કલ્પના કથાઓ – Mythologyમાં વીજ્ઞાન?

પુષ્પક વીમાન
શ્રીલંકાથી અયોધ્યા સુધી રામનો પ્રવાસ?
ઈ.સ. પુ. 3000થી વધારે

6

કલ્પના કથાઓ – Mythologyમાં વીજ્ઞાન?

–ડૉ. બી. એ. પરીખ

(આ પુસ્તકનો પાંચમો લેખ (https://govindmaru.com/2019/07/15/dr-parikh-12/)ના અનુસન્ધાનમાં..)

ભારતીય સાહીત્યમાં કલ્પના કથાઓ Mythology આજે પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ કલ્પના કથાઓમાં વીશેષ કરીને રામાયણ, મહાભારત તથા પુરાણોમાં અનેક પ્રસંગો વર્ણવાયા છે. જે ઉપરથી આજના હીન્દુપ્રેમીઓ, ભારતીય સંસ્કૃતી વીશે ગર્વ લઈને ભારપુર્વક દાવો કરે છે કે – ‘આ બધું આધુનીક કહેવાતું જ્ઞાન, ટૅકનોલૉજી તો ભારતમાં વર્ષો પહેલાં હતું જ.’

રામાયણમાં જ્ઞાન–વીજ્ઞાનના કેટલાક દાવાઓ :

1.  રાવણમાં અગાધ શક્તી, સામર્થ્ય હતું; કારણ તે શીવભક્ત હતો. શીવનું તેને વરદાન હતું.

2.  હનુમાનમાં અગાધ, અસ્વાભાવીક, અમાનવીય, સહજ નહીં એવી શક્તી હોવાના અનેક કીસ્સા વર્ણવાયા છે.

3.  ખર–દુષણે ગધેડા દ્વારા ચાલીત રથમાં સમુદ્ર પસાર કર્યો. એટલે કે વહાણવીદ્યા હતી.

4.  ભારતમાંથી શ્રીલંકા જવા માટે સમુદ્ર પાર કરવા માટેનો પુલ અંગદ અને નીલ નામના રામના બે સેવક એન્જીનીયરોએ બાંધી આપ્યો. પુલ બાંધવાનું શાસ્ત્ર રામનો સમય એટલે કે ત્રણેક હજાર વરસ પહેલાં ભારતમાં હતું. આ પુલ રામસેતુ તરીકે ઓળખાય છે. તેના અવશેષો ખડકોરુપે આજે પણ રામેશ્વરથી નીકળતા પુલ રુપે દેખાય છે એવા દાવા થાય છે.

5. શ્રીલંકામાં રાવણ ઉપર વીજય મેળવ્યા પછી પુષ્પક વીમાન મારફતે રામ અયોધ્યા પહોંચ્યા. ઈ.સ. પુ. હજારો વર્ષ પહેલાં ભારતમાં વીમાન વીજ્ઞાનના જાણકાર અને વીમાન નીર્માણ કરનાર એન્જીનીયરો હતા.

મહાભારતમાં જ્ઞાન–વીજ્ઞાનના કેટલાક દાવાઓ :

(1)  મુની પરાશરે મત્સ્યગંધા સાથે એની નાવમાં જ વાતાવરણમાં વાદળો ઉપજાવી, અન્ધકાર ઉપજાવી સહવાસ કર્યો. તેનાથી પુત્ર વેદવ્યાસનો જન્મ થયો. આમ પર્યાવરણમાં કૃત્રીમ રીતે પરીવર્તન કરવાના શાસ્ત્રનું જ્ઞાન હતું.

(2)  સન્તાન ન જન્માવી શકનાર પતીની પત્ની કુટુમ્બના જ અન્ય વ્યક્તી દ્વારા સન્તાનપ્રાપ્તી કરી શકે છે. આ પ્રથાને નીયોગ કહે છે. આ ઉપરથી દાવો થાય કે પરપુરુષનું વીર્યદાન મેળવીને સન્તાનપ્રાપ્તીનું શાસ્ત્ર ભારતમાં હતું.

(3)  પાંડવોએ દાનવોના સ્થપતી મયદાનવની મદદથી મહેલ બાંધ્યો. તેમાં જળ હોય ત્યાં સ્થળ દેખાય અને સ્થળ હોય ત્યાં જળ દેખાય એવો આભાસ ઉપજાવવાની કળા પણ હતી. ટુંકમાં, હજારો વર્ષ પહેલાં ભારતમાં સ્થાપત્યવીદ્યા(architecture) બાંધકામશાસ્ત્રનો ઘણો વીકાસ થયેલો હતો.

(4)  એક તીર છોડાય તેમાંથી હજારો તીરો ઉદ્ભવતા, એટલે કે ‘મશીનગન’ જેવા શસ્ત્રો હતાં કે એક જ વાર ટ્રીગર દબાવે અને સેંકડો ગોળીઓ નીકળે.

(5) નાગપાશ, વરુણાસ્ત્ર, અગ્નાસ્ત્ર જેવાં શસ્ત્ર–ધનુષ તીરો હતાં એટલે કે જાતજાતના તોપગોળા અને બોમ્બ હતા.

(6) બ્રહ્માસ્ત્ર દ્વારા સમગ્ર સૃષ્ટીનું નીકન્દન થઈ શકતું હતું. એટલે કે એટમીક એનર્જી અણુશસ્ત્રો, અણુબોમ્બ હતા.

(7)   મહેલમાં બેઠેલો સંજય પ્રત્યક્ષ નજરે જોતો હોય એ રીતે મહાભારતના યુદ્ધનું વર્ણન કરી શકતો અને ધૃતરાષ્ટ્રને સમ્ભળાવતો. આજે આપણે ટેલીવીઝનમાં જોઈએ છીએ તેમ દુરની યુદ્ધભુમી ઉપરની કાર્યવાહી સંજયને નજરોનજર દેખાતી. ભારતમાં ટેલીવીઝન તો હજારો વર્ષ પહેલાં આવી ગયું હતું.

(8)  ધૃતરાષ્ટ્ર–ગાંધારીએ માંસના લોચાને જન્મ આપ્યો. તે લોચામાંથી સો ટુકડા કરી ને સો પુત્રો જન્માવ્યા. અરે, આ તો સ્ટેમસેલના ઉપયોગથી ક્લૉનીંગનું શાસ્ત્ર કહેવાય. તે વીશે મહાભારતના સમયમાં પણ જાણકારી હતી. એક બીજમાંથી અનેક બીજો ઉત્પન્ન કરી સર્જન કરી શકાય.

(9)  અર્જુનને શાપ આપવામાં આવ્યો હતો કે તે એક વરસ માટે વ્યંઢળ–કીન્નર બની જશે, પછી ફરીથી પુરુષ બની જશે. જાતી પરીવર્તન શસ્ત્રક્રીયાની જાણકારી તો મહાભારત કાળમાં પણ હતી.

(10)  બીજા કેટલાક સમર્થ દાવાઓ જોઈએ :

1.  ભગવાન શંકરે પોતાના ઘરના બારણે ઉભેલા પુત્ર ગણેશ કે જેની તેમને ઓળખ ન થઈ તેનું શીષ–ડોકું કાપી નાખ્યું; પછી પત્નીના આક્રન્દથી તરતમાં જ જન્મેલા હાથીના બચ્ચાનું ડોકું કાપી ગણેશના ધડ ઉપર લગાવી દીધું. અંગ પ્રત્યારોપણની, પ્લાસ્ટીક સર્જરીની આશ્ચર્યકારક લાગે છે તેવી આ ટૅકનોલૉજી તો ભારતમાં વર્ષો પહેલાં હતી.

2.  પત્ની ઉપર પરપુરુષ સાથેનો સમ્બન્ધનો આરોપ લગાવી મુની જમદગ્નીએ પત્નીનું ડોકું કાપી નખાવ્યું. પુત્ર પરશુરામના આગ્રહથી પત્નીના ડોકાને પુન:સ્થાપીત કરી તેને સજીવન કરી. આ કેવી ઉચ્ચ પ્રકારની શસ્ત્રક્રીયા.

3.  વનમાં શ્રીરામ પર્યટન કરતા હતા તે દરમીયાન તેમનો પગ એક શલ્યા(પથ્થર)ને લાગ્યો અને આ પથ્થરમાં જીવ પ્રગટ્યો, તે સ્ત્રી રુપે અહલ્યા. આ કેવા પ્રકારની ટૅકનોલૉજી, જડ પદાર્થમાં ચેતન ઉપજાવતું શાસ્ત્ર.

        આમ, આજે બહુ જ ઉત્તમ પ્રકારની શોધો અને ટૅકનોલૉજી કહેવાય એ બધું જ ભારતમાં તો હજારો વર્ષો પહેલાં શોધાયું હતું. જાણકારી હતી જ. જ્યારે સમગ્ર વીશ્વ જંગલી અવસ્થામાં, અન્ધકારમાં હતું. તો પછી સ્વાભાવીક રીતે પ્રશ્ન પુછાય, શંકા ઉપજે કે, આ બધું જ્ઞાન, શાસ્ત્રો, વીદ્વાનો, ઉત્પાદનનાં કારખાનાં, મશીનરી, કારીગરો વગેરે વીશેના અનેક પુરાવાઓ ભારતમાંથી લુપ્ત કેમ થઈ ગયા? ક્યારે? શાસ્ત્રો કેવી રીતે લુપ્ત થયા? તેના જવાબમાં હીન્દુપ્રેમીઓ, ભારતીય સંસ્કૃતીપ્રેમીઓ જવાબ આપે છે કે મહાભારતકાળમાં જે અણુયુદ્ધ થયું હતું, તે સમયના અણુયુદ્ધમાં તમામે તમામ વીદ્વાનો, જ્ઞાન ભસ્મીભુત થઈ ગયાં અને ભારત ત્યાર પછી હજારો વર્ષ અન્ધકારની ગર્તામાં રહ્યું. કેટલું હાજરજવાબી અને ગળે ઉતરી જાય તેવું સ્પષ્ટીકરણ કે કોઈ પ્રલય, વીનાશની સાથે સમગ્ર જ્ઞાન, તે જ્ઞાન સમ્બન્ધી જાણકાર વીદ્વાનો, તે સમ્બન્ધીત સાધન–સરંજામ, ઉપકરણો, અવશેષો, તે જ્ઞાન વીશેના ગ્રન્થો તમામનો વીનાશ! પ્રલય પછી સૃષ્ટી–ભારતનું નવસર્જન થયું; પરન્તુ આવા તો કોઈ પુરાવા, લખાણ ઈતીહાસમાં બતાવાયા નથી.

        ભગવદ્ ગીતામાં શરીરરચના અને તેમાંથી પ્રગટતું વ્યક્તીનું વ્યક્તીત્વ, સ્વભાવનાં ત્રણ તત્ત્વો– સત્વ, રજસ અને તમસ બતાવ્યા છે.

વર્ણવ્યવસ્થા ધરાવતી સમાજરચનાને વૈજ્ઞાનીક આધાર છે. ગુણકર્મ પ્રમાણે વ્યક્તીના ગુણો, કર્મો, કાર્યશક્તી અનુસાર તેને અમુક વર્ણ વર્ગમાં મુકવામાં આવે છે એવાં કથનો છે.

કલ્પના કથાઓ, Mythologyમાં કહેવાતી વૈજ્ઞાનીક સીદ્ધીઓની પોકળતા

વીશેષ કરીને રામાયણ, મહાભારત, ભાગવત તેમ જ વીવીધ પુરાણો, દેવોને અનુલક્ષીને રચાયેલા ગ્રન્થો જેમ કે શીવપુરાણ, હનુમાન ચાલીસા વગેરેમાં જે જાતજાતનાં વર્ણનો આવે છે તે દ્વારા આજે ટૅકનોલૉજીનો અપ્રતીમ વીકાસ છે તેવી ટૅકનોલૉજી, તેવાં ઉપકરણો તો અમારે ત્યાં ભારતમાં હતા જ એવા દાવા થાય છે. તે દાવા કેવા વાહીયાત છે, મીથ્યાભીમાની છે, કપોળ કલ્પનાઓ છે તે વાચકમીત્રોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. સાચો અભીગમ તો એ છે કે આપણા મહાકાવ્યો, વીશાળ ગ્રન્થોમાં આવતી કથાઓ, ચમત્કારીક સીદ્ધીઓ શક્તીઓનાં ઉદાહરણો વગેરે જે તે કવી–લેખક, રચયીતા દ્વારા મનોરંજન માટે ઉપજાવાયેલી કલ્પના કથાઓ છે એમ માનવું વાજબી તેમ જ બુદ્ધીગમ્ય છે. અલબત્ત, આવી કલ્પનાઓ કરવા માટે પણે જે તે ઋષી–લેખકની પ્રશંસા કરીએ. દા.ત. વાલ્મીકીએ રામાયણની રચના કરી. રામાયણમાં ઉત્તર પ્રદેશના લખનૌ નજીક એક અતી નાનો વીસ્તાર છે– અયોધ્યા, તેના એક રાજા વીશે કથા છે. આ કથામાં રોચક, મનોરંજક, જુદા જુદા પાત્રો, પ્રસંગો વાવી, કથા રચવા માટે કવી વાલ્મીકીને આપણે અભીનન્દન આપીએ. રામાયણમાં બતાવેલી વૈજ્ઞાનીક કહેવાતી સીદ્ધીઓ કેટલી કાલ્પનીક છે તે તો આજે પુરાવા સાથે વીદ્વાનોએ સાબીત કર્યું છે. દા.ત. રામાયણમાં લંકાનું સ્થાન ક્યાં? તે વીશે વીદ્વાનોએ જાતતપાસ કરી આર્કીઓલૉજીકલી, ભૌગોલીક પુરાવાઓ સાથે સાબીત કરી આપ્યું છે કે, રામાયણમાં જે શ્રીલંકાનો ઉલલેખ છે તે સ્થાન લંકા વાસ્તવમાં જબલપુર નજીકનો જ કોઈક ગામડાનો પ્રદેશ છે. આજનો દેશ શ્રીલંકા એ રામાયણની લંકા છે, એ સાવ વાહીયાત હકીકતો સાથે મેળ ન ધરાવતી કલ્પના છે. કારણ કે, વાલ્મીકીએ જ તેમના વર્ણનમાં લખ્યું છે કે સીતાના અપહરણ પછી હનુમાનજી છેલ્લે સીતાની શોધમાં જવા માટે દક્ષીણ દીશામાં તેઓ નર્મદા નદીના અમરકંટક ઉપર ઉભા હતા. ત્યાંથી તેમણે કુદકો માર્યો. તેમની સામેનો વીશાળ જળરાશી તે નર્મદા નદી, હીન્દ મહાસાગર નહીં. તો પછી ‘રામસેતુ’ની, રામેશ્વરની કલ્પના કવી વાલ્મીકીની ઉત્તમ વીચારશક્તીની નીપજ કહેવાય. રામસેતુ કહેવાતા ખડકો મેં જાતે નીહાળ્યા છે તે તો જમીન ઉપર ઉપસી આવેલા કેટલાક દરીયાઈ ખડકો છે. રામે રાવણવીજય પછી જલદીથી અયોધ્યા પહોંચવા પુષ્પક વીમાનનો ઉપયોગ કર્યો એટલે કે હજારો વર્ષ પહેલાં ભારતમાં ‘વીમાન’ બનતાં હતા. હવે વીચારો કે તે સમયે ખરેખર વીમાન હતાં કે કવીએ ઝડપથી અયોધ્યા પહોંચવા માટે કોઈ યુક્તીની કલ્પના કરી? જ્યારે આપણું કામ પુરું થાય પછી જલદી ઘરે પહોંચી જવાની તીવ્ર ઝંખના હોય એ સ્વાભાવીક છે. હવે નાનું બાળક પણ આકાશમાં પંખીને ઉડતું જોઈને ‘હું આવું ઉડી શકું તો કેવું?’ ક્યાંના ક્યાં જવાય? ઉડન ખટોલા, ઉડતી શેતરંજીની મનોરંજક વાર્તાઓ આપણા સાહીત્યમાં છે. તો સ્વાભાવીક છે કે કવી વાલ્મીકીએ શ્રીરામને તત્કાળ અયોધ્યા પહોંચાડવા ઉડતા પુષ્પક વીમાનની કલ્પના કરી. આ કવીની કલ્પના છે. રામયુગમાં ખરેખર વીમાનો હતા એમ માની લેવું તેમ જ પ્રચાર કરવો તેમાં માણસની બાલીશતા, મુર્ખતા, મીથ્યાભીમાન ભારોભાર પ્રગટ થાય છે. એવો પ્રશ્ન કેમ ઉદ્ભવતો નથી કે શું જો વીમાન હતું તો એક જ હતું? બીજા વીમાનો ક્યાં ગયાં? વીમાન વીશેની ટૅકનોલૉજીકલ જાણકારી ક્યાં અદૃશ્ય થઈ ગઈ? જો વીમાન હતા તો તે સમયમાં વીમાન બનાવનાર એન્જીનીયરો હોય, ધાતુવીજ્ઞાન, એરોનોટીકલ વીજ્ઞાની હોય, વીમાનને બનાવવા માટેનાં કારખાના હોય, વીમાન ચાલકો હોય, વીમાન માટે વીમાન ઘર, હવાઈ મથકો વગેરે હોય. આ બધું ક્યાં લુપ્ત થઈ ગયું?

એમ દલીલ થાય છે કે ઋષી ભારદ્વાજે ‘વીમાન સંહીતા’ નામનો ગ્રન્થ લખ્યો છે. વાત સાચી છે; પરન્તુ આ વીમાન સંહીતામાં વીમાન રચના વીશે આપેલા સીદ્ધાંતો, માર્ગદર્શનની પુરી ચકાસણી બેંગ્લોરની પ્રયોગશાળામાં વીજ્ઞાનીઓએ કરી ને સાબીત કર્યું છે કે ભારદ્વાજે આપેલા સીદ્ધાંતો અનુસાર વીમાન બનાવી શકાય જ નહીં.

વીચાર કરો કે રામાયણ, મહાભારતનો યુગ તો ઈતીહાસકાળમાં ત્રણ–ચાર હજાર વર્ષો કે તે પહેલાંનો યુગ, ‘લોહયુગ’ તરીકે ઓળખી શકાય. આ સમયમાં યુદ્ધના સાધનો તરીકે તલવાર, ધનુષ–બાણ અને બીજા લોખંડમાંથી બનતાં આયુધો હતાં. ધનુર્વીદ્યામાં લડવૈયા કુશળ બને અને ધાર્યા નીશાન વીંધી શકે એ માનવા જેવી વાત છે. ધનુષ–બાણથી થતાં યુદ્ધો વધારે આક્રમક, મનોરંજક લાગે તેમ જ તેમાં ધનુર્ધર યોદ્ધાની કુશળતા પ્રગટ થાય તે માટે કવી વેદવ્યાસે ‘મન્ત્રશક્તી’નો ઉપયોગ ઉપજાવી બાણ છોડવાની શક્તીને વધારે પ્રભાવશાળી મારક બનાવી એ તેમની સુન્દર કલ્પના છે. વળી એક તીર છોડવામાં આવે તેમાંથી બીજા હજાર તીર પ્રગટે, તીર મારવાથી અગ્ની પેદા થાય, દુશ્મનને ભસ્મ કરે, પાણી પેદા થાય, નાગપાશ તીર છોડવામાં નાગનો મન્ત્ર ભણાય તેથી હજારો સર્પ પ્રગટે અને દુશ્મન દળના સૈનીકોને વીંટળાઈ જાય. બ્રહ્માસ્ત્રથી સર્વસ્વનો વીનાશ થાય એ કવીની કલ્પના અને અતીશયોક્તી અલંકાર તરીકે માનવું જોઈએ. મહાભારતની કથાઓ સાંભળવી, બાળકોને સમ્ભળાવવી ગમે છે; કારણ કે તે સુન્દર મનોરંજન પુરુ પાડવા સાથે કુતુહલ, વીસ્મય, આશ્ચર્યના રસ પણ સન્તોષે છે.

સંજય દૃષ્ટી એટલે કે તે સમયમાં ટેલીવીઝનની ટૅકનોલૉજી હતી. જેથી કુરુક્ષેત્રનું યુદ્ધ સંજયને નજરોનજર દેખાયું. ધૃતરાષ્ટ્રની યુદ્ધ વીશે જાણવાની પ્રબળ ઈચ્છાને સંતોષવા મહાભારતકારે આવી સુન્દર કલ્પના કરી તે માટે વેદવ્યાસને આપણે અભીનનદન આપીએ, બીજું શું? એમાં ટી.વી વીજ્ઞાન હોવાનું આરોપણ નહીં કરીએ. મહાભારતની વીશાળ કથામાં કૌટુમ્બીક કલહો, જાતજાતના કાવતરાં, પ્રપંચો, ઋષીઓની, રાજાઓની કામવાસના, બહુપત્નીત્વ જેવી તેમ જ નીયોગની પ્રથા વગેરે તે સમયના સમાજનું પ્રતીબીમ્બ પાડે છે. તેથી મહાભારત એક ધાર્મીક પાસું ધરાવતો સામાજીક ગ્રન્થ છે એ રીતે તેનું મુલ્યાંકન થવું ઘટે.

મહાભારતમાં બ્રહ્માસ્ત્ર એટલે અણુશસ્ત્રો હતા તેવો દાવો કરવો, તો તે બાબતે સમર્થન દલીલ કરનાર વીદ્વાન હીન્દુવાદીના ભેજાની બાલીશ નીપજ સીવાય કશું વીશેષ નથી. અણુશક્તી હેવાનું, અણુશસ્ત્રો હોવાનું માનવું એ મીથ્યાભીમાનની ચરમસીમા છે.

ગણેશજીના કાપેલા ધડ ઉપર શીવજીએ તાજા જન્મેલા હાથીના બચ્ચાનું ડોકું મુકી બાળગણેશને જીવીત કર્યાં એ અંગપ્રત્યારોપણ કહેવાય. તે અપ્રતીમ સીદ્ધી તો ભારતમાં વર્ષો પહેલાં હતી. (ગણેશજીનો સમયકાળ કયો મુકીશું?) આપણા વડાપ્રધાને તો જાહેર ભાષણમાં ઉંચા સ્વરે પુરી જાગ્રત અવસ્થામાં આપણા ભારત દેશમાં અંગપ્રત્યારોપણ, સ્ટેમસેલ ટૅકનોલૉજી, ક્લોનીંગ વગેરે વીશે જાણકારી હતી એવા દાવા કર્યા છે. હે વાચકમીત્ર! તમારા ગળે આ હકીકત ઉતરે છે ખરી? આ કલ્પના બુદ્ધીગમ્ય લાગે છે ખરી?

જરા શાંતીથી વીચાર કરો. માનવબાળકના ધડ ઉપર હાથીના બચ્ચાનું મસ્તક કેવી રીતે બન્ધબેસતું થાય? અને આગળ વીચાર કરો કે આ બાળક ગણેશ તો ‘માનવી’ અને તેનું મગજ કોનું? તો માણસનું તો નહીં જ; પરન્તુ હાથીનું. તો હાથીનું મગજ ગણેશમાં આરોપાય છે એવું જ્ઞાન, શક્તી, કુશળતા બુદ્ધી ક્યાંથી આવી? તમારી વીવેકબુદ્ધી શું કહે છે? વળી એ તો વીચાર કરો કે પાંચ–સાત વરસના બાળકની ડોકનું કદ કેટલું? અને હાથીના બચ્ચાની ડોકનું કદ કેટલું? માનવ ડોકથી અતી વીશાળ હાથીની ડોક માનવબાળની ડોક ઉપર કેવી રીતે બન્ધબેસતી થઈ ગઈ? અલબત્ત, ભગવાનની બાબતમાં આપણે આવી શંકાઓ કરી પાપમાં ન પડીએ! પરન્તુ આવી ઘટનાઓને સાચી વાસ્તવીક હકીકતો માની ને આપણી મુર્ખાઈ, અજ્ઞાનતા તો ન બતાવીએ. આ બધી તો કલ્પના કથાઓ છે. શું આથી વધારે ઉદાહરણોથી વાહીયાતતા બતાવવાની જરુર છે ખરી?

હાથીનું બચ્ચું

હાથીનું મસ્તક
ગણેશ(બાળક)ના ધડ ઉપર?

પુરાણા ભારતમાં વીજ્ઞાનીઓ :

1.

બૌધાયાન

ગણીતશાસ્ત્ર

2.

આર્યભટ્ટ

ખગોળ

3.

બ્રહ્મગુપ્ત

ગણીત

4.

ભાસ્કરાચાર્ય

ગણીત (મેથેમેટીક્સ)

5.

મહાવીરાચાર્ય

બીજગણીત

6.

કણાદ

અણુ

7.

વરાહમીહીર

જળવીજ્ઞાન, પર્યાવરણ, ભુસ્તરશાસ્ત્ર

8.

નાગાર્જુન

રસાયણશાસ્ત્ર

9.

સુશ્રુત

સર્જરી–આયુર્વેદ

10.

ચરક

આયુર્વેદ વૈદ

11.

પતંજલી

યોગ

(ક્રમશ:)

–ડૉ. બી. એ. પરીખ

લેખક ડૉ. બી. એ. પરીખનું  વૈજ્ઞાનીક વલણ ધરાવતું પુસ્તક ‘વીજ્ઞાનવીકાસ અને ભારતમાં વીજ્ઞાન’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત – 395 001 ફોન નંબર : (0261) 259 7882/ 259 2563 –મેઈલ : sahityasangamnjk@gmail.com પાનાં : 80, મુલ્ય : રુપીયા 80/-)માંનો આ 6ઠ્ઠો લેખ, પુસ્તકનાં પાન 29થી 35 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સંપર્ક : ડૉ. બી. એ. પરીખ, 154, સર્જન સોસાયટી, પાર્લે પોઈન્ટ, સુરત – 395 007 સેલફોન : 99241 25201 મેઈલ : bhanuprasadparikh@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોhttps://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00  અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 05/08/2019

4 Comments

  1. ગણેશજીના કાપેલા ધડ ઉપર શીવજીએ તાજા જન્મેલા હાથીના બચ્ચાનું ડોકું મુકી બાળગણેશને જીવીત કર્યાં એ અંગપ્રત્યારોપણ કહેવાય.
    માનવબાળકના ધડ ઉપર હાથીના બચ્ચાનું મસ્તક કેવી રીતે બન્ધબેસતું થાય? અને આગળ વીચાર કરો કે આ બાળક ગણેશ તો ‘માનવી’ અને તેનું મગજ કોનું? તો માણસનું તો નહીં જ; પરન્તુ હાથીનું. તો હાથીનું મગજ ગણેશમાં આરોપાય છે એવું જ્ઞાન, શક્તી, કુશળતા બુદ્ધી ક્યાંથી આવી? તમારી વીવેકબુદ્ધી શું કહે છે? વળી એ તો વીચાર કરો કે પાંચ–સાત વરસના બાળકની ડોકનું કદ કેટલું? અને હાથીના બચ્ચાની ડોકનું કદ કેટલું? માનવ ડોકથી અતી વીશાળ હાથીની ડોક માનવબાળની ડોક ઉપર કેવી રીતે બન્ધબેસતી થઈ ગઈ? અલબત્ત, ભગવાનની બાબતમાં આપણે આવી શંકાઓ કરી પાપમાં ન પડીએ! પરન્તુ આવી ઘટનાઓને સાચી વાસ્તવીક હકીકતો માની ને આપણી મુર્ખાઈ, અજ્ઞાનતા તો ન બતાવીએ. આ બધી તો કલ્પના કથાઓ છે. શું આથી વધારે ઉદાહરણોથી વાહીયાતતા બતાવવાની જરુર છે ખરી?

    છતાય ગણેશજીની પૂજા, ભક્તિ , લગન કંકોત્રીમાં ગણેશજીનો ફોટો છપાય છે. ઘરે ઘરે ગણેશજીની કાંસાની મૂર્તિ હોય છે. ગણપતિ ઉત્સવ ધામધુમથી ઉજવાય છે. વધારે શું લખવું ડૉ. બી. એ. પરીખ સાહેબ. શ્રદ્ધા પરમ દુલ્લહા . માફ કરજો સાહબે. પરંપરાનુસાર રીતિરીવાજો બદલી શકાતા નથી. કથા ભલે કાલ્પનિક હોય. જય જીનેન્દ્ર

    Like

  2. અહીં એક બહેનને ગણપતીમાં એટલી બધી શ્રદ્ધા કે ગણપતીનું ડોકું હાથીનું હોવાને કારણે હાથીની ઘણી બધી મુર્તીઓ વસાવી છે અને વસાવતાં રહે છે. એમના ઘરમાં મેં નાના મોટા હાથીઓનાં જાત જાતનાં શીલ્પો જોયાં છે. એ બહેનને કદાચ ગણપતી એટલે હાથી અને હાથી એટલે ગણપતી એવું લાગતું હશે?!! હાથીને પણ ગણપતી જેટલું જ મહત્ત્વ આપે છે. મને નથી લાગતું કે પ્રાણીપ્રેમને લઈને એમને હાથીપ્રેમ છે. એ બહેન બહુ જ નાની વયે અહીં ન્યુઝીલેન્ડ આવેલાં, જે સમયે એમણે ગણપતીનું નામ પણ કદાચ સાંભળ્યું નહીં હોય.

    Liked by 1 person

  3. મિત્રો,

    નાનપણમાં જે વાત અશક્ય હોય તેને સામેવાળો કોઇ સાચી સાબિત કરવાનો પ્રયત્ન કરે ત્યારે કહેતા… ‘ કહતે ભી દિવાને ઓર સુનતે ભી દિવાને..’

    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s