અન્ધશ્રદ્ધાનું ચણતર કરું છું!

મહીલાને માથાથી પગ સુધી લીંબુ, નીચોવીને ભીની કરવાથી મેલી વીદ્યા દુર થાય? મેલીવીદ્યા કુટુમ્બની જ વ્યક્તી શા માટે કરે? આવો, આજે સુરતના ભુવાજી–તાન્ત્રીક આધાર ભોજુ પાટીલના મુખે તેનું રહસ્ય જાણીએ…

(આ સત્ય ઘટના વર્ષ 2001ની છે; પરન્તુ આજેય આવી ઘટનાઓ બને છે. આ પ્રકારના ગુનાઓ લોકજાગૃતી દ્વારા જ અટકાવી શકાય છે.)

અન્ધશ્રદ્ધાનું ચણતર કરું છું!

–રમેશ સવાણી

અરવીંદ પટેલ (ઉમ્મર : 50) અને પ્રવીણ પટેલ (ઉમ્મર : 55) બન્ને ભાઈઓ વચ્ચે સમ્પ હતો. પ્રવીણભાઈ રેલવેમાં ડ્રાઈવર હતા અને ઉધના ગામમાં રહેતા હતા. જ્યારે અરવીંદભાઈ હીરાના ધંધામાં હતા અને ન્યુ રાંદેર રોડ ઉપર એક સોસાયટીમાં રહેતા હતા. બન્ને ભાઈઓને સંતાનો હતા. અરવીંદભાઈની પત્નીનું નામ રેખા હતું અને પ્રવીણભાઈની પત્નીનું નામ જયા હતું. રેખા–જયા, દેરાણી–જેઠાણી વચ્ચે પણ ગાઢ સમ્પ હતો.

દરમીયાન જેઠાણી જયાબેન બીમાર પડ્યા. ડૉક્ટરની દવા લીધી. દવા ચાલુ હતી તે દરમીયાન ભુવાજીને પણ બતાવ્યું. ભુવાજીએ ભસ્મ આપી. જયાબેન રોજ સવારે દુધમાં ભસ્મ નાંખીને પીતા. થોડા સમયમાં જયાબેનની બીમારી દુર થઈ ગઈ. ડૉક્ટરની દવાની અસર થઈ કે ભસ્મની તે જયાબેન નક્કી કરી શક્યા નહીં; પરન્તુ ભુવાજી ઉપર આસ્થા દૃઢ થઈ.

એક દીવસ જયાબેન ઘરમાંથી સંજવારી કાઢતા હતા, ત્યારે તેની આંખો ફાટી ગઈ! બેડરુમના કબાટ નીચે, પથારી નીચે કંકુવાળા ચોખાના દાણા હતા! જયાબેને ભુવાજીની સલાહ માંગી : “ભુવાજી! ઘરમાં કંકુવાળા ચોખા કોણે મુક્યા હશે? શા માટે મુક્યા હશે? મને ચીંતા થઈ રહી છે!”

“જયાબેન! કંકુવાળા ચોખા કોઈ વીધી માટેના હોવા જોઈએ! તમે ફરી બીમાર પડો તેવું તમારા કુટુમ્બમાંથી કોઈ એક વ્યક્તી કાર્યવાહી કરી રહ્યું છે!”

“ભુવાજી! કોણ છે? મને નામ જણાવો!”

“જયાબેન! તમે માનશો નહીં; પણ તમારી દેરાણી રેખાનું આ કામ છે! તમે સાવધાન રહેજો! તમે કાયમ બીમાર રહો, એવું રેખા ઈચ્છે છે! પરન્તુ તમે રેખાને વાત કરતા નહીં. રેખા ભલે ગમે તેવી વીધી કરાવે, મારી વીધી સામે ટક્કર લઈ શકશે નહીં!”

જયાબેને, પતી પ્રવીણભાઈને વાત કરી. પ્રવીણભાઈનું મન ખાટું થઈ ગયું. રેખા અને અરવીંદભાઈ, સામાજીક પ્રસંગે પ્રવીણભાઈના ઘરે જતા ત્યારે તેમના પ્રત્યે શંકાથી જોવાતું હતું. દરમીયાન પ્રવીણભાઈના પુત્રવધુની સીમંતવીધીનો પ્રસંગ આવ્યો. આ વીધી વખતે ભુવાજીને પણ બોલાવવામાં આવ્યા. કુટુમ્બીજનો રેખા અને અરવીંદભાઈ પ્રત્યે શંકાની નજરે જોવા લાગ્યા! બન્ને ભાઈઓ વચ્ચે અંતર વધવા લાગ્યું. દેરાણી–જેઠાણી વચ્ચે કંકાસ વધી ગયો!

અરવીંદભાઈ મુંઝાયા. કરવું શું? પ્રવીણભાઈને ભુવાજીમાં વીશ્વાસ હતો. ભુવાજી જે કહે તે પ્રવીણભાઈ બ્રહ્મવાક્ય માનતા હતા! અરવીંદભાઈએ, સુરતની સત્યશોધક સભાની મદદ માંગી.

તારીખ 03 નવેમ્બર, 2001. શનીવાર. ‘સત્યશોધક સભા’ની ટીમના મધુભાઈ કાકડીયા, સીધ્ધાર્થ દેગામી, ગુણંવત ચૌધરી, જગદીશ વકતાણા, ભુવાજીને ત્યાં પહોંચ્યા. સાથે અરવીંદભાઈ અને રેખાબેન પણ હતા. ખોટો પરીચય આપ્યો!

મધુભાઈએ કહ્યું : “ભુવાજી! મારી સાથે ગુણવંતભાઈ છે. તેમના લગ્ન થયાને દસ વર્ષ થયાં છતાં સંતાન નથી! ઘરમાં કંકાસ થતાં તેમના પત્ની ઘર છોડીને જતા રહ્યા છે!”

“મધુભાઈ! ગુણવંતભાઈના કુટુમ્બની કોઈ વ્યક્તીએ મેલીવીદ્યા કરી છે. એટલે સંતાનપ્રાપ્તી થઈ નથી! વીધી કરવી પડશે. ગુણવંતભાઈના પત્ની ઘરે પરત આવશે! તેમને માથાથી પગ સુધી, લીંબુ નીચોવીને ભીના કરવા પડશે!”

“ભુવાજી! મારા બેડરુમમાં, પલંગ નીચે ગઈ કાલે કંકુવાળા ચોખા પડ્યા હતા. મને ડર લાગી રહ્યો છે!”

“મધુભાઈ! સાવચેત રહેજો. કોઈએ મેલીવીદ્યા કરી છે! તમારી પત્નીને પણ લીંબુ નીચોવીને ભીના કરવા પડશે!”

“ભુવાજી! કોઈએ મેલી વીદ્યા કરી છે, એની તમને કઈ રીતે ખબર પડે?”

“દૈવીશક્તીના કારણે. માતાજીના કારણે. હું ત્રીકાળજ્ઞાની છું!”

“ભુવાજી! મેલીવીદ્યા જેવું કંઈ હોય છે કે ગપ્પાં મારો છો?”

“મધુભાઈ! ગમ્ભીર બનો. તમે ભુવાજી સામે બેઠા છો! મેલીવીદ્યાનો પડછાયો પડે તો પણ ભયંકર નુકસાન થાય છે! હું ધારું તો તમને પળવારમાં ચકલી બનાવી શકું છું! હવે પછી પ્રાણીઓ અને પક્ષીઓ દ્વારા તમને અપશુકન થશે! બીલાડી આડી ઉતરે, ગાય ભાંભરે, ગધેડું સામું મળે, કુતરું રડે, સાપ માર્ગમાં આડો ઉતરે, ઘર પર કાગડો, ઘુવડ કે ચીબરી બોલે તો અપશુકન થશે!”

“ભુવાજી! હું અપશુકનમાં માનતો જ નથી! હું દરેક પ્રકારના અપશુકન માટે તૈયાર છું!”

“મધુભાઈ! તમે મેલીવીદ્યાને પડકારો છો! તમને નુકસાન થશે. તમારું ધનોતપનોત નીકળી જશે! તમને બીજા પણ અપશુકન થશે, જેમ કે લાકડાંનો ભારો લઈને આવતી કોઈ મહીલા સામી મળે. દુઃખી મહીલા સામી મળે, તમને એક છીંક આવે, ડાબા હાથની હથેળીમાં ખંજવાળ આવે અને ડાબી આંખ ફરકે તો પણ તમારું અશુભ થશે!”

“ભુવાજી! તમારું વહેમશાસ્ત્ર બંધ કરો! ગાય સામી મળે તો શુકન અને ઘેટાંનું ટોળું સામે મળે તો અપશુકન એવું તમે કયા આધારે કહો છો? દુઃખી મહીલા સામી મળે તો અપશુકન અને મડદું સામે મળે તો શુકન? ડાબી હથેળીમાં ખંજવાળ આવે તો અપશુકન અને જમણી હથેળીમાં આવે તો ધનપ્રાપ્તી થાય? આ બધું તુત છે! લોકોને છેતરવાની યુક્તીઓ છે!”

“મધુભાઈ, તમે માતાજીનું અપમાન કરી રહ્યા છો!”

“માતાજીનું અપમાન તો તમે કરી રહ્યા છો! ભુવાજી! પેટ ભરવા અને આનન્દપ્રમોદ કરવા તમે માતાજીના નામે છેતરપીંડી કરો છો! માતાજી સાથે દગો કરતાં તમને શરમ આવતી નથી, તો માણસ સાથે તમે કેવા ખેલ ખેલતા હશો!”

“મધુભાઈ, ચુપ થઈ જાવ! મારું મગજ ફરી રહ્યું છે!”

“ભુવાજી! તમારું મગજ ફેરવવા જ અમે અહીં આવ્યા છીએ! અમે સત્યશોધક સભાના કાર્યકરો છીએ. અરવીંદભાઈની ફરીયાદ મળી એટલે તમારું ‘પગેરું’ મેળવવાનું અમે નક્કી કર્યું. તમે સાવ ગપોડી છો! ગુણવંતભાઈને બે સંતાનો છે અને ઘરમાં શાંતી છે. મારા પલંગ નીચે કંકુવાળા ચોખા મેં જાતે જ નાખ્યા હતા! અને તમે કહો છો કે કોઈએ મેલીવીદ્યા કરી છે! ભુવાજી, અમને ચોખ્ખી વીદ્યાથી જાણવા મળેલ છે કે તમારું મુળ નામ આધાર ભોજુ પાટીલ છે. તમારી ઉમ્મર પાંત્રીસ વર્ષની છે. આઠ વર્ષ પહેલાં તમે સુરતમાં આવીને કડીયાકામ કરતા હતા; પરન્તુ છેલ્લાં પાંચેક વરસથી ભુવાજી–તાન્ત્રીક તરીકે તમને ફાવટ આવી ગઈ છે! તમે લગ્ન કર્યા હતા; પણ તમારી પત્ની તમને છોડીને જતી રહી છે! ભુવાજી, બીજાની પત્નીઓને પરત બોલાવો છો, તો તમારી પત્નીને પરત બોલાવી શક્તા નથી?

“મધુભાઈ! પહેલાં હું કડીયાકામ કરતો હતો, હવે અન્ધશ્રદ્ધાનું ચણતર કરું છું! મને માફ કરો!”

“ભુવાજી! મહીલાને માથાથી પગ સુધી, લીંબુ નીચોવીને ભીની કરવાનું રહસ્ય શું છે? કુટુમ્બની જ કોઈ વ્યક્તી મેલીવીદ્યા કરે, એવું કેમ?”

“સાવ સાદું રહસ્ય છે! મારી પત્ની જતી રહી પછી બીજાની પત્નીઓને હું લીંબુ નીચોવીને ભીની કરતો, સ્પર્શ કરતો અને રોમાંચ અનુભવતો! દરેક કુટુમ્બમાં નાનામોટાં વાંધા પડતા હોય છે. એટલે કુટુમ્બની કોઈ વ્યક્તીએ મેલીવીદ્યા કરી છે, એમ હું કહું ત્યારે અન્ધશ્રદ્ધાળુ વ્યક્તી શંકાના રવાડે તરત જ ચડી જાય છે! પછી એ દીશામાં એને દોડાવવા, અમે ચાબુક ફટકાર્યા કરીએ છીએ!”

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થયેલ એમની રૅશનલ કટાર ‘પગેરું’ (24, મે, 2017) માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી ઈ.મેઈલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 04–04–2019

3 Comments

  1. સરસ.
    સાચા બનેલાં દાખલાઓ વાચકને પોતાને ‘ સત્ય શોઘક ‘ બનવા પ્રેરણા આપે તેની શક્યતાઓ ખૂબ મોટી બની શકે છે. આવા સાચા દાખલાઓ સાચા નામ, કામ, સાંસારીક, પ્રફેશનલ વિગતો અને સત્ય શોઘક કર્મવિરોના નામ પણ વાચકને પ્રેરણાદાયક બની રહે. રમેશભાઇને અભિનંદન. શોર્ટ અેન્ડ સ્વીટ.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 3 people

  2. This is a good gesture on part of Fact finding group.Such incidents are required to be circulated on a wider scale.I think very few people may be reading such incidents and quite a few may have access to internet.Such fraudulent
    incidents should be immediately reported in news papers and FIR should be lodged with police,so it may come to light and majority can have news about such miracle makers.Mostly such black magicians are operating in rural areas where quantum of literacy is negligible and hence they succeed.

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s