકી હોય, તે વાચકમીત્રો અક્ષરનાદ.કોમ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે. નીચે આપેલ લીન્ક પર ક્લીક કરી અનુક્રમ નં. 88 પરથી તે ઈ.બુક ડાઉનલોડ કરવા વીનન્તી છે.

સોર્સ : http://aksharnaad.com/downloads 

––––––––––––––––––––––––

ચીનમાં દર વર્ષે 1.5 કરોડ લોકો દાઝવાના અને ત્વચા પટના અલ્સરનો ભોગ બને છે અને આમાંનાં 35 લાખ લોકોને ત્વચાના પ્રત્યારોપણની જરુર છે.

આપણા દેશમાં પણ  આપઘાતના પ્રયાસમાં દાઝી જવાના કે અકસ્માતમતાં દાઝવાના કીસ્સાનું પ્રમાણ  ઘણું ઉંચુ  છે. એટલે આવા પેશન્ટોની સારવાર માટે ત્વચાનો પુરવઠો વધે એ જરુરી છે. કૃત્રીમ ત્વચાની સરળતાથી ઉપલબ્ધી ન થાય ત્યાં સુધી આપણે પણ ‘ત્વચાદાન’ મારફતે જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકીએ.

–ભાલચંદ્ર જાની

‘ગુજરાત સમાચાર’, દૈનીકની રવીવારીય પુર્તીમાં વર્ષોથી શ્રી. ભાલચંદ્ર જાનીની ‘હોટલાઈન’ નામે લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા. 24 માર્ચ, 2013ના અંકમાંથી લેખકના અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. ભાલચંદ્ર જાનીસેલફોન : +91 98203 95610

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 10–08–2018

11 Comments

  1. Reblogged this on પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો and commented:
    jજાણવા જેવું. અપનાવવા જેવું. ઉત્તમ સેવા, ઉત્તન દાન. ટિસ્યુ ડોનેશન ૬ જીવન બચાવે છે.

    Liked by 1 person

    1. આદરણીય વડીલ પ્રવીણકાંતજી,
      આપના બ્લૉગ ‘પ્રવીણ શાસ્ત્રી અને મીત્રોની વીવીધ વાતો’ પર ‘ત્વચાદાન’થી દાઝેલાને ‘જીવનદાન’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગોવીન્દ મારુ

      Like

  2. ત્વચાદાનની માહિતી વાંચી ઘણો જ પ્રભાવિત થયો. ચક્ષુદાન જેટલું જ મહત્વ ત્વચાદાન માટે અનિવાર્ય છે. એ માટે લોકોમાં જાગ્રુતિ આવતી જ જશે એમાં બેમત નથી.

    Liked by 1 person

  3. શ્રી ગોવિન્દભાઈ, જનજાગ્રુતિ માટે આ લેખ પ્રસિદ્ધ કરવા બદલ આપને અભિનન્દન.
    ચક્ષુદાન અને ત્વચાદાન માટે જાગ્રતિ લોકોમાં લાવશે.આવું જ બીજું દાન બ્રેઈન ડેડ દર્દીના સગા લીવર અને કીડની ડોનેશન કરવાની રજા આપીને કરી શકે.

    Liked by 1 person

    1. વહાલા મધુસુદનભાઈ,
      બીજું દાન અંગેના તમારા સુચન સાથે સહમત..
      ‘વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે’ નીમીત્તે ‘અંગદાનથી નવજીવન’ લેખમાળા ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર તા. 02 જુલાઈથી પ્રગટ કરવામાં આવે છે. ‘અંગદાનથી નવજીવન’ ઈ.બુક પણ પ્રકાશીત કરવામાં આવી છે. તેમાં બ્રેઈન–ડેડ વ્યક્તીના અંગદાનની આખી પ્રક્રીયાને સરળતાથી સમજાવવામાં આવી છે એટલું જ નહીં તેમાં સચીત્ર સાચા કીસ્સા પણ છે. નવા વાંચકમીત્રોને તે વાંચવા માટે ભલામણ છે.
      ‘અક્ષરનાદ.કોમ’ વેબસાઈટ પરથી ઈ.બુક ડાઉનલોડ કરી શકાશે. નીચે આપેલ લીન્ક પર ક્લીક કરી, વેબસાઈટના તે પેજના અનુક્રમ નં. 88 પરથી ‘અંગદાનથી નવજીવન’ ઈ.બુક ડાઉનલોડ કરવા વીનન્તી છે.
      સોર્સ : http://aksharnaad.com/downloads

      Like

  4. ઍક જુની ગુજરાતી કહેવત છે:

    “ચમડી જાય, પણ દમડી ન જાય.”

    આજે આ કહેવતને બદલીઍ:

    “(મૃત્યુ પછી) ચમડી જાય, પણ કોઈ નો જીવ બચાય.”

    Liked by 1 person

  5. Educative article. Very well written. Explained in details and that too in convincing manner. Thanks and congratulations to Shri Bhalchandra Jani. Govindbhai, Abhivyakti has found a very important and social subject of ” Organ Donation ” . This will help more readers to prepare him / her self for the donation. Thanks to Pravinbhai, that he is reprinting this article on his blog.
    Thanks.
    Amrut Hazari.

    Liked by 1 person

  6. પોલીસ કોઇના ઉપર ગુસ્સે થાય ત્યારે કહેવાતુ હોય છે એની ચામડી ઉતારી નાખો એટલે સાચુ બોલશે.નેતાઓને માટે જાડી ચામડીના માણસ કહેવાય છે.ચામડી શરીરને મળેલુ કુદરતી આવરણ છે. ચામડીથી શરીર શોભે છે અને શરીરના આંતરિક અવયવોનું રક્ષણ થાય છે. ચામડી શરીરનું અગત્યનુ અંગ છે. ચામડીની બીજા શરીરને જ્યારે જરુર છે ત્યારે તેનુ દાન કરવાની વાત નવી ભલે હોય પરંતુ જરુરી છે. પ્રસ્તુત લેખમાં લેખકશ્રી ભાલચંદ્ર જાનીએ ત્વચા દાનની વિગતે આપેલી માહિતી ખૂબ ઉપયોગી છે.
    લેખકશ્રી અને બ્લોગરશ્રી ગોવિંદભાઇને ધન્યવાદ.
    અંગદાનની સમજ આપતી ઇ-બૂકના લોકાર્પણના ફોટો ગમ્યા.
    @ રોહિત દરજી ” કર્મ ” , હિંમતનગર
    મો. 94267 27698

    Liked by 1 person

    1. વહાલા અતુલભાઈ,
      ‘ત્વચાદાન’થી દાઝેલાને ‘જીવનદાન’ લેખને ‘RKD-रंग कसुंबल डायरो’ બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      –ગો. મારુ

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s